ત્રણ બેન્કનું મર્જરઃ સરકારનો સ્માર્ટ નિર્ણય…

દેના બેન્ક, વિજયા બેન્ક અને બેન્ક ઓફ બરોડા – પોતાના હસ્તકની આ ત્રણેય બેન્કનું વિલિનીકરણ કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય દેખીતી રીતે કિંમતી સ્રોતનો સ્માર્ટ રીતે ઉપયોગ કરવાનો છે.

આ ત્રણ બેન્કે નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA)ની સમસ્યા સર્જી ન હોવા છતાં એને કાર્યરત રાખવા માટે સરકારને આ મોટો નિર્ણય લેવાની ફરજ પડી છે.

મર્જર બાદની નવી બેન્ક આવતા વર્ષની 1 એપ્રિલથી શરૂ થશે. કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલી આવતા અઠવાડિયે આ ત્રણેય સરકારી બેન્કોના વડાઓ સાથે બેઠક કરવાના છે. એ બેઠકમાં જનધન તથા અટલ પેન્શન જેવી યોજનાઓની સમીક્ષા પણ કરાશે.

ઉક્ત ત્રણેય બેન્કના બોર્ડની આ જ મહિને બેઠક યોજવામાં આવશે. ત્રણેય બેન્કના વિલયની પ્રક્રિયા નિશ્ચિત સમયગાળામાં પૂરી કરવામાં આવશે. આ મર્જરથી દેના બેન્કને નવું જીવન મળશે.

સરકારી બેન્કોએ વર્ષ 2017-18માં રૂ. 87,357ની ખોટ કરી હતી. જાહેર ક્ષેત્રની કુલ 21 બેન્કો છે. એમાં ઈન્ડિયન બેન્ક અને વિજયા બેન્કને બાદ કરતાં બાકીની તમામ બેન્કોએ ખોટ કરી છે. ઈન્ડિયન બેન્કે વર્ષ 2017-18માં 1,258.99 કરોડનો નફો કર્યો હતો જ્યારે વિજયા બેન્કે રૂ. 727.02 કરોડનો નફો કર્યો હતો.

બિઝનેસ પ્રોફાઈલની દ્રષ્ટિએ ત્રણ બેન્કોનું મર્જર ખોટું કે ખરાબ જણાતું નથી, કારણ કે સંયુક્ત બેન્ક પાસે રૂ. 6.5 લાખ કરોડની લોન બુક થશે.

ત્રણ બેન્કોનું વિલિનીકરણ કરવા પાછળનો સરકારનો આશય વૈશ્વિક સ્તર અને આકારની બેન્કનું નિર્માણ કરવાનો છે, જે મજબૂત અને ટકાઉ હોય.