‘મેં આજ સુધી મોદી જેવા PM જોયા નથી…’ : મનમોહન સિંહ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આજે પંજાબના લોકોને પત્ર લખીને તેમની પાર્ટીના વખાણ કર્યા છે અને તેમને વોટ કરવાની અપીલ કરી છે. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા અને ચૂંટણી પ્રચાર દરમિયાન ‘દ્વેષપૂર્ણ ભાષણો’ આપીને જાહેર ચર્ચા અને વડાપ્રધાન પદની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો.લ1 જૂને લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા પહેલા પંજાબના મતદારોને અપીલ કરતા મનમોહન સિંહે કહ્યું કે માત્ર કોંગ્રેસ જ વિકાસલક્ષી પ્રગતિશીલ ભવિષ્યની ખાતરી કરી શકે છે, જ્યાં લોકશાહી અને બંધારણનું રક્ષણ થશે.

અગ્નવીર યોજનાને લઈને કર્યા પ્રહાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ સશસ્ત્ર દળો માટે ખોટી રીતે ડિઝાઇન કરેલી અગ્નિવીર યોજના લાદવા બદલ ભાજપ સરકાર પર પણ પ્રહારો કર્યા. પંજાબના મતદારોને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે ભાજપ માને છે કે દેશભક્તિ, બહાદુરી અને સેવાની કિંમત માત્ર ચાર વર્ષ છે. આ તેમનો નકલી રાષ્ટ્રવાદ દર્શાવે છે. મોદી પર પ્રહાર કરતા સિંહે કહ્યું કે હું આ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય ચર્ચાઓ પર નજીકથી નજર રાખી રહ્યો છું. મોદીએ અત્યંત દ્વેષપૂર્ણ ભાષણો આપ્યા છે, જે સંપૂર્ણપણે વિભાજનકારી છે. મોદીજી એવા પ્રથમ વડાપ્રધાન છે કે જેમણે જાહેર ચર્ચાઓની ગરિમા ઓછી કરી છે અને આ રીતે તેમણે વડાપ્રધાન પદની ગરિમા પણ ઘટાડી છે.