ધારાવીના પુનરુત્થાનની તક મેં કેમ ઝડપી?

ધારાવી- આ નામને કોઇ ઓળખની જરૂર નથી. બલ્કે, આ એક એવું નામ છે, આ એક એવું નગર છે, જે મુંબઇ જેવા મહાનગરની એક વિશેષ ઓળખ છે. અહીં એક એવું ભારત અને એવા ભારતમાંથી આવતા સમુદાયો વસે છે, જે દાયકાઓથી ભારતના અન્ય શહેરોની માફક પુનરુત્થાનની ઝંખના સાથે જીવે છે. મુબંઇ માયાનગરી છે, તો ધારાવી એની એક અજીબ માયા સમાન છે.

આ ધારાવી વસાહતનું નવનિર્માણ કરવાનું બીડું હવે અમદાવાદસ્થિત દેશના અગ્રણી ઉદ્યોગજૂથ અદાણી ગ્રુપે હાથ ધર્યું છે ત્યારે ધારાવીને એક નવા ઇતિહાસનો આરંભ થવા જઇ રહ્યો છે ત્યારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી એની પાછળના ઇરાદાઓ અને સંકલ્પની વાત આલેખે છે… 

———————————————————————-

(ગૌતમ અદાણી)

ભૂતપૂર્વ હેવીવેઇટ બોક્સિંગ વિશ્વ ચેમ્પિયન માઈક ટાયસનની મહેચ્છાની યાદીમાં ભારતના બે સ્થળનો સમાવેશ હતો કે, જેની તેઓ મુલાકાત લેવા ઈચ્છતા હતા એ બે સ્થળ હતા: આગ્રાનો તાજમહેલ અને બીજું મુંબઇનું ધારાવી.

દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત તરીકે પોતાની ઓળખ ધરાવનાર ધારાવીને જોવા-જાણવાનો પ્રથમ અવસર મને ૧૯૭૦ના દાયકાના આખરમાં મળ્યો હતો, જ્યારે દેશના તમામ યુવાનોની જેમ જિંદગીમાં કંઇક કરી દેખાડવાની તમન્ના લઇને મેં પણ મુંબઈમાં મારો પગ મૂક્યો હતો. એ સપનું હતું હીરાના વેપારમાં કંઇક કરી દેખાડવાનું.

મારા અંગત આશાવાદે આ મહાનગરે મને આકર્ષ્યો હતો. તે સમયે પણ ધારાવી ભારતના તમામ વિસ્તારોની માન્યતાઓ, સંસ્કૃતિઓ અને ભાષાઓની વિવિધતાઓને એક સાથે ઝીલીને ઓગાળનાર એક પાત્ર હતું. એ સમયે ધારાવીની ગલીઓમાં જોયેલી કઠોર પરિશ્રમની અરાજક્તાથી હું મંત્રમુગ્ધ થઈ ગયો હતો, જ્યાં લગભગ તમામ ભારતીય ભાષાઓ એક સમાન પડઘાતી હતી. પરંતુ તે અરાજક્તામાં સંયમ  હતો, ધારાવીના આત્મા દ્વારા તે પ્રદાન કરવામાં આવ્યો હતો એવું લાગતું હતું. હું તેને ક્યારેય કોઇ વ્યાખ્યામાં બાંધી  શક્યો નથી, પરંતુ બહુ જ મજબૂત રીતે એ અનુભવી શક્યો હતો.

ધારાવીની એ મુલાકાત માયાવી અને પરેશાન કરનારી એમ બન્ને પ્રકારની હતી. અહીં વસેલા વિવિધ સમુદાયોનો જીવન ટકાવી રાખવા માટેનો સંઘર્ષ, સમતા, ક્ષમતા અને  ભરપૂર ખુશીઓએ મને પ્રેરણા આપી હતી.

જો કે તેણે મારા મનમાં સવાલની એક ચિનગારી પણ ચાંપી હતીઃ શું તેમનું ભાગ્ય ક્યારેય પલ્ટાશે?

આજે મારા આશ્ચર્યમાં કોઇ ઘટાડો થયો નથી. મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ એપ્રોચ નીચે વિશાળ પેચવર્ક કરેલી રજાઈની જેમ ધારાવીને ફેલાયેલી જોવી એ ફકત માનવીય અનુકૂલન અને વિરોધાભાસી મૂળના વસાહતીઓને અપનાવવાની મુંબઈની તાકાત અને ક્ષમતાની યાદ અપાવે છે. એટલું જ નહી, સાથેસાથે શહેરી અસ્વચ્છતાની સ્થિતિ વચ્ચે રહેતા સમુદાયની પણ એક ગંભીર યાદ અપાવે છે. આ એ સમુદાય છે, આ એ વસાહત છે, જે કાયમ માટે તેના પુનરુત્થાનની રાહ જોઈ રહી છે.

આ પશ્ચાદભૂમિકામાં જ્યારે ધારાવીના નવીનીકરણ કરવાની આ તકે દસ્તક દીધા ત્યારે મેં તેને બંને હાથે ઝડપી લીધી. હું આ કાર્ય પૂરા જોશ સાથે કરવા માંગતો હતો, કારણ કે મુંબઈ વિશેની તે મારી પ્રથમ છાપ સાથે અંગત રીતે એક વિશાળ જોડાણ ધરાવે છે અને કદાચ તેથી જ આ કામ કરવાના અતિઉત્સાહના કારણે અમે આ કામ માટે અઢીગણી ઓવર બીડ કરી હતી, જે અમારા પછી આવનારની બીડ કરતાં સૌથી વધુ હતી.

એની સાથે જ, હવે અહીં ધારાવીમાં ગૌરવ અને પુનરુત્થાનનો એક નવો અધ્યાય આલેખવાની શરુઆત થઇ રહી છે. અમારા માટે ગૌરવપૂર્ણ, સલામત અને સર્વસમાવેશક એવા નૂતન ધારાવીનું નિર્માણ કરવાની આ ઐતિહાસિક તક છે.

યાદ રહે, અમારા માટે આ ફક્ત વ્યવસાયિક પરિયોજના જ નથી, પરંતુ તેનાથી પણ અનેકગણો સંવેદનાસભર એવો એક પ્રકલ્પ છે. સાચું કહું તો, આ યોજનાના માધ્યમથી સમાજને એ તમામ પાછું આપવાનો વિનમ્ર પ્રયાસ છે જે અમારા ઉદ્યોગ સમૂહે વીતેલા વરસોમાં સમાજ પાસેથી પ્રાપ્ત કર્યું છે.

આ પુનર્વસન કાર્યક્રમના માધ્યમથી દેશમાં સંવેદનશીલતાના અભિગમનું નવું પ્રકરણ શરૂ થઈ રહ્યું છે. આપણા સૌના દ્રઢ સંકલ્પ અને પ્રયાસોથી અમારા માટે માનવીય ગરીમા, સુરક્ષા અને સર્વસમાવેશકતા ધરાવનારી નૂતન ધારાવીનું નિર્માણ કરવાની આ એક ઐતિહાસિક તક છે.

અમે જ્યારે આ સંપૂર્ણ અજાણી સફરની શરુઆત સાથે  નિર્ધારીત લક્ષ્યને આંબવા માટે એટલા જ કૃતનિશ્ચયી બનીને આગળ વધવાનો આરંભ કરી રહ્યા છીએ ત્યારે અમને આવનારા સમયના પ્રચંડ પડકારોનો પણ પૂરો અહેસાસ છે. અમે જાણીએ છીએ કે પડકારો આવવાના જ છે અને એ પડકારો ખૂબ મોટા હશે, પણ એને પહોંચી વળવા માટે જરૂરી આત્મવિશ્વાસ અને પુરુષાર્થનું બળ પણ અમારી પાસે છે.

કેટલાક લોકો આ પરિયોજનાની સરખામણી ૧૯૬૦ના દાયકામાં સિંગાપોરની હાઉસિંગ કટોકટીને ઉકેલવા માટે સફળ રહેલા ટ્રેલબ્લેજીંગ પ્રોજેક્ટ સાથે કરે છે, પરંતુ ધારાવી ત્રણ કારણસર તેના પોતાનામાં જ એક અનન્ય પ્રોજેક્ટ છે, કહો કે વિશેષ છેઃ

સૌ પ્રથમ તો તે વિશ્વના સૌથી વિરાટ શહેરી પુનર્વસન અને પુનર્જીવન પ્રોજેક્ટ પૈકીનો એક છે, જેમાં અંદાજે દસ લાખ લોકોનું પુનર્વસન અને પુન:સ્થાપન કરવામાં આવશે.

બીજું, આ દરમ્યાન ફક્ત રહેણાંકના એકમોનું જ નહીં, પરંતુ અલગ અલગ આકાર અને કદના વિવિધ વ્યાપારી પ્રતિષ્ઠાનોનું પણ પુનર્વસન થશે. ધારાવીમાં ખિલી રહેલા વિવિધ અને વિશિષ્ટ વ્યવસાયોના સમગ્ર ઇકોસ્ફિયર અને વ્યાપારી તાણાવાણાનું પુનર્વસન અને પુનઃસ્થાપન કરવામાં આવશે.

અને ત્રીજું, આ પ્રોજેક્ટનો હેતુ વ્યાપક અને સર્વગ્રાહી પુનઃવિકાસનો હશે, કારણ કે તેમાં પાત્ર અને અપાત્ર એમ બંને નિવાસીઓના આવાસ અને પુનર્વસનની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં આવશે.

અમે એક વિશ્વકક્ષાના ઉપનગરનું નિર્માણ કરશું, જે આવનારી પેઢીઓ માટે એક મિસાલ અને પ્રેરણાનું કારણ બની રહે. ૨૧મી  સદી ભારતની સદી છે તેના અહેસાસની અનુભૂતિ દુનિયાને આ પરિયોજનાથી થઇ શકશે. ધારાવીના પુનઃવિકાસ અંગે મારી પાસે હાલ ના તો કોઇ ચોક્કસ વિચારો છે કે ના તો કોઇ ધારણા છે. મારી પાસે કાંઇ છે તો એ છે બસ, એક ઉમદા મકસદ અને આ મકસદના કેન્દ્રમાં છે ધારાવીના લોકોના માનવ-કેન્દ્રિત પરિવર્તન માટેની પોલાદી મનોકામના. તેમના મંતવ્યો અને તેમની લાગણીઓને શક્ય તેટલી વધુમાં વધુ હદ સુધી સમાવીને એમને જ પ્રતિબિંબિત કરે તેવો બોટમ-અપ આ પ્રોજેક્ટ હશે.

અમે માત્ર ધારાવીના લોકોની જ નહીં, પણ શ્રેષ્ઠ બુધ્ધિજીવીઓ અને આ કામ માટે દરકાર કરનારા તમામ મુંબઈગરાઓ, કે જેઓ ધારાવીના પરિવર્તનની આ યાત્રામાં સમાન હિસ્સેદાર છે, તેમની ભાવનાઓને જકડી રાખે તેવું એક સંસ્થાકીય મિકેનિઝમ બનાવીશું. જૂની ધારાવીની ઓળખના સત્વને ગુમાવ્યા વિના નવી ધારાવીનું નિર્માણ અમારી ભાવના, દૃઢતા, વિવિધતામાં એકતા, રંગ અને અમારો સંકલ્પ મુંબઈની અલાયદી ઓળખને પ્રતિબિંબિત કરશે.

અમે વિશ્વકક્ષાના એક અતિ આધુનિક શહેરનું પણ નવસર્જન કરવા જઇ રહ્યા છીએ, જે ૨૧મી સદીના ભારતને વૈશ્વિક મંચ પર તેનું નવું સ્થાન પ્રસ્થાપિત કરતા પુનરુત્થાનશીલ અને ભરપૂર આત્મવિશ્વાસ સાથે વિકસતા ભારતની પ્રતિષ્ઠાને પ્રતિબિંબિત કરશે, કારણ કે ૨૧મી શતાબ્દી ભારતની છે.

ધારાવીમાં પાત્રતા ધરાવતા રહેવાસીઓ તેમના નવા ઘરોમાં રહેવા જાય એવી પણ મારી અંગત પ્રતિબદ્ધતા છે. તેઓ તેમના ઘરો ફક્ત તેમની નજર સામે બંધાતા જોશે એટલું જ નહીં, પરંતુ તેને આકાર આપવામાં પણ તેઓનો અભિપ્રાય મહત્વનો હશે. હાલમાં તેમના ઘરોમાં જે સુવિધાઓ નથી તેવી ગેસ, પાણી, ગટર વ્યવસ્થા, વીજળી, સ્વચ્છતા, આરોગ્યસંભાળ, મનોરંજનની સગવડ અને ખુલ્લી જગ્યાની સુવિધાઓ અમે પૂરી પાડશું. તેઓને વિશ્વકક્ષાની હોસ્પિટલ અને એક શાળાની સુવિધા પણ મળશે. અપૂરતી સગવડોની ગઇગુજરી યાદોના બદલે અહીં એક નવી ધારાવી નજરે ચડશે, જે ગર્વથી ગૂંજી ઉઠશે.

પુનર્વસન ઉપરાંત આજીવિકા પણ એક મોટો પડકાર છે. તેને પહોંચી વળવા માટે હાલના માઇક્રો-સાહસો અને નાના ઉદ્યોગોને ટેકો આપવાની સાથે મજબૂત કરવાના ઉપાયો વિચારીને યુવાનો અને મહિલાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને નવા યુગની નોકરીઓને પ્રોત્સાહન આપીને હું ધારાવીને આધુનિક બિઝનેસ હબમાં પરિવર્તિત કરવાનો ઈરાદો ધરાવું છું. ક્ષેત્રીય નિષ્ણાતો અને સભ્ય સમાજની મદદથી બહુસ્તરીય વ્યૂહરચનાનો ઉપયોગ કરીને તે લક્ષ્ય હાંસલ કરવામાં આવશે. તે કાર્યકુશળતાને ઉંચે લઇ જવા પર લક્ષ્ય કેન્દ્રિત કરીને ઉત્પાદન-આધારિત તેમજ સેવા-આધારિત સાહસિકતા મોડલ માટે સામાન્ય સુવિધા કેન્દ્રો, સંશોધન અને વિકાસ કેન્દ્રો, ડેટા સેન્ટર્સ, તાલીમ કેન્દ્રો, એમએસએમઇ હેલ્પ ડેસ્કનું સંયોજન કરી શકાય છે. ઓપન નેટવર્ક ફોર ડીજીટલ કોમર્સ (ONDC)ને અનુરૂપ સંગઠિત અને પ્રણાલીગત બજારોની રચના પણ બીજું એક અગત્યનું પાસું હોઈ શકે છે.

ધારાવીની કાયાપલટ કરવાનો પ્રયાસ નવી વાત નથી, પરંતુ તેનો લગભગ અડધી સદીનો લાંબો ઈતિહાસ છે. આ વખતે અગાઉના અનુભવોના આધારે ટેન્ડર ડિઝાઇનમાં કેટલાક પરિણામલક્ષી ફેરફારોના કારણે બિડર્સની ભાગીદારી અને તેની પૂર્ણતા સફળતાપૂર્વક સુનિશ્ચિત કરી છે. ઉદાહરણ તરીકે, આ ટેન્ડર અયોગ્ય ભાડૂઆતોને પુનર્વસન પૂરું પાડે છે. ધારાવીને અડીને આવેલી ૪૫ એકર રેલ્વે જમીનના સમાવેશથી ઇન-સીટુ પુનઃસ્થાપન અને ડે-ઝીરો પ્રોજેક્ટની શરૂઆત સુનિશ્ચિત થઈ છે.

અહીં એ મહત્વનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે મહારાષ્ટ્રની રાજ્ય સરકારો, રાજકીય પક્ષો તેમજ રેલ્વે જમીન પૂરી પાડનાર વર્તમાન કેન્દ્ર સરકારના સંપૂર્ણ સમર્થન અને મક્કમ પ્રતિબદ્ધતાના કારણે જ આ પ્રોજેક્ટ ખરા અર્થમાં અમલવારીના માર્ગે આગળ વધશે. અન્યથા આ પ્રોજેક્ટમાં આગળ વધવાનો આ દિવસ આપણે જોઇ શક્યા ન હોત!

હું અને મારી ટીમ એ બાબતથી સંપૂર્ણ માહિતગાર છીએ કે ધારાવી પ્રોજેક્ટની ડિઝાઇન અને તેના અમલીકરણનો વ્યાપ તેમજ તેના પરિમાણો એક પડકારરૂપ છે. આ પ્રોજેક્ટ અમારી સ્થિતિસ્થાપકતા, અમારી ક્ષમતા અને અમલવારીની અમારી કુશળતા અને તેની મર્યાદાઓની કસોટી કરશે તેનો પણ અમને ખ્યાલ છે. અદાણી ગ્રુપે વર્ષોથી અનુભવી અને મહેનતુ ટીમ દ્વારા નિર્ધારીત પરિણામ અને ઉકેલલક્ષી કાર્યશૈલી વિકસાવી છે. મને વિશ્વાસ છે કે તમામ હિતધારકોના મજબૂત ટેકાથી અમે ઇતિહાસ રચીશું અને ધારાવી, મુંબઈ અને ભારતને ગૌરવ અપાવીશું.

આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા પછી જો માઈક ટાયસન ફરીથી ધારાવીની મુલાકાત લેશે તો તેઓ અગાઉ જોયેલી ધારાવીને ઓળખી શકશે નહીં, પરંતુ મને ખાતરી છે કે તે હજી પણ તેના આત્માને હંમેશની જેમ ઉત્સાહિત અને જીવંત જોશે. પરમાત્માની કૃપાથી ડેની બોયલ જેવા લોકો શોધી શકશે કે નવી ધારાવી સ્લમડોગ ઉપસર્ગ વિના કરોડપતિઓનું નિર્માણ કરી રહી છે.

(લેખક અદાણી ગ્રુપના ચેરમેન છે.)