અહીં છે ગણપતિનું વિશિષ્ટ મંદિર

અમદાવાદની એકદમ મધ્યમાં આવેલો લાલ દરવાજા વિસ્તાર વર્ષોથી એ.એમ.ટી.એસ એટલે કે લાલ બસનો ડેપો, બેંક, હોમગાર્ડઝ, સ્નાનાગાર, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત, કોર્ટ કચેરીઓ, વેપારથી ધમધમતો વિસ્તાર છે.

આ વિસ્તારમાં નદીને એકદમ અડીને વસંત ચોક આવેલો છે. એમ કહી શકાય કે મરાઠી લોકોના વસવાટ ધરાવતા આ નાનકડા  વિસ્તારના મંદિરોમાં  તમામ દેવી દેવતાઓ બિરાજમાન છે. આ મંદિરોમાં એક  વિશિષ્ટ મંદિર વિઘ્નહર્તા ગણેશજીનું છે.

અમદાવાદમાં એક સમયે ગાયકવાડ સરકાર હતી એટલે મહારાષ્ટ્રીયન સમાજનો પણ અહીં વસવાટ છે. મરાઠી બહુમતી ધરાવતા આ વિસ્તારમાં અંદાજે 350 વર્ષ જૂનું આ મંદિર હોવાનું માનવામાં આવે છે, જેમાં ભગવાન ગણેશની બે મૂર્તિ છે. કહેવાય છે કે આ બે મૂર્તિમાં એક સ્વયંભૂ  પ્રગટ થઈ છે, જ્યારે બીજી એક મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. રિદ્ધિ-સિધ્ધિ સાથે બિરાજમાન આ ગણપતિદાદાની સૂંઢ જમણી તરફની છે.

ભદ્રના આ રહેણાંક વિસ્તારમાં મૂળ નિવાસી લોકો ઓછા થતાં જાય છે, પણ ભદ્રના આ ગણપતિ મંદિરની ખ્યાતિ એટલી વધતી જાય છે કે સંકટ ચોથ, મંગળવાર અને અમુક તિથિ તહેવાર ઉત્સવ વેળાએ શ્રધ્ધાળુઓની લાંબી કતારો લાગે છે. લોકમાન્ય તિલકે સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરી એ પછી આ વિસ્તાર સાર્વજનિક ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી માટે જાણીતો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)