ચાંલ્લો: સંસ્કૃતિનું પ્રતીક કે સમાજનું બંધન?

અવીરા તને કેટવી વાર કહેવાનું કે કપાળમાં ચાંલ્લો લગાવીને જા, જોશનાબહેને આજે ફરી દીકરીને ઓફીસ જતા ટોકી. અવીરાએ પણ મમ્મીને કહી દીધું, કે તુ સમજતી કેમ નથી. મારી ઇચ્છા થાય છે ત્યારે હું ચાંલ્લો કરુ જ છું, એમે સવારે પૂજામાં બેસતા કપાળે ચાંલ્લો હોય છે જ. પણ આમ તુ કાયમ ઓફીસ જતા ટોકીશ નહીં. જોશનાબહેને દીકરીને સમજાવતા કહ્યું કે કાલે જ તારા મોટી મમ્મી કહેતા હતા કે અવીરાના કપાળમાં કોઈ’દી ચાંલ્લો નથી હોતો.

એને સમજાવો મોટી થઈ ચાંલ્લો તો કરવો જ પડે, લોકો વાતો કરે, ઉડાઉ છોકરીઓ હોય એ ચાંલ્લાના કરે તો ચાલે, આપણે તો સમાજમાં રહેવાનું કાલે પરણીને સાસરે જવાનું છે. આમ ચાંલ્લા વગર રહેવાની આદત પડી જશે તો પારકા ઘરે તારે જ મહેણાં ખાવા પડશે કે મા, એ કશુ શીખવ્યું જ નથી. એકી શ્વાસે જોશનાબહેન દીકરી આગળ બોલી ગયા.

માતાને દુખી જોઈ અવીરાએ પાસે બેસીને કહ્યું મમ્મી મારું કામ જ એવું છે, આટલી દોડાદોડીમાં ક્યાં ચાંલ્લો લગાવું. જ્યારે પણ કોઈ પ્રસંગ હોય, તહેવાર, તહેવાર હોય ટ્રેડીશનલ કપડા પહેરું ત્યારે તો ચાંલ્લો લગાઉ છું ને? ચાંલ્લો મારે મારા માટે લગાવવાનો છે, સમાજ કે કોઈને બતાવા માટે નહીં. મમ્મી ચાંલ્લા લગાવાથી હું સારી છું એ નક્કી કેવી રીતે થઈ શકે? જોશનાબહેને દીકરીની વાત કદાચ સાચી લાગી માટે એ આગળ કશુ જ ન બોલ્યા, અવીરા પોતાની બેગ લઈને જોબ પર નીકળી.

વિધવા સ્ત્રીઓ પણ પોતાની સક્ષમતા દર્શાવવા ચાંલ્લો લગાવે છે

સમાજમાં ચાંલ્લો કરનારી મહિલાને સંસ્કારી, ઘરેલું, સુંદર, સારા પરિવારની માનવામાં આવે છે. જ્યારે ન કરનારી મહિલાને ઘણીવાર મોડર્ન, આઝાદ વિચાર ધરાવતી, તો ક્યારેક તો અધૂરી કે અનુશાસનવિહોણીનો પણ ટેગ લગાવી દેવામાં આવે છે. પરંતુ શું ચાંલ્લો એ મહિલાનું કેરેક્ટર સર્ટિફિકેટ છે? શું એના થકી એની વર્તનશીલતા નક્કી થાય છે? શું કપાળમાં રહેલો ચાંલ્લો જ મહિલાની આભા નક્કી કરે છે?

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદના પૂર્વ મેયર બિજલ પટેલ કહે છે કે, “હિન્દુ સંસ્કૃતિમાં કપાળે લગાવેલો ચાંલ્લો પ્રેમનું પ્રતીક કે પતિની હાજરી દર્શાવે છે, પરંતુ ધાર્મિક દૃષ્ટિએ એનો અર્થ વધુ ઊંડો છે, જેમ કે મંદિરમાં વિધવા કે સુહાગન સ્ત્રીઓને તિલક કરવામાં આવે છે. સુહાગન સ્ત્રીઓ ચાંલ્લો લગાવે જ છે, પરંતુ આજે વિધવા સ્ત્રીઓ પણ પોતાની સક્ષમતા દર્શાવવા ચાંલ્લો લગાવે છે. હુ વીડો છું પરંતુ આજે પણ ચાંલ્લો કરુ છુ. જોકે, ચાંલ્લો ન લગાવવો એ કોઈ સ્ત્રીના ચારિત્ર્યનું પ્રમાણપત્ર નથી, કારણ કે દીકરી જન્મે ત્યારે ચાંલ્લા વિના જ આવે છે. સમાજે બદલાતા સમય સાથે આગળ વધવું જોઈએ અને ચાંલ્લો કરે તો સારી, ન કરે તો નહીં, એવી ખોટી માન્યતાઓથી મુક્ત થવું જોઈએ.”

મહિલાનું ચારિત્ર્ય ચાંલ્લો કે કોઈ વસ્તુ નક્કી કરી શકે નહીં

પહેલાના સમયમાં લગભગ દરેક મહિલા ચાંલ્લો લગાવતી, કારણ કે તે સમયે સામાજિક અને સાંસ્કૃતિક નિયમો વધુ કડક હતા, અને ઘરની જવાબદારીઓ સાથે પરંપરાઓ નિભાવવા માટે સમય પણ હતો. ચાંલ્લો એ મહિલાની ઓળખનો એક ભાગ બની ગયો હતો, જે કંકુના રૂપમાં સરળતાથી લગાવાતો. આજે પણ ઘણી મહિલાઓ પોતાની મરજીથી ચાંલ્લો લગાવે છે, ક્યાં તો સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા, ક્યાં તો આધ્યાત્મિક લાભો માટે, પરંતુ તે હવે બંધન નથી, બલ્કે એક પસંદગી છે.

એસ્ટ્રો વાસ્તુ રિસર્ચ સેન્ટરના વાઇસ પ્રેસિડેન્ટ ઝરણા ઠાકર ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે “મહિલાનું ચારિત્ર્ય ચાંલ્લો કે કોઈ વસ્તુ નક્કી કરી શકે નહીં. હું ચાંલ્લો લગાવવો યોગ્ય માનું છું, કારણ કે કપાળે અંજનાચક્ર આવેલું છે, અને ચાંલ્લો લગાવવાથી આ ચક્ર ગતિમાન થાય છે. સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ, પરિણીત મહિલાઓ ચાંલ્લો લગાવે છે, પણ એ પરિણીત હોવાનું દર્શાવવા નહીં, બલ્કે કપાળ એ મા શક્તિનું સ્થાન છે, જે રક્ષણ અને ફળદ્રુપતા દર્શાવે છે. ચાંલ્લો ચહેરાનો નિખાર બદલી નાખે છે. ઉપરાંત કપાળની વચ્ચે એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે, જે ચાંલ્લો લગાવતી વખતે આંગળીથી દબાવવાથી સક્રિય થાય છે. આ બધું ધ્યાનમાં રાખીને હું હંમેશાં ચાંલ્લો લગાવું છું, અલબત્ત હું ફેશનને નહીં, મારા કન્ફર્ટને અનુસરું છું. જે લોકો માને છે કે ચાંલ્લો લગાવનારી મહિલા જ યોગ્ય છે, હું એવું નથી માનતી. ચાંલ્લો લાભદાયી છે, પણ ન લગાવવું એ વ્યક્તિની ઇચ્છા છે, અને એનાથી એને ખોટી ન ગણી શકાય. ઘણી મહિલાઓ ઇમરજન્સી સેવાઓમાં કામ કરે છે, એમને ચાંલ્લાનું ધ્યાન રાખવાનો સમય નથી હોતો. હું તો કહું છું કે મહિલાઓ અને પુરુષો બંનેએ ચાંલ્લો લગાવવો જોઈએ, કારણ કે એ સંસ્કૃતિ અને આરોગ્ય માટે સારું છે. પરંતુ ચાંલ્લો લગાવે એ મહિલા જ સારી એ વિચારશૈલી સાવ ખોટી છે.”

ચાંલ્લો કોઈ પણ મહિલા કેવી છે એ નક્કી ન કરી શકે

ચાંલ્લો એ માત્ર એક બાહ્ય નિશાની છે, જે મહિલાની યોગ્યતા, સમર્પણ કે તેના વિચારોને નક્કી કરી શકે નહીં. બદલાતા સમય સાથે સમાજે આ પસંદગીનો આદર કરવો જોઈએ અને મહિલાઓને ચાંલ્લા જેવા બાહ્ય પ્રતીકોના આધારે નહીં, પરંતુ તેમના કાર્ય અને વ્યક્તિત્વના આધારે મૂલવવી જોઈએ.

પ્લેબેક સિંગર નિકિતા શાહ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, બેઝિકલી મારું એવું માનવું છે કે વુમન એમ્પાવરમેન્ટની માત્ર વાતો જ છે. આજે પણ મહિલાને કોઈને કોઈ વાતે રોકટોક કરવી એ સાવ સામાન્ય બાબત છે. સ્ત્રીએ ચાંલ્લો કર્યો છે કે નહીં એ જોવામાં આવે છે, પણ એનામાં સંસ્કાર કેટલા છે એ કોણ નક્કી કરે? મંગળસૂત્ર પહેરવું કે ચાંલ્લો કરવો એ કોઈ મહિલાનું કેરેક્ટર સર્ટિફિકેટ નક્કી કરતું હોય, તો જે લોકો તમને એ રીતે માપતા હોય એમને પણ એ વસ્તુ ફોલો કરવી જોઈએ, એ પુરુષ હોય કે પછી મહિલા. પ્રાચીન સમયે કંકુનો ચાંલ્લો કરવામાં આવતો, આજકાલ તો ચાંલ્લા ગુંદરના થઈ ગયા છે, ઘણી વખત એનાથી સ્કિનને નુકસાન પણ થાય. જોકે હું તો એમ માનું છું કે ચાંલ્લો કોઈ પણ મહિલા કેવી છે એ નક્કી ન કરી શકે. મને ગમે છે તો હું કરું પણ કરવો જ એ એવું તો બીલકુલ ન જ હોવું જોઈએ.

(હેતલ રાવ-અમદાવાદ)