Home Blog Page 739

હૃદયસ્પર્શી, ક્યૂટ ‘અંજલિ’નાં 35 વર્ષ…

તાજેતરમાં રિલીઝ થયેલી બે ફિલ્મ, ‘સિતારે જમીં પર’ ને ‘તન્વી ધ ગ્રેટ’નાં મુખ્ય પાત્રો ન્યુરોડાઈવર્જન્ટ છે. અર્થાત્ એવા લોકો જેમની વિચારવાની, શીખવાની કે આસપાસની દુનિયાને સમજવાની રીત સામાન્ય માનવ-માપદંડ કરતાં અલગ હોય. એ પહેલાં આવેલી ‘લાલસિંહ ચઢ્ઢા’માં પણ કંઈ આવો જ મામલો હતો.

આ બધી ફિલ્મ વિશે વિચારતાં વાનર જેવું મન હૂપાહૂપ કરતું પહોંચી જાય છે 1990માં ને યાદ આવી જાય છે મણિ રત્નમની ‘અંજલિ’. તાજેતરમાં જ ‘અંજલિ’ની રિલીઝને 35 વર્ષ થયાં.

કોગ્નિટિવ ડિસઑર્ડર ધરાવતી એક માસૂમ બાળાની વાર્તા ‘અંજલિ’ આજે પણ તાજી લાગે છે. કોગ્નિટિવ ડિસઑર્ડરવાળી વ્યક્તિમાં વૈચારિક ક્ષમતા, યાદશક્તિ, એકાગ્રતા, નિર્ણય લેવાની શક્તિ જેવી માનસિક ક્ષમતામાં ખરાબી હોય છે. ‘અગ્નિપથ’, ‘થાનેદાર’, ‘ઘાયલ’, ‘નાકાબંદી’, ‘બાઘી’ જેવી મસાલા ફિલ્મોની ભરમાર વચ્ચે આવેલી સંવેદનશીલ ‘અંજલિ’ના કેન્દ્રમાં છે કોગ્નિટિવ ડિસઑર્ડર સાથે જન્મેલી બાળકી અને તેને જોવાનો સમાજનો દૃષ્ટિકોણ.

તામિલનાડુના મૉડર્ન શહેર ચેન્નઈમાં વસતા અપર મિડલ ક્લાસનાં દંપતી શેખર-ચિત્રા (રઘુવરન-રેવતી)ને બે સંતાન છે. એક મેઘલી રાતે પ્રેગ્નન્ટ ચિત્રાને વેણ ઊપડે છે, એને હૉસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યાંથી ફિલ્મ શરૂ થાય છે. ત્રીજું સંતાન, બાલિકા જન્મે છે અમુક મનોરુગ્ણ સાથે. ચિત્રાને કહેવામાં આવે છે કે ત્રીજું સંતાન મૃત જન્મ્યું છે. એ રીતે થોડો શેખર અંજલિને ઘર-પરિવારથી દૂર રાખે છે. અમુક નાટ્યાત્મક વળાંક બાદ ચારેક વર્ષની અંજલિને ઘરે લાવવામાં આવે છે.

ઘરમાં અંજલિનું સ્વાગત એનાં નાનકાં બહેન-ભાઈ આવી કેવી બહેન? એમ કહી બહેનનો તિરસ્કાર કરતાં અંજલિનાં ભાઈ-બહેન અનુ-અર્જુનને પિતા સમજાવે છેઃ “જુઓ, અંજલિ તો  ઈશ્વરની ભેટ છે, ઈશ્વરનું બાળક છે, જેને એક ખાસ પરિવારની જરૂર છે. એવો પરિવાર, જે એની યોગ્ય કાળજી લઈ શકે, એને વિશેષ પ્રેમ આપી શકે. આથી જ ઈશ્વરે અંજલિને આપણી પાસે મોકલી છે”. આ સીનમાં આપણને રાઈટર-ડિરેક્ટરનું કૌશલ દેખાય છે.

ધીરે ધીરે ભાઈ-બહેનના સ્વીકાર બાદ સોસાયટીનાં અન્ય બાળકો અંજલિને સ્વીકારે છે. છેવટે આખો અપાર્ટમેન્ટ કૉમ્પ્લેક્સ અંજલિને સ્વીકારે છે.

મણિ રત્નમના સ્ક્રિનપ્લે દ્વારા આપણે મનોરુગ્ણથી પીડાતાં બાળકોને ઉછેરતાં મા-બાપનો આંતરિક સંઘર્ષ અનુભવીએ છીએ. એમણે ડગલે ને પગલે સમાજના નકારાત્મક વર્તનનો સામનો કરવો પડે છે. આવાં બાળકો પ્રત્યે પ્રેમ, હૂંફ અને ખાસ તો સમજદારી દાખવવાની જરૂરિયાતને ફિલ્મ ભાવનાત્મક રીતે રજૂ કરે છે.

ફિલ્મના મારા અનેક ફેવરીટ સીનમાંનો એક છેઃ અંજલિ પહેલી વાર ઘરે આવે છે. પતિ-પત્ની લિફ્ટમાં પ્રવેશે છે. દરેક ફ્લોર પર અપાર્ટમેન્ટના રહેવાસી (જાળીવાળી) લિફ્ટમાંથી અંજલિને જોઈને ખીંખીંખીં કરે છે: “સ્પાસ્ટિક છે?” “માંદી છે?” “રિટાર્ડેડ છે?” વગેરે. દંપતી પોતાના ફ્લોર પર લિફ્ટની બહાર નીકળતાં હોય છે ત્યારે લિફ્ટમૅન કહે છે: “મેમસા’બ, તમે જરાયે માઠું ન લગાડશો… આ લોકો માણસ જ નથી.”

અહીં સર્જક જાણે કહેવા માગે છે કે જે લોકોએ ઘણાં સાધન-સગવડથી સંપન્ન છે એ કેટલી સંકુચિત વિચારસરણી ધરાવે છે, જ્યારે (લિફ્ટમૅન જેવા) વંચિત લોકો ઘણી વાર સમજદાર હોય છે.

ફિલ્મમાં કોઈ હીરો નથી- અંજલિ હીરો છે. કલાકારોમાં ફક્ત રેવતી જાણીતી હતી, રઘુવરન પણ ઊભરતો અભિનેતા હતો. બાળકલાકાર શામલીએ કાચી વયે દૃશ્યના ઈમોશન્સ, આત્મસાત્ કરીને અંજલિનું પાત્ર ભજવ્યું છે.

‘અંજલિ’ પહેલાં મણિ રત્નમે ‘મૌન રાગમ’ (રોમાન્ટિક ડ્રામા), ‘નાયકન’ (અન્ડરવર્લ્ડ ડૉનની કહાની), ‘અગ્નિનક્ષત્રમ્’ (આધુનિક શહેરમાં પાંગરતો પ્રેમ, પારિવારિક ડ્રામા) અને ‘ગીતાંજલિ’ (લવસ્ટોરી) જેવી ફિલ્મો બનાવેલી. તે પછી એમણે સામાજિક સભાનતાવાળી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. એવી ફિલ્મ, જેમાં પ્રેક્ષકને એક મેસેજ આપી શકાય, જે મેસેજ ન લાગે અને, ફિલ્મ નફો પણ કરે. યસ, ‘અંજલિ’એ બુકિંગ ક્લર્કનાં મોઢાં હસતાં રાખેલા. તમિળ અને હિંદી (ડબ્ડ) સહિત અન્ય ભાષામાં ‘અંજલિ’ હિટ થયેલી. મધુ અંબાટની સિનેમેટોગ્રાફી, ઈલિયારાજાનાં ગીત-સંગીત તથા પ્રભુ દેવાના બ્રધર રાજુ સુંદરમની કોરિયોગ્રાફીવાળી ‘અંજલિ’એ ધૂમ મચાવેલી.

આ વાંચ્યા પછી જો મૂડ બની જાય તો ઈન્ટરનેટ પર ફિલ્મ જોવા મળી જશે. પ્રિન્ટ કેવી હશે એ વિશે કંઈ કહી શકાય નહીં. ચાન્સ લઈ શકાય.

સરકારી શાળાની ઈમારત ધરાશાયીઃ ચાર બાળકોનાં મોત, 30થી વધુ ઘાયલ

ઝાલાવાડઃ રાજસ્થાનના ઝાલાવાડમાં શુક્રવારે સવારે સરકારી શાળાની ઈમારત ધરાશાયી થઈ હતી. પ્રારંભિક માહિતી અનુસાર છત ધરાશાયી થતાં 60થી વધુ બાળકો દબાઈ ગયાં હતાં. આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયાં અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ત્યાં ભેગા થઈ ગયા. તમામે મળીને કાટમાળ હટાવી બાળકોને બહાર કાઢવાનું કામ શરૂ કર્યું હતું.આ દુર્ઘટના મનોહર થાણા વિસ્તારમાં આવેલું રાજકીય ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલય પીપલોદીમાં બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે શાળામાં પ્રાર્થના ચાલી રહી હતી.

આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં માતા-પિતા શાળાએ પહોંચી ગયા અને પોતાનાં બાળકોને લઈ હોસ્પિટલ દોડી ગયા. હાલ સામે આવેલા વિડિયોમાં માતા-પિતાને આક્રંદ જોઈ શકાય છે.

સ્થાનિકો મદદે દોડ્યા

આ શાળાની છત ધરાશાયી થવાની ઘટના બાદ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.આ ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોએ કાટમાળ નીચે દટાયેલાં બાળકોને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. છત ધરાશાયી થયા પછીના કાટમાળને જોતાં એવું લાગે છે કે શાળા ખંડેરમાં ફેરવાઈ ગઈ છે.

શિક્ષણ મંત્રી મદન દિલાવરે આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ઝાલાવાડની એક શાળામાં એક દુ:ખદ ઘટના બની છે. બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળકોની સારવાર સરકારી ખર્ચે કરવામાં આવશે. છત કેવી રીતે તૂટી તે જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે.

રાજ્યના ભૂતપૂર્વ CM અશોક ગહેલોતે આ મામલે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઝાલાવાડમાં સરકારી શાળાની ઇમારત ધરાશાયી થવાથી ઘણાં બાળકો અને શિક્ષકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલો છે. હું ભગવાનને ઓછામાં ઓછી જાનહાનિ અને ઈજાગ્રસ્તોની ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૫ જુલાઈ ૨૦૨૫

Chitralekha Gujarati – 04 August, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 25/07/2025

લંડનમાં યુકેના PM સાથે PM મોદીની ‘ચાય પર ચર્ચા’

લાંબા સમયથી અટકેલા ભારત-યુકે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બ્રિટિશ સમકક્ષ કીર સ્ટારમર સાથે થોડો સમય વિતાવ્યો. પીએમ મોદીએ યુકેના વડા પ્રધાન સ્ટારમર સાથે ‘ચાય પર ચર્ચા’ કરી.

પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર બે ફોટા શેર કર્યા અને લખ્યું, “ચેકર્સ ખાતે વડા પ્રધાન કીર સ્ટારમર સાથે ચાય પે ચર્ચા… ભારત-યુકે સંબંધોને વધુ મજબૂત બનાવશે.” 2014 માં પદ સંભાળ્યા પછી વડા પ્રધાન મોદીની યુકેની આ ચોથી મુલાકાત છે.

ભારત-યુકે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

આ ‘ચાય પે ચર્ચા’ બંને વડા પ્રધાનો વચ્ચે સત્તાવાર વાસ્તવિક વાટાઘાટો પહેલાં થઈ હતી. પીએમ મોદીની યુકે મુલાકાત દરમિયાન પીયૂષ ગોયલ અને જોનાથન રેનોલ્ડ્સે ભારત-યુકે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. પીએમ મોદી અને સ્ટારમરે બકિંગહામશાયર સ્ટ્રીટ ક્રિકેટના ખેલાડીઓને મળ્યા અને તેમને હસ્તાક્ષરિત T20 વર્લ્ડ કપ બેટ ભેટ આપ્યું. તેમણે પ્રીમિયર લીગ ટ્રોફી જોઈ, જે ભારતીય યુવાનોમાં ફૂટબોલની લોકપ્રિયતા દર્શાવે છે.

 

PM મોદીએ કિંગ ચાર્લ્સ સાથે કરી મુલાકાત, આપી ખાસ ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે યુનાઇટેડ કિંગડમની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન સેન્ડ્રિંગહામ હાઉસ ખાતે કિંગ ચાર્લ્સ III ને મળ્યા. મુલાકાત દરમિયાન, તેમણે કિંગ ચાર્લ્સ IIIને પાનખરમાં વાવવા માટે એક વૃક્ષ ભેટમાં આપ્યું. રાજવી પરિવારે X પર પોસ્ટ કરીને આ માહિતી આપી

રાજવી પરિવારે X પર એક પોસ્ટમાં લખ્યું કે આજે બપોરે, રાજાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સેન્ડ્રિંગહામ હાઉસ ખાતે સ્વાગત કર્યું. આ દરમિયાન, મહામહિમને આ પાનખરમાં વાવવા માટે એક વૃક્ષ ભેટમાં આપવામાં આવ્યું, જે વડા પ્રધાન દ્વારા શરૂ કરાયેલ પર્યાવરણીય પહેલ, માતાના નામે એક વૃક્ષથી પ્રેરિત છે, જે લોકોને તેમની માતાઓના માનમાં એક વૃક્ષ વાવવા માટે પ્રોત્સાહિત કરે છે.

PM મોદીએ બ્રિટનથી દુનિયાને આપ્યો મોટો સંદેશ

ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ તેમની યુકે મુલાકાત દરમિયાન પીએમ કીર સ્ટારમરને મળ્યા હતા અને આ કરારને ભારતના યુવાનો, ખેડૂતો, માછીમારો માટે ખાસ ફાયદાકારક ગણાવ્યો હતો. પીએમએ કહ્યું કે ‘આજે આપણા સંબંધોમાં એક ઐતિહાસિક દિવસ છે. મને ખુશી છે કે ઘણા વર્ષોની મહેનત પછી, આજે બંને દેશો વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર પૂર્ણ થયો છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તેમના સમકક્ષ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા.

‘યુકે બજારમાં નવી તકો ઉભી થશે’

મુક્ત વેપાર કરારને ફાયદાકારક ગણાવતા પીએમ મોદીએ કહ્યું, ‘એક તરફ, ભારતીય કાપડ, ફૂટવેર, રત્નો અને ઝવેરાત, સીફૂડ અને એન્જિનિયરિંગ માલને યુકેમાં વધુ સારી બજાર પહોંચ મળશે. ભારતના કૃષિ ઉત્પાદનો અને પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગ માટે યુકે બજારમાં નવી તકો ઉભી થશે’

પીએમે કહ્યું, ‘આ કરાર ભારતના યુવાનો, ખેડૂતો, માછીમારો અને MSME ક્ષેત્ર માટે ખાસ ફાયદાકારક સાબિત થશે. બીજી તરફ, યુકેમાં બનેલા ઉત્પાદનો જેમ કે તબીબી ઉપકરણો અને એરોસ્પેસ ભાગો ભારતના લોકો અને ઉદ્યોગ માટે સુલભ અને સસ્તા દરે ઉપલબ્ધ થશે.’

પહલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો

પીએમ મોદીએ કહ્યું કે ‘આજે આપણે આગામી દાયકામાં આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ અને ઉર્જા આપવા માટે વિઝન 2035 વિશે પણ વાત કરીશું. આ ટેકનોલોજી, સંરક્ષણ, આબોહવા, શિક્ષણ અને લોકો-થી-લોકોના જોડાણના ક્ષેત્રોમાં મજબૂત, વિશ્વસનીય અને મહત્વાકાંક્ષી ભાગીદારી માટેનો રોડમેપ હશે. તેમણે વધુમાં કહ્યું, ‘અમે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા, યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર વિચારો શેર કરી રહ્યા છીએ. બધા દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવો આવશ્યક છે. આજના યુગની માંગ વિકાસ છે, વિસ્તરણવાદ નહીં.’

પીએમે પહેલગામમાં આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, ‘અમે પહેલગામમાં આતંકવાદી હુમલાની કડક નિંદા કરવા બદલ વડા પ્રધાન સ્ટાર્મર અને તેમની સરકારનો આભાર માનીએ છીએ. અમે એકમત છીએ કે આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી. અમે એ પણ સંમત છીએ કે કટ્ટરપંથી વિચારધારા ધરાવતા પરિબળોને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ કરવાની મંજૂરી આપી શકાય નહીં.

IND vs ENG: ભારત માટે મોટો ઝટકો, ઋષભ પંત સિરીઝમાંથી બહાર

ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારતને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ખેલાડીઓને ઇજાઓનો તબક્કો ચાલુ છે અને હવે તેમાં ઉપ-કપ્તાન ઋષભ પંતનું નામ ઉમેરાયું છે. પંત ઘાયલ થયો છે અને ઇંગ્લેન્ડ સામેની બાકીની શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે બેટિંગ કરતી વખતે તેને પગમાં ઈજા થઈ હતી. આ પછી તે ખૂબ જ પીડા અને રિટાયર્ડ હર્ટમાં જોવા મળ્યો હતો. તેનું સ્કેન પણ કરાવવામાં આવ્યું હતું. સમાચાર એજન્સી પીટીઆઈએ બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે તેનો પગનો અંગૂઠો તૂટી ગયો છે અને ડોક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે.

પંત પહેલી ઇનિંગમાં 37 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે રિવર્સ સ્વીપ કરવાના પ્રયાસમાં બોલ તેના પગમાં વાગ્યો. ભારતીય ઇનિંગની 68મી ઓવરમાં ક્રિસ વોક્સનો બોલ તેના જમણા પગમાં વાગ્યો. આ પછી તે જમીન પર સૂઈ ગયો અને ખૂબ જ પીડામાં જોવા મળ્યો. ફિઝિયો આવ્યા ત્યારે પણ તે પીડાથી કણસતો જોવા મળ્યો. પછી તેને ઉપાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે ચાલી શકતો ન હતો. પછી તેને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો. પંતના જમણા પગમાંથી લોહી નીકળતું જોવા મળ્યું, તેમજ શરીરના તે ભાગમાં ઘણો સોજો હતો.