Home Blog Page 691

અમિત શાહ ગુજરાત મુલાકાતે: રક્ષાબંધન પર માણસામાં પૈતૃક મકાનનું ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 8 ઓગસ્ટના રોજ રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. 9 ઓગસ્ટના શનિવારે રક્ષાબંધનના તહેવાર અને રવિવારે એમ બે દિવસ તેઓ ગુજરાતની મુલાકાતે છે. શનિવારે સવારે 10:30 વાગ્યે અમિત શાહ વતન ગાંધીનગરના માણસા ખાતે પહોંચશે. વતનમાં તેમના જૂના પૈતૃક મકાનના રિનોવેશનના કામનું ખાતમુહૂર્ના કરીને પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે છ વાગ્યા બાદ તેઓ અમદાવાદ ખાતે પરત ફરશે. રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં રહેશે. બાદમાં સાંજે 5:30 વાગ્યાની આસપાસ  દિલ્હી જવા રવાના થશે.

શુક્રવાર રાત્રે અમદાવાદ આવ્યા બાદ તેમણે મેમનગર પાસે સુભાષચોક ખાતે આવેલા ભીડભંજન હનુમાન મંદિર ખાતે દર્શન કર્યા હતા. ગૃહ મંત્રીએ હનુમાનજીના મંદિરે દર્શન કર્યા ત્યાર બાદ સીધા તેઓ થલતેજ ખાતેના પોતાના નિવાસ્થાને પહોંચ્યા હતા.

નાગર સમાજની વાડીમાં બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવશે

આજે અમિત શાહ તેમના કુળદેવી બહુચર માતાના મંદિરે દર્શન પણ કરશે. ખાતમુહૂર્ત પ્રસંગે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ નાગર સમાજની વાડીમાં બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન પણ સહ પરિવાર દ્વારા કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ દર નવરાત્રિએ વતન માણસામાં કુળદેવીના દર્શને આવે છે અને પરિવાર સાથે કુળદેવીની પૂજા-અર્ચના કરે છે.

કુલગામના અખાલમાં 2 જવાન શહીદ, 1 આતંકી ઠાર: 9 દિવસથી અથડામણની સ્થિતિ

જમ્મુ-કાશ્મીર: કુલગામના અખાલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરનો આજે નવમો દિવસ છે. આખી રાત આ વિસ્તાર જોરદાર વિસ્ફોટો અને ગોળીબારથી ગુંજી ઉઠ્યો. આ દરમિયાન ગઈકાલે રાત્રે થયેલા ગોળીબારમાં બે સેનાના જવાનો શહીદ થયા હતા, જ્યારે બે અન્ય સૈનિકો ઘાયલ થયા હતા.અત્યાર સુધીમાં 10 સૈનિકો ઘાયલ થયા 

અત્યાર સુધીમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે કુલ બે સૈનિકો શહીદ થયા છે અને દસ સૈનિકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાઢ જંગલો અને કુદરતી ગુફા જેવા છુપાયેલા સ્થળોનો લાભ લઈને ઓછામાં ઓછા ત્રણ કે તેથી વધુ આતંકવાદીઓ હજુ પણ છુપાયેલા છે. આ એન્કાઉન્ટર છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી લાંબો ચાલતો આતંકવાદ વિરોધી ઓપરેશન બની ગયો છે.

સુરક્ષા દળોએ 1 ઓગસ્ટના રોજ ઓપરેશન શરૂ કર્યું હતું

ભારતીય સુરક્ષા દળોએ 1 ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓની શોધમાં ‘ઓપરેશન અખાલ’ શરૂ કર્યું હતું. આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓની ગુપ્ત માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે અહીં 2 થી 3 આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે.

ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ અનુસાર, દક્ષિણ કાશ્મીરના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતીના આધારે સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

અઝરબૈજાન-આર્મેનિયા શાંતિ કરાર: ટ્રમ્પની હાજરીમાં થયા ઐતિહાસિક હસ્તાક્ષર

અમેરિકા: અઝરબૈજાન અને આર્મેનિયાએ અમેરિકાની મધ્યસ્થીથી થયેલા ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી દાયકાઓથી ચાલતા સંઘર્ષનો અંત આવ્યો છે. વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત બનાવશે.બે જૂના હરીફો અઝરબૈજાન અને આર્મેનિયાએ શુક્રવારે અમેરિકાની મધ્યસ્થીથી થયેલા ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ બેઠક વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં યોજાઈ હતી. આ કરારનો હેતુ માત્ર દાયકાઓ જૂના સંઘર્ષનો અંત લાવવાનો જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ અને રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવાનો પણ છે. આ કરાર ટ્રમ્પ વહીવટીતંત્ર માટે એક મોટી સિદ્ધિ છે અને તે રશિયામાં ગભરાટ ફેલાવશે તે નિશ્ચિત છે, જે આ ક્ષેત્રને તેના પ્રભાવના ક્ષેત્રમાં માને છે.

ટ્રમ્પે હસ્તાક્ષર સમારોહમાં કહ્યું, “અમે 35 વર્ષ સુધી લડ્યા, હવે અમે મિત્રો છીએ … અને લાંબા સમય સુધી મિત્રો રહીશું.” સમારોહમાં ટ્રમ્પ સાથે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હમ અલીયેવ અને આર્મેનિયાના વડા પ્રધાન નિકોલ પશિન્યાન પણ હતા.

સંઘર્ષની પૃષ્ઠભૂમિ
બંને દેશો વચ્ચેના વિવાદનું મૂળ નાગોર્નો-કારાબાખ પ્રદેશ છે, જે અઝરબૈજાનનો ભાગ હોવા છતાં, વંશીય રીતે આર્મેનિયન વસ્તી ધરાવતો વિસ્તાર હતો. 1980ના દાયકાના અંતમાં, તે આર્મેનિયાના સમર્થનથી અલગ થઈ ગયું. 2023માં, અઝરબૈજાને સંપૂર્ણ નિયંત્રણ પાછું મેળવ્યું, ત્યારબાદ લગભગ 1 લાખ વંશીય આર્મેનિયનો આર્મેનિયા ગયા.

ટ્રમ્પે કહ્યું કે બંને દેશોએ લડાઈ બંધ કરવા, રાજદ્વારી સંબંધો શરૂ કરવા અને એકબીજાની પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ કરાર દક્ષિણ કાકેશસમાંથી પસાર થતા વ્યૂહાત્મક ટ્રાન્ઝિટ કોરિડોર માટે યુએસને વિશેષ વિકાસ અધિકારો પણ આપે છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે આનાથી ઊર્જા અને અન્ય સંસાધનોની નિકાસમાં વધારો થશે.

બંને નેતાઓએ ટ્રમ્પને નોબેલ માટે નામાંકિત કર્યા
બંને નેતાઓએ ટ્રમ્પની પ્રશંસા કરી અને સંઘર્ષને સમાપ્ત કરવામાં મદદ કરવા બદલ તેમનો આભાર માન્યો અને કહ્યું કે તેઓ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરશે. અલીયેવે કહ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ નહીં તો કોને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ?”

ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળના શરૂઆતના મહિનાઓમાં પોતાને વૈશ્વિક શાંતિ નિર્માતા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. વ્હાઇટ હાઉસ કહે છે કે તેમણે કંબોડિયા અને થાઇલેન્ડ, રવાન્ડા અને કોંગો અને પાકિસ્તાન અને ભારત વચ્ચે શાંતિ કરારો કરાવ્યા છે. જોકે, ભારત તેમના દાવાને નકારી રહ્યું છે. તે જ સમયે, ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધ કે ઇઝરાયલ-હમાસ સંઘર્ષનો અંત લાવી શક્યા નથી.

પ્રાદેશિક અસર

નિષ્ણાતોના મતે, આ કરાર દક્ષિણ કાકેશસનો નકશો બદલી શકે છે. આ પ્રદેશ રશિયા, યુરોપ, તુર્કી અને ઈરાન સાથે જોડાયેલો છે અને તેલ-ગેસ પાઇપલાઇનમાંથી પસાર થાય છે, પરંતુ લાંબા સમયથી બંધ સરહદો અને વંશીય વિવાદોમાં ફસાયેલો છે.

અલાસ્કામાં ટ્રમ્પ-પુતિનની ઐતિહાસિક મુલાકાત: 15 ઓગસ્ટે રશિયા-યુક્રેન યુદ્ધ પર ચર્ચા

અમેરિકા: સમગ્ર દુનિયાની નજર હાલ તો અલાસ્કા પર ટકેલી છે, જ્યાં આગામી શુક્રવારે એટલે કે 15મી ઓગસ્ટ 2025ના રોજ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામ-સામે થશે. બંને નેતાઓ રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા અંગે ચર્ચા કરશે, જેણે છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં લાખો લોકોના જીવનને બરબાદ કરી દીધા છે.

ટ્રમ્પે આપી માહિતી 

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, “અમેરિકાના પ્રમુખ તરીકે હું અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આગામી શુક્રવારે અમેરિકાના મહાન રાજ્ય અલાસ્કામાં મળીશું. વધુ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.”

એક દાયકા પછી પુતિન જશે અમેરિકા  

એક દાયકા પછી પુતિનની આ અમેરિકાની પ્રથમ મુલાકાત હશે. અગાઉ, તેઓ સપ્ટેમ્બર 2015માં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળ્યા હતા. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે હું પુતિન સાથે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા કરીશ અને મને આશા છે કે આ શાંતિ કરાર માટે એક તક છે.

અગાઉ પ્રસ્તાવ ફગાવ્યો હતો રશિયાએ  

જો કે ટ્રમ્પે એ પણ સ્વીકાર્યું કે રસ્તો સરળ નહીં હોય. અગાઉ અમેરિકન રાજદૂત સ્ટીવ વિટકોફે મોસ્કોમાં પુતિન સાથે મુલાકાત કરી હતી અને સંભવિત ત્રિપક્ષીય બેઠકનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકી પણ સામેલ થશે. પરંતુ ક્રેમલિને આ પ્રસ્તાવનો જવાબ આપ્યો ન હતો.

૦૯ ઓગસ્ટ ૨૦૨૫

સુરેશ વાડકરે ગઝલથી ‘પહેલી’ માં પહેલું ગીત મેળવ્યું

ફિલ્મી ગીતો ના ગાતા સુરેશ વાડકરની ગાયક કલાકાર તરીકેની કારકિર્દી એક ગાયન સ્પર્ધામાં વિજેતા બન્યા પછી ફિલ્મોમાં શરૂ થઈ ગઈ હતી અને ફિલ્મ ‘પહેલી’ (૧૯૭૭) માં પહેલી તક મળી હતી. ૧૯૭૬ માં આખા ભારતના ગાયકો માટે સુર – સિંગર સ્પર્ધાનું આયોજન થયું હતું. એમાં જજ તરીક ઘણા જાણીતા સંગીતકારો હતા. સ્પર્ધા શરૂ થાય એ પહેલાં રવિન્દ્ર જૈન તરફથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે ગાયક વિજેતા બનશે એને એ પોતાના સંગીતવાળી ફિલ્મમાં પહેલી તક આપશે. સ્પર્ધામાં સુરેશ વાડકરે વિજેતા બની ‘મદન મોહન’ એવોર્ડ મેળવ્યો હતો. એ સ્પર્ધામાં હરિહરનને ‘એસ.ડી. બર્મન’ અને રાની વર્માને ‘વસંત દેસાઇ’ એવોર્ડ મળ્યો હતો.

થોડા દિવસ પછી રવિન્દ્ર જૈને સુરેશને પોતાને ત્યાં બોલાવી અડધા કલાક સુધી ગવડાવ્યું હતું અને એક ગઝલ રેકોર્ડ કરી રાજશ્રીના રાજકુમાર બડજાત્યાને સંભળાવી. ત્યારે એમની ફિલ્મ ‘પહેલી’ માટે રવિન્દ્ર સંગીત આપવાના હતા. એમાં માસ્ટર સત્યજીત પહેલી વખત મુખ્ય હીરો તરીકે ચમકવાનો હતો. એના માટે નવા અવાજની જરૂર હતી. રાજકુમારને સુરેશનો અવાજ પસંદ આવ્યો હતો અને ‘પહેલી’ માટે પસંદ કરી લીધા હતા. રવિન્દ્રએ ‘પહેલી’ માટે પહેલું ગીત ‘સોના કરે ઝિલમિલ ઝિલમિલ’ રેકોર્ડ કર્યું હતું. એ ઉપરાંત સહેલી હો પહેલી પૂછો, મનમોહક યે પ્યાર અને ‘જાને કૈસી બહે યે હવા’ પણ ગાયા હતા. એ પછી ઉષા ખન્નાએ સુરેશનો અવાજ સાંભળી ફિલ્મ ‘સાજન બિન સુહાગન’ (૧૯૭૮) માં ‘જીજાજી જીજાજી હોનેવાલે જીજાજી’ માં ગવડાવ્યું હતું.

સુર – સિંગર સ્પર્ધામાં બીજા જજ સંગીતકાર જયદેવ હતા. એમણે પણ ફિલ્મ ‘ગમન’ ના એક ગીત ‘સીને મેં જલન’ માટે સુરેશને બોલાવ્યા. સુરેશે એ ગઝલનુમા ગીત ગાયું અને પહેલા જ ટેકમાં તૈયાર થઈ ગયું. ફરીથી ગાવાની જરૂર ન હોવાનું જયદેવે કહ્યું. પણ જ્યારે સુરેશે સાંભળ્યું ત્યારે એ થોડા દુ:ખી થયા. કેમકે એમાં બહુ દૂરથી અવાજ આવી રહ્યો હોય એવું લાગતું હતું. ફિલ્મમાં પણ બેકગ્રાઉન્ડમાં જ આ ગીત વાગવાનુ હતું. અસલમાં માઇક જ દૂર લગાવવામાં આવ્યું હતું. કેમકે ફિલ્મમાં પરિસ્થિતિ એવી હતી. સુરેશે કહ્યું કે બીજો એક ટેક લઈને ફરી રેકોર્ડ કરીએ. જયદેવે કહ્યું કે મારે જેવું જોઈએ છે એવું આવી ગયું છે. પછી શું જરૂર છે? સુરેશ ઘરે આવીને રડવા લાગ્યા હતા. એમની બહેને કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે ‘સીને મેં જલન’ માટે વધુ એક ટેક લીધો હોત તો સારું થાત. બહેને સમજાવ્યું કે જયદેવને પસંદ આવ્યું છે તો તારે ખુશ જ થવું જોઈએ.

ઈરફાન સાથેની મુલાકાતમાં સુરેશ વાડકરે કહ્યું છે કે ત્યારે કલ્પના ન હતી કે સંગીતની દુનિયામાં એ ગીત ‘સીને મેં જલન’ કેટલો મોટો મુકામ હાંસલ કરવાનું છે જેના માટે તે દુ:ખી થઈ રહ્યા હતા. આ ગીતથી જ લોકોને વધારે ખબર પડી હતી કે સુરેશ વાડકર નામનો નવો ગાયક આવ્યો છે.

(સુરેશ વાડકરને રાજ કપૂરની ફિલ્મ ‘પ્રેમરોગ’ ના ગીતોથી ખરી લોકપ્રિયતા મળી હતી. એ ફિલ્મ ગાયક અનવરે કેમ ગુમાવી હતી અને સુરેશને કેટલા રૂપિયા મળ્યા હતા એની રસપ્રદ વાતો આગામી લેખમાં વાંચશો.)

કોઈ પણ વ્યક્તિએ સામાજિક આરોગ્ય તરફ દુર્લક્ષ કરવું જોઈએ નહીં

થોડા દિવસ પહેલાં મારી દીકરી મારા પિતાજીને મોબાઇલ ફોન પર એનઈએફટી/આરટીજીએસ વ્યવહાર કરવાનું શીખવી રહી હતી. મારા 79 વર્ષીય પિતાજીને એ પલ્લે પડતું હતું કે કેમ એ મને ખબર નથી, પરંતુ એમને જોઈને લાગ્યું કે તેઓ એ પ્રવૃત્તિમાં આનંદ લઈ રહ્યા હતા.

બીજી બાજુ, મારા પિતાજી મારી દીકરીને ડ્રાઇવિંગ શીખવી રહ્યા છે. દીકરીને હજી હમણાં ડ્રાઇવિંગ લાઇસન્સ મળ્યું છે અને એનો આત્મવિશ્વાસ વધે એ માટે એણે થોડું થોડું ડ્રાઇવિંગ ચાલુ રાખવું જરૂરી છે. દાદાજી એને ડ્રાઇવિંગની બારીકીઓ શીખવી રહ્યા હોય ત્યારે બન્નેને એમાં મજા પડે છે. જ્યારે પણ આ તાલીમ સત્ર શરૂ થાય ત્યારે એકાદ કલાક સુધી ચાલતું હોય છે. કાર ચલાવતાં ચલાવતાં તેઓ બન્ને જંક ફૂડ પણ ખાઈ લેતાં હોય છે. હું અને મારી પત્ની આ બાબતે આંખ આડા કાન કરી લઈએ છીએ. અમારા માટે તો એ બન્નેનો આનંદ અને સ્નેહ સુખ પમાડનારાં છે.

મારી દીકરી મારાં સાસુને રોજ રાત્રે નવ વાગ્યે ફોન કરીને દવા લેવાનું યાદ કરાવે છે. ગયા સપ્તાહાંતે અમે બધા મારા સાસરે ગયા ત્યારે મેં સાસુને પૂછી લીધું કે તેઓ રોજ રાત્રે શેની દવા લે છે. એમણે કહ્યું, “મારા દવાના ડોઝ તો એક મહિના પહેલાં પૂરા થઈ ગયા છે, પરંતુ મારી લાડકી દોહિત્રી મને રોજ દવા લેવાનું યાદ કરાવે એ મને ગમતું હોવાથી મેં એને ફોડ પાડ્યો નથી.” આ વાત સાંભળીને મેં પણ મોંઢામાં મગ ભરી લીધા!

આવા સ્નેહસભર સંબંધોનું જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે. પૈસાથી એ ખરીદી શકાતા નથી અને વારસામાં પણ આપી શકાતા નથી. જે કંઈ છે એ આજે જ છે. આને આપણે સામાજિક સંપત્તિ કહી શકીએ. આ સંપત્તિનું સર્જન રાતોરાત કે અમુક મહિનાઓ કે વર્ષોમાં થતું નથી; એમાં અનેક પેઢીઓ નીકળી જાય છે.

મારો ગાઢ મિત્ર અનિશ એક દિવસ મને કહી રહ્યો હતો, “ગૌરવ, મારો ભત્રીજો મને દુબઈથી ફોન કરીને મારા ભાઈની ખાણીપીણીની આરોગ્ય માટે હાનિકારક આદત વિશે ફરિયાદો કર્યે રાખે છે.” અનિશે વધુમાં કહ્યું, “મારો ભાઈ ફક્ત મારું જ સાંભળશે એવું એને લાગતું હોવાથી એ મને ફોન કરીને કહે છે. આમાં હાનિકારક આદતના પ્રશ્ન કરતાં ભત્રીજો મારા પર જે વિશ્વાસ મૂકે છે અને મારી સાથે જે ઘનિષ્ઠતા ધરાવે છે એનું મહત્ત્વ વધારે છે.”

આ પ્રસંગો પરથી કહી શકાય કે કોઈ પણ વ્યક્તિએ સામાજિક આરોગ્ય તરફ દુર્લક્ષ કરવું જોઈએ નહીં. જેમને નિકટના પરિવારજનો અને મિત્રોની હૂંફ મળતી નથી એવા લોકોને પૂછો. લોકો પાસે કરોડોની સંપત્તિ હોઈ શકે, પણ એક હદ પછી એનું કોઈ મહત્ત્વ રહેતું નથી.

અહીં નોંધવું રહ્યું કે યોગિક સંપત્તિનાં ચાર પાસાં હોય છે. એમાંથી સામાજિક સંપત્તિનું સર્જન થવામાં ઘણો લાંબો સમય લાગે છે. વળી, એકલા હાથે એનું સર્જન થઈ શકતું નથી; એમાં સંપૂર્ણ કુટુંબનો સાથ હોવો જોઈએ. બન્ને પક્ષે એકબીજાને જેવા છે એવા જ સ્વીકારી લેવાના હોય છે. બધાએ આપસી ભેદભાવ ભૂલીને પરસ્પર હૂંફ આપવાની હોય છે.

આના પરથી કહેવાનું કે દરેક વ્યક્તિએ સામાજિક સંપત્તિ રળવા પર ખાસ ભાર મૂકવો જોઈએ. શારીરિક સંપત્તિ (આરોગ્ય) અને આર્થિક સંપત્તિ તો આવ-જા કર્યે રાખતી હોય છે. વળી, નવી પેઢી પોતાના બળે શારીરિક અને આર્થિક સંપત્તિ રળી શકે છે, પણ સામાજિક સંપત્તિ આગળ વધારી શકાય છે. અન્ય કોઈ સંપત્તિ માટે સામાજિક સંપત્તિનો ભોગ આપવો જોઈએ નહીં. સામાજિક સંપત્તિ અમૂલ્ય હોય છે. એને પૈસાથી ખરીદી પણ શકાતી નથી. આપણા પૂર્વજોએ આપણને સર્વાંગી સંપત્તિનો વિચાર આપ્યો એ ઘણી મોટી વાત કહેવાય.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

ચીનમાં PM મોદીના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ

પીએમ મોદીની પ્રસ્તાવિત ચીન મુલાકાત બંને દેશોની મિત્રતા અને એકતાને વધુ મજબૂત બનાવશે. આ નિવેદન ચીનના વિદેશ મંત્રાલય તરફથી જ આવ્યું છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ના તિયાનજિન સમિટમાં પીએમ મોદીની સંભવિત ભાગીદારી અંગે, ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તે પીએમ મોદીનું સ્વાગત કરવા તૈયાર છે.

પીએમ નરેન્દ્ર મોદી સાત વર્ષથી વધુ સમય પછી આ મહિનાના અંતમાં ચીનની મુલાકાત લઈ શકે છે. તેઓ SCO સમિટમાં ભાગ લઈ શકે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે ચીન પીએમ મોદીનું સ્વાગત કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે આ પરિષદ મિત્રતા અને પરિણામોનું પરિષદ હશે.

20 થી વધુ દેશોના નેતાઓ આવશે

ગુઓએ કહ્યું કે 20 થી વધુ દેશોના નેતાઓ આ પરિષદમાં ભાગ લેશે. આમાં SCO ના તમામ સભ્ય દેશો અને 10 આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓનો સમાવેશ થાય છે. SCO ની સ્થાપના પછી આ સૌથી મોટી પરિષદ હશે. આ પહેલા, ચીનમાં ભારતના રાજદૂત પ્રદીપ રાવત શુક્રવારે ચીનના વિદેશ મંત્રાલયના એશિયન બાબતોના મહાનિર્દેશક લિયુ જિનસોંગને મળ્યા હતા. ભારત-ચીન સંબંધોના સામાન્ય મુદ્દાઓ પર બંને વચ્ચે વ્યાપક ચર્ચા થઈ હતી.

રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચનો તીખો જવાબ

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવ્યો હતો. હવે ચૂંટણી પંચે આનો જવાબ આપ્યો છે. પંચે કહ્યું કે, રાહુલ ગાંધીએ તેમની તાજેતરની પ્રેસ કોન્ફરન્સમાં એક ક્લિશે પુનરાવર્તન કર્યું હતું… જેનો અર્થ ‘જૂની બોટલમાં નવી દારૂ’ થાય છે. વર્ષ 2018માં, મધ્યપ્રદેશ કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ કમલનાથે પણ આ જ સૂર ગાયો હતો. હવે લોકસભામાં વિરોધ પક્ષના નેતા પણ એ જ સૂર ગાયા છે.

ચૂંટણી પંચે કહ્યું કે, વર્ષ 2018માં, તેમણે એક ખાનગી વેબસાઇટ પરથી દસ્તાવેજો રજૂ કરીને સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તે બતાવી શકાય કે મતદાર યાદીમાં ભૂલો છે, કારણ કે 36 મતદારોના ચહેરા વારંવાર દેખાયા હતા. જ્યારે સત્ય એ છે કે ભૂલ લગભગ 4 મહિના પહેલા સુધારી લેવામાં આવી હતી. તેની એક નકલ પાર્ટીને આપવામાં આવી હતી.

લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો

ચૂંટણી પંચે વધુમાં કહ્યું કે, આ કેસમાં, કોર્ટે કમલનાથની અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. હવે 2025 માં, એ જાણીને કે કોર્ટમાં એક જ યુક્તિનો ઉપયોગ કરી શકાતો નથી, તેમણે મતદાર યાદીમાં ખામીઓ હોવાનો દાવો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો હતો કે એક જ નામ અલગ અલગ જગ્યાએ છે. સત્ય એ છે કે આદિત્ય શ્રીવાસ્તવનું નામ, જે કથિત રીતે ત્રણ અલગ અલગ રાજ્યોમાં હતું, તે મહિનાઓ પહેલા સુધારી લેવામાં આવ્યું હતું.

પાયાવિહોણા દાવાઓ કરીને મુદ્દાને સનસનાટીભર્યો બનાવવાનો પ્રયાસ

ચૂંટણી પંચે કહ્યું કે, વારંવાર એક જ મુદ્દો ઉઠાવવાથી એ સ્પષ્ટ થાય છે કે રાહુલ ગાંધીને ભારતની સુપ્રીમ કોર્ટના નિર્ણયો પ્રત્યે કોઈ માન નથી. કાયદો ઉમેદવારી પત્રો પર વાંધા અને અપીલ બંને દાખલ કરવા માટે એક ચોક્કસ પ્રક્રિયા પ્રદાન કરે છે. કાનૂની પ્રક્રિયાઓનો લાભ લેવાને બદલે, તેમણે મીડિયામાં પાયાવિહોણા દાવાઓ કરીને મુદ્દાને સનસનાટીભર્યો બનાવવાનો પ્રયાસ કર્યો.