કોકરોચ જનતા પાર્ટીની વાયરલ ઉજવણી પર સોનમ વાંગચુકે આપી પ્રતિક્રિયા

નવી દિલ્હી: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના નેતાઓ અને સભ્યોના વાયરલ થયેલા ઉજવણીના વિડિયો પર જાણીતા આંદોલનકારી સોનમ વાંગચુકે પોતાની પ્રતિક્રિયા આપી છે.

સોશિયલ મીડિયા પર CJPના મુખ્ય સભ્યોનો ડાન્સ કરતો વિડિયો વાયરલ થયા બાદ શરૂ થયેલા વિવાદ વચ્ચે ૫૯ વર્ષીય સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે, “વિજય હંમેશા વિનમ્રતા સાથે હોવો જોઈએ.” તેમણે સમર્થકો અને કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે ઉજવણી “ગરિમા, સંયમ અને જવાબદારી” સાથે થવી જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સફળતા મેળવવાની સાથે-સાથે સન્માન અને નમ્રતા જાળવી રાખવી પણ તેટલી જ મહત્વપૂર્ણ છે.

વાયરલ વિડિયો અને વિવાદ

દિલ્હીના જંતર-મંતર ખાતે મહિના સુધી ચાલેલું આંદોલન સમેટી લીધાના ગણતરીના કલાકોમાં જ CJPના સભ્યો ઉત્સવ મનાવતા અને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વિવેચકો અને સોશિયલ મીડિયા યુઝર્સે સવાલ ઉઠાવ્યો હતો કે આ આંદોલન NEET-UG પેપર લીક અને વિદ્યાર્થીઓની આત્મહત્યા જેવા ગંભીર મુદ્દાઓ પર આધારિત હતું, ત્યારે આવી ઉજવણી સંવેદનહીનતા દર્શાવે છે. વરિષ્ઠ એડવોકેટ મહેશ જેઠમલાણી જેવા નેતાઓએ પણ CJP પર ફાઇવ સ્ટાર હોટેલમાં પાર્ટી કરવાના અને આંદોલનના ફંડિંગ અંગે સવાલો ઊભા કર્યા હતા.

CJPનો બચાવ

બીજી તરફ CJPના પ્રવક્તા સૌરભ દાસે આ આક્ષેપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે આ કોઈ ફાઇવ-સ્ટાર હોટેલ નહોતી. પરંતુ ૩૭ દિવસથી રસ્તા પર વિરોધ કરી રહેલા ૨૦૦ જેટલા સ્વયંસેવકોને વિદાય આપવા માટેનો એક નાનો કાર્યક્રમ હતો. દાસે ઉમેર્યું કે આ નવી પેઢી (Gen Z)નો વિરોધ પ્રદર્શન કરવાનો અને પોતાની ખુશી વ્યક્ત કરવાનો અનોખો અંદાજ છે.

દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન સોનમ વાંગચુકે ૨૬ દિવસ સુધી અવિરત ભૂખ હડતાળ કરી હતી. સરકારે વિદ્યાર્થીઓ પર કાનૂની કાર્યવાહી ન કરવાની અને મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને વળતર આપવાની ખાતરી આપ્યા બાદ તેમણે ૨૩ જુલાઈએ પોતાના ઉપવાસ છોડ્યા હતા.