Home Blog Page 66

નીટ યુજી પેપર લીક મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટઃ NTAને બદલવાની માગ

નવી દિલ્હીઃ દેશભરમાં ત્રીજી મેએ યોજાયેલી નીટ યુજી પરીક્ષા 12 મેએ રદ કરવામાં આવી હતી. પેપર લીક થયાના સમાચાર વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. NTAના આ નિર્ણયથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે, જેઓ નીટ યુજી પરીક્ષામાં હાજર રહ્યા હતા. NTAએ જણાવ્યું છે કે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને ફરીથી પરીક્ષા આપવી પડશે અને રિ-એક્ઝામની તારીખ આગામી 7-10 દિવસમાં જાહેર કરવામાં આવશે.

નીટ યુજી 2026 રદ કરવાની જાહેરાત સાથે જ NTAએ આ પેપર લીક કેસની તપાસ CBIને સોંપવાની જાહેરાત પણ કરી હતી. CBIએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. મંગળવારે FIR નોંધ્યા બાદ CBIની ટીમ નાસિક અને જયપુર પહોંચી હતી, જ્યાંથી પેપર લીકના તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

એ દરમિયાન નીટ યુજી પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિયેશન (FAIMA)એ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. એસોસિયેશને ફરી પરીક્ષા યોજવાની સાથે NTAને બદલવાની પણ માગ કરી છે. નીટ યુજી પરીક્ષા 2026ની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. NTAએ સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવારોને ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં પડે. ઉમેદવારોને તેમની ફી પરત આપવામાં આવશે અને તેમનાં પરીક્ષા કેન્દ્રોમાં પણ કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.

25થી 30 લાખ રૂપિયામાં વેચાયું હતું નીટ યુજીનું પેપર

નીટ યુજી પેપર લીક કેસની તપાસમાં સામે આવ્યું છે કે ગુરુગ્રામના એક ડોક્ટર પાસેથી જયપુરના જામવારામગઢના રહેવાસી માગીલાલ અને દિનેશે 25થી 30 લાખ રૂપિયામાં NEETનો પેપર ખરીદ્યું હતું. દિનેશે આ પેપર પોતાના પુત્રને આપ્યું હતું, જે સીકરમાં રહીને મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.

પરીક્ષા પહેલાં જ કલાકો અગાઉ ફરી રહ્યું હતું પેપર

તપાસમાં સામે આવ્યું છે કે પરીક્ષા પહેલાં જ ઘણા કલાકો અગાઉ પેપર સર્ક્યુલેશનમાં આવી ગયું હતું. બીજી મેની રાત્રે તેને PDF સ્વરૂપે શેર કરવામાં આવ્યું હતું અને ત્રીજી મેની પરીક્ષા બાદ જ્યારે પ્રશ્નોનું મિલાન કરવામાં આવ્યું, ત્યારે મોટી સંખ્યામાં પ્રશ્નો મેચ થતાં આખા મામલાનો ભાંડો ફૂટ્યો હતો.

CM કાફલામાં કર્યો ધરખમ ઘટાડો, માત્ર 2 કારમાં પહોંચ્યા રાજુલા

ગાંધીનગર: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવને પગલે ઈંધણના પુરવઠા પર અસર પડવાની આશંકા છે. જેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં ઈંધણ બચાવવાની અપીલ કરી છે. આ અપીલને પગલે રાજ્ય સરકાર દ્વારા હવે માત્ર CM અને DyCMને જ કોન્વોય સુવિધા આપવામાં આવશે. જ્યારે અન્ય તમામ મંત્રીઓને નોન કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. સાથે જ રાજ્યપાલ પણ હવે પોતાની દરેક યાત્રા ST બસ અને ટ્રેનમાં કરશે.મુખ્યમંત્રી માત્ર 2 કારના કાફલા સાથે અમરેલી પહોંચ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમરેલી જિલ્લાના રાજુલા પહોંચ્યા. અહીં 22 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત અત્યાધુનિક 108 બેડની હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું લોકાર્પણનો કાર્યક્રમ હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘વીઆઈપી કલ્ચર’ ઘટાડવાની અપીલને સાર્થક કરી. સામાન્ય રીતે 10થી વધુ વાહનોના લશ્કરી કાફલા સાથે ફરતા મુખ્યમંત્રી માત્ર બે જ કાર સાથે રાજુલા પહોંચ્યા હતા.
બિનજરૂરી ઈંધણનો વપરાશ કરવાના બદલે અને ઝડપથી વહીવટી ખર્ચ ઘટાડવા માટે મુખ્યમંત્રીએ જાતે આ પહેલ કરીને વહીવટી તંત્ર અને નાગરિકો સમક્ષ શાસન અને શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી ટ્રેન-એસટી બસમાં કરશે મુસાફરી

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ઈંધણનો બિનજરૂરી વપરાશ ટાળવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા કરેલી અપીલનો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમલ શરૂ કર્યો છે.રાજ્યપાલ સામાન્ય મુસાફરની જેમ કરશે પ્રવાસ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે લોકભવનમાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક વિશેષ બેઠક યોજી પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. દેશમાં પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી રાજ્યપાલ કોઈપણ સરકારી કાર્યક્રમમાં જવા માટે હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ નહીં કરે. તેઓ રાજ્યમાં અવરજવર કરવા માટે ટ્રેન અને એસટી (ST) બસનો ઉપયોગ કરશે. પોતાની ‘ઝેડ પ્લસ’ (Z+) સુરક્ષાના મોટા કાફલાને બદલે આવશ્યક પ્રવાસ વખતે ઓછામાં ઓછી કાર રાખવા તેમણે સૂચના આપી છે.
યુનિવર્સિટીઓ અને સરકારી તંત્ર માટે નિર્દેશ

રાજ્યપાલે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમગ્ર તંત્ર માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.  રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સાયકલ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રાથમિકતા આપવા નિર્દેશ અપાયા છે. સરકારી કામોમાં વાહનોનો બિનજરૂરી ઉપયોગ ટાળવા અને ઈંધણ બચાવવાના શક્ય તમામ પ્રયાસો કરવા રાજ્યપાલે આહવાન કર્યું છે.જનતાનો વિશેષ આગ્રહ

રાજ્યપાલના આ નિર્ણય બાદ હવે લોકોમાં એવો સૂર ઉઠ્યો છે કે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ આ અપીલનો અમલ ક્યારે કરશે? મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે આર્થિક પરિસ્થિતિ અને ગેસ-પેટ્રોલનું સંકટ વધી શકે છે, ત્યારે મુખ્યમંત્રી અને મંત્રીઓએ પણ હેલિકોપ્ટર-પ્લેનનો ઉપયોગ ઘટાડી રેલવે-એસટીમાં પ્રવાસ કરી ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.

વિધાનસભામાં TVKની અગ્નિપરીક્ષા, બહુમતીથી 11 પગલા દૂર ‘વિજય’

ચેન્નઈઃ તામિલનાડુના મુખ્ય મંત્રી C. જોસેફ વિજય આજે વિધાનસભામાં વિશ્વાસ મતનો સામનો કરશે. આંકડાકીય રીતે સ્થિતિ નવા મુખ્ય મંત્રીના પક્ષમાં દેખાઈ રહી છે, પરંતુ ચૂંટણી પરિણામો બાદ રાજ્યના રાજકારણમાં ભારે ઊથલપાથલ જોવા મળી છે. ઝડપથી બદલાતાં ગઠબંધનો,કોર્ટનો હસ્તક્ષેપ અને વિરોધ પક્ષ AIADMKમાં ખુલ્લા બળવાએ રાજકીય પરિસ્થિતિને વધુ રસપ્રદ બનાવી દીધી છે.

  1. જોસેફ વિજયની પાર્ટી TVKએ 2026ની વિધાનસભા ચૂંટણીમાં 234 સભ્યોની વિધાનસભામાં 108 બેઠકો મેળવી સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી. જોકે બહુમતી માટે જરૂરી 118 બેઠકો કરતાં તે 10 બેઠકો ઓછી રહી હતી. બાદમાં વિજયે બે બેઠકો પરથી જીત મેળવી હોવાથી એક બેઠક પરથી રાજીનામું આપતાં આ ઘટાડો વધીને 11 બેઠકોનો થયો હતો.

આજે તમિલનાડુ વિધાનસભામાં વિશ્વાસ મત

વિજયે 118 ધારાસભ્યોના સમર્થનપત્રો સાથે રાજ્યપાલને સમર્થન રજૂ કર્યા બાદ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. આજે તેઓ વિધાનસભામાં પોતાનું બહુમત સાબિત કરશે. વિધાનસભાના પ્રથમ દિવસે તાત્કાલિક સ્પીકરની નિમણૂક કરવામાં આવી હતી. બીજા દિવસે કાયમી સ્પીકર અને ઉપસભાપતિની પસંદગી કરવામાં આવી હતી અને આજે ત્રીજા દિવસે વિશ્વાસ મત પર મતદાન થશે. ખાસ વાત એ છે કે તામિલનાડુ વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત વિશ્વાસ મતની કાર્યવાહીનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યું છે, જેને કારણે આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ વધુ મહત્વપૂર્ણ બની ગયો છે.

નવ વર્ષ બાદ ફ્લોર ટેસ્ટ

તામિલનાડુ વિધાનસભામાં નવ વર્ષ બાદ ફરી વિશ્વાસ મત યોજાઈ રહ્યો છે. બહુમતીની કસોટી વોઇસ વોટ (ધ્વનિ મત) અથવા ડિવિઝન વોટ દ્વારા થઈ શકે છે. મુખ્ય મંત્રી વિજય પોતાની કેબિનેટ પર વિશ્વાસ વ્યક્ત કરતો પ્રસ્તાવ રજૂ કરશે. ચર્ચા પૂર્ણ થયા બાદ સ્પીકર આ પ્રસ્તાવને મતદાન માટે મૂકવામાં આવશે.

વિસરાતી જતી લોકકલા: બહુરૂપી

આધુનિક મનોરંજનના સાધનો વચ્ચે શહેરના માર્ગો પર અચાનક હનુમાનજી કે પોલીસના વેશમાં દેખાતા કલાકારો આજે સ્મૃતિશેષ બની રહ્યા છે. આપણી પ્રાચીન ‘બહુરૂપી’ કલા આજે લુપ્ત થવાને આરે છે. દુર્ભાગ્યવશ, આજની પેઢી આ વિસરતી જતી લોકકલાના જીવંત દર્શનથી વંચિત રહી ગઈ છે. અનેક વેશ ધારણ કરી મનોરંજન પીરસતા ‘બહુરૂપી’ ગુજરાત અને રાજસ્થાનની આગવી લોકપરંપરા છે. માત્ર વેશભૂષા જ નહીં, પણ પાત્ર મુજબનો આબેહૂબ અભિનય એ આ કલાની વિશેષતા છે. દેશી રજવાડાંઓએ જેમને પ્રોત્સાહન આપ્યું હતું, તેવા આ કલાકારો સદીઓથી હાસ્ય રેલાવવાનું કાર્ય કરે છે.

આ કલાના ઉદ્ભવ અંગે કોઈ ચોક્કસ તથ્ય નથી, પરંતુ માનવામાં આવે છે કે સામવેદની લયબદ્ધ ગાયનશૈલીમાંથી ઉતરી આવેલી વિવિધ ‘લીલાઓ’નું આ એક અંગ છે. પૌરાણિક લોકવાયકા મુજબ, ભગવાન વિષ્ણુએ બલિરાજાના દ્વારે લીધેલા 52 સ્વરૂપોમાંથી પ્રેરણા મેળવી આ કલા અસ્તિત્વમાં આવી હોવાનું મનાય છે. આજે પણ બહુરૂપીઓની એક આખી જાતિ આ વિશિષ્ટ પરંપરાને જીવંત રાખવા મથામણ કરી રહી છે. અજમેરના મેળા વખતે તાલાઘોલામાં ભારતભરના બહુરૂપીઓ ભેગા થાય છે. જ્યારે કર્નાલની મનવા ભાંડની ટેકરી એમની તાલીમનું પ્રેરણાધામ છે. આ કલામાં વર્ષના 52 અઠવાડિયા પ્રમાણે 52 વેશોનું વિશેષ મહત્વ છે. જોકે, ભૂતકાળમાં જે ઉસ્તાદ કલાકારો તમામ 52 વેશોમાં નિપુણ હતા, એમની સંખ્યા આજે નહિવત છે. વર્તમાન સમયના કલાકારો માત્ર પાંચ-સાત વેશો ભજવીને માંડ ગુજરાન ચલાવે છે.

વ્યવસાય અર્થે બહુરૂપીઓ વિવિધ શહેરો કે ગામડાઓમાં ભાડાના મકાનમાં રહીને ધાર્મિક અને સામાજિક વેશો રજૂ કરે છે. ગાદીના કડક નિયમોનું પાલન કરતા આ કલાકારો મહિનાના અંતે મળતા લોકફાળા અને અનાજ પર નિર્ભર રહે છે. કમનસીબે, મનોરંજનના બદલાતા પ્રવાહોને કારણે આ પ્રાચીન કલાનો સૂર્ય આથમી રહ્યો છે. આર્થિક લાચારીને વશ થઈને અનેક કલાકારો મજૂરીકામ તરફ વળ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

વાહ ભાઈ વાહ! ૧૩ મે ૨૦૨૬

૧૩ મે ૨૦૨૬

ઈન્સ્ટન્ટ ચીઝ કોર્ન ઢોકળા

આ ઈન્સ્ટન્ટ ઢોકળા ટિફિનમાં પણ આપી શકાય છે. જે બાળકોને પ્રિય બની શકે છે!

સામગ્રીઃ રવો 2 કપ, ખાટું દહીં 1 કપ, સિમલા મરચું 1, કાંદો 1, અમેરિકન મકાઈના દાણા 1 કપ, આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન, લસણની કળી 8-10 ખમણેલી, ઈનો ફ્રુટ સોલ્ટ 2 ટી.સ્પૂન, હળદર પાઉડર ¼ ટી.સ્પૂન, લાલમરચાં પાઉડર ¼ ટી.સ્પૂન, ચીઝ સ્લાઈસ 4, ધોઈને સમારેલી કોથમીર અડધો કપ, લીલી તીખી ચટણી 1 કપ,

રીતઃ રવામાં દહીં તેમજ અડધો કપ પાણી મેળવીને મિશ્રણ ઢાંકીને 15 મિનિટ રાખી મૂકો. મિશ્રણ સહેજ ઢીલું હોવું જોઈએ. રવાને કારણે તે ઘટ્ટ થઈ શકે છે.

ઢોકળામાં ભરવા માટેનું પૂરણ તૈયાર કરવા માટે મકાઈના દાણા બાફી લેવા. ત્યારબાદ એક બાઉલમાં મકાઈના દાણા લઈ તેમાં કાંદો તેમજ સિમલા મરચું બારીક સમારીને ઉમેરવું. ધોયેલી કોથમીર સમારીને ઉમેરો. તેમાં આદુ-મરચાંની પેસ્ટ, લસણ ખમણેલું, કાળા મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું મેળવી દો.

ઢોકળા બાફવાના વાસણમાં કાંઠો ગોઠવીને પાણી ગરમ કરવા મૂકો. તેની ઉપર તેલ લગાડેલી થાળી ગોઠવી દો.

ઢોકળાના ખીરામાંથી અડધું ખીરું એક વાસણમાં લઈ તેમાં 1 ચમચી ઈનો ઉમેરી, ઉપર અડધી ચમચી પાણી મેળવીને તેને હલાવીને ઢોકળા બાફવા માટેની તેલવાળી થાળીમાં રેડીને વાસણ ઢાંકીને 10 મિનિટ થવા દો. ત્યારબાદ ઢાંકણ ખોલીને થાળી બહાર કાઢીને, તે થાળીમાં, ઢોકળાની ઉપર ચમચી વડે લીલી ચટણી લગાડી દો. હવે તેની ઉપર કોર્નનું તૈયાર કરેલું મિશ્રણ ફેલાવીને પાથરી દો. હવે ઉપર ચીઝ સ્લાઈસના ટુકડા ગોઠવીને ઉપર બાકી રાખેલું ઢોકળાનું ખીરું ફેલાવીને પાથરી દો. ઉપરથી કાળા મરી પાઉડર, લાલ મરચાં પાઉડર ભભરાવીને વાસણ ઢાંકીને ફરીથી આ થાળીને ઢોકળાના વાસણમાં 10-15 મિનિટ માટે ગરમ થવા મૂકો.

ઢોકળા તૈયાર થાય એટલે થાળી ઉતારીને ચપ્પૂ વડે ચોસલા પાડીને સહેજ ઠંડા થાય એટલે ઢોકળા ખાવા માટે પીરસો. અથવા ટિફિન માટે ભરી દો.

પંચાંગ 13/05/2026

જનગણના 2027: ગુજરાતમાં 1 જૂનથી ઘરયાદી અને મકાનોની ગણતરી શરૂ

ગાંધીનગર: ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના જનગણના કાર્ય નિદેશાલયના ગુજરાત વિભાગ દ્વારા મંગળવારે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જનગણના 2027 એ દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે. આ વખતની જનગણના સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. અગાઉ દેશભરમાં છેલ્લે વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ ગણતરી દેશના દરેક નાગરિકના મજબૂત અને ઉજ્જવળ ભવિષ્ય માટેની છે.

સુજલ મયાત્રાએ વધુ વિગતો આપતા કહ્યું, ‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે યોજાનાર જનગણનાની કામગીરી મુખ્યત્વે બે તબક્કામાં વહેંચવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ‘ઘરયાદી અને મકાનોની ગણતરી’ (HLO) કરવામાં આવશે. જે ગુજરાતમાં 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. આ તબક્કા દરમિયાન આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો છે કે નહીં તેવાં કુલ 34 પ્રશ્નો પૂછવામાં આવશે. બીજા તબક્કામાં ‘વસ્તીની ગણતરી’ (PE) કરવામાં આવશે. જે આગામી 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન કરવામાં આવશે. આ બીજા તબક્કા દરમિયાન જ જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આ કાર્ય માટે રૂ. 11,718.24 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.સુજલ મયાત્રાએ ઉમેર્યું કે, આ વખતે જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ અને iOS એપ પર ગુજરાતી સહિત 16 ભાષાઓમાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરવામાં આવશે. નાગરિકો માટે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration)નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં ઉત્તરદાતાઓ 17 મેથી 31 મે, 2026 દરમિયાન પોર્ટલ https://se.census.gov.in પર પોતાની વિગતો જાતે ભરી શકશે. સ્વ-ગણતરી બાદ પ્રાપ્ત થયેલ SE ID ગણતરીદારની મુલાકાત વખતે આપવાનો રહેશે. સ્વ-ગણતરી ડેટાની પુષ્ટિ કર્યા પછી, ગણતરીદાર તેને મૂળ ડેટાબેઝમાં સમાવશે. આ પ્રક્રિયાથી ડેટા સંગ્રહ ઝડપી બનશે અને ફિલ્ડ વર્કનું ભારણ ઘટશે. સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLBs); 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી રહી છે.  ડેટા સુરક્ષા અંગે ખાતરી આપતા સુજલ મયાત્રાએ જણાવ્યું કે, જનગણના અધિનિયમ, 1948 અને જનગણના નિયમો, 1990ની જોગવાઈ હેઠળ એકત્રિત કરાયેલી તમામ વ્યક્તિગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે. તેનો ઉપયોગ કાનૂની અથવા કરવેરાના હેતુઓ માટે કરી શકાશે નહીં. દરેક વ્યક્તિ સાચી અને સંપૂર્ણ માહિતી આપવા માટે કાયદેસર રીતે બંધાયેલ છે. માહિતી આપવાનો ઇનકાર કરવા બદલ દંડની જોગવાઈ પણ છે. જનતાને કોઈપણ મૂંઝવણ હોય અથવા તો માહિતી જોઈતી હોય તો તે માટે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ-ફ્રી નંબર 1855 પર કોલ કરી શકે છે. અથવા વેબસાઇટ www.censusindia.gov.in પર સંપર્ક પણ કરી શકે છે.