Home Blog Page 5036

કરીમ લાલાની માનેલી બહેન હતી સૌરાષ્ટ્રની ગંગુબાઈ

રીમ લાલા અને હાજી મસ્તાનની જુદા જુદા રાજકારણીઓ સાથેની તસવીરો સમયાંતરે કોઈ ને કોઈ બહાને પુનઃ પ્રગટ થતી રહે છે. શિવસેનાના નેતા સંજય રાઉતે ઉલ્લેખ કર્યો એટલે કરીમ લાલાની આવી એક તસવીરનો વિવાદ ચગ્યો. પણ વિવાદ ઠારી દેવો પડ્યો કે રાઉતને રાતા પાણીએ રોવું પડે તેવા બીજા જાણીતા નેતાઓની તસવીર આ જ લાલાની સાથે પડેલી છે. પડેલી છે એટલે બંને રીતે – તસવીર પાડવામાં આવી હતી અને સાચવીને પડેલી છે.

એટલે સાચવીને આ તસવીરનો વિવાદ શમાવી દેવાની કોશિશ થઈ રહી છે. તેમાં મદદરૂપ થાય તેવી બીજી ઘટના પણ બની છે એટલે કામ સહેલું થયું છે. કરીમ લાલાની એક માનીતી બહેન હતી. હતી એ કોઠાવાળી અને કમાટીપુરાના કોઠામાં કામ કરતી દેહ વ્યાપાર કરવા મજબૂર સ્ત્રીઓની નેતા હતી. તે બંનેની ભેગી કોઈ તસવીર પડેલી નથી – બંને અર્થમાં પડેલી નથી, ગંગુબાઈ સાથેની તસવીર પાડવામાં આવી નહોતી અને પાડવામાં આવી હશે તો સચવાઈને પડી રહી નથી.

લાલા કે મસ્તાન જેવા ગુંડાસરદારોને સ્વાભાવિક છે કે ગંગુબાઈ જેવી નેતાણી કરતાં, વધારે મોટા નેતાઓ સાથે તસવીરો પડાવીને તેને સાચવી રાખવાની હતી. આ ગંગુબાઈ કરીમ લાલાની માનેલી બહેન બની હતી અને તેને રાખડી બાંધી હતી તેવી કથા 2020ના આખા વર્ષ દરમિયાન ચાલતી રહેશે, કેમ કે તેના પરથી એક ફિલ્મ બનવાની છે. ફિલ્મની પબ્લિસિટી કરવા માટે આવા ઘણા નખરાં કરવામાં આવશે.

પણ સ્ટોરીમાં દમ છે. આપણા વાચકોને ગમે તેવી છે એટલે પણ તેની ચર્ચા થશે, કેમ કે ગંગુનું અસલી નામ ગંગા હતું. ગંગા મુંબઈમાં હિરોઈન બનવાના સપનાં સાથે પહોંચી હતી. આશા પારેખ જેવી ગુજરાતી નારી લોકપ્રિય હિરોઈન બને તો પોતે પણ બની શકે એવા સપનાં જોનારી ગંગાને એક યુવાને પ્રેમમાં પાડી હતી. એ યુવાન તેને મુંબઈ લઈ જવા તૈયાર હતો. મુંબઈમાં આવા સપનાં લઈને આવી પહોંચતી કે પછી આવા કોઈ યુવાન સાથે પહોંચી જતી યુવતી પછી ક્યાં પહોંચતી હતી? મુંબઈના કમાટીપુરાના કોઠામાં.

કાઠિયાવાડના કોઇક ગામમાંથી ગંગા હરજીવનદાસ આવી રીતે જ મુંબઈના કમાટીપુરામાં પહોંચી ગઈ હતી. સૌરાષ્ટ્રના કયા ગામની તે હતી તે થોડા ખાખાખોળા છતાં મળ્યું નથી. ચિત્રલેખાનો વિશાળ વાચક વર્ગ સૌરાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રમાંથી મુંબઈ જઈને વસેલો છે. તેમાંથી ચિત્રલેખાની જૂની પેઢીના કોઈક વાચકને ગંગા હરજીવનદાસ, ગંગા કાઠિયાવાડી, કમાટીપુરાની ગંગુ કોઠાવાલી વિશે માહિતી મળે તો જણાવે.

ગંગા હરજીવનદાસ એવું નામ અને હરજીવનદાસે હિસાબનીસને નોકરીએ રાખ્યો હતો એટલે અંદાજ આવે છે કે વેપારી પરિવારની દીકરી હતી. હિસાબી કામકાજ માટે નોકરીએ રાખેલો તે માણસ કોઈ મુનીમ કે ખજાનચી જેવો મોટી ઉંમરનો નહોતો, પણ વીસેક વર્ષનો યુવાન હતો. રમણિક લાલ નામના એ યુવાન સાથે જ ગંગા પ્રેમમાં પડી અને ભાગીને મુંબઈ પહોંચી ગઈ.

બંને ખરેખર પ્રેમમાં પડ્યા હતા અને સુખી સંસાર માટે ભાગ્યા હતા કે પછી યુવાને ગંગાને ફિલ્મનગરીના સપનાં દેખાડ્યા હતા તે આપણે જાણતા નથી. પેઢીમાં કામ કરતાં કરતાં યુવાનને ખ્યાલ આવ્યો હશે કે શેઠની દીકરી ફિલ્મોની શોખીન છે. મુંબઈની મોહમાયા સાથે સંસારની માયા જોડાઈ હશે અને બંને યુવાનપ્રેમીઓ મુંબઈ પહોંચ્યા.

ફિલ્મની હિરોઈન તો ગંગા ના બની શકે, પણ ફિલ્મોમાં (અને વાસ્તવિક જીવનમાં પણ) બને એવી ઘટના બની. ગંગાને કમાટીપુરાને એક કોઠામાં 500 રૂપિયામાં વેચી દેવામાં આવી. અહીં સુધીની સ્ટોરી રાબેતા મુજબની છે આમ તો. ભારતના અનેક નગરોમાંથી આ રીતે કન્યાઓને પ્રેમમાં કે બીજી રીતે ફસાવીને મુંબઈના કમાટીપુરાના દેહવ્યાપારના કોઠામાં વેચી દેવામાં આવતી હતી. ઘણી કન્યાને પ્રેમમાં લલચાવાની પણ જરૂર ના પડે. અમર્યાદ ગરીબીમાં કુટુંબના જ લોકો તેને વેચી દેતા હતા અને વેચાયેલી ગંગાઓ પણ કોઠામાં પહોંચતી રહે છે.

કમાટીપુરા કે પછી કોલકાતા, દિલ્હી, લખનૌ, કાનપુરના કોઠામાં પુરાઈ ગયેલી યુવતીની પછી કોઈ ઓળખ રહેતી નથી. દેહવ્યાપાર કરનારો માત્ર દેહ રહી જાય છે, પણ તેમાંથી ઉમરાવજાન જેવી કોઈક આગળ વધે છે કોઠાની માલકણ પણ બને છે. કોઠામાં વેચાયા પછી ધીમે ધીમે તે કોઠાવાળી બને અને બીજી કન્યાઓને ખરીદતી થાય.

સૌરાષ્ટ્રના કોઈ ગામેથી આ જ રીતે કમાટીપુરામાં પહોંચી ગયેલી ગંગા થોડા વર્ષોમાં કોઠાવાલી બની ગઈ હતી અને હીરામંડીમાં તેનો કોઠો જાણીતો બન્યો હતો. મુંબઈની અંધારીઆલમની ચમક પણ સતત વધતી રહી હતી અને ફિલ્મોમાં પણ તે ચમકતી રહી હતી. એ ચમકદમક અને લાલા અને મસ્તાનના રાજકારણીઓ સાથેના સંબંધો અને સાઠગાઠ દાણચોરીથી આગળ વધીને દેશદ્રોહની આતંકવાદી પ્રવૃત્તિ સુધી પહોંચી હતી. તેના કારણે મુંબઈના માફિયા ડોન વિશે ઘણા પુસ્તકો લખાયા છે. એવી જ રીતે હુસૈન જૈદી અને જેન બોર્ગેસ મુંબઈમાં કેટલી નારીઓ પણ અંધારીઆલમની દાદીઓ બની હતી તેનું પુસ્તક લખ્યું છે. મુંબઈની લેડી ડોન લાલા કે મસ્તાન કે દાઉદ કે છોટા અને બડા રાજન ગવલી જેટલી કુખ્યાત થઈ શકી નહોતી, પણ તેમના વિશે જૈદી-બોર્ગેસના ‘માફિયા ક્વિન્સ ઑફ મુંબઈ’ સહિતના પુસ્તકો આવ્યા પછી થોડી ઘણી જાણીતી બની હતી. તેમાંથી એકાદ બે લેડી ડોન વિશેની ફિલ્મ બની પણ ચૂકી છે અને ગંગામાંથી ગંગુ કોઠાવાલી બનેલી લેડી ડોનની ફિલ્મ પણ બનવાની છે.

જોકે મુંબઈના ગુંડા જેવી ગંગુ ગુંડી નહોતી બની, પણ કોઠાવાલી અને કમાટીપુરાની પ્રવક્તા જેવી બની ગઈ હતી. લાલા કે મસ્તાનની મુલાકાત નેતાઓ સાથે હતી, તે રીતે ગંગુબાઈ પણ વડાપ્રધાન નહેરુને મળી હતી, પણ તેની કોઈ સત્તાવાર નોંધ રખાઈ નથી તેમ માફિયા ક્વિન્સ ઑફ મુંબઈના લેખકોનું કહેવું છે. ગંગુબાઈ એટલા માટે વડાપ્રધાનને મળી હતી કે કમાટીપુરામાંથી કોઠા બંધ કરાવી દેવાની માગણી થઈ હતી.

કમાટીપુરા વિસ્તારમાં સેન્ટ એન્થની ગર્લ્સ હાઈસ્કૂલ શરૂ થઈ હતી. એક તરફ અહીં કન્યાઓ ભણવા આવે અને તે આવતા જતા જુએ કે તેમની જ ઉંમરની અભાગી કન્યાઓની હાલત શું થઈ રહી છે. સમાજના કહેવાતા અગ્રણીઓને આ સ્થિતિ અસહ્ય લાગતી હતી, પણ કહેવાતા અગ્રણીઓના આદર્શો પણ કહેવાતા જ હોય છે. તેમણે માગણી કરી કે કમાટીપુરામાં કોઠા બંધ કરો અને આ બધી કન્યાઓને અહીંથી હટાવો. તેમનું શું થશે કે બીજે ક્યાં જઈને દેહવ્યાપાર કરશે તેની તેમને ચિંતા નહોતી. ઉકરડો પોતાના ઘરની સામે ના હોવો જોઈએ બસ.

સ્કૂલના સંચાલકો અને વાલીઓએ ઝુંબેશ ચલાવી હતી. સરકાર પણ તૈયાર થઈ ગઈ હતી. કમાટીપુરામાંથી દેહવ્યાપાર કરનારી બધી નારીઓને ત્યાંથી હટાવી દેવાની હતી, પણ આવી રીતે તેને હટાવી દેવાશે તો તેમનું ભરણપોષણ કેવી રીતે થશે અને કોણ તેમની જવાબદારી લેશે તેવી માગણી સાથે ગંગુબાઈ રાજકારણીઓ અને નેતાને મળવા દોડી હતી.

પુસ્તકમાં જણાવ્યા અનુસાર નેતાઓ ડાહી ડાહી વાતો કરતા, સલાહ આપતા, આદર્શો અને સિદ્ધાંતો યાદ દેવરાતા અને કોઈ સારા જણને જોઈને સંસારમાં ઠરીઠામ થઈ જવું જોઈએ તેવું કહેતા હતા. લેખકોના જણાવ્યા અનુસાર ગંગુબાઈએ એવો જવાબ આપેલો કે વડાપ્રધાન આંચકો ખાઈ ગયા હતા. ગંગુબાઈએ કહ્યું હોવાનું કહેવાય છે કે તો તમે જ મારી સાથે લગ્ન કરી લો, હું તૈયાર છું.

ટૂંકમાં કમાટીપુરામાંથી કોઠા ના હટાવવા માટે ગંગુબાઈની આગેવાનીમાં લડત ચાલતી હતી ત્યારે નેતાઓ આવી જ સલાહ આપતા. પણ વેશ્યાઓ સાથે કોણ લગ્ન કરે, કોણ તેને ઠરીઠામ કરે? આ કડવી વાસ્તવિકતાનું ભાન ગંગુબાઈ નેતાઓને કરાવતી હતી. ગંગુબાઈ બહુ સારું બોલતી હતી, સમાજની કડવી વાસ્તવિકતાને મીઠીમાં વાણીમાં સમજાતી હતી, પણ વાસ્તવિકતા કડવી ને કડવી જ રહે છે.

ફિલ્મની નાયિકા ના બની શકી, પણ વાસ્તવિક જીવનમાં ગંગા નાયિકા બની હતી. કોઠાવાલી તરીકે નેતાઓ સાથે લડીને કમાટીપુરાને હટવા ના દીધું તે પછી તેને હવે કોઠાવાલી નહિ પણ મેડમ ગંગુની ઓળખ પણ મળી હતી. સોનાના ઘરેણાંથી લથબથ થઈને કારમાં લઈને ઠાઠથી મુંબઈમાં ફરતી હતી. મહિલા કલ્યાણની જેમ વેશ્યા માટે કલ્યાણના મુદ્દે આઝાદ મેદાનમાં સભાઓ કરી હતી અને ભાષણો આપ્યા હતા.

એક વિરોધાભાસ એ પણ હતો કે કમાટીપુરાના કોઠા તેણે તૂટવા ના દીધા, પણ કોઠામાં પોતાની જેમ વેચાવા આવતી ઘણી યુવતીઓને તેણે પાછી પણ મોકલી હતી. નેતાઓ સલાહ આપતા ત્યારે ગંગુ તેમને ચૂપ કરાવી દેતી કે તમે કોઈ વેશ્યા સાથે લગ્ન કરશો ખરા… પણ વાસ્તવિક જીવનમાં તેણે ઘણી યુવતીના લગ્ન કરાવેલા એવું કહેવાય છે. કદાચ પોતાની વાહવાહી માટે આવી કથાઓ ઊભી કરાઈ હશે કે ખરેખર શક્ય બન્યું હશે ત્યાં કેટલીક યુવતીઓના લગ્ન પણ કરાવી દીધા હશે. સાચી વાત એ પણ હતી કે કમાટીપુરા યથાવત રહ્યું હતું અને ત્યાં યુવતીઓ આવતી જ રહી હતી. ગંગા માટે ફરક એ પડ્યો હતો કે તે વધારે જાણીતી કોઠાવાલી બની હતી અને તેના મૃત્યુ પછી કોઠાઓમાં તેની તસવીરો રાખીને માન અપાતું રહ્યું હતું.

આ કામ એટલે વેશ્યાઓને મુક્ત કરાવવાનું કે તેને આ વ્યવસાયમાંથી મુક્ત કરાવવાનું ઓછું હતું, તેમની તકલીફો ઓછું કરવાનું હતું. કમાટીપુરામાં દલાલો અને ગુંડાઓ પડ્યાપાથર્યા રહેતા. સંજોગોએ સ્વીકારેલા સ્વશોષણ ઉપર આ લોકોનું પરિસ્થિતિજન્ય શોષણ થતું હતું. તેવી જ એક ઘટનાએ હકીકતમાં ગંગા દેહવેપારીમાંથી ગંગુબાઈ કોઠેવાલી હતી.

શૌકત ખાન નામનો પઠાણ કમાટીપુરામાં બહુ દાદાગીરી કરતો હતો. તેણે ગંગા પર બેવાર બળાત્કાર કર્યો હતો. દેહવેપાર કરનારી સ્ત્રી પર પણ બળાત્કાર થાય તે કેવી કફોડી સ્થિતિ અને કેવી વક્રતા કહેવાય! ગંગુબાઈ હજી સુધી સામાન્ય કોઠાવાળી જ હતી, પણ આ ઘટના પછી વળાંક આવ્યો. શૌકત ખાન કરીમ લાલાની ટોળીનો ગુંડો હતો. ગંગુભાઈ હિંમત કરીને કરીમ લાલા સુધી પહોંચી અને તેને ફરિયાદ કરી.

કથા અનુસાર કરીમ લાલાએ પોતાના માણસો મોકલ્યા અને શૌકત ખાન ફરીથી કોઠા પર હેરાનગતિ કરવા આવ્યો ત્યારે તેની જ બરાબરની ધોલાઈ હતી. પોતાની આ રીતે રક્ષા કરી એટલે ગંગુબાઈએ કરીમ લાલાને રાખડી બાંધી અને કમાટીપુરામાં તે હવે કરીમ લાલાની માનેલી બહેન તરીકે જાણીતી થઈ હતી. લાલાની ગુંડાટોળીની ધાક આખા મુંબઈમાં હતી ત્યારે હવે તેની બહેન બનેલી ગંગુબાઈની ધાક આખા કમાટીપુરામાં બેસી ગઈ હતી.

કરીમ લાલાની બહેનની ધાક તરીકે કમાટીપુરાના કોઠામાં શૌકત જેવા નાના ગુંડાઓની દાદાગીરી બંધ થઈ હતી. રોજ આવીને ધમાલ કરતાં લુખ્ખાઓને કાબૂમાં રાખવાનું સહેલું થયું હતું. તેના કારણે સામાન્ય કોઠાવાલીમાંથી ગંગુ મેડમ બની ગઈ હતી. તેના પરથી ફિલ્મ બનવાની છે એટલે મસાલેદાર ફિલ્મ બનશે. સાથેસાથે પ્રચાર માટે ગંગુબાઈ કોઠાવાલી અને કરીમ લાલા સાથેના તેના સંબંધો અને કદાચ કરીમ લાલા સાથેની તસવીર પણ હળવેક દઈને આવશે. આવશે ત્યારે તમનેય દેખાડીશું અને જણાવીશું.

હવે યાત્રાધામોમાં ભીખ નહી માંગી શકાયઃ સરકારનો આદેશ

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા હવે ભિક્ષુકની ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરાયો છે. આ પરિપત્ર અનુસાર હવે રાજ્યના પવિત્ર યાત્રાધામની બહાર ભિક્ષુકો જોવા નહી મળે. સરકાર દ્વારા યાત્રાધામો પર ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી સૂચના આપવામાં આવી છે કે, ડાકોર, પાલીતાણા, શામળાજી મંદિર તથા જૂનાગઢ, સિધ્ધપુર, પાવાગઢ, બહુચરાજી મંદિર સહિતના યાત્રાધામમાં હવેથી ભિક્ષુકો ભીખા માંગી શકશે નહી. સરકાર દ્વારા જાહેરનામાનો કડક અમલ કરવા સૂચના પણ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટા શહેરામાં મહાનગરપાલિકાની હદમાં રાજ્ય સરકાર દ્વારા ભિક્ષુકોના પુનઃસ્થાપન માટે ભિક્ષા પ્રતિબંધ ધારા ૧૯પ૯નો અમલ કરવા માટે ઘણી સંસ્થાઓ કાર્યરત હતી જ. આ ધારા અનુસાર ભિક્ષાવૃત્તિનો ગુનો સાબિત થયેથી ભિક્ષુક એક વર્ષથી ત્રણ વર્ષની સજાને પાત્ર બને છે. જેને સરકારના ભિક્ષુક ગૃહમાં અટકાયતી તરીકે આશ્રય આપવામાં આવે છે.

આ સંસ્થામાં દાખલ થતા ભિક્ષુકોને ખોરાક, કપડાં, તબીબી સારવાર, બીસ્તર, શિક્ષણ, તાલીમ મફત આપવામાં આવે છે અને તેમના પરિવારનો શકય હોય ત્યાં સંપર્ક કરી કુટુંબમાં પણ પુનઃસ્થાપિત કરવામાં આવે છે. મુંબઇ ભિક્ષા પ્રતિબંધક ધારો ૧૯પ૯ની કલમ૧૪ હેઠળ દરેક ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર અને ભિક્ષુક ગૃહમાં મુલાકાત સમિતિઓની રચના કરવામાં આવે છે. આ સંસ્થાઓનો મુખ્ય ઊદેશ યોગ્ય વ્યાવસાયિક તાલીમ ઘ્વારા ભિક્ષુકોને આર્થિક રીતે પગભેર કરવાનો છે.

રાજ ઠાકરેના પુત્ર અમિતે રાજકારણમાં ઝંપલાવ્યું; MNSમાં જોડાયા

મુંબઈ – મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના સ્થાપક-વડા રાજ ઠાકરેએ આજે એમની પાર્ટીના નવા ધ્વજનું અનાવરણ કર્યું હતું અને સાથોસાથ એક નવા ચહેરાને પાર્ટીમાં સામેલ કર્યો છે. આ નવા સભ્ય છે એમનો પુત્ર અમિત.

મનસે પાર્ટી તેનો ધ્વજ બદલશે અને અમિત ઠાકરે રાજકારણમાં ઝંપલાવશે એવી વાતો ઘણા વખતથી સંભળાતી જ હતી અને આજે એ ઘોષિત થઈ ગયું.

શિવસેનાનાં સ્થાપક અને પોતાના કાકા સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરેની આજે 94મી જન્મજયંતિના દિવસે રાજ ઠાકરેએ પાર્ટીનો નવો ધ્વજ રિલીઝ કર્યો છે અને પોતાના પુત્ર અમિતને પક્ષમાં સામેલ કર્યા છે.

આજે ગોરેગામ (ઈસ્ટ)સ્થિત ‘નેસ્કો’ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મનસે પાર્ટીના નવા ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું હતું. રાજ ઠાકરેએ પક્ષના હજારો કાર્યકર્તાઓની હાજરીમાં નવા ધ્વજને રિલીઝ કર્યો હતો. આ પ્રસંગે પક્ષના સિનિયર નેતા બાલા નાંદગાંવકરે જાહેરાત કરી હતી કે અમિત ઠાકરે આજથી મુખ્યપ્રવાહના રાજકારણમાં સામેલ થઈ ગયા છે.

મનસે પાર્ટીના નવા ધ્વજનો રંગ કેસરી છે અને એની પર ‘રાજ મુદ્રા’ અંકિત કરવામાં આવ્યો છે. આ રાજ મુદ્રા છત્રપતિ શિવાજી મહારાજના શાસન વખતે વપરાતો હતો. મનસેનો નવો ધ્વજ તેના જૂના ધ્વજથી સાવ જ અલગ છે. જૂના ધ્વજમાં બ્લુ, લીલા અને કેસરી રંગોની બેન્ડ્સ હતી અને એની પર પક્ષના ચૂંટણી પ્રતિક એન્જીનનું ચિત્ર હતું.

નવા પાર્ટી ધ્વજ પરથી એવું લાગે છે કે પક્ષ હિન્દુત્વ આદર્શવાદ તરફ જઈ રહ્યો છે.

મનસે પાર્ટીની રાજ્ય કારોબારીની બેઠકમાં પણ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મૂકવામાં આવી હતી. એની સાથે જ, વિનાયક દામોદર સાવરકર, બાબાસાહેબ આંબેડકર, સાવિત્રીબાઈ ફૂલે અને પ્રબોધનકાર ઠાકરેની છબીઓ પણ મૂકવામાં આવી હતી.

અગાઉ એવી અફવા હતી કે મનસે પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવશે. આ અફવા એટલા માટે ઉડી હતી કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને મહારાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસે થોડાક દિવસ પહેલાં મુંબઈની એક હોટેલમાં રાજ ઠાકરે સાથે મીટિંગ કરી હતી. જોકે બાદમાં બંને નેતાએ રદિયો આપ્યો હતો કે એમની વચ્ચે એવી કોઈ બેઠક થઈ જ નથી.

સારંગપુરઃ ગ્રેનાઈટથી બનેલી હનુમાનજી મહારાજની મૂર્તિ સ્થપાશે

અમદાવાદ: સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 54 ફૂટ ઊંચી 500 ટન વજનની બ્લેક ગ્રેનાઇટથી બનેલી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરાશે. દેશમાં બ્લેક ગ્રેનાઇટથી બનેલી હનુમાનજીની આ પ્રથમ મૂર્તિ હશે. મંદિરની પાછળ 50 ફૂટની જગ્યામાં આ મૂર્તિ સ્થપાશે. મંદિરના મહંત વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, 8 એપ્રિલે હનુમાન જયંતી પ્રસંગે મૂર્તિનું અનાવરણ કરાશે. મૂર્તિ નિર્માણ માટે 3 મહિનાનો સમય લાગશે. મૂર્તિમાં રાજસ્થાનના ભીલવાડાથી મગાવાયેલા ખાસ બ્લેક ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ કરાશે. રાજસ્થાનના મૂર્તિકારો તથા 60 કારીગરો મૂર્તિ તૈયાર કરશે. મૂર્તિ માટેના ગ્રેનાઇટનો પહેલાં લેબોરેટરી ટેસ્ટ કરાશે, તે માટે મંદિરમાં જ લેબ બનાવાઈ છે.

54 ફૂંટ ઉંચી અને 500 ટન વજન ધરાવતી મૂર્તિ તૈયાર કરવામાં આવશે. હનુમાનજી મહારાજની આ મૂર્તિમાં દાદાના હાથમાં રહેલી ગદાની ઉંચાઈ 54 ફૂટ અને પહોળાઈ 13 ફૂટ જેટલી હશે. મૂર્તિના પગનું વજન જ 210 ટન હશે. આ મૂર્તિને 1 હજાર વર્ષ સુધી કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય તે રીતે તૈયાર કરાશે. શિલ્પ શાસ્ત્ર અનુસાર મૂર્તિમાં લોખંડનો ઉપયોગ કરાશે નહી. મૂર્તિના પાયા જમીનની અંદર 4 ફૂટમાં રહેશે.

સીએએનો વિરોધ હવે કબ્રસ્તાન સુધી પહોંચ્યો

પ્રયાગરાજ: નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીને લઈને દિલ્હીના શાહીન બાગની જેમ જ યુપીમાં પણ અનેક સ્થળો પર પ્રદર્શન ચાલી રહ્યા છે. તો બીજી તરફ પ્રયાગરાજમાં કોંગ્રેસના કાર્યકર્તા હસીબ અહમદ કબ્રસ્તાન પહોંચ્યા અને ત્યાં તેમના પૂર્વજોની કબર નજીક ઉભા રહીને અજીબોગરીબ રીતે પ્રદર્શન કર્યું. જેનો એક વિડિયો પણ સામે આવ્યો છે જેમાં તે નાટકીય અંદાજમાં ભાવુક થતાં જોવા મળી રહ્યા છે.

જ્યારે તેમના પુછવામાં આવ્યું કે, કબ્રસ્તાનમાં શું કરી રહ્યા છો તો હસીબ અહમદે તેમનો ડર વ્યક્ત કરતા કહ્યું કે, જે રીતે સીએએ-એનઆરસીને લઈને વિવાદ ચાલી રહ્યો છે એ જોતા ડર લાગે છે કે, કયાંક સરકાર મને ડિટેન્શન સેન્ટર ન મોકલી દે. તેમણે કહ્યું કે, તેમની પાસે દસ્તાવેજો પણ નથી.

હસીબ અહમદે કહ્યું કે, એનઆરસી અને સીએએ ને લઈને દેશમાં વિભાજનની રાજનીતિ ચાલી રહી છે. અમારી પાસે કોઈ પુરાવા નથી. જે રીતે મોદી અને શાહ સતત હુમલો કરી રહ્યા છે કે, જો તમે સીએએ અને એનઆરસીના દાયરામાં આવો છો તો તમારે તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે.

હસીબે વધુમાં કહ્યું કે, અમે આમારા પૂર્વજોની કબર પર એટલા માટે આવ્યા છીએ કારણ કે આના સિવાય અમારી પાસે દેખાડવા માટે કંઈ બચ્યું નથી. અમે અમાર પૂર્વજોને કહેવા આવ્યા છીએ કે, કબરમાંથી ઉભા થઈને અમે ભારતીય છીએ એવી જુબાની આપો. હસીબે આગાળ કહ્યું કે, જો અમને ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવે તો અમારા પૂર્વજોને પણ કબરમાંથી બહાર કાઢી તેમની કબરોને સેન્ટરમાં રાખવામાં આવે.

ફાંસી પહેલા નિર્ભયાના દોષિતોને અંતિમ ઈચ્છા પૂછવામાં આવી

લખનઉઃ નિર્ભયા મામલે ચારેય દોષિતોને તિહાડ જેલ પ્રશાસન દ્વારા પૂછવામાં આવ્યું કે, શું તેઓ પોતાના પરિવારને છેલ્લીવાર મળવા ઈચ્છે છે? પરંતુ ચારેયમાંથી કોઈએ પણ હજી સુધી સમય જણાવ્યો નથી. ચારેય દોષિતોને એક ફેબ્રુઆરીના રોજ ફાંસી પર લટકાવવામાં આવશે. નિયમો અનુસાર, જેમને ફાંસીની સજા આપવામાં આવે છે, તેમને પૂછવામાં આવે છે કે શું તેઓ અંતિમ વાર પોતાના પરિવારના કયા સભ્યને અને ક્યારે મળવા ઈચ્છે છે. આ સીવાય તેમને એપણ પૂછવામાં આવે છે કે તેઓ પોતાની સંપત્તિ કોના નામે કરવા ઈચ્છે છે? જેલના વહીવટી તંત્ર દ્વારા જ્યારે ચારેય દોષિતો મુકેશ સિંહ, વિનય સિંહ, અક્ષય સિંહ અને પવન ગુપ્તાને બંન્ને સવાલો કરવામાં આવ્યા ત્યારે કોઈ જવાબો ન મળ્યા. આનાથી લાગે છે કે તેમને હજી અપેક્ષા છે કે તેમને હજી વધારે સમય મળી શકે છે. તો પવન જલ્લાદ 30 જાન્યુઆરીના રોજ તિહાડ જેલ પહોંચી જશે અને બાદમાં તે તિહાડ જેલમાં જ રહેશે. નિર્ભયાના ચારેય આરોપીઓને તિહાડની જેલ નંબર-3માં અલગ-અલગ સેલમાં રાખવામાં આવ્યા છે. દરેક દોષીની સેલની બહાર બે સિક્યોરિટી ગાર્ડ તૈનાત રહે છે. દર બે કલાકમાં આ ગાર્ડોને આરામ આપવામાં આવે છે. શિફ્ટ બદલાતા બીજા ગાર્ડ તૈનાત કરવામાં આવે છે. એક કેદી માટે 24 કલાક માટે આઠ-આઠ સિક્યોરિટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે. એટલે કે ચારેય કેદીઓ માટે કુલ 32 સિક્યોરિટી ગાર્ડને રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મૃત્યુની સજા પામેલા દોષિતોને ફાંસી આપવા માટે સાત દિવસની સમય મર્યાદા નિર્ધારિત કરવાનો અનુરોધ કરતા કેન્દ્રએ ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. ડિસેમ્બર 2012 માં નિર્ભયા સામૂહિક બળાત્કાર અને હત્યા મામલે દોષિતો દ્વારા પૂનર્વિચાર અરજી, સુધારાત્મક અરજી અને દયા અરજી દાખલ કરવાના કારણે મોતની સજાના નિર્ણય પર અમલમાં વિલંબને ધ્યાને રાખતા ગૃહમંત્રાલયની આ અરજી ખૂબ મહત્વપૂર્ણ છે.

દિલ્હીની કોર્ટે તાજેતરમાં જ આ મામલે ચારેય દોષિતોને એક ફેબ્રુઆરીના રોજ ફાંસી પર લટકાવવાનું વોરન્ટ જાહેર કર્યું છે. આ પહેલા દોષિતોને 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવાની હતી પરંતુ પેન્ડિંગ અરજીઓને કારણે આવું ન થઈ શક્યું. નિર્ભયા સાથે 16 ડિસેમ્બર 2012ની રાત્રે દક્ષિણ દિલ્હીમાં ચાલતી એક બસમાં છ વ્યક્તિઓ દ્વારા સામૂહિક બળાત્કાર બાદ બહુ ખરાબ રીતે તેને ઘાયલ કરીને તેને રોડ પર ફેંકી દેવામાં આવી હતી. નિર્ભયાનું બાદમાં 29 ડિસેમ્બર 2012 ના રોજ સિંગાપુરમાં એક હોસ્પિટલમાં નિધન થયું હતું.

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૨૦’ના વિજેતા બન્યા બે નાટક: ‘નિમિત્ત કમ બેક સુન’ અને ‘કુમારની અગાશી’

મુંબઈ અને ગુજરાતના નાટ્યરસિકો તથા કલાપ્રેમીઓને લગભગ દોઢ દાયકાથી ઘેલું લગાડનાર ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’નો દબદબો સતત 14મા વર્ષે પણ યથાવત્ રહ્યો. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત, ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી (બીસીસીએ) આયોજિત આ વર્ષની ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૨૦’નો ગ્રેન્ડ ફિનાલે શો યોજાયો 22 જાન્યુઆરીના બુધવારે સાંજે અંધેરી (વેસ્ટ)માં ભવન્સ કેમ્પસમાં.

આ વખતની સ્પર્ધા વિશેષ એ રીતે બની રહી કે તેમાં એક નહીં, પણ બે નાટક વિજેતા બન્યા. ‘નિમિત્ત કમ બેક સુન’ અને ‘કુમારની અગાશી’, આ બંને નાટકની ભજવણી એટલી બધી પ્રભાવશાળી રહી કે એ બંનેને સમાન વિજેતા જાહેર કરવાની નિર્ણાયકોને ફરજ પડી.

વિજેતા નાટકોની જ્યારે ઘોષણા કરવામાં આવી એ સાથે જ સરદાર પટેલ સભાગૃહમાં બંને નાટકના કલાકારો અને કસબીઓનાં હર્ષનાદો અને નાટ્યપ્રેમી દર્શકોના તાળીઓનાં ગડગડાટથી સભાગૃહ ગૂંજી ઊઠ્યું.

ઈનામ વિતરણ કાર્યક્રમની સાથે મનોરંજનની મહેફિલ ‘જસન ને જલસો’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી જૂની રંગભૂમિના ગીતો, નૃત્યો, ગીત-સંગીત, એકોક્તિ, દુહા-છંદની રસલ્હાણ માણવા મળી હતી. ‘જસન ને જલસો’ની પ્રસ્તુતિ જાણીતા કલાકાર રાજુલ દિવાન અને હેતલ જોશી દ્વારા કરવામાં આવી હતી. હેતલ જોશીનાં ગ્રુપનાં સભ્યોએ ‘રેવા’ અને ‘હેલ્લારો’ નૃત્ય પેશ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. રાજુલ દિવાન અને સાથીએ રંગલો-રંગલી ભવાઈ આઈટમ રજૂ કરીને મનોરંજનનો રસથાળ પીરસ્યો હતો.

‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટક, ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી, નાટ્યકાર પ્રવીણ સોલંકી, અભિનેતા અને નાટ્યદિગ્દર્શક લતેશ શાહે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરાવ્યા બાદ રાગેશ્વરી ગાયકવાડે ગણેશ સ્તુતિ રજૂ કરી હતી તો કેયૂરી શાહે એકોક્તિ દ્વારા તેની અદ્દભુત અભિનયકળાનું પ્રદર્શન કર્યું હતું.

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા ૨૦૨૦’ના વિજેતા નાટકોની પસંદગી કરનાર ત્રણ જજ હતા – પ્રવીણ સોલંકી, લતેશ શાહ અને રોબિન ભટ્ટ.


‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૨૦’ના ઈનામવિજેતાઓની વિગત આ મુજબ છેઃ

શ્રેષ્ઠ નાટક

પ્રથમ ઈનામ (વિભાજીત)
નિમિત્ત કમ બેક સુન (થિયેટર ઓફ જનરેશન નેક્સ્ટ-સુરત)

કુમારની અગાશી (સિલ્યુએટ થિયેટર-સુરત)

દ્વિતીય ઈનામ (વિભાજીત)
શુભ મંગલ સાવધાન (એક્યૂરેટ પ્રોડક્શન-વડોદરા)

અંત વગરની વાત (માનસી શાહ-અમદાવાદ)

તૃતિય ઈનામ
અહમનું એન્કાઉન્ટર (ઉદય આર્ટ-નવસારી)

પ્રોત્સાહન ઈનામ (શ્રેષ્ઠ નાટક કેટેગરીમાં) (વિભાજીત)
તું અને હું (અલ્ટિમા ઈવેન્ટ્સ-મુંબઈ)

મીંડી કોટ (જયઘોષ થિયેટર-નવસારી)


પ્રેમની તા…તા… થૈયા (ઝેડ.એસ. ગ્રુપ – વડોદરા)


શ્રેષ્ઠ દિગ્દર્શક

પ્રથમ ઈનામ (વિભાજીત)

રિષીત ઝવેરી (નિમિત્ત કમ બેક સુન)

દેવાંગ જાગીરદાર (કુમારની અગાશી)

દ્વિતીય ઈનામ (વિભાજીત)

કર્તવ્ય શાહ (અંત વગરની વાત)

કિરણ પાટીલ (શુભ મંગલ સાવધાન)

તૃતિય ઈનામ
રૂમી બારિયા (અહમનું એન્કાઉન્ટર)


શ્રેષ્ઠ અભિનેતા

પ્રથમ ઈનામઃ
સ્વપ્નીલ પાઠક (નિમિત્ત કમ બેક સુન)

દ્વિતીય ઈનામ (વિભાજીત)
પલાશ આઠવલે (કુમારની અગાશી)

હિમાંશુ વૈદ્ય (અહમનું એન્કાઉન્ટર)

તૃતિય ઈનામ (વિભાજીત)
વિશાલ ચૌહાણ (અંત વગરની વાત)

કુરુષ જાગીરદાર (મીંડી કોટ)


શ્રેષ્ઠ અભિનેત્રી

પ્રથમ ઈનામઃ

મેઘા સિયારામ (કુમારની અગાશી)

દ્વિતીય ઈનામઃ
રૂબી ઠક્કર (શુભ મંગલ સાવધાન)

તૃતિય ઈનામ (વિભાજીત)
જૈની શાહ (અંત વગરની વાત)

શિલ્પી લુહાર (અહમનું એન્કાઉન્ટર)


શ્રેષ્ઠ સહાયક અભિનેતા

પ્રથમ ઈનામઃ નીરજ ચિનાઈ (નિમિત્ત કમ બેક સુન)

દ્વિતીય ઈનામઃ નીરવ પરમાર (અંત વગરની વાત)

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી

પ્રથમ ઈનામઃ સુહાની જાગીરદાર (કુમારની અગાશી)

દ્વિતીય ઈનામ (વિભાજીત):

પૂનમ મેવાડા (પ્રેમની તા… તા… થૈયા) અને પૂર્વી ભટ્ટ (શુભ મંગલ સાવધાન)


શ્રેષ્ઠ યુવા પ્રતિભા – જય કોટક પારિતોષિક

જીત સોલંકી (શુભ મંગલ સાવધાન)ને ‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટક અને વાઈસ-ચેરમેન મનન કોટકના હસ્તે એવોર્ડ એનાયત કરાયો.

સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ
અદ્વિતા ગોહિલ

વિશેષ પારિતોષિક
સૌમ્ય પંડ્યા


શ્રેષ્ઠ મૌલિક કૃતિ

રિષીત ઝવેરી (નિમિત્ત કમ બેક સુન) અને ભાર્ગવ ત્રિવેદી (અંત વગરની વાત)


શ્રેષ્ઠ કલા નિર્દેશન

શિવાંગ ઠક્કર (નિમિત્ત કમ બેક સુન)

શ્રેષ્ઠ પ્રકાશ રચના

મિતુલ હરીશ લુહાર (નિમિત્ત કમ બેક સુન)

શ્રેષ્ઠ સંગીત આયોજન

રૂમી બારિયા (અહમનું એન્કાઉન્ટર)

શ્રેષ્ઠ વેશભૂષા

શિવાંગ ઠક્કર (નિમિત્ત કમ બેક સુન)


પારિતોષિક વિતરણ સમારંભમાં 63 મૂન્સ ટેક્નોલોજીઝના ચેરમેન ઈમેરિટસ જિજ્ઞેશ શાહ, નીલા ટેલિફિલ્મ્સના અસિતકુમાર મોદી, ટ્રાન્સમિડિયાના જસ્મીન શાહ, ભવન્સ કલ્ચરલ સેન્ટરના લલિત શાહ, દિલીપ રાવલ, અશોક બંઠિયા, મયૂર વાકાણી જેવા અભિનેતા, સુજાતા મહેતા, મિનળ પટેલ, અલ્પના બુચ જેવાં અભિનેત્રી, દિગ્દર્શક જયંત ગિલાટર, નિર્માતા કૌસ્તુભ ત્રિવેદી, સ્વ. તારક મહેતાનાં પુત્રી ઈશાની શાહ અને એમનાં પતિ ચંદુ શાહ જેવાં મહાનુભાવો, ‘ચિત્રલેખા’નાં સહ-સંસ્થાપક મધુરીબહેન કોટક, રાજુલ મૌલિક કોટક, ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી, ‘ચિત્રલેખા’ પરિવારનાં સભ્યો તથા નાટ્યરસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રવીણ સોલંકીએ કહ્યું કે, ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’ ગુજરાતી નાટ્યક્ષેત્રમાં કંઈક નોખું કરવા માટે શરૂ કરવામાં આવી છે. નાટ્યસ્પર્ધાનો આરંભ કરવા બદલ ‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટકનો તેમજ સ્પર્ધાને આગળ વધારવામાં મદદરૂપ થવા બદલ સોલંકીએ જિજ્ઞેશ શાહનો આભાર માન્યો હતો.

પ્રવીણ સોલંકી

જિજ્ઞેશ શાહે કહ્યું કે સમાજમાં ડોક્ટરો, વકીલોની જેમ કલાકારોના વ્યવસાયને પણ સરખું જ મહત્ત્વ આપવું જોઈએ. આ વ્યવસાયની સંભાળ લેવી એ સમાજની ફરજ છે. ‘ચિત્રલેખા’ એ મેગેઝિન નહીં, પરંતુ એક સંસ્કૃતિ છે. આ નાટ્યસ્પર્ધાને જ્યાં સુધી ચાલુ રાખવી હોય ત્યાં સુધી એને મદદરૂપ થવા અમે તૈયાર છીએ.

જિજ્ઞેશ શાહ

જસ્મીન શાહે કહ્યું કે, ચિત્રલેખા મેગેઝિન ગુજરાતીઓનું એક પ્રતિબિંબ છે. આ નાટ્યસ્પર્ધા શરૂ કરવા બદલ હું એમને સેલ્યૂટ કરું છું.

જસ્મીન શાહ

સમગ્ર પારિતોષિક વિતરણ કાર્યક્રમનું સંચાલન પ્રીતિ શાહે કર્યું હતું.

ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરીના રમાકાંત ભગતે તમામ પ્રાયોજકો, સ્પર્ધકો અને પ્રેક્ષકોનો આભારવિધિ વ્યક્ત કર્યો હતો.

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૨૦’ના અન્ય સહયોગીઓ હતાંઃ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા.લિ. (એસઆરકે) સુરત, જીવનભારતી મંડળ (સુરત), એગ્રોસેલ ઈન્ડસ્ટ્રિઝ (ભૂજ), રાજ થિયેટર-રાજવી જોશી (મુંબઈ), ભવન્સ કલા કેન્દ્ર-ચોપાટી, મુંબઈ.

(સમગ્ર ઈનામ વિતરણ સમારંભની વધુ તસવીરો)



































અહેવાલઃ મનોજ મોતીવાલા

તસવીરોઃ પ્રકાશ સરમળકર, , જિજ્ઞેશ મકવાણા

સુવિચાર – ૨૩ જાન્યુઆરી, ૨૦૨૦

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ મોડી પડી; પ્રવાસીઓને વળતર ચૂકવાશે

મુંબઈ – ગઈ કાલે બુધવારે બપોરે અમદાવાદથી મુંબઈ આવેલી તેજસ એક્સપ્રેસ ટ્રેન એક કલાકને 30 મિનિટ મોડી પડી હતી. આને કારણે ટ્રેનના 630 પ્રવાસીઓને દરેકને રૂ. 100નું આર્થિક વળતર ચૂકવવામાં આવશે.

તેજસ એક્સપ્રેસના 630 પ્રવાસીઓએ IRCTCની રીફંડ નીતિ અનુસાર રીફંડ માટે અરજી કરવાની રહેશે. વેરિફિકેશન કરાયા બાદ એમને વળતર ચૂકવવામાં આવશે.

અમદાવાદથી તેજસ એક્સપ્રેસ સવારે 6.40ને બદલે 2 મિનિટ મોડી ઉપડી હતી અને ત્યારબાદ બપોરે મુંબઈ 1.10 વાગ્યાને બદલે 2.36 વાગ્યે પહોંચી હતી. ટ્રેન મોડી પહોંચવાનું કારણ હતું, મુંબઈની હદમાં ભાયંદર-દહીસર સ્ટેશનો વચ્ચે રેલવે લાઈનમાં ઊભી થયેલી કોઈક ટેકનિકલ ખામી.

પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ કહ્યું કે દહિસર અને ભાયંદર સ્ટેશનો વચ્ચે ફાસ્ટ લાઈન ઉપર બપોરે 12.15 વાગ્યાથી ઓવરહેડ વાયરમાં ખામી ઊભી થઈ હતી અને એમાં પાવર બંધ થઈ ગયો હતો. એને કારણે ટ્રેનો અટકી ગઈ હતી. 12.30 વાગ્યે દહિસર અને મીરા રોડ સ્ટેશનો વચ્ચે અને 1.35 વાગ્યે મીરા રોડ અને ભાયંદર વચ્ચે પાવર પ્રસ્થાપિત કરી શકાયો હતો.

પરંતુ આ સમસ્યાને કારણે બપોરે 3.30 વાગ્યા સુધીમાં અનેક ઉપનગરીય ટ્રેનો રદ કરવી પડી હતી.

ઉલ્લેખનીય છે કે તેજસ એક્સપ્રેસ શ્રેણીની ટ્રેનો ખાનગી સ્તરની છે અને તેનું સંચાલન ભારતીય રેલવેની પેટા-કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા કરવામાં આવે છે.

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ આ શ્રેણીની બીજી ખાનગી ટ્રેન છે. એની કમર્શિયલ ધોરણે સેવા ગઈ 19 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી હતી.

તેજસ એક્સપ્રેસ તથા બીજી ઉપનગરીય ટ્રેનો તેમજ બહારગામની ટ્રેનો અટકી ગઈ હતી.

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસમાં કુલ 849 પ્રવાસીઓ હતા, પણ એમાંના 630 જણે મુંબઈ સુધીની સફર કરી હતી. એમને વળતર ચૂકવવામાં આવશે.

IRCTCની નીતિ અનુસાર તેજસ એક્સપ્રેસ જો એક કલાક મોડી પડે તો પ્રવાસીઓને દરેકને રૂ. 100 અને જો બે કલાકથી વધારે સમય મોડી પડે તો પ્રત્યેકને રૂ. 250નું વળતર ચૂકવવામાં આવશે.

આનો અર્થ એ થાય કે બુધવાર માટે IRCTC તેજસ એક્સપ્રેસના પ્રવાસીઓને આશરે રૂ. 63,000ની ચૂકવણી કરશે. પ્રવાસીઓએ વળતર મેળવવા માટે IRCTCને ફોન કરવાનો રહેશે અથવા ઈમેલ મોકલવાનો રહેશે. એમણે કેન્સલ કરેલો એક ચેક મોકલવાનો રહેશે, પોતાની PNR વિગતો તથા સર્ટિફિકેટ ઓફ ઈન્શ્યુરન્સ (COI) નંબર પણ મોકલવાનો રહેશે.

રાશિ ભવિષ્ય 23/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની  વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ  યોગ્ય છે,


આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે,


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.


આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.


આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે,  વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી  અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું