Home Blog Page 4985

મુંબઈમાં 200 ઈલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવાનું ટાટા પાવરનું લક્ષ્ય

મુંબઈ – ટાટા પાવર કંપનીએ મુંબઈમાં અત્યાર સુધીમાં 30 ઈલેક્ટ્રિક વેહિકલ્સ (EV) ચાર્જિંગ સ્ટેશન ઊભાં કર્યા છે. છેલ્લા થોડા સમયથી ઈલેક્ટ્રિક વાહનો માટેની માંગ વધી ગઈ છે. ટાટા પાવરનો ઉદ્દેશ 2021ની સાલ સુધીમાં મુંબઈમાં 200 જેટલાં EV ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાનો છે. સાધારણતમ 30 થી 40 કિલોવૉટ ક્ષમતાવાળા ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવાનું અમારું લક્ષ્ય છે એવું ટાટા પાવરે સ્પષ્ટ કર્યું છે.

ઉપરાંત, આવતા વર્ષ દરમિયાન દેશભરમાં સાર્વજનિક ઠેકાણે તેમજ ઘરોમાં ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનોનું નેટવર્ક વિસ્તારવાનો પણ કંપનીનો ઉદ્દેશ્ય છે. એવા લગભગ 700 જેટલાં ઈલેક્ટ્રિકલ વેહિકલ ચાર્જિંગ સ્ટેશનો આખા દેશમાં ઉભા કરવામાં આવશે. જેના માટે વિવિધ સ્થળો માટેની શોધ ચાલુ છે. એમ કંપની તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

મેટ્રો સ્ટેશનો, શોપિંગ મોલ્સ, થિયેટરો તેમજ હાઈવે જેવાં સાર્વજનિક સ્થળોએ ચાર્જિંગ સ્ટેશનો ઉભાં કરવામાં આવશે. તે ઉપરાંત ક્રોમા, વેસ્ટસાઈડ, ટાઈટન જેવી ટાટા પાવરની માલિકીના રિટેલ આઉટલેટ્સ તેમજ તાજ હોટેલ્સની ચેન્સના સ્થળોનો પણ ઈલેક્ટ્રિકલ વેહિકલ ચાર્જિંગ માટે ઉપયોગ કરવામાં આવશે.

ઈલેક્ટ્રિકલ વેહિકલ ચાર્જિંગ સ્ટેશનો બાબતે મેટ્રો ઓથોરિટી સાથે તેમજ મુંબઈ મહાનગરપાલિકા સાથે ‘ટાટા પાવરની વાટાઘાટ ચાલુ છે.

ઈ.વી. ચાર્જિંગ સ્ટેશનો ઉભાં કરવા માટે ટાટા પાવરે હિંદુસ્તાન પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ, ઈન્દ્રપ્રસ્થ ગેસ સાથે કરાર પણ કર્યા છે તથા ઘરેલુ ચાર્જિંગ સ્ટેશનો પણ કંપની તરફથી ઉપલબ્ધ કરવામાં આવશે.

અભિવ્યક્તિ: કળાના વિવિધ અને ભવ્ય સ્વરૂપો એક છત હેઠળ

અમદાવાદ: અભિવ્યક્તિનું ત્રીજું સંસ્કરણ 14મી ફેબ્રુઆરીથી શરુ થઈ ગયું છે જે આગામી 1 માર્ચ સુધી ચાલુ રહેશે. આ વર્ષે 30 કલાકારો 18 મેઈન સ્ટેજ અને 6 પ્લેટફોર્મ પરફોર્મન્સ રજૂ કરશે. આ ઉપરાંત 50 કલાકારો દ્વારા 44 વિઝ્યુઅલ આર્ટને તૈયાર તથા પ્રદર્શિત કરવામાં આવશે.

અભિવ્યક્તિનો હેતુ અમદાવાદના લોકો સમક્ષ વિના મૂલ્યે આંતરાષ્ટ્રીય કળાને લાવવાનો છે. અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્રકળા, ફોટોગ્રાફી, સ્થાપનો અને થિએટર જેવા અનેક કળા સ્વરૂપો સમાવિષ્ટ છે.

અભિવ્યક્તિ એ UNM ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી એક અનોખી પહેલ છે, જે કળાને સ્થાન, અડચણો(શારીરિક કે વ્યક્તિગત) અને સમાજિક અથવા આર્થિક સ્તર મર્યાદા વિના પેક્ષકોની સમજ રજૂ કરે છે.

ઉભરતી પ્રતિભાને ઓળખવા તેમજ સમર્થન આપવાની ઝૂંબેશ તરફ આ પહેલનું ધ્યાન કેન્દ્રીત છે. આ ફેસ્ટિવલમાં આગળ જતા અભિવ્યક્તિ અમદાવાદના આર્ટ એન્ડ કલ્ચરલ લેન્ડસ્કેપમાં એક નવો અધ્યાય શરુ કરવાની તૈયારીમાં છે.

ટ્રમ્પની ભારત મુલાકાતની ફળશ્રુતિ અંગે અમેરિકાના ગુજરાતીઓ આશાવાદી

ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી સંસ્થાના પ્રમુખ પી.કે. નાઈક તમામ સ્થાનિક નેતાઓની એક બેઠક બોલાવી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત ખાતેની મુલાકાત બંને દેશ વચ્ચેના સંબંધો માટે ઘણી ફળદાયી બની રહેશે. લોસ એન્જેલીસ અને પડોશી શહેર મોદી અને ટ્રમ્પના સમર્થક રહ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષી વ્યાપારમાં નડતી અમુક અડચણો દૂર થવાની આશા છે.

આર્ટેશિયા ચેંબર ઓફ કોમર્સના પ્રમુખ પરિમલ શાહે પણ કહ્યું કે ટ્રમ્પની આ મુલાકાત ઐતિહાસિક બની રહેશે અને ભારત-અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધારે મજબૂત બનાવશે.

ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ અમેરિકાના સેક્રેટરી યોગી પટેલે કહ્યું કે ટ્રમ્પની આ મુલાકાત ખૂબ વિશેષ છે અને ભારત-અમેરિકાના સંબંધોને વધારે બળ પૂરું પાડશે. વિશ્વના આ બે લોકપ્રિય નેતાઓ છે, પરંતુ સાથોસાથ, બંને સામે તમામ બાજુએથી વિરોધ પણ પ્રચંડ થઈ રહ્યો છે. અમને આશા છે કે આ મુલાકાતમાં એમના જે કોઈ એજન્ડા હશે એ સફળતા હાંસલ કરશે.

આરોગ્ય માટે જાગૃતિ કેળવવા 23 મીએ લોકો વોક કરશે

અમદાવાદઃ લોકોમાં આરોગ્ય વિશે જાગ્રતતા કેળવવા અને સમાજમાં ગરીબ વર્ગ અને વંચિત લોકોને મદદ કરવા  માટે ભંડોળ ઊભું થઈ શકે એ માટે આ રવિવારે- 23 ફેબ્રુઆરી, 2020એ  મોટીફ ટીટીઈસી ચેરિટી વોક 2020નું આયોજન કરવામાં આવ્યું છે. આ વોક આશરે ચાર કિલોમીટરની હશે. તેનો રૂટ પીઆરએલ રોડ, એલડી આર્ટ્સ કોલેજ, આઇઆઇએમએ ફ્લાયઓવર, પાંજરાપોળ પાસપોર્ટ ઓફિસ અને બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ રહેશે.  

આ વોક દ્વારા જે ભંડોળ ઊભું થશે એ પસંદગીની લાભાર્થી સ્વૈચ્છિક સંસ્થાઓ માટે એકત્ર કરવામાં આવશે. અત્યાર સુધીમાં મોટીફ-ટીટીઈસી ચેરિટી વોક મારફતે તેની 17 એડિશન દ્વારા 55 સ્વૈચ્છિક સંસ્થાઓમાં રૂ. 7.33 કરોડ એકઠા કરવામાં આવ્યા છે.

ટીટીઈસીના ભારતના વાઇસ પ્રેસિડન્ટ અને જનરલ મેનેજર કૌશલ મહેતાએ કહ્યું હતું કે અમે વાર્ષિક મોટિફ ટીટીઇસી ચેરિટી વોકની 18મી એડિશન રજૂ કરતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ વોકમાં 4000થી વધુ લોકો સામેલ થવાના છે,  આ વોકમાં સ્કૂલ બેન્ક ઊંટ ગાડા, ચિયર્સ લીડર્સ, ડ્રમર્સ, ગિટારિસ્ટ અને રેડિયો જોકી સામેલ થવાના છે.

મોટીફ ટીટીઈસી ચેરિટી વોક 2020ની આ 18મી વાર્ષિક ચેરિટી વોકના લાભાર્થી સ્વૈચ્છિક સંસ્થાઓ શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારો માટે કામ કરે છે. જેમાં આ વિવિધ સંસ્થાઓ  શૈક્ષણિક અને બાળકોના આરોગ્ય, ઘરવિહોણા લોકોનો પુનર્વસવાટ, સ્થાનિક સાહિત્ય અને આરોગ્યલક્ષી જાગૃતિ જેવાં  કાર્યો કરે છે.  આ ઉપરાંત સંસ્થાઓ ટેક્નિકલ, રમતલક્ષી અને સાંસ્કૃતિક શિક્ષણ પણ પૂરું પાડે છે તેમ જ વિચરતી અને ડી નોટિફાઇડ જાતિઓને નાગરિકતા અધિકારો, આરોગ્ય સુવિધાઓ અને આજીવિકાનો સહયોગ પૂરો પાડે છે.આ દોડમાં સામેલ થનાર પ્રતિ સહભાગી માટે રૂ. 300ની રજિટ્રેશન ફી રાખવામાં આવી છે. ટીટીઈસી રૂ. 10 લાખનું ફંડ એકઠું થાય ત્યાં સુધી સભ્યદીઠ રૂ. 300નો ઉમેરો કરશે. વળી, ટીટીઈસી પણ રૂ. પાંચ લાખનું યોગદાન આપશે અને ટીટીઈસીનું કુલ યોગદાન રૂ. 15 લાખ થશે.

 

 

 

નમસ્તે ટ્રમ્પ: 200 અમેરિકન સુરક્ષાકર્મીઓ સંભાળશે કમાન

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પના અમદાવાદ પહોંચે તે પહેલા તેમના સ્વાગત અને સલામતીનું જોરશોરથી કામ ચાલી રહ્યું છે. સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. ટ્રમ્પનો ભવ્ય કાર્યક્રમ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાવાનો છે. આ સમય દરમ્યાન, ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ માટેની સુરક્ષા વ્યવસ્થાની તૈયારી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ટ્રમ્પ માટે એક અભેદ્ય સુરક્ષા સિસ્ટમ બનાવવામાં આવી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત સમયે સુરક્ષામાં 200 અમેરિકન સુરક્ષાકર્મીઓ (CIA) કમાન સંભાળશે. તેઓ અમદાવાદ પોલીસ તથા દેશની સુરક્ષા એજન્સીની સાથે કો-ઓર્ડિનેટ કરશે.

  • સુરક્ષાને ધ્યાને રાખીને શહેર પોલીસ અને યુ.એસ.સીક્રેટ એજન્સી કામે લાગી.
  • યુ.એસ.સીક્રેટ એજન્સી અને ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ સી.પી.અજય તોમરે મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી.
  • મોટેરા સ્ટેડિયમમાં ડોગ સ્ક્વોડ સાથે ચેકિંગ હાથ ધરાયું.
  • ટ્રમ્પના આગમન પહેલા અમદાવાદ આવનારી તમામ ફ્લાઇટને 3 કલાક સુધી અટકાવી રાખવામાં આવશે.
  • અમેરિકન એરફોર્સના હર્ક્યુલસ વિમાનમાં કાફલા વાહનો, ફાયર સેફ્ટી સિસ્ટમ્સ અને જાસૂસ કેમેરા જેવી વસ્તુઓ શામેલ છે.
  • 200 અમેરિકન સુરક્ષા કર્મીઓ કરશે ટ્રમ્પની સુરક્ષા.
  • સમગ્ર રૂટ પર ૨૦૦ સીસીટીવી કેમેરા અને NSG અને SPG ના અલગ ડ્રોન કેમેરાની નજર રહેશે.
  • સિક્રેટ સર્વિસ અને IB હાજર રહેશે. તો SPG, NSG અને ગુજરાત પોલીસ ખડેપગે રહેશે.
  • એર સુરક્ષા માટે જેટ એરફોર્સ 1 ઉપરાંત 6 વિમાનો રહેશે. તેમજ અલગ અલગ હેલીકોપ્ટર, કાર અને કાર્ગો પણ હશે.
  • ટ્રમ્પ અને મોદીના વિશાળ રોડ શોમાં ભાગ લેવા નાગરિકોએ પોલીસ પાસેથી અધિકૃત આઇકાર્ડ મેળવવું ફરજીયાત.
  • પોલીસના અધિકૃત આઇકાર્ડ વિના કોઇપણ નાગરિકને રૂટના માર્ગો પર એન્ટ્રી મળશે નહી.

 

 

આર્મીના ઇતિહાસમાં સૌ પ્રથમ લેફ્ટેનન્ટ જનરલના પદે પતિ-પત્નિ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર સરકારના મહારાષ્ટ્ર ઇન્ફોર્મેશન સેન્ટરે સત્તાવાર રીતે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે માધુરી કાનિટકરને એએફએમસીના ડીનથી પ્રમોશન કરીને લેફ્ટેનન્ટ જનરલ બનાવવામાં આવ્યા છે. જે આર્મીના ડોક્ટરોમાં લેફ્ટેનન્ટ જનરલના સર્વોચ્ચ રેન્ક મેળવનાર સૌપ્રથમ પિડિયાટ્રિશિયન છે. તેઓ પ્રાઇમ મિનિસ્ટર્સ સાયન્સ ટેક્નોલોજી ઇન્નોવેશન એડવાઇઝરી કમિટીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ડોક્ટર છે.

તેમના પતિ જયેશ જી કિષ્ણાએ પણ ટ્વીટ કરીને જનરલ માધુરી કાનિટકરને અભિનંદન આપ્યાં હતાં. તેમના પતિ રાજીવ લેફ્ટેનન્ટ જનરલ છે. દેશના ઇતિહાસમાં  આ સૌપ્રથમ વાર છે કે પતિ-પત્ની –બંને આર્મીમાં ફરજ બજાવતાં લેફ્ટેનન્ટ જનરલના પદે પહોંચ્યા હોય.

ભારતીય સેનામાં મહિલા અધિકારોને મામલે હાલમાં જ સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ અજય રસ્તોગીની ખંડપીઠે આર્મીમાં મહિલાને સમાન દરજ્જો આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે સરકારના વલણને નકારી કાઢતાં પુરષ અધિકારીઓને મહિલા અધિકારીઓને એકસમાન દરજ્જો આપવાનો આદેશ આપ્યો હતો.

સર્વોચ્ચ કોર્ટે તમામ મહિલા અધિકારીઓને જે હાલ પરંપરાગત પુરુષો માટે જ પદો માટે અનામત રખાતા હતા એ પદો પર મહિલાઓને પણ સમાન પદો આપવાના નિર્દેશ આપ્યા હતા.

 

કોરોના વાઈરસ હવે ચીનમાં નિયંત્રણમાં આવી ગયો છેઃ ચીની રાજદૂતનો દાવો

નવી દિલ્હી – ભારત સ્થિત ચીનના રાજદૂત સૂન વેઈદોંગે એવો દાવો કર્યો છે કે એમના દેશમાં કોરોના વાઈરસનો ફેલાવો હવે નિયંત્રણમાં આવી ગયો છે.

આ સંકટના સમયમાં ચીનની પડખે રહેવાની ભારત સરકારે બતાવેલી તૈયારીની વેઈદોંગે સરાહના કરી હતી.

એમણે કહ્યું કે આ રોગચાળા અંગે ભારત અને ચીનના સત્તાધિશો એકબીજાના સતત સંદેશવ્યવહારમાં રહે છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચીનના પ્રમુખ શી જિનપિંગને પત્ર લખીને આ રોગચાળા અંગે દિલસોજી વ્યક્ત કરી હતી અને રોગચાળાનો સામનો કરવા માટે ચીનની સરકારે હાથ ધરેલા જોરદાર પ્રયાસોને બિરદાવ્યા પણ હતા.

વેઈદોંગે અહીં એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોના વાઈરસને કારણે આર્થિક અસર કામચલાઉ છે અને માત્ર સ્થાનિક વિસ્તાર પૂરતી સીમિત છે.

આમ કહીને વેઈદોંગે એમની સરકારે આ વાઈરસનો સામનો કરવા માટે લીધેલા પગલાંની સરસ રીતે રજૂઆત કરી હતી.

એમણે કહ્યું કે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે આ વાઈરસને કાબૂમાં લઈ લેશું. આ રોગચાળાએ ચીન તથા સમગ્ર વિશ્વ માટે મોટા પડકારો ઊભા કર્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસને કારણે ચીનમાં અત્યાર સુધીમાં 1,900 જણના મોત થઈ ચૂક્યા છે. સૌથી વધુ ખરાબ અસર હુબેઈ પ્રાંતના વુહાન શહેરમાં થઈ છે. ત્યાં એક મોટી હોસ્પિટલનાં એક ડાયરેક્ટરને પણ આ રોગ લાગુ પડતાં એમનું મૃત્યુ નિપજ્યું છે. એ પહેલાં કોરોનાએ એક ડોક્ટરનો પણ જાન લીધો હતો.

જોકે રાહતના સમાચાર એ છે કે છેલ્લા અમુક દિવસોથી કોરોનાથી મરતા લોકોની સંખ્યા ઘટી છે. તાજા આંકડા અનુસાર, છેલ્લા અમુક દિવસોમાંથી કોરોનાથી પ્રતિ દિવસ મરતા લોકોની સંખ્યામાં 31 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ રોગની શરૂઆત વુહાન શહેરમાં થઈ હતી.

બિહારમાં ચૂંટણીના ઢોલ વાગ્યાઃ મહાગઠબંધનની સીટ ફાળવણી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો પણ આવી ગયાં છે અને કેજરીવાલ સરકાર સત્તારૂઢ પણ થઈ છે. હવે બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગરમાવો આવ્યો છે. બિહાર સરકારનો કાર્યકાળ 20 નવેમ્બર, 2015થી 19 નવેમ્બર, 2020 સુધીનો છે. આમ બિહારમાં ચૂંટણીનાં નગારાં વાગવા માંડ્યા છે અને મહાગઠબંધને તો મોટા નેતાઓને સીટની ફાળવણી પણ કરી દીધી છે.મહાગઠબંધનની પત્રકાર પરિષદમાં તેજસ્વી યાદવે સીટો અને ઉમેદવારોની જાહેરાત પણ કરી દીધી છે. આરજેડીના મધેપુરાથી શરદ યાદવ અને બેગુસરાયથી તનવીર હુસેનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પાટલીપુત્રની સીટ પરથી આરજેડીએ લાલુ યાદવની પુત્રી મિસા ભારતી ચૂંટણી જંગમાં છે. પાટલીપુત્રથી ભાજપે કેન્દ્રીય પ્રધાન રામકૃપાલ યાદવ મેદાનમાં છે.

આરજેડીની સારણ સીટથી ચંદ્રિકા રાયને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ચંદ્રિકા રાય લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવના સસરા છે. વૈશાલીથી આરજેડીના રઘુવંશ પ્રસાદ સિંહ, નવાડાથી વિભા દેવી, ઝંઝારપુરથી આરજેડીના ગુલાબ યાદવ, બક્સરથી જગદાનંદ સિંહ, કટિહારથી તારિક અનવર અને સીતામઢીથી આરજેડીના અર્જુન રાય ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

સિવાનથી હીના સાહબ, મહારાજ ગંજથી રણધીર સિંહ, ભગલપુરથી બુલુ મંડલ, બાંકાથી જયપ્રકાશ, ગોપાલગંજથી સુરેન્દ્ર રામ, હાજીપુરથી શિવચંદ્ર રામ, જહાનાબાદથી સુરેન્દ્ર યાદવ, અરરિયાથી સરફરાજ આલમ, દરભંગાથી અબ્દુલ બારી સિદ્દીકીને ટિકિટ આપવામાં આવી છે.

બિહાર વિધાનસભાની કુલ બેઠકો 243 બેઠકો છે. દિલ્હીમાં હાલમાં નીતીશકુમારની યુતિ સરકાર છે. ભાજપ અને જેડીયુની સંયુક્ત સરકાર છે. બિહારની ચૂંટણીમાં દિલ્હીની આમ આદમી પાર્ટી પણ ઝુકાવવાની છે. દિલ્હી સર કર્યા બાદ આમ આદમી પાર્ટી (કેજરીવાલ)ની નજર હવે બિહાર પર છે.

 

નીતિશ કુમારે મને દિકરાની જેમ રાખ્યો: પ્રશાંત કિશોર

પટના: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરની મિત્રતા વિશે સૌ કોઈ જાણે છે. પણ આ મિત્રતામાં છેલ્લા થોડા સમયથી તિરાડ પડી ગઈ છે. બંનેના સંબધોને લઈને પ્રશાંત કિશોરે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં કિશોરે કહ્યું કે, નીતિશ કુમારે મને પુત્રની જેમ રાખ્યો. ભલે મને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોય તેમ છતાં હું તેમનું સન્માન કરું છું. પ્રશાંત કિશોરે નીતિશ કુમાર સાથે મતભેદ થવાનું કારણ પણ જણાવ્યું. સાથો સાથ નામ લીધા વગર તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું. એકબાજુ જ્યાં તેમણે બિહાર વિકાસના મુદ્દા પર નીતિશ કુમારની આલોચના કરી તો બીજીબાજુ ટ્વિટર અને ફેસબુકના ઉપયોગને લઇ નામ લીધા વગર પીએમ મોદી-અમિત શાહ પર પ્રહારો કર્યા.

પ્રશાંત કિશોરે કહ્યું કે, મને પાર્ટીમાં સામેલ કરવો અને પાર્ટીમાંથી બહાર કરવાના નિર્ણયનો હું દિલથી સ્વીકાર કરુ છું. હું એ વિષય પર કોઈ ટિપ્પણી નથી કરવા માંગતો એ તેમનો અધિકાર હતો. નીતિશ કુમાર માટે હંમેશા મારા દિલમાં આદર રહેશે. અમારી વચ્ચે બે કારણોને લઈને મતભેદ હતા.

તેમણે કહ્યું કે પ્રથમ કારણ છે વિચારધારા, નીતિશજીનું કહેવું છે કે, તે ગાંધી, જેપી અને લોહિયાને અને તેની વાતોને નહીં છોડી શકે. પણ મારા મનમાં એ મૂંઝવણ છે કે, જો તેઓ એવા વિચારતા હોય તો પછી તે ગોડસેની વિચારધારા ધરાવતા લોકો સાથે કેવી રીતે રહી શકે. ભાજપ સાથે તેમના જોડાણથી કોઈ મુશ્કેલી નથી પણ બંને વસ્તુ એક સાથે ન થઈ શકે. તેમના અને મારા વિચારો અલગ છે. ગાંધી અને ગોડસે સાથે ન ચાલી શકે.

બીજુ કારણ જણાવતા પ્રશાંત કિશોરે કહ્યું કે, ગઠબંધનમાં નીતિશ કુમારના સ્થાનને લઈને છે. નીતિશ કુમાર પહેલા પણ ભાજપની સાથે હતા અને હજી પણ છે. પણ બંનેમાં ઘણો ફર્ક છે. નીતિશ કુમાર પહેલા બિહારની શાન હતા, બિહારના લોકોના નેતા હતા. અમે લોકો સશક્ત નેતા ઈચ્છીએ છીએ, જે સમગ્ર ભારત અને બિહાર માટે પોતાની વાત કહેવા માટે કોઈના અનુયાયી ન બને. ભાજપની સાથે તેઓ આજે જે રીતે છે તેમાં જમીન-આસમાનનો ફરક છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, કેટલાક લોકોનું માનવુ છે કે, રાજકારણમાં થોડા ઘણા સમાધાન કરવા પડે. બિહારના વિકાસ માટે સમાધાન કરવું પડે તો ચલાવી લેવાઈ. મૂળ વાત તો બિહારના વિકાસની જ છે ને. પણ તમારે જોવુ પડશે કે શું આ ગઠબંધન સાથે રહીને બિહારનો વિકાસ થઈ રહ્યો છે? શું જેટલો બિહારના લોકો ઈચ્છતા હતા એટલો વિકાસ થયો છે? શું બિહારને વિશેષ રાજ્યનો દરરજો મળી ગયો? પટના યુનિવર્સિટીને સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવા માટે નીતિશ કુમારે હાથ જોડીને કહ્યું હતું પણ એના અંગે વિચારવાને બદલે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં કોઈ જવાબ પણ નથી આપ્યો.

20 વર્ષથી રાહ જોતો હતો, પણ ક્યારેય હાર ન માનીઃ સચિન

નવી દિલ્હીઃ ક્રિકેટને પ્રેમ કરતો કોઈપણ વ્યક્તિ એ સમય ન ભૂલી શકે કે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2011 માં વર્લ્ડ કપ જીત્યો હતો અને સચિન તેંડુલકરને તેમના સાથી ક્રિકેટરોએ ખભે બેસાડી ઉજવણી કરી હતી. સચિનના આ સમયને છેલ્લા 20 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આના માટે ક્રિકેટના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ અવોર્ડ 2000-2020 થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે સચિન તેંડુલકરે જણાવ્યું કે, વિશ્વ કપ જીતવો તે બાળપણનું સ્વપ્ન હતું અને આ સ્વપ્નને સાચું સાબિત કરવામાં મને 22 વર્ષની મહેનત લાગી, પરંતુ મેં ક્યારેય હાર ન માની. ભારતીય ક્રિકેટ સમર્થકોના વોટિંગથી સચિનને સૌથી વધારે વોટ મળ્યા અને તેઓ આ એવોર્ડ જીતી ગયા.   

એવોર્ડ મળ્યા બાદ આપેલી સ્પીચમાં સૌથી પહેલા તો સચિન તેંડુલકરે તેમને વોટ આપનારા લોકો અને ત્યાં કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ધન્યવાદ આપ્યા. તેમણે કહ્યું કે, કેટલીક એવી ક્ષણો હોય છે કે જ્યારે આખો દેશ સાથે ઉજવણી કરે છે અને લોકોના અલગ-અલગ મત નથી હોતા. આ જ તાકાત છે ક્રિકેટની કે જે લોકોને એકસાથે લાવે છે.

જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, વારંવાર વર્લ્ડ કપ નહી જીતી શક્યા બાદ સફળતા પ્રાપ્ત થવા પર આપને કેવું લાગ્યું? ત્યારે સચિને પોતાના દિલની વાત કહી. સચિને જણાવ્યું કે મારી ક્રિકેટની યાત્રા 1983 માં શરુ થઈ હતી. તે સમયે જ્યારે ભારતે વર્લ્ડ કપ જીત્યો તો મને આનું મહત્વ સમજાયું નહોતું. દરેક વ્યક્તિ ખુશીઓ મનાવી રહ્યા હતા તો પછી હું પણ પાર્ટીમાં જોડાઈ ગયો. પરંતુ મને ખ્યાલ નહોતો કે દેશ માટે કંઈક ખૂબ ખાસ થયું છે. હું પણ એક દિવસ આવો અનુભવ કરવા ઈચ્છતો હતો અને અહીંયાથી મારા આ સ્વપ્નની શરુઆત થઈ.

સચિને વિશ્વકપ જીત્યા બાદ તે ક્ષણને યાદ કરતા કહ્યું કે, તે મારા જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણો હતી કે જેના માટે 22 વર્ષ સુધી મહેનત કરી હતી, પરંતુ ક્યારે નિરાશ થયો નથી. મેં એ ટ્રોફી મારા દેશવાસીઓ તરફથી ઉઠાવી હતી. તેમણે પોતાની સ્પીચમાં નેલ્સન મંડેલાનો પણ ઉલ્લેખ કર્યો. સચિન મંડેલાને 19 વર્ષની ઉંમરે મળ્યા હતા.