Home Blog Page 4922

શું મધ્યપ્રદેશનું નાટક મહારાષ્ટ્રની જેમ લંબાતું જશે?

ધ્યપ્રદેશ વિધાનસભાના સત્રની શરૂઆત 16 માર્ચે થઈ ત્યારે બહુમતીના લેખાજોખા લેવાઈ જશે તેવી ધારણા હતી. તે ખોટી પડી છે અને રાજ્યપાલનું ભાષણ પૂરું થયું તે પછી સ્પીકરે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને 26 તારીખ સુધી ગૃહનું કામકાજ મોકૂફ જાહેર કરી દીધું. 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી છે અને તે દિવસે જ ખરાખરીનો ખેલ થવાનો છે. પરંતુ તે પહેલાં કમલનાથની સરકાર જ પડી જાય અને નવી ભાજપની સરકાર આવી જાય તેનો તખતો ગોઠવાયો છે. પણ તખતા પરનો ખેલ લંબાવવાની કોશિશ થઈ રહી હોય તેમ લાગે છે.

બંને બાજુના પાત્રોને ખેલ લંબાવવાની જરૂર છે એવું લાગે છે. લોકશાહીને વરેલા નાગરિકોને આ વરવું લાગી રહ્યું છે, પણ કેટલાક વિકૃત્ત મગજના લોકો પણ હોય છે, જેમને લોકશાહીના ચીરહરણનું આ નાટક લાંબું ચાલે અને વધારે મનોરંજન મળે તો વાંધો નથી. આવા લોકોના કારણે જ ચીરહરણ થાય છે. ચીરહરણ કરનારા અને ચીરહરણ રોકનારા કરતાં મોટો વર્ગ તમાશો જોનારો હોય છે.

મહારાષ્ટ્રનો તમાશો એક મહિનાથી વધુ લાંબો ચાલ્યો હતો. મધ્યપ્રદેશના તમાશાના લક્ષણો પણ કોરોના વાયરસની જેમ લાંબા ચાલશે એમ લાગે છે. કોરોના વાયરસની વાત પણ મધ્યપ્રદેશમાં વચ્ચે આવી, કેમ કે કોરોના વાયરસનો ઉપયોગ પણ રાજકીય પક્ષો રાજકીય હેતુઓ માટે કરી રહ્યા છે. કેવી રીતે? પહેલું તો એ કે મધ્યપ્રદેશના સ્પીકરને બહાનુ મળી ગયું અને તેમણે કોરોનાના કારણે એક જગ્યાએ એકઠા થવાનું ટાળવું જરૂરી છે તેવું જણાવી દીધું.
ગુજરાતમાં પણ મધ્યપ્રદેશ પાર્ટ 2 ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ કોંગ્રેસના ધારાસભ્યોએ માગણી કરી કે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તેને સમાપ્ત જાહેર કરો. આમ છતાં ગુજરાત ભાજપની સરકાર એક જ મોટા સભાગૃહમાં દોઢસોથી વધુ ધારાસભ્યો અને લગભગ એટલા જ અધિકારીઓ અને પ્રેક્ષકગેલેરીના લોકોને એકઠાં કરવામાં કશું ખોટું જોતી નથી. શાળાના એક ઓરડામાં બાળકો બેન્ચ પર નજીક નજીક ના બેસી શકે, પણ ધારાસભ્યો ગૃહની બેન્ચમાં નજીક નજીક બેસી શકે. બેસી શકે? તમે પણ વિચારો.

કોંગ્રેસના સભ્યો તો ધાર્યા પ્રમાણે વૉકઆઉટ કરીને જયપુર જતા રહ્યા અને ત્યાં વળી ટોળે વળી જ રહ્યા છે. ગૃહની અંદર કે ગૃહની બહાર ટોળે વળવાનું યોગ્ય ગણાય ખરું? તમે પણ વિચારો. વિધાનસભા કરતાંય મોટી સંખ્યામાં લોકસભા અને રાજ્યસભાના ગૃહમાં સભ્યો, અધિકારીઓ, પ્રેક્ષકો ભેગા થાય છે. તમે વિચારો કે લોકસભા અને રાજ્યસભાનું સત્ર પણ ટૂંકાવી દેવું જોઈએ કે નહિ. વક્રદૃષ્ટાઓ કહી રહ્યા છે કે મધ્યપ્રદેશની એક સરકાર કબજે કરવા ખાતર ભાજપ લોકસભા અને રાજ્યસભાના સત્રને ચાલતું રાખવા માગે છે. ગુજરાત જેવા રાજ્યમાં વિધાનસભાનું સત્ર પણ ચાલતું રાખવા માગે છે. ગુજરાતમાં તો ભાજપના જ સભ્યો પ્રશ્ન પૂછે અને ભાજપના જ પ્રધાનો સૃષ્ટુસૃષ્ટુ જવાબો આપે. પ્રજાનું કલ્યાણ થાય તેવું શું કાર્ય તેનું વિશ્લેષણ કરવું પડે. આ સવાલજવાબ એટલા બોરિંગ છે કે સમજદાર સ્પીકર પણ કંટાળ્યા અને ટકોર કરી કે શું એકસરખા સવાલો પૂછો છો.

ટૂંકમાં સવાલ એ છે કે કોરોના જેવા ચેપી રોગચાળાની બાબતમાં પણ તક મળે ત્યારે રાજકારણ નહિ છોડવાનું? આટલી હદનું રાજકારણ? તમારી સરકાર મધ્યપ્રદેશમાંથી આમ પણ જતી રહેવાની છે ત્યારે કોંગ્રેસ શા માટે નાહકની બહુમતીનો ટેસ્ટ લંબાવી રહી છે? કર્ણાટકમાં વજુભાઈ વાળાએ યેદીયુરપ્પાને લહાણી કરી આપી હતી કે જાવ પંદર દિવસે બહુમતી સાબિત કરજો. તે વખતે કોંગ્રેસના નેતાઓ અડધી રાતે સુપ્રીમ કોર્ટમાં દોડ્યા હતા. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના જ બળવાખોરોના રાજીનામાં પડી ગયાં તેને પંદર દાડા થઈ ગયા છે. હવે શાનો વિલંબ? કોરોનાનું બહાનું આ રીતે કાઢવાનું? અને કોરોનાનું બહાનુ ના ચાલે તે માટે લોકસભા, રાજ્યસભા અને ગુજરાતની વિધાનસભાના સત્રો ધરાર ચલાવવાના? જબરું કહેવાય નહિ? તમે જ જવાબ આપો.

દરમિયાન ખબર આવ્યા કે બુધવારે સવારે જ દિગ્વિજય સિંહ બેંગાલુરુ પહોંચી ગયા છે. તેઓ ત્યાં રહેલા કોંગ્રેસી ધારાસભ્યોને મળવા માટે પહોંચ્યા છે. કર્ણાટકમાંથી કોંગ્રેસના પક્ષપલટુઓને તગેડીને મુંબઈ લઈ જવામાં આવ્યા હતા ત્યારે ડી.કે. શિવકુમાર વગેરે કોંગ્રેસી નેતાઓ આ રીતે જ તેમને મળવા માટે હોટેલ પહોંચી ગયા હતા. તેમને મળવા દેવાયા નહોતા અને હોટેલની બહાર આખો દિવસ જાહેર મંચ પર તમાશો ચાલ્યો હતો. બુધવારે બેંગાલુરુમાં જાહેર રોડ પર દિગ્વિજય સિંહનો શો ચાલશે એમ લાગે છે.

શું મહારાષ્ટ્રની જેમ મધ્યપ્રદેશમાં પણ હજી ખેલ લાંબો ચાલશે? તેનો જવાબ તમે આપ્યો તે સાચો, પણ અમેય આપીએ છીએ કે હા, લાંબો ચાલશે એમ લાગે છે. કર્ણાટકનો ડ્રામા પણ એટલો જ લાંબો ચાલ્યો હતો. કર્ણાટકમાં ડ્રામા લાંબો ચાલ્યો હતો, કેમ કે યેદીયુરપ્પા ફરી સીએમ બને તેમાં ભાજપના મોવડીઓને બહુ રસ નહોતો. નારાજી પણ નહોતી અને પોતાની રીતે યેદીયુરપ્પા મેનેજ કરી લે તો કરવા દેવાનું હતું.

મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ ફરીથી સીએમ બને તે માટે ભાજપના મોવડીઓ રાજી નથી. સતત 15 વર્ષ મુખ્યપ્રધાન રહ્યા હોય, લોકપ્રિય હોય, સંઘના પણ માનીતા હોય અને ચોથી વાર મુખ્યપ્રધાન બને એટલે ભાજપના સૌથી સિનિયર મુખ્યપ્રધાન અને નેતા તેઓ બની જવાના. સિંધિયા જૂથને અલગ કરી નાખ્યા પછી ચારેક વર્ષ બાદ આવનારી ચૂંટણીમાં પણ શિવરાજસિંહ જીતી જાય અને પાંચમી વાર મુખ્યપ્રધાન બનવાનો રેકર્ડ કરે. તમે જ કહો, પોતાના જ પક્ષના કોઈ નેતાને આટલા બધા સિનિયર થવા દેવાય ખરા?

શિવરાજસિંહ સ્વંય ખાસ્સા સક્રિય થઈ ગયા છે. મોવડીઓની ઇચ્છા ના હોવા છતાં તેઓ સતત ટીવીના પરદે ચમકતા રહે છે. સિંધિયાને તોડવામાં તેમનો હાથ નહોતો, પણ તેઓ ભાજપના એક બહુ જૂના ધારાસભ્યને તોડી આવ્યા અને તેમની પત્રકાર પરિષદ કરીને ખાસ્સી સક્રિયતા દેખાડી હતી. તેઓ એવું બતાવવા માગતા હતા કે જુઓ હું જ તોડફોડ કરી રહ્યો છું અને ભાજપની સરકાર બનાવી રહ્યો છું. કમલનાથની સરકાર ગૃહમાં બહુમતી સાબિત કરે તે માટે પણ તેઓ બહુ સક્રિય થયા છે. 16 તારીખે વાત ટાળી દેવામાં આવી ત્યારે તેઓ જ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

ટૂંકમાં શિવરાજસિંહ ઉતાવળ કરી રહ્યા છે, પણ ભાજપના મોવડીઓને ઉતાવળ નથી. ભાજપના મોવડીઓને ઉતાવળ હોત તો 17 તારીખે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ તે સાથે જ નિર્ણય પણ આવી ગયો હોત કે તાત્કાલિક ફ્લોર ટેસ્ટ કરો. કેમ? કર્ણાટકમાં સુપ્રીમ કોર્ટે યોગ્ય રીતે જ નહોતું કહ્યું કે તાત્કાલિક ફ્લોર ટેસ્ટ કરો, મોડું કરવાનું નથી, શપથવિધિ કરો અને સીધો જ ટેસ્ટ કરો? સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હોત કે તાત્કાલિક બહુમતી સાબિત કરો તે ખૂબ જ વાજબી અને આવકાર્ય નિર્ણય જ રહ્યો હોત. તેમાં કોઈ ટીકાને સ્થાન ના હોય. બધા પક્ષના જવાબ માગીને 18 માર્ચે ફરીથી સુનાવણી રાખી છે તે પણ કોર્ટનો યોગ્ય નિર્ણય જ છે. સુપ્રીમ કોર્ટ 18 તારીખે હવે જે નિર્ણય આપે તેના આધારે મધ્યપ્રદેશનો મામલો આગળ વધશે. બાકી બધી શક્યતા, પણ આટલું પાકું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જ્યારે પણ મધ્યપ્રદેશમાં બહુમતી સાબિત કરવાની થશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. દરમિયાન ભોપાલમાં, બેંગાલુરુમાં અનેક અંકી નાટકના ખેલ ચાલતા રહેશે.

કોરોના: બોલીવુડ હસ્તીઓ મદદ માટે આવી આગળ

મુંબઈ:  કોરોના વાઈરસને કારણે સમગ્ર વિશ્વ લગભગ લોક ડાઉનની સ્થિતિમાં છે. આવા સમયે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તેમની બધી ફરિયાદોને ભૂલીને સાથે મળીને લડવાનું નક્કી કર્યું છે.

આખી દુનિયા કોરોના સામે ઝઝૂમી રહી છે ત્યારે બોલિવૂડ પણ તેમાંથી બાકાત નથી. આ સમયે, બોલીવૂડમાં તમામ કામ ઠપ છે અને સૌથી મોટી સમસ્યા તે લોકો બની છે જે રોજિંદા વેતન પર કામ કરે છે. જો કે, હવે ફિલ્મ ઉદ્યોગના મોટા ચહેરાઓ મદદ માટે આગળ આવ્યા છે.

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે ફિલ્મના સેટ પર રોજિંદા વેતન પર કામ કરતા જરૂરીયાતમંદ લોકોને રાશનનું વિતરણ કરશે. આ મદદ માટે બોલીવુડની અનેક હસ્તીઓ આગળ આવી છે. જેમાં સોનમ કપૂર, જાવેદ અખ્તર, મધુર ભંડારકર, સલીમ મર્ચન્ટ, સંજય ગુપ્તા, વિવેક અગ્નિહોત્રી અને કરણવીર વોહરા સહિતના ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા મદદ માટે આગળ આવ્યા છે.

અત્યારે રોજિંદા વેતન પર કામ કરતા પાંચ હજાર લોકો માટે વિતરણ સામગ્રી ઓર્ડર કરવામાં આવી છે. મુંબઈના ગોરેગાંવ વેસ્ટ સ્થિત ફિલ્મિસ્તાન સ્ટુડિયો ખાતેથી રવિવારે સવારે રાશન વિતરણ શરૂ થશે. આ ઉપરાંત નિર્માતાઓ સાથે વાત કરીને મજૂર યૂનિયનના તમામ કર્મચારીઓને રિલીફ ફંડ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

ફિલ્મ સ્ટુડિયો સેટિંગ અને એલાઈડ મજૂર યુનિયનના જનરલ સેક્રેટરી અને FWICEના ટ્રેઝરર ગંગેશ્વર શ્રીવાસ્તવે જણાવ્યું કે,  જે કામદારો પગાર પર કોઈપણ નિર્માતાને ત્યાં કામ કરી રહ્યા છે, 15 દિવસ કામ બંધ રહેશે તો તેમનો પગાર કાપવામાં નહીં આવે, સંપૂર્ણ પગાર ચૂકવવામાં આવશે.

શાહીનબાગમાં કોરોનાના ડરથી ભીડ થઇ ઓછી

નવી દિલ્હીઃ દિલ્હીના શાહીનબાગમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલું ધરણા પ્રદર્શન હજી યથાવત છે. જો કે કોરોના વાયરસના ડરથી ભીડ હવે ઓછી થવા લાગી છે. આજે બપોરે બે વાગ્યે ધરણા સ્થળ પર પ્રદર્શનકારીઓની સંખ્યા ઓછી જોવા મળી. અહીંયા કેટલીક મહિલાઓ જોવા મળી હતી. ધરણા સ્થળ પર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યાં કેટલીક મહિલાઓ બેઠી હતી. કેટલાક લોકો આજે અહીંયા માસ્ક પહેરીને પણ આવ્યા હતા. અત્યારે દિલ્હી સરકારે રાજધાનીમાં 50 થી વધારે લોકોના એકત્ર થવા પર રોક લગાવી છે. દિલ્હીમાં કોરોના વાયરસના સંકટને જોતા લોકોને ભીડ વાળી જગ્યાઓમાં ન જવા માટેની અપીલ કરવામાં આવી છે.

વિશ્વભરમાં તેજીથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના પ્રકોપથી લોકોને બચાવવા માટે સરકારે ભીડ વાળા વિસ્તારમાં ન જવાની અપીલ કરી છે. આને લઈને દિલ્હી સરકારે એડવાઈઝરી જાહેર કરીને લોકોને કોઈપણ સાર્વજનિક કાર્યક્રમ, પ્રદર્શન અથવા સેમિનારમાં 50 થી વધારે લોકોને એકત્ર ન થવાની અપીલ કરી છે. પરંતુ સરકારની આ એડવાઈઝરીની ઉપરવટ જઈને શાહીનબાગમાં પ્રદર્શનકારીઓ પ્રદર્શન તો કરી જ રહ્યા છે. કેજરીવાલ સરકાર દ્વારા એડવાઈઝરી તો ક્યારની જાહેર કરવામાં આવી છે પરંતુ તેની અસર શાહીનબાગમાં આજે થોડાઘણા અંશે જોવા મળી.

શાહીનબાગમાં સાંજના સમયે પ્રદર્શન સ્થળ પર વડીલો, મહિલાઓ, બાળકો અને પુરુષો મોટી સંખ્યામાં એકત્ર થાય છે. ત્યાં પહોંચેલી પોલીસ અને તંત્રના અધિકારીઓને પ્રદર્શનકારીઓ સાથે થોડી માથાકુટ પણ થઈ હતી. અધિકારીઓએ વાયરસના સંકટને જોતા પ્રદર્શન સમેટી લેવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, ભીડથી કોરોના વાયરસ થવાનું સંકટ વધી શકે છે. આ પ્રદર્શનકારીઓની સાથે-સાથે સામાન્ય માણસોના જીવન માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. ત્યારે આ મામલે પ્રદર્શનકારીઓ ભડકી ઉઠ્યા હતા અને કહ્યું હતું કે શાહીનબાગનું આ વિરોધ પ્રદર્શન તો ચાલુ જ રહેશે.

શું ઉત્તરાખંડ ફોર્મ્યુલાથી કમલનાથ સરકાર બચશે?

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે સામસામા રાજકીય દાવપેચ ચાલુ જ છે. કમલનાથ સરકારને બચાવવા માટે કોંગ્રેસના નેતાઓ દરેક ઉપાય અજમાવી રહ્યા છે. રાજ્યપાલ લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથને બે વાર કહ્યા છતાં ફ્લોર ટેસ્ટ નથી કરવામાં આવ્યો. વિધાનસભા સ્પીકરે કોરોના વાઇરસને લીધે વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત કરી દીધી હતી. જે મામલે ભાજપ સુપ્રીમ કોર્ટમાં ગયો છે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે કમલનાથ સરકાર અને વિધાનસભાના સચિવને નોટિસ ફટકારી હતી અને આદેશ કર્યો હતો કે આ નારાજ વિધાનસભ્યોને નોટિસની કોપી મોકલવામાં આવે. જોકે કોર્ટમાં હાલ આની સુનાવણી ચાલી રહી છે, જેમાં સુપ્રીમ કોર્ટે સ્પીકરનો ઊધડો લેતાં પણ બજેટ સત્ર ઉડાડી મૂકવા બદલ સ્પીકરને ઠમઠોર્યા હતા. વધુ સુનાવણી આવતી કાલે હાથ ધરાવાની છે. 

સરકાર બચાવવા ઉત્તરાખંડની ફોર્મ્યુલા?

મધ્ય પ્રદેશમાં સરકાર બચાવવા માટે શું ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હરીશ રાવતવાળી ફોર્મ્યુલા અપનાવવામાં આવશે? એક વાર તેમની સામે ઉત્તરાખંડના કોંગ્રેસી વિધાનસભ્યોએ બંડ પોકાર્યું હતું. ત્યારે હરીશ રાવતે બધા વિધાનસભ્યોની સભ્યતા રદ કરાવી દીધી હતી અને બાકીના બચેલા વિધાનસભ્યોને આધારે બહુમત સાબિત કરી દીધો હતો. હરીશ રાવતનું એ પણ કહેવું છે કે મધ્ય પ્રદેશનમાં કમલનાથ સરકારને કોઈ જોખમ નથી.

 રાજ્યપાલ સ્પીકરને આદેશ ના આપી શકે

ઉત્તરાખંડના બળવાખોર વિધાનસભ્યો  ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ હરીશ રાવતને પક્ષપલટુ કાયદાનો સહારો મળી ગયો હતો, પણ મધ્ય પ્રદેશમાં બળવાખોર વિધાનસભ્યો હજી ભાજપમાં જોડાયા નથી. એટલે તેમને પક્ષપલટુ કાયદો લાગુ નહીં થાય. રાજકીય દાવપેચનો ઉપયોગ કરીને મુખ્ય પ્રધાન કમલનાથ આ વિધાનસભ્યોનાં સભ્યપદો રદ કરાવી શકે છે, એ પછી આ મામલો ઉત્તરાખંડ જેવો થઈ શકે. કાયદાના નિષ્ણાતોના જણાવ્યા મુજબ રાજ્યપાલ સ્પીકરને આદેશ ના આપી શકે અને વિધાનસભામાં સ્પીકરને વિવેકથી નિર્ણય લેવાનો અધિકાર છે.

મધ્ય પ્રદેશની બેઠકોનું ગણિત

મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિધાનસભ્યોનાં રાજીનામાં પહેલાં 227 વિધાનસભ્યો (બેનું નિધન અને એક BSP વિધાનસભ્ય સસ્પેન્ડ) હતા, જેમાં કોંગ્રેસના 114 + 6  સહયોગી મળીને 120 થાય અને ભાજપ પાસે 107, પણ 21 વિધાનસભ્યોનાં રાજીનામા પછી (આમાંથી હજી સુધી છ વિધાનસભ્યોનાં રાજીનામાંનો સ્વીકાર થયો છે) કુલ વિધાનસભ્યોની સંખ્યા 206 થાય બહુમતનો નવો આંકડો 104, કોંગ્રેસી અને સહયોગીઓ મળીને 99 એટલે કે બહુમતથી પાંચ ઓછા. સામે ભાજપ પાસે 107 છે એટલે કે બહુમતથી ત્રણ વધુ. ભાજપ  અને કોંગ્રેસની લડાઈ એકમદ નજીકની છે. કોંગ્રેસી નેતા દાવા કરી રહ્યા છે કે તેમના સંપર્કમાં ભાજપના ચાર-પાંચ વિધાનસભ્યો છે તો કદાચ હરીશ રાવત કમલનાથ સરકાર બચાવવામાં સફળ થઈ જાય.

 

વિશ્વ કોરોનાથી ઝઝૂમે છે અને ઇમરાન ભીખ માગે છે…

ઇસ્લામાબાદઃ  રોમ જ્યારે ભડકે બળતું હતું ત્યારે નીરો વાંસળી વગાડતો હતો એમ ડિટ્ટો પાકિસ્તાનમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને એના કેસોમાં ઉત્તરોઉત્તર વધી રહ્યા છે અને હાલ એ અત્યાર સુધીમાં વધીને 237 થઈ ગયા છે, ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સુફિયાણી વાતો કરી રહ્યા છે. ભારત સહિત આખું વિશ્વ કોરોનો વાઇરસને વધુ ફેલાતો અટકાવવા માટે અથાગ પ્રયાસો કરી રહ્યું છે અને શહેરોનાં શહેર બંધ કરી રહ્યું છે, ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું છે કે આવું કરવું અમારા માટે શક્ય નથી. અમે શહેર બંધ નથી કરી શકતા. તેમણે અર્થતંત્રનો હવાલો આપીને કહ્યું છે કે કોરોના બચી જઈશું તો ભૂખથી મરી જઈશું.

ભૂખથી મરી જઈશું : ઇમરાન ખાન

ઇમરાન ખાને કહ્યું હતું કે પશ્ચિમી દેશોની જેમ પાકિસ્તાન મોટા પાયે શહેરો બંધ કરવાનું જોખમ ના ઉઠાવી શકીએ. તેમનું કહેવું છે કે અહીંની સ્થિતિ અમેરિકા અથવા યુરોપ જેવી નથી. અહીં 25 ટકા વસતિ ગીરીબીમાં રહે છે. જો શહેર બંધ કરવામાં આવે તો લોકો કોરોના વાઇરસથી તો બચી જશે, પણ ભૂખથી મરી જશે.જોકે પાકિસ્તાન ક્રિક્રેટ સ્ટેડિયમ, સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી બંધ કરી ચૂક્યું છે.

પાકિસ્તાન માટે કફોડી સ્થિતિ

પાકિસ્તાનને કોરોના વાઇરસથી જોખમ અન્ય દેશો કરતાં વધુ છે. એની સીમાઓથી અંદર બહાર કરવું સરળ છે. હોસ્પિટલોની હાલત ખસ્તા છે અને હાથ મિલાવવાની અને ગળે મળવાની પરંપરાનો હિસ્સો છે અને મોટાં શહેરોમાં લાખ્ખોની જનસંખ્યા અશિક્ષિત છે. દેશની હાલત પણ સારી નથી અને આ વખતે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડથી લોનની જરૂર પડ઼ી ચૂકી છે. આ વાત ઇમરાન ખાન પણ સારી રીતે જાણે છે.

IMF પાસે રાહત માગી

ખાને કહ્યું હતું કે અર્થતંત્રને ગયા વર્ષે લાભ થયો હતો, પણ કોરોના વાઇરસને કારણે એના પર દબાણ વધી ગયું હતું.ખાને IMF પાસે રાહત માગી છે. ખાને આ મુશ્કેલ સમયમાં ચીજવસ્તુઓની જમાખોરી કરવાવાળાની સામે સખત કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી છે.

અત્યાર સુધી 237 કેસ

પાકિસ્તાનમાં કોરોના વાઇરસના અત્યાર સુધી કુલ 237 કેસ સામે આવ્યા છે, જેમાં 172 સિંધ, 26 પંજાબ, બલૂચિસ્તાન 16 ખબર પખ્તુનવા, પાંચ કાશ્મીર/ ગિલગિટ-બલટિસ્તાન અને બે ઇસ્લામાબાદમાં છે.

રેસ્ટોરન્ટ્સને 31 માર્ચ સુધી બંધ રાખવાની રાષ્ટ્રીય સંગઠનની સલાહ

મુંબઈઃ નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI)એ તેની સભ્ય રેસ્ટોરન્ટ્સના માલિકોને સલાહ આપી છે કે કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં લઈને તેઓ 31 માર્ચ સુધી એમની હોટલ્સ-રેસ્ટોરન્ટ્સ, આઉટલેટ્સ બંધ રાખે. ડોમિનોઝ જેવી ચેન દ્વારા તો સલામતીના આ પગલાંનો અમલ શરૂ પણ કરી દીધો છે.

NRAI દ્વારા તેના સભ્યો જોગ એક સલાહ ઈસ્યૂ કરવામાં આવી છે જેમાં એમને 31 માર્ચ સુધી અથવા થોડાક સમય સુધી પોતપોતાની રેસ્ટોરન્ટ્સ બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે. થોડાક દિવસો પછી કોરોના વાઈરસના કેસ નોંધાવાનું બંધ થઈ જાય તે પછી રેસ્ટોરન્ટ્સ ફરી ખોલવી એમ કહેવામાં આવ્યું છે.

એક નિવેદનમાં આ સંસ્થાએ કહ્યું છે કે રેસ્ટોરન્ટ્સ બંધ રાખવાના નિર્ણયને કારણે મોટી અવળી આર્થિક અસર ઊભી થશે, પરંતુ ખાણીપીણીની પ્રવૃત્તિઓ થોડોક સમય સુધી બંધ રાખવી તે સભ્યો, એમના કર્મચારીઓ તથા ગ્રાહકોનાં બહોળા હિતમાં રહેશે.

NRAIના નિવેદનમાં જણાવ્યું છે કે દેશમાં કોરોના વાઈરસ રોગચાળાથી જે પરિસ્થિતિ સર્જાઈ છે એની પર અમારી બારીક નજર છે. આ અભૂતપૂર્વ પરિસ્થિતિ છે, જેમાં આપણે અમુક મુશ્કેલ નિર્ણયો લેવાની ફરજ પડી છે, જેની આપણા ધંધા પર મોટા પાયે અવળી અસર પડશે. પરંતુ, આપણે આપણી ટીમ્સ, આપણા મહેમાનો અને આપણા સમાજોના બહોળા હિતને ખાતર આમ કરી રહ્યા છીએ.

આ એસોસિએશનમાં દેશભરની 50 લાખથી વધારે રેસ્ટોરન્ટ્સ સામેલ થયેલી છે.

તેણે નિવેદનમાં જણાવ્યું છે કે રેસ્ટોરન્ટ્સના મોટા ભાગના કર્મચારીઓ આવવા-જવા માટે જાહેર પરિવહનના સાધનોનો ઉપયોગ કરતા હોવાથી એમને ભયાનક કોરોનાનો ચેપ લાગે અને એમનાથી ફેલાવો વધે એવું જોખમ રહેલું છે. તેથી એવું કોઈ જોખમ ટાળવાને માટે અમે સભ્યોને સલાહ આપીએ છીએ કે તેઓ થોડાક દિવસો માટે પોતપોતાની રેસ્ટોરન્ટ્સ બંધ રાખે અને આ ખતરનાક વાયરસને ફેલાતો રોકવામાં મદદરૂપ થાય.

NRAIના પ્રમુખ અનુરાગ કતિહારે કહ્યું છે કે રેસ્ટોરન્ટ્સ બંધ રાખવાનો નિર્ણય સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે અને ફરજિયાત નથી.

NRAIની સભ્ય ફર્સ્ટ ફિડલ રેસ્ટોરન્ટ્સ કંપનીના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર પ્રિયાંક સખીજાએ જણાવ્યું છે કે અમે 31 માર્ચ સુધી અમારી રેસ્ટોરન્ટ્સ બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને આવું નક્કી કરનાર ફર્સ્ટ ફિડલ ચેન દેશની પહેલી છે. અમે અમારા સ્ટાફ તથા માનવંતા ગ્રાહકોની સલામતીને ખાતર આ નિર્ણય લીધો છે.

સંસદનું સત્ર રોકવાની વાતે સાંસદોને શું કહયું મોદીએ?

નવી દિલ્હી:  કોરોના વાઈરસના ભયના કારણે સંસદની મુલતવી રાખવાની માંગણી કરતા સાંસદોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આડે હાથ લીધા. પીએમએ કહ્યું સાંસદોએ તેમની જવાબદારીઓથી ભાગવાને બદલે લોકોની મદદ કરવી જોઈએ. ઘણા લોકો ભયંકર જોખમ હોવા છતાં પણ તેમની ફરજ નિભાવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના સાંસદોને સંબોધિત કરતા કહ્યું કે, કોરોના વાયરસ વિશે જાગરૂકતા ફેલાવો. તેમણે સ્પષ્ટ કર્યું કે, સંસદના બજેટ સત્રને ટૂંકાવવામાં આવશે નહીં કારણ કે દેશ જ્યારે સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યો હોય તો સાંસદોએ પોતાનું કામ કરતા રહેવું જોઈએ. ‘હું જે સાંભળી રહ્યો છું તે યોગ્ય નથી. સાંસદોએ આ રોગચાળો સામે લડવા ખડે પગે ઉભા રહેવું જોઈએ. આપણે ભારતીય વાયુ સેના અને એર ઇન્ડિયાના ક્રૂ સભ્યો વિશે વિચારવું જોઈએ, જે કોરોના અસરગ્રસ્ત દેશોમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢી રહ્યા છે. આપણે અસરગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો અને નર્સો વિશે પણ વિચારવું જોઇએ. ગ્રાઉન્ડ સ્ટાફ વિશે વિચારો જે લોકોનો સામાન ફેરવી રહ્યા છે, જો તેઓ આ સમયે બ્રેક લેવાનું નક્કી કરે તો કેવી સ્થિતિ ઉભી થાય એની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. પીએમ મોદીએ આ બેઠકમાં કોરોના મામલે મીડિયાની ભૂમિકાના પણ વખાણ કર્યા.

મહત્વનું છે કે, સંસદનું બજેટ સત્ર 3 એપ્રિલ સુધી ચાલશે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, પીએમ મોદીએ તમામ સાંસદોને હાથ જોડીને નમસ્તે કર્યું અને તેમને તેમના લોકસભા ક્ષેત્રમાં જઈને કોરોના વાઈરસ અંગે લોકોને જાગરૂક કરવા અપીલ કરી.

શું ચીનના આ ડોક્ટરે શોધી કાઢી કોરોનાની રસી?

બેજિંગઃ ચીને કોરોના વાયરસની રસીનું મનુષ્યો પર પરીક્ષણ શરુ કર્યું છે. આ ચીનની પહેલી વેક્સિન છે કે જેને “ટર્મિનર ઓફ ઈબોલા” કહેવાતી દેશની ટોચ સૈન્ય જૈવ-યુદ્ધ વિશેષજ્ઞોની ટીમે તૈયાર કરી છે. વુહાનથી કોરોના વાયરસની શરુઆત બાદ ચીન અત્યારસુધી આ બિમારી સામે ઝઝુમી રહ્યું છે. આ વચ્ચે વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે ચીનમાં કોરોના વાયરસના ચેપનો બીજો દોર શરુ થઈ શકે છે.

એક ટોચના સંશોધક ચેન વુઈએ જાહેરાત કરી કે સરકારે તેમને આ વેક્સિનનો ટેસ્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસનો ખાત્મો કરવા માટે વેક્સિન સૌથી મોટું હથિયાર છે. તેમણે કહ્યું કે, ચીન આ પ્રકારનું હથિયાર બનાવવામાં અને દર્દીઓને બચાવવામાં સૌથી પહેલા સફળ થાય છે તો આ આપણા દેશની છબી અને વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રગતિને દર્શાવે છે.

ચેને કહ્યું કે, તેમની ટીમે આ વેક્સિનનું વિશાળ પ્રમાણમાં ઉત્પાદન કરવા માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કોરોના વાયરસની આ વેક્સિન એક મહિનાની શોધ બાદ સફળતાપૂર્વક તૈયાર કરી લેવામાં આવી છે. આમાં ઈબોલાની રસીઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. ચીનની સરકારી મીડિયા અનુસાર આ એ જ ચેન છે કે જેમણે વર્ષ 2003 માં સાર્સના ફેલાવા બાદ મેડિકલ સ્પ્રે બનાવ્યો હતો. આ સ્પ્રે દ્વારા 14 હજાર મેડિકલ વર્કર્સના જીવ બચાવવામાં આવ્યા હતા.

છૂપા દુશ્મન સામે જીતી જઇશુંઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસની સામે લડાઈ જીતી જવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે દુનિયાઆખી કોવિડ-19ની એક અદ્રશ્ય સેના સામે યુદ્ધ લડી રહી છે. ટ્રમ્પે કહ્યું હતું કે આ દેશ આ વાઇરસની સામેની લડાઈમાં દરેક ઉપલબ્ધ સંસાધનનો ઉપયોગ કરી રહી છે. અમેરિકામાં અત્યાર સુધી 105 લોકોનાં મોત થયાં છે અને વિશ્વમાં 7,000થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

વિશ્વ એક છુપાયેલા દુશ્મન સાથે યુદ્ધ

ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે વિશ્વ એક છૂપા દુશ્મન સાથે યુદ્ધ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આપણે આનાથી છુટકારો મેળવવો પડશે. આપણે યોગ્ય રીતે અને ત્વરિત આ યુદ્ધ જીતવું જરૂરી છે. આપણે એરલાઇન્સ ઉદ્ગને મદદ કરવી પડશે. આ તેમની ભૂલ નથી.

આરોપ-પ્રતિ આરોપનો સમય આ નથી

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમનું વહીવટી તંત્ર આ દુશ્મનને માત આપશે. તેઓ અમેરિકાના વિદેશપ્રધાન  માઇક પોમ્પિઓએ ચીન પર આરોપ લગાવતાં કહ્યું હતું કે એ કોરોના વાઇરસના સંબંધમાં પોતાની જવાબદારીથી ધ્યાન હટાવવા માટે દુષ્પ્રચાર અભિયાન ચલાવી રહ્યું છે. પોમ્પિઓએ પણ પત્રકારોને કહ્યું હતું કે આ આરોપ-પ્રત્યારોપનો સમય નથી. અત્યારે આ વૈશ્વિક રોગચાળાને રોકવા માટે અને વધુ ફેલાતો અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરવું પડશે. તેમણે કહ્યું હતું કે હાલ પૂરતું તમે તમારો સમય ઘરમાં વિતાવો અને આ સમસ્યાથી આપણે છુટકારો મેળવવો પડશે અને સામાન્ય જનજીવનને પાટે ચઢાવવું પડશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

હવે ભણશે ગુજરાત ટીવી ચેનલના માધ્યમથી

ગાંધીનગરઃ સમગ્ર વિશ્વમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે સાવચેતીના ભાગરૂપે ગુજરાતમાં સ્કુલ-કોલેજો 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે, હજુ સુધી ગુજરાતમાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં એ હેતુસર એક નિર્ણય કર્યો છે. જે હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓને પ્રાદેશિક ટીવી ચેનલ્સના માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવશે. રાજ્યના ધોરણ 7થી 9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન-પૂનરાવર્તન જે તે વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી પ્રાદેશિક ચેનલ્સના માધ્યમથી કરાવવામાં આવશે.

19મી માર્ચથી વિદ્યાર્થીઓ ઘર બેઠા ટીવી ચેનલ્સના માધ્યમથી વિષયનો રિવિઝન અને અભ્યાસ કરી શકશે. 19 માર્ચથી દરરોજ એક-એક કલાકનું ઓનલાઇન શિક્ષણ ટી.વી ચેનલ્સ દ્વારા અપાશે. ધોરણ-7થી 9 માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે. ધોરણ-11માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાત શિક્ષકો કરાવશે.