શાહીનબાગમાં કોરોનાના ડરથી ભીડ થઇ ઓછી

નવી દિલ્હીઃ દિલ્હીના શાહીનબાગમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલું ધરણા પ્રદર્શન હજી યથાવત છે. જો કે કોરોના વાયરસના ડરથી ભીડ હવે ઓછી થવા લાગી છે. આજે બપોરે બે વાગ્યે ધરણા સ્થળ પર પ્રદર્શનકારીઓની સંખ્યા ઓછી જોવા મળી. અહીંયા કેટલીક મહિલાઓ જોવા મળી હતી. ધરણા સ્થળ પર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યાં કેટલીક મહિલાઓ બેઠી હતી. કેટલાક લોકો આજે અહીંયા માસ્ક પહેરીને પણ આવ્યા હતા. અત્યારે દિલ્હી સરકારે રાજધાનીમાં 50 થી વધારે લોકોના એકત્ર થવા પર રોક લગાવી છે. દિલ્હીમાં કોરોના વાયરસના સંકટને જોતા લોકોને ભીડ વાળી જગ્યાઓમાં ન જવા માટેની અપીલ કરવામાં આવી છે.

વિશ્વભરમાં તેજીથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના પ્રકોપથી લોકોને બચાવવા માટે સરકારે ભીડ વાળા વિસ્તારમાં ન જવાની અપીલ કરી છે. આને લઈને દિલ્હી સરકારે એડવાઈઝરી જાહેર કરીને લોકોને કોઈપણ સાર્વજનિક કાર્યક્રમ, પ્રદર્શન અથવા સેમિનારમાં 50 થી વધારે લોકોને એકત્ર ન થવાની અપીલ કરી છે. પરંતુ સરકારની આ એડવાઈઝરીની ઉપરવટ જઈને શાહીનબાગમાં પ્રદર્શનકારીઓ પ્રદર્શન તો કરી જ રહ્યા છે. કેજરીવાલ સરકાર દ્વારા એડવાઈઝરી તો ક્યારની જાહેર કરવામાં આવી છે પરંતુ તેની અસર શાહીનબાગમાં આજે થોડાઘણા અંશે જોવા મળી.

શાહીનબાગમાં સાંજના સમયે પ્રદર્શન સ્થળ પર વડીલો, મહિલાઓ, બાળકો અને પુરુષો મોટી સંખ્યામાં એકત્ર થાય છે. ત્યાં પહોંચેલી પોલીસ અને તંત્રના અધિકારીઓને પ્રદર્શનકારીઓ સાથે થોડી માથાકુટ પણ થઈ હતી. અધિકારીઓએ વાયરસના સંકટને જોતા પ્રદર્શન સમેટી લેવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, ભીડથી કોરોના વાયરસ થવાનું સંકટ વધી શકે છે. આ પ્રદર્શનકારીઓની સાથે-સાથે સામાન્ય માણસોના જીવન માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. ત્યારે આ મામલે પ્રદર્શનકારીઓ ભડકી ઉઠ્યા હતા અને કહ્યું હતું કે શાહીનબાગનું આ વિરોધ પ્રદર્શન તો ચાલુ જ રહેશે.