Home Blog Page 4901

કોરોનાના સંકટ વચ્ચે પુણેથી રાહતના સમાચાર

પુણેઃ મહારાષ્ટ્રમાં એક તરફ જ્યાં કોરોના વાયરસના કેસો સતત વધતા ચિંતાનો વિષય બન્યા છે. ત્યાં જ પૂણેમાં સારવાર બાદ સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો રાહતના સમાચાર લઈને આવ્યો છે. પુણે એકમાત્ર એવો જિલ્લો છે કે જ્યાં અત્યારસુધી કોરોના વાયરસના 10 જેટલા દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.

પુણે નગર નિગમના સ્વાસ્થ્ય વિભાગના ડોક્ટર રાજેન્દ્ર હુંકારે જણાવ્યું કે, નાયડુ હોસ્પિટલમાં ભરતી થયેલા કોરોના વાયરસના બે વધારે દર્દીઓનું રિપીટ સેમ્પલ નેગેટિવ આવ્યું છે. બંન્નેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ પુણે જિલ્લામાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 32 થઈ ચૂકી છે, જેમાંથી 10 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ પહેલા પૂણેના પિંપરી ચિંચવાડ નિગમના કમિશ્નર શ્રવણ હાર્દિકરે જણાવ્યું હતું કે 3 લોકોના રિપીટ સેમ્પલમાં કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આજે ત્રણેય લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે બે અન્ય મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસની ઝપેટમાં આવીને જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના વાયરસના મામલાઓની સંખ્યા 127 થઈ ગઈ છે.

દેશમાં તમામ ડોમેસ્ટિક, ખાનગી વિમાન સેવા 14 એપ્રિલ સુધી સસ્પેન્ડ

નવી દિલ્હીઃ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે જાહેર કરેલા દેશવ્યાપી લોકડાઉન દરમિયાન તમામ ડોમેસ્ટિક, નોન-શેડ્યૂલ અને ખાનગી ફ્લાઈટ્સનું સસ્પેન્શન 14 એપ્રિલ સુધી લંબાવી દીધું છે.

તમામ આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સ 14 એપ્રિલ સુધી સસ્પેન્ડ રહેશે એવી ડીજીસીએની જાહેરાતના એક દિવસ બાદ આજે આ નવી જાહેરાત આવી છે.

ડીજીસીએ એજન્સીએ એક સર્ક્યૂલરમાં જણાવ્યું છે કે ભારતમાં શેડ્યૂલ, નોન-શેડ્યૂલ અને ખાનગી વિમાન સેવાનું સંચાલન કરતા તમામ ડોમેસ્ટિક એર ઓપરેટરો માટેનું સસ્પેન્શન 14 એપ્રિલ, રાતે 11.59 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યું છે.

સર્ક્યૂલરમાં જણાવાયું છે કે, અમે એવો નિર્ણય લીધો છે કે તમામ શેડ્યૂલ્ડ ઈન્ટરનેશનલ કમર્શિયલ પેસેન્જર વિમાન સેવા તો 14 એપ્રિલ, 2020ના સાંજે 6.30 વાગ્યા સુધી બંધ રહેશે. તે છતાં આ નિયંત્રણ ડીજીસીએ દ્વારા માન્યતાપ્રાપ્ત તમામ ઈન્ટરનેશનલ કાર્ગો વિમાન સેવા તથા ફ્લાઈટ્સને લાગુ નહીં પડે.

આને પગલે એર ઈન્ડિયાએ ટ્વીટ કર્યું હતું કે એર ઈન્ડિયાની તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ વિમાન સેવા 14 એપ્રિલ, 2020 સુધી રદબાતલ રહેશે.

કોરોના સામે લડવા સચિન મેદાનમાંઃ આર્થિક મદદની જાહેરાત

મુંબઈઃ દિગ્ગજ ક્રિકેટર સચિન તેન્ડુલકરે કોરોના વાઇરસ સામેની લડાઈમાં રૂ. 50 લાખની રકમ દાનમાં આપવાની જાહેરાત કરી હતી. પાછલા ઘણા દિવસોથી ક્રિકેટપ્રેમીઓમાં અને સામાન્ય લોકો અને સોશિયલ મિડિયામાં ચર્ચા ચાલી રહી હતી કે કરોડો-અબજો રૂપિયા કમાનારા ક્રિકેટરો, ફિલ્મ અભિનેતાઓ-અભિનેત્રીઓ, રાજકારણીઓએ કોરોનાના પ્રકોપ સામે ડોનેશન કેમ જાહેર નથી કર્યાં. જોકે મોડે-મોડે પણ સચિન તેન્ડુલકરે બધાને સંદેશ મોકલ્યો છે.

સચિનની દાનની રકમ સ્પોર્ટ્સ ક્ષેત્રે સૌથી વધુ

ભારતીય સ્પોર્ટ્સ હસ્તીઓ દ્વારા કોરોનાની સામેની લડાઈમાં સચિન તેન્ડુલકરની ડોનેશનની રકમ સૌથી વધુ છે. આ જાહેરાત અંતર્ગત સચિન રૂ. 25-25 લાખની રકમ વડા પ્રધાન રાહત ફંડ અને મુખ્ય પ્રધાન ફંડમાં આપશે. તેમના નિર્ણય વિશે માહિતી સૂત્રે જણાવતાં કહ્યું હતું કે સચિન બંને ફંડોમાં તેમનો ફાળો આપવા ઇચ્છતા હતા.

સચિન હંમેશાં ચેરિટી કામોથી જોડીયેલા રહે છે અને કેટલાય પ્રસંગોએ તેણે સામાજિક કાર્યોમાં આર્થિક યોગદાન આપ્યું છે. જોકે સચિનને હંમેશા સામાજિક કાર્યોનું શ્રેય લેવાનું પસંદ નથી. સચિન પહેલાં પઠાણબંધુઓ, પહેલવાન બજરંગ પૂનિયા સહિત અનેય ખેલાડીઓએ પોતપોતાના હિસામે રકમ દાન કરવાની જાહેરાત કરી છે.

સેલિબ્રિટીઝ દાન આપવામાં હજી પાછા પડે છે

વિશ્વઆખું કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યું છે. આ રોગ 195 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિકસિત દેશ  અમેરિકામાં અનેક વેપારજગત અને હોલિવુડની અનેક હસ્તીઓએ દાનનો ધોધ વહેડાવ્યો છે, ત્યારે સોશિયલ મિડિયા પર જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે આપણા ક્રિકેટ જગતના ખેલાડીઓ, બોલિવુડ કે પછી ઉદ્યોગજગત, રાજકારણીઓ, રાજકીય પક્ષો કે દેશભરમાં આવેલાં મંદિરો દાનની જાહેરાત કરવામાં આટલા ઊણા કેમ ઊતરે છે અથવા તો તેમની પાસેના કરોડો રૂપિયા હોવા છતાં તુચ્છ રકમ કેમ આપે છે?

આશા રાખીએ કે સચિનની જેમ અનેક હસ્તીઓ દાન આપવામાં પાછળ નહીં પડે.

 

 

 

જીવનું જોખમ છે ને એ નિકાહ પઢવા નીકળ્યા…

દેશમાં કોરોના વાઇરસના કેસમાં પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે. કોરાના ચેપગ્રસ્તોની સંખ્યા કુલ 724 થઈ ગઈ છે. આજે દેશઆખામાંથી 30 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કોરોના વાઇરસને કારણે 17 લોકોનાં મોત થયાં છે. દેશ આખામાં સંપૂર્ણ લોકડાઉન છે. વડા પ્રધાન મોદીએ સૌ દેશવાસીઓને ઘરે રહેવાના નિર્દેશ આપ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ કરવા કહ્યું છે. કોરોના વાઇરસના રોગચાળાને લીધે કેટલાય લોકોએ પોતાનાં લગ્ન રદ કરી દીધાં છે, પણ કેટલાક લોકો લોકડાઉનનું સતત ઉલ્લંઘન કરી રહ્યા છે. જેથી પોલીસે કડક કાર્યવાહી કરવી પડે છે.

પોલીસ મંજૂરી વિના નિકાહ કરવા જાન કાઢી, પોલીસે કરી ધરપકડ

ઉત્તરાખંડમાં લોકડાઉન દરમ્યાન વગર મંજૂરીએ લગ્નની જાન તો કાઢી, પરંતુ પોલીલે કાજી અને વર સહિત આઠ લોકોની ધરપકડ કરી લીધા હતા. તેમણે પોલીસ પાસેથી મંજૂરી નહોતી લીધી અને નિકાહ (લગ્ન) કરી રહ્યા હતા. પોલીસે કાર્યવાહી કરતાં કાજી અને વરને પોલીસ સ્ટેશને પકડીને લઈ આવી.

પોલીસ અધિકારીએ કહ્યું કે જ્યાં નિકાહ થઈ રહ્યા હતા. ત્યાંથી આઠ લોકોને અલગ રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આ સંવેદનશીલ બાબત છે. તેમણે નિકાહ માટે કે જાન કાઢવા માટે મંજૂરી પણ નહોતી માગી.

કોરોનાના જોખમને જોતાં બુધવારથી દેશઆખામાં સંપૂર્ણ લોકડાઉન છે. સરકારે પણ આ લોકડાઉન માટે રૂ. 1.7 લાખ કરોડની PM ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ પણ ગરીબ, નિમ્ન વર્ગ, મહિલાઓ, જરૂરિયાત વર્ગ, દિવ્યાંગો સહિત બધા વર્ગોને રાહત આપવા માટે જાહેર કરવામાં આવ્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે સરકારના પ્રયાસો છે કે કોઈ પણ ગરીબ ભખ્યો ના રહે. આ સિવાય સરકારે લોકડાઉનમાં અસરગ્રસ્તો માટે અનેક જાહેરાતો કરી હતી.

ટ્વિટર પર માનવતાનો ટહુકો થયો ને…

અમદાવાદ: આફત, એ પછી કુદરતી હોય કે માનવસર્જિત, હંમેશા માનવતાના મૂલ્યોને કસોટીની એરણે મૂકે છે. આવા સમયમાં માનવીય વર્તનના બન્ને સ્વરૂપ જોવા મળે છેઃ સારા અને નરસા.

આપણે ભૂતકાળમાં પણ આ જોયું છે. પ્લેગ હોય કે વાવાઝોડું, કચ્છનો ભીષણ ધરતીકંપ હોય કે કોમી રમખાણો, નરસા ઉદાહરણોના વચ્ચે, કપરામાં કપરા સમયમાં પણ કેટલાક એવા સુખદ અપવાદો જોવા મળે છે, જેમાં એક માણસ નાત-જાત-રાગ-દ્વૈષ એ બધું ભૂલીને બીજા માણસને મદદ કરવા નીકળી પડે છે.

આવું જ એક ઉત્તમ ઉદાહરણ હમણાં અમદાવાદમાં જોવા મળ્યું. થયું એવું કે, સમાજ માટે નિસબત ધરાવતા અમદાવાદના કેટલાક યુવાન મિત્રો કુમાર મનીષ, માધીશ પરીખ, નદીમ જાફરી, રાકેશ ગોસ્વામી, રિતેશ શર્મા અને અમદાવાદ ગ્લોબલ શેપર્સ નામના સંગઠનના કેટલાક વોલન્ટીઅર્સ મિત્રોનું એક ગ્રુપ છે. આ ગ્રુપ સોશિયલ મિડીયામાં પણ ખાસ્સું એવું સક્રિય. સોશિયલ મિડીયાની આ એક એવી કમ્યુનિટી છે, જે આ મિડીયાના ઉપયોગથી સમાજમાં કાંઇક સારૂં થાય એ માટે સતત પ્રયત્નશીલ હોય છે.

આ મિત્રોને વિચાર આવ્યો કે, એકવીસ દિવસના આ લોકડાઉન સમયમાં જે લોકો ખાધેપીધે સુખી-સંપન્ન છે એમને તો વાંધો નહીં આવે, પણ રોજનું લાવીને રોજ ખાનારા ગરીબ-મજદૂર વર્ગનું શું? કામધંધા તો ઠપ્પ છે એટલે આવકનો તો સવાલ જ નથી. આ વર્ગ બિચારો જશે ક્યાં? એમણે તો કોરોના અને ભૂખ એમ બન્ને મોરચે લડવાનું હતું…

એમના માટે આ યુવાનોએ સોશિયલ મિડીયામાં એક નવો મોરચો ખોલ્યો- ક્રાઉડ ફંડીગનો. #Ahmedabadfightscorona નામે હેશટેગ ક્રિએટ કરીને એમણે ટ્વિટર પર લોકોને ડોનેશન આપવા માટે અપીલ કરી. જોતજોતામાં ટ્વિટર પર આ મેસેજ વાઇરલ થયો અને ડોનેશન આવવાનું શરૂ થયું. કુમાર મનીષ ચિત્રલેખા.કોમ ને કહે છે એમ, ‘ફક્ત 48 કલાકમાં જ એમની પાસે રૂપિયા 1.35 લાખનું ફંડ એકત્રિત થઇ ગયું. આ ડોનેશન ઇન્કમટેક્સની કલમ 80-G હેઠળ કરમુક્તિને પણ પાત્ર છે.’

આ બધા જ મિત્રો વળી પાછા કોઇક ને કોઇક સ્વયંસેવી એટલે વોલન્ટીઅર્સ ગ્રુપ સાથે ય જોડાએલા છે એટલે જોતજોતામાં આવા સેવાભાવી સ્વયંસેવકોની ટીમ ય તૈયાર થઇ ગઇ. અમદાવાદ શહેર અને નજીકના વિસ્તારોમાં ક્યાંયથી પણ મેસેજ આવે કે, આ જગ્યાએ કોઇ પરિવારને રાશનની જરૂર છે તો તરત જ નજીકના સ્થળેથી એમને રાશન અથવા તો તૈયાર ફૂડ પહોંચી જાય.

પછી તો બસ, ટ્વિટર પર જેમ જેમ વાત ફેલાતી ગઇ એમઃ લોગ જુડતે ગયે, કારવાં બનતા ગયા…

જો કોઇ એમાં પોતાનો ફાળો આપવા માગતા હોય તો આ લિન્કનો ઉપયોગ કરી શકે છેઃ

www.bit.ly/helpahmedabad

PayTM: 9016558924

Paypal: connect@madhish.com

વેલ, ટ્વિટર જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મનો આ રીતે ઉપયોગ પણ થઇ શકે એ વાત તો આ ઉદાહરણમાંથી શીખી જ શકાય છે, સાથે સાથે આ મિત્રો અને મુશ્કેલીના સમયમાં આવા જરૂરિયાતમંદોને મદદ કરતા એમના જેવા બીજા અનેક લોકો એ વાત પણ પૂરવાર કરે છે કે, આફતના સમયમાં એક માણસ બીજા માણસને કોઇપણ સ્વાર્થ વિના મદદ કરે એનાથી ઉત્તમ માનવીય ઘટના બીજી કોઇ ન હોઇ શકે.

તમે કહો છો એ લોકડાઉન ક્યાં છે? અહીં તો નથી જ!

લોકડાઉનના આ સમયગાળામાં પણ ગુજરાતમાં શહેરોમાંથી ગામડામાં અને પરપ્રાંતીયોની વતન તરફની હિજરત શરૂ થઇ ચૂકી છે.

ચિત્રલેખા ના સુરતના પ્રતિનિધિ ફયસલ બકીલી આ પરિસ્થિતિમાં સુરત શહેરથી કામરેજના રસ્તે મુસાફરી કરીને એનો જે ચિતાર વર્ણવે છે એ ઘણું બધું કહી જાય છે…. 

————————————————————

સુરત : લોકડાઉન પછી સુરત શહેરમાં તો કરફ્યુ જેવી જ સ્થિતિ જ છે. દરેક નાકે પોલીસ છે અને રસ્તા ઉપર આવશ્યક સેવાના વાહનો અને સેવામાં જોડાયેલા લોકોની સેવા કરવા નીકળેલા સમાજ સેવકો છે. મજૂર કે ભિખારી ફૂટપાથ કે બ્રિજની નીચે રહેતા નિરાધારો ભૂખ્યા સૂઈ ન જાય તેની ચિંતા કરતા લોકો સતત ફરતા રહે છે, પણ શહેરમાં નીરવ શાંતિ છે, અજંપાભરી શાંતિ.

પણ જેવા તમે સુરતના જ એક બીજા ખૂણામાં પહોંચો તો આ જ નીરવ શાંતિ એક અલગ જ પ્રકારના અજંપા અને કોલાહલમાં બદલાઈ જાય છે. આ વિસ્તાર છે વરાછા રોડનો. મહત્તમ સૌરાષ્ટ્રવાસીઓના આ વિસ્તારમાં રસ્તાની એક તરફ લોકો સતત ચાલી રહ્યા છે. કામરેજ તરફ જતા લગભગ 15 કિલોમીટર લાંબા આ માર્ગ ઉપર લોકોનું કિડિયારું ઉમટયું છે જાણે.

હ્યદયને હચમચાવી દે એવા દ્રશ્યો છે. આખે આખા પરિવાર પગપાળા ચાલે છે. માથે સામાન છે, કોખમાં બાળક છે ને વાટ વતનની છે. રસ્તામાં સેવાભાવી લોકો આ પદયાત્રીઓને પાણીની બોટલ આપે છે, નાસ્તો ય આપે છે. સખત ગરમી છે એટલે નાના વરાછાના મુસ્લિમો લીંબુ સરબત પીવડાવે છે. આવું આખા રસ્તે છે, નેશનલ હાઇવે ઉપર પણ. સુરતની અંદર વરાછા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સ્ટાફ રસ્તે ચાલતા લોકોને જે વાહન મળે તેમાં બેસાડી કામરેજ પહોંચાડવામાં મદદ કરે છે. લોકોને નાકે ભેગા કરીને ચાલતા ન જવા પણ તાકીદય કરે છે, પણ લોકો રોકાતા નથી. એમણે તો ચાલીને કામરેજ પહોંચવું છે.

કામરેજ જ કેમ?

કામરેજ એ નેશનલ હાઇવે પર આવેલું સુરતનું પ્રવેશદ્વાર છે. ચાલતા જનારા લોકોને આશા છે કે એ કામરેજ પહોંચશે તો એમને કોઈ ને કોઈ વાહન એમના વતન જવા માટે મળી રહેશે. આ વતન એટલે મોટાભાગે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત. કોઈને સૌરાષ્ટ્રના અમરેલી કે ભાવનગર જવું છે તો કોઈ દાહોદનું છે એને દાહોદ તરફ જવું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ કે બિહારના લોકો પણ એમાં છે. બધા એક જ આશા અને આસમાં કામરેજ પહોંચી રહ્યા છે કે એમને ત્યાંથી કોઈ વાહન મળી રહેશે.

ના, એમને સરકારી જાહેરાત, આર્થિક પૅકેજ, વડાપ્રધાન કે મુખ્યમંત્રીની ઘરે રહેવાની અપીલ એ કશાની ખબર નથી. કાં તો એમને એના પર ભરોસો ય નથી અને એની પડી ય નથી. એમને તો ભરોસો છે વતન પર. વતનમાં વસતા પરિવાર પર. એ કોઈ વાતે અટકવા તૈયાર જ નથી. કામ બંધ છે તો ખાઈશું શું? એ ચિંતા જ એમને સતત ચાલતા રાખે છે. રસ્તામાં સેવા કરતા સેવાભાવી સમાજના લોકો એમને કેટલા દિવસ ખવડાવશે એ પણ પ્રશ્ન છે, જે એમના મનમાં સતત ઉઠે છે.

આ કાફલામાં ફક્ત ચાલીને જતા લોકો જ નથી, વરાછા રોડ ઉપર અમને મોટર સાયકલ ઉપર જતા અનેક લોકો પણ મળ્યા. આગળ પેટ્રોલની ટાંકી ઉપર બાળક બેઠું હોય, પાછળ પતિ-પત્ની વચ્ચે કે પત્નીના હાથમાં નાનું બાળક હોય. પાછળ એક બેગ બાંધી છે એટલે પ્રવાસ લાંબો છે એની ખાતરી થાય છે. આખાને આખા પરિવાર અને મિત્રો ગ્રુપ બનાવીને માદર-એ-વતન જઈ રહ્યા છે.

વળી, ચાલતા જતા શ્રમજીવી લોકોની સરખામણીએ આ બધા તો નોકરી કરીને જીવતા લોકો છે. આર્થિક સંકડામણ ય એટલી બધી નથી કે પલાયન કરવું પડે. આમ છતાં, બધા રસ્તા ઉપર આવી ગયા છે. સેંકડો બાઈક નીકળી પડી છે, સૌરાષ્ટ્ર તરફ જવા.

અમે એક ગ્રુપ સાથે વાત કરી. એ 12 પરિવાર હતા. બધા જ શિક્ષિત. નામ પૂછ્યું તો પત્રકાર છે એમ જાણીને વિગત ના આપી, પણ એ ભાઈ વ્યવસાયે વરાછા રોડની એક ખાનગી શાળાના શિક્ષક છે. પત્ની અને માત્ર બે વર્ષની બાળકીને લઈને સુરતથી બગસરા જવા, લગભગ 475 કિલોમીટરનું અતર કાપવા નીકળ્યા છે. આવા સેંકડો પરિવારો જીવ બચાવવા જીવના જોખમે હાઇવે ઉપર રાત્રિ મુસાફરી કરી રહ્યા છે. આ વાત 1994ના ‘પ્લેગ’ની યાદ અપાવે છે, જ્યારે લોકો આવી જ રીતે સુરતને છોડીને જતા રહ્યા હતા.

કામરેજ ચાર રસ્તા ઉપર પહોંચીને જે દ્રશ્યો નજર સામે આવ્યા એ સાથે તો મન ખીન્ન થઇ જાય એમ હતું. નિર્ધનો, શ્રમજીવી, ગરીબ, લાચારની લાચારી અને નિઃસહાયતા શું હોય એની ખબર ના હોય તો અહીં આવીને જોઇ લ્યો. બધું ગુમાન ઉતરી જશે. જેના ખભે ઉભા રહીને સુરત બીજા કરતા ઊંચું દેખાઈ છે, ખૂબસુરત બન્યું છે એ મજૂરોને જોનાર કે મુશ્કેલીના આ સમયમાં એમને હૂંફ આપનાર જાણે કોઈ જ નથી!

હીરા ઉદ્યોગમાં તો મહત્તમ લોકો સૌરાષ્ટ્રના છે, પણ એ સિવાય કાપડ અને બાંધકામ ઉદ્યોગ સહિતના વ્યવસાયના લોકો પણ આ રસ્તા ઉપર આવી ગયા છે. કેવી રીતે એ લોકો પહોંચશે એની ન તો એમને કોઇ ખબર છે કે ન તો કોઇ સમજ. હાઇ વે ઉપર નીકળતા દરેક વાહનને એ પૂછે છેઃ ક્યા જવાનું છે? પોતાના વતનના દિશા દેખાય એટલે ચડી જવાનું. એક બંધ ટ્રકમાં અનેક લોકો પરિવાર સાથે બેસી રહ્યા છે. મેં પૂછ્યું તો કહે મુરાદાબાદ (ઉત્તરપ્રદેશ) સુધી જશે. ખીચોખીચ ભરેલી ટ્રક. ન હવા. ન ઉજાસ. આવી રીતે એ લોકો 1300 કિલોમીટર પ્રવાસ કરશે. સાથે જેટલું ભોજન-પાણી હશે એના આધારે.

સવાલ એ છે ક્યાં છે લોકડાઉન? ક્યાં સંતાઇ ગયા છે વારે-તહેવારે સામાજિક મેળાવડાઓમાં ગાજતા સુરતના ભામાશાઓ?

લોકડાઉન, સરકાર અને આ ભામાશાઓ-આ ત્રણેયની અહીં ગેરહાજરી છે. કોઈએ એમને અટકાવ્યા જ નહીં હોય એટલે જ હાઈવે સુધી પહોંચી ગયા. ઉંચી ઈમારતો બનાવનાર મજૂરો રસ્તે છે એમને આ મૂક લોકસેવકોની રસ્તે મળતી સહાય છે, બસ. પોલીસકર્મીઓ બહુ સંયમથી આ મજબૂરોને મદદ કરી રહ્યા છે. એ રસ્તેથી પસાર થતા વાહનોને ઉભા રાખીને લોકોને બેસાડવાનું કામ કરે છે.

સ્થિતિ બહુ કફોડી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ કે લોકડાઉન અમને આ ૩૦ કીલોમીટરની યાત્રામાં જોવા ન મળ્યું. જોવા મળી તો લોકોની લાચારી અને માનવતા. આ બધામાં સરકાર તો ક્યાંય દેખાતી જ નથી. વારતહેવારે પોતાને “ભામાશા” જેવા કે એનાથી પણ મોટા દાનવીર હોવાના ગાણા મીડિયા પાસે ગાતા સમાજસેવકો તો અત્યારે જ સોશિયલ ડિસ્ટન્સિંગમાં છે. એસી ઓરડામાં પૂરાઈ ગયેલા શહેરના આ કહેવાતા ભામાશાઓમાંથી ક્યાંય કોઈ મદદ માટે આગળ આવ્યુ હોવાનું દેખાતુ નથી. એ લોકો ભૂલી ગયા છે કે લોકડાઉન પછી આ મજૂરો જ એમના માટે મજૂરી કરીને કરોડો કમાઈને આપશે. આજે એમને જરૂર છે ત્યારે જો એમને નહીં સાચવો તે એમની અને એમના પરિવારની કકડતી હોજરી એમને માફ નહીં જ કરે.

અને, આ સ્થિતિ કંઈ એકલા સુરત નજીકના હાઈવેની નથી, સમગ્ર દેશમાં છે. મજબૂરી બહુ સમાજવાદી હોય છે. બધા ગરીબો માટે એકસરખી લાગુ થાય છે. બધા માલેતુજાર, સામાજીક આગેવાનો ચૂપ છે અને એમના જ સમાજના લોકો રસ્તા ઉપર છે. અજબનો સામાજિક ખેલ છે, કરૂણા અને કરુણતાથી ભરેલો ખેલ.

 

લોકડાઉનમાં ઘરે બેઠાં ફિટનેસ તાલીમ!

અમદાવાદઃ કોરોના વાયરસ તીવ્ર ગતિએ ભારતમાં ન ફેલાય એ માટે લોકોને ઘરમાં જ રહેવા અનુરોધ કરાયો, વિનંતીઓ કરાઇ અને ક્યાંક કાયદાની કડકાઇ પણ જોવા મળી. એક તરફ ચેપી રોગનો ભય બીજી તરફ, નવરાશ અને ખાલીપો માણસોને વિચલિત કરી નાંખે છે.  જોકે આવા કપરા સમયનો ય કેટલાક લોકો યોગ્ય ઉપયોગ કરી સમય વ્યતિત કરે છે. મનની શાંતિ અને તંદુરસ્ત રહેવા મોટી સંખ્યામાં લોકો યોગા અને પ્રાણાયામ કરતા હોય છે.

સમાજનો એક વર્ગ એવો છે જે જીમમાં જાય છે, પર્સનલ જીમ ટ્રેઇનર પણ રાખે છે. વર્તમાન પરિસ્થિતિમાં જીમ અને ફિટનેસ સેન્ટરો બંધ છે. પણ તન મનને સજ્જ રાખવા કેટલાક લોકો પોતાના અંગત ફિટનેસ ટ્રેઇનર પાસેથી ઓનલાઈન માર્ગદર્શન મેળવી રહ્યા છે. વ્હોટસેપ વિડીયો કોલિંગ જેવી એપની મદદથી ટ્રેઇનરની સૂચના પ્રમાણે કસરતો કરી ફિટનેસની જાળવણી કરી રહ્યા છે.

અમદાવાદમાં છેલ્લા સાત વર્ષ કરતા વધારે સમયથી ફિટનેસ ટ્રેઇનર તરીકે કામ કરતાં સાહિબસિંહ ચિત્રલેખા. કોમ ને જણાવે છે કે, અત્યારે દિવસ દરમિયાન દસ કરતાં વધારે લોકોને વિડીયો કોલિંગ કરી ટ્રેઇનિંગ આપુ છું.  જીમ ચાલુ હોય ત્યારે, સામાન્ય દિવસોમાં મોટી સંખ્યામાં લોકોને પર્સનલ ટ્રેઇનિંગ પણ આપું છું. અત્યાકે કોરોનાની દહેશત અને સામાજિક અંતર રાખવાની પરિસ્થિતિમાં  મોબાઈલના માધ્યમથી ક્લાયન્ટસને તંદુરસ્ત રાખવા પ્રયાસ કરું છું. વિડીયો ફોન કરી મારી સૂચના અને પધ્ધતિ પ્રમાણે લોકો શરીરની માવજત કરે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

બાર કલાકમાં એકપણ કેસ નહીઃ પણ સંટક હજી ટળ્યુ નથી

અમદાવાદઃ કોરનાને લઇને અત્યારે મોટાભાગનું વિશ્વ લોકડાઉનની સ્થિતિમાં છે, ત્યારે ગુજરાત માટે થોડાક રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 12 કલાક દરમિયાન એક પણ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગઈકાલે 11 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને આ તમામ નેગેટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આજે કોરોના અંગેની વિગતો આપતા આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ વ્યક્તિઓના કમનસીબ મૃત્યુ નિપજ્યાં છે એ ત્રણેય દર્દીઓ કૉ-મોર્બીડ એટલે કે અન્ય ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અન્ય રોગોથી પીડાતી હતી. એટલું જ નહીં એ ત્રણેય દર્દીઓ મોટી વયના હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આપણા ઘરોમાં વૃદ્ધો- વડીલો હોય તેમણે વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. ઘરમાં પણ આ વડીલો ક્વૉરેન્ટાઈનમાં રહે એ વિશેષ આવકાર્ય છે.

જયંતી રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે કોરોનાના 44 પોઝિટિવ દર્દીઓ છે. જે પૈકી અમદાવાદમાં 15, સુરતમાં 7, રાજકોટમાં 5, વડોદરામાં 8, ગાંધીનગરમાં 7 અને ભાવનગર તથા કચ્છમાં એક-એક પોઝિટિવ દર્દીઓ છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના 44 પોઝિટિવ દર્દીઓ પૈકી ના 36 દર્દીઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવેલા છે, જ્યારે અન્ય 18 દર્દીઓ પૈકીના 16 દર્દીઓ એવા છે જે આ આંતરરાષ્ટ્રીય મુસાફરોના સીધા સંપર્કમાં આવ્યા હોય. બે દર્દીઓ એવા છે જેમણે આંતરરાજ્ય મુસાફરી કરી હતી. આ વ્યક્તિઓ સાથે સીધા સંપર્કમાં આવેલા તમામ લોકોની પણ કાળજી લેવામાં આવી રહી છે.

ક્વૉરેન્ટાઈન વ્યક્તિઓને 14 દિવસના ક્વૉરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ચુસ્તપણે ક્વૉરેન્ટાઈનનું કડક પાલન થાય તેવા પ્રયત્નો કરે છે. ગુજરાતમાં 20,103 લોકોને 14 દિવસના ક્વૉરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. આ પૈકીના 575 લોકો સરકારી ક્વૉરેન્ટાઈનમાં અને 19,377 લોકો હૉમ ક્વૉરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. અમુક લોકો હૉમ ક્વૉરેન્ટાઈનનો ભંગ કરે છે એવા 236 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. લોકો નિયમોનું ઉલ્લંઘન ન કરે તો આપણે કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી રાખવામાં સફળ રહી શકીશું, અને કોરોનાનો ચેપ ફેલાતો અટકાવી શકીશું.

જયંતી રવિ એ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં દસ હજારથી વધારે ફિમેલ હેલ્થ વર્કરો ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 3 કરોડ 50 લાખ 69, 926 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ગુજરાતની અડધાથી વધારે વસ્તીનો સર્વે કરીને લોકોના આરોગ્યની સાચી ચિંતા કરી છે. આ સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે, 37,885 વ્યક્તિઓએ આંતરરાજ્ય પ્રવાસો કર્યા છે, અને 8,265 જેટલી વ્યક્તિઓએ વિદેશ પ્રવાસ કર્યો છે. અત્યાર સુધીમાં 118 જેટલી વ્યક્તિઓને રોગના ચિન્હો જણાતા તેમને સર્વેલન્સમાં મુકવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાતમાં વેન્ટિલેટર અને જરૂરી દવાઓ તથા માસ્કનુનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. તેમણે લોકોને પૂરતો સહયોગ આપવા અને આરોગ્યની સંભાળ રાખતા જે કર્મચારીઓ ડોક્ટરો ફરજ બજાવે છે તેમને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.

રિઝર્વ બેંકના રિલીફ પેકેજમાં કેવી, કેટલી અને કોની માટે રાહત છે?

ત્રણ મહિનાની રાહતથી કંઈક અંશે ચોકકસ હાશકારો થશે! લડાઇ લાંબી છે,
વધુ રાહત લાવવી પડશે!


ગરીબ વર્ગ માટેના આર્થિક રાહત પેકેજ બાદ બીજા દિવસે રિઝર્વ બેંકે વ્યકિતથી લઈ વેપારઉધોગ માટે રિલીફ પેકેજ જાહેર કર્યુ છે , જેમાં લોનના હપ્તામાં , વ્યાજમાં અને પ્રવાહિતામાં રાહત અપાઈ છે. સાથે વૈશ્વિક મંદી અને ભારતની મંદીની ગંભીર ચિંતા પણ કરાઇ છે. કઠિન દિવસો છે, કપરી લડાઈ છે, સરકાર અને રિઝર્વ બેંક સક્રિય રહેશે, કિંતુ પ્રજા તરીકે દરેક વ્યકિતએ પણ પોતાનું યોગ્યવ્યવસ્થિત આર્થિક આયોજન કરવું જોઈશે

કોરોના વાઈરસ સામેની લડતને મોદી સરકાર વધુ મજબુત બનાવવાની દિશામાં એક પછી એક કદમ ભરવા માંડી છે. દેશવ્યાપી લોકડાઉન સાથે લોકોને ઘરમાં બેસાડી દઈ સામાજીક શાંતિ મેળવવાના પ્રયાસ બાદ સરકારે લોકોની આર્થિક શાંતિ માટે ઠોસ કદમ ભરવાની બાબતને ઝડપ આપી છે. ગુરુવારે નાણાં પ્રધાને 1.70 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ દેશના ગરીબ-અતિ જરૂરતમંદ વર્ગ માટે જાહેર કર્યા બાદ બીજા જ દિવસે -શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ આ લડતમાં જોડાઈ ગઈ છે. નોંધનીય વાત એ છે કે રિઝર્વ બેંકે તેના રાહત પેકેજમાં મોટાભાગની અપેક્ષા સંતોષી હોવાનું જોવા મળે છે. આપણે ગઈકાલે નાણાં પ્રધાનના ગરીબો માટેના પેકેજની ચર્ચા કરી, આજે રિઝર્વ બેંકના રિલીફ પેકેજની વાત કરીએ. આમાંથી કોને કેટલી અને કેવી રાહત મળશે સમજીએ.

રિઝર્વ બેંકે શું રાહત આપી?

શું તમારે બેંકની કે નોન-બેન્ંિકગ ફાઈનાન્સીયલ કંપનીઝ (એનબીએફસી) ની લોનનો હપ્તો (ઈએમઆઈ) ચુકવવાનો આવે છે? શું તમને બેંકની લોનના વ્યાજનો ભાર લાગે છે? શું તમને બેંક ધિરાણ મેળવવામાં કઠણાઈ નડે છે? તો હવે તમારે આ ચિંતા કમસે કમ ત્રણ મહિના માટે કરવાની નથી. અલબત્ત, વ્યાજકાપનો લાભ તો લાંબો સમય મળતો રહેશે. જયારે કે હાલ ઈએમઆઈ(લોનના હપ્તામાં) સંબંધી ત્રણ મહિનાની રાહત અપાઈ છે. વર્કિગ કેપિટલ-ટર્મ લોન બાબતે પણ રાહત મળશે. અર્થાત વ્યકિતથી લઈ કંપનીઓ સુધી કોઈપણ તેની લોનનો હપ્તો ત્રણ મહિના સુધી નહી ભરી શકે તો ચાલશે. બેંક યા એનબીએફસી તેમને કોઈ સવાલ નહીં કરે. ધિરાણ (બોરોઅર્સ) લેનાર વર્ગ માટે આ સંજોગોમાં આ મોટી રાહત ગણાય. અલબત્ત, કોવિડ-19ના સંજોગોમાં સુધારા ન થાય તો આ રાહત લંબાવાય એવું પણ બની શકે. આજે આપણા દેશમાં ઈએમઆઈ કલ્ચર વ્યાપક છે, લોકો અને વેપારી એકમો અનેક પ્રકારની લોન લઈ કામ ચલાવતા હોય છે, એવામાં રિઝર્વ બેંકની આ રાહત મોટો હાશકારો બની રહેશે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને બિન-સંગઠિત વર્ગના બોરોઅર્સ તેમ જ મંદીના દબાણ હેઠળની કંપનીઓ મોદી સરકારની આ રાહતને આવકારશે અને યાદ પણ રાખશે.

બજારમાં પ્રવાહિતા વધવાથી નાણાંની છુટ રહેશે

અત્યારસુધી યુએસએ સહિતના દેશો મોટા-મોટા રાહત પેકેજ જાહેર કરતા હતા ત્યારે ભારત આમ કયારે કરશે સવાલ સતત ઊઠતા હતા, મોદી સરકાર આના જવાબ આપવા માંડી છે. રિઝર્વ બેંકે સીઆરઆર (કેશ રિઝર્વ રેશિઓ) અને એસએલઆર (સ્ટેચ્યુટરી લિકવીડિટી રેશિઓ) માં રાહત આપીને બેંકોના હાથમાં મોટી નાણાં છુટ (પ્રવાહિતા ) આપી દીધી છે, જેથી સિસ્ટમમાં અર્થાત બજારમાં નાણાંખેંચ ની ફરિયાદ રહે નહિ. સીઆરઆર એક ટકો ઘટાડી અને એસએલઆરમાં એક ટકાનો ફેરફાર કરીને રિઝર્વ બેંકે અનુક્રમે 1.37 લાખ કરોડ રૂપિયા અને 1.37 લાખ કરોડ રૂપિયા છુટા કર્યા છે. અન્ય આવી જ રાહત મારફત પણ નાણાં છુટા કરવાનો માર્ગ આપી રિઝર્વ બેંકે સિસ્ટમમાં -માર્કેટમાં કુલ 3.74 લાખ કરોડ રૂપિયાની પ્રવાહિતા ઉપલબ્ધ બનાવી છે. સીઆરઆરની મિનિમમ દૈનિક બેલેન્સ 90 ટકાથી ઘટાડી 80 ટકા કરાઈ છે. વર્તમાન કપરાં સંજોગોને ધ્યાનમાં રાખતા આ રાહત અર્થતંત્રને સહાયરૂપ બનશે એવી આશા રાખી શકાય.

ધિરાણ પરના વ્યાજનો બોજ ઘટશે

આ ઉપરાંત રિઝર્વ બેંકે રિપો રેટમાં 75 બેસિસ (પોણો ટકો) પોઈન્ટનો ઘટાડો કરી વ્યાજદરના કાપને પણ માર્ગ આપ્યો છે, જયારે કે રિવર્સ રિપો રેટમાં 90 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી પોતાનો નાણાં ઊભા કરવાનો માર્ગ હળવો કર્યો છે. આને પગલે ખાસ કરીને ફલોટિંગ રેટવાળાઓને વધુ લાભ થશે. તેમનો વ્યાજબોજ તરત જ ઘટશે. કહેવાય છે કે આગામી દિવસોમાં જરૂર જણાશે તો વધુ રેટકટ પણ આવી શકે. જો કે આને પગલે ડિપોઝિટ પરના વ્યાજદરને અસર થશે કે કેમ એ સવાલ ઊભો છે. આ વિષયમાં રિઝર્વ બેંકે કંઈ કહયું નથી, કિંતુ બેંકો પોતે આ વિષયમાં શું કરે છે તે જોવાનું રહેશે.

રિઝર્વ બેંકની ગંભીર ચિંતા શું છે?

આ બધી રાહત વચ્ચે રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસે બે મહત્ત્વની બાબત એ કહી છે કે ભારતીય બેંકો સલામત છે, જેથી લોકોએ આ વિષયમાં ગભરાવાની જરૂર નથી. જયારે કે દાસ સાહેબે ગ્લોબલ મંદીની ચિંતા ભારે સુરમાં વ્યકત કરી છે. ભારતનો વિકાસદર નીચે આવશે અને મંદી વધુ વકરી શકે છે. આ બાબત દર્શાવે છે કે હજી કપરા સંજોગો આવી શકે છે. કોવિડ-19 તો નજીકના ભવિષ્યમાં ચાલ્યું જાય એવું બની શકે, કિંતુ અર્થંતંત્ર સામેના પડકાર-સમસ્યા લાંબો સમય ઊભા રહેશે. જેની સામે લડવા રિઝર્વ બેંકે અને સરકારે સતત સક્રિય રહેવું જોઈશે.

આવી કટોકટીલડત જોઈ નથી

દાસ સાહેબના મતે આવી કટોકટી-આવી લડત સાવ જ પ્રથમવાર જોવાઈ રહી છે. આ લડત બહુ જ અઘરી છે. રિઝર્વ બેંકે પોતે જરૂર પડશે તો વધુ રાહતદાયી કદમ માટે તૈયાર રહેવાનું આશ્વાસન આપ્યું છે. અલબત્ત, કેન્દ્ર સરકાર પણ આ કપરાં સંજોગોમાં બધું ભૂલીને આર્થિક રાહતોને વધુ પ્રાધાન્ય આપશે એવું ચોકકસ માની શકાય. અત્યારે લોક ડાઉન ભલે 14 એપ્રિલ સુધીનો ગણાતો, કિંતુ એ પછી પણ સંજોગો પડકારરૂપ રહેવાની શકયતા ઊંચી છે. આવામાં સરકારની સાથે-સાથે લોકોએ પણ પોતાનું આર્થિક આયોજન વધુ વ્યવસ્થિત કરવું જરૂરી છે. બચત અને ખર્ચ તેમ જ રોકાણના આયોજનને વધુ મહત્ત્વ આપવું દરેકના હિતમાં રહેશે. કેટલીક બાબતોમાં સરકાર કરતા પોતાની ઉપર વધુ આધાર રાખવો અને તે આધાર માટે પોતાને વધુ સક્ષમ બનાવવામાં શાણપણ રહેશે.

કઈ લોન કવર થશે?

અહીં એક બાબત નોંધવી જરૂરી છે કે રિઝર્વ બેંકે ઈએમઆઈ બાબતે બેંકોને મોરેટોરિયમની છુટ આપી છે. એટલે કે આપોઆપ બોરોઅરે ત્રણ મહિના ઈએમઆઈ ભરવાનો નહીં આવે એમ નહીં બને. એક તો, આ રકમ પછીથી તો ભરવાની છે જ, બીજું, હાલ પણ રાહત જોઈતી હશે તો જે-તે બોરોઅરે બેંકને કારણ આપવું પડશે અને પોતાની આવકને કોરોનાને કારણે અસર થઈ હોવાથી તે ઈએમઆઈ ભરી શકે એમ નથી એ બાબતે કન્વીન્સ કરવાનું રહેશે.

આ ઈએમઆઈ હેઠળ કઈ લોન કવર થશે એ વિશે પ્રાપ્ત માહિતી મુજબ હોમ લોન, શૈક્ષણિક લોન, પર્સનલ લોન, ઓટો લોન,કન્ઝયુમર ડયુરેબલ માટેની લોન વગેરેનો સમાવેશ થશે.

  • જયેશ ચિતલિયા (આર્થિક પત્રકાર)

ત્રણ મહિના લોનના હપ્તા નહીં ચૂકવી શકાય તો ચાલશે

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના પ્રકોપને જોતાં રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે લોન લેવાવાળા ગ્રાહકોને મોટી રાહત આપી છે. રિઝર્વ બેન્કે બધી બેન્કો, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC) અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓની સાથે અન્ય નાણાસંસ્થાઓની ટર્મ લોનના હપતા ત્રણ મહિના ટાળવા માટે અનુમતિ આપી છે.  આને લીધે નાના વેપારીઓ અને મધ્યમ વર્ગને રાહત મળશે. રિઝર્વ બેન્કે બધી બેન્કો, NBFC અને અન્ય નાણાકીય સંસ્થાઓને EMI પર ત્રણ મહિનાના મોરાટોરિયમની પણ અનુમતિ આપી છે. આનો અર્થ એ થયો કે જો કોઈ વ્યક્તિ આ ત્રણ મહિના સુધી લોનના હપતા ના ભરી શકે તો તેની ક્રેડિટ હિસ્ટરી પર એની નકારાત્મક અસર નહીં થાય. કોરોના વાઇરસ રોગચાળાને કારણે ફાઇનાન્શિયલ માર્કેટમાં કોઈ વિક્ષેપ ના પડે, એટલા માટે સરકારે આ નિર્ણય લીધો છે. રિઝર્વ બેન્કની આ સુવિધા ટર્મ લોન માટે છે –જેવી હોમ લોન માટે છે.

 ગ્રાહકોને આનો શો લાભ થશે?

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એસ. સી. કાલિયાએ આ મોરિટોરિયમનો અર્થ સમજાવતાં કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિએ હોમ લોન, કાર લોન અથવા પર્સનલ લોન

લીધી છે અને આ ત્રણ મહિના તે હપતા ભરવાની સ્થિતિમાં નથી તો રિઝર્વ બેન્કે આપેલી સુવિધા અનુસાર તે આગામી ત્રણ મહિના સુધી હપતા ના ભરી શકે તો તેની પર કોઈ પેનલ્ટી નહીં લાગે અને તેનો સિબિલ સ્કોર પણ ખરાબ નહીં થાય. જોકે તેની લોનનો સમયગાળો ત્રણ મહિના વધી જશે.

રિઝર્વ બેન્કના આ પગલાથી લાખ્ખો EMIધારકોને રાહત

રિઝર્વ બેન્કના આ પગલાથી લાખ્ખો EMIધરાકોને મોટી રાહત મળી છે. ખાસ કરીને એ લોકોને જેમનો વેપાર-ધંધો કોરોના વાઇરસને કારણે લોકડાઉન થયો છે અને આવક અનિશ્ચિત થઈ ગઈ છે. આનો મતલબ એ થયો કે તમે જોઈ બેન્કથી લોન લીધી છે અને દર મહિને એનો હપતો ભરો છો અને કોઈ કારણસર એનો હપતો હાલથી પરિસ્થિતિમાં ત્રણ મહિના સુધી ના ભરી શકો તો તમારો સિબિલ સ્કોર ખરાબ નહીં થાય. જોકે ત્રણ મહિના પછી હપતા ફરી શરૂ થશે.

આ ઉપરાંત કોઈ વેપારી વર્કિંગ મૂડી માટે લોન લીધી હોય અને એ લોનના હપતા ના ભરી શકે તો એને ડિફોલ્ટ (નાદાર) નહીં માનવામાં આવે.