બાર કલાકમાં એકપણ કેસ નહીઃ પણ સંટક હજી ટળ્યુ નથી

અમદાવાદઃ કોરનાને લઇને અત્યારે મોટાભાગનું વિશ્વ લોકડાઉનની સ્થિતિમાં છે, ત્યારે ગુજરાત માટે થોડાક રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 12 કલાક દરમિયાન એક પણ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગઈકાલે 11 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને આ તમામ નેગેટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આજે કોરોના અંગેની વિગતો આપતા આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ વ્યક્તિઓના કમનસીબ મૃત્યુ નિપજ્યાં છે એ ત્રણેય દર્દીઓ કૉ-મોર્બીડ એટલે કે અન્ય ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અન્ય રોગોથી પીડાતી હતી. એટલું જ નહીં એ ત્રણેય દર્દીઓ મોટી વયના હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આપણા ઘરોમાં વૃદ્ધો- વડીલો હોય તેમણે વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. ઘરમાં પણ આ વડીલો ક્વૉરેન્ટાઈનમાં રહે એ વિશેષ આવકાર્ય છે.

જયંતી રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે કોરોનાના 44 પોઝિટિવ દર્દીઓ છે. જે પૈકી અમદાવાદમાં 15, સુરતમાં 7, રાજકોટમાં 5, વડોદરામાં 8, ગાંધીનગરમાં 7 અને ભાવનગર તથા કચ્છમાં એક-એક પોઝિટિવ દર્દીઓ છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના 44 પોઝિટિવ દર્દીઓ પૈકી ના 36 દર્દીઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવેલા છે, જ્યારે અન્ય 18 દર્દીઓ પૈકીના 16 દર્દીઓ એવા છે જે આ આંતરરાષ્ટ્રીય મુસાફરોના સીધા સંપર્કમાં આવ્યા હોય. બે દર્દીઓ એવા છે જેમણે આંતરરાજ્ય મુસાફરી કરી હતી. આ વ્યક્તિઓ સાથે સીધા સંપર્કમાં આવેલા તમામ લોકોની પણ કાળજી લેવામાં આવી રહી છે.

ક્વૉરેન્ટાઈન વ્યક્તિઓને 14 દિવસના ક્વૉરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ચુસ્તપણે ક્વૉરેન્ટાઈનનું કડક પાલન થાય તેવા પ્રયત્નો કરે છે. ગુજરાતમાં 20,103 લોકોને 14 દિવસના ક્વૉરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. આ પૈકીના 575 લોકો સરકારી ક્વૉરેન્ટાઈનમાં અને 19,377 લોકો હૉમ ક્વૉરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. અમુક લોકો હૉમ ક્વૉરેન્ટાઈનનો ભંગ કરે છે એવા 236 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. લોકો નિયમોનું ઉલ્લંઘન ન કરે તો આપણે કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી રાખવામાં સફળ રહી શકીશું, અને કોરોનાનો ચેપ ફેલાતો અટકાવી શકીશું.

જયંતી રવિ એ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં દસ હજારથી વધારે ફિમેલ હેલ્થ વર્કરો ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 3 કરોડ 50 લાખ 69, 926 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ગુજરાતની અડધાથી વધારે વસ્તીનો સર્વે કરીને લોકોના આરોગ્યની સાચી ચિંતા કરી છે. આ સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે, 37,885 વ્યક્તિઓએ આંતરરાજ્ય પ્રવાસો કર્યા છે, અને 8,265 જેટલી વ્યક્તિઓએ વિદેશ પ્રવાસ કર્યો છે. અત્યાર સુધીમાં 118 જેટલી વ્યક્તિઓને રોગના ચિન્હો જણાતા તેમને સર્વેલન્સમાં મુકવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાતમાં વેન્ટિલેટર અને જરૂરી દવાઓ તથા માસ્કનુનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. તેમણે લોકોને પૂરતો સહયોગ આપવા અને આરોગ્યની સંભાળ રાખતા જે કર્મચારીઓ ડોક્ટરો ફરજ બજાવે છે તેમને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.