Home Blog Page 4838

તાન્હાજીએ 11 મા દિવસે ય કર્યું જોરદાર પર્ફોમઃ કરોડોની કમાણી

નવી દિલ્હીઃ અજય દેવગણ, કાજોલ અને સૈફ અલી ખાનની ફિલ્મ તાન્હાજીઃ ધ અનસંગ વોરિયરે 11 મા દિવસે પણ બોક્સ ઓફિસ પર કમાણીમાં બટાઝટી બોલાવી છે. ખાસ વાત તો એ છે કે 11 મા દિવસે પણ અજય દેવગણની તાન્હાજીની કમાણીમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. દેશમાં થઈ રહેલા સીએએ અને એનઆરસીના વિવાદ છતા પણ તાન્હાજીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર જય દેવગણની તાન્હાજીએ ગત સોમવારના રોજ 8 કરોડ રુપિયાની કમાણી કરી. ત્યારે આવામાં અજય દેવગણની ફિલ્મે 11 દિવસમાં જ 175.45 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે.

બોક્સ ઓફિસ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, અજય દેવગણની તાન્હાજી ફિલ્મ પોતાની તોફાની કમાણીથી મિશન મંગળ, ગુડ ન્યૂઝ અને ભારતને પણ પાછળ છોડી શકે છે. સાથે જ માનવામાં આવી રહ્યું છે કે, ત્રીજા સપ્તાહની શરુઆતમાં જ તાન્હાજી 200 કરોડ રુપિયાનો આંકડો પાર કરી લેશે. અજય દેવગણની તાન્હાજી ફિલ્મે બીજા શુક્રવારના રોજ 10.06 કરોડ, શનિવારના રોજ 16.36 કરોડ અને રવિવારના રોજ 23 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે.

અજય દેવગણની ફિલ્મ તાન્હાજીને ક્રીટિક્સે સામાન્ય પ્રતિક્રિયા આપી હતી પરંતુ આમ છતા પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મમાં અજય દેવગણ સાથે કાજોલ પણ લીડમાં છે. ફિલ્મમાં અજય દેવગણ છત્રપતિ શિવાજીના સેનાપતિ સૂબેદાર તાન્હાજી માલુસરેના પાત્રમાં દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં અજય દેવગણ અને કાજોલ સિવાસ સૈફ અલી ખાન, પંકજ ત્રિપાઠી અને શરદ કેલકર મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે.

નાગરિકતા કાયદો પાછો નહીં જ લેવાયઃ અમિત શાહ

લખનઉઃ લખનઉમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં આયોજિત એક રેલીને સંબોધિત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ બિલને લઈને કોંગ્રેસ, ટીએમસી, માયાવતી, સપા અને કોમ્યુનિસ્ટ બૂમો પાડી રહ્યા છે. મેં આ બિલને સંસદમાં રજૂ કર્યું છે અને હું પડકાર આપું છું કે આ બિલની કોઈપણ કલમમાં જો કોઈ વ્યક્તિની નાગરિકતા છીનવી લેવાની વાત હોય તો મને બતાવે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો સાથે સતત અત્યાચાર થઈ રહ્યો છે. અફઘાનિસ્તાનમાં બુદ્ધની પ્રતિમાઓ તોડવામાં આવી. પરંતુ રાહુલ બાબા તમારી પાર્ટી પાપના કારણે ધર્મના આધાર પર દેશનું વિભાજપ સ્વિકારી રહી છે. જ્યારે વિભાજન થયું ત્યારે પૂર્વ પાકિસ્તાન એટલે કે આજના બાંગ્લાદેશમાં 30 ટકા અને પાકિસ્તાનમાં 23 ટકા અલ્પસંખ્યકો હતા. પરંતુ તેઓ આજે ક્યાં ગયા? કાં તો તેમને મારી નાંખવામાં આવ્યા અથવા તો પછી ધર્મપરિવર્તન કરાવી દેવામાં આવ્યું. આ વાત આ લોકોને નથી દેખાતી.

અમિત શાહે કહ્યું કે, હું માનવાધિકારના લોકોને પૂછવા માંગુ છું કે, તેઓ એ સમયે ક્યાં ચાલ્યા ગયા હતા કે જ્યારે કાશ્મીરમાંથી પંડિતોને ભગાડી દેવામાં આવ્યા હતા. આ 70 વર્ષોથી પીડિત લોકોને નરેન્દ્ર મોદીએ નવો અધ્યાય શરુ કરવાની તક આપી. આ જે શિખ, હિંદૂ, અને બૌદ્ધોને નાગરિકતા આપવામાં આવી. અમિત શાહે સ્પષ્ટ કહ્યું કે, જે લોકોએ વિરોધ કરવો હોય તે લોકો વિરોધ કરે, પરંતુ હું ડંકાની ચોટ પર કહું છું કે સિટિઝનશિપ એક્ટ પાછું નહી લેવામાં આવે. અમિત શાહે કહ્યું કે, નાગરિકતા કાયદાના મુદ્દા પર કોંગ્રેસના મહાત્મા ગાંધી અને પંડિત નહેરુની પણ વાત નથી સાંભળવા માંગતી.

અમિત શાહે અખિલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે, તમે વધારે ન બોલશો. વાંચ્યા વગર જ તમે દરેક વાત પર બોલો છો. વાંચવાનું રાખો કારણ કે વાંચવાથી ફાયદો થાય છે. અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધીને આદત પડી ગઈ છે કે તેઓ દેશહિતની દરેક વાતનો વિરોધ કરે છે. રાહુલ ગાંધી અને મમતા બેનર્જી કહેતા હતા કે જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ન હટાવશો. જે ભૂલ જવાહર લાલ નહેરુએ કરી તેને નરેન્દ્ર મોદીએ ઉખાડીને ફેંકી દીધી.

ગૃહમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસે આટલા વર્ષો સુધી રાજ કર્યું. પાકિસ્તાનથી આતંકવાદી દેશમાં તાંડવ મચાવતા હતા પરંતુ કોઈ કંઈજ બોલતું નહોતું. પરંતુ પાકિસ્તાને જ્યારે ઉરી અને પુલવામામાં ભૂલ કરી તો બંન્ને વાત તેના ઘરમાં ઘુસીને આતંકવાદીઓને મારવામાં આવ્યા.

તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ કહેતા હતા કે અત્યારે રામ મંદિર પર નિર્ણય ન આપશો. પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપી દીધો છે પરંતુ ત્રણ મહિનામાં ત્યાં મંદિર બનીને તૈયાર થઈ જશે. જેએનયૂમાં ભારતના ટુકડા ટુકડાના નારા લગાવનારા લોકોને વડાપ્રધાન મોદીએ જેલમાં નાંખ્યા પરંતુ રાહુલ, અખિલેશ યાદવ અને માયાવતીએ કહ્યું કે આ બોલવાની આઝાદીનો અધિકાર છે. હું આજે અખિલેશ યાદવને કહેવા ઈચ્છુ છું કે, તમે ભાજપને જેટલી ગાળો આપવી હોય તેટલી આપો દેશની વિરુદ્ધ નારા લગાવનારા લોકોને જેલમાં તો મોકલવામાં આવશે જ.

જીડીપી ભારતનો ઘટે, પણ અસર આખી દુનિયા પર થાય

નવી દિલ્હીઃ IMF ના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે જણાવ્યું છે કે ભારતીય જીડીપીમાં ઘટાડાની અસર આખી દુનિયાની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. તેમનું કહેવું છે કે વિશ્વ અર્થવ્યવસ્થાની જીડીપીમાં જો ભારતીય અર્થવ્યવસ્થાની ભાગીદારીની વાત કરીએ તો આ કામ ખૂબ મહત્વપૂર્ણ છે. જો ભારતીય જીડીપીમાં ઘટાડો થાય છે તો તેની અસર આખી દુનિયાના આર્થિક વિકાસ પર પડશે. એટલા માટે અમે ગ્લોબલ ગ્રોથના અનુમાનને પણ 0.1 ટકા ઓછું કર્યું છે.

આનો એક મોટો ભાગ ભારતના ગ્રોથ રેટમાં ઘટાડાના કારણે છે. આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષે ભારત સહિત વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પરિદ્રશ્યના પોતાના અનુમાનને ઘટાડ્યું છે. આ વૈશ્વિક સંગઠને આ સાથે જ વ્યાપાર વ્યવસ્થામાં સુધારાના મૂળભૂત મુદ્દાઓને પણ ઉઠાવ્યા છે.

તેણે ભારત સહિત કેટલીક ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં અચંબિત કરનારી નકારાત્મક વાતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વર્ષ 2019 માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર 2.9 ટકા રહી શકે છે. વિશ્વ આર્થિક મંચ વાર્ષિક શિખર સમ્મેલનના ઉદ્ઘાટન પહેલા તાજા વૈશ્વિક આર્થિક પરિદ્રશ્ય પર જાણકારી આપતા મુદ્રાકોષે ભારતના આર્થિક વૃદ્ધિના અનુમાનને 2019 માટે ઓછો કરીને 4.8 ટકા કર્યો છે.

આઈએમએફના તાજેતરના અનુમાન અનુસાર વર્ષ 2020 માં વૈશ્વિક વૃદ્ધિ દર 3.3 ટકા પર પહોંચી જશે. ત્યારબાદ 2021 માં તે 3.4 ટકા રહેશે. આ પહેલા આઈએમએફે ગત વર્ષે ઓક્ટોબરમાં વૈશ્વિક વૃદ્ધિનું અનુમાન જાહેર કર્યું હતું. તેના મુકાબલે 2019 અને 2020 માટે તેના અનુમાનમાં 0.1 ટકાનો ઘટાડો આવ્યો છે જ્યારે 2021 ના વૃદ્ધિ અનુમાનમાં 0.2 ટકાનો ઘટાડો આવ્યો છે.

શિખર ધવન ખભાની ઈજાને કારણે ન્યૂઝીલેન્ડમાં T20I સિરીઝમાંથી આઉટ

મુંબઈ – ઓપનર શિખર ધવન ખભાની ઈજાને કારણે 24 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડમાં શરૂ થનાર ટીમ ઈન્ડિયાની પાંચ T20I મેચોની સિરીઝમાં રમી નહીં શકે.

ધવનને આ ઈજા હાલમાં બેંગલુરમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ વખતે થઈ હતી.

વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળ ભારતીય ટીમ ગઈ કાલે ઓકલેન્ડ જવા માટે રવાના થઈ હતી. એ ટીમની સાથે ધવન ગયો નહોતો. એની જગ્યાએ કયા ખેલાડીને ટીમમાં સામેલ કરાશે એનું નામ પસંદગીકારોએ હજી જાહેર કર્યું નથી.

બેંગલુરુ વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાના દાવ વખતે કેપ્ટન આરોન ફિન્ચે ફટકારેલા એક શોટ વખતે કવર સ્થાને ઊભેલા ધવને બોલને છલાંગ મારીને અટકાવવા જતાં એને ખભામાં ઈજા થઈ હતી. એ ઈજા થયા બાદ ધવન ફિલ્ડિંગ કરવા પાછો મેદાનમાં આવ્યો નહોતો.

બેંગલુરુ મેચમાં ભારત 7-વિકેટથી જીતી ગયું હતું અને એ સાથે જ શ્રેણી પણ જીતી ગયું હતું. તે મેચ બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે નિમેલા મિડિયા મેનેજરે કહ્યું હતું કે ધવનની ઈજાનું અવલોકન કરાશે અને ધવન ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં જઈ શકશે કે કેમ તે વિશે શંકા છે.

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડમાં પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો, 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને બે ટેસ્ટ મેચો રમશે. 24 જાન્યુઆરીએ પહેલી ટ્વેન્ટી-20 મેચ સાથે ભારતીય ટીમનો પ્રવાસ શરૂ થશે.

નોંધી લો ભારતીય ટીમના ન્યૂઝીલેન્ડ પ્રવાસનો કાર્યક્રમઃ

(બધી મેચો ભારતીય સમય મુજબ બપોરે 12.30 વાગ્યે શરૂ થશે)

પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોઃ

પહેલી T20 : 24 જાન્યુઆરી – ઈડન પાર્ક (ઓકલેન્ડ)
બીજી T20 : 26 જાન્યુઆરી – ઈડન પાર્ક (ઓકલેન્ડ)
ત્રીજી T20 : 29 જાન્યુઆરી – સેડન પાર્ક (હેમિલ્ટન)
ચોથી T20 : 31 જાન્યુઆરી – વેસ્ટપેક સ્ટેડિયમ (વેલિંગ્ટન)
પાંચમી T20 : 2 ફેબ્રુઆરી – બૅ ઓવલ (માઉન્ટ મોન્ગેનુઈ)


3 વન-ડે ઈન્ટરનેશનલ મેચોઃ

(બધી મેચો ભારતીય સમય મુજબ સવારે 7.30 વાગ્યે શરૂ થશે)

પહેલી વન-ડે મેચ : 5 ફેબ્રુઆરી – સીડન પાર્ક (હેમિલ્ટન)
બીજી વન-ડે મેચ : 8 ફેબ્રુઆરી – ઈડન પાર્ક (ઓકલેન્ડ)
ત્રીજી વન-ડે મેચ : 11 ફેબ્રુઆરી – બૅ ઓવલ (માઉન્ટ મોન્ગેનુઈ)


બે ટેસ્ટ મેચોઃ

(બંને મેચ ભારતીય સમય મુજબ સવારે 4 વાગ્યે શરૂ થશે)

પહેલી ટેસ્ટ મેચ : 21-25 ફેબ્રુઆરી – બેઝીન રિઝર્વ (વેલિંગ્ટન)
બીજી ટેસ્ટ મેચ : 29 ફેબ્રુઆરી- 4 માર્ચ – હેગ્લી ઓવલ (ક્રાઈસ્ટચર્ચ)

સુરતઃ રઘુવીર માર્કેટમાં કાપડની કંપનીમાં ભીષણ આગ

સુરતઃ શહેરના રઘુવીર માર્કેટમાં ભીષણ આગ લાગી છે. આગની ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની 55 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ બે કાબૂ બનતા ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. ફાયરની બ્રિગેડની ટીમ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવા માટેનાં પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. આગ એટલી બધી વિકરાળ લાગી છે કે તેના ધૂમાડો કિલોમીટર દૂર જોવા મળી રહ્યા છે.

સુરતના પુણા-કુંભારિયા ખાતે રઘુકુળ સેલ્યુંમ ટેક્સટાઈલ માર્કેટ આવેલી છે આ માર્કેટમાં સવારના સમયે અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ફાયરબ્રિગેડના ઓફિસરે પ્રાથમિક તબક્કે જાણકારી આપતાં કહ્યું હતું કે, આગ બીજા માળથી છઠ્ઠા માળ સુધી પ્રસરી રહી હોવાનું સામે આવી રહ્યું છે. કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી લાગી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. બીજાથી લઈને છઠ્ઠા માળ સુધી આગના ધૂમાડા ફેલાઈ રહ્યાં છે. આગ મોટા પ્રમાણમાં પ્રસરી રહી હોવાનું ધ્યાને આવતાં ફાયરબ્રિગેડ દ્વારા કાચ તોડીને ધૂમાડાને બહાર કાઢીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે દુકાનમાં છત પર લગાવવામાં આવેલા સિલીંગને પણ તોડીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવતાં શહેરના તમામ ફાયરબ્રિગેડની ગાડીઓ રઘુવીર માર્કેટ ખાતે દોડી આવી હતી અને હાલ આગ પર કાબૂ મેળવાવા પ્રયાસ કરી રહી છે. ફાયરબ્રિગેડની હાઈડ્રોલિકથી લઈને તમામ પ્રકારની સુવિધા ધરાવતી ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગના ધૂમાડાના ગોટે ગોટા ઉડતાં માર્કેટની આસપાસથી પસાર થતાં લોકો પણ દોડી આવ્યાં હતાં. લોકોના ટોળા ઉમટતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકોના ટોળાને વિખેરીને ફાયરબ્રિગેડની ગાડીઓને ઘટના સ્થળે કામગીરી કરવામાં સહકાર આપ્યો હતો.

ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે અમે સાત કલાકથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ ફ્લેશ ફાયરના લીધે આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે. આ બિલ્ડીંગમાં 14 ફ્લોર આવેલા છે અને તમામ ફ્લોર પર અમારા કર્મચારીઓ પહોંચી ગયા છે. આગળના ભાગમાં લાગેલી આગ પાછળ તરફ પહોંચે નહી તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આગનું તાપમાન 1000 ડિગ્રીથી વધુ છે.

આગનું તાપમાન વધી રહ્યું છે તેના લીધે બિલ્ડીંગ ધરાશાયી થવાના ચાન્સ વધી જાય છે. અલગ-અલગ પ્રકારના કાપડ હોવાથી તે અલગ પ્રકારે આગ પકડે છે. પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે કે આગ શોર્ટ સર્કિટના લીધે લાગી છે.

કેજરીવાલ સામે ભાજપ કોંગ્રેસમાંથી કોઈ મોટા ચહેરાને ટીકિટ નહી, શું છે સમીકરણો?

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી સીટ પર બધાની નજર છે. આ સીટ પર આજે અરવિંદ કેજરીવાલ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે જશે. કેજરીવાલને ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનું હતું પરંતુ રોડ શો માં વધારે સમય વીતી જવાના કારણે તેઓ પોતાની ઉમેદવારી ન નોંધાવી શક્યા. નવી દિલ્હી વિધાનસભા સીટ દેશની સૌથી વીઆઈપી વિધાનસભા સીટ માનવામાં આવે છે. કારણ કે આ વિસ્તારમાં લુટિયન દિલ્હીનો એક મોટો વિસ્તાj આવે છે, જેમાં સાંસદો અને અધિકારીઓ રહે છે.

આ એ જ સીટ છે કે જેણે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલના રાજનૈતિક કરિયરને એક નવી ઓળખ અને સ્ટેન્ડ આપ્યું છે. કેજરીવાલે આ સીટ પરથી વર્ષ 2013 ની ચૂંટણીમાં તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિતને હરાવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2015 ની ચૂંટણીમાં તેમણે ભાજપના નૂપુર શર્માને હરાવ્યા હતા. માનવામાં આવી રહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ બંન્ને જ સીટ પર કોઈ મોટા ચહેરાને મેદાનમાં ઉતારશે જેથી આ સીટ પર કેજરીવાલને ટક્કર આપી શકાય અને અરવિંદ કેજરીવાલને જ અહીંયા જ ઘેરી લેવામાં આવે. પરંતુ લાગી રહ્યું છે કે બંન્ને પાર્ટીઓએ એક પ્રકારે અહીંયા વોકઓવર આપ્યું છે અને એવા નેતાઓને આપ્યું છે કે જે કોઈ મોટો ચહેરો નથી.

ભારતીય જનતા યુવા મોર્ચાના અધ્યક્ષ સુનીલ યાદવને ભાજપાએ કેજરીવાલ વિરુદ્ધ મેદાને ઉતાર્યા છે. સુનીલ યાદવ વકીલ અને સામાજીક કાર્યકર્તા છે. ભારતીય જનતા યુવા મોર્ચામાં મંડલ અધ્યક્ષ તરીકે તેમણે શરુઆત કરી હતી. સુનીલ યાદવ આ પહેલા દિલ્હી ભાજપમાં સચિવ પણ રહ્યા છે. જોરદાર યુવા છબી ધરાવતા સુનીલ યાદવ DDCA માં પણ ડાયરેક્ટર તરીકે જોડાયેલા રહ્યા હતા.

નવી દિલ્હી સીટ પરથી કોંગ્રેસે રોમેશ સભરવાલને મેદાને ઉતાર્યા છે. તેઓ 40 વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં એક જ ચરણમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. મતદાન બાદ 11 ફેબ્રુઆરીના રોજ પરિણામોની જાહેરાત કરવામાં આવશે. દિલ્હીમાં વિધાનસભાની 70 સીટો છે, જેમાંથી 58 સામાન્ય શ્રેણીની છે જ્યારે 12 સીટો અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે.

ઝોમેટોએ ઉબર ઈટ્સ ઈન્ડિયાને રૂ. 2,500 કરોડમાં ખરીદી લીધી

મુંબઈ – ઓનલાઈન ઓર્ડર લઈને ફૂડ ડિલીવર કરતી કંપની ઝોમેટોએ ઓલ-સ્ટોક સોદામાં અમેરિકાસ્થિત ઉબર કંપનીની ભારતસ્થિત ફૂડ ડિલીવર સર્વિસ કંપની ઉબર ઈટ્સનો બિઝનેસ રૂ. 2,500 કરોડમાં ખરીદી લીધો છે. ઉબર ઈટ્સ અને ઝોમેટો વચ્ચેનો સોદો 35 કરોડ ડોલર (રૂ. 2,485 કરોડ)માં થયો હોવાનું કહેવાય છે.

ઉબર અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો સ્થિત રાઈડ-હેઈલિંગ કંપની છે.

ઉબર ઈટ્સની ખરીદીના સમાચારને ઝોમેટો તથા ઉબર, બંને કંપનીએ એક નિવેદન બહાર પાડીને જાહેર કર્યા છે.

ઉબર ઈટ્સ ભારતમાં આજથી જ અમલમાં આવે એ રીતે તેની બિઝનેસ કામગીરીઓ બંધ કરી દેશે અને તેની રેસ્ટોરન્ટ્સ, ડિલીવરી ભાગીદારો તથા એની ઉબર ઈટ્સ એપના યુઝર્સને ઝોમેટો પ્લેટફોર્મ પર ડાયરેક્ટ કરી દેશે.

આમ હવે ભારતમાં ઓનલાઈન ફૂડ ડિલીવરી સેવાના ક્ષેત્રમાં ઝોમેટો અને સ્વિગી વચ્ચે એમ બે વચ્ચે જ ટક્કર રહેશે.

ઝોમેટો કંપની ઉબરને ભારતના ખાદ્ય વિતરણ (ફૂડ ડિલીવર) અને રેસ્ટોરન્ટ્સ ખોજ પ્લેટફોર્મ પર 9.99 ટકાનો હિસ્સો આપશે.

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઉબર ઈટ્સ ભારતમાં સક્રિય નહીં રહે. અને તેના યુઝર્સ જ્યારે તેઓ લોગઈન કરશે ત્યારે ઝોમેટો પ્લેટફોર્મ પર ડાયરેક્ટ થઈ જશે.

આ સોદાને કારણે ઉબર ઈટ્સના ભારતમાંના આશરે 200 જેટલા કર્મચારીઓને માઠી અસર પડશે, કારણ કે ઝોમેટો એમને સમાવવાની નથી.

ઝોમેટોના સીઈઓ દીપિન્દર ગોયલે નિવેદનમાં કહ્યું છે કે રેસ્ટોરન્ટ ડિસ્કવરી ક્ષેત્રમાં અમે અગ્રણી છીએ અને ભારતમાં 500થી વધારે શહેરોમાં ફૂડ ડિલીવરી બિઝનેસના આરંભકર્તા હોવાનો અમને ગર્વ છે. ઉબર ઈટ્સને હસ્તગત કરવાથી આ કેટેગરી (ક્ષેત્ર)માં અમારી સ્થિતિ વધારે મજબૂત થશે.

ઉબર ઈટ્સ 2017માં ભારતમાં પ્રવેશી હતી. તેના ઓનલાઈન પ્લેટફોર્મ પર ભારતના 41 દેશોમાંની આશરે 26 હજાર રેસ્ટોરન્ટ્સ લિસ્ટેડ થયેલી છે.

ઝોમેટો અને સ્વિગી વચ્ચેની સ્પર્ધા તીવ્ર બની જતાં ઉબર ઈટ્સ માટે ભારતમાં બિઝનેસ કરવાનું મુશ્કેલ બની ગયું હતું અને એ ખોટ કરી રહી હતી.

(ડાબે) ઝોમેટોના દીપિન્દર ગોયલ, (જમણે) ઉબરના દારા ખોસરોશાહી

2019ના ડિસેંબર સુધીના પાંચ મહિનાના સમયગાળા દરમિયાન ઉબર ઈટ્સ રૂ. 2,197 કરોડની ખોટ કરશે એવો અંદાજ વ્યક્ત કરાયો હતો.

ભારતમાં ફૂડ બિઝનેસ વેચી દીધા બાદ ઉબરના સીઈઓ દારા ખોસરોશાહીએ એક નિવેદનમાં કહ્યું છે કે, ઉબર માટે ભારત અસાધારણ રીતે મહત્ત્વનું માર્કેટ તરીકે યથાવત્ રહેશે અને અમે અમારો સ્થાનિક રાઈડ્સ બિઝનેસ વધારવા માટે મૂડીરોકાણ કરવાનું ચાલુ રાખીશું, જે કેટેગરીમાં અમે અગ્રેસર છીએ. ઝોમેટોએ ફૂડ ડિલીવરી બિઝનેસમાં જે ટૂંકા ગાળામાં વૃદ્ધિ હાંસલ કરી છે એનાથી અમે પ્રભાવિત થયા છીએ અને સફળતાની આ સફર ચાલુ રહે એવી અમારી એને શુભેચ્છા છે.

રાશિ ભવિષ્ય 21/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું,


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.