Home Blog Page 4838

દક્ષિણ કોરિયા પછી દક્ષિણ આફ્રિકાઃ કોરોના ટેસ્ટ પર મદાર

ભારત કોરોનાના કેસ શોધવા માટે વધારે ટેસ્ટ કરે છે કે ઓછા કરે છે તેની ડિબેટ ચાલી રહી છે. તમે કયા દેશ સાથે સરખામણી કરો તેના પર ઓછા કે વધારે લાગી શકે છે. સોમવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે દુનિયામાં સૌથી વધુ ટેસ્ટ કરી રહ્યા છીએ. 41.80 લાખ ટેસ્ટ તો અમે કરી નાખ્યા – એમ તેમણે કહ્યું. (બાય ધ વે, ટ્રમ્પને તમે બોલતા જુઓ, જાણે બહુ મોટી સફળતાનું કામ આજકાલ કરી રહ્યા હોય તેવું લાગે. ગ્રેટ… ગ્રેટ… સક્સેસ… સક્સેસ… બસ સાતેક લાખ કેસ ને બસ થોડાક 35,000 મોત થયા, બાકી ગ્રેટ સક્સેસ ટેસ્ટ કરવામાં અને કોરોનાને કાબૂમાં લેવામાં!) ભારતમાં ચારેક લાખ ટેસ્ટની સંખ્યા હવે થવામાં છે. 40 લાખ સામે 4 લાખ ઓછા પણ લાગે, પણ સામે ભારતમાં કેસ પણ હજી અમેરિકામાં મોત થયા તેના કરતાં અડધા છે.

એટલે સરખામણી ના કરતાં જુદા જુદા દેશ કેવી રીતે કોરોના સામે કાર્યવાહી કરે છે તેની વ્યૂહરચના જોઈએ. અગાઉ દક્ષિણ કોરિયા વિશે વાત કરી હતી કે તેણે પ્રથમથી જ મોટા પાયે ટેસ્ટિંગ ચાલુ કર્યા હતા. તેના પણ પહેલા તાઇવાને તો જાન્યુઆરીમાંથી જ વિદેશથી, ખાસ ચીનથી આવનારાના ટેસ્ટિંગ અને તેમના પર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું. તેથી ભારતમાં તબલિગીની જેમ, દક્ષિણ કોરિયામાં શિન્ચેઓંજી ચર્ચ ઑફ જીઝસના અનુયાયીઓને કારણે પ્રારંભમાં ચેપ ઝડપથી ફેલાયો હતો. પરંતુ ત્યારબાદ સરકારે ચર્ચના અનુયાયીઓને એક પછી એક શોધ્યા અને તેમના ટેસ્ટ કર્યા. સાથે જ બીજાના ટેસ્ટ પણ શરૂ કર્યા હતા. તમે કાર લઈને જાવ, કારમાં જ બેઠા રહો અને તમારા નમૂના આપીને જતા રહો. તમને મેસેજમાં રિઝલ્ટ મળી જાય. આ પદ્ધતિએ ટેસ્ટિંગ દક્ષિણ કોરિયાએ જ શરૂ કર્યું હતું. દિલ્હીમાં અને હવે મંગળવારથી મુંબઈમાં પણ તે પદ્ધતિએ ટેસ્ટિંગ શરૂ થયું છે.

દક્ષિણ આફ્રિકાએ પણ લૉકડાઉન સાથે ટેસ્ટિંગ પર ભાર મૂક્યો છે. દક્ષિણ કોરિયાની જેમ ડ્રાઇવ થ્રૂ ટેસ્ટિંગ પદ્ધતિ શરૂઆતથી જ દક્ષિણ આફ્રિકાએ અપનાવી હતી. બીજું ખાનગી લેબને પ્રથમથી જ ટેસ્ટ કરવાની છૂટ મળી હતી અને સૌથી વધુ ટેસ્ટ ખાનગી કંપનીઓ જ કરે છે. ભારતમાં યાદ હશે કે ટેસ્ટનો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. ભારતમાં પ્રથમ માત્ર સરકારી હૉસ્પિટલો અને લેબમાં ટેસ્ટ થતા હતા. પછી ખાનગી લેબને છૂટ મળી, પણ અદાલતે કહ્યું કે મફતમાં ટેસ્ટ કરવાના. એટલે ખાનગી લેબ તરફી ટેસ્ટ લગભગ થંબી ગયા હતા. મફતમાં ખાનગી લેબ શા માટે ટેસ્ટ કરી આપે? કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જઈને રજૂઆત કરવી પડે કે આવો હુકમ અવ્યવહારું છે. તે પછી નક્કી થયું કે ચૂકવી શકે તેમ હોય તે લોકો 4500 રૂપિયા ટેસ્ટના આપે, આયુષ્યમાન કાર્ડ હોય તેની ફી સરકાર ભોગવશે. 4500 રૂપિયાનો ભાવ પણ સમિતિએ નક્કી કરી આપ્યો તે પછી ખાનગી લેબમાં ફરી ટેસ્ટ થવા લાગ્યા. પણ હજીય તેની ગતિ પકડાઈ નથી તેમ જાણકારો કહે છે.

દેશમાં પ્રથમ કોરોના કેસ થયો તેના 50 દિવસમાં એટલે કે 20 એપ્રિલ સુધીમાં દક્ષિણ આફ્રિકાએ 1,14,000 ટેસ્ટ કર્યા. દર દસ લાખની વસતિ સામે 1,934 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટેસ્ટ ઓછા કે વધારે તે જાણવાનો આ એક માર્ગ છે. હવે ભારતના આંકડાં જુઓ. ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો તેના લગભગ 80 દિવસ પછી 20 એપ્રિલ સુધીમાં 4,00,000થી વધુ ટેસ્ટ કર્યા છે. દક્ષિણ આફ્રિકા કરતાં આ સંખ્યા ચાર ગણી લાગશે, પણ દર દસ લાખની વસતિ પ્રમાણે ગણો – ભારતે 10 લાખ સામે માત્ર 291 ટેસ્ટ જ કર્યા છે. ગુજરાતમાં મરણાંક પણ વધારે છે તેની ચર્ચા થઈ ત્યારે જવાબમાં સરકારી તંત્રે જણાવ્યું હતું કે ગુજરાત વધારે ટેસ્ટ કરકે છે. રાષ્ટ્રીય એવરેજ 300ની આસપાસ છે, ત્યારે ગુજરાતમાં 400થી વધુ છે અને અમદાવાદ હોટસ્પૉટ બન્યું છે ત્યાં 10 લાખ સામે 2000થી વધુ ટેસ્ટ થયા છે. તેથી અમદાવાદની એવરેજ સારી કહેવાય, પણ સમગ્ર દેશનો આંકડો જોઈએ ત્યારે થોડો ઓછો દેખાય છે.

બીજું કે પૂર્વ ભારત, મધ્ય પ્રદેશના ઇન્દોરને બાદ કરો તો પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સામાં પણ બહુ ઓછા કેસ છે અને બહુ ઓછા ટેસ્ટ કરવા પડ્યા છે. તેથી પણ નેશનલ એવરેજ ઓછી થાય છે, પણ અમદાવાદ, મુંબઈ અને દિલ્હીની જેમ બીજા કેટલાક સંભવિત હોટસ્પૉટમાં એગ્રેસિવ રીતે ટેસ્ટિંગ વધારવું જોઈએ તેવું ઘણા બધા નિષ્ણાતો કહે છે.

દક્ષિણ આફ્રિકા સાથે બીજી પણ કેટલીક બાબતમાં સરખામણી કરવી પડે તેમ છે, કેમ કે આ સંકટના સમયે કેવી રીતે કામ કરવું તેનો અનુભવ કોઈને ના હોય, પણ બીજામાંથી શીખવાની, બીજાનો બોધપાઠ લેવાનો સમય છે, જેથી સંકટનું નુકસાન ઓછામાં ઓછું થાય. આપણે જનતા કર્ફ્યુ કર્યો, પણ લૉકડાઉનની જાહેરાત રાતોરાત થઈ તેના કારણે સામાન્ય તૈયારીઓ ના થઈ શકી અને અનેક લોકોને ફસાયા જેવું થયું. દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ 23 માર્ચ સોમવારે લૉકડાઉનની જાહેરાત કરી હતી, પણ તેનો અમલ ગુરુવારની મધરાતથી શરૂ થવાનો હતો. ભારતની જેમ 21 દિવસનો જ લૉકડાઉન હતો, પણ ફરક એટલો હતો કે દક્ષિણ આફ્રિકામાં પાંચમી માર્ચે પ્રથમ કેસ થયો હતો તેના 21 દિવસ પછી લૉકડાઉન થયો હતો. ભારતમાં 30 જાન્યુઆરીએ પ્રથમ કેસ કેરળમાં વૂહાનથી આવેલા મેડિકલ વિદ્યાર્થીનો નોંધાયો હતો અને તેના 54 દિવસ પછી 24 માર્ચે જ જાહેરાત અને 24 માર્ચની મધરાતથી જ લૉકડાઉન લાગુ થઈ ગયો હતો.

બંને દેશોમાં લગભગ સાથે સાથે લૉકડાઉન પછી 20 એપ્રિલે (અનુક્રમે 26 અને 24 દિવસ પછી) ભારતમાં 17,000થી વધુ કેસ અને 500થી વધુ મોત હતા, જ્યારે દક્ષિણ આફ્રિકામાં 3,000થી વધુ કેસ અને 50થી વધુના મોત હતા. બધી રીતે સરખામણી વાજબી નથી હોતી, કેમ કે દરેક દેશની સ્થિતિ જુદી હોય છે, પણ દરેક દેશ કઈ રીતે પ્રતિસાદ આપી રહ્યો છે તેનો એક અંદાજ આના પરથી મળે છે. ભારતમાં 536 કેસ થયા તે પછી લૉકડાઉન લાગુ કરાયો હતો, જ્યારે દક્ષિણ આફ્રિકાએ વધારે રાહ જોઈ હતી અને 927 કેસ થયા પછી લૉકડાઉન કર્યું હતું. તેથી ભારતે વધારે સાવચેતી લીધી તેમ પણ કહેવું હોય તે ખોટું નથી, પણ ફરક એ હતો કે ભારતમાં 18ના મોત થયા હતા, જ્યારે ત્યાં હજી કોઈનું મોત થયું નહોતું. જાહેરાતના બીજા દિવસે ત્યાં કેસો 1,000ને વટાવી ગયા અને પ્રથમ દર્દીનું મોત પણ નોંધાયું હતું.

લૉકડાઉન સાથે દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટિંગ પણ આરંભી દીધું, તેથી 27 માર્ચે એક જ દિવસમાં 243 કેસો વધી ગયા હતા. પરંતુ તે પછી સ્થિતિ કાબૂમાં રહી છે અને ત્યાં સરેરાશ રોજના દોઢસો કેસ વધી રહ્યા છે. ભારતમાં છેલ્લું અઠવાડિયું હજારની ઉપર કેસ દેખાડી રહ્યું છે, પણ જૂના આંકડાં પ્રમાણે સરેરાશ 500ની આસપાસ રહી છે.
ભારતમાં પ્રારંભમાં વિદેશથી આવેલા લોકો અને તેમના સગા તથા નીકટ સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ જ શરૂ કર્યા હતા. પ્રથમ તો ક્વૉરેન્ટાઇન અને સેલ્ફ-આઇસોલેશનની સ્ટ્રેટેજી અપનાવાઈ હતી અને સંપર્કમાં આવેલા લોકોમાં તાવ, શરદી, ખાંસી, ગળું ખરાબ થવું અને શ્વાસમાં સમસ્યા થાય ત્યારે જ ટેસ્ટ કરાતા હતા. બાદમાં 9 એપ્રિલથી ભારતે પણ ટેસ્ટના ક્રાઇટેરિયા બદલ્યા. આઈસીએમઆરની ગાઈડલાઈન પ્રમાણે વિદેશ પ્રવાસ ના હોય તેવા લોકોના અને સામાન્ય લક્ષણો દેખાય ત્યાં પણ ટેસ્ટની શરૂઆત થઈ હતી.

તે પછી આ અઠવાડિયે આઈસીએમઆર તરફથી જ ચિંતાજનક વાત આવી કે ભારતમાં 80% ટકા લોકોને લક્ષણો દેખાતા નથી એટલે કે તબીબી ભાષામાં અસિમ્પટોમેટિક લોકોમાં પણ ટેસ્ટ થાય ત્યારે પોઝિટિવ આવે છે. અમદાવાદમાં પણ જોવા મળ્યું કે એક ચાલીમાંથી બે ડઝન લોકોને ટેસ્ટ કરાયા, તેમાં કોરોના દેખાયો, પણ બધાય એકદમ સાજાસારા લાગે છે. સામાન્ય તકલીફ પણ તેમનામાં દેખાતી નથી. આ ચિંતાનું કારણ જાગ્યું, કેમ કે ટેસ્ટ વિના ખબર ના પડે કે કોને ચેપ લાગેલો છે, ત્યારે ફેલાવાનું જોખમ વધી જાય. જોકે બીજા દિવસે ચિંતાને ધ્યાનમાં લઈને સરકારે ખુલાસો કર્યો કે અસિમ્પ્ટોમેટિક લોકોમાં પોઝિટિવ ટેસ્ટ આવે તે બીજા દેશોની સરખામણીએ બહુ અસામાન્ય નથી. હવે જોઈએ આગળ આમાં શું વાત નીકળે છે.

20 એપ્રિલથી કેટલાક રાજ્યોએ થોડી છૂટછાટ આપી છે, ત્યારે જે એકમો કામકાજ શરૂ કરે છે તે પોતાની રીતે ખાનગી લેબમાં ટેસ્ટ વધારે કરાવે છે કે કેમ તે અઠવાડિયામાં સ્પષ્ટ થઈ જશે. અમદાવાદ જેવા વધારે જોખમી શહેરોમાં અને સાવ કેસ ના મળ્યા હોય તેવા જિલ્લામાં પણ રેન્ડમ ટેસ્ટિંગ વધારાઈ રહ્યું છે. આ વાત સાચી પણ પ્રારંભના સમયમાં ટેસ્ટ કેમ ઓછા થયા તેવો સવાલ થતો રહેશે એમ લાગે છે.

દાખલા તરીકે લૉકડાઉન લાગુ કરવા સાથે દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટિંગ પણ વધાર્યું, ખાનગી લેબને પણ સાથે જોડી, તેથી 15મા દિવસે 64,000 ટેસ્ટ થઈ ગયા હતા. હકીકતમાં એક પણ કેસ નહોતો નોંધાયો ત્યારે ફેબ્રુઆરીમાં જ ટેસ્ટિંગ શરૂ કરાયું હતું. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર કૉમ્યુનિકેબલ ડિસીઝે 7 ફેબ્રુઆરી સુધીમાં 42 ટેસ્ટ કરી લીધા હતા. તે બધા નેગેટિવ જ હતા, પણ સરકારે મધ્ય ફેબ્રુઆરીથી બધી સરકારી હૉસ્પિટલમાં ફ્રી ટેસ્ટની જાહેરાત કરીને ટેસ્ટ કરવાનું નાના પાયે ચાલુ રાખ્યું. પાંચ માર્ચે પ્રથમ પોઝિટિવ કેસ મળ્યો અને મધ્ય માર્ચ સુધીમાં 47,000 લોકોના પરીક્ષણ કરી લેવાયા હતા. 15 માર્ચથી પ્રવાસ પર પ્રતિબંધો સહિતના પગલાં લેવાનું પણ શરૂ થઈ ગયું હતું. ભારતે પણ મધ્ય માર્ચમાં મામલાને ગંભીરતાથી લેવાનો શરૂ કર્યો હતો. અગાઉ ધૂળેટી નહિ રમવાનો, જાહેર સમારંભો નહિ કરવાનો, શાળા-કૉલેજો બંધ કરવાના નિર્ણયો લેવાનું શરૂ થઈ ગયું હતું.


લૉકડાઉન પહેલાં દક્ષિણ આફ્રિકાની સરકારે બીજી પણ એક સાવચેતી લીધી હતી. લોકો સંગ્રહાખોરી શરૂ કરશે તેનો અંદાજ લગાવીને ભાવબાંધણું જાહેર કરી દીધું હતું. ભંગ કરનારાને એક વર્ષ સુધીની કેદની ચેતવણી પણ અપાઈ હતી. લૉકડાઉન શરૂ થયા પછી આવનજાવન પર કડક નજર રખાઈ હતી અને 2200ની ધરપકડ પહેલાં અઠવાડિયે કરાઈ હતી. ભારતમાં પણ પોલીસે કડક કાર્યવાહી કરીને લૉકડાઉનને અસરકારક બનાવવામાં ભૂમિકા ભજવી હતી. બંને દેશોમાં કડક પોલીસ કાર્યવાહીની ફરિયાદો પણ થઈ હતી, પણ આવા સંજોગોમાં પોલીસ પણ મજબૂર હોય છે અને મોટા ભાગના લોકોએ પોલીસની કામગીરી વખાણી છે.

પ્રમુખ રામાફોસાએ ગયા અઠવાડિયે ફરીથી રાષ્ટ્રને સંબોધન કરીને બે અઠવાડિયા માટે લૉકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. જોકે તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે ચેપને કાબૂમાં રાખી શકાયો છે. જોકે 3300 કેસ સાથે દક્ષિણ આફ્રિકા ખંડમાં સૌથી વધુ કેસ ધરાવે છે, એટલે તે બાબતમાં ભારત સાથે સરખામણી ના થાય અને આફ્રિકાના દેશો સાથે સરખામણી થાય ત્યારે તેની સ્થિતિ બહુ સારી નથી લાગતી. રામાફોસા એવો સંતોષ લઈ શકે કે ઇજિપ્તમાં કેસ 3333થી વધી ગયા છે. બીજું કે પોતાને ત્યાં ફક્ત 58 મોત થયા છે, ત્યારે ઇજિપ્તમાં 250ના મોત થઈ ગયા છે. મોરોક્કો અને અલ્જિરિયામાં પણ કેસો વધી રહ્યા છે અને 3000ની નજીક છે.


ટૂંકમાં દરેક દેશ એક બીજા સાથે સરખામણી કરીને પોતે વધુ સારી કામગીરી બજાવી તેનો દાવો કરતા રહેશે. પણ કોની સાથે સરખામણી થાય છે, કેવી રીતે થાય છે, કયા ધોરણે થાય છે તે બધી બાબતો કાયમ ચર્ચાસ્પદ રહેવાની. જેમ કે સિંગાપોરે પૂર્ણ લૉકડાઉનને બદલે પાર્શિયલ એટલે કે મર્યાદિત લૉકડાઉનનો અમલ રાખ્યો હતો. શરૂઆતમાં તેના કેસ કાબૂમાં હતા, પણ તે હવે 10,000 નજીક આવ્યા છે, ત્યારે આખો મે મહિનો પાર્શિયલ લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. નવા 1,111 કેસ આવ્યા અને કુલ 9125 કેસ થયા છે એટલે સિંગાપોરે પણ શાળાઓ અને ઘણી બધી ઓફિસો બંધ જ રાખવાનો નિર્ણય લેવો પડ્યો છે.

સિંગાપોરમાં વસતા માઇગ્રન્ટ વર્કર્સમાંથી નવા કેસ વધુ મળી રહ્યા છે એમ આરોગ્ય વિભાગનું કહેવું છે. વિદેશથી મોટી સંખ્યામાં આવેલા માઇગ્રન્ટ વર્કર્સને ડોરમેટરીમાં રાખવામાં આવ્યા હતા, તેમાં હવે કેસો દેખાવા લાગ્યા છે. ભારતમાં અચાનક લૉકડાઉન કરી દેવાયો અને રોજમદારોને, પરપ્રાંતીય મજૂરોને વતનમાં જવા ના મળ્યું તેથી તેમને પણ ઠેર ઠેર સાચવવાની વ્યવસ્થા સરકારે કરવી પડી છે. અમદાવાદમાં ખાલીખમ પડેલા ઇસ્કોન મોલમાં 200થી વધુ કામદારોને રખાયા હતા, પણ તેમાં ચારને પોઝિટિવ આવ્યા. હવે બાકીનાના ટેસ્ટ થશે એટલ કેટલા વધારે કેસ આવશે? સુરત, વડોદરામાં પણ એક જગ્યાએ મોટી સંખ્યામાં કામદારોને રખાયા છે, ત્યાં પણ ચેપ પહોંચ્યો હશે કે નહિ? અમદાવાદની બહાર ટેસ્ટ વધારવામાં આવે ત્યારે ખ્યાલ આવશે અને ત્યારે કદાચ સિંગાપોર પોતાના માઇગ્રન્ટ વર્કર્સને કેમ સાચવે છે અને ભારતમાં કેવી રીતે સચવાયા… તેની સરખામણી કરવાની આવશે.

રિલાયન્સ-ફેસબુક ભાગીદાર બન્યાઃ ફેસબુકે જિયોમાં 9.99% હિસ્સો ખરીદ્યો

મુંબઈઃ અમેરિકાની જગવિખ્યાત ટેક્નોલોજી, સોશિયલ મિડિયા કંપની ફેસબુકે રિલાયન્સ જિયોમાં 9.99% હિસ્સો ખરીદ્યો છે. એ માટે તેણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ટેલિકોમ કંપનીને રૂ. 43,574 કરોડ ચૂકવ્યા છે.

5.7 અબજ ડોલરના આ સોદા સાથે ફેસબુક જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડમાં સૌથી મોટી માઈનોરિટી શેરહોલ્ડર બની છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે દુનિયાભરમાં કોઈ ટેક્નોલોજી કંપનીએ આટલી મોટી રકમમાં માઈનોરિટી હિસ્સો ખરીદ્યો હોય એવો આ પહેલો જ પ્રસંગ છે. ભારતમાં ટેક્નોલોજી સેક્ટરમાં પણ આ સૌથી મોટું એફડીઆઈ મૂડીરોકાણ છે.

ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે કહ્યું છે કે રિલાયન્સ Jio અને Facebook મળીને ભારતમાં લોકોને બિઝનેસની નવી તકો પૂરી પાડશે.

ફેસબુક સાથેની આ ભાગીદારીને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર દેવાનો બોજો હળવો થશે. જ્યારે ફેસબુકને ભારતમાં ઝડપથી વિકાસ પામતી અને વિશાળ-ધરખમ માર્કેટમાં અંકુશ જમાવવાની તક પૂરી પાડશે.

ફેસબુક કંપની તાજેતરના વર્ષોમાં ભારતમાં એક જબરદસ્ત માર્કેટ તરીકે ઉભરી આવી છે. દુનિયાના કોઈ પણ દેશ કરતાં ભારતમાં ફેસબુકના વધારે યુઝર્સ છે. તેની સેટ સર્વિસ વોટ્સએપ તો ભારતમાં 34 કરોડ યુઝર્સ ધરાવે છે.

ફેસબુકે કહ્યું છે કે ભારતમાં નાના વેપારીઓ એકબીજા સાથે આસાનીથી જોડાઈ શકે એ માટે તે પોતાના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપને રિલાયન્સની ઈ-કોમર્સ કંપની જિયોમાર્ટ સાથે સહયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

RILના ચેરમેન મુકેશ અંબાણીએ ફેસબુક સાથેની ભાગીદારી અંગે કહ્યું છે કે 2016માં જ્યારે રિલાયન્સે જિયોની સ્થાપના કરી હતી ત્યારે અમે પ્રત્યેક ભારતીયનું જીવનધોરણ સુધારવા માટે અને ભારતને વિશ્વના ડિજિટલ સમાજમાં મોખરાનું સ્થાન અપાવવા ભારતના ‘ડિજિટલ સર્વોદય’નું સપનું સેવ્યું હતું. તેથી ભારતની ડિજિટલ ઈકોસિસ્ટમનો વિકાસ કરવા અને તમામ ભારતીયોને લાભ અપાવવા માટે રિલાયન્સમાં અમે સૌ ફેસબુકને અમારા લોન્ગ-ટર્મ ભાગીદાર તરીકે આવકારીએ છીએ.

માર્ક ઝુકરબર્ગે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું છે કે રિલાયન્સ જિયો સાથે સહયોગ કરીને અમે ભારતમાં વધી રહેલી ડિજિટલ ઈકોનોમીમાં વધારે અસરકારક રીતે કામગીરી બજાવવા માટે ભારતના લોકો અને નાના વેપારીઓ માટે નવા માર્ગોનું નિર્માણ કરીશું.

ફેસબુકના આ મૂડીરોકાણને લીધે રિલાયન્સ જિયો માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ ભારતમાં ટોચની પાંચ લિસ્ટેડ કંપનીઓમાં ગણાતી થશે. કમર્શિયલ સેવાઓ શરૂ કર્યાના માત્ર સાડા ત્રણ વર્ષમાં જ એ આ સિદ્ધિ હાંસલ કરશે.

ફેસબુક સાથેની ભાગીદારી વિશે મુકેશ અંબાણીએ શું કહ્યું? જુઓ અને સાંભળો વિડિયો…

રાશિ ભવિષ્ય 22/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

પંચાંગ 22/04/2020

ICMR: ઓળખી લો આ સંસ્થા અને એના કામને…

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સામેની લડાઈમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સૌથી મહત્ત્વની ભૂમિકા છે. કોરોના વાઇરસના ટેસ્ટિંગથી લઈને રિસર્ચની તમામ જવાબદારી એની પાસે છે. દેશના હજ્જારો ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ દિવસ-રાત એ પ્રયાસોમાં છે કે કોવિડ-19ના દર્દીઓ જલદી સાજા થાય. એટલા માટે ટેસ્ટિંગ, આઇસોલેશન અને કવોરોન્ટાઇનથી માંડીને વિવિધ સંશોધનો થઈ રહ્યાં છે. વળી, સરકાર દ્વારા કોવિડ-19 વિશેની જે પણ પત્રકાર પરિષદ યોજવામાં આવે છે, તેમાં દરેક ડેટા, દરેક માહિતી ICMR દ્વારા આપવામાં આવે છે. ICMR છે કઈ સંસ્થા શું?

સૌથી મોટી રિસર્ચ સંસ્થા

ICMR માત્ર દેશની જ નહીં, વિશ્વની સૌથી જૂની અને મોટી મેડિકલ રિસર્ચ સંસ્થાઓમાંની એક છે. દેશમાં બાયોમેડિકલ રિસર્ચ ફોર્મ્યુલેશન, કો-ઓર્ડિનેશન અને પ્રમોશનની આ સર્વોચ્ચ સંસ્થા છે. ઇન્ડિયન રિસર્ચ ફંડ એસોસિયેશન (IRFA)ના રૂપમાં એનો પાયો વર્ષ 1911માં નખાયો હતો. આઝાદી પછી IRFAમાં કેટલાંય પરિવર્તન થયાં. નવાં કલેવરની સાથે 1949માં એનું નામ બદલીને ICMRનું નામ આપવામાં આવ્યું છે. ICMRનું ફંન્ડિંગ કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વિભાગ અને હેલ્થ રિસર્ચ દ્વારા થાય છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન જ આ કાઉન્સિલના અધ્યક્ષ હોય છે.

શું છે ICMRનું કામ?

ICMRનું વિઝન છે સંશોધન દ્વારા દેશના નાગરિકોનું આરોગ્ય સારું કરવામાં આવે. સત્તાવાર વેબસાઇટદ્વારા અનુસાર ICMRનાં પાંચ મિશન છે. પહેલું, નવી માહિતીને જનરેટ, મેનેજ અને સંશોધન કરવું. બીજું, સમાજના અશક્ત, અસહાય અને હાંસિયામાં છોડાયેલા વર્ગના આરોગ્ય સમસ્યાઓ પર સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવું. ત્રીજું, દેશની આરોગ્યની સમસ્યાઓને દૂર કરવા માટે આધુનિક બાયોલોજી ટૂલ્સનો ઉપયોગ વધારવો. ચોથુ, બીમારીઓથી બચવા માટે ડાયગ્નોસ્ટિક્, ટ્રીટમેન્ટ, વેક્સિનને પ્રોત્સાહન આપવું. પાંચમું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરીને દેશની મેડિકલ કોલેજો અને હેલ્થ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સમાં રિસર્ચના કલ્ચરને વિકસિત કરવું.

કઈ-કઈ બીમારીઓ પર સંશોધન?

ICMRનાં દેશભરમાં 21 પર્મનન્ટ સંશોધન કેન્દ્ર છે. અહીં કેટલીક સંક્રમક બીમારીઓ પર સંસોધન થાય છે, જેમ કે કોરોના વાઇરસ, રોટા વાઇરસ, ડેન્ગ્યુ, ઇબોલા, ઇન્ફ્લુએન્ઝા, જાપાની ઇન્સેફેલાઇટિસ, એઇડ્સ, મલેરિયા અને કાલાજાર વગેરે…ICMRમાં ટીબી, કોઢ, કોલેરા અને ડાયેરિયા જેવી બીમારીઓ પર પણ સંશોધન થયાં છે.  આ સિવાય ICMR ન્યુટ્રિશન, ફૂડ એન્ડ ડ્રગ ટોક્સિકોલોજી, ઓન્કોલોજી તથા મેડિકલ સ્ટેટિક્સ પર પણ સંસ્થા કામ કરે છે. આના છ મેડિકલ રિસર્ચ સેન્ટર્સ સ્થાનિક આરોગ્ય સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.

કોવિડ-19થી કેવી રીતે લડી રહ્યું છે ICMR?

કોરોના વાઇરસની સામેના જંગમાં ICMRની મોટી ભૂમિકા છે. દેશમાં ટેસ્ટિંગ માટે લેબ્સને મંજૂરી ICMR જ આપે છે. ટેસ્ટિંગ, આઇસોલેશન-ક્વોરોન્ટાઇન અને પેશન્ટ મોનિટરિંગથી જોડાયેલી બધી ગીઇડલાઇન્સ ICMR જ જારી કરે છે. દર્દીઓના ડેટાને આધારે ICMR વિવિધ અહેવાલ તૈયાર કરે છે. કોવિડ-19થી જોડાયેલી ગાઇડલાઇન્સ તૈયાર કરવામાં પણ ICMRના સૂચન મહત્ત્વનૂ ભૂમિકા ભજવે છે. આ સંસ્થા કોવિડ-19 પરની એન્ટિ ડોટૃ વેક્સિન માટે સંશોધન કરી રહ્યા છે

 

દેશના 61 જિલ્લામાં પાછલા 28 દિવસોમાં કોઈ નવો કેસ નથી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસથી લડવા માટે અને લોકડાઉન દરમ્યાનની સ્થિતિઓ પર નિયંત્રણ માટે આરોગ્ય અને ગૃહ મંત્રાલયે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે દેશના 61 જિલ્લાઓમાં પાછલા 14 દિવસોમાં કોરોના વાઇરસનો કોઈ નવો કેસ નથી આવ્યો. આ ઉપરાંત ત્રણ જિલ્લાઓમાં પાછલા 28 દિવસોમાં કોઈ નવો કેસ સામે નથી આવ્યો, એમાંથી એક નવો જિલ્લો રાજસ્થાનનો પ્રતાપગઢ સામેલ થયો છે. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી દેશભરમાં કુલ 18,601 કેસો સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,336 નવા કેસ સામે આવ્યા છે. કાલે એક જ દિવસમાં 705 લોકો ઠીક થયા હતા. અત્યાર સુધી કુલ 3,252 લોકો ઠીક થઈ ચૂક્યા છે. ICMRના ડો. રમન ગંગાખેડકરે કહ્યું હતું કે રાજ્યોને બે દિવસ માટે રેપિડ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ નહીં કરવા માટે સલાહ આપવામાં આવી છે. પરિણામોમાં બહુ અલગ આવી રહ્યાં છે, જેથી ઓન ગ્રાઉન્ડ ટીમો દ્વારા કિટ પરીક્ષણ પછી બે દિવસમાં એડવાઇઝરી જારી કરવામાં આવશે.

ગઈ કાલે 35,852 સેમ્પલોનો ટેસ્ટ કરાયો

તેમણે કહ્યું હતું કે 4,49,810 સેમ્પલોનો અત્યાર સુધી ટેસ્ટ કરવામાં આવ્યો છે. ગઈ કાલે 35,852 સેમ્પલોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો., જેમાંથી 29,77 નમૂનાનો ટેસ્ટ 201 ICMR નેટવર્ક લેબમાં અને બાકીનાં 6,076 સેમ્પલોનો ટેસ્ટ 86 ખાનગી લેબોરેટરીઓમાં કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ એક નવી બીમારી પાછલા સાડા ત્રણ મહિનામાં વિજ્ઞાને વિકાસ કર્યો છે અને અમે PCR ટેસ્ટ પણ શરૂ કર્યાં છે. પાંચ રસી માનવ પરીક્ષણ તબક્કામાં ચાલી રહ્યા છે. આ પહેલાં કોઈ અન્ય બીમારીના કેસોમાં નથી થયું.

 

જીન ડાઈચઃ ‘ટોમ એન્ડ જેરી’ જેવા રમૂજી પાત્રોનાં સર્જક, કડક મિજાજી હતા

80-90ના દાયકાના બાળકોને ખૂબ હસાવનાર અને એમનું બાળપણ મોજ-મસ્તીભર્યું બનાવનાર ‘ટોમ એન્ડ જેરી’, ‘પોપાય – ધ સેલરમેન’ જેવા કાર્ટૂન ફિલ્મ પાત્રોના સર્જક જીન ડાઈચના નિધનના સમાચારે એનિમેશન, કળા જગતમાં શોક ફેલાવી દીધો. જીન ડાઈચ 95 વર્ષના હતા. ચેક પ્રજાસત્તાકના પ્રાગ શહેરમાં એમના નિવાસસ્થાને તેઓ મૃત્યુ પામ્યા.

ઓસ્કર એવોર્ડ વિજેતા ઈલસ્ટ્રેટર ડાઈચે 1961-1962માં એમજીએમ કંપની માટે ‘ટોમ એન્ડ જેરી’ કાર્ટૂન ફિલ્મના 13 એપિસોડનું દિગ્દર્શન કર્યું હતું. ત્યારબાદ એમણે કિંગ ફિચર્સ કંપની માટે ‘પોપાય’ ફિલ્મના કેટલાક એપિસોડ તૈયાર કર્યા હતા.

એમને ઓસ્કર એવોર્ડ મળ્યો હતો 1961માં, એનિમેટેડ શોર્ટ ફિલ્મ ‘મુનરો’ માટે. એ ફિલ્મ અમેરિકાની બહાર બનાવવામાં આવી હતી.

જીન ડાઈચે એનિમેટેડ ફીચર ફિલ્મ ‘એલિસ ઓફ વન્ડરલેન્ડ ઈન પેરિસ’ પણ બનાવી હતી.

એનિમેશન ક્ષેત્રમાં પ્રદાન કરવા બદલ એમને 2003માં Winsor McCay Award એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

દુનિયાભરનાં લોકોને પોતાના કાર્ટૂન પાત્રો વડે ઘેલાં કરી દેનાર જીન ડાઈચનો જન્મ અમેરિકાના શિકાગોમાં થયો હતો. સ્વભાવના એ કડક હતા, પણ રમૂજ-વ્યંગની ટેલેન્ટ એમના મગજમાં કુદરતે ઠાંસીઠાંસીને ભરી હતી.

દિગ્દર્શક બન્યા એ પહેલાં તેઓ અમેરિકી સેનામાં હતા. એમાં તે પાઈલટોને ટ્રેનિંગ આપતા હતા અને સેના માટે ડ્રાફ્ટમેન તરીકે કામગીરી બજાવતા હતા, પણ નબળા આરોગ્યને કારણે એમને 1944માં સેનામાંથી હટાવી દેવામાં આવ્યા હતા.

તે પછી એમણે કાર્ટૂન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. કાર્ટૂનો ચિતરવા એ તેમનો બાળપણનો શોખ હતો. સેનામાંથી છૂટા કરી દેવાયા બાદ એમણે એનિમેશન પર પોતાનો હાથ અજમાવ્યો અને દુનિયાને આપી ‘ટોમ એન્ડ જેરી’ જેવી સુપરહિટ કાર્ટૂન ફિલ્મ.

90ના દાયકામાં દુનિયામાં ભાગ્યે જ એવા કોઈ બાળકો હશે જેમણે ‘ટોમ એન્ડ જેરી’ કાર્ટૂન સિરીઝ જોવાનું મિસ કર્યું હશે.

એ ફિલ્મ, બિલાડી (ટોમ) અને ઉંદર (જેરી) વચ્ચે પ્રેમ અને નફરતના સુંદર સંબંધ પર આધારિત છે.

આ ફિલ્મ ડાયલોગ વગરની અને માત્ર સંગીત પર જ ચાલે છે. છતાં જોનારને ખૂબ હસાવે, આનંદ અપાવે.

ટોમ અને જેરીની લડાઈમાં ઉપજતી રમૂજ જોવાનું કોઈ બાળક તો ઠીક પણ મોટેરાં પણ ન ચૂકે. બેઉ પાત્ર એકબીજાના જાની દુશ્મન, તે છતાં બંને વચ્ચે પ્યાર પણ એટલો જ. બંને જણ ભલે એકબીજાને સહન ન કરી શકે, તે છતાં એકબીજા સાથે લડ્યા વગર પણ બંનેને ચેન ન પડે.

પેટ્રોલ-ડીઝલની કિંમતોને લઈને રાહુલના સરકાર પર પ્રહાર

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર નિશાન તાક્યું છે. આ વખતે રાહુલ ગાંધીએ પેટ્રોલ ડીઝલની કિંમતોને લઈને મોદી સરકાર પર હુમલો કર્યો છે.

રાહુલ ગાંધીએ એક સમાચારને શેર કરતા ટ્વીટ કર્યું કે, વિશ્વમાં ક્રૂડ ઓઈલની કિંમતો આશ્ચયજનક રીતે ઘટી રહી છે છતાં આપણા દેશમાં પેટ્રોલ 69 રૂપિયા પ્રતિ લિટર કેમ છે? આ આપત્તિમાં જો કિંમતો ઘટે તો સારુ, કયારે સાંભળશે આ સરકાર?

તો બીજી તરફ કોરોના સંકટ વચ્ચે સરકારના એક નિર્ણયથી વિવાદ શરુ થઈ ગયો છે, સરકારે ગોડાઉનોમાં રહેલા ચોખાનો વધારાનો જથ્થાનો ઉપયોગ હેન્ડ સેનિટાઈઝરની આપૂર્તિ માટે જરૂરી ઈથેનોલ બનાવવા માટે કરવાનો નિર્ણય કર્યો છે. જેના પર રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું કે, ભારતના ગરીબો કયારે જાગશે? તમે ભૂખે મરી રહ્યા છો અને તે તમારા ભાગના ચોખાથી સેનેટાઈઝર બનાવીને અમીરોના હાથની સફાઈમાં લાગેલા છે.

જરૂરીયાત વગર સહાય મેળવતા પહેલા આ વાંચી જજો…

અમદાવાદ: આપદાના આ સમયમાં કોઈ પણ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિ- પરિવાર ભુખ્યુ ન રહે તે માટે વહીવટી તંત્ર સંવેદનશીલતાપૂર્વક કામ બજાવી રહ્યું છે. જરૂરિયાતમંદ લોકોને ભોજન-રહેઠાણ-મેડિકલ સારવાર એમ બહુઆયામી સુવિધાઓ અપાઈ રહી છે, પણ કેટલાક સાધન સંપન્ન પરિવારો પણ તંત્ર પાસેથી આવો લાભ લેવાની માનસિકતા રાખતા હોય છે. આવા લોકો સામે તંત્રએ લાલ આંખ બતાવી છે.

આ કિસ્સાની વિગત એવી છે કે, શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા દિપકભાઈ શાહ તથા તેમના પત્ની કિરણબેન શાહે ૧૭/૦૪/૨૦૨૦ના રોજ કલેકટર કચેરીના કંટ્રોલરૂમમાં રજૂઆત કરી ઘરે જમવાનું નથી તેવી લેખિત નોંધ કરાવી હતી. સંવેદનશીલ તંત્રએ તરત જ વેજલપુર સીટી મામલતદાર કચેરીને સત્વરે ફુડ પેકેટ/ભોજન/રાશન કીટ આપવા સૂચના આપી હતી.

જો કે આ કીટ આપવા પહોંચેલી ટીમે પૂછ્પરછ કરતા જાણવા મળ્યું હતું કે, કિરણબહેન તો નિવૃત શિક્ષિકા છે. તેમનો પુત્ર હાલ ચેન્નાઈ ખાતે સારા પગારની નોકરી કરે છે અને તેઓ જે માલિકીના ફ્લેટમાં રહે છે તેની બજાર કિંમત આશરે રૂપિયા ૧ કરોડ હોવાનું જણાયું હતું. વધુમાં તેઓને એપીએલ-૧ કાર્ડ ઉપર એક-બે દિવસ પહેલા જ મફત અનાજનો જથ્થો પણ મળ્યો હતો. એટલું જ નહી, તેમના રસોડામાં અનાજ, કઠોળ, તેલ, મસાલાનો પૂરતો પુરવઠો પણ ઉપલબ્ધ હતો!


આ અંગેની વિગતો આપતા પશ્ચિમ વિસ્તારના ડેપ્યુટી કલેક્ટર જે.બી.દેસાઈએ જણાવ્યું હતું કે, હાલના આપત્તિ (DISASTER) ના સમયમાં બહાર પડાયેલા જાહેરનામા અંતર્ગત કોઈપણ ઈસમ રાહત, સહાય તેમજ આપત્તિ સંબંધી બીજા લાભો મેળવવા માટે જાણીજોઈને તે દાવો ખોટો હોવાનું જાણવા છતા તેવો દાવો કરે તો તે The Disaster Management Act-2005 કલમ-૫૨ હેઠળ ૨ (બે) વર્ષની કેદની શિક્ષા અને દંડની શિક્ષાને પાત્ર તથા ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ની કલમ-૪૨૦ હેઠળ છેતરપિંડી, ઠગાઈનો ૭ (સાત) વર્ષની કેદ અને દંડની શિક્ષાને પાત્ર ફોજદારી ગુનો બને છે.

આ દંપતીને પણ આ અંગર્ગત નોટીસ આપવામાં આવી છે.

લોનાવલામાં ખેતરમાં કામ કરવાનો આનંદ માણે છે ધર્મેન્દ્ર…

હાલ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે દેશભરમાં લોકડાઉન છે અને સામાન્ય લોકો તેમજ સેલિબ્રિટી વ્યક્તિઓ ઘરમાં બંધ છે, તમામ વ્યાપાર-ધંધાકીય પ્રવૃત્તિઓ બંધ છે ત્યારે બોલીવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈ નજીકના લોનાવલામાં એમના ખેતરમાં કેળાની ખેતી કરવાના કામમાં વ્યસ્ત રહેવામાં આનંદ માણે છે.

84-વર્ષીય ધર્મેન્દ્રએ પોતાનો વિડિયો ટ્વિટર પર શેર કર્યો છે. એમણે કહ્યું કે પોતે એમના ખેતરમાં ચીકૂ અને નાળિયેર જેવા અન્ય ફળ પણ ઉગાડે છે.

ધર્મેન્દ્રએ ટ્વીટ કરીને કહ્યું કે ખેતી કરવાથી મને થોડીઘણી કસરત પણ થઈ જાય છે.