Home Blog Page 476

‘હો ગયા હૈ તુજકો’ ને બે ગીતની ધૂનો મિશ્ર કરી બનાવ્યું હતું!

ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (1995) માટે સંગીતકાર જતિન -લલિતને આશા ભોંસલેને કારણે તક મળી ગઈ હતી અને જ્યારે આ ફિલ્મ (DDLJ) મળી ત્યારે એમને કલ્પના ન હતી કે એનું કાલજયી સંગીત તૈયાર થશે.

ફિલ્મને 30 વર્ષ પૂરાં થયા એ નિમિત્તે સંગીતકાર બેલડીના લલિત પંડિતે ફિલ્મ કેવી રીતે મળી અને એના ગીતો કેવી રીતે તૈયાર થયા એની ઘણી રસપ્રદ વાતો કરી હતી. જતિન -લલિત ફિલ્મોમાં સારું સંગીત આપી રહ્યા હતા અને એમના માટે આશા ભોંસલેએ કેટલાક ગીતો ગાયા હતા.

એક દિવસ એમણે પૂછ્યું કે કેવું કામ ચાલી રહ્યું છે? બંનેએ કહ્યું કે સારું ચાલી રહ્યું છે. એમણે પૂછ્યું કે, ‘યશજી સાથે કામ કર્યું છે?’ બંનેએ ‘ના’ પાડી. આશાજીએ તરત જ યશજીને ફોન લગાવ્યો અને પૂછ્યું કે તમે જતિન -લલિતનું સંગીત સાંભળ્યું છે? બહુ સરસ આપે છે. ત્યારે સામેથી યશજી કહ્યું કે એમને ફોન કરે અને મુલાકાત કરે. બંને એમને મળવા ગયા ત્યારે ખબર ન હતી કે આદિત્ય ચોપડાની ફિલ્મ માટે બોલાવ્યા હશે. એમને હતું કે યશજીના નિર્દેશનમાં કોઈ ફિલ્મ માટે એમને મળવા બોલાવ્યા છે. તેમને ફિલ્મનું નામ કે કલાકારો વિશે ખાસ જાણ નહોતી. તેમણે તે સમયે તૈયાર કરેલી કેટલીક ધૂનો રજૂ કરી. જેમાં ‘મેહંદી લગા કે રખના’ અને ‘મેરે ખ્વાબોં મેં જો આયે’ની શરૂઆતની ધૂનોનો સમાવેશ થતો હતો.

આ ધૂનો આદિત્ય ચોપરાને એટલી પસંદ આવી કે તરત જ તેમને ફિલ્મ મળી ગઈ હતી. ત્યારે યશજીએ કહ્યું હતું કે બધાં જ ગીતો લતા મંગેશકર ગાશે. અને લતાજીના સ્વરમાં ચાર ગીતો તૈયાર થઈ ગયા પછી જતિને લલિતને યાદ કરાવ્યું કે આપણાંને ફિલ્મ તો આશાજીને લીધે મળી છે અને એમની પાસે એક પણ ગીત ગવડાવ્યું નથી. એમને કેટલું ખરાબ લાગશે? અને ત્યારે એક જ ગીતનું રેકોર્ડિંગ બાકી હતું. જ્યારે તેઓ આશાજી પાસે ગયા ત્યારે એમણે હસીને કહ્યું હતું કે દીદી પાસે બધાં ગીતો ગવડાવી લીધા ને! અને પછી એમની પાસે ‘ઝરા સા ઝૂમ લૂં મૈં’ ગવડાવ્યું હતું. આશા ભોંસલેનો અવાજ ગીતમાં રહેલી મસ્તી અને ખુશમિજાજીને સંપૂર્ણ રીતે રજૂ કરે છે. આ ગીતની એક કહાની છે. તેની ધૂન લલિતને અડધી રાત્રે સૂઝી હતી.

ફિલ્મમાં પરિસ્થિતિ એવી હતી કે સિમરન ઠંડીથી બચવા માટે આકસ્મિક રીતે થોડો આલ્કોહોલ પી લે છે. જેના કારણે તે નશામાં આવી જાય છે. આ ગીત નશામાં ધૂત સિમરનની બેફિકર અને મુક્ત ભાવના દર્શાવતું હતું. એ ધૂન કોઈને ખાસ પસંદ આવી નહીં. એ પછી આ ગીત માટે એમણે બે-ત્રણ ધૂન રજૂ કરી એને પણ નકારવામાં આવી. પરંતુ એક દિવસ ‘ઘર આજા પરદેસી’ ગીત માટે બેઠક હતી ત્યારે ગીતકાર આનંદ બક્ષીએ એ ધૂન યાદ કરી. યશજીએ કહ્યું કે ધૂનમાં બહુ જોશ અને ગતિ છે. છોકરીએ શરાબ પીધી હોય ત્યારે એ આટલા જોશમાં કેવી રીતે ગાઈ શકે? ત્યારે બક્ષીએ સમજાવ્યું કે જ્યારે વરિષ્ઠ વ્યક્તિ પીએ છે ત્યારે એનું વર્તન અલગ હોય છે. પણ કોઈ ટીનએજ છોકરી પીએ ત્યારે એના પ્રત્યાઘાત અલગ હોય છે. એ તો મસ્તી જ કરવાની છે. ઉદાસ બેસવાની નથી.

હું આ ધૂન પર એક ગીત લખું છું. એમણે ‘જરા સા ઝૂમ લૂં મેં’ લખ્યું ત્યારે બધાંને પસંદ આવ્યું હતું. અન્ય ગીત ‘હો ગયા હૈ તુજકો તો પ્યાર સજના’ ને બે ગીત ભેગાં કરી બનાવવામાં આવ્યું હતું. અસલમાં એક ભારતીય અને એક પશ્ચિમી પ્રકારનું ગીત હતું. આદિત્યએ કહ્યું કે બંનેને ભેગાં કરીને બનાવીએ. સંગીતકાર બેલડીએ પહેલાં કહ્યું કે આ શક્ય નથી. બંને અલગ પ્રકારના ગીત છે. પછી માની ગયા હતા અને બે અલગ-અલગ ગીતોની ધૂનને મિશ્રિત કરીને એક ગીત બનાવવામાં આવ્યું હતું. ગીતનો પહેલો ભાગ અને કોરસની મુખ્ય પંક્તિઓમાં અલગ-અલગ ટેમ્પો (ગતિ) છે. એમાં ભારતીય અને પશ્ચિમી લયનું મિશ્રણ છે. જ્યારે ‘તુઝે દેખા તો યે’ ગીતનું મુખડું આદિત્ય ચોપડાએ જ લખ્યું હતું. ત્યાર પછીની પંક્તિઓ આનંદ બક્ષીએ લખી હતી.

આ ગીત માટે ટીમને શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ‘રુક જા ઓ દિલ દીવાને’ ગીતની શરૂઆતમાં જે પિયાનોનો ટુકડો વાગે છે તે જતિન-લલિતે બનાવેલી ધૂન નહોતી. આદિત્ય ચોપડાએ પોતે પિયાનો વગાડીને તે ટુકડો ઉમેર્યો હતો. કારણ કે તેમને જતિન-લલિત દ્વારા બનાવેલું મૂળ કમ્પોઝિશન થોડું વધારે સાદું લાગ્યું હતું. કેમ કે તે એમાં એક ‘જંગલી’ અને મજાકિયા કંપન ઈચ્છતા હતા.

 

જીવનમાં ઉન્નતિ કરવા માટે ભૂતકાળનાં બંધનોને તોડતાં જવું પડે

“વ્હૂ મૂવ્ડ માય ચીઝ” શીર્ષક હેઠળનું એક ખૂબ જ સરસ પુસ્તક છે. તેનો ગુજરાતીમાં પણ અનુવાદ થયો છે. પુસ્તકમાં ક્યાંક એવો ઉલ્લેખ છે કે ચાલતી વખતે પાછળના પગને ઉંચકવો પડે છે. તમે પાછળના પગને ખસેડ્યા વિના ચાલવાનો પ્રયાસ કરો. ચાલવાનો અર્થ છે, આપણા પાછળના પગને સતત આગળ લાવતાં રહેવું. આ જ રીતે, જીવનમાં આગળ વધવું હોય તો આપણે આપણી ભૂતકાળની સ્થિતિઓ, પરિસ્થિતિઓને છોડવી પડે.

બરાબર આ જ સિદ્ધાંત આપણા મનને લાગુ પડે છે. જો આપણે વિકસિત થવું હોય તો આપણે ભૂતકાળને છોડી દેવો પડે. આપણે જેટલી ઝડપથી ભૂતકાળને છોડી શકીએ એટલી જ સરળતાથી આપણે ઉન્નતિ કરી શકીએ અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ. આપણે ભૂતકાળને જેટલો વધુ પકડી રાખીએ એટલો જ વિચારો, લાગણીઓ, ગ્રંથિઓ, વગેરેનો બોજો વધારે લાગે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે આસક્તિ ઘટાડતાં જવું જોઈએ. જ્યારે આપણે આગળ વધવા ઈચ્છીએ ત્યારે ભૂતકાળનાં બંધનો સૌથી મોટા અવરોધો બને છે.

જીવનમાં પ્રગતિ કરવાની આપણી ઈચ્છા હોય છે, પરંતુ આપણે ભૂતકાળની લાગણીઓનો સંચય કરતાં જઈએ છીએ. અહીં મારા પાડોશીની દીકરીના શબ્દો મને યાદ આવે છે. એણે એક દિવસ કહ્યું “હું દિવાળી વખતે એમના ઘરે ગઈ ત્યારે એમણે મારી સાથે કરેલું વર્તન હું ક્યારેય ભૂલી શકીશ નહીં.” એ દિવાળીના દિવસો દરમિયાન એના કાકાને મળવા ગઈ ત્યારની વાત કરી રહી હતી. ત્યાં લગભગ એવું થયું હતું કે કાકાના ઘરે બીજા પણ ઘણા મહેમાનો હતા અને આ છોકરી તરફ કાકાના પરિવારે પૂરતું ધ્યાન આપ્યું નહીં. મેં એને પૂછ્યું, “તને કાકાને ત્યાં ફાવતું જ નથી તો તું શું કામ ત્યાં ગઈ હતી?” એણે જવાબ આપ્યો “જ્યારે આસપાસ ઘણા મહેમાનો ન હોય ત્યારે કાકા હંમેશાં મારી સાથે ખૂબ જ સારી રીતે વાતો કરતા હોય છે, પરંતુ મહેમાનો આવે ત્યારે જાણે હું ઘરમાં હોઉં જ નહીં એવું વર્તન કરવા લાગી જાય.”

હું બન્ને બાજુની હકીકતો જાણતો નહીં હોવાથી, હું એ બાબતે કોઈ નિર્ણાયક મત આપવા માગતો નથી. કદાચ કાકાને લાગતું હશે છે કે ઘરે બીજા લોકો આવ્યા હોય ત્યારે ભત્રીજી તો ઘરની જ કહેવાય તેથી એના તરફ વધારે ધ્યાન આપી શકાય નહીં તો વાંધો ન આવે.

પાડોશીની દીકરી પોતાના મતને વળગીને રહેશે તો એ આખી જિંદગી કાકાના પરિવાર સાથે પહેલાંની જેમ હળીમળી નહીં શકે.

ઘણી વખત આપણે લોકોને કોઈ ચોક્કસ સમુદાય, સંપ્રદાય, ધર્મ વિરુદ્ધ વાત કરતાં સાંભળીએ છીએ. પહેલું તો એ કે એક વ્યક્તિ સાથે થયેલા અનુભવને લીધે એમના સમગ્ર સમૂહને દોષ આપી શકાય નહીં. વળી, જો કોઈ સમુદાય, પંથ કે સંપ્રદાય કે ધર્મ આપણી માન્યતા મુજબ વર્તે નહીં તો એમાં દોષ આપણી માન્યતાનો વધારે અને એમના વર્તનનો ઓછો છે. જો કોઈનું વર્તન સમાજ માટે જોખમી કે હાનિકારક ન હોય તો આપણે એના વિશે ચિંતા કરવી જોઈએ નહીં. આપણને કદાચ એમની રહેણીકરણી, એમના ખોરાક, એમની રીતભાત કે એમના પહેરવેશ બાબતે વાંધો હોય, પરંતુ એનો અર્થ એવો નથી કે એમના સમૂહના બધા જ લોકો ખરાબ છે. વળી, કોઈ માણસ યોગ્ય રીતે વર્તતો ન હોય અને આપણે સતત એના વર્તન વિશે જ વિચારતાં રહીએ તો પરોક્ષ રીતે આપણે પોતાના મનને અને પોતાની જાતને સજા કરી કહેવાય.

યોગિક વેલ્થ બ્રાન્ડ્સ, સ્ટેટસ, જીવનશૈલી વગેરે પ્રત્યેની આસક્તિ છોડવા સાથે સંબંધ ધરાવે છે. આપણી આસક્તિ ઘટે કે તરત જ આપણે પોતાની સંપત્તિનો વધુ આનંદ માણી શકાય છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ રેડિયોગ્રાફી દિવસ? જાણો ઈતિહાસ અને મહત્વ

દર વર્ષે 8 નવેમ્બરના રોજ વિશ્વ રેડિયોગ્રાફી દિવસ (World Radiography Day) ઉજવવામાં આવે છે, જે તબીબી ક્ષેત્રમાં રેડિયોલોજી અને એક્સ-રે જેવી ટેકનોલોજીના યોગદાનને ઓળખવા માટેનો એક મોટો દિવસ છે.

તબીબી ક્ષેત્રમાં રેડિયોલોજી અને એક્સ-રે જેવી ટેકનોલોજીના યોગદાનને માન્યતા આપવા માટે દર વર્ષે 8 નવેમ્બરના રોજ વિશ્વ રેડિયોગ્રાફી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ 1895 માં વિલ્હેમ રોન્ટજેન દ્વારા એક્સ-રેની શોધની વર્ષગાંઠને ચિહ્નિત કરે છે, જેણે તબીબી વિજ્ઞાનમાં ક્રાંતિ લાવી હતી. આ દિવસનો હેતુ રેડિયોલોજી વ્યાવસાયિકોની ભૂમિકાનું સન્માન કરવાનો અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. તે રેડિયોલોજીના ક્ષેત્રમાં નવા વિકાસ અને સંશોધનને પ્રોત્સાહન આપવાની પણ તક છે.

વિશ્વ રેડિયોગ્રાફી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

વિશ્વ રેડિયોગ્રાફી દિવસ દર વર્ષે 8 નવેમ્બરે રેડિયોલોજી ક્ષેત્રમાં આપેલા યોગદાન અને એક્સ-રે જેવી ટેકનોલોજીના મહત્વને સ્વીકારવા માટે ઉજવવામાં આવે છે. રેડિયોલોજિસ્ટ અને તબીબી વ્યાવસાયિકો આ દિવસે કાર્યક્રમો અને જાગૃતિ કાર્યક્રમોમાં ભાગ લે છે, જે તબીબી વિજ્ઞાનના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ છે.

વિશ્વ રેડિયોગ્રાફી દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

વિશ્વ રેડિયોગ્રાફી દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ રોગોના નિદાન અને સારવારમાં મદદ કરતા રેડિયોલોજી અને મેડિકલ ઇમેજિંગના યોગદાનને ઓળખવાનો છે. આ દિવસની ઉજવણી કરીને, આપણે રેડિયોલોજી વ્યાવસાયિકોના કાર્યનું સન્માન કરીએ છીએ અને તેમના પ્રયત્નોને પ્રકાશિત કરીએ છીએ. તે દવામાં નવા વિકાસ અને તકનીકી નવીનતાઓને પ્રોત્સાહન આપવાની તક પણ છે.

8 નવેમ્બરના રોજ વિશ્વ રેડિયોગ્રાફી દિવસ ઉજવવાનું કારણ એ છે કે 8 નવેમ્બર, 1895ના રોજ જર્મન વૈજ્ઞાનિક વિલ્હેમ રોન્ટજેને એક્સ-રેની શોધ કરી હતી. આ શોધે દવામાં ક્રાંતિ લાવી અને રોગોનું નિદાન કરવાની રીત સંપૂર્ણપણે બદલી નાખી. આ ઐતિહાસિક શોધની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે.

વિશ્વ રેડિયોગ્રાફી દિવસનો હેતુ શું છે?

વિશ્વ રેડિયોગ્રાફી દિવસનો હેતુ રેડિયોલોજી ક્ષેત્રમાં કામ કરતા વ્યાવસાયિકોની ભૂમિકાનું સન્માન કરવાનો અને દવામાં રેડિયોલોજીકલ તકનીકોના મહત્વ વિશે લોકોને શિક્ષિત કરવાનો છે. આ દિવસ રેડિયોલોજીના મહત્વ વિશે સમજાવવા અને જાગૃતિ લાવવા અને રેડિયોલોજીના ક્ષેત્રમાં નવી શક્યતાઓ અને વિકાસને પ્રોત્સાહન આપવાના સાધન તરીકે કામ કરે છે.

વિશ્વ રેડિયોગ્રાફી દિવસની ઉજવણી માટે, તબીબી સંસ્થાઓ, હોસ્પિટલો અને રેડિયોલોજિસ્ટ દ્વારા જાગૃતિ કાર્યક્રમો, સેમિનાર, વર્કશોપ અને જાહેર વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવે છે, આ દિવસનું મહત્વ શેર કરવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ અને ઝુંબેશ ચલાવવામાં આવે છે, આ ઉપરાંત, રેડિયોલોજિસ્ટ અને તબીબી વ્યાવસાયિકો તેમના યોગદાન શેર કરીને આ દિવસને ઓળખે છે.

ગુલકંદ – ૦૮ નવેમ્બર ૨૦૨૫

મગની દાળની ઈડલી

મગની દાળની ઈડલી સ્વાદિષ્ટ તો બને છે. પણ સાથે ટામેટાંની ચટણી તેનો સ્વાદ વધારે છે.

સામગ્રીઃ

  • મગની દાળ 1 કપ
  • રવો ½ કપ
  • દહીં ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • ઈનો ફ્રુટ સોલ્ટ 1 ટી.સ્પૂન
  • લીલા મરચાં 2-3
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • કોથમીર સમારેલી ½ કપ
  • બાફેલાં વટાણા ½ કપ (તમે બાફેલાં સ્વીટ કોર્ન પણ ઉમેરી શકો)
  • ગાજર 1
  • રાઈ 1 ટી.સ્પૂન
  • તેલ વઘાર માટે 2 ટે.સ્પૂન

ટામેટાંની ચટણી માટેઃ

  • ટામેટાં 4,
  • દાળિયા ¼ કપ
  • લીલા મરચાં 2
  • સૂકા લાલ મરચાં 3
  • ચણાની દાળ 1 ટી.સ્પૂન
  • અળદની દાળ 1 ટી.સ્પૂન
  • રાઈ 1 ટી.સ્પૂન
  • તેલ વઘાર માટે 1 ટે.સ્પૂન
  • લસણની કળી 4-5
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • સ્વાદ મુજબ મીઠું

રીતઃ મગની દાળને ધોઈને 4 કલાક માટે પલાળી લીધા બાદ તેમાંનું પાણી નિતારી મિક્સીમાં દાળ, રવો, દહીં તેમજ લીલા મરચાં, આદુના ટુકડા મેળવીને કરકરું ખીરું પીસી લો. તેમાં સમારેલી કોથમીર, બાફેલાં વટાણા તેમજ ગાજર ઝીણું સમારીને ઉમેરી દો.

ટામેટાંની ચટણી માટે પેનમાં વઘાર માટેનું તેલ ગરમ કરી તેમાં રાઈ વઘારીને ચણાદાળ તેમજ અળદ દાળને શેકી લો. ત્યારબાદ તેમાં લાલ મરચાં વઘારીને તેમાં ટામેટાંના ટુકડા કરીને થોડીવાર સાંતળી લીધા બાદ ગેસ બંધ કરી દો. ટામેટાં ઠંડા થાય એટલે તેને મિક્સીમાં નાખીને લીલા મરચાં તેમજ આદુ, લસણ અને દાળિયા મેળવીને બારીક ચટણી પીસી લો.

ઈડલી બનાવતી વખતે તેમાં ઈનો ફ્રુટ સોલ્ટ મેળવીને ઈડલીના વાસણમાં ઈડલીનું ખીરું રેડીને વાસણ ઢાંકીને ઈડલીને ગેસની મધ્યમ આંચે 10-15 મિનિટ માટે થવા દો. ત્યારબાદ ઈડલી થોડી ઠંડી થાય એટલે ઈડલી મોલ્ડમાંથી કાઢી લો. એક પેનમાં તેલ વઘાર માટે ગરમ કરી રાઈનો વઘાર કરીને ઈડલી તેમાં મેળવી લો.

ગરમાગરમ ઈડલી ટામેટાંની ચટણી સાથે પીરસો.

૦૮ નવેમ્બર ૨૦૨૫

પંચાંગ 08/11/2025

લાખો એન્ડ્રોઇડ યુઝર્સ હેકિંગના જોખમમાં, સરકારની ચેતવણી

જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો ભારતીય સરકારી એજન્સી તરફથી તમારા માટે ચેતવણી છે. કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-in) દ્વારા ચેતવણી જારી કરવામાં આવી હતી. જે ​​વર્ઝન માટે ચેતવણી જારી કરવામાં આવી છે તે વર્ઝન ભારતમાં લાખો લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે.

એજન્સીએ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં કેટલીક નબળાઈઓ શોધી કાઢી હોવાના અહેવાલ છે. હુમલાખોરો આ નબળાઈઓનો ઉપયોગ કરીને ડિવાઇસ પર મનસ્વી કોડ ચલાવી શકે છે, જે સંભવિત રીતે સ્માર્ટફોન માટે ખતરો ઉભો કરી શકે છે. CERT-in અનુસાર, આ બગ એન્ડ્રોઇડ 13, 14, 15 અને 16 ને અસર કરે છે. આનો અર્થ એ છે કે લાખો સ્માર્ટફોન જોખમમાં છે, કારણ કે એન્ડ્રોઇડ 16 એ નવીનતમ સંસ્કરણ છે. જો કે, મોટાભાગના લોકો પાસે એન્ડ્રોઇડ 14 અને 15 ચલાવતા સ્માર્ટફોન છે.

જો તમારી પાસે Pixel, Vivo, Oppo, Xiaomi, Realme, Motorola, OnePlus અથવા Samsung સ્માર્ટફોન છે જે આ એન્ડ્રોઇડ વર્ઝન ચલાવે છે, તો સાવચેત રહો. એજન્સી અનુસાર, આ નબળાઈઓ હાર્ડવેર અને સોફ્ટવેર વિક્રેતાઓ તરફથી છે. આમાં Qualcomm, NVIDIA, Broadcom અને Unisoc ના ઘટકોનો સમાવેશ થાય છે. એ નોંધવું યોગ્ય છે કે આ ઘટકોનો ઉપયોગ મોટાભાગના Android સ્માર્ટફોનમાં થાય છે.

ભારત સરકારી એજન્સીએ આ નબળાઈને ઉચ્ચ જોખમ તરીકે વર્ગીકૃત કરી છે. આનો અર્થ એ છે કે હેકર્સ તમારા ફોનમાંથી નાણાકીય વિગતો ચોરી કરવા માટે તેનો ઉપયોગ કરી શકે છે. તેઓ તમારા એકાઉન્ટને ડેબિટ પણ કરી શકે છે.

સારા સમાચાર એ છે કે Google પણ આ નબળાઈથી વાકેફ છે અને નવેમ્બરના સુરક્ષા પેચમાં તેને સુધારી દીધી છે. જો કે, જો તમે સુરક્ષિત રહેવા માંગતા હો, તો તમારે તાત્કાલિક તમારા ફોન પર નવીનતમ સુરક્ષા પેચ ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે, નહીં તો તમારો ફોન સંવેદનશીલ રહેશે.

પરમાણુ પરીક્ષણો પર રાજનાથ સિંહનું મોટું નિવેદન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો અને પરમાણુ પરીક્ષણોને લગતી ચર્ચા વચ્ચે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અથવા પરમાણુ પરીક્ષણના મુદ્દાઓ પર કોઈ પણ દેશ ભારત પર દબાણ કરી શકે નહીં. સંરક્ષણ પ્રધાને કહ્યું કે ભારત પરમાણુ પરીક્ષણો અંગે યોગ્ય સમયે યોગ્ય પગલાં લેશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત અમેરિકા, પડોશી ચીન, પાકિસ્તાન કે અન્ય કોઈ દેશના આદેશ કે દબાણને વશ નહીં થાય. તેમણે કહ્યું કે ભારત સરકાર વિદેશી દબાણ હેઠળ નહીં, પણ તેના રાષ્ટ્રીય હિતોના આધારે કોઈપણ નિર્ણય લેશે.

તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં યુએસ હસ્તક્ષેપનો પણ ઇનકાર કર્યો હતો, સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમાં કોઈ તૃતીય પક્ષની સંડોવણી નથી. પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે સંભવિત પરમાણુ પરીક્ષણ અંગેની ચર્ચાઓ સંબંધિત તાજેતરના વિકાસ વિશે પૂછવામાં આવતા, સિંહે ભારતના વલણને સ્પષ્ટ કરતા કહ્યું, ભવિષ્ય કહેશે કે ભારત શું કરશે. અમેરિકા કે પાકિસ્તાન જે કરી રહ્યું છે તેનાથી ભારત દબાણમાં આવશે નહીં. તેઓ જે ઇચ્છે છે તે કરી શકે છે. અમે જે યોગ્ય લાગે છે તે યોગ્ય સમયે કરીશું.

ઓપરેશન સિંદૂર અંગે, સંરક્ષણ પ્રધાને પુષ્ટિ આપી કે નિયંત્રણ રેખા પર ભારત દ્વારા તેના ઇચ્છિત ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા પછી જ ઓપરેશન રદ કરવામાં આવ્યું હતું. સિંહે કહ્યું, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અમને પાકિસ્તાનના ડીજીએમઓ તરફથી યુદ્ધવિરામ માટે વારંવાર ફોન આવ્યા હતા. તે ફોન કોલ્સ પ્રાપ્ત થયા પછી અને અમે જે ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માંગતા હતા તે પ્રાપ્ત કર્યા પછી જ અમે યુદ્ધવિરામનો નિર્ણય લીધો હતો.” તેમણે ઉમેર્યું, “જો જરૂરી હોય તો અમે ઓપરેશન ફરી શરૂ કરીશું.

આતંકવાદ પર શૂન્ય સહિષ્ણુતા

આતંકવાદ પર ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિનો પુનરાવર્તિત કરતા, સંરક્ષણ પ્રધાને સ્પષ્ટ કર્યું કે ભારતીય સેના ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાના તેના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે કહ્યું કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન ક્યારેય નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા નથી. સરહદ પારના હુમલાઓ દરમિયાન નાગરિક જાનહાનિના પાકિસ્તાનના દાવાઓને નકારી કાઢતા તેમણે કહ્યું, અમે ફક્ત આતંકવાદીઓને નિશાન બનાવ્યા, નાગરિકોને નહીં.

ખેડૂતોને પાક નુકસાની બદલ રૂ. 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર

ગાંધીનગર: ગુજરાત સરકારે ખેડૂતોને પાક નુકસાની બદલ રૂ. 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે ખેડૂતોને રાહત આપી છે. હાલમાં ગુજરાતના ખેડૂતો સૌથી મોટી મુશ્કેલીમાં છે, કારણ કે આ વર્ષે ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ સતત માવઠાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે હવે રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ગુજરાત સરકારનો મોટો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ અને નાણાં વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ખેડૂતોને પાક નુકસાનીના વળતર માટે રૂપિયા 10 હજાર કરોડ રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવાયો છે.

આ સાથે 9 નવેમ્બરથી ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 15 હજાર કરોડના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની પણ ખરીદી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.  જણાવી દઈએ કે, રાજ્યમાં કમોસમી વરસાદના લીધે 42 લાખ હેક્ટર માં 16,000 જેટલા ગામોમાં આ વરસાદથી નુકસાન થયું છે.

આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ‘ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.’

રૂ. 15 હજાર કરોડના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની પણ ખરીદી કરાશે: રાજ્ય સરકાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.’

મગફળી઼ની 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી: કૃષિ મંત્રી

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી.  SMSથી જાણકારી આપવામાં આવશે અને તે પ્રમાણે ખેડૂતો તેમનો જથ્થો પહોંચાડશે.

125 મણ ખેડૂતની ખરીદી કરવાની સૂચના: કૃષિ મંત્રી

કેન્દ્ર સરકારે ટેકાના ભાવના વધારામાં જાહેરાત કરી છે ત્યારે નિયમ પ્રમાણે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદી થશે અને જરૂર પ્રમાણે સબ સેન્ટર પણ ખોલવામાં આવશે. 125 મણ ખેડૂતની ખરીદી કરવાની સૂચના રાજ્યની સરકારે આપી છે. કેન્દ્રનાં નિયમો મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે અને સમગ્ર દેશમાં આ પ્રમાણે ખરીદી થઈ હતી. ભારત સરકારે મગફળીના ભાવ, મગના ભાવની ખરીદીમાં વધારો કર્યો છે. ભારત સરકાર નિયમ પ્રમાણે 25 % ની ખરીદીની જોગવાઈ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા એનાથી વધુ ખરીદી થાય એ પ્રમાણે સપ્રમાણમાં ખરીદી કરી શકાય એ પ્રમાણે સરકાર ખરીદી કરશે. જ્યારે રાહત પેકેજ માટે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

7263 રૂ. પ્રતિ ક્વિન્ટન કિંમતે મગફળી ખરીદી કરવામાં આવશે. ગત વર્ષે 3.5 લાખ ખેડૂતોની નોંધણી થઈ હતી, અને સરકાર ખેડૂતોની બજાર બહાર મદદ કરી હતી. આ વખતે 9.5 લાખ મગફળીનું વાવેતર છે અને ગત વર્ષની સરખામણીએ ઓછું હતું. તેમણે જણાવ્યું કે આગમી સમયમાં જરૂરી પરિપત્રો કરવામાં આવશે. કમોસમી વરસાદના નુકસાનને જોતા નિયમો મુજબ જ ખરીદી થશે.

પાક વિમા યોજના અમલમાં મૂકવા માગ

વર્ષ 2019માં રાજ્ય સરકારે રૂ. 3750 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયુ હતું. પણ તે વખતે પાક વિમા યોજના અમલમાં હતી પરિણામે ખેડૂતોને રૂ. 10 હજાર કરોડનો આર્થિક ફાયદો પહોંચ્યો હતો. ખેડૂતોનું કહેવુ છે કે, આ વખતે ભલે સરકાર કરોડોનું પેકેજ જાહેર કરે પણ પાક વિમા યોજના બંધ કરાઇ છે. ત્યારે ખેડૂતોની આર્થિક ખોટ સહાયથી સરભર થાય તેમ નથી. આ કારણોસર ખેડૂતોમાં અસંતોષની લાગણી જોવા મળશે તેમાં બે મત નથી.