Home Blog Page 4713

અમદાવાદમાં ‘ઈસરો’ કેન્દ્રમાં કોરોના ઘૂસ્યો; 11 કર્મચારીને ચેપ લાગ્યો

અમદાવાદઃ દેશમાં કોરોના વાઈરસનુ સંક્રમણ દિવસને દિવસે વધતું જાય છે. અહીંના વિક્રમનગર સ્થિત ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)ના કર્મચારીઓ પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. અમદાવાદમાં કોરોનાના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે. 11 નવા કેસમાં ઈસરો સેક (ISRO SAC)ના 11 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. અહીં 700 ઘરોમાંથી 20 ઘરોમાં કોરોના સંક્રમણ ફેલાયો છે. અહીં કુલ 80 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે.

કોરોના સંક્રમિત કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ સ્થિત ખાનગી હોસ્પિટલે આ લોકોને કૉન્ટ્રીબ્યુટરી હેલ્થ સર્વિસ સ્કીમ એટલે કે (CHSS) હેઠળ સારવાર કરવાનો ઈનકાર કરી રહ્યા છે. મહત્વનું છે કે, આ યોજના હેઠળ કર્મચારીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ઓછા પૈસા ચૂકવવા પડે છે.

વિક્રમનગર કોલોનીના બે બ્લૉકને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. અહીં રહેતા લોકોને ઘરમાંથી બહાર નિકળવાની મંજૂરી નથી. ઈસરો સેકના કર્મચારીઓ પણ ઘરેથી જ કામ કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર 30 જૂને સેકના કર્મચારીઓ માટે એક સર્ક્યુલર જારી કરવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે 31 જુલાઈ સુધી ટેકનિકલ અને એડમિનિસ્ટ્રેટીવ વિભાગ સાથે જોડાયેલ બધા વરિષ્ઠ કર્મચારી વર્કિંગ ડે દરમિયાન ઓફિસ આવે. જ્યારે સ્ટાફના કર્મચારીઓને એક દિવસ છોડીને ઓફિસ આવવા માટે કહેવામાં આવ્યુ હતુ એટલે કે 50 ટકા કર્મચારીઓની ઉપસ્થિતિનુ પાલન કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

વળી, બેંગલુરુ સ્થિત ઈસરોના કાર્યાલયની વાત કરીએ તો અહીં 22 જુલાઈએ એક મેમોરેન્ડમ જારી કરવામાં આવ્યુ છે જેમાં કહેવામાં આવ્યુ છે કે માત્ર જરૂરી કર્મચારીઓને જ ઓફિસ આવવાનુ છે અને 31 જુલાઈ સુધી આ સ્થિતિને જાળવી રાખવાની છે. કર્ણાટકમાં 22 જુલાઈએ લોકડાઉન પૂરું થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો.

સતત ચોથા દિવસે 45,000થી વધુ કોરોનાના નવા કેસ  

નવી દિલ્હીઃ તમામ પ્રયાસો છતાં દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 47,703 નવા કેસ સામે આવ્યા છે અને 654 લોકોનાં મોત થયાં છે.દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના 45,000થી વધુ કેસ નોંધાયા છે.  દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15 લાખને નજીક પહોંચી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 14,83,156 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 33,425 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 9,52,743 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,96,988એ પહોંચી છે. રિકવરી રેટ 64.23 ટકાએ પહોંચ્યો છે.

2.28 ટકા લોકોએ જીવ ગુમાવ્યા

આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 14,83, 157 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે દેશમાં 33.80 ટકા સક્રિય કકેસ છે અને 63.92 ટકા લોકો સારવાર પછી સ્વસ્થ થઈ ચૂક્યા છે અને 2.28 ટકા લોકોએ જીવ ગુમાવ્યા છે.

પાછલા 24 કલાકમાં સૌથી વધુ મોત ભારતમાં

કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વમાં ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. સૌથી વધુ મોત અમેરિકા અને બ્રાઝિલમાં થઈ છે, પણ પાછલા 24 કલાકમાં ભારતમાં અમેરિકા અને બ્રાઝિલ કરતાં વધુ મોત થયાં છે. પાછલા 24 કલાકમાં ભારતમાં 654 લોકોનાં મોત થયાં છે, જ્યારે અમેરિકા અને બ્રાઝિલમાં અનુક્રમે 577 અને 627 લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

ધીરુભાઈ અંબાણીના મોટા ભાઈ રમણિકભાઈનું 95 વર્ષે નિધન

અમદાવાદઃ રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક સ્વ. ધીરુભાઈના મોટા ભાઈ રમણિકભાઈ અંબાણીનું ગઈ કાલે અમદાવાદમાં નિધન થયું છે. તેઓ 95 વર્ષના હતા. રમણિકભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સંસ્થાપકો સભ્ય હતા. રિલાયન્સની સફળતામાં તેમનું મહત્ત્વનું યોગદાન છે.  અંબાણી પરિવારે ગઈ કાલે તેમના નિધનની જાહેરાત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ ઊંઘમાં જ શાંતિથી મૃત્યુ પામ્યા હતા. રમણિકભાઈની પુત્રી ઈલાનાં લગ્ન ગુજરાતનાં ઊર્જાપ્રધાન સૌરભ પટેલથી થઈ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં ડિરેક્ટર

રમણિકભાઈ 90 વર્ષની ઉંમર સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં હતા. તેઓ 2014માં નિવૃત્ત થયા હતા. ત્યાર બાદ મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણી બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ થનારાં પહેલાં મહિલા બન્યાં.

 જૂનાગઢમાં જન્મ

1924માં હીરાચંદ અને જમુનાબહેન અંબાણીના ઘરે રમણિકભાઈનો જન્મ થયો હતો. તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી મોટા હતા. તેમના બે ભાઈ ધીરુભાઈ અંબાણી અને નટુભાઈ અંબાણી અને તેમનાં બે બહેનો ત્રિલોચન બહેન અને જસુમતી બહેન હતાં.

નરોડામાં વિમલ ટેક્સટાઇલ્સ કંપનીની શરૂઆત

તેમના જીવનનો આદર્શ હતો કે વિનમ્રતા બધા ગુણો જરૂરી છે અને જીવન જીવવા માટે એ બહુ જરૂરી છે તેમણે પોતાના પુત્રના નામે નરોડામાં વિમલ ટેક્સટાઇલ્સ કંપનીની શરૂઆત કરી હતી.

રિલાયન્સનું માર્કેટ કેપ 14.14 લાખ કરોડ

રમણિકભાઈ તેમના ભાઈ ધીરુભાઈને મદદ કરતા હતા.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વમાં સૌથી મૂલ્યવાન બીજા નંબરની એનર્જી કંપની બની હતી, જેણે અમેરિકન ઓઇલ જાયન્ટ એક્સોનમોબિલના માર્કેટ કેપને 24 જુલાઈએ વટાવ્યું હતું. ગયા શુક્રવારે રિલાયન્સનું માર્કેટ કેપ 14.14 લાખ કરોડ રૂપિયા અથવા 189 અબજ ડોલરને પાર થયું હતું. જ્યારે એક્સોનમોબિલનું માર્કેટ કેપ હાલમાં 184 અબજ ડોલરના સ્તરે છે.

રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન

તેમણે દેશના વિકાસની વાર્તામાં એક નાનકડું યોગદાન આપ્યું છે. તેમણે વ્યાવસાયિક જીવન દરમ્યાન રાજ્યના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમણે GIDC અને GICમાં સેવાઓ આપી છે. તેમણે જૂનાગઢના શિશુ મંગલ ટ્રસ્ટના અધ્યક્ષના પદે પણ કામ કર્યું છે.

રમણિકભાઈનાં પત્ની પદ્માબહેનનું 2001માં નિધન થયું હતું. તેઓ તેમના બાળકો અને પ્રપૌત્રોની સાથે રહેતા હતા.

 

 

રાશિ ભવિષ્ય 28/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની    લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 28/07/2020

યુએઈમાં IPL2020: મોદી સરકાર તરફથી લીલી ઝંડીની જોવાતી રાહ

દુબઈઃ એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ એવા અહેવાલોને સમર્થન આપ્યું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2020ની આવૃત્તિ યોજવા માટે એને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) તરફથી લેટર ઓફ ઈન્ટેન્ટ મળ્યો છે.

ઈસીબીના સેક્રેટરી જનરલ મુબાશીર ઉસ્માનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે અમને સત્તાવાર પત્ર મળ્યો છે અને હવે અમે ભારત સરકારના નિર્ણયની રાહ જોઈએ છીએ. એમની મંજૂરી મળશે એટલે આખરી મ્હોર લાગશે.

કોરોના વાઈરસનો ફેલાયો થયો હોવાથી આ વખતની આઈપીએલ સ્પર્ધાને ભારતની બહાર, યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ)માં યોજવા માટે ભારત સરકારે મંજૂરી આપી દીધી છે એવી બીસીસીઆઈ તરફથી જાણકારી આપતી નોટિસ મળવાની અમે રાહ જોઈએ છીએ, એમ ઉસ્માનીએ કહ્યું છે.

બંને દેશના ક્રિકેટ બોર્ડે તો આ વિશે સંબંધિત અધિકારીઓ સાથે મસલત શરૂ પણ કરી દીધી છે.

કહેવાય છે કે યુએઈમાં આઈપીએલ-13 19 સપ્ટેંબરથી શરૂ થશે અને 8 નવેંબરે ફાઈનલ મેચ રમાશે. દુબઈ કોરોના વાઈરસના ચેપથી સુરક્ષિત રહ્યું છે.

ઉસ્માનીએ કહ્યું કે આઈપીએલ વિશ્વની સૌથી વધુ રોમાંચક, લોકપ્રિય અને આકર્ષક ટુર્નામેન્ટ છે. તેથી એનું યજમાન ભોગવવાનું અમને મન થયું છે. જો યુએઈ આઈપીએલ યોજે તો એ માટે અમારે કેટલાક નિષ્ણાતોની મદદ લેવી પડશે જે અમે અબુધાબી, દુબઈ અને શારજાહમાંથી બોલાવીશું.

2014માં પણ યુએઈ દ્વારા આઈપીએલની કેટલીક મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. એ વખતે ભારતમાં લોકસભાની ચૂંટણી હોવાને કારણે સ્પર્ધાની કેટલીક મેચો ભારત બહાર, યુએઈમાં રમાડવી પડી હતી.

યુએઈમાં દુબઈ, અબુધાબી અને શારજાહમાં વર્લ્ડ ક્લાસ ક્રિકેટ સ્ટેડિયમો છે. તેથી 8-ટીમની આઈપીએલ યોજી શકવાનો ઉસ્માનીને વિશ્વાસ છે.

દુબઈમાં, પ્રશાસને કોરોના વાઈરસના ચેપને રોકવા માટે ગયા ફેબ્રુઆરીની શરૂઆતથી જ પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું. હાલ આ દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે અને સાજા થતા લોકોની સંખ્યા વધી રહી છે.

મહામારીઓ સામે જંગઃ 3 હાઈટેક લેબ્સનું પીએમ દ્વારા લોકાર્પણ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નોએડા, મુંબઈ અને કોલકાતામાં ઉચ્ચ ક્ષમતાવાળી કોવિડ-19ના પરીક્ષણની સુવિધાઓનો શુભારંભ કર્યો હતો. આ કેન્દ્રોમાં એક દિવસમાં 10,000 સેમ્પલ્સની તપાસ થઈ શકશે. આ ત્રણ હાઇટેક લેબ્સના ઉદઘાટન કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધન, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ હાજર હતા.

આ હાઇટેક લેબ્સમાં માત્ર કોરોના ટેસ્ટિંગ સુધી સીમિત નહીં રહે, પણ ભવિષ્યમાં હેપેટાઇટિસ B  અને C, HIV, ડેન્ગ્યુ સહિત અનેક બીમારીઓના ટેસ્ટિંગ માટેની આ લેબ્સમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વડા પ્રધાને કહ્યું કે ભારત સારી સ્થિતિમાં

આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશના કરોડો નાગરિકો કોરોનાથી બહુ બહાદુરીપૂર્વક લડી રહ્યા છે. આજે જે ટેસ્ટિંગ સુવિધાની શરૂઆત થઈ છે, એમાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના કોરોનાની સામેની લડાઈમાં વધુ શક્તિ મળશે. વડા પ્રધાને કહ્યું હતું કે કોરોના વાઇરસને લઈને યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવાને કારણે ભારત બહુ સારી સ્થિતિમાં છે.

બહુ મોટી સફળતા

તેમણે કહ્યું હતું કે કોરોના રોગચાળા દરમ્યાન દરેક જણે એક જ સંકલ્પ લીધો છે કે એકક-એક ભારતીયને બચાવવો છે. આ સંકલ્પે ભારતને સારાં પરિણામો આપ્યાં છે. ખાસ કરીને PPE કિટ, માસ્ક અને ટેસ્ટ કિટ્સને લઈને જે ભારત કર્યું છે, એ બહુ મોટી સફળતા છે.

સામૂહિક પ્રયાસોથી લોકોના જીવન બચ્યાં

તેમણે કહ્યું હતું કે બધાના સામૂહિક પ્રયાસોથી લોકોના જીવન બચ્યાં છે અને જે ચીજવસ્તુઓની આપણે આયાત કરતા હતા. દેશ એની આજે નિકાસ કરી રહ્યો છે. આટલા ઓછા સમયમાં મોટુ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે, જેનાથી તમે બધા પરિચિત છો.

નવું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો તૈયાર કરવાનું છે

તેમણે વધુમાં કહ્યું હતું કે આપણે મળીને નવું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો તૈયાર કરવાનું છે, જે અમારી પાસે ગામેગામમાં સરકારી અને ખાનગી દવાખાનાં છે, ક્લિનિક છે. એમને વધુ સુવિધાયુક્ત બનાવવાની છે. આ આપણે એટલા માટે કરવાનું છે, કેમ કે આપણાં ગામડાં લડાઈમાં નબળાં ના પડે.

કેટલાક મહિનાઓમાં તહેવારોની સીઝનને મુદ્દે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આવનારા સમયમાં અનેક તહેવારો આવવાના છે. આપણા આ ઉત્સવ, ઉલ્હાસને કારણ બને, લોકોમાં સંક્રમણ ના ફેલાય, એટલા માટે આપણે સાવધાની રાખવાની છે. આપણે એ જોવાનું છે કે આ ઉત્સવના સમયે ગરીબ પરિવારોને પરેશાની થાય.

COVID રસી ઉપલબ્ધ થાય પછી જ આર્થિક પેકેજ જાહેર કરાશે

નવી દિલ્હીઃ અર્થતંત્રને વેગ આપવા માટેનું આર્થિક પેકેજ જાહેર કરાશે કે નહિ એ મુદ્દો નથી પરંતુ મુદ્દો એ છે કે તે ક્યારે જાહેર કરવું અને એ માટેનો યોગ્ય સમય કોરોના વાઈરસ (કોવિદ-19)ની રસી ઉપલબ્ધ થાય એ સમય હશે, એમ દેશના ચીફ ઈકોનોમિક એડવાઈઝર (સીઈએ) કે.વી. સુબ્રહ્મણિયને કહ્યું છે.

એક વાર કોવિદની રસી ઉપલબ્ધ થાય કે જે થોડા મહિનાઓમાં ઉપલબ્ધ થાય એમ છે અને એને પગલે અનિશ્ચિતતાનો અંત આવે ત્યારે આર્થિક પેકેજ જાહેર કરવાનો યોગ્ય સમય હશે, એમ તેમણે જણાવ્યું હતું.
સીઈએ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (એફઆઈસીસીઆઈ) દ્વારા યોજવામાં આવેલા વેબિનારને સંબોધી રહ્યા હતા.

સુબ્રહ્મણિયનના જણાવ્યા પ્રમાણે અનિશ્ચિતતાને પગલે માગમાં, ખાસ કરીને જેના વિના ચલાવી શકાય એવી આઈટેમોની માગમાં જોરદાર ઘટાડો થયો છે. આ અનિશ્ચિતતા જ્યાં સુધી ખતમ ન થાય ત્યાં સુધી લોકો પાસે નાણાં આવશે તો પણ તેઓ ખર્ચ કરશે નહિ અને રૂપિયા બેન્કમાં જમા પડેલા રાખશે. જન ધન એકાઉન્ટ્સમાંની પુરાંતોમાં જાન્યુઆરી મહિનામાં રૂ.20,000 કરોડનો ઉછાળો નોંધાયો હતો.

આપણે ચક્રવ્યૂહમાં ફસાયા છીએ જેની શરૂઆત બેન્કોથી થઈ હતી. બેન્કોએ રોકાણ ઘટાડ્યું એટલે વિકાસ ઘટ્યો, જેને પગલે લોકોની આવકો ઘટી અને એને પગલે નીચી માગના અંદાજો મુકાયા એટલે મૂડીરોકાણો ઘટતાં ગયાં.

સુબ્રહ્મણિયને જાહેર અને ખાનગી બેન્કોને છેલ્લામાં છેલ્લા ડેટા અને ટેકનોલોજી જેવી કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ અપનાવવાનું કહ્યું જેથી ધિરાણમાં વધારો કરી શકાય અને કોર્પોરેટ ધિરાણની ગુણવત્તા સુધારી શકાય.

વિલફિલ ડિફોલ્ટર્સની સમસ્યા અંગે તેમણે કહ્યું કે બેન્કો તેમની પાસે આવી રહેલા પુષ્કળ ડેટાનો ઉપયોગ કરી પુનઃ ચુકવણીની ક્ષમતા માપી શકે છે એટલું જ નહિ ચુકવણી કરવાની ઈચ્છા કર્જદાર ધરાવે છે કે નહિ એ પણ જાણી શકે છે. મુખ્ય બાબત વિલફુલ ડિફોલ્ટર્સ અને ચુકવણી કરાવાની ખરેખર ઈચ્છા ધરાવતા પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા ડિફોલ્ટર્સ વચ્ચેનો ભેદ સમજવાની છે.

વૈશ્વિક મહામારી પૂર્વે અર્થતંત્રમાં મંદી હતી તેનું કારણ બેન્કિંગ ક્ષેત્રમાં નોન-પરફોર્મિંગ એસેટ્સની કટોકટી અને બેન્કોના જોખમ ન લેવાના વલણ જેવી સમસ્યાઓ હતી એમ તેમણે કહ્યું હતું.

રફાલે ભરી ઉડાન, દુશ્મનો થયા પરેશાન…

ભારતીય હવાઈ દળે ફ્રાન્સ પાસેથી ખરીદેલા ફાઈટર વિમાન – રફાલનો પાંચ વિમાનનો પ્રથમ જથ્થો 27 જુલાઈ, સોમવારે ફ્રાન્સના મેરિગ્નેક સ્થિત દાસોલ્ટ એવિએશન કંપનીના પ્લાન્ટમાંથી રવાના થયા હતા. આ વિમાનો હવામાન અનુકૂળ મળશે તો 29 જુલાઈએ હરિયાણાના અંબાલા શહેરના એરબેઝ ખાતે આવી પહોંચશે. ફ્રાન્સ ભારતને દસ રફાલ વિમાનો આપશે. પાંચ વિમાન હજી પ્રશિક્ષણ માટે ફ્રાન્સમાં છે.

ભારતે 59,000 કરોડ રૂપિયામાં 36 રફાલ વિમાન ખરીદવા માટે 2016માં ફ્રાન્સ સરકાર સાથે સોદો કર્યો હતો. પહેલું વિમાન 2019ના ઓક્ટોબરમાં ભારતને સોંપવામાં આવ્યું હતું. બાકીના તમામ વિમાન 2021ના અંત સુધીમાં સુપરત કરી દેવામાં આવશે.

આ પાંચ વિમાનમાં 3 એક-સીટવાળા અને બે ટ્વિન-સીટર છે. રફાલ વિમાનોને હવાઈ દળની 17મી બટાલિયનમાં સામેલ કરવામાં આવશે.

 

રફાલ વિમાનના પ્રથમ સમૂહના પાઈલટ-ક્રૂ સભ્યો ટેકઓફ્ફ માટે સજ્જ થઈ ગયા હતા તે વેળાની તસવીર.

રફાલ વિમાન

પાંચ ફાઈટર રફાલ વિમાન ફ્રાંસથી ભારત આવવા રવાના

નવી દિલ્હી:  જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એ રફાલ ફાઈટર જેટ (Rafale Fighter Jet) વિમાન હવે ભારત આવી રહ્યા છે. આ વિમાનો ફ્રાન્સમાંથી રવાના થઈ ગયા છે. રફાલની એન્ટ્રીથી ભારતીય હવાઈ દળની તાકાતમાં વધારો થશે. ફ્રાન્સના મેરિગનેક એરબેઝથી 5 રફાલ ફાઈટર વિમાનોનો પ્રથમ જથ્થો રવાના થઈ ચુક્યો છે. 10 હજાર કિમીનું અંતર કાપીને તે બુધવારે ભારત પહોંચશે. લાંબા અંતરને પગલે UAEના અબુધાબીમાં રીફિલિંગ માટે આ વિમાનો થોડા સમય માટે રોકાશે. આ મલ્ટી-રોલ ફાઈટર જેટ્સ ભારતીય સેનામાં સામેલ થવાથી સેનાના શક્તિમાં ઘણો વધારો થશે. આ રફાલ ભારત આવ્યા બાદ 20 ઓગસ્ટના રોજ એક સમારોહ દરમિયાન તેમને સત્તાવાર રીતે હવાઈદળમાં સામેલ કરવામાં આવશે.

ફ્રાન્સના મેરિગનેક એરબેઝ પરથી રફાલે ઉડાન ભરી એ સમયે ત્યાં ભારતીય રાજદૂત જાવેદ અશરફ પણ હાજર રહ્યા હતા.તેમણે પાયલટની મુલાકાત કરી. તેમણે રફાલ ઉડાવનારા પહેલા ભારતીય પાયલટ્સને શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ ભારતીય દૂતાવાસ તરફથી એક રફાલનો એક વિડિયો શેર કરવામાં આવ્યો છે.

આ 5 રફાલ ફાઈટર જેટને 29 જુલાઈએ અંબાલા એરબેઝ ખાતે તૈનાત કરી દેવાશે. મહત્વની વાત એ છે કે અંબાલા એરબેઝ ચીનની સરહદથી માત્ર 200 કિમી દૂર છે. અંબાલામાં 17મી સ્ક્વાડ્રન ગોલ્ડન એરોજ રફાલની પહેલી સ્ક્વાડ્રન હશે.

રફાલ ડીએચ(ટૂ-સીટર) અને રફાલ ઈએચ(સિંગલ સીટર), બન્ને ટ્વિન એન્જિન, ડેલ્ટા-વિંગ, સીમે સ્ટીલ્થ કેપેબિલિટીઝ સાથે ચોથી જનરેશનના ફાઈટર જેટ છે. આ જેટથી પરમાણુ હુમલો પણ કરી શકાય છે. આ ફાઈટર જેટને રડાર ક્રોસ-સેક્શન અને ઈન્ફ્રા-રેડ-સિગ્નેચર સાથે ડિઝાઈન કરાયું છે. જેમાં ગ્લાસ કોકપિટ છે. આ સાથે જ એક કોમ્યુટર સિસ્ટમ પણ છે, જે પાયલટને કમાન્ડ અને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

જેમાં શક્તિશાળી M88 એન્જિન લાગેલું છે. રાફેલમાં એક એડવાન્સ એવિયોનિક્સ સૂટ પણ છે. જેમાં લાગેલા રડાર, ઈલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન સિસ્ટમ અને સેલ્ફ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટનો ખર્ચ આખા વિમાનની કુલ કિંમતના 30 ટકા છે. આ જેટમાં RBE 2AA એક્ટિવ ઈલેક્ટ્રોનિકલી સ્કૈન્ડ એરે(AESA)રડાર લાગેલા છે, જે લો-ઓબ્ઝર્વેશન ટાર્ગેટને ઓળખવામાં મદદ કરે છે.

રફાલ આધુનિક હથિયારથી સજ્જ છે. વાયુસેના તેને હેમર મિસાઈલથી સજ્જ કરાવી રહી છે. વાયુસેનાની જરૂરને ધ્યાનમાં રાખીને ફ્રાન્સના અધિકારીઓએ કોઈ બીજા માટે તૈયાર કરાયેલા સ્ટોકમાંથી ભારતને હેમર આપવાનો નિર્ણય કર્યો હતો. હેમર(હાઈલી એજાઈલ મોડ્યૂલર મ્યૂનિશન એક્સટેન્ડેડ રેન્જ)મીડિયમ રેન્જ મિસાઈલ છે, જેને ફ્રાન્સની વાયુસેના અને નેવી માટે બનાવાઈ હતી. જે આકાશમાંથી જમીન પર પ્રહાર કરવા સક્ષમ છે. હેમર લદાખ જેવા પહાડી વિસ્તારમાં પણ સૌથી મજબૂત શેલ્ટર અને બંકરોને નષ્ટ કરી શકે છે.

રાફેલ સિંથેટિક અપરચર રડાર(SAR) પણ છે, જે સરળતાથી જામ ન થઈ શકે. જ્યારે આમા લાગેલું સ્પેક્ટ્રા લાંબા અંતરના ટાર્ગેટને પણ ઓળખી શકે છે. આ બધા સિવાય કોઈ પણ જોખમની સ્થિતિમાં તેમાં લાગેલું રડાર વોર્નિંગ રિસીવર, લેજર વોર્નિંગ અને મિસાઈલ એપ્રોચ વોર્નિંગ એલર્ટ થઈ જાય છે અને રડારને જામ થતા બચાવે છે.

મહત્વનું છે કે, ભારતે ફ્રાન્સ પાસેથી 36 રફાલ લડાકુ વિમાનો ખરીદવા માટે હસ્તાક્ષર કર્યા છે. પ્રથમ જથ્થામાં 10 લડાકુ વિમાનો ભારતને સોંપવાના હતા પરંતુ તૈયાર ન થવાને કારણે માત્ર 5 વિમાન ભારત આવી રહ્યા છે. ગયા મહિને જ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ફ્રેન્ચ સંરક્ષણ પ્રધાન સાથે આ વિશે વાત કરી હતી, જેમણે રફાલને સમયસર પહોંચાડવાની ખાતરી આપી હતી. ચીન સાથે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને આ વિમાન ભારતીય વાયુસેનાની તાકાતમાં પણ વધારો કરશે.