નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોકાણકારોને ભારતના શહેરી કેન્દ્રોમાં મૂડીરોકાણ કરવા માટે આમંત્રિત કર્યા છે, કેમ કે દેશનું લક્ષ્ય કોરોના રોગચાળાને કારણે ધીમા પડેલા અર્થતંત્રને વેગ આપવાનું છે. વડા પ્રધાન મોદીએ બ્લુમબર્ગ ન્યુ ઈકોનોમી ફોરમને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધતાં કહ્યું હતું કે જો તમે શહેરીકરણમાં મૂડીરોકાણ કરવા ઇચ્છતા હો તો ભારતમાં એ માટે ઊજળી તક છે, જો તમે ઊભરતાં માર્કેટમાં મૂડીરોકાણ કરવા ઇચ્છો છો તો ભારતમાં એ માટે અનેક ઊજળી તકો છે.
તેમણે કહ્યું હતું કે આ રોગચાળાએ દરેક ક્ષેત્રમાં નવા પ્રોટોકોલ વિકસિત કરવાની તક આપી છે. આપણે વિશ્વની કોવિડ-બાદની જરૂરિયાતો વિશેની તકોને ઝડપી લેવી જોઈએ, જેથી આપણાં શહેરોનો કાયાકલ્પ થઈ શકે. ભારત એક પસંદગીનું ગ્લોબલ મૂડીરોકાણ સ્થળ બનવામાં કોઈ કસર નહીં છોડે. શહેરી કેન્દ્રોના લાભાલાભ પર પ્રકાશ ફેંકતાં મોદીએ કહ્યું હતું કે રોગાચાળાએ ફરીથી આપણા સૌથી મોટા સ્રોત સમાજો અને વ્યવસાયોના રૂપમાં આપણા લોકો છે, એ સમજાવ્યું છે. તેમને પોષણક્ષમ બનાવવામાં આવવા જોઈએ.
તેમણે કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, અફોર્ડેબલ હાઉસિંગ, રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ (રેરા) અને 27 શહેરોમાં મેટ્રો રેલવે જેવી સુવિધા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે દેશમાં 2022 સુધીમાં દેશમાં 1000 કિલોમીટર સુધીની મેટ્રો રેલ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી રહી છે. અમે બે તબક્કાની પ્રક્રિયા દ્વારા 100 સ્માર્ટ શહેરોને પણ પસંદ કર્યાં છે. આ શહેરોમાં આશરે રૂ. બે લાખ કરોડ અથવા 30 અબજ ડોલરના પ્રોજેક્ટ તૈયાર છે. આ ઉપરાંત આશરે રૂ. 1.40,000 કરોડના પ્રોજેક્ટ પૂરા થઈ ગયા છે, એમ તેમણે રોકાણકારોને જણાવ્યું હતું.
મુંબઈઃ મંગળવારે સતત ચોથા દિવસે મુંબઈમાં કોરોના વાઈરસના કેસો 1,000થી પણ ઓછી સંખ્યાના નોંધાયા હતા. નવો ચેપ લાગ્યો હોય એવા 541 કેસ નોંધાયા હતા અને આ વૈશ્વિક રોગચાળાને કારણે મૃત્યુ પામેલાઓની સંખ્યા 14 હતી. આ સાથે મુંબઈમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા 2,70,654 થઈ છે અને મરણાંક 10,596 થયો છે.
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે મુંબઈમાં કોવિડ-19 ટેસ્ટિંગની સંખ્યામાં લગભગ 50 ટકા જેટલો ઘટાડો થઈ ગયો છે અને એને કારણે જ આ રોગના નવા કેસોની નોંધણીમાં ઘટાડો થયો છે. ઘણા કેસોમાં કોરોનાની તપાસ થઈ નથી એને નિષ્ણાતોએ ચિંતાજનક બાબત ગણાવી છે.
મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, ગયા અઠવાડિયે મુંબઈમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા 10,000 સુધી ઘટી ગઈ હતી. આ આંક નવેમ્બરના આરંભમાં 13,000-14,000 હતો. દિવાળીનું સપ્તાહ શરૂ થયું ત્યારથી કોરોના ટેસ્ટિંગમાં ઘટાડો થયો હતો. તેથી ચિંતા થઈ રહી છે કે ઘણા લોકોને કોરોનાના લક્ષણ હશે, પરંતુ તેઓ ટેસ્ટિંગ માટે આગળ આવ્યા નથી.
અમદાવાદઃ અમદાવાદમાં દિવાળીના તહેવાર દરમ્યાન ખરીદી માટે બજારમાં લોકોની ઊમટેલી ભીડ હવે કોરોના વાઈરસ બીમારીના ઢગલાબંધ કેસોમાં પરિવર્તિત થઈ રહી છે. શહેરમાં સતત ત્રીજા દિવસે 200થી વધુ કેસ નોંધાયા હતા. ગઈ કાલે 145 દિવસ પછી કોરોનાના સૌથી વધુ 234 કેસો નોંધાયા હતા. છેલ્લા 48 કલાકમાં અમદાવાદમાં કોરોના કેસોની બાબતમાં વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. સોશિયલ મિડિયામાં આ અંગેના સમાચારો વાઇરલ થતાં અમદાવાદીઓ આજે ઘરમાં ભરાઈ રહ્યા છે. જેથી શહેરમાં જનતા કરફ્યૂ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે.
કેસ વધતાં હોસ્પિટલો પણ ફુલ
શહેરમાં કેસ વધતાં હોસ્પિટલો પણ ભરાવા માંડી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો ઝડપથી પેક થઈ રહી છે. એએમસીના જણાવ્યા અનુસાર હાલ 91 ટકા બેડ પેક છે અને હજી દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ગઈ કાલ સાંજ સુધીમાં શહેરની હોસ્પિટલોના 875 આઇસોલેશન બેડમાંથી 840 દર્દીઓ, 366 આઇસીયુ બેડસમાંથી 90 ટકા તેમ જ 175 આઇસીયુ વેન્ટિલેટર બેડમાંથી 90 ટકા બેડ ફુલ થઈ ગયા હતા. છેલ્લા ત્રણ-ચાર દિવસોમાં દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવતાં નવા વોર્ડ ખોલવા પડ્યા અને બેડની સંખ્યા વધારવી પડી છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં 1200 બેડમાંથી 625 બેડ ફુલ થઈ ગયા હતા અને ગંભીર દર્દીઓની સંખ્યા 174 હતી. સોલા સિવિડલમાં 450માંથી 280 બેડ ફુલ થયા છે અને વેન્ટિલેટર પર તમામ 50 બેડ હાલ ફુલ છે. જો હવે દર્દીઓ વધશે તો અહીં પણ બેડ્સની સંખ્યા વધારવામાં આવશે.
38 ડૉક્ટર,100થી વધુ કર્મચારી કોરોનાના ભરડામાં
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના 38 ડૉક્ટરોને કોરોના થયો છે તો 100થી વધુ કર્મચારી કોરોનાના ભરડામાં સપડાયા છે. શહેરમાં કોરોના વિસ્ફોટના ડરના કારણે અમદાવાદ સહિતના શહેરમાં રસ્તાઓ અને બજારોમાં લોકોની અવર જવર ઓછી થઈ ગઈ છે. ર છેલ્લા બે દિવસથી ટ્રાફિકમાં ભારે ઘટાડો નોંધાયો છે. હવે શહેરમાં સંક્રમણનો ડર એટલી હદે વધ્યો છે કે લોકોમાં જ સ્વયંભૂ જનતા કરફ્યૂની અસર દેખાઈ રહી છે.
કોરોનાની બીજી લહેર
રાજ્યમાં કોરોનાના સંક્રમણની બીજી લહેર હોવાનો મત અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પ્રભાકરે આપ્યો હતો. દિવાળી તહેવારોમાં મોટા ભાગના વિસ્તારોમાં લોકો બેદરકાર બની માસ્ક તેમ જ સોશિયલ ડિસ્ટન્સ વગર ફરતા હતા. બાપુનગર, ત્રણ દરવાજા સહિતનાં બજારોમાં ખરીદી કરવામાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા હતા, જેના કારણે હવે કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે.
વોશિંગ્ટનઃ મુંબઈમાં 2008ની 26 નવેમ્બરે ભયાનક આતંકવાદી હુમલાઓ કરાયા બાદ પાકિસ્તાન પર એનું વેર લેવાની અનેક માગણીઓ થઈ હતી, પણ એ વખતના વડા પ્રધાન મનમોહન સિંહે એ સ્વીકારી નહોતી. પરંતુ, એમનો એ સંયમ રાજકીય રીતે એમને બહુ ભારે પડી ગયો હતો. આ વાત અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ એમના જીવનના સંસ્મરણો વિશેના પુસ્તકમાં લખી છે. ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’ શિર્ષકવાળું આ પુસ્તક હાલ બુકસ્ટોર્સમાં ઉપલબ્ધ છે.
26/11 હુમલાઓ થયા હતા ત્યારે અમેરિકામાં ઓબામા પ્રમુખપદે હતા. એમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, હું જ્યારે 2010 ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે ગયો હતો ત્યારે મનમોહન સિંહ સાથેની મારી ચર્ચામાં 26/11 હુમલાઓનો ઉલ્લેખ થયો હતો. એમણે મારી સમક્ષ એવો ભય વ્યક્ત કર્યો હતો કે પોતે પાકિસ્તાન પર આક્રમણ કરવાનું એટલા માટે ટાળ્યું હતું કે ક્યાંક મુસ્લિમ-વિરોધી વધતી લાગણીનો ફાયદો ભારતનો સૌથી મોટો વિરોધપક્ષ ભારતીય જનતા પાર્ટી ઉઠાવી ન જાય, કારણ કે ભારતમાં વધી રહેલી મુસ્લિમ-વિરોધી લાગણીને કારણે ભાજપ વધારે મજબૂત થયો હતો.
ઓબામાએ પોતાના પુસ્તકમાં ડો. મનમોહન સિંહને બુદ્ધિમાન, ઉત્તમ વિચારોવાળા અને ઈમાનદાર વ્યક્તિ તરીકે ઓળખાવ્યા છે. મનમોહન સિંહ અને મેં સાથે મળીને ભારત-અમેરિકા વચ્ચેના ઉષ્માભર્યા સંબંધોને વિકસાવ્યા હતા.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 88 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 29,164 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 449 લોકોનાં મોત થયાં છે. છેલ્લા ચાર મહિનામાં પહેલી વાર દેશમાં કોરોના સંક્રમણના 30,000 ઓછા કેસ નોંધાયા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 89,12,907 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,30,993 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 83,35,109 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,46,805એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.47 ટકા થયો છે.
દિલ્હીમાં 17 દિવસમાં એક લાખથી વધુ પોઝિટિવ
દિલ્હીમાં કોરોના વાઇરસના સંક્રમણનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. જેથી 17 દિવસોમાં એક લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
અમદાવાદઃ વડોદરાના નેશનલ હાઇવે પરની વાઘોડિયા ચોકડી પાસે આઇસર ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં કમસે કમ 11 યાત્રીઓનાં મોત થયાં છે અને 17 જેટલા યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાની માહિતી મળતાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટ કરીને અકસ્માતમાં માર્યા ગયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત તેમણે અધિકારીઓને ઝડપી કામગીરી માટે સૂચના આપી છે તેમ જ ઘાયલ થયેલા લોકોને ત્વરિત સારવાર આપવા માટે સૂચના આપી હતી.
સુરતનો આહીર પરિવારને નડ્યો અકસ્માત
વડોદરાના ડીસીપી ઝોન-3 કર્ણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે આઇસર ટેમ્પોના ડ્રાઇવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. સુરતના વરાછા વિસ્તારમાં રહેતો આહિર પરિવાર નવા વર્ષની રજામાં પાવાગઢની મા કાળીનાં દર્શને જવા નીકળ્યો હતો. આહીર પરિવારના 20 થી 25 લોકો આઇસર ટેમ્પોમાં સવાર થઈને નીકળ્યા હતા. આ અકસ્માતમાં પરિવારના 11 લોકોના મોત થયાં છે, જેમાં પાંચ મહિલા, ત્રણ પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે.
Saddened by the loss of lives due to a road accident near Vadodara. Instructed officials to do needful. May those who have been injured recover at the earliest. I pray for the departed souls.
આઇસર ટેમ્પોમાં સવાર 17 જેટલા યાત્રીઓ ગંભીર રીતે ઘવાયા છે. અકસ્માતની જાણ થતા જ ફાયર વિભાગે રેસ્ક્યૂની કામગીરી તાત્કાલિક હાથ ધરી હતી. તો ઘવાયેલા યાત્રીઓને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. અકસ્માતની જાણ થતાં જ એડિશનલ સીપી, કલેક્ટર અને એસડીએમ સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તો એસએસજી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ રંજન ઐયર પણ તાત્કાલિક હોસ્પિટલમાં હાજર રહ્યા છે. અકસ્માતની જાણ થતાં જ સુરતમાં રહેતા આહિર સમાજના લોકો દોડી આવ્યા હતા. વડોદરામાં રહેતા સમાજના કેટલાક લોકો પણ દોડી આવ્યા હતા. જેથી મૃતકો અને ઈજાગ્રસ્તોને ઓળખ કરવામાં મદદ થઈ હતી.
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવા પ્રમુખ તરીકે ચૂંટાયેલા જૉ બાઈડન સાથે ગઈ કાલે ટેલિફોન પર વાતચીત કરી હતી. પ્રમુખપદે ચૂંટાવા બદલ બાઈડનને એમણે અભિનંદન આપ્યા હતા. બંને નેતાએ કોવિડ-19 રોગચાળા સામેના જંગમાં સહકાર આપવા તથા, ભારત-અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો-ભાગીદારી મુદ્દે ચર્ચા કરી હતી. ડેમોક્રેટિક પાર્ટીના બાઈડન રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને અમેરિકાના 46મા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે.
પોતે બાઈડન સાથે ટેલિફોન પર વાતચીત કરી હોવાની જાણકારી પીએમ મોદીએ ટ્વીટ કરીને આપી છે. મોદીએ બાઈડનને એમ પણ કહ્યું હતું કે તમારા ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલાં કમલા હેરિસને પણ મારા વતી અભિનંદન આપજો. ચૂંટણીમાં એમની સફળતા ભારતીય-અમેરિકન સમુદાય માટે મોટા ગૌરવ અને પ્રેરણાની બાબત છે.
જૉ બાઈડન ભૂતકાળમાં યૂએસ પ્રમુખ બરાક ઓબામાના વહીવટીતંત્રમાં ઉપપ્રમુખ પદે હતા. એ વખતે તે હોદ્દાની રૂએ તેઓ પીએમ મોદીને મળ્યા હતા. 2016ના જૂનમાં એમણે યૂએસ કોંગ્રેસ (સંસદ)ના સંયુક્ત સત્રનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું અને એમાં પીએમ મોદીએ સંબોધન કર્યું હતું.
સંબંધોમાં પ્રેમ ખૂબ જરૂરી છે અને નહીં કે આકર્ષણ! આકર્ષણ તો પહેલું પગથિયું છે. પહેલાં પગથિયાં પર ક્યાં સુધી ઊભાં રહેવાનું? આકર્ષણ છે ત્યાં ઉગ્રતા પણ છે અને પ્રેમ છે ત્યાં સમર્પણ છે. તો પહેલાં પગથિયાં પરથી આગળ વધવું પડશે અને જે પ્રાપ્ત થાય છે તે છે પ્રેમ! આશ્ચર્યની વાત છે કે ઘણાં લોકો કહે છે, “મને કંટાળો આવે છે એકધારા જીવનથી, બોર થવાય છે અને એટલે મારે કોઈ સંબંધ ની જરૂર છે.” વિચારો, જો તમને ખુદને તમારી સંગત કંટાળાજનક લાગે છે તો બીજાં તો તમારાથી કેટલાં બોર થશે?
તો કંટાળાની સ્થિતને નિવારવા માટે કોઈ સંબંધ ન બાંધો. થોડા દિવસ, નવા સંબંધમાં નાવીન્ય, રહસ્ય, રોમાંચ રહેશે. પરંતુ થોડાં જ સમયમાં તમે એકબીજાંને જાણવા લાગશો અને ફરીથી કંટાળાની સ્થિતિ ઊભી થશે. સંબંધ તમને બોજરૂપ લાગશે, કારણ એ સંબંધમાં કોઈ ગહેરાઈ નથી. તો પહેલાં તો તમારી અંદરની નિરસતાને, કંટાળાને દૂર કરો. તમારાં મનને સમજો. શાંત અને સ્થિર થઈ જાઓ.
રિલેશનશીપને સુંદરતા સાથે જાળવી રાખવા માટે, ગત સપ્તાહ દરમ્યાન જોયું તેમ, સૌથી અગત્યનું પહેલું પગલું છે પોતાની જાત સાથે તાદાત્મ્ય સાધવું!
એ જ રીતે આપણે જોયું કે આ ત્રણ ચાવીઓનો ઉપયોગ કરવાનો છે: પ્રથમ ચાવી: પ્રેમમાં વિશાળ દ્રષ્ટિકોણ રાખો, બીજી ચાવી: આપતાં રહો અને પાર્ટનરને પણ તમારા માટે કશું કરવાનો મોકો આપો, પરસ્પર આદાન-પ્રદાન રાખો અને ત્રીજી ચાવી: તમારા પાર્ટનરને સ્પેસ આપો, ખિલવાની મોકળાશ આપો.
અને હવે વાત કરીએ, સુંદર સંબંધ જળવાય તે માટેની માસ્ટર-કી શું છે? માસ્ટર-કી છે, રિલેશનશીપને જ જીવનનું મુખ્ય ધ્યેય ન સમજો. વ્યવહારની ભાષામાં કહીએ તો રિલેશનશીપ મુખ્ય ભોજન-મેઈન કોર્સ નથી, તેને માત્ર મીઠાઇ-ડેઝર્ટ ની જેમ સમજો. જો તમારાં જીવનમાં કોઈ ચોક્કસ ધ્યેય છે અને તેને પ્રાપ્ત કરવા માટે તમે સતત એ દિશામાં આગળ વધી રહ્યા છો તો રિલેશનશીપ સાથે સાથે જળવાઈ જશે. તેને સાચવવા માટે અલગથી પ્રયત્નો નહીં કરવા પડે. જો તમારું સમગ્ર ધ્યાન-ફોકસ માત્ર રિલેશનશીપ જાળવવા ઉપર જ છે તો, હું કહું છું કે એ રસ્તો યોગ્ય નથી. માત્ર રિલેશનશીપ ઉપર ધ્યાન રાખવાથી તો વાત ઉલટાની બગડી જાય છે. મેઇન કોર્સની જગ્યા એ તમે ડેઝર્ટ નહીં ખાઈ શકો. તો તમારાં જીવનમાં કોઈ સુંદર ધ્યેય રાખો અને બંને નું એક જ ધ્યેય હોય તો એ તો સર્વોત્તમ! તમે અને તમારા સાથી જો એક જ ધ્યેય રાખીને એ દિશામાં આગળ વધો છો, તો રિલેશનશીપ હમેશા સ્વસ્થ અને ઊર્જાવાન રહેશે જ, એમાં કોઈ જ શંકા નથી.
જો તમે સેવા માટે, અન્ય વ્યક્તિનાં ભલાં માટે, સમાજના ઉત્થાન માટે જો યોગદાન આપો છો તો તમારી અંદર એટલો બધો પ્રેમ પ્રકટ થશે, અને બંને પાર્ટનર જો સેવાનાં ધ્યેય તરફ આગળ વધશે તો રિલેશનશીપ તો આપમેળે જ નીખરી ઉઠશે કોઈ ખર્ચ વગર, અને સમાજનું પણ ભલું થશે. એક જ ધ્યેય, એક જ પથ રિલેશનશીપને નવી જ ઊંચાઈ આપશે. તમારાં વ્યક્તિત્વમાં એક ગહનતા અને વિશાળતા પ્રગટશે. પ્રેમ વ્યક્ત કરવા વધુ પડતું બોલવાની જરૂર નહીં રહે. તમારી ઉપસ્થિતિ, તમારું મૌન જ ખૂબ બધું કહી દેશે. તમારો ચાર્મ કૈંક અલગ જ હશે.
ભગવાન બુદ્ધને તેમનો પરમ શિષ્ય આનંદ એ જ કહે છે: બુદ્ધ, હું આપને છેલ્લાં ૪૦ વર્ષથી જોઈ રહ્યો છું, અને પ્રતિદિન આપ વધુ ને વધુ મોહક બનતા જાઓ છો. હું સમજી નથી શકતો, પ્રતિ ક્ષણ આપ નૂતન કઈ રીતે રહો છો! તો મોહકતા, નૂતનતા આપણી ચેતનાનો સ્વભાવ છે. આપણું મન કોઈ સ્થિર ખાબોચિયું નથી. એ તો ધસમસતી નદી જેવુ તાજગીપૂર્ણ છે. મનને વર્તમાનમાં જ રાખો, ભૂતકાળ ને યાદ કરીને દુ:ખી ન થાઓ અને ભવિષ્ય વિષે વિચારીને ચિંતાતુર ન થાઓ. અને જુઓ કે તમારું આકર્ષણ અગાધ છે.
પ્રેમ સમયની પરે છે. પ્રેમ આપણો સ્વભાવ છે. આપણો સ્ત્રોત છે. મૌન થઈ જાઓ અને જુઓ કે તમારી મોહકતા અમર્ત્ય છે. તમારો પ્રેમ અસીમ છે, કોઈ શરતોને અધીન નથી. તમારી ઉપસ્થિતિનાં કણ-કણમાં થી પ્રેમ છલકે છે. તમે સાક્ષાત પ્રેમ સ્વરૂપ છો. ચેતનાની આ અવસ્થા સેવા અને ધ્યાન થી સહજપણે પ્રાપ્ત થાય છે. રિલેશનશીપ મધુર બનાવવા તમારે કોઈ જ પ્રયત્નો કરવાની પછી જરૂર રહેતી નથી. કોઈ જ પ્રયત્નો વગર જીવન સરળ, મધુર, પ્રેમમય અને પ્રચુરતાપૂર્ણ બની ઉઠે છે. બસ, તમારી અંદરના બુદ્ધ પ્રત્યે સજગ બની જાઓ! એ સૌથી સરળ છે.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
ફિલ્મકાર અને કલાગુરુ વી. શાંતારામનો જન્મ 18 નવેમ્બર, 1901 માં કોલ્હાપુરના મરાઠી જૈન પરિવારમાં થયો હતો. ક્લાસિક ફિલ્મોના આ સર્જકને લોકો કલાગુરૂ પણ કહેતા કેમ કે એમની ફિલ્મો સાહિત્ય અને સંગીત જેવી કલાઓથી ભરપૂર હતી. જનક જનક પાયલ બાજે, દો આંખે બારાહ હાથ, ગીત ગાયા પથ્થરોને, નવરંગ, પિંજરા જેવી હિન્દી ફિલ્મ જગતની યાદગાર ફિલ્મો એમણે આપી છે.
એમણે નિર્દેશિત કરેલી પહેલી મૂંગી ફિલ્મ હતી નેતાજી પાલકર. 1927 માં આ ફિલ્મ બનાવ્યા પછી એમણે 1929 માં અન્ય મિત્રો સાથે મળીને પ્રભાત ફિલ્મ કંપનીની સ્થાપના કરી અને 1932 માં મરાઠી ફિલ્મ અયોધ્યાચે રાજા બનાવી. પ્રભાત ફિલ્મ્સથી જૂદા થઇને એમે રાજકમલ કલામંદિરની સ્થાપના કરી. સમય જતાં આ જ રાજકમલ દેશના સૌથી આધુનિક અને જાણીતા સ્ટુડીઓ પૈકીનો એક સ્ટુડીઓ બન્યો.
સમાજમાં જૂનવાણી વિચારો દૂર કરી આધુનિક અને ન્યાયપ્રિય સમાજનું નિર્માણ કરવામાં અને માનવતાના મૂલ્યો પ્રસરાવવામાં વી. શાંતારામે સિનેમાના માધ્યમનો બહુ સરસ ઉપયોગ કર્યો છે. એમના આ યાદગાર પ્રદાન માટે 1985 માં એમને ફિલ્મજગતના સર્વોચ્ચ ગણાતો ‘દાદાસાહેબ ફાળકે’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 1992 માં એમને પદ્મભૂષણ સમ્માન પણ મળ્યું હતું. ‘શાતારામા’ નામે એમની આત્મકથા હિન્દી અને મરાઠીમાં પ્રકાશિત થઇ છે.
શાંતારામજીએ ત્રણ વખત લગ્ન કર્યા હતા.
30 ઓક્ટોબર, 1990 ના રોજ મુંબઇમાં 89 વર્ષની વયે એમનું નિધન થયું. એ જ્યાં રહેતા એ કોલ્હાપુર નજીક પનહાલામાં એમનું ઘર હતું એ આજે એમના દીકરી સરોજે સાચવી રાખ્યું છે અને ‘વેલી વ્યૂ’ નામે એમણે એને હોટેલમાં રૂપાંતરિત કર્યું છે.