મનમોહનસિંહના એ નિર્ણય પાછળનું કારણ ઓબામાએ જણાવ્યું

વોશિંગ્ટનઃ મુંબઈમાં 2008ની 26 નવેમ્બરે ભયાનક આતંકવાદી હુમલાઓ કરાયા બાદ પાકિસ્તાન પર એનું વેર લેવાની અનેક માગણીઓ થઈ હતી, પણ એ વખતના વડા પ્રધાન મનમોહન સિંહે એ સ્વીકારી નહોતી. પરંતુ, એમનો એ સંયમ રાજકીય રીતે એમને બહુ ભારે પડી ગયો હતો. આ વાત અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ એમના જીવનના સંસ્મરણો વિશેના પુસ્તકમાં લખી છે. ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’ શિર્ષકવાળું આ પુસ્તક હાલ બુકસ્ટોર્સમાં ઉપલબ્ધ છે.

26/11 હુમલાઓ થયા હતા ત્યારે અમેરિકામાં ઓબામા પ્રમુખપદે હતા. એમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, હું જ્યારે 2010 ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે ગયો હતો ત્યારે મનમોહન સિંહ સાથેની મારી ચર્ચામાં 26/11 હુમલાઓનો ઉલ્લેખ થયો હતો. એમણે મારી સમક્ષ એવો ભય વ્યક્ત કર્યો હતો કે પોતે પાકિસ્તાન પર આક્રમણ કરવાનું એટલા માટે ટાળ્યું હતું કે ક્યાંક મુસ્લિમ-વિરોધી વધતી લાગણીનો ફાયદો ભારતનો સૌથી મોટો વિરોધપક્ષ ભારતીય જનતા પાર્ટી ઉઠાવી ન જાય, કારણ કે ભારતમાં વધી રહેલી મુસ્લિમ-વિરોધી લાગણીને કારણે ભાજપ વધારે મજબૂત થયો હતો.

 

ઓબામાએ પોતાના પુસ્તકમાં ડો. મનમોહન સિંહને બુદ્ધિમાન, ઉત્તમ વિચારોવાળા અને ઈમાનદાર વ્યક્તિ તરીકે ઓળખાવ્યા છે. મનમોહન સિંહ અને મેં સાથે મળીને ભારત-અમેરિકા વચ્ચેના ઉષ્માભર્યા સંબંધોને વિકસાવ્યા હતા.