Home Blog Page 433

રામ મંદિર પર ધ્વજારોહણ કરતાં PM મોદીએ કહ્યું, સદીઓની વેદના થઈ શાંત

અયોધ્યાઃ અયોધ્યાને દુલ્હનની જેવી સજાવવામાં આવી છે. અયોધ્યાસ્થિત રામ મંદિરના શિખર પર PM મોદી અને RSSપ્રમુખ મોહન ભાગવતે ધ્વજ ફરકાવ્યો હતો. એ પહેલાં બંનેએ રામ મંદિરમાં રામલલાનાં દર્શન કર્યાં હતાં. આ વિશેષ ધ્વજને અમદાવાદના શિલ્પકાર ભરત મેવાડે અનેક મહિનાઓની મહેનત અને બારીકીથી તૈયાર કર્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યાએ એક વધુ અધ્યાયને સ્વર્ણિમ અક્ષરોથી લખી દીધો છે. અનેક મહિનાઓની તૈયારી બાદ આ ભવ્ય કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે.

 મોદીએ કર્યો ‘રામ રાજ્ય’નો ઉલ્લેખ

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આનો ભગવા રંગ અને તેમાં રચિત સૂર્યવંશની ખ્યાતિ અને અંકિત કોવિદાર વૃક્ષ રામ રાજ્યની કૃતિનું પ્રતિબિંબ કરે છે. આ ધ્વજ સંકલ્પ, સફળતા અને સદીઓથી સપનાના સાકાર સ્વરૂપનું પ્રતીક છે.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સદીઓના ઘા હવે ભરી રહ્યા છે. સદીઓની વેદનાને આજે વિરામ મળ્યો છે. સદીઓનો સંકલ્પ આજે સિદ્ધિ સુધી પહોંચ્યો છે. આજે એ યજ્ઞની પૂર્ણાહુતિ છે, જેના અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહી, જે યજ્ઞ એક પળ માટે પણ આસ્થાથી ડગ્યો નહીં, એક પળ માટે પણ વિશ્વાસમાંથી તૂટ્યો નહીં.

તેમણે કહ્યું હતું કે આજે અયોધ્યા નગરી ભારતની સાંસ્કૃતિક ચેતનાના વધુ એક ઉત્તમ ક્ષણની સાક્ષી બની રહી છે. આજે ભારત, સમગ્ર વિશ્વ રામમય છે. દરેક રામભક્તના હૃદયમાં અદ્વિતીય સંતોષ, અપરંપાર કૃતજ્ઞતા અને અલૌકિક આનંદ છલકાય છે.

કરોડો લોકોની આસ્થા સ્વીકારવામાં આવી – મોહન ભાગવત

RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે આજે કરોડો લોકોની આસ્થા સ્વીકારવામાં આવી છે. મંદિર નિર્માણ પૂર્ણ થયું છે.

નવા યુગની શરૂઆત – યોગી

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે અયોધ્યા ધામમાં ભગવાન રામના ભવ્ય મંદિર પર ધ્વજારોહણ કોઈ યજ્ઞની પૂર્ણાહુતિ નથી, પરંતુ નવા યુગની શરૂઆત છે. આ પ્રસંગે રામભક્તોની તરફથી હું PM મોદીને આભાર માનું છું.

તેમણે કહ્યું હતું કે આ નવા યુગની શરૂઆત છે. PM નરેન્દ્ર મોદીનું ઉત્તરની પ્રજાની તરફથી સ્વાગત અને અભિનંદન કરું છું.આ ધ્વજની લંબાઈ 22 ફૂટ, પહોળાઈ 11 ફૂટ અને દંડ 42 ફૂટનો છે. તેને 161 ફૂટ ઊંચા શિખર પર સ્થાપિત કરવામાં આવ્યો છે. ધ્વજ પર ત્રણ વિશેષ ચિહ્નો અંકિત છે — સૂર્ય, ‘ૐ’ અને કોવિદાર. આ ધ્વજને સૂર્ય ભગવાનનું પ્રતીક પણ માનવામાં આવે છે.

અયોધ્યા બહુ સુંદર લાગી રહી છે – મહિલા શ્રદ્ધાળુ

રામ મંદિર દર્શન માટે અયોધ્યા પહોચેલી એક વૃદ્ધ ભક્તાએ કહ્યું હતું કે હું દર્શન કરવા જઈ રહી છું. આ બંને મને પકડીને ઊભી છે, એ મારી દીકરીઓ છે… અયોધ્યા આજે બહુ સુંદર લાગી રહી છે. હું ભગવાનનાં દર્શન કરવા જઈ રહી છું.

બ્રહ્માકુમારી મહાદેવ નગર સેવાકેન્દ્ર દ્વારા શાંતિ યાત્રાનો આયોજન

અમદાવાદ: બ્રહ્માકુમારી મહાદેવ નગર દ્વારા શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બિલિયન મિનિટ ઓફ પીસ પ્રોજેક્ટ અંતર્ગત આ યાત્રાનું આયોજન કરાયું હતું. જે 23 નવેમ્બરને રવિવારના રોજ સવારે 07:00 વાગ્યાથી શરૂ થઈ હતી. આ યાત્રામાં સેકડો બ્રહ્માકુમાર–બ્રહ્માકુમારી ભાઈ-બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.વિશ્વમાં શાંતિમય અને સુખમય સંસારની રચના થાય તે મહાન હેતુસર સમગ્ર ગુજરાતમાં 5,000થી પણ વધારે શાંતિ યાત્રાઓનું આયોજન બ્રહ્માકુમારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. યાત્રાનો શુભારંભ બ્રહ્માકુમારી મહાદેવ નગરના ડાયરેક્ટર ચંદ્રિકા દીદી, રેડ ક્રોસના ચેરમેન અમિત દોષી, તેમજ બંકાઈ ગ્રુપના ડાયરેક્ટર અવની બ્રહ્મભટ્ટ દ્વારા લીલી ઝંડી આપી કરવામાં આવ્યો હતો.આ શાંતિ યાત્રામાં જોડાયેલા તમામ સાધકોએ શક્તિશાળી શાંતિના પ્રકંપનો ફેલાવતા જીવનમાં આંતરિક શાંતિ, સકારાત્મકતા અને સમરસતા સ્થાપિત કરવાનો સંદેશ આપ્યો હતો. પૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રાનું સમાપન થયું હતું.

સુધા મૂર્તિની હાજરીમાં અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બુકફ્લિક્સ 2025નો આરંભ

અમદાવાદ: શાંતિગ્રામ વિસ્તારમાં અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે. જ્યાં જાણીતા લેખિકા અને પદ્મભૂષણથી પુરસ્કૃત સુધા મૂર્તિની પ્રેરક ઉપસ્થિતિમાં વાંચન અને વાર્તા કહેવાના શાળાના વાર્ષિક ઉપક્રમ બુકફ્લિક્સની ત્રીજી આવૃત્તિ ખુલ્લી મૂકવામાં આવી.. સુધા મૂર્તિ સમારોહના મુખ્ય અતિથી અને અધ્યક્ષપદે ખાસ હાજર રહ્યા હતા.આ સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા અદાણી ઇન્ટરનેશનલ સ્કુલ( ADIS)ના પ્રયોજક નમ્રતા અદાણીએ ભારતભરના વાચકોની યુવા પેઢીને વાંચન પ્રત્યે પ્રેરણા આપવા બદલ સુધા મૂર્તિનો આભાર વ્યકત કર્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે “બુકફ્લિક્સના આરંભ અગાઉથી અમારી સ્કૂલનું કેમ્પસ વાર્તાઓ, સંવાદો, પુસ્તકોના આદાન-પ્રદાન અને સર્જનાત્મક પ્રવૃત્તિઓથી ધમધમતું રહ્યું છે. નીત નવી અજાયબીઓને પ્રેરણા આપવી, બાળકોના ચહેરાઓ ઉપર પ્રસન્નતા બની રહે તે માટે આનંદીત વાતાવરણ બનાવવા સાથે જીવન ઘડતરના મહત્વના મૂલ્યોને વધુ ઉંડાણથી તેઓને સમજાવવાની અમારી આશા છે આ બાબતો અમારા દ્રષ્ટિકોણને આકાર આપીને વિશ્વનો અર્થ સમજાવવામાં મદદ કરે છે.”

આ પ્રસંગે સુધા મૂર્તિએ કેમ્પસમાં 800 વિદ્યાર્થીઓના સમુદાયને સંબોધતા વાંચન, કલ્પના અને મૂલ્યો વિષે ઉંડાણથી સમજ આપી હતી.. આ સમયે યોજાયેલી વિશિષ્ટ પ્રશ્નોત્તરીમાં વિદ્યાર્થીઓએ સુધા મૂર્તિને તેમના પુસ્તકો, લેખન પ્રક્રિયા અને જીવનના અનુભવો વિશે રસપ્રદ પ્રશ્નો પૂછ્યા હતા. બાળકો પ્રત્યેનો તેમનો સાલસ અને સરળ અભિગમ ઉપસ્થિત સહુ માટે મનભાવન બની રહયો હતો.

સુધા મૂર્તિએ ADIS વિદ્યાર્થીઓને શાળામાં મળતી દરેક તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે શાળાકીય અભ્યાસના અનુભવો “પાયાના પથ્થરો” છે, જે ભાવિની જીંદગીમાં “હીરા” માં પરિવર્તિત થાય છે. તેમણે બાળકોને બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અપીલ કરતા જણાવ્યું હતું કે આજની અપાર પસંદગીઓ આવતીકાલની શક્તિઓને ઘડે છે. વિદ્યાર્થીઓના માતા-પિતા સાથે સંવાદ કરતા, તેમણે બાળકોને તેમના પોતાના માર્ગો પસંદ કરવાની સ્વતંત્રતા આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ વાંચનને શિક્ષણના કેન્દ્રમાં રાખે છે તે જાણીને તેઓ પ્રભાવિત થયા હતા.. જ્યારે બાળકો વાંચે છે, ત્યારે સહાનુભૂતિ, કલ્પનાશક્તિ અને જીવન માટેનો તેઓ મજબૂત પાયો બનાવે છે. કેમ્પસમાં વિદ્યાર્થીઓ ખાસ કરીને દાદીમાની બેગ ઓફ સ્ટોરીઝ, ગોપી ડાયરીઝ, થ્રી થાઉઝન્ડ સ્ટીચ અને વાઈઝ એન્ડ અધરવાઈઝ જેવા પ્રિય શીર્ષકો પાછળના પ્રખ્યાત લેખકને મળવા માટે ભારે ઉત્સાહિત હતા. ટેલ્કોની પ્રથમ મહિલા એન્જિનિયર બનવાથી લઈને 25 વર્ષ સુધી આઇ.ટી. મેજર ઇન્ફોસિસ ફાઉન્ડેશનનું નેતૃત્વ કરવા સુધીની તેમની સફર દેશભરના યુવા મનને પ્રેરણા આપે છે. હૃદયપૂર્વકના સંકેત તરીકે ADISના વિદ્યાર્થીઓએ સુધા મૂર્તિને ખાસ ક્યુરેટ કરેલા પુસ્તકો ભેટ આપ્યા હતા.27 નવેમ્બર સુધી ચાલનારો, બુકફ્લિક્સ ADIS કેમ્પસને વર્કશોપ, વાર્તા કહેવાના સત્રો, પાત્ર પ્રયોગશાળાઓ, સર્જનાત્મક લેખન સ્ટુડિયો અને લેખક-નેતૃત્વ ક્રિયાપ્રતિક્રિયાઓથી ભરેલા જીવંત સાહિત્યિક ક્ષેત્રમાં પરિવર્તિત કરનાર બની રહેશે. આ ઉત્સવ આત્મવિશ્વાસપૂર્વક, જિજ્ઞાસુ અને દયાળુભાવ સાથે જીવનભર શીખનારાઓને ઉછેરવાના શાળાના મિશનને મજબૂત બનાવે છે. બુકફ્લિક્સ 2025 ખુલ્લો મૂકવાની ઘોષણા કરતા નમ્રતા અદાણીએ કહ્યું, “વાંચનનો આનંદ, વાર્તાઓનો જાદુ અને સર્જનાત્મકતાની શક્તિને પ્રભુત્વ આપવા દો.”

પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઈકમાં નવ બાળકો સહિત 10નાં મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાને અફઘાનિસ્તાનના અનેક પ્રાંતોમાં રાતોરાત એર સ્ટ્રાઇક અને ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં નવ બાળકો સહિત ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાં છે. પાકિસ્તાને ડ્યુરન્ડ રેખા નજીક તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને તેના ગઠબંધન જૂથ જમાત-ઉલ-અહેરારનાં શંકાસ્પદ સ્થાનોને નિશાન બનાવ્યાં હતાં. કૂનર, પાક્તિકા અને ખોસ્ટ પ્રાંતોમાં થયેલી આ સ્ટ્રાઇક્સને લઈને તાલિબાન પ્રશાસનમાં ભારે ગુસ્સો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

હવાઈ હુમલાથી ભારે નુકસાન

આ ઓપરેશન મુખ્યત્વે પાક્તિકા પ્રાંતના બર્મલ વિસ્તારમાં કેન્દ્રિત હતું, જેને જમાત-ઉલ-અહેરારના આતંકવાદીઓનો ગઢ માનવામાં આવે છે. ડ્રોન હુમલાઓએ એક ગેસ્ટ હાઉસ (‘હુજરા’) નજીક ઊભેલા વાહનને નિશાન બનાવ્યું હતું. બર્મલના સ્થાનિક લોકો કહે છે કે મધરાત બાદ જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. આ એ જ વિસ્તાર છે જ્યાં 2022માં ભૂતપૂર્વ TTP નેતા ઉમર ખાલિદ ખુરાસાની માર્યા ગયા હતા.

તાલિબાન પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદના જણાવ્યા મુજબ ખોસ્ટ પ્રાંતમાં થયેલા હુમલામાં નવ બાળકો અને એક સ્ત્રી સહિત 10 નાગરિકો માર્યા ગયા હતા. મુજાહિદે વધુમાં જણાવ્યું કે કૂનર અને પાક્તિકા પ્રાંતોમાં થયેલા હુમલામાં અન્ય 4 નાગરિકો ઘાયલ થયા છે.

અફઘાન ટોચના નેતૃત્વના ઇશારે પાકિસ્તાનમાં થઈ રહ્યા છે હુમલા

પાકિસ્તાને તાજેતરમાં એવો આરોપ લગાવ્યો છે કે અફઘાનિસ્તાનની જમીન પરથી કાર્યરત આતંકવાદીઓ દ્વારા હુમલાની શ્રેણી ચલાવવામાં આવી રહી છે. આ મહિનાની શરૂઆતમાં ઇસ્લામાબાદમાં એક આત્મઘાતી વિસ્ફોટ થયો હતો, જેમાં 12 લોકોનાં મોત થયાં હતાં. ઇસ્લામાબાદે આ હુમલાખોરોને અફઘાનિસ્તાનના ટોચના કમાન્ડર્સ દ્વારા માર્ગદર્શન મળ્યું હોવાનું જણાવ્યું હતું.

બન્ને દેશો વચ્ચે છેલ્લા ઘણા મહિનાથી તણાવ ચાલી રહ્યો છે. ઓક્ટોબરમાં બંને દેશોની સેનાઓ વચ્ચે સરહદે ગોળીબારી થઈ હતી, ત્યાર બાદ યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યું હતું, જે સતત દબાણમાં રહ્યું છે. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં કરાયેલી આ એર સ્ટ્રાઈક્સ પેશાવરમાં થયેલા બે આત્મઘાતી વિસ્ફોટોના તરત બાદ કરવામાં આવી હતી, જેમાં ત્રણ અર્ધસૈનિક કર્મચારીઓનાં મોત થયાં હતાં.

પશ્ચિમ બંગાળમાં SIR  મુદ્દે ઘમસાણ, EC કચેરી બહાર પ્રદર્શન

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્શિવ રિવિઝન (SIR)ને લઈને વિરોધ વધી રહ્યો છે. રાજ્યમાં SIR પ્રક્રિયાના વિરોધમાં અવાજ ઉઠાવવા પ્રદર્શનકારીઓ કોલકાતાસ્થિત ચૂંટણી પંચની ઓફિસ બહાર ભેગા થયા હતા. જેને કારણે ત્યાં તણાવનું વાતાવરણ સર્જાયું. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને પોલીસે કચેરીની બહાર બેરિકેડિંગ કરી હતી.

આ પ્રદર્શનકારીઓએ ઓફિસને ચારેય બાજુથી ઘેરી લીધી અને SIR વિશે સ્પષ્ટીકરણ આપવાની માગ કરી હતી. શિક્ષક સહિત અનેક પ્રદર્શનકારીઓએ ઝડપથી ચાલી રહેલી SIR પ્રક્રિયા પર ચિંતા વ્યક્ત કરી હતી.

SIR પર સ્પષ્ટીકરણની માગ

હું શિક્ષક છું અને મુર્શિદાબાદથી છું. સામાન્ય રીતે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા પૂરી કરવા માટે બે વર્ષ લાગે છે, પરંતુ તે બે મહિનામાં કરવામાં આવી રહી છે. બિહારમાં લાખો મતદારોને યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. એ જ કાવતરું બંગાળમાં પણ થઈ રહ્યું છે. અહીં હજારો BLO આવ્યા છે, અમે કાલે ફરી આવીશું. જ્યાં સુધી જવાબ નહિ મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી, એમ એક પ્રદર્શનકારીએ જણાવ્યું હતું.

પ્રદર્શનમાં TMCના ગુંડા સામેલ – BJP નો આક્ષેપ

એક અન્ય પ્રદર્શનકારીએ કહ્યું હતું કે હું શિક્ષક છું પણ BLO નથી. BLOના સમર્થનમાં અહીં આવ્યા છીએ. અમે ચૂંટણી પંચના અધિકારીઓને મળવા માગીએ છીએ. અમારા પ્રતિનિધિ ઓફિસની અંદર છે. જ્યાં સુધી અધિકારીઓ અમારી મુલાકાત નહિ લે, ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે.

એ જ સમયે ઉત્તર કોલકાતા જિલ્લાના BJP અધ્યક્ષ તમોઘના ઘોષે આક્ષેપ કર્યો હતો કે TMCના કેટલાક ‘ગુંડાઓ ઓફિસમાં ઘૂસવા માગે છે અને હંગામો સર્જવાનો પ્રયાસ કરી રહ્યા છે. BLO અધિકાર રક્ષા સમિતિએ જણાવ્યું કે તેઓ ચૂંટણી પંચને પ્રશ્નો રજૂ કરશે. સમિતિએ આક્ષેપ કર્યો કે SIRની શરૂઆત પછી રાજ્યમાં BLO અભૂતપૂર્વ અને અમાનવીય દબાણ હેઠળ કામ કરી રહ્યા છે.

સમિતિએ કહ્યું કે તેઓ ઉત્તર કોલકાતાના કોલેજ ચોકથી લઈને મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ની ઓફિસ સુધી માર્ચ કાઢશે અને તાત્કાલિક હસ્તક્ષેપની માગ કરશે. પેરા-ટીચરો, કોલેજ પ્રોફેસરો અને વિવિધ શિક્ષક સંગઠનો પણ સમર્થનમાં જોડાશે.

દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે

 

દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે

કર્મના સિદ્ધાંતની વાત આ કહેવત કરે છે. જીવનનું નામ ચાલતા રહેવું, પોતાનું કર્મ સતત કરતા રહેવું એવું છે.

કર્મમાંથી મુક્ત થઈ જાવ એટલે કાં તો નિરાશા આવે કાં તો વૈરાગ્ય. સંસારમાં રહીને પણ જીવનના અંત સુધી કામ કર્યે રાખવું એ બોધ આ કહેવત આપે છે.

એટલું જ નહીં પણ પોતાનું કામ કરવું એમાં ગૌરવ માનવું અને એમાં સર્વોત્કૃષ્ટતા લાવવી એ ધ્યેયથી ‘સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ:’નો મંત્ર હ્રદયસ્થ કરી સમજી લો.

જીવનભર હસતા રમતા રહેવું હોય તો દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

‘દિલ ચાહતા હૈ’ માં સંવાદ પહેલાં અંગ્રેજીમાં હતા!

ફરહાન અખ્તરે જ્યારે ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ (2001) ની સ્ક્રિપ્ટ લખી ત્યારે ત્રણ મુખ્ય અભિનેતાઓ તરીકે રિતિક રોશન, અભિષેક બચ્ચન અને અક્ષય ખન્નાને લેવાનો વિચાર કર્યો હતો. એમાં આમિર ખાન અને સૈફ અલી ખાન કેવી રીતે આવ્યા તેની રસપ્રદ અને અજાણી વાતો ફરહાને એક મુલાકાતમાં કહી હતી.

ફિલ્મની વાર્તા એવી હતી કે ફરહાન ત્રણ યુવાન કલાકારો સાથે કામ કરવાનું ઇચ્છતા હતા. પણ અક્ષય સિવાયના બંને અભિનેતાએ કોઈને કોઈ કારણસર ના પાડી દીધી હતી. ત્યારે આમિર એમાં કામ કરી શકે એવો વિચાર જ આવ્યો ન હતો. ફરહાને એ સમય પરના લગભગ બધા જ જાણીતા હીરોને વાત કરી પણ આ મલ્ટીસ્ટારર ફિલ્મ હોવાથી બધાએ ના પાડી દીધી. છેલ્લે કોઈ વિકલ્પ ન હતો ત્યારે ફરહાન આમિર પાસે ગયો અને વાર્તા સંભળાવી. એમાં સંવાદ બધા જ અંગ્રેજીમાં લખ્યા હતા.

આમિરે કહ્યું કે સ્ક્રિપ્ટ મને પસંદ આવી છે પણ તારે એને અંગ્રેજીમાં બનાવવી જોઈએ. ફરહાને કહ્યું કે આ ફિલ્મ તો હિન્દી છે. એને અંગ્રેજીમાં બનાવી શકું નહીં. આમિરે પ્રશ્ન કર્યો કે સંવાદ તો અંગ્રેજીમાં છે? ફરહાને કહ્યું કે હું સંવાદ હિન્દીમાં લખીને લાવીશ. અને એ સ્ક્રિપ્ટ સંપૂર્ણ હિન્દીમાં લખીને લઈ ગયો અને સંભળાવી. આમિરે કહ્યું કે ત્રણ મહિના પછી હું સ્ક્રિપ્ટ ફરીથી સાંભળીશ. ફરહાને ત્રણ માસ પછી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ તે વ્યસ્ત જ રહેતા હતા. આમ કરતાં આઠ માસ વીતી ગયા. આખરે ફરહાન એક દિવસ આમિરના ઘરે જ પહોંચી ગયા. એ પછી આમિરે ફિલ્મ માટે તારીખો આપી હતી.

સૈફ અલી ખાન ફિલ્મ કરવા તૈયાર થઈ ગયો હતો પણ શુટિંગ શરૂ થવાના દસ દિવસ પહેલાં જ ફરહાનને એનો ફોન આવ્યો કે મને એક પ્રેમ ત્રિકોણની વાર્તાવાળી ફિલ્મ મળી છે અને સારી હોવાથી હું એ કરવા માંગું છું. તે સમયે સૈફની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી અને પોતાની ફિલ્મી કારકિર્દીને લઈને અસુરક્ષિત અનુભવી રહ્યો હતો. તેને લાગતું હતું કે ‘સમીર’નું પાત્ર તેના માટે યોગ્ય નથી અથવા તે તેના માટે ફાયદાકારક સાબિત નહીં થાય. રિહર્સલ સહિતની બધી જ તૈયારી થઈ ગઈ હોવાથી સૈફના ઇન્કારથી ફરહાનનું દિલ તૂટી ગયું.

આ મુદ્દે ચર્ચા કરવા માટે એક તાકીદની મીટીંગ બોલાવવામાં આવી અને સૈફને પણ હાજર રહેવા કહ્યું. સૈફ આવ્યો અને એને બહુ મુશ્કેલીથી મનાવવામાં આવ્યો હતો. આમિરે કહ્યું હતું કે તું આ ફિલ્મ નહીં કરું તો એ તારી બહુ મોટી ભૂલ હશે. સૈફ તૈયાર થયા પછી ફરહાનને રાહત થઈ હતી પણ સૈફ મુલાકાત માટે આવે એ પહેલાં આમિરે કહ્યું હતું કે જો સૈફ તૈયાર ના થાય તો એક માણસ છે જે આ ભૂમિકા કરી શકે છે. ફરહાને ઉત્સુક્તાથી એના વિશે પૂછ્યું ત્યારે આમિરે ફરહાનનું જ નામ આપ્યું હતું!

અમિતાભ બચ્ચનની ધર્મેન્દ્રની હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ

મુંબઈ: બોલીવુડના દિગ્ગજ દિગ્ગજ અમિતાભ બચ્ચન તેમના ‘શોલે’ ના સહ-અભિનેતા ધર્મેન્દ્રના નિધનથી ખૂબ જ દુઃખી છે. 89 વર્ષની વયે ધર્મેન્દ્રના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરતા, અમિતાભે સોશિયલ મીડિયા પર ‘ચુપકે ચુપકે’ ના તેમના સહ-અભિનેતા માટે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ લખી.

તેમના સત્તાવાર એક્સ (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતા) હેન્ડલ પર, બિગ બીએ લખ્યું, “… બીજો એક બહાદુર દિગ્ગજ આપણને છોડીને ચાલ્યો ગયો છે.. અખાડો છોડીને ગયો છે.. એક અસહ્ય અવાજ સાથે મૌન છોડીને ગયો છે.. ધરમજી .. .. મહાનતાનું પ્રતિક, જે ફક્ત તેમની પ્રખ્યાત શારીરિક હાજરી માટે જ નહીં, પરંતુ તેમના હૃદયની વિશાળતા અને તેની સૌથી પ્રિય સાદગી માટે પણ હંમેશા જોડાયેલા છે..(sic).”

“તેઓ પોતાની સાથે પંજાબના ગામડાની માટી લાવ્યા, જ્યાંથી તેઓ આવ્યા હતા અને તેમના સ્વભાવ પ્રત્યે વફાદાર રહ્યા.. તેમની ભવ્ય કારકિર્દી દરમિયાન તેઓ માટી વગરના રહ્યા, એક એવા ભાઈચારામાં જ્યાં દર દાયકામાં પરિવર્તન આવતું હતું.. … ભાઈચારામાં પરિવર્તન આવ્યું.. તેમનામાં નહીં.. તેમનું સ્મિત, તેમનું આકર્ષણ અને તેમની હૂંફ, તેમની આસપાસના બધા લોકો સુધી વિસ્તરેલી રહી.. એક શૂન્યાવકાશ જે હંમેશા શૂન્યાવકાશ રહેશે.. .. પ્રાર્થનાઓ,” અમિતાભે શેર કર્યું.

અમિતાભ, શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન જેવા બોલિવૂડના અન્ય મોટા નામો સાથે, વિલે પાર્લેના પવન હંસ સ્મશાનગૃહમાં ધર્મેન્દ્રના અંતિમ સંસ્કારમાં હાજર હતા.

ધર્મેન્દ્રને તાજેતરમાં શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જરૂરી સારવાર મેળવ્યા પછી, તેમને 12 નવેમ્બરના રોજ રજા આપવામાં આવી હતી અને ઘરે જ તેમની રિકવરી ચાલુ રહી હતી. જો કે, આ દિગ્ગજ અભિનેતાએ 24 નવેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા.

અજાણ્યા લોકો માટે, અમિતાભ અને ધર્મેન્દ્રએ “શોલે” (1975), “ચુપકે ચુપકે” (1975), “રામ બલરામ” (1980), “નસીબ” (1981), “ધ બર્નિંગ ટ્રેન” (1980), અને “હમ કૌન હૈ?” (1983) જેવી ઘણી યાદગાર હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

રામ મંદિર પર ચડાવાશે ‘ધર્મ ધ્વજા’, PM મોદી અને સાધુ-સંતો રહેશે હાજર

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજવંદન સમારોહ માટે અયોધ્યાની મુલાકાત લેવાના છે.પ્રધાનમંત્રી સવારે લગભગ 9.30 વાગ્યાની આસપાસ પહોંચવાના છે અને સ્થાનિક લોકો કહે છે કે આ ક્ષણ સદીઓ જૂના સ્વપ્નની પરિપૂર્ણતાનું પ્રતિનિધિત્વ કરે છે.

રામ મંદિર માટે ખાસ રચાયેલ ધ્વજ, જેની લંબાઈ 22 ફૂટ અને પહોળાઈ 11 ફૂટ છે, તે મંદિરના બાંધકામ પૂર્ણ થવાના સંકેત તરીકે રહેશે. અમદાવાદના પેરાશૂટ નિષ્ણાત દ્વારા બનાવવામાં આવેલ, ધ્વજનું વજન બે થી ત્રણ કિલોગ્રામની વચ્ચે છે અને તેને 161 ફૂટ ઊંચા મંદિરના શિખર અને 42 ફૂટ ઊંચા ધ્વજવંદનને અનુરૂપ બનાવવામાં આવ્યો છે.

ધ્વજમાં સૂર્યનું પ્રતીક હશે, જે ભગવાન રામના સૂર્યવંશી વંશ અને દૈવી ઊર્જાનું પ્રતીક છે. ધ્વજવંદન સમારોહમાં હાજરી આપનારા મહેમાનોને મંદિર પરિસરમાં મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાયે અગાઉ માહિતી આપી હતી કે શ્રી રામ જન્મભૂમિ મંદિર ઉપર ધ્વજ ફરકાવવામાં આવશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ મહત્વપૂર્ણ પ્રસંગે હાજર રહેશે.

તેમણે વધુમાં માહિતી આપી હતી કે પૂર્વી ઉત્તર પ્રદેશના હજારો સંતોને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, અને લગભગ 7,000 લોકો ‘ધ્વજ’ ફરકાવવાના સમારોહમાં હાજરી આપશે.

ટ્રસ્ટના ખાસ આમંત્રિત ગોપાલ રાવે સમજાવ્યું હતું કે મંગળવારે ધ્વજ ફરકાવવાના સમારોહ માટે છેલ્લા ચાર દિવસથી યજ્ઞ મંડપમાં ‘હવન’ (અગ્નિ વિધિ) ચાલી રહી છે. લગભગ 100 પુજારીઓ વિધિ કરી રહ્યા છે, જ્યારે 30 લોકો વિવિધ સ્થળોએ વિવિધ વિધિઓમાં ભાગ લઈ રહ્યા છે.રહેવાસીઓ 25 નવેમ્બરને વિશ્વભરના સનાતન ધર્મના અનુયાયીઓ માટે ગર્વના દિવસ તરીકે વર્ણવે છે. ઘણા લોકો માને છે કે રામ મંદિરનું નિર્માણ માત્ર એક ધાર્મિક સીમાચિહ્નરૂપ જ નહીં પરંતુ ભારતની સાંસ્કૃતિક ઓળખ માટે એક ઐતિહાસિક સિદ્ધિ પણ છે.

સ્થાનિક રહેવાસી જ્ઞાનપ્રકાશ દુબેએ IANS સાથે વાત કરતા કહ્યું કે વૈશ્વિક સ્તરે સનાતન ધર્મના અનુયાયીઓ માટે આ ઘટના “એક મુખ્ય ક્ષણ” છે, અને ઉમેર્યું, “જ્યાં સુધી રામ મંદિર રહેશે ત્યાં સુધી વડા પ્રધાન મોદીનું નામ તેની સાથે અમર રહેશે. અયોધ્યામાં વિકાસ અસાધારણ છે.”

ઇથોપિયામાં જ્વાળામુખી ફાટ્યો: રાખ દિલ્હી પહોંચી, અનેક ફ્લાઈટ્સ રદ

ઇથિયોપિયા: અહીંનો હેઇલ ગુબ્બિન જ્વાળામુખી ફાટવાથી ઉદભવેલી રાખનું એક વિશાળ વાદળ 25,000-45,000 ફૂટની ઊંચાઈએ ભારત પહોંચ્યું છે. જેની સીધી અસર દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર ભારતના મોટા ભાગો પર પડી છે. રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI 400ને પાર પહોચી ગયો છે અને ઝેરી ધુમ્મસ ફેલાયું છે. આનંદ વિહાર, AIIMS અને સફદરજંગની આસપાસ દૃશ્યતા ઘટી ગઈ છે. જ્વાળામુખીની રાખને કારણે, અકાસા એર, ઇન્ડિગો અને ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે અને કેટલીક રદ પણ કરવામાં આવી છે. જ્વાળામુખી ફાટવાની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. તેની રાખ આકાશમાં ઊંચે સુધી ફેલાઇ ગઈ છે, જેના કારણે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો રૂટ બદલવો પડ્યો હતો. અમુક ફ્લાઇટમાં મોડું થઈ રહ્યું છે અને અમુકને બીજા રસ્તેથી મોકલવામાં આવી રહી છે જેથી વિમાન રાખના વાદળોથી દૂર રહે. દિલ્હી પહોંચ્યું રાખનું વાદળ

ઇથિયોપિયાના હાયલી દુબ્બી જ્વાળામુખી ફાટ્યા બાદ ઉત્પન્ન થયેલો વિશાળ રાખનો ગોટો સોમવારે રાત્રે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી ગયો. હવામાનના જાણકારો છેલ્લાં એક દિવસથી આ રાખના વાદળને જોઈ રહ્યા હતા. આ રાખનું વાદળ લાલ સાગર પાર કરીને આશરે 130 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ભારત તરફ વધી રહ્યું હતું. સૌથી પહેલાં આ રાખનું વાદળ ભારતમાં પશ્ચિમી રાજસ્થાનના જોધપુર અને જેસલમેરની ઉપરથી આવ્યું. બાદમાં ધીમે-ધીમે આ રાખનું વાદળ દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના મોટા ભાગોમાં ફેલાઇ ગયું.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ એરલાઇન્સને ચેતવણી જારી કરી છે, જેમાં તેમને રાખ ધરાવતા વિસ્તારો અને ઊંચાઈથી દૂર રહેવા, રૂટ બદલવા અને એન્જિનનું નિરીક્ષણ કરવા જણાવ્યું છે. વૈજ્ઞાનિકો કહે છે કે સપાટી પરની હવાની ગુણવત્તા પર ખાસ અસર થશે નહીં, પરંતુ ઊંચાઈ પર ઉડાન જોખમમાં રહેશે.

હેલી ગુબ્બી જ્વાળામુખી 10,000 વર્ષમાં પ્રથમ વખત ફાટ્યો
ઇથોપિયાનો હેલી ગુબ્બી જ્વાળામુખી લગભગ 10,000 વર્ષમાં પ્રથમ વખત ફાટ્યો છે. વિસ્ફોટ દરમિયાન રાખનો વિશાળ ગોળ ગોળ આકાશમાં 10 થી 15 કિલોમીટર સુધી ઉછળ્યો. વૈજ્ઞાનિકો કહે છે કે આ એક દુર્લભ કુદરતી ઘટના છે અને આસપાસના વિસ્તારોના હવામાન અને હવાની ગુણવત્તા પર અસર કરી શકે છે.

ઇથોપિયા જ્વાળામુખી ફાટવાની ભારત પર ક્યાં અસર થશે?
ઇથોપિયાના હેલી ગુબ્બી જ્વાળામુખીમાંથી નીકળતો રાખનો વાદળ ગુજરાતથી ભારતમાં પ્રવેશ કરશે અને પછી રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તર ભારતના ઘણા વિસ્તારો તરફ જશે.

ઇન્ડિગોએ નિવેદન જારી કર્યું
ઇથોપિયામાં હેલી ગુબ્બી જ્વાળામુખી ફાટ્યા બાદ રાખના વાદળો પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યા હોવાના અહેવાલો પર ઇન્ડિગોએ એક નિવેદન જારી કર્યું છે. એરલાઇને જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી તેની ટોચની પ્રાથમિકતા છે. તેની ટીમો આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન એજન્સીઓ સાથે મળીને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ઇન્ડિગોએ જણાવ્યું હતું કે સલામત અને સરળ ફ્લાઇટ કામગીરી માટે તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે.

મુસાફરોને સતર્ક રહેવાની સલાહ 
ઇથોપિયામાં જ્વાળામુખી ફાટ્યા બાદ રચાયેલા રાખના વાદળોને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયાએ મુસાફરો માટે સલાહ જારી કરી છે. એરલાઇને જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ઓપરેટિંગ ક્રૂ નિયમિત સંપર્કમાં છે. હાલમાં ફ્લાઇટ્સ પર કોઈ મોટી અસર થઈ નથી. મુસાફરો, ક્રૂ અને વિમાનની સલામતીને તેની ટોચની પ્રાથમિકતા ગણાવતા, એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે જરૂરિયાત મુજબ તમામ સાવચેતીનાં પગલાં લેવામાં આવશે. ગ્રાઉન્ડ ટીમો મુસાફરોને સતત અપડેટ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.