ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક બ્રિગેડ જવાનોનુ દૈનિક માનદ વેતન રૂ. 300થી વધારીને હવે રૂ. 450 આપવા આવશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સૈનિક તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો છે. કાળઝાળ ગરમી હોય કે મુશળધાર વરસાદ, જનતાની સુરક્ષા અને સુવિધા માટે રસ્તા પર અવિરત ફરજ બજાવતા આ જવાનોના પરિશ્રમની રાજ્ય સરકાર સદાય કદર કરે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટા શહેરો જેવા કે સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ થયેલી ટ્રાફિક બ્રિગેડ વ્યવસ્થા આજે સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. ટ્રાફિક નિયમનમાં પોલીસને પૂરક બનતા આ જવાનોના કાર્યક્ષેત્રને ધ્યાને રાખીને રાજ્ય સરકારે તેમના માનદ વેતનમાં વધારો કરવા નિર્ણય લીધો છે.
સોના-ચાંદીના ભાવમાં આજે 13 જાન્યુઆરીના રોજ સતત બીજા દિવસે ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(IBJA)ના રિપોર્ટ અનુસાર ચાંદીની કિંમતમાં એક જ દિવસમાં રૂ. 6566નો તોતિંગ વધારો થતાં તે રૂ. 2,62,742 પ્રતિ કિલોના ઓલટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ છે. માત્ર બે જ દિવસમાં ચાંદી રૂ. 20,000 જેટલી મોંઘી થઈ છે.
બીજી તરફ 24 કેરેટ સોનાનો ભાવ પણ રૂ. 33 વધીને રૂ. 1,40,482 પ્રતિ 10 ગ્રામની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. વર્ષ 2025માં સોનામાં 75% અને ચાંદીમાં 167% જેટલો જંગી વધારો નોંધાયા બાદ પણ કિંમતો અટકવાનું નામ નથી લઈ રહી. નિષ્ણાતોના મતે આગામી સમયમાં ચાંદી રૂ. 2.75 લાખ અને સોનું રૂ. 1.50 લાખને પાર કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોને કારણે સોનાના ભાવમાં ઉછાળો
સોના અને ચાંદીની કિંમતોમાં જોવા મળી રહેલી આ અસાધારણ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક પરિબળો જવાબદાર છે. ડોલરના મૂલ્યમાં ઘટાડો, રશિયા-યુક્રેન યુદ્ધ જેવી ભૌગોલિક તંગદિલી અને ચીન જેવી મધ્યસ્થ બેન્કો દ્વારા કરવામાં આવી રહેલી સોનાની જંગી ખરીદીને કારણે સોનું સતત મોંઘું થઈ રહ્યું છે.
ઈલેક્ટ્રોનિક્સ અને EVના કારણે ચાંદીની માંગમાં રેકોર્ડ વધારો
બીજી તરફ ચાંદીના કિસ્સામાં, સોલાર પેનલ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ(EV)માં વધતી જતી ઔદ્યોગિક માંગને કારણે તે હવે માત્ર ઘરેણું મટીને એક અનિવાર્ય રો મટિરિયલ બની ગઈ છે. આ ઉપરાંત અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીના ડરથી અનેક કંપનીઓ મોટા પાયે ચાંદીનો સંગ્રહ કરી રહી છે, જેના કારણે વૈશ્વિક પુરવઠામાં અછત સર્જાઈ છે અને ભાવ આસમાને પહોંચ્યા છે.
અમદાવાદ: હવે કોઈ પણ નાગરિક ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે ANTF ગુજરાત વોટ્સએપ નંબર: 99040 01908 ઉપર સંપર્ક કરી શકશે. નાગરિકો નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર 1908 ઉપર પણ કોલ કરી શકે છે. ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી આપનાર નાગરિકનું નામ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.ગુજરાત પોલીસ દ્વારા રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ડ્રગ્સ માફીયાઓ સામે કડક હાથે કામગીરી કરવા ગુજરાત પોલીસમાં ડેડિકેટેડ નાર્કોટિક્સ કેસને લગતી કાર્યવાહી કરવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) બનાવવામાં આવી છે. આ લડાઈને વધુ વેગ આપવા અને સામાન્ય જનતા સરળતાથી ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ માહિતી આપી શકે તે માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવે છે કે, આ નંબર પર ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી આપનાર નાગરિકનું નામ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. તમારી એક નાનકડી માહિતી ગુજરાતના યુવાધનને બચાવવા માટે મોટું યોગદાન આપી શકે છે. ANTF ગુજરાત પોલીસ ડ્રગ્સ ટ્રાફિકિંગ રોકવા, શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ લાવવા અને નશાની લત છોડાવવા માટે સતત કાર્યરત છે.
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-સેફ્ટી લેવલ-4 (BSL-4) લેબ અને એનિમલ બાયો-સેફ્ટી લેવલ સુવિધાનો શિલાન્યાસ કર્યો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિજ્ઞાન તેમજ પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા.આ સમારોહ દરમિયાન ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)ની BSL-4 સુવિધાને “નેશનલ સેન્ટર ફોર હાઈ કન્ટેઈનમેન્ટ પેથોજેન રિસર્ચ ફેસિલિટી” તરીકે નિયુક્ત કરવા માટે લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) જારી કર્યો હતો. આ સુવિધા BioE3 નીતિ હેઠળ વિકસિત થઈ રહી છે.આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું, “ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો-સેફ્ટી ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત થઈ છે. પુણે પછી દેશની આ બીજી BSL-4 લેબ છે, પરંતુ રાજ્ય સરકારની પહેલથી રૂ. 362 કરોડના ખર્ચે બનનારી આ દેશની પ્રથમ રાજ્યસ્તરીય BSL-4 લેબ બનશે. આ લેબ જીવલેણ વાયરસો સામે ભારતનું મજબૂત કવચ બનશે અને પશુઓમાંથી માનવોમાં ફેલાતી બીમારીઓને અટકાવવામાં મદદ કરશે.”વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને યાદ કરતાં અમિત શાહે કહ્યું, “આ લેબ સંશોધકો અને યુવાનો માટે અનેક તકો ખોલશે. સાથે જ વન હેલ્થ મિશનને વેગ મળશે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ અને લમ્પી સ્કીન ડિસીઝ જેવા સંકટો સામે આ પ્રકારની સુવિધા અનિવાર્ય હતી.”બાયોટેકનોલોજી ક્ષેત્રની પ્રગતિ પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું, “2014માં ભારતની બાયો-ઈકોનોમી 10 બિલિયન ડોલર હતી, જે 2024 સુધીમાં 166 બિલિયન ડોલરને વટાવી ગઈ છે. સ્ટાર્ટઅપ્સ 500થી વધીને 10,000થી વધુ થયા છે, ઇન્ક્યુબેટર્સ 6 થી 95 અને પેટન્ટ ફાઈલિંગ 125 થી 1300ને પાર થયા છે. પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટ રૂ. 10 કરોડથી રૂ. 7000 કરોડ સુધી પહોંચ્યું છે.”અમિત શાહે BioE3 નીતિ હેઠળ ભારતને બાયોટેકમાં વિશ્વસ્તરે લઈ જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો. કોરોના કાળમાં ભારતે વેક્સિન બનાવીને વિશ્વને મદદ કરી. આ લેબથી વિદેશ પર નિર્ભરતા ઘટશે અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિદ્ધ થશે તેમ પણ જણાવ્યું. તેમણે AMR (એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ) જેવા ‘સાયલન્ટ ડિઝાસ્ટર’ સામે ચિંતા વ્યક્ત કરી અને યુવાનોને સંશોધન માટે પ્રોત્સાહિત કર્યા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટને વડાપ્રધાનના હેલ્થ કેર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિઝનનો ભાગ ગણાવ્યો. તેમણે કહ્યું કે, GBRC માત્ર સંશોધન કેન્દ્ર નહીં, પરંતુ રાજ્યનું નોડલ સેન્ટર છે. BSL-4 લેબથી સમયસર અને વિશ્વસનીય નિદાન મળશે, આરોગ્ય તંત્ર મજબૂત બનશે અને વિકસિત ભારત @2047ના લક્ષ્યમાં માઈલસ્ટોન સાબિત થશે.વિજ્ઞાન મંત્રી અર્જુન મોઢવાડિયાએ વડાપ્રધાન અને ગૃહ મંત્રીના યોગદાનને બિરદાવ્યા કર્યું. આ સુવિધા વૈશ્વિક આરોગ્ય પડકારો સામે નિર્ણાયક બનશે તેમ પણ જણાવ્યું.
ચેન્નઈ: ડીએમકે સાંસદ દયાનિધિ મારને એવો દાવો કરીને વિવાદ ઊભો કર્યો છે કે ઉત્તર ભારતનાં રાજ્યોમાં ઘણી વખત દીકરીઓને ઘરે રહેવા અને ઘરકામ કરવા માટે કહેવામાં આવે છે. તેની સામે તામિલનાડુમાં દીકરીઓને શિક્ષણ મેળવવા અને કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.નોકરી પણ કરવા દેવામાં આવતી નથી.
ચેન્નઈના કાયદ-એ-મિલ્લત ગવર્નમેન્ટ કોલેજ ફોર વુમનમાં વિદ્યાર્થીનીઓને સંબોધતાં દયાનિધિ મારને રાજ્યમાં મહિલાઓના શિક્ષણમાં થયેલી પ્રગતિનું શ્રેય દ્રવિડ આંદોલન અને મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિનની સરકારની નીતિઓને આપ્યું. તેમણે કહ્યું હતું કે અમારી વિદ્યાર્થિનીઓએ ગર્વ અનુભવવો જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે તેઓ અભ્યાસ કરે.
તેમણે આગળ જણાવ્યું હતું કે જ્યાં કેટલાંક ઉત્તર રાજ્યોમાં દીકરીઓને બહાર કામ કરવા રોકવામાં આવે છે અને નોકરી કરવાની પણ મંજૂરી આપવામાં આવતી નથી, ત્યાં તામિલનાડુ દીકરીઓના શિક્ષણને સંપૂર્ણ ટેકો આપે છે.
એમ.કે. સ્ટાલિનને શ્રેષ્ઠ મુખ્ય મંત્રી
મારને તામિલનાડુને ભારતના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યોમાંનું એક ગણાવ્યું અને એમ.કે. સ્ટાલિનને “દેશના સૌથી સારા મુખ્ય મંત્રી” કહીને પ્રશંસા કરી હતી. તેમણે દ્રવિડ શાસન મોડેલ પર ભાર મૂકતાં કહ્યું હતું કે પેરિયારે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપ્યું હતું અને સ્ટાલિન તે જ સિદ્ધાંતોનું અનુસરણ કરી રહ્યા છે.
900 વિદ્યાર્થીનીઓને લેપટોપનું વિતરણ
રાજ્યના ઉપ મુખ્ય મંત્રી ઉદયનિધિ સ્ટાલિને આજે ‘ઉલગમ ઉંગલ કૈયિલ’ યોજનાના અંતર્ગત કાયદ-એ-મિલ્લત ગવર્નમેન્ટ કોલેજની વિદ્યાર્થિનીઓને લેપટોપ્સનું વિતરણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે તમને તમામ વિદ્યાર્થિનીઓને લેપટોપ આપીને મને ખૂબ આનંદ થાય છે. હું તમને નવા વર્ષ અને પોંગલની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ઘણી વખત કહેવામાં આવે છે કે જ્યારે દીકરીઓ પોતાનું શિક્ષણ પૂર્ણ કરે છે, ત્યારે તેઓ સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
2026 T20 વર્લ્ડ કપ એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. જોકે, બાંગ્લાદેશનો મુદ્દો હજુ પણ વણઉકેલાયેલો છે. IPLમાંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને બાકાત રાખ્યા બાદ, BCB (બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ) એ વિનંતી કરી હતી કે તેમની 2026 T20 વર્લ્ડ કપ મેચો ભારતથી શ્રીલંકા ખસેડવામાં આવે. બાંગ્લાદેશે સુરક્ષા ચિંતાઓનો ઉલ્લેખ કર્યો. ICC એ હવે બાંગ્લાદેશના દાવાને ફગાવી દીધો છે કે ભારતમાં સુરક્ષા ખતરો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ICC બાંગ્લાદેશની મેચો ભારતની બહાર ખસેડવા તૈયાર નથી.
ICC એ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે તેને કોઈ સુરક્ષા ખતરો મળ્યો નથી. ICC એ તેની તપાસમાં સુરક્ષા ખતરાને નજીવો (ઓછો થી મધ્યમ) ગણાવ્યો છે. આ કોઈપણ મેચ માટે સામાન્ય છે. જોકે, ICC એ હજુ સુધી સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. ૨૦૨૬નો T20 વર્લ્ડ કપ ૭ ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. આજે ICC અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વચ્ચે વાતચીત થઈ રહી છે, પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ મક્કમ છે.
અહેવાલો અનુસાર, BCB અને ICC એ મંગળવારે ૨૦૨૬ T20 વર્લ્ડ કપ અંગે વિડીયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી. ટુર્નામેન્ટ શરૂ થવા માટે ખૂબ જ ઓછો સમય બાકી હોવાથી, BCB મક્કમ છે. આ વાતચીત દરમિયાન, BCB એ ICC ને તેની ગ્રુપ સ્ટેજ મેચો ભારતથી શ્રીલંકા ખસેડવા વિનંતી કરી.
BCB વતી, પ્રમુખ મોહમ્મદ અમીનુલ ઇસ્લામ, ઉપપ્રમુખ મોહમ્મદ શાખાવત હુસૈન અને ફારૂક અહેમદ, ક્રિકેટ ઓપરેશન્સ કમિટીના ડિરેક્ટર અને ચેરમેન નઝમુલ આબેદીન અને મુખ્ય કાર્યકારી અધિકારી નિઝામુદ્દીન ચૌધરીએ તેમના વલણની પુષ્ટિ કરી. BCB એ ફરી એકવાર “સુરક્ષા ચિંતાઓ” ને તેની વિનંતીનું કારણ ગણાવ્યું. જવાબમાં, ICC એ જણાવ્યું કે ટુર્નામેન્ટનું સમયપત્રક પહેલાથી જ જાહેર કરવામાં આવ્યું છે. ICC એ BCB ને તેના વલણ પર પુનર્વિચાર કરવા પણ વિનંતી કરી. જોકે, બીસીબીની સત્તાવાર પ્રેસ રિલીઝ અનુસાર, બાંગ્લાદેશે પોતાનું વલણ બદલ્યું નથી અને તેની વિનંતી અંગે આઈસીસી સાથે ચર્ચા ચાલુ છે.
બાંગ્લાદેશ પાસે હવે બે વિકલ્પો છે
હજુ સુધી આ મામલાનો ઉકેલ ન આવવાથી સ્પષ્ટ થાય છે કે આઈસીસી બાંગ્લાદેશની માંગણી સ્વીકારી શકશે નહીં. આનું કારણ એ છે કે ટુર્નામેન્ટ શરૂ થવામાં વધુ સમય બાકી નથી. વધુમાં, હોટેલ બુકિંગ, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે વિઝા અને અન્ય તમામ જરૂરી વ્યવસ્થાઓ પહેલાથી જ કરવામાં આવી છે. અચાનક ફેરફારો હવે લગભગ અશક્ય છે. બાંગ્લાદેશ પાસે ફક્ત બે જ વિકલ્પો બાકી છે: કાં તો બાંગ્લાદેશ સમયપત્રક મુજબ ટુર્નામેન્ટ રમે અથવા ટુર્નામેન્ટમાંથી ખસી જાય.
જો બાંગ્લાદેશ ન રમે અને ખસી જાય, તો આઈસીસી તેમની જગ્યાએ બીજી ટીમ લઈ શકે છે. જો કે, આટલા ઓછા સમયમાં આ સરળ રહેશે નહીં. તેથી, આઈસીસી હંમેશા બાંગ્લાદેશને તેનો નિર્ણય બદલવા વિનંતી કરશે. જો કે, જો બીજી ટીમ આગળ આવે છે, તો તે સ્કોટલેન્ડ હોઈ શકે છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે રખડતા કૂતરાઓ સંબંધિત મામલે સુનાવણી ચાલુ રાખતાં ચેતવણી આપી હતી કે જો કૂતરાના કરડવાથી બાળકો અથવા વૃદ્ધોનાં મોત થાય અને રાજ્ય કંઈ પગલાં ન લે, તો દરેક એવા કેસમાં રાજ્ય સરકારને વળતર ચૂકવવું પડશે. સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું છે કે જે લોકો રખડતા કૂતરાઓને ખોરાક આપે છે, તેમની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.
આ મામલાની સુનાવણી ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, ન્યાયમૂર્તિ સંદીપ મહેતા અને ન્યાયમૂર્તિ એન.વી. અંજારિયાની ત્રણ સભ્યોની ખંડપીઠે કરી. ન્યાયમૂર્તિ વિક્રમ નાથે કહ્યું હતું કે કૂતરાના કરડવાથી બાળકો અથવા વૃદ્ધોના મોત કે ઇજા થવાના દરેક કેસમાં, જ્યારે આપણે કંઈ કરી રહ્યા નથી, ત્યારે રાજ્ય દ્વારા ભારે વળતર નક્કી થવાની શક્યતા છે. એ સાથે-સાથે, જે લોકો કહે છે કે અમે કૂતરાઓને ખોરાક આપી રહ્યા છીએ, તેમની પણ જવાબદારી નક્કી થવી જોઈએ. જો તમે આવું કરો છો, તો તેમને પોતાને ઘરે લઈ જાઓ. કૂતરાઓ કેમ રસ્તાઓ પર ગંદકી ફેલાવે છે, કેમ લોકોને કરડે છે અને કેમ લોકોને ડરાવે છે?
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સવાલ પણ કર્યો હતો કે જ્યારે એક નવ વર્ષના બાળકનું મોત એવા કૂતરાઓના હુમલાથી થાય છે, જેને કોઈ ખાસ સંસ્થા દ્વારા પોષણ આપવામાં આવે છે, તો જવાબદાર કોણ ગણાશે? શું એ સંસ્થાને નુકસાનની ભરપાઈ માટે જવાબદાર ન ઠેરવવી જોઈએ?
ન્યાયમૂર્તિ સંદીપ મહેતાએ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે માનો કે કોઈ રહેણાક સોસાયટી છે જ્યાં 95 ટકા લોકો કૂતરાઓ રાખવા માગતા નથી, તો શું કૂતરાઓ રાખવા ઇચ્છતા પાંચ ટકા લોકો બધાની તરફથી નિર્ણય લેશે? જ્યારે નગરપાલિકાના અધિકારીઓ કૂતરાઓને પકડવાનો પ્રયાસ કરે છે, ત્યારે કથિત ડોગ લવર્સ તેમના પર હુમલો કરે છે. કોર્ટો પણ અસુરક્ષિત બની ગઈ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજારો લોકો પર ઈરાની સરકારના ક્રૂર કાર્યવાહી સામે તાત્કાલિક લશ્કરી કાર્યવાહી અસ્થાયી રૂપે અટકાવી દીધી છે. તેઓ ઈરાનની પાછલા દરવાજાની વાટાઘાટોના સંદેશાઓને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. એસોસિએટેડ પ્રેસ અનુસાર, વ્હાઇટ હાઉસને તેહરાન તરફથી ખાનગી સંદેશાઓ મળી રહ્યા છે જે જાહેર નિવેદનોથી અલગ છે, અને તેઓ પરિસ્થિતિનો ઉકેલ શોધવા માટે તેમની “તપાસ” કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે જો જરૂરી હોય તો તેઓ લશ્કરી વિકલ્પોનો ઉપયોગ કરવામાં અચકાશે નહીં. દરમિયાન, ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25% ટેરિફની જાહેરાત કરી છે. ઈરાનમાં વિરોધ પ્રદર્શનો પર સરકારના કડક પગલાંને કારણે અત્યાર સુધીમાં 600 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકોની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન, ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાન સામે લશ્કરી કાર્યવાહીનો આદેશ આપવા કે નહીં તે અંગે વિચાર કરી રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે જો ઈરાની સરકાર વિરોધીઓ સામે ઘાતક બળનો ઉપયોગ કરે છે, તો તે અમેરિકા માટે લાલ રેખા હશે. ટ્રમ્પ કહે છે કે ઈરાન આ રેખા પાર કરવા તરફ આગળ વધી રહ્યું છે. પરિણામે, વ્હાઇટ હાઉસ અને રાષ્ટ્રીય સુરક્ષા ટીમમાં “ખૂબ જ કઠિન વિકલ્પો પર વિચારણા કરવામાં આવી રહી છે.
નવી દિલ્હી: ડિલિવરી બોય એટલે કે ગિગ વર્કર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 10 મિનિટમાં સામાન પહોંચાડવાની સમયમર્યાદા પર રોક લગાવવામાં આવી છે. શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તક્ષેપ બાદ મુખ્ય ઈ-કોમર્સ કંપનીઓએ સમયસીમા સંબંધિત ડેડલાઈન દૂર કરવાનો નિર્ણય લીધો છે.
શું છે આખો મામલો?
કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના સતત હસ્તક્ષેપ બાદ મોટા ડિલિવરી એગ્રિગેટર્સે 10 મિનિટની ફરજિયાત ડિલિવરી ડેડલાઈન હટાવવાનો નિર્ણય કર્યો છે. ડિલિવરી ટાઈમલાઈનને લઈને ઊભી થયેલી ચિંતાઓ દૂર કરવા Blinkit, Zepto, Zomato અને Swiggy જેવાં મુખ્ય પ્લેટફોર્મ્સ સાથે બેઠક યોજાઈ હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
બ્લિન્કિટે 10 મિનિટ ડિલિવરીનું વચન હટાવ્યું
બ્લિન્કિટે પોતાની બ્રાન્ડિંગમાંથી 10 મિનિટમાં ડિલિવરીનું વચન દૂર કરી દીધું છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અન્ય એગ્રિગેટર્સ પણ ટૂંક સમયમાં આવું જ પગલું લેશે. કંપનીઓના આ નિર્ણયથી ગિગ વર્કર્સની સુરક્ષા સુનિશ્ચિત થશે, કારણ કે ઝડપી ડિલિવરી આપવા માટે ગિગ વર્કર્સ પોતાનું જીવન જોખમમાં મૂકી રહ્યા હતા, જેનાથી રસ્તા પર અન્ય વાહનચાલકો માટે પણ જોખમ ઊભું થતું હતું.
છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ગિગ વર્કર્સની સુરક્ષાને લઈને વ્યાપક ચર્ચા ચાલી રહી હતી. આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. સંસદ સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પણ ગિગ વર્કર્સની સુરક્ષાનો મુદ્દો ઉઠાવીને તેમને સન્માન, સુરક્ષા અને યોગ્ય વેતન આપવાની માગ કરી હતી.
ગૌરવની વાત એ છે કે પ્રથમ વખત ‘ગિગ વર્કર્સ’ અને ‘પ્લેટફોર્મ વર્કર્સ’ની વ્યાખ્યા અને તેમની સાથે જોડાયેલી જોગવાઈઓ, સોશિયલ સિક્યોરિટી કોડ, 2020માં આપવામાં આવ્યા છે, જે 21 નવેમ્બર, 2025થી અમલમાં આવ્યા છે.
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ બીએમસીમાં ચૂંટણીને લઈને રાજકીય તાપમાન ઘણું ઊંચું છે. આ દરમિયાન મહાયુતિ સરકારના જ બે ટોચના નેતાઓ વચ્ચે મતભેદ સામે આવ્યા છે. એક તરફ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે અને બીજી તરફ ઉપમુખ્ય મંત્રી અજિત પવાર. મુખ્ય મંત્રી ફડણવીસના એક નિવેદનને સાંપ્રદાયિક ગણાવીને અજિત પવારે તેની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે તેઓ ધર્મનિરપેક્ષ વિચારધારા ધરાવે છે.
પવારે જણાવ્યું કે ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં દરેક વ્યક્તિ સમાન નાગરિક છે. પવારે કહ્યું હતું કે મને આ વાત બિલકુલ પસંદ નથી. મારી વિચારધારા ધર્મનિરપેક્ષ છે.
પવારે યાદ અપાવી આંબેડકરની વિચારધારા
પવારે વધુમાં કહ્યું કે જો કોઈ દેશ વિરુદ્ધ ગદ્દારી કરે છે તો તેના સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને તેમને મૃત્યુદંડ આપવામાં આવવો જોઈએ, તે માટે નવો કાયદો બનાવવો જોઈએ. એ સાથે જ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની વિચારધારાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે દરેકને પોતાની ક્ષમતા બતાવવાની અને કામ કરવાની તક મળવી જોઈએ. બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં આપણને આ જ શીખવ્યું છે અને અન્ય મહાન વ્યક્તિત્વોએ પણ એ જ કહ્યું છે.
દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું હતું?
મહત્વની વાત એ છે કે અજિત પવારનું આ નિવેદન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના તે દાવા પછી એક દિવસમાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે બીએમસીનો નવો મેયર મહાયુતિમાંથી હશે, તે હિંદુ હશે અને મરાઠી હશે.
વિપક્ષ દ્વારા ‘મરાઠી માનુષ’ ખતરામાં હોવાના દાવાઓ પર જવાબ આપતાં ફડણવીસે કહ્યું હતું કે ખતરો મરાઠી સમાજને નથી, પરંતુ કેટલીક રાજકીય શક્તિઓના અસ્તિત્વને છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર તમામ મરાઠી લોકોનું છે, કોઈ એક જૂથનું નહીં.
પવાર પર ભડક્યા હતા ફડણવીસ
આ અગાઉ પુણેમાં નગરપાલિકા ચૂંટણી દરમિયાન એનસીપીના નેતા અજિત પવારે પોતાની પાર્ટીના ઘોષણાપત્રમાં મેટ્રોમાં મફત મુસાફરીનું વચન આપ્યું હતું. આ વચનને લઈને ફડણવીસે અજિત પવારનું નામ લીધા વિના જ ટીકા કરી હતી અને કહ્યું હતું કે જેને જે વચન આપવું છે તે આપી રહ્યો છે, પરંતુ આવા વચનો ક્યારેય હકીકતમાં સાકાર થવાનાં નથી.