ફિલ્મ ‘આરાધના’ (૧૯૬૯)ના નિર્માણ માટે શમ્મી કપૂર નિમિત્ત બન્યા હતા. ફિલ્મમાં મોહમ્મદ રફીના બદલે
કિશોરકુમારનો નંબર લાગ્યો હતો અને રાજેશ ખન્નાના અવાજ તરીકે પણ ઉદય થયો હતો. નિર્દેશક શક્તિ સામંતાના પુત્ર અશીમ સામંતાએ એક મુલાકાતમાં ફિલ્મ ‘આરાધના’ ના જન્મ, ગીત-સંગીત અને ગાયન સાથે જોડાયેલી આવી અત્યંત રોમાંચક અને અનન્ય વાતો કહી છે.
ફિલ્મનું નિર્માણ કેવી રીતે થયું તે જ એક મોટો વળાંક હતો. ખરેખર તો શક્તિ સામંતા શમ્મી કપૂર સાથે ‘જાને અનજાને’ (1971) બનાવી રહ્યા હતા. પરંતુ શમ્મીજીનું વજન ખૂબ વધી ગયું હોવાથી શક્તિદાએ તેમને વજન ઘટાડવા છ મહિનાનો સમય આપ્યો હતો. એ પછી એમણે જોયું તો શમ્મીજી પાતળા થવાને બદલે વધારે જાડા થઈ ગયા હતા. આ સ્થિતિમાં શક્તિદાએ નક્કી કર્યું કે તેઓ અત્યારે એક નવી ફિલ્મ શરૂ કરશે. તે સમયે તેમને વર્ષો પહેલાં સચિન ભૌમિકે ‘આરાધના’ ની વાર્તા સંભળાવી હતી એ મનમાં તાજી હતી. તેમણે આ વાર્તા પર કામ કરવાનું નક્કી કર્યું અને નવા હીરો રાજેશ ખન્નાને લેવાનું વિચાર્યું. ત્યારે રાજેશ ‘બહારોં કે સપને’ (1967) કરી રહ્યા હતા. શક્તિદાએ નાસીર હુસેનને વિનંતી કરીને ફિલ્મની તૈયાર થયેલી એક રીલ જોઈ હતી.

રાજેશ ખન્નાનું કામ જોયા પછી ‘આરાધના’ માટે યોગ્ય લાગ્યા હતા. જ્યારે સ્ક્રિપ્ટ સંભળાવવામાં આવી ત્યારે ખન્ના એના માટે બહુ ઉત્સાહિત નહોતા. કેમ કે ખન્નાને એવું લાગ્યું હતું કે આ ફિલ્મ અભિનેત્રી પ્રધાન છે. તેમાં હીરો માટે ખાસ કંઈ નથી. જોકે, યુનાઈટેડ પ્રોડ્યુસર્સ સાથેના કરારને કારણે તેઓ શક્તિ સામંતાની આ ફિલ્મ કરવા માટે બંધાયેલા હતા. તેથી અનિચ્છાએ પણ આ ભૂમિકા સ્વીકારી લીધી હતી. બાકી આ ફિલ્મ એ કરવા માગતા ન હતા. શક્તિદાએ તેમને ખાતરી આપી હતી કે આ સારી વાર્તા છે અને ફિલ્મ સુપરહિટ જશે. આ ફિલ્મના સંગીત સાથે જોડાયેલી કથા પણ એટલી જ રસપ્રદ છે.

મૂળભૂત રીતે બધા ગીતો મોહમ્મદ રફી ગાવાના હતા પરંતુ ત્યારે તે શૉ માટે ત્રણ મહિનાની વર્લ્ડ ટૂર પર હતા. શક્તિદાએ સચિનદેવ બર્મનને પૂછ્યું કે હવે શું કરવું? ત્યારે એમણે સૂચવ્યું કે કિશોરકુમાર પાસે આ ગીતો ગવડાવીએ. આ એક સંજોગ હતો જેણે બોલિવૂડને રાજેશ ખન્ના અને કિશોરકુમારની અમર જોડી આપી. કિશોરદાએ ‘ગાતા રહે મેરા દિલ’ જેવા ગીતો ગાયા હતા એટલે તેમના પર ભરોસો મૂકવામાં આવ્યો.

કિશોરકુમારે રાજેશ ખન્નાના હાવભાવ અને બોલવાની શૈલીનો અભ્યાસ કરવા માટે પહેલાં તેમની મુલાકાત લીધી હતી. જેથી ગીતોમાં એ જ અંદાજ લાવી શકાય. સંગીત નિર્માણ દરમિયાન આર.ડી. બર્મન ‘પંચમદા’ પણ ત્યાં હાજર રહેતા હતા. ‘રૂપ તેરા મસ્તાના’ ગીત માટે એસ.ડી. બર્મને બે ધૂન બનાવી હતી. શક્તિદાને બીજી ધૂન વધારે પસંદ પડી હતી પણ એસ.ડી. બર્મનને પહેલી ધૂન ગમતી હતી. પંચમદાએ ચોરીછૂપીથી શક્તિદાને કહ્યું કે બીજી ધૂન જ શ્રેષ્ઠ છે. છેવટે શક્તિદાએ એસ.ડી. બર્મનને મનાવી લીધા હતા અને આજે આપણે જે સાંભળીએ છીએ તે બીજી ધૂન છે.
(હવે પછીના લેખમાં ‘રાજેશ ખન્ના માત્ર ૩ કલાકમાં સુપરસ્ટાર બની ગયા હતા’ એની રસપ્રદ વાતો વાંચશો!)



એક સપ્તાહ સુધી ચાલેલી આ કોન્ક્લેવ – ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર 4.0’ ના કેન્દ્રમાં 20,000+ ચોરસ ફૂટનું ભવ્ય પ્રદર્શન હતું, જેમાં વ્યક્તિને- પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ સાથે જોડતા 12 શાશ્વત પ્રાચીન ભારતીય સિદ્ધાંતો દર્શાવવામાં આવ્યા હતા. વાર્તા કહેવાની શૈલી (storytelling), વિઝ્યુઅલ ડિઝાઇન અને દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ સાથેની એક ચિંતનશીલ યાત્રા તરીકે ડિઝાઇન કરવામાં આવેલા આ પ્રદર્શને મુલાકાતીઓને જીવનનાં મૂલ્યોનો વાસ્તવિક અનુભવ કરાવ્યો. ગજેન્દ્ર સિંહ શેખાવત અને અમૃતા ફડણવીસ જેવાં મહાનુભાવોએ આ પહેલની મુલાકાત લીધી હતી અને તેની પ્રશંસા કરી હતી.
સાત દિવસ સુધી ચાલેલી આ કોન્ક્લેવમાં ઉચ્ચ સ્તરીય પેનલ ચર્ચા-વિચારણા, પ્રાયોગિક ફોર્મેટ્સ અને યુવા-કેન્દ્રિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન સમારંભમાં સમકાલીન શાસન, કાયદો, અર્થશાસ્ત્ર અને સામાજિક જીવનમાં માનવ-સભ્યતા આધારિત વિચારધારાની પ્રસ્તુતતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બી. એન. શ્રીકૃષ્ણ અને ભૂષણ આર. ગવઈ સહિતના પ્રખ્યાત ન્યાયશાસ્ત્રીઓએ સમજાવ્યું કે કેવી રીતે બંધારણીય મૂલ્યો, ન્યાય અને નૈતિકતા સમાજના નૈતિક પાયાથી અલગ રહી શકે નહીં.
ઔપચારિક ચર્ચા-સત્રો ઉપરાંત, કોન્ક્લેવ દરમિયાન શેરી નાટકો અને લાઈટ-એન્ડ-સાઉન્ડ પ્રસ્તુતિ દ્વારા સંસ્કૃતિ, કળા અને સામુદાયિક ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી હતી, જેનાથી ઓગસ્ટ ક્રાંતિ મેદાન એક જીવંત જાહેર વર્ગખંડમાં ફેરવાઈ ગયું હતું. સાત દિવસ દરમિયાન, વસુધૈવ કુટુમ્બકમને સહઅસ્તિત્વ માટેના વ્યવહારુ માળખા તરીકે જોવામાં આવ્યું હતું, જેમાં આયોજકોએ એ બાબત ઉપર ભાર મૂક્યો હતો કે આ કોન્ક્લેવ મૂલ્યો, જવાબદારી અને સહિયારી માનવતામાં મૂળ ધરાવતી એક સતત યાત્રાની શરૂઆત છે.
યુવા ભાગીદારી ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર 4.0’ નું એક નિર્ણાયક પાસું રહ્યું. મૂટ કોર્ટ (Moot Court), મોડેલ યુનાઈટેડ નેશન્સ (MUN) અને નાલંદા વાદ (Nalanda Vaad) જેવા વ્યવહારિક કાર્યક્રમોએ વિદ્યાર્થીઓને કાયદો, મુત્સદ્દીગીરી અને ફિલસૂફીની વાસ્તવિકતા સાથે ઝઝૂમવા માટે સક્ષમ બનાવ્યા. આ કાર્યક્રમોમાં માત્ર સંસ્થાઓનું અનુકરણ કરવા કરતાં પણ વિશેષ કાર્ય કર્યું; તેમણે સહભાગીઓને ધ્યેય, કર્તવ્ય અને નિર્ણય લેવાના વ્યાપક પરિમાણો ઉપર ચિંતન કરવા પ્રોત્સાહિત કર્યા. શિક્ષણવિદો અને વાલીઓએ નોંધ્યું કે યુવાનો માટે સમકાલીન અને પ્રસ્તુત ફોર્મેટમાં માનવ-સભ્યતાલક્ષી વિચારો સાથે જોડાવાની આ એક દુર્લભ તક હતી.



કૃષ્ણ, શિવજી, હનુમાનજી સાથે અલગ અલગ શક્તિ સ્વરૂપ માતાજીના અનેક મંદિરોની સ્થાપના ગામે ગામ જોવા મળે. ઘણી શાળાઓના નામની આગળ પણ સરસ્વતી મંદિર લખાય છે. જ્યારે સરસ્વતી માતાના મંદિર આંગણીના વેઢે ગણાય એટલા જ છે.
એમાંનું એક સરસ્વતી મંદિર અમદાવાદ શહેરના એન.આઈ.ડી. પાલડી નજીક આવેલું છે. આ મંદિરની સ્થાપના સંવત 2008 આસો સુદ પૂનમ શુક્રવારે શંકર મહારાજ ઉનાવાવાળાએ કરી. પાલડી નારાયણ નગર તરફ જતાં માર્ગ પર શ્રી શંકરાશ્રમ તરીકે જાણીતા શંકર મહારાજના આશ્રમમાં સરસ્વતી મંદિર આવેલું છે.
શુભ કાર્યો સાથે સરસ્વતી પૂજનના આ દિવસથી જ વસંત ઋતુની શરૂઆત થાય છે. બુધ્ધિ, જ્ઞાન કલાની દેવી સરસ્વતી આ પંચમીએ પૂજાય છે.

આઈ.એસ.પી.એલ.ની આ ત્રીજી સીઝન છે અને એમાં આઠ ટીમો વચ્ચે હરીફાઈ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન માઝી મુંબઈ ઉપરાંત બાકીની ટીમ છે: ટાઇગર્સ ઓફ કોલકાતા, શ્રીનગર કે વીર, ચેન્નાઈ સિંગમ્સ, બેંગલુરુ સ્ટ્રાઇકર્સ, ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ, દિલ્હી સુપર હીરોઝ અને અમદાવાદ લાયન્સ. ટીમોની માલિકીમાં અમિતાભ બચ્ચન, સૌરવ ગાંગુલી, અક્ષય કુમાર, હૃતિક રોશન, રામ ચરણ, સલમાન ખાન અને અજય દેવગણ જેવી જાણીતી હસ્તીઓ જોડાયેલી છે. ચિત્રલેખા આ ટુર્નામેન્ટ સાથે મેગેઝીન પાર્ટનર તરીકે સંકળાયેલું છે.લીગ કમિશનર સૂરજ સામત ચિત્રલેખાને કહે છે: ‘આ ફૉર્મેટના પાયામાં સચિન તેંડુલકરનો વિચાર છે. ગ્રાસરૂટ ક્રિકેટ હિન્દુસ્તાનનો પ્રાણ છે. ભારતમાં લાખો બાળકો શેરીમાં ક્રિકેટ રમે છે. શેરીમાં છુપાયેલી પ્રતિભા બહાર લાવવાના આશયથી ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની શરૂઆત કરવામાં આવી. આગલી બે સીઝન મહારાષ્ટ્રમાં રમાઈ. પહેલી સીઝનમાં મોટી સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યા અને પછી તો આ આંક ખાસ્સો વધ્યો છે.’
એ ઉમેરે છે કે ‘આમાંથી ટીમમાં રમી શકે એવા ખેલાડીઓ પસંદ કરવાની પ્રક્રિયા જટિલ હતી. આથી જ આવતી સીઝનમાં પસંદગી (સિલેક્શન)નું સ્વરૂપ બદલીશું. હવેથી પરફોર્મન્સ આધારે પસંદગી થશે. કમિટી દ્વારા દેશભરમાં સિલેક્શન માટે ટુર્નામેન્ટ યોજાશે જેમાં સારું પ્રદર્શન કરનારને પૉઈન્ટ આપવામાં આવશે અને એના આધારે એમને ટીમમાં સ્થાન મળશે.’

