Home Blog Page 284

૨૭ જાન્યુઆરી ૨૦૨૬

પંચાંગ 27/01/2026

પ્રજાસત્તાક દિનની નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ખાતે ઉજવણી

ગાંધીનગરઃ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરમાં 77મા પ્રજાસત્તાક દિનની સોમવારે ઉજવણી કરવામાં આવી હતી. ‘પદ્મશ્રી’થી સન્માનિત, NFSUના કુલપતિ, ડો. જે.એમ. વ્યાસે પ્રજાસત્તાક દિને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ કાર્યક્રમમાં કઝાકિસ્તાનના આંતરિક બાબતોના નાયબ પ્રધાન મેજર જનરલ આઈદર સૈતબેકોવ ‘મુખ્ય અતિથિ’ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મેજર જનરલ સૈતબેકોવે કઝાકિસ્તાનના પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળનું પણ નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે પ્રો.સ્ટીફન બાર્ન્સ, પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટી, USA અને પરિંદુ ભગત, પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ-NFSU ‘અતિથિ વિશેષ’ તરીકે મંચ ઉપર બિરાજમાન હતા.

‘પદ્મશ્રી’થી સન્માનિત, NFSUના કુલપતિ ડો. જે.એમ. વ્યાસે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે NFSUની સ્થાપના વર્ષ-2009માં થઈ ત્યારથી અત્યાર સુધીમાં ભારતમાં 13 કેમ્પસ અને વિદેશમાં યુગાન્ડામાં પણ કેમ્પસ ધરાવે છે. NFSU વૈશ્વિક સ્તરે ફોજદારી ન્યાય વિતરણ પ્રણાલીને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાની સાથે નેતૃત્વ પૂરું પાડવા કટિબદ્ધ છે. વિશ્વના અનેક દેશોએ તેમના સંબંધિત દેશોમાં કેમ્પસ સ્થાપવા માટે NFSUનો સંપર્ક કર્યો છે. જેમાં કઝાકિસ્તાન તરફથી આવી જ એક દરખાસ્ત વિચારણા હેઠળ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વ નાર્કો-સાયબર આતંકવાદ અને નકલી ચલણના વધતાં જતાં જોખમો સાથે ઝઝૂમી રહ્યું છે, જે વૈશ્વિક સુરક્ષા અને સ્થિરતાને જોખમમાં મૂકે છે. NFSU આ પ્રકારના ગુનાઓનો સામનો કરવા માટે અદ્યતન તપાસ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. NFSU ફોરેન્સિક વિજ્ઞાન અને સંલગ્ન ક્ષેત્રોમાં ઉચ્ચ કુશળ માનવબળ તૈયાર કરીને વિશ્વભરમાં કાયદા અમલીકરણ અને ન્યાયિક પ્રણાલીઓને સશક્ત બનાવવા કટિબદ્ધ છે.

પ્રજાસત્તાક દિવસની ભવ્ય પરેડમાં અતૂટ દેશભક્તિ અને શિસ્તનું પ્રદર્શન કરતા NCC કેડેટ્સ અને NSS સ્વયંસેવકોએ  સક્રિયપણે ભાગ લઈને પોતાનું સમર્પણ દર્શાવ્યું હતું. પ્રજાસત્તાક દિનની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમોથી જીવંત બની હતી. જેમાં દેશભક્તિનાં ગીતો, સમૂહ નૃત્ય, કાવ્ય-પઠનનો પણ સમાવેશ થયો હતો.

પ્રો. (ડો.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર,  સી.ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર-NFSU; પ્રો. (ડો.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-દિલ્હી; પ્રો. (ડો.) સતીશ કુમાર, કેમ્પસ ડિરેક્ટર, NFSU-ભોપાલ; વિવિધ સ્કૂલ્સના ડીન; અધ્યાપક ગણ; વિદ્યાર્થીઓ અને સ્ટાફ આ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા.

ગંગોત્રી ધામમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં આવેલા ચાર ધામને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર સ્થળો માનવામાં આવે છે. આ ચાર ધામ છે – યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ. હવે. ઉત્તરાખંડમાં ગંગોત્રી ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિના અધ્યક્ષે આ નિર્ણય વિશે માહિતી આપી છે.

મંદિર સમિતિની બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય રવિવારે યોજાયેલી શ્રી ગંગોત્રી મંદિર સમિતિની બેઠકમાં સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. મંદિર સમિતિએ જણાવ્યું છે કે આ પ્રતિબંધ માત્ર ગંગોત્રી ધામ સુધી સીમિત નહીં રહે, પરંતુ માતા ગંગાના શિયાળુ નિવાસસ્થાન મુખબા પર પણ લાગુ પડશે.

મુખબામાં પણ લાગુ રહેશે નિર્ણય

શ્રી ગંગોત્રી મંદિર સમિતિના અધ્યક્ષ સુરેશ સેમવાલે ગંગોત્રી ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધના આ નિર્ણય વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે નિર્ણય મુજબ ધામમાં બિન-હિન્દુઓનો પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. તેમણે વધુમાં કહ્યું કે આ પ્રતિબંધ દેવીના શિયાળુ નિવાસસ્થાન મુખબામાં પણ લાગુ રહેશે.

હરિદ્વાર, ઋષિકેશને સનાતન પવિત્ર શહેર જાહેર કરવાની યોજના

આ ઉપરાંત, ઉત્તરાખંડ સરકાર હરિદ્વારના 120 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા 105 ઘાટોમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા અંગે વિચારણા કરી રહી છે. આ પગલું કેટલાક સંતો અને ગંગા સભા (જે મુખ્ય હર-કી-પૌડી ઘાટના સંચાલન માટે જવાબદાર સંસ્થા છે)ની માગના પ્રતિસાદરૂપે લેવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર હરિદ્વાર અને ઋષિકેશ – બંનેને “સનાતન પવિત્ર શહેર” (પવિત્ર નગર) તરીકે જાહેર કરવાની યોજના બનાવી રહી છે.

કેદારનાથ મંદિર પરિસરમાં પ્રતિબંધની માગ

આ પહેલાં માર્ચ 2025માં, કેદારનાથ વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપનાં ધારાસભ્ય આશા નૌટિયાલે મંદિર પરિસરમાં બિન-હિંદુ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેદારનાથમાં યાત્રા વ્યવસ્થાપન સંબંધિત તાજેતરમાં એક બેઠક યોજાઈ હતી, તેમાં કેટલાક લોકોએ આ મુદ્દો ઉઠાવ્યો કે કેટલીક ઘટનાઓ એવી બને છે, જેને ધ્યાનમાં લેવામાં આવતી નથી.

તેમણે કહ્યું હતું કે હું પણ આ વાતથી સહમત છું કે જો કેટલાક લોકો એવું કંઈક કરી રહ્યા છે જેને કારણે કેદારનાથ ધામની છબી ખરાબ થઈ શકે, તો એવા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. તેમણે આરોપ લગાવ્યો હતો કે આવા લોકો ચોક્કસપણે “બિન-હિંદુ” છે, જે મંદિરને બદનામ કરવા માટે આવે છે અને આવી પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે.

ભારત- EU ડીલ: BMW સહિત લક્ઝરી કારો થશે સસ્તી

નવી દિલ્હીઃ યુરોપિયન યુનિયન (EU)માંથી આયાત થતી કારો પર ભારત મોટો ટેરિફ ઘટાડો કરવાની યોજના બનાવી રહ્યું છે. આ પગલું ભારત અને EU વચ્ચે લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)નો ભાગ છે. આવતી કાલ સુધીમાં તેનું ઔપચારિક એલાન થવાની શક્યતા છે.

પ્રસ્તાવિત કરાર હેઠળ ભારત EUમાં બનેલી કારો પર લાગતો આયાત શૂલ્ક હાલના રેકોર્ડ હાઈ 110 ટકામાંથી ઘટાડીને 40 ટકા સુધી લાવવાની યોજના ધરાવે છે. જો આવું થાય તો દેશના ભારે સુરક્ષિત ઓટોમોબાઈલ માર્કેટને ખોલવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

શરૂઆતમાં ખાસ કારો પર જ ઘટશે ટેરિફ

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના વેપાર કરાર હેઠળ જે ટેરિફમાં ઘટાડો થશે, તે શરૂઆતમાં માત્ર 15 હજાર યુરો (અંદાજે રૂ. 16.3 લાખ)થી વધુ કીમતી, EUમાં સંપૂર્ણ રીતે બનેલી કારોના મર્યાદિત આયાત પર લાગુ થશે. આ યોજના મુજબ આ કારો પર ટેરિફને 110 ટકામાંથી ઘટાડીને પહેલાં 40 ટકા સુધી લાવવામાં આવશે અને બાદમાં તેને વધુ ઘટાડીને 10 ટકા સુધી લાવવાની સંભાવના છે.

આ કરારથી વોક્સવેગન, મર્સિડિઝ-બેન્ઝ અને BMW જેવી યુરોપિયન ઓટોમોબાઈલ કંપનીઓ માટે ભારતીય બજારમાં પ્રવેશ વધુ સરળ બનશે. ભારતે હાલ દર વર્ષે અંદાજે બે લાખ ઇન્ટર્નલ કંબશન એન્જિન વાહનો પર ડ્યૂટી ઘટાડવા માટે સંમતિ આપી છે, જોકે અંતિમ ક્વોટામાં ફેરફાર શક્ય છે. એક તરફ ઘરેલુ કંપનીઓના રોકાણને સુરક્ષિત રાખવા માટે સરકારની યોજના બેટરી ઇલેક્ટ્રિક વાહનોને પ્રથમ પાંચ વર્ષ સુધી ટેરિફ ઘટાડાની બહાર રાખવાની છે. બાદમાં આવી જ પ્રકારની છૂટછાટ ઇલેક્ટ્રિક વાહનો પર પણ લાગુ થવાની અપેક્ષા છે.

એલાન ક્યારે થઈ શકે?

યુરોપિયન યુનિયનમાંથી કારોની આયાત પર ટેરિફ ઘટાડાનો નિર્ણય એવા સમયે થવાનો છે જ્યારે યુરોપિયન કમિશનની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન ચાર દિવસની ભારત મુલાકાતે છે. તેઓ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા સાથે પ્રજાસત્તાક દિવસના ઉત્સવમાં ભાગ લેવા માટે આવ્યા છે.

સ્વતંત્રતા કા મંત્ર: CRPFની સહાયક કમાન્ડન્ટ સિમરન બાલાએ ગુજરાતને ગૌરવ અપાવ્યું

નવી દિલ્હી: પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયિતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ”. ‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરૂ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો.

આ સાથે ગુજરાતના નવસારીમાં જન્મેલા તથા ગુર્જરભૂમિના તેમના નામાંકિત ક્રાંતિવીર સાથીઓ :શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિજ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલા ‘વંદે માતરમ’ લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન, ‘ચરખા’ના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનો સુભગ સમન્વય આ ટેબ્લોની અનોખી ભાત ઊભી કરી હતી.

સ્વાધીનતાની લડાઈ માટે ખપી જનારા વીર સપૂતોને યાદ કરીને રાષ્ટ્રીય ચેતના જગાવતા ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામેલા ગુજરાતી રચનાકાર ઝવેરચંદ મેઘાણી રચિત ‘કસુંબીનો રંગ’ના તાલે જુસ્સો વધારતા કલાકારો ટેબ્લોને જોમવંતો બનાવી રહ્યા હતા.

ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ ડૉ.વિક્રાંત પાંડે, માહિતી કમિશનર કિશોર બચાણી, અધિક નિયામક  અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડો.સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવના વસાવા યોગદાન આપ્યું હતું.

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ૧૭ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની ૧૩ ઝાંખીઓ મળીને કુલ ૩૦ ટેબ્લોનું પ્રદર્શન થયું હતું. કર્તવ્ય પથ  પર સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં લગભગ 2500 કલાકારોએ ભાગ લીધો હતો. દેશભરમાંથી લગભગ 10,000 ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

સેનાની વિવિધ પાંખોના કરતબો સાથે આ વર્ષે પહેલી વખત CRPFની પુરુષ ટીમનું નેતૃત્વ 26 વર્ષીય સહાયક કમાન્ડન્ટ સિમરન બાલાએ કર્યું હતું. ગુજરાતમાં ઉચ્ચ અભ્યાસ કરનારી સિમરને ગાંધીનગરની સરકારી મહિલા કોલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી CRPFની સહાયક કમાન્ડન્ટની પરીક્ષા પાસ કરી હતી. આ સાથે યુરોપિયન યુનિયનની કન્ટિજન્ટ પણ આ પરેડમાં સામેલ થઇ હતી. આ વર્ષની પરેડમાં પ્રથમ વખત ભારતીય સેના દ્વારા બેટલ અરે ફોર્મેટ દર્શાવવામાં આવશે, આવ્યું હતું, જેમાં પરંપરાગત માર્ચિંગ ટુકડીઓ અને સેવા પ્રસ્તુતિઓનો સમાવેશ થતો હતો.

રાજસ્થાન પોલીસે 10,000 કિલોગ્રામ વિસ્ફોટક કર્યો જપ્તઃ એકની ધરપકડ

જયપુરઃ રાજસ્થાન પોલીસે ગેરકાયદે ખનન સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરતા પ્રજાસત્તાક દિવસ પહેલાં નાગૌર જિલ્લાના એક એકાંત ફાર્મહાઉસમાંથી આશરે 10,000 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. આ સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી હતી. તેમના જણાવ્યાનુસાર આ કાર્યવાહીથી વિસ્તારમાં કાર્યરત એક મોટા સ્તરના તસ્કરી નેટવર્કનો પર્દાફાશ થયો છે.

પકડાયેલા આરોપીની ઓળખ સુલેમાન ખાન તરીકે થઈ છે, જેને જિલ્લા વિશેષ દળ અને સ્થાનિક પોલીસના સંયુક્ત અભિયાન બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. નાગૌરના પોલીસ અધિક્ષક મૃદુલ કચ્છવાએ જણાવ્યું કે માહિતી મળ્યા બાદ શનિવારે મોડી રાત્રે હરાસૌર ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં એક ફાર્મહાઉસમાંથી 187 બોરામાં ભરેલું 9,550 કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટ જપ્ત કરવામાં આવ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા મુજબ એમોનિયમ નાઇટ્રેટનો સંબંધ અગાઉ પણ અનેક મોટા વિસ્ફોટો સાથે રહ્યો છે, જેમાં નવેમ્બર, 2025માં દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલો વિસ્ફોટ પણ સામેલ છે. હાલમાં પોલીસે આ મામલામાં સામેલ હરાસૌર ગામના રહેવાસી સુલેમાન ખાનની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. એસપીના જણાવ્યા મુજબ તેના વિરુદ્ધ અગાઉથી ત્રણ ફોજદારી કેસ નોંધાયેલા છે.

આ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી

અધિકારીઓએ જણાવ્યું કે એમોનિયમ નાઇટ્રેટ ઉપરાંત મોટી માત્રામાં અન્ય વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે, જેમાં નવ કાર્ટન ડેટોનેટર, 12 કાર્ટન અને 15 બંડલ નીલા ફ્યુઝ વાયર તથા 12 કાર્ટન અને 5 બંડલ લાલ ફ્યુઝ વાયરનો સમાવેશ થાય છે. એસપી મૃદુલ કચ્છવાએ જણાવ્યું કે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી કથિત રીતે કાયદેસર અને ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકોને વિસ્ફોટક સામગ્રી સપ્લાય કરતો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે વિસ્ફોટક અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કર્તવ્ય પથ પર દેખાશે આત્મનિર્ભર ભારતની ઝલકઃ PM મોદીનો ખાસ સંદેશ

નવી દિલ્હીઃ આજે દેશ 77મો પ્રજાસત્તાક દિન ભારે ઉત્સાહ સાથે ઊજવી રહ્યું છે. દેશની રાજધાની નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડ યોજાશે, જેના પર વિશ્વની નજર ટકી છે. હંમેશની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિનની પરેડમાં દેશની સૈન્ય શક્તિ, સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓ અને સાંસ્કૃતિક વૈવિધ્યતાનું સુંદર પ્રદર્શન કરવામાં આવશે. આ વર્ષની પરેડમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 30 ઝાંખીઓ સામેલ થશે. યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન પ્રજાસત્તાક દિન પરેડ 2026ના મુખ્ય અતિથિ રહેશે.

પ્રજાસત્તાક દિનની પરેડ સવારે શરૂ થશે અને અંદાજે 90 મિનિટ સુધી ચાલશે. તેની શરૂઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાતથી થઈ હતી, જ્યાં તેમણે શહીદ વીરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ વડા પ્રધાન મોદી અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ કર્તવ્ય પથ સ્થિત સલામી મંચ પર પરેડ જોવા જશે. રાષ્ટ્રપતિ મુર્મુ અને બંને મુખ્ય અતિથિઓ રાષ્ટ્રપતિના અંગરક્ષકોની સુરક્ષામાં પરંપરાગત બગ્ગીમાં આવશે. પરંપરા મુજબ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે, ત્યાર બાદ રાષ્ટ્રગાન ગવાશે અને પછી 105 મિમી હલકી ફીલ્ડ તોપોથી 21 તોપોની સલામી આપવામાં આવશે. આ સલામી 172 ફીલ્ડ રેજિમેન્ટની 1721 સેરેમોનિયલ બેટરી દ્વારા આપવામાં આવશે.

વડા પ્રધાન મોદીએ યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે ઇન્ડિયા ગેટ પહોંચ્યા હતા વડા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદ સૈનિકોને પુષ્પાંજલિ અર્પી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

કચ્છના ભયાવહ ભૂકંપના એ પ્રથમ 24 કલાક…આવી રીતે વડાપ્રધાન કાર્યાલયને કરાઈ હતી જાણ

કચ્છમાં 26 જાન્યુઆરી 2001 ની વહેલી સવારે લોકો પ્રજાસતાક દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે 7.6ની તીવ્રતાથી આવેલો વિનાશક ભૂકંપ પળવારમાં હજારો લોકોને ભરખી ગયો. આખુ કચ્છ જાણે કાટમાળમાં ફેરવાઈ ગયું.આ ગોઝારા દિવસને આવતી કાલે 25 વર્ષ પૂરા થશે છતાં લોકો એ દિવસો ભૂલ્યા નથી.

કચ્છના આ વિનાશકારી ભૂકંપ વખતે ટાંચા સાધનો હોવાથી કલાકો સુધી કોમ્યુનિકેશન સિસ્ટમ ઠપ થઈ હતી. દવા અને રાહતકાર્યોમાં ખૂબ અવરોધ આવ્યો. દુનિયાને ખૂબ મોડેથી જાણ થઈ કે કચ્છમાં ભૂકંપની મોટી આફત આવી છે. કચ્છના ભૂકંપના એ પ્રથમ કલાક કેવા હતા..કેવા સંજોગોમાં ગાંધીનગર અને વડાપ્રધાન કાર્યાલયને જાણ કરવામાં આવી એના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

સવારે 8.46 કલાકે ભૂકપં આવ્યો અને સેકંડોમાં ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ. ટેલિફોન સિસ્ટમ ઠપ થઈ ગઇ. છેક સાંજે સેટેલાઇટ ફોનથી દિલ્હી વડાપ્રધાન કાર્યાલયે જાણ કરવા પ્રયાસો થયા પણ લાંબા સમયથી ઉપયોગ ન હોવાથી સેટેલાઇટ ફોનની બેટરી ઉતરી ગઈ હતી. એ સમયે કારની બેટરીથી ફોન ચાર્જ કર્યો અને કલેક્ટર કચેરી દ્વારા દિલ્હી વડાપ્રધાન કાર્યાલયને કચ્છના ભૂકંપની જાણકારી આપવામાં આવી હતી ત્યારે ગાંધીનગરને પણ જાણ કરવાનું કહેવાયું કારણ કે ગાંધીનગર સાથે પણ તંત્રનો સંપર્ક થઇ શક્યો ન હતો.

ડૉ. ધીમંતકુમાર વ્યાસ IAS (નિવૃત્ત), તે સમયે ઓ.એસ.ડી હતા

એ સમયે કચ્છ કલેક્ટર કમલ દયાની અને ડીડીઓ રાજીવ ટોપનો હતા. એ ગોઝારા દિવસોની યાદ તાજી કરતા નિવૃત IAS અધિકારી ડો.ધીમંત વ્યાસ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે,”હું એ સમયે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ( અછત ) તરીકે ફરજમાં હતો. 26 જાન્યુઆરીના એ દિવસે અમે ઘરેથી કારમા જિલ્લાના ધ્વજવંદનના કાર્યક્રમમાં જવા નીકળ્યા ત્યારે રસ્તામાં હતા ને ભૂકંપ આવ્યો.કાર હોડીની જેમ ફંગોળાઈ..નજર સામે જ ઘરો જમીન દોસ્ત થતા જોયા.થોડી વાર તો શું થયું એ સમજાયું નહીં. પછી ભૂકંપ આવ્યો હોવાનું જાણ્યું. હું અને કલેક્ટર સહિતના અધિકારીઓ સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા ત્યાં ધ્વજ વંદનના કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા મંત્રી સુરેશ મહેતા રોકાયા હતા.એ ઈમારતને મોટું નુકશાન થયું હતું.રૂમનો દરવાજો ખુલી શકે તેમ ન હતો એટલે બારીમાંથી તેમને બહાર કાઢી ખુલ્લામાં બેસાડ્યા હતા.”

ડૉ.ધીમંત વ્યાસે જણાવ્યું કે સવારે 10 વાગ્યાની આસપાસ અમે આર્મી હેડ ક્વાર્ટર ગયા. કોમ્યુનિકેશન સિસ્ટમ બંધ હોવાથી મદદ માંગવામાં આવી પણ આર્મી અને એરફોર્સ સ્ટેશનને પણ ભારે નુકશાન થયું હતું. 10:30 કલાકે ખબર પડી કે જી.કે જનરલ હોસ્પિટલના કેટલાક માળ જમીન દોસ્ત થઈ ગયા છે. દર્દી, સ્ટાફ મળી 500થી વધુ લોકો દટાયા છે. ત્યાંથી શક્ય તેટલા લોકોને જયુબિલી ગ્રાઉન્ડમાં લવાયા. મેડિકલ સ્ટોર ખોલાવી દવાઓ અપાઈ.

છેક બપોરે એક વાગ્યે સૂરજબારી પુલ પાસેથી રાજકોટ તરફની પોલીસની મદદથી વાયરલેસ મેસેજથી માહિતી આપી. છેક સાંજે 6 વાગ્યે સેટેલાઇટ ફોનથી વડાપ્રધાન કાર્યાલયને ફોન લાગ્યો.અને ગાંધીનગર પણ જાણ કરવામાં આવી.ગાંધીનગરથી સિનિયર અધિકારીઓની પહેલી ટીમ રાત્રે 8 વાગ્યે ભુજ પહોંચી. રાત્રે 12 વાગ્યે ગંભીર દર્દીઓને એસ.ટીની બસમાં રાધનપુર તરફ મોકલવામાં આવ્યા.અને મોડી રાત્રે 2.30 કલાકે પુનાથી આર્મીનું પહેલું વિમાન દવા, ધાબળા જેવી ચીજો લઈને ભુજ પહોંચ્યું હતું. રાત્રે લાઈટ ન હોવાથી કારની લાઇટથી લોકોને તે પહોંચતા કરવામાં આવ્યા. આ ભયાવહ ભૂકંપની આ પહેલી 24 કલાક જેમણે જોઈ છે તે ક્યારેય ભૂલી નહીં શકે.

અહેવાલ- દેવેન્દ્ર જાની ( રાજકોટ)

સુવિચાર – ૨૬ જાન્યુઆરી ૨૦૨૬