Home Blog Page 281

પાકિસ્તાનને આતંકવાદી દેશ કહ્યાના આરોપમાં 10 વર્ષની જેલ

નવી દિલ્હીઃ પાકિસ્તાનની એક વકીલ અને તેમના પતિને સોશિયલ મિડિયા પર સરકારની ટીકા કરતી પોસ્ટ્સ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ઈમાન જૈનબ મઝારી-હઝીર અને તેમના પતિ હાદી અલી ચટ્ઠાની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી અને ઇસ્લામાબાદની એક કોર્ટે તેમને આકરી જેલસજા સંભળાવી છે. મઝારી-હઝીર માનવાધિકાર વકીલ છે, જ્યારે ચટ્ઠા પણ વકીલ છે.

 તેમની ધરપકડની પુષ્ટિ મઝારી-હઝીરની માતા ડો. શિરીન મઝારીએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને ધરપકડ કરી અલગ-અલગ કારોમાં બેસાડી અજ્ઞાત સ્થળોએ લઈ જવામાં આવ્યાં છે.મઝારીએ X પર લખ્યું હતું કે ફાસીવાદ પોતાની ચરમસીમા પર છે. સત્તામાં બેઠેલા નપુંસક પુરુષો આ ‘સિદ્ધિ’થી બહુ ખુશ થશે.

કોણ છે મઝારી-હઝીર?

મઝારી-હઝીરે બ્રિટનની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાંથી કાયદાની અભ્યાસ કર્યો છે. તેમણે ડિસેમ્બર 2023માં પોતાના પતિ હાદી અલી ચટ્ઠા સાથે લગ્ન કર્યા હતા.

મઝારી-હઝીરે અનેક વખત પાકિસ્તાની સરકાર અને સત્તા તંત્ર સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો છે. ઓગસ્ટ, 2023માં ઇસ્લામાબાદમાં એક પ્રદર્શન દરમિયાન ભાગ લેતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. પશ્તૂન તહફ્ફુઝ મૂવમેન્ટ (PTM)ની એક રેલી દરમિયાન તેમણે પાકિસ્તાનની સેનાને “આતંકવાદી” કહી હતી. બાદમાં તેમને જામીન મળ્યા હતા. આ પહેલાં પણ પાકિસ્તાની સરકારે તેમના પર “સાયબર આતંકવાદ” અને “ઉશ્કેરણીજનક ભાષણ” સહિત અનેક આરોપો લગાવ્યા હતા.

શું છે આખો મામલો?

મઝારી-હઝીર અને તેમના પતિને શુક્રવારે ઇસ્લામાબાદ પોલીસ દ્વારા કોર્ટ જતા સમયે ધરપકડ કરવામાં આવી હતી. બંને તે કેસની સુનાવણી માટે જઈ રહ્યા હતા, જે સોશિયલ મિડિયા પર કરાયેલી વિવાદાસ્પદ પોસ્ટ્સ સાથે સંબંધિત હતો. આ પોસ્ટ્સમાં અનેક શક્તિશાળી સરકારી સંસ્થાઓની ટીકા કરવામાં આવી હતી. શનિવારે કોર્ટે બંનેને “રાજ્ય વિરોધી” સોશિયલ મિડિયા પોસ્ટ્સના કેસમાં 10-10 વર્ષની જેલસજા સંભળાવી હતી.

શું રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના કોઈ આદેશને નકારી શકે? જાણો…

નવી દિલ્હીઃ ભારતના સંઘીય તંત્રમાં સત્તા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચાયેલી છે. બંધારણમાં એવી પરિસ્થિતિઓ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે જ્યાં રાજ્ય સરકારોને કેન્દ્ર સરકારના નિર્દેશોનું પાલન કરવું ફરજિયાત બને છે. રાજ્યો અને નવી દિલ્હી વચ્ચે રાજકીય મતભેદો ઊભા થાય ત્યારે આ પ્રશ્ન ઘણી વાર સામે આવે છે. તેથી એ સમજવું ખૂબ જરૂરી છે કે શું કોઈ રાજ્ય કાયદેસર રીતે કેન્દ્રના આદેશોને અવગણી શકે છે કે નહીં.

બંધારણીય સિદ્ધાંત

ભારતીય બંધારણ હેઠળ રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા કાનૂની નિર્દેશોને અવગણવા અથવા રદ કરવા માટે સ્વતંત્ર નથી. અનુચ્છેદ 256 દરેક રાજ્યને આ ફરજ પાડે છે કે તે પોતાની કાર્યકારી સત્તાનો ઉપયોગ એ રીતે કરે કે સંસદ દ્વારા બનાવાયેલા કાયદાઓનું પાલન થાય. જો કેન્દ્ર સરકાર કોઈ સંસદીય કાયદાના અમલ માટે નિર્દેશ આપે, તો રાજ્ય સરકાર બંધારણીય રીતે તેનું પાલન કરવા માટે બંધાયેલી છે.

રાજ્યની સત્તા પર મર્યાદાઓ

અનુચ્છેદ 257 કેન્દ્રના અધિકારને વધુ મજબૂત બનાવે છે. આ અનુચ્છેદ મુજબ રાજ્ય સરકારો પોતાની કાર્યકારી સત્તાનો ઉપયોગ એવી રીતે કરી શકતી નથી કે જેનાથી સંઘની કાર્યકારી સત્તામાં અડચણ પડે અથવા હસ્તક્ષેપ થાય. એટલે કે ભલે રાજ્ય કોઈ કેન્દ્રીય નીતિ સાથે અસહમત હોય, પરંતુ તે એવી કાર્યવાહી કરી શકતું નથી જેનાથી કેન્દ્રના કાર્યમાં અવરોધ ઊભો થાય.

જો રાજ્ય કેન્દ્રની વાત ન માને તો શું થશે?

બંધારણની સતત અવગણના માટે ગંભીર પરિણામોની જોગવાઈ કરે છે. અનુચ્છેદ 365 હેઠળ જો કોઈ રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન કરવામાં અથવા તેમને અમલમાં મૂકવામાં નિષ્ફળ જાય, તો રાષ્ટ્રપતિ એ નિષ્કર્ષ પર આવી શકે છે કે રાજ્યમાં બંધારણીય યંત્રણા નિષ્ફળ થઈ ગઈ છે. ત્યાર બાદ અનુચ્છેદ 356 હેઠળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે.

શું રાજ્ય પાસે કોઈ કાનૂની ઉપાય છે?

રાજ્ય સરકારો સીધી રીતે કેન્દ્રના આદેશોને અવગણી શકતી નથી, પરંતુ તે સંપૂર્ણપણે નિર્બળ પણ નથી. જો કોઈ રાજ્યને લાગે કે કેન્દ્ર સરકારે પોતાની બંધારણીય સત્તાની સીમા લાંઘી છે અથવા રાજ્યની સત્તાઓમાં હસ્તક્ષેપ કર્યો છે, તો તે અનુચ્છેદ 131 હેઠળ સીધું સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. આવા વિવાદો ઉકેલવાનો આ યોગ્ય બંધારણીય માર્ગ છે.

અજિત પવારનું વિમાન કેવી રીતે થયું ક્રેશ?

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar)નું આજે સવારે મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. આજે સવારે બારામતીમાં થયેલા વિમાન દુર્ઘટના અંગે સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી છે.

બુધવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન બારામતીમાં ઉતરતી વખતે ક્રેશ થયું હતું. જેમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે. અજિત પવાર એક ખાનગી વિમાનમાં મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. બારામતીમાં ઉતરતી વખતે તેમનું વિમાન ક્રેશ થયું અને બળીને રાખ થઈ ગયું. બારામતી તેમનો ગૃહ જિલ્લો પણ છે. અજિત પવારનું વિમાન ક્યારે ક્રેશ થયું, તેનો સમય શું હતો અને તેનું કારણ શું હતું તે જાણીએ.

બારામતી વિમાન દુર્ઘટના

ઘટનાનો સમય: આજે સવારે 8:45 વાગ્યે (28 જાન્યુઆરી, 2026).

સ્થાન: બારામતી એરપોર્ટ, પુણે જિલ્લો, મહારાષ્ટ્ર.

વિમાનનો પ્રકાર: ખાનગી ચાર્ટર વિમાન.

મુખ્ય મુસાફર: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર વિમાનમાં હતા.

સમયરેખા અને વર્તમાન પરિસ્થિતિ

દુર્ઘટનાનું કારણ: પ્રાથમિક માહિતી અનુસાર, વિમાન મુંબઈથી બારામતી જઈ રહ્યું હતું. લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામીને કારણે પાઇલટે કાબુ ગુમાવ્યો, જેના કારણે વિમાન રનવે પરથી લપસી ગયું અને આગ લાગી.

પરિસ્થિતિ હાલમાં અત્યંત નાજુક છે. પુષ્ટિ ન કરાયેલા અહેવાલો દર્શાવે છે કે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને તેમની સાથે રહેલા ત્રણ અન્ય લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. જોકે, વહીવટીતંત્ર કે રાજ્ય સરકારે હજુ સુધી આની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

રાહત કામગીરી: સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે હાજર છે. એરપોર્ટની આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે, અને એરપોર્ટ પર જતી બધી ફ્લાઇટ્સ રોકી દેવામાં આવી છે.

મુસાફરીનો હેતુ: અજિત પવાર આગામી જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર કરવા માટે મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા.

તપાસનો આદેશ: નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (DGCA) એ અકસ્માતનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે આ બાબતની ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે.

સત્તાવાર પ્રતિભાવ: રાજ્ય મંત્રીમંડળની કટોકટી બેઠક બોલાવી શકાય છે.

અજિત પવાર જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર કરવા માટે બારામતી જઈ રહ્યા હતા. બારામતી તેમનો ગૃહ મતવિસ્તાર પણ છે. અકસ્માતના સમાચાર મળતાં જ તેમનો પરિવાર ઘટનાસ્થળે દોડી ગયો. તેમના પિતરાઈ ભાઈ સુપ્રિયા સુલે પણ દિલ્હીથી બારામતી જવા રવાના થયા.

પાલક ખાંડવી

ખાંડવી તો સહુ કોઈને ભાવે! આ જ ખાંડવીમાં પાલકની પ્યુરી મેળવી દો. તો તે સ્વાદ સાથે સ્વાસ્થ્યવર્ધક પણ બની જાય!

સામગ્રીઃ ચણાનો લોટ 1 કપ, પાલક ધોઈને મોટા ટુકડામાં સમારેલી 1 કપ, દહીં 1 કપ, પાણી 2 કપ, આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, હીંગ ¼ ટી.સ્પૂન, તેલ 1 ટે.સ્પૂન

વઘાર માટેઃ તેલ 2 ટે.સ્પૂન, રાઈ 1 ટી.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, સફેદ તલ 1 ટે.સ્પૂન, લીલા મરચાં 3-4, કળી પત્તાના પાન 8-10, કોપરાની છીણ 2 ટે.સ્પૂન

રીતઃ  ધોયેલી પાલકમાં દહીં મેળવીને મિક્સીમાં તેની પ્યુરી બનાવી લો. તેમાં ચણાનો લોટ તેમજ બે કપ પાણી મેળવીને જેરણી વડે એકસરખું મિક્સ કરી લો. તેમજ તેમાં આદુ-મરચાંની પેસ્ટ તેમજ સ્વાદ મુજબ મીઠું પણ મેળવી દો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી હીંગનો વઘાર કરી પાલકની આ પ્યુરી રેડીને ઉકળવા દો. થોડીવાર ઉકળ્યા બાદ તે ઘટ્ટ થવા લાગે એટલે એક થાળીને તેલ લગાડીને આ મિશ્રણ તેમાં પાથરીને ઠંડું થવા દો. ઠંડું થાય એટલે ચપ્પૂ વડે તેમાં ખાંડવીની પટ્ટી જેવા કાપાં પાડીને દરેક કાપાનો રોલ વાળી લો. આ રીતે બધા રોલ વાળી લઈને એક પ્લેટમાં ગોઠવી દો.

એક પેન અથવા વઘારીયામાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરો. રાઈ તતડે એટલે તેમાં હીંગ તેમજ લીલા મરચાંને ગોળ કટ કરીને તેમાં વઘારી હીંગ તેમજ કળીપત્તા તેમજ સફેદ તલનો વઘાર કરો. આ વઘાર ખાંડવી ઉપર રેડી દો. તથા ઉપરથી સમારેલી કોથમીર અને કોપરાનું છીણ ભભરાવીને ખાંડવી જમવામાં પીરસો.

આવી રહી અજિત પવારની સફર…

મુંબઈઃ મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનું બારામતીમાં વિમાન લેન્ડિંગ દરમિયાન થયેલા અકસ્માતમાં નિધન થયું છે. ચાર મુખ્ય મંત્રી—પૃથ્વીરાજ ચવ્હાણ, દેવેન્દ્ર ફડણવીસ, ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે—સાથે મહારાષ્ટ્રમાં સૌથી લાંબા સમય સુધી ડેપ્યુટી સીએમ તરીકે કાર્ય કરનાર અજિત પવારનો રાજ્યના રાજકારણમાં લગભગ ચાર દાયકાનો મજબૂત પ્રભાવ રહ્યો. પોતાના સમર્થકોમાં તેઓ ‘દાદા’ તરીકે ઓળખાતા હતા, જેમાં ‘દાદા’નો અર્થ મોટા ભાઈ થાય છે.

અજિત પવારે પ્રથમ વખત 1982માં ચૂંટણી જીતનો સ્વાદ ચાખ્યો હતો, જ્યારે તેઓ એક સહકારી ખાંડ ફેક્ટરીના બોર્ડમાં ચૂંટાયા હતા. ત્યાર બાદ રાજીનામા અને પક્ષ-વિપક્ષ—દરેક રીતે તેમણે માત્ર રાજ્ય નહીં પરંતુ કેન્દ્રના રાજકારણ પર પણ અસર પાડી. તેમના નિધન બાદ તેમના પરિવારમાં પત્ની સુનેત્રા પવાર અને બે સંતાન—જય અને પાર્થ પવાર છે. સુનેત્રા પવાર રાજ્યસભાનાં સાંસદ છે.

શરદ પવાર માટે સાંસદપદ છોડવાથી લઈને વિરોધ સુધી

એનસીપીમાં પોતાના કાકા શરદ પવારના પગલે ચાલતાં અજિત પવારે 1982માં સહકારી ખાંડ ફેક્ટરીના બોર્ડમાં સ્થાન મેળવીને ચૂંટણી રાજકારણમાં પ્રવેશ કર્યો. ત્યાર બાદ વર્ષ 1991માં તેઓ પુણે જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકના અધ્યક્ષ બન્યા અને આગામી 16 વર્ષ સુધી આ પદ પર રહ્યા હતા.

એ દરમિયાન 1991ની લોકસભા ચૂંટણીમાં બારામતી બેઠક પરથી જીત મેળવી તેઓ લોકસભામાં પહોંચ્યા. જોકે તેમણે પોતાના કાકા શરદ પવાર માટે જગ્યા બનાવવા પોતાનું સાંસદ પદ છોડ્યું હતું. જે પછી પી.વી. નરસિંહ રાવ સરકારમાં શરદ પવાર સંરક્ષણ મંત્રી બન્યા.ખાસ વાત એ છે કે જેમના માટે અજિત પવારે પોતાનું સાંસદ પદ છોડ્યું હતું, તે જ શરદ પવાર સામે તેઓ વર્ષ 2019થી અલગ માર્ગ અપનાવી વિરોધી રાજકીય દળ સાથે જોડાઈ ગયા હતા.

રાજકીય સફરઅજિત પવારનો જન્મ 22 જુલાઈ, 1959એ અહમદનગર જિલ્લામાં આશાતાઈ પવાર અને અનંતરાવ પવારના ઘરે થયો હતો. મહારાષ્ટ્રના ચાર વખત CM રહેલા શરદ પવાર તેમના કાકા હતા. તેમણે 12મા ધોણ સુધી અભ્યાસ કર્યો હતો, પરંતુ તેમને પિતાના અવસાન બાદ કોલેજ છોડવી પડી હતી.

અજિત પવારે વર્ષ 1991ની પેટા ચૂંટણીમાં જીત મેળવી અને ત્યાર બાદ સતત 1995, 1999, 2004, 2009 અને 2014માં વિજય મેળવ્યો. કુલ મળીને તેઓ સાત વખત મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય રહ્યા હતા.

વર્ષ 1991-92 દરમિયાન સુધાકરરાવ નાઈકની સરકારમાં તેઓ કૃષિ અને ઊર્જા રાજ્ય મંત્રી બન્યા. વર્ષ 1992માં પોતાના કાકા શરદ પવારની સરકારમાં તેમણે સંરક્ષણ, ઊર્જા અને આયોજન મંત્રાલય સંભાળ્યું. વર્ષ 1999માં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સરકારમાં તેઓ સિંચાઈ વિભાગના કેબિનેટ મંત્રી બન્યા. પછી વર્ષ 2003માં સુશીલકુમાર શિંદેની સરકારમાં તેમને ગ્રામ વિકાસ વિભાગ મળ્યો. વર્ષ 2004માં કોંગ્રેસ-એનસીપી ગઠબંધનની જીત બાદ વિલાસરાવ દેશમુખ અને અશોક ચવ્હાણની સરકારમાં તેમણે વોટર રિસોર્સિસ મંત્રાલય સંભાળ્યું.

મહારાષ્ટ્રની રાજકારણમાં મોટો વળાંક 23 નવેમ્બર 2019એ આવ્યો, જ્યારે અજિત પવારે એનસીપી છોડીને ભાજપના નેતૃત્વવાળી સરકારમાં જોડાઈ ડેપ્યુટી સીએમ બન્યા. જોકે દેવેન્દ્ર ફડણવીસની આ સરકાર 80 કલાકથી પણ ઓછા સમયમાં પડી ગઈ અને બાદમાં તેઓ ફરી એનસીપીમાં પરત ફર્યા.

એ પછી મહાવિકાસ આઘાડી હેઠળ ઉદ્ધવ ઠાકરેની સરકારમાં તેમણે ફરી ડેપ્યુટી સીએમનું પદ સંભાળ્યું. વર્ષ 2022માં શિવસેનામાં ફૂટ પડતાં ઉદ્ધવ સરકાર પડી ગઈ અને એકનાથ શિંદેની સરકાર બની, જેમાં અજિત પવાર વિપક્ષના નેતા બન્યા. જોકે ત્યાર બાદ એનસીપીમાં પણ ફૂટ પડી અને તેઓ ફરી ભાજપ–એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં જોડાઈ ડેપ્યુટી સીએમ બન્યા.

T20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચ પાકિસ્તાન બોયકોટ કરશે?

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશ બહાર થતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ખૂબ નારાજ છે. PCBએ પહેલાં ધમકી આપી હતી કે તે ટુર્નામેન્ટનો જ બહિષ્કાર કરશે. આવી સ્થિતિમાં ICCએ ચેતવણી આપી હતી કે જો આવું પગલું ભરાશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ICCના એક્શનના ડરથી PCBએ શાંતિથી T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી.

 શું પાકિસ્તાની ટીમ ભારત સામે મેચ નહીં રમે?

જોકે પાકિસ્તાનનું નાટક હજી પૂરું થયું નથી. પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ભારત સામે થનારા ગ્રુપ મેચનો બહિષ્કાર કરે એવી શક્યતા છે અને આ અંગે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. આ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. પાકિસ્તાન ICCના તે નિર્ણયનો વિરોધ કરવા માગે છે, જેમાં બાંગ્લાદેશને બહાર કરીને સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કરવામાં આવ્યું.

PCB વિરોધ માટેના અનેક વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે અને ટીમ ટુર્નામેન્ટમાં ભાગ પણ લઈ શકે છે. જો પાકિસ્તાન ભારત સામે મેચ નહીં રમે તો તેને માત્ર બે પોઈન્ટનું નુકસાન થશે, પરંતુ ICCને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. PCBના અધ્યક્ષ મોહસિન નકવી ટીમ સાથે બેઠક કરીને વ્યૂહરચના અને આગળની યોજનાઓ પર ચર્ચા કરશે. નકવીનું કહેવું છે કે અંતિમ નિર્ણય ફેડરલ સરકારની સલાહ બાદ જ લેવામાં આવશે.

મોહસિન નકવીએ આપી ધમકી

મોહસિન નકવીએ કહ્યું હતું કે વડા પ્રધાન શહબાઝ શરીફ સાથે પરામર્શ કર્યા બાદ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે. તેમણે ICCની ટીકા કરતાં કહ્યું હતું કે બાંગ્લાદેશ સાથે અન્યાય થયો છે અને તેને ‘ડબલ સ્ટાન્ડર્ડ’ તરીકે જોવું જોઈએ. મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની બોર્ડ મીટિંગમાં પણ આ વાત ઉઠાવી હતી.

નકવીએ ICCના આ નિર્ણયમાં ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI)ના પ્રભાવ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશ પણ પાકિસ્તાનની જેમ ICCનો સભ્ય દેશ છે. એક દેશ બીજા દેશને આદેશ આપી શકતો નથી. જો આવું થશે તો પાકિસ્તાન પોતાની સ્થિતિ સ્પષ્ટ કરશે.

વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન

મહારાષ્ટ્રના બારામતી જિલ્લામાંથી એક મોટા અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને NCP વડા અજિત પવારનું વિમાન બારામતીમાં ક્રેશ થયું છે. અજિત પવાર આજે બારામતીમાં એક રેલીને સંબોધિત કરવાના હતા. અહેવાલો અનુસાર, પવારનું વિમાન બારામતીમાં ઉતરતી વખતે ક્રેશ થયું હતું. અકસ્માત અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

અજિત પવારનું નિધન

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય ત્રણ લોકોના બુધવારે સવારે પુણે જિલ્લામાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયા છે, અધિકારીઓએ જણાવ્યું હતું. પુણેના બારામતી વિસ્તારમાં પવારનું વિમાન ઉતરાણ કરી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી.

અજિત પવારને ગંભીર ઇજાઓ પહોંચી હતી

પુણે ગ્રામીણ પોલીસના વરિષ્ઠ સૂત્રોએ અકસ્માત અંગે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. પ્રાથમિક માહિતી મુજબ અજિત પવારને વિમાન દુર્ઘટનામાં ગંભીર ઇજાઓ થઈ હોવાનું જાણવા મળે છે. પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષકે આ વાતની પુષ્ટિ કરી છે અને શક્ય તેટલી વહેલી તકે ઘટનાસ્થળે પહોંચવા સૂચના આપવામાં આવી છે.

છ લોકોના મોત: DGCA

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ પણ બારામતીમાં વિમાન દુર્ઘટના અંગે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. DGCA એ જણાવ્યું છે કે દુર્ઘટનામાં છ લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, અજિત પવાર આજે સવારે મુંબઈથી બારામતી જવા રવાના થયા હતા. VSRની માલિકીનું આ વિમાન ખાનગી હતું. જોકે, બારામતીમાં ઉતરાણ કરતી વખતે વિમાન ક્રેશ થયું હતું. સુપ્રિયા સુળે, સુનેત્રા પવાર અને પાર્થ પવાર પણ દિલ્હીથી બારામતી જવા રવાના થવાના હતા.

૨૮ જાન્યુઆરી ૨૦૨૬

ભારત એટલે પરિવાર

જ્યારે હું 2013માં ઇઝરાયલનો યુનાઇટેડ સ્ટેટ્સમાં રાજદૂત બન્યો, ત્યારે હું અને મારી પત્ની પાંચ બાળકો સાથે વોશિંગ્ટન, ડીસી પહોંચ્યા. આ બધાં બાળકો દસ વર્ષની નીચેના હતા, જેમાં બે વર્ષનો દીકરો અને ચાર મહિનાની દીકરી પણ શામેલ હતી.

અમે એક ઓ પેર રાખવાની આશા રાખી હતી જેથી મારી પત્ની રાજદૂતની પત્ની તરીકેની જવાબદારીઓ સંભાળી શકે, જેમ કે અમારી સત્તાવાર નિવાસસ્થાને કાર્યક્રમોનું આયોજન કરવું, ડીસીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવી અને રાજધાનીની બહારના પ્રવાસોમાં મારી સાથે જવું.

અમારા દૂતાવાસના એક સહકર્મીએ મને કહ્યું કે હેલેન નામની એક મહિલા, જે તેની ભારતીય ઓ પેરની બહેન હતી, અમેરિકા આવીને કામ કરવા ઈચ્છે છે. મારી પત્ની થોડી ચિંતિત હતી કારણ કે આપણે એક એવી વ્યક્તિને ઘરમાં લાવવા જઈ રહ્યા હતા જેને અમે ક્યારેય મળ્યા પણ નહોતા, છતાં અમે હેલેન પર વિશ્વાસ કરવાનો નિર્ણય કર્યો.

હેલેન ખરેખર ભગવાનની ભેટ સાબિત થઈ. તે બુદ્ધિશાળી, દયાળુ અને વિશ્વસનીય હતી અને અમારા બાળકોને પોતાની જેમ જ સાચવતી. થોડા સમયમાં જ મારી પત્નીને એટલો વિશ્વાસ આવી ગયો કે તે બાળકોને સંપૂર્ણપણે હેલેનના હાથમાં છોડી શકે. હેલેનએ અમારા પરિવારની સૌથી કઠોર સમાલોચક, મારી માતાનો પણ સન્માન અને વિશ્વાસ મેળવી લીધો, જેઓ તેની કાર્યનૈતિકતા અને કુશળતાથી ખૂબ પ્રભાવિત થઈ હતી.

પરંતુ સમય જતા હેલેન માટે તેના પતિ વિનય અને દીકરી રોશનીથી દૂર રહેવું વધુ ને વધુ મુશ્કેલ બનતું ગયું. જ્યારે હેલેન ભારત છોડીને ગઈ ત્યારે રોશની માત્ર 12 વર્ષની હતી, જેથી તેને એક સારું ભવિષ્ય આપી શકાય. જ્યારે વિનયને રાજદૂતના નિવાસસ્થાને ખાલી પડેલી જગ્યા મળી, ત્યારે હેલેનની ઘરવિહોણાપણાની લાગણી થોડી ઓછી થઈ. છતાં, દીકરી રોશનીથી દૂર રહેવું હજી પણ મુશ્કેલ હતું, ભલે હેલેનની મહેનતથી રોશની નર્સ તરીકે ભણતર મેળવી શકી.2021માં વોશિંગ્ટનમાં મારી સાત વર્ષથી વધુની સેવા પૂર્ણ થઈ ત્યારે અમે હેલેનને પૂછ્યું કે શું તે અમારી સાથે ઇઝરાયલ પરત આવી મારી માતાની દેખભાળ કરશે, જેમને સ્ટ્રોક આવ્યો હતો. હેલેન ફરી એક વખત પોતાના પરિવારથી અલગ થવા માટે તૈયાર થઈ ગઈ.

અમારા બાળકોની સાત વર્ષ સુધી સંભાળ કર્યા પછી, હેલેનએ મારી માતાની પણ ચાર વર્ષ સુધી સેવા કરી. મારી માતાનું ગયા મેમાં અવસાન થયું. મારા માતાના અંતિમ વર્ષોમાં હેલેનએ તેમને જે સન્માન અને ગૌરવ આપ્યું તેના માટે હું હંમેશા આભારી રહીશ.

11 વર્ષ સુધી હેલેન અમારા માટે માત્ર એક કર્મચારી નહોતી. હેલેન પરિવાર હતી.એથી જ્યારે હેલેનએ અમને રોશનીના લગ્ન માટે ભારત આવવાનું આમંત્રણ આપ્યું, ત્યારે અમને એક ક્ષણ માટે પણ શંકા નહોતી કે અમે ત્યાં હાજર રહીશું કે નહીં. આ રીતે હું, મારી પત્ની અને અમારા ત્રણ બાળકો કર્ણાટકના આમટાડી ગામમાં પહોંચ્યા – મારા જીવનમાં આ અદ્ભુત દેશની પહેલી મુલાકાત હતી.

આ 10 દિવસની મુલાકાતમાં અનેક અવિસ્મરણીય અનુભવો થયા: તાજ મહેલની અનન્ય ભવ્યતા, કૂર્ગના લીલાછમ કૉફીના બગીચા, રાજસ્થાનમાં વાઘ સફારી, મંગલોરની મોહક જયલક્ષ્મી સાડીની દુકાન અને દરેક જગ્યાએ મળેલા ઉષ્માભર્યા લોકો.

મને વરિષ્ઠ ભારતીય અધિકારીઓને મળવાનો પણ અવસર મળ્યો, જેમાં તમારા અનુભવી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલ અને અવિરત કાર્યશીલ વિદેશ મંત્રી ડૉ. જયશંકર શામેલ હતા. અમે ભારત અને ઇઝરાયલ વચ્ચેની મહાન ભાગીદારીને વધુ કેવી રીતે વિસ્તારી શકાય તે અંગે ચર્ચા કરી, કારણ કે આ બંને માત્ર આધુનિક દેશો નથી પરંતુ પ્રાચીન સંસ્કૃતિઓ પણ છે.

અમે આતંકવાદ સામે લડવામાં સહકાર વધારવા અને નવી ટેકનોલોજીમાં પ્રગતિ અંગે ચર્ચા કરી. બંને દેશો ભવિષ્યને સ્વીકારી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે ભારત અને ઇઝરાયલ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી આવનારા વર્ષોમાં ઘણું વિસ્તરશે.

પરંતુ મારી ભારતની પહેલી મુલાકાતનો સૌથી વિશેષ ભાગ આમટાડીમાં વિતાવેલો સમય હતો. ગુરુવારની રાત્રે રોઝ સમારંભથી શરૂ થઈને આવતા રવિવારે લગ્નવિધિ સુધી, અનેક વિધિઓ જોવા મળી. તમામ વિધિઓમાં એક વાત સ્પષ્ટ હતી – પરિવારનું કેન્દ્રસ્થાન. જ્યારે શાબ્દિક રીતે સૈંકડો લોકોએ રોશની પર નાળિયેરનું દૂધ ઢોળ્યું અને આશીર્વાદ આપ્યા, ત્યારે મને સમજાયું કે આ માત્ર બે વ્યક્તિઓના લગ્ન નહોતા પરંતુ બે પરિવારો અને બે સમુદાયોના મિલનનું પ્રતીક હતું.

હું જાણું છું કે ભારત સામે ઘણા પડકારો છે. તેને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા જાળવવી છે. વિકાસની ગતિ સાથે સુસંગત માળખાકીય સુવિધાઓ વિકસાવવી છે. શિક્ષિત, મહેનતી અને ઉદ્યોગસાહસિક યુવાનોને એવા સારા રોજગાર આપવાના છે કે જેથી પ્રતિભાશાળી માનવ સંસાધન દેશની અંદર જ ટકી રહે. પ્રદૂષણ ઘટાડવું, ગરીબી દૂર કરવી અને અનેક અન્ય પ્રશ્નોનો સામનો કરવો જરૂરી છે.

તેમ છતાં, હું ભારતનું ભવ્ય ભવિષ્ય જોઈ શકું છું અને તેનું કારણ મેં રોશનીના લગ્નમાં જોયું. વિશ્વના અનેક ભાગોમાં સમાજની મૂળ એકમ એટલે પરિવાર પર દબાણ છે. પરંતુ ભારતમાં પરિવાર મજબૂત છે.

પરિવાર જ એ શક્તિ છે જેના કારણે હેલેન જેવી મહિલાએ પોતાની દીકરીને સારું ભવિષ્ય આપવા વર્ષો સુધી વિદેશમાં કામ કર્યું. પરિવાર જ એ કારણ છે કે હેલેનના ભાઈ-બહેન અને સગાસંબંધીઓએ રોશનીને ઉછેરવામાં મદદ કરી. પરિવાર જ એ અતૂટ બંધનો અને શાશ્વત મૂલ્યો સર્જે છે જે મજબૂત સમુદાયો અને સફળ રાષ્ટ્રોનું નિર્માણ કરે છે.

ઘણા લોકો ચર્ચા કરે છે કે 21મી સદી અમેરિકાની હશે કે ચીનની. આવનારા દાયકાઓમાં જો ભારત બંનેની છાયામાંથી બહાર આવે તો આશ્ચર્ય ન માનશો.

જો એવું થાય, તો તે આમટાડી જેવા સ્થળો અને હેલેન જેવા લોકોના કારણે થશે. તે એક એવી પ્રાચીન સંસ્કૃતિના કારણે થશે જે પરિવાર પર આધારિત છે અને ભવિષ્યને અપનાવવાનો દ્રઢ સંકલ્પ ધરાવે છે – એવાં રાષ્ટ્ર માટે જ્યાં શક્યતાઓની કોઈ સીમા નથી.

(રોન ડર્મર)

(લેખક ઇઝરાયલના વ્યૂહાત્મક બાબતોના મંત્રી (2022 થી 2025) અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇઝરાયલના રાજદૂત (2013 થી 2021) રહ્યા છે.)

અભિનેતા સતીશ શાહને મરણોત્તર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે

વર્ષ 2026ના પદ્મ પુરસ્કારોમાં સન્માનિત થનારા સેલિબ્રિટીઓની યાદીમાં સતીશ શાહનું નામ સામેલ છે. સ્વર્ગસ્થ અભિનેતા સતીશ શાહને મરણોત્તર પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

ગણતંત્ર દિવસ 2026ના એક દિવસ પહેલા, ગૃહ મંત્રાલયે આ વર્ષના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી. આ પુરસ્કારો દેશ માટે મહત્વપૂર્ણ યોગદાન આપનારા વ્યક્તિઓને ઓળખે છે. સ્વર્ગસ્થ અભિનેતા સતીશ શાહને મરણોત્તર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.

સતીશ શાહને મરણોત્તર પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થશે

અભિનય ક્ષેત્રે તેમના યોગદાન બદલ સતીશ શાહને મરણોત્તર પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. દુઃખદ વાત એ છે કે ગયા વર્ષે 25 ઓક્ટોબરના રોજ તેમનું અવસાન થયું. તેમણે ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન પર ઊંડી છાપ છોડી છે. તેમના પત્ની મધુ શાહને આ પુરસ્કાર પ્રાપ્ત થાય તેવી અપેક્ષા છે.

રત્ના પાઠક અને રૂપાલી ગાંગુલી ભાવુક થઈ ગયા

આ સન્માન વિશે NDTV સાથે વાત કરતાં અભિનેત્રી રત્ના પાઠકે કહ્યું કે સતીશના કાર્યને આખરે તે માન્યતા મળી રહી છે જે તેને મળવી જોઈએ. તેમણે સંપૂર્ણરીતે જીવન જીવ્યું, પરંતુ અફસોસ છે કે તેમને આ સન્માન તે જીવતા હતા ત્યારે મળ્યું નહીં. રૂપાલી ગાંગુલી (જેમણે સારાભાઈ વર્સિસ સારાભાઈમાં તેમની પુત્રીની ભૂમિકા ભજવી હતી) ભાવુક થઈ ગઈ, અને કહ્યું કે આ ખૂબ જ ખુશીની ક્ષણ હતી, પરંતુ કાકા (સતીશ શાહ) હવે રહ્યા નથી તેનું દુઃખ પણ છે. તેઓ તેના હકદાર હતા.

સતીશ શાહ વિશે

કલા, શિક્ષણ, રમતગમત અને સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં લાંબા ગાળાના યોગદાન માટે પદ્મ પુરસ્કારો આપવામાં આવે છે. સતીશ શાહે ભારતીય સિનેમા અને ટેલિવિઝનમાં નોંધપાત્ર કાર્ય કર્યું છે. 25 જૂન, 1951 ના રોજ જન્મેલા તેમણે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII) માં તાલીમ લીધી હતી. શરૂઆતમાં, તેમણે 1983 ની ફિલ્મ “જાને ભી દો યારોં” થી નોંધપાત્ર ખ્યાતિ મેળવી તે પહેલાં, તેમણે નાની ભૂમિકાઓ ભજવી હતી. તેણે “હમ આપકે હૈ કૌન”, “મૈં હૂં ના,” અને “મુઝસે શાદી કરોગી” જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. ટેલિવિઝન પર તે “યે જો હૈ ઝિંદગી” અને ખાસ કરીને “સારાભાઈ વર્સીસ સારાભાઈ” થી ખૂબ જ લોકપ્રિય થયા હતાં.