Home Blog Page 280

સંસદમાં આજે રજૂ થશે આર્થિક સર્વે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં આપેલા અભિભાષણ સાથે સંસદનું બજેટ સત્ર શરૂ થયું છે. હવે પહેલી ફેબ્રુઆરીએ નાણાંમંત્રી નિર્મલા સીતારામન બજેટ રજૂ કરશે. આ તેમનું સતત 9મું બજેટ હશે, જ્યારે મોદી સરકાર 3.0નું આ ત્રીજું પૂર્ણ બજેટ હશે. બજેટ સત્ર પહેલાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે.

 ઇકોનોમિક સર્વે શું છે?

ઇકોનોમિક સર્વે અથવા આર્થિક સર્વેક્ષણ નાણાં મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવતો વાર્ષિક અહેવાલ છે. તેમાં ગયા વર્ષ દરમિયાન દેશની GDP, વિકાસ (ગ્રોથ)ની સ્થિતિ કેવી રહી તેની માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત તેમાં મોંઘવારી, ઉદ્યોગો અને અન્ય નાણાકીય વિગતો પણ સામેલ હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો ઇકોનોમિક સર્વે દેશની નાણાકીય તંદુરસ્તીની સંપૂર્ણ તસવીર રજૂ કરે છે.

મોંઘવારીના આંકડાઓ પર રહેશે નજર

મોંઘવારી એ એવો મહત્વનો આંકડો છે જેને ખૂબ ધ્યાનથી જોવામાં આવે છે, ખાસ કરીને એ બાબત કે સર્વે કિંમતોના દબાણને કેવી રીતે આંકે છે. તેનો અંદાજ ઘણો મહત્વનો હોય છે. મોંઘવારી ઘટતી હોવાનું મૂલ્યાંકન વિકાસને ટેકો આપતી નીતિઓ માટે જગ્યા બનાવે છે, જ્યારે સાવચેતીભર્યું મૂલ્યાંકન રાજકોષીય શિસ્ત અને સપ્લાય-સાઇડ હસ્તક્ષેપની જરૂરિયાતને મજબૂત બનાવે છે.

બે ભાગોમાં રજૂ થાય છે ઇકોનોમિક સર્વે

ઇકોનોમિક સર્વેને બે ભાગોમાં રજૂ કરવામાં આવે છે. પહેલો ભાગ દેશની વર્તમાન સ્થિતિ દર્શાવે છે, જ્યારે બીજો ભાગ વિવિધ ક્ષેત્રોના મહત્વપૂર્ણ આંકડાઓ રજૂ કરે છે.

આ વખતે ત્રણ દિવસ પહેલાં રજૂ થઈ રહ્યો છે ઇકોનોમિક સર્વે

સામાન્ય રીતે દર વર્ષે ઇકોનોમિક સર્વે બજેટના એક દિવસ પહેલાં રજૂ થાય છે, પરંતુ આ વર્ષે તેને ત્રણ દિવસ પહેલાં એટલે કે 29 જાન્યુઆરીએ જ રજૂ કરવામાં આવી રહ્યો છે. આર્થિક સર્વેક્ષણ 2026 આજે સવારે 11 વાગ્યે રજૂ થશે. સંસદનાં બંને ગૃહોમાં ભારતના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તેને રજૂ કરશે.

સુવિચાર – ૨૯ જાન્યુઆરી ૨૦૨૬

૨૯ જાન્યુઆરી ૨૦૨૬

પંચાંગ 29/01/2026

અખિલ ભારતીય ફોટો એક્ઝિબિશન ‘લેન્ડસ્કેપ કેરલ’નું વડોદરામાં આયોજન

વડોદરા: સ્વયંમ ભગવાનનો દેશ એવા નામે ઓળખાતા કેરળની મનોહર પ્રકૃતિ અને આકર્ષક સંસ્કૃતિને ફોટો સ્વરૂપે નજરે જોવાનો અવસર વડોદરામાં આવ્યો છે. કેરળના સ્ટેટ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત અખિલ ભારતીય ફોટો પ્રદર્શન લેન્સકેપ કેરળ આ ૨૭ જાન્યુઆરીથી વડોદરાના એલેમ્બિક આર્ટ ડિસ્ટ્રિક ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં દેશના ટોચના ૧૦ ટ્રાવેલ અને મીડિયા ફોટોગ્રાફરો દ્વારા લેવાયેલ કેરળની તસ્વીરો જોવાનો મોકો મળશે.સૌથી પહેલા ૨૦ જાન્યુઆરીથી ચાર દિવસ સુધી દિલ્હીમાં દર્શકોને મંત્રમુગ્ધ કર્યા પછી, હવે ૨૭થી ૨૯ જાન્યુઆરી સુધી વડોદરાવાસીઓને આ એક્ઝિબિશન જોવાનો લ્હાવો મળશે. આ એક્ઝિબિશનમાં કેરળને એક સ્થળ તરીકે રજૂ કરવા ઉપરાંત, રાજ્યની ભૌગલિક વિશેષતા, સંસ્કૃતિ અને પ્રકૃતિની આબેહૂબ છબીઓને પણ રજૂ કરવામાં આવી છે.  સુપ્રસિદ્ધ લેખક, વિવેચક અને આર્ટ ક્યુરેટર ઉમા નાયર દ્વારા આ પ્રદર્શન ડિઝાઈન કરવામાં આવ્યું છે. વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ દીપ પ્રજ્વલિત કરી આ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું.કેરળ ટુરિઝમના આ પ્રોજેક્ટ અંતર્ગત દરેક ફોટોગ્રાફરે ગયા વર્ષે નવેમ્બર તેમજ ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ સ્થળે પાંચ દિવસ પ્રવાસ કર્યો હતો અને તેમણે પોતાના આ પ્રવાસ દરમિયાન પ્રકૃતિ, વન્યજીવન, વારસો, ગ્રામીણ અને દરિયાકાંઠાનું જીવન, સ્થાપત્ય, તહેવારો અને આધ્યાત્મિકતા જેવા વિવિધ વિષયોને આવરી તેને તસવીરોનું સ્વરૂપ આપ્યું છે. આ પ્રદર્શનમાં મુલાકાતીઓને ઐશ્વર્યા શ્રીધર, અમિત પસરિચા, એચ સતીશ, કૌંટેય સિંહા, મનોજ અરોરા, નતાશા કરતાર હેમરાજાની, સાયબલ દાસ, સૌરભ ચેટર્જી, શિવાંગ મહેતા અને ઉમેશ ગોગનાના ફોટોગ્રાફ્સ જોવા મળશે.આમ તો આ પ્રદર્શન માટે દરેક ફોટોગ્રાફરના કુલ ૧૦૦ ફોટોગ્રાફ ફાઈનલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ઉમા નાયરના અનુભવી દ્રષ્ટિકોણની મદદથી કુલ છ-છ ફોટા હાલ પૂરતા અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પ્રદર્શનના કયુરેટર ઉમા નાયર ચિત્રલેખા.કોમને કહે છે, ‘અહીં પ્રદર્શિત કરવામાં આવેલી દરેક તસ્વીરની એક કહાની છે.’તાજેતરના વર્ષોમાં કેરળ ફરવા જનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. માટે આ રાજ્યને એક સ્થાપિત પ્રવાસન સ્થળ તરીકે પ્રદર્શિત કરવા આ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમુક હદે સફળતા પણ મળી છે. કારણ કે આ પ્રદર્શનમાં જોવા મળતા ૬૦ ફોટોગ્રાફ્સમાં કેરળની ખૂબ જ અનોખી બાજુ જોવા મળે છે. તેમાં પણ અહીં રજૂ કરાયેલા બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ અહીં આવતા દરેકનું ધ્યાન ખેંચે છે.આ પ્રદર્શનમાં ઐશ્વર્યા શ્રીધર દ્વારા લેવાયેલ તસવીરોને સૌથી પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. મૂળ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ઐશ્વર્યાએ અસલમાં આ પ્રોજેક્ટ માટે ખાસ એરિયલ ફોટોગ્રાફી કરી છે, જે કેરળને જોવાનો આપણો દૃષ્ટિકોણ બદલી નાખે છે. ઉપરાંત સાયબલ દાસની બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી, શિવાંગ મહેતાની વન્યજીવનના વિવિધ રંગરૂપ દર્શાવતી તસવીરો અને ઉમેશ ગોગના દ્વારા ઉંડાણપૂર્વક વિવિધ એન્ગલથી લેવાયેલ ફોટોગ્રાફ પણ અચૂકપણે જોવાલાયક છે.વડોદરામાં ત્રણ દિવસ રહ્યા પછી આ પ્રદર્શન આવતા મહિને અમદાવાદમાં પણ યોજાશે. ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન મુંબઈ, પુના, બેંગલોર, ચેન્નાઈ, હૈદરાબાદ અને કોલકત્તામાં પણ લોકોને આ અદભૂત પ્રદર્શન જોવાનો મોકો મળશે. સૌથી છેલ્લે ૨૯ માર્ચે આ પ્રદર્શન સુરત પહોંચશે અને ૩૧ માર્ચે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

(નિતુલ ગજ્જર – વડોદરા)

BAPSના મહંત સ્વામી મહારાજના જન્મજયંતી મહોત્સવની થશે ભવ્ય ઉજવણી

વડોદરાઃ શહેરમાં BAPSના વર્તમાન અધ્યક્ષ મહંત સ્વામી મહારાજનો ૯૨મો જન્મજયંતી મહોત્સવ ૨ ફેબ્રુઆરી, ૨૦૨૬એ સાંજે પાંચથી આઠ વાગ્યા દરમિયાન APMC માર્કેટ નજીક, નેશનલ હાઈવે-૪૮’ખાતે ભવ્યતાપૂર્વક ઊજવવામાં આવશે.

પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે તેઓ BAPS સંસ્થાનાં વૈશ્વિક સેવા-કાર્યોનું સુકાન સંભાળી રહ્યા છે. તેમની નિશ્રામાં વિશ્વભરના ૧૮૦૦થી વધુ મંદિરોમાં સનાતન વૈદિક ધર્મના સંસ્કારોનું જતન થઈ રહ્યું છે. વિશ્વના પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર એવા રોબિન્સવિલ, ન્યુ જર્સીમાં સ્વામિનારાયણ અક્ષરધામથી લઈને મિડલ ઈસ્ટમાં સૌપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર એવા અબુ ધાબી સ્થિત ‘BAPS હિન્દુ મંદિર’ જેવાં અનેક મંદિરોના નિર્માણ દ્વારા તેમણે સનાતન પરંપરાનો અભૂતપૂર્વ જયઘોષ કર્યો છે.

મહોત્સવમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સ્વામીનું કરાશે બહુમાન
આ મહોત્સવમાં ઈંગ્લેન્ડથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડસના અધિકારીઓ દ્વારા સ્વામીનું બહુમાન કરવામાં આવશે.
બહુમાન ૧: ૧૫,૦૦૦ કરતાં વધુ બાળકો દ્વારા સંસ્કૃત શ્લોકોના મુખપાઠ બદલ
મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી BAPS સંસ્થાના ૧૫,૦૦૦ કરતાં વધુ બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથનો સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત ૩૧૫ શ્લોકો ધરાવતો સત્સંગદીક્ષા ગ્રંથ ઉન્નત જીવનની પ્રેરણા પૂરી પાડે છે.

બહુમાન ૨: વિશ્વમાં સૌથી વધુ હિન્દુ મંદિરોના વિક્રમી સર્જન કરવા બદલ
પ્રમુખસ્વામી મહારાજે ૨૦૧૬ સુધીમાં તેમના જીવનકાળમાં ૧૨૦૦ હિન્દુ મંદિરોનું નિર્માણ કર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજ વતી મહંત સ્વામી મહારાજ આ બહુમાન સ્વીકારશે. અત્યાર સુધી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પ્રમુખસ્વામી મહારાજ અને BAPS સંસ્થાને સાંસ્કૃતિક સિદ્ધિઓ માટે ૫ રેકોર્ડસ્ એનાયત કરવામાં આવ્યા છે.

મહંત સ્વામી મહારાજના ૯૨મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે BAPS સંસ્થા દ્વારા અનેક વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં – લાભ પાંચમના દિવસે ૧૪૦ ઔદ્યોગિક એકમોમાં સંસ્થાના બાળવિદ્વાનો દ્વારા મહાપૂજા, સૂરસાગર તળાવ ખાતે ૧૨૯૨ બાળ-બાલિકાઓ દ્વારા ૨૯૨ કુંડ પર વિશ્વશાંતિ યજ્ઞ, મહંત સ્વામી મહારાજના જન્મસ્થાન જબલપુરથી વડોદરા સુધી ૯૨ યુવાનો દ્વારા મશાલયાત્રા, મહારક્તદાન કેમ્પ, તેમ જ BAPS મહિલા પ્રવૃત્તિ અંતર્ગત ૭૨૦૦ જેટલી વિશિષ્ટ પ્રેરણા સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.વડોદરા શહેરમાં હરિભક્તો દ્વારા એક લાખ કરતાં વધુ ઘરોની રૂબરૂ મુલાકાત લઈ સૌ ભાવિકોને મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

શાંતિ એશિયાટિક સ્કૂલમાં સ્પોર્ટ્સ ફેસ્ટ ‘ભારતીયમ ૨૦૨૬’ યોજાયો

અમદાવાદ: શેલામાં આવેલ શાંતિ એશિયાટિક સ્કૂલ દ્વારા “ભારતીયમ ૨૦૨૬” સ્પોર્ટ્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય સ્પોર્ટ્સ ફેસ્ટમાં સિનિયર ગ્રેડના 700થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો, જ્યારે લગભગ ત્રણ હજારથી વધુ પેરેન્ટેસ અને અન્ય મહેમાનોએ હાજરી આપી હતી. ‘ભારતીયમ ૨૦૨૬’માં વિદ્યાર્થીઓએ એથ્લેટિક્સ, યોગ, સ્કેટિંગ, ફૂટબોલ, બાસ્કેટબોલ, જિમ્નેસ્ટિક્સ, કરાટે, બેડમિન્ટન, વોલીબોલ, ખો-ખો, ચેસ, ટેબલ ટેનિસ અને લૉન ટેનિસ સહિત વિવિધ રમતગમત શાખાઓમાં પોતાની કુશળતા દર્શાવી હતી. વિજેતા ખેલાડીઓને મેડલ્સ અને સર્ટિફિકેટસ એનાયત કરવામાં આવ્યા હતા. શાંતિ એશિયાટિક સ્કૂલનો ‘ભારતીયમ 2026’ સ્પોર્ટ્સ ફેસ્ટ,તેમના વિદ્યાર્થીઓને ફિઝિકલ ફિટનેસ, ટીમવર્ક અને દ્રઢતા જેવા ગુણો રજુ કરવાનો મંચ પુરો પાડે છે.

અજિત પવારના મોતની તપાસ સુપ્રીમની નિગરાનીમાં કરવા મમતાની માગ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી અજિત પવારના મોતની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માગ કરી હતી. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે અન્ય તમામ એજન્સીઓની નિષ્પક્ષતા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. તેમનું કહેવું હતું કે વર્તમાન તંત્રો મારફતે સત્ય બહાર નહીં આવે. તેમણે કહ્યું હતું કે માત્ર સુપ્રીમ કોર્ટની દેખરેખમાં થતી તપાસ જ વિશ્વસનીય બની શકે.

66 વર્ષીય અજિત પવાર અને અન્ય પાંચ લોકોનું બુધવાર સવારે પુણે જિલ્લાના બારામતી નજીક વિમાન દુર્ઘટનામાં દુઃખદ નિધન થયું હતું. હુગલી જિલ્લામાં સિંગૂર જવા રવાના થવાના પહેલાં પત્રકારો સાથે વાત કરતાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે અમને માત્ર સુપ્રીમ કોર્ટ પર જ વિશ્વાસ છે. બાકી તમામ એજન્સીઓ સંપૂર્ણ રીતે ભ્રષ્ટ થઈ ગઈ છે.

દિલ્હી સ્થિત ‘VSR વેન્ચર્સ’ દ્વારા સંચાલિત ‘લિયરજેટ 46’ વિમાન બારામતી એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. DGCA અનુસાર વિમાનમાં ક્રૂ સભ્યો સહિત કુલ પાંચ લોકો સવાર હતા. મમતા બેનર્જીએ એ સંકેત પણ આપ્યો કે અજિત પવાર પોતાના કાકા શરદ પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં પાછા ફરવાની યોજના બનાવી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે તાજેતરના દિવસોમાં આવેલી ખબરોથી આવા પગલાંના સંકેતો મળતા હતા. તેમણે કહ્યું  હતું કે  આજે સવારે અજિત પવારના અવસાનની ખબર સાંભળીને હું ખરેખર હચમચી ગઈ. આથી સાબિત થાય છે કે આ દેશમાં રાજકીય પક્ષોના નેતાઓ માટે પણ કોઈ સુરક્ષા નથી.

એકનાથ શિંદેએ આપી તપાસની ખાતરી

મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુધવારે પોતાના સાથી અજિત પવારના પ્લેન ક્રેશમાં થયેલા અવસાનને દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. તેમણે કહ્યું કે પવારના મોત માટે જવાબદાર પ્લેન ક્રેશની તપાસ કરવામાં આવશે.

સ્થાપત્યની સાક્ષીએ પક્ષીઓ આકાશમાં પૂરે છે રંગોળી…

અમદાવાદ શહેરના રેલવે સ્ટેશન બહાર અંદાજે 15મી સદીમાં તૈયાર કરવામાં આવેલા ઝુલતા મિનારામાં વસંત ઋતુની સાંજે અનોખા દ્રશ્યો સર્જાય છે. આકાશ પક્ષીઓની ઉડાઉડથી ભરાઇ જાય છે. ટ્રાફિકથી ભરચક આ વિસ્તારમાં હજારો પક્ષીઓની ઉડાઉડ જાણે વસંત ઋતુની પધરામણીનો સંકેત આપે છે.

ઠંડીની આ ઋતુમાં દુનિયાના કેટલાક અતિશય ઠંડા પ્રદેશોમાંથી અનેક પક્ષીઓ માઇલોની મજલ કાપી અહીં ઉતરી પડે છે. પક્ષીઓની કેટલીક પ્રજાતિ ગુજરાતના નળસરોવર, ખિજડીયા, ગામ તળાવો, નદી,કેનાલો અને સમુદ્રના છીછરા પાણી પાસે અનુકુળતા પ્રમાણે પડાવ નાંખે છે. જ્યારે કેટલાક પક્ષીઓ સગવડતા શોધી લે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ શહેરના એન.આઇ.ડી., રિવરફ્રન્ટ પાસેના વૃક્ષો, કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેના વૃક્ષો, કાંકરિયા તળાવ જેવા અનેક સ્થળોએ પક્ષીઓનું એક વિશાળ ઝુંડ ઉડા ઉડ કરતું જોવા મળે છે. આ નાના નાના ચકલી કાબર જેવા પક્ષીઓ રોઝી સ્ટાર્લિંગ બર્ડસ છે. કોઇપણ વિસ્તારમાં સંધ્યા ટાંણે ટોળામાં ઉડતાં આ પક્ષીઓ સૌનું ધ્યાન ખેંચે છે. એમાંય સ્થાપત્યોની આસપાસ કિલ્લોલ કરતાં પક્ષીઓનો નજારો જોવા લોકો ક્ષણ માટે અચૂક થંભી જાય છે…

(પ્રજ્ઞેશ વ્યાસ)

સિનિયર સિટિઝનને ફરી રેલવે ટિકિટમાં છૂટ મળવાની શક્યતા

નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં સિનિયર સિટિઝનને મળતી ટિકિટ છૂટને લઈને એક વખત ફરી આશા જાગી છે. રેલવે મંત્રાલયનાં સૂત્રો પાસેથી આ મુદ્દે માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યાનુસાર સિનિયર સિટિઝન કન્સેશનને ફરીથી અમલમાં લાવવા અંગે વિચારણા ચાલી રહી છે. બજેટ 2026 પહેલાં યોજાયેલી મહત્વની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં વડીલ મુસાફરોને રાહત આપવા માટેના વિવિધ વિકલ્પો પર ચર્ચા થઈ હતી.

રેલવે મંત્રાલયે આ અંગે નાણાં મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રસ્તાવમાં સિનિયર સિટિઝન કન્સેશનને ફરી શરૂ કરવાની ભલામણ કરવામાં આવી છે. જોકે આ અંગે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

માર્ચ, 2020માં સિનિયર સિટિઝનને મળતી છૂટ બંધ કરવામાં આવી હતી

હાલ સિનિયર સિટિઝન કન્સેશનને ફરી શરૂ કરવા અંગે ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી દરમિયાન માર્ચ, 2020માં સિનિયર સિટિઝનને મળતી રેલવે ટિકિટની છૂટ બંધ કરવામાં આવી હતી. ત્યાર બાદથી વડીલ મુસાફરો તરફથી આ કન્સેશનને ફરી શરૂ કરવાની સતત માગ કરવામાં આવી રહી હતી, એમ રેલવે મંત્રાલયનાં સૂત્રોનું કહેવું છે.

આ માગ પર હવે ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે રેલવે મંત્રાલયનાં સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને આગળની પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે.