Home Blog Page 277

ગોવામાં બાળકોના સોશિયલ મિડિયા ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની શક્યતા

પણજીઃ આજના સમયમાં સોશિયલ મિડિયાનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. બાળકો હોય કે મોટા—બધા જ પોતાનો મોટા ભાગનો સમય ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર વિતાવે છે, પરંતુ ખાસ કરીને બાળકો માટે આ એક ચિંતાજનક બાબત બની રહી છે. કદાચ આ જ કારણ છે કે ગોવા સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મિડિયા ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની વિચારણા કરી રહી છે. નોંધનીય છે કે આ બાબતનો સંકેત ખુદ રાજ્યના મંત્રીએ આપ્યો છે.

મંત્રીએ જણાવ્યું કે મોબાઇલની લત અને ખોટું કન્ટેન્ટ બાળકોની માનસિકતા પર ખરાબ અસર કરે છે અને તેમને આ બધાથી બચાવવાં ખૂબ જ જરૂરી છે. ગોવા સરકારનું આ પગલું ઓસ્ટ્રેલિયાના નિયમો જેવું લાગે છે, કારણ કે બાળકોના માનસિક સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ સતત વધી રહી છે—ખાસ કરીને એવા દેશમાં જ્યાં એક અબજથી વધુ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

ગોવાના અધિકારીઓ ઓસ્ટ્રેલિયાના કાયદા પર સંશોધન કરી રહ્યા છે, જેથી સગીરોના સોશિયલ મિડિયા ઉપયોગને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે નક્કી કરી શકાય.

સરકાર સોશિયલ મિડિયા પર પ્રતિબંધ શા માટે મૂકવા માગે છે?

ગોવા સરકારનું કહેવું છે કે આજકાલ બહુ નાની ઉંમરનાં બાળકો મોબાઇલ અને સોશિયલ મિડિયાનું અતિશય ઉપયોગ કરી રહ્યા છે, જે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. લાંબા સમય સુધી સ્ક્રીન જોવાથી આંખો ખરાબ થવી, ઊંઘ ન આવવી જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જે તેમના મગજ પર નકારાત્મક અસર કરે છે.

આ સિવાય, સોશિયલ મિડિયા પર ઘણી વખત ખોટા વિડિયોઝ, ખોટી માહિતી અને ખોટા લોકો પણ મળી જાય છે, જેના પ્રભાવમાં બાળકો સહેલાઈથી આવી જાય છે. સાઇબર બુલિંગ એટલે કે ઓનલાઇન હેરાનગતિ પણ એક મોટી સમસ્યા બની રહી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગોવા સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને સોશિયલ મિડિયાથી દૂર રાખવાની યોજના બનાવી રહી છે.

NDA સામે તામિલનાડુની ટક્કર: એમકે સ્ટાલિનનો તીખા પ્રહાર

ચેન્નઈઃ તામિલનાડુના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિને આવનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં AIADMK-ભાજપ ગઠબંધન સામે તીખો હુમલો કરતાં આ ચૂંટણીને તામિલનાડુ સામે NDA”ની ટક્કર ગણાવી છે.તેમણે ભાજપ અને AIADMKને ભ્રષ્ટ ગણાવ્યા હતા, જ્યારે રાજ્ય સરકારના “દ્રવિડ મોડેલ”ની પ્રશંસા કરી હતી.

તેમણે કહ્યું હતું કે NDA એક વિશ્વાસઘાતી ગઠબંધન છે. મેં હંમેશાં કહ્યું છે કે આ ચૂંટણી NDA સામે તામિલનાડુની લડાઈ છે. ભાજપ પર પ્રહાર કરતાં તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને શિક્ષણ અને મેટ્રો યોજનાઓ માટેની ફાળવણી અટકાવી રાખી છે.

તેમણે સવાલ કર્યો હતો કે હું ભાજપને પૂછું છું – તેમના બધા જ લોકો ભ્રષ્ટ છે. અહીં સુધી કે સુપ્રીમ કોર્ટે પણ (AIADMK)ને સજા આપી હતી, તો શું હવે તમે બધાને વોશિંગ મશીનમાં ધોઈ નાખ્યા છે? ડીએમકે સરકારના કાર્યકાળ દરમિયાન 4000 મંદિરોમાં અભિષેક કરવામાં આવ્યો છે. NEP સ્વીકાર ન કરવાના કારણે જે ફંડ અટકાવાયું છે, તે અમને ક્યારે મળશે? કોઇમ્બતુર અને મદુરાઈ મેટ્રો યોજનાઓને મંજૂરી ક્યારે મળશે? ગયા વર્ષે ડીએમકે સરકારે રાજ્યમાં બે-ભાષા પ્રણાલી માટે રાજ્ય શિક્ષણ નીતિ (SEP) અમલમાં મૂકી હતી.

કોઇમ્બતુર અને મદુરાઈ મેટ્રો રેલ યોજનાઓને લઈને સ્ટાલિને અનેક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. જ્યારે નવેમ્બર, 2025માં કેન્દ્રીય મંત્રી મનોહર લાલે આ યોજનાઓમાં ખામીઓ દર્શાવીને સ્ટાલિન પર આ મુદ્દાનો “રાજકીય ઉપયોગ” કરવાનો આરોપ મૂક્યો હતો.

સ્ટાલિને વધુમાં કહ્યું કે ઘણાં રાજ્યો તામિલનાડુ સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ અપનાવી રહ્યા છે. તામિલનાડુમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જ્યાં ડીએમકે-કોંગ્રેસ ગઠબંધન ભાજપ- AIADMKના નેતૃત્વ હેઠળના NDA સામે સત્તા જાળવવાનો પ્રયાસ કરશે.

Martyr Day: શહીદ દિવસ વર્ષમાં ત્રણ વખત ઉજવાય છે, 30 જાન્યુઆરીની હકીકત શું છે?

શહીદ દિવસ (Martyr Day 2026) દર વર્ષે ત્રણ વખત ઉજવવામાં આવે છે. તે અલગ અલગ મહિનાઓ અને તારીખોમાં ઉજવવામાં આવે છે. 30 જાન્યુઆરી મહાત્મા ગાંધીની પુણ્યતિથિ તરીકે ઉજવવામાં આવે છે. શહીદ દિવસ વિશે કેટલીક મહત્વપૂર્ણ હકીકતો જાણીએ.

ભારતમાં વર્ષમાં ત્રણ વખત અલગ અલગ તારીખે શહીદ દિવસ ઉજવવામાં આવે છે. દરેક વખતે, આ દિવસ આપણા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે જાણીતો છે. ભારતમાં શહીદ દિવસના ઇતિહાસ અને પરંપરાઓને સમજવી દરેક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. શહીદ દિવસ ફક્ત યાદ કરવાનો દિવસ નથી પણ ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા આપવામાં આવેલા બલિદાનનું પ્રતીક પણ છે. ઘણા લોકો 30 જાન્યુઆરી, 23 માર્ચ અને 21 ઓક્ટોબરના શહીદ દિવસના ઇતિહાસ અને તથ્યોથી વાકેફ નહીં હોય, જે અહીં સમજાવવામાં આવ્યા છે.

30 જાન્યુઆરીએ શહીદ દિવસ કેમ ઉજવવામાં આવે છે?

દર વર્ષે 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિના દિવસે શહીદ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય ઇતિહાસમાં એક દુ:ખદ ઘટના તરીકે ઉજવવામાં આવે છે. 1948માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 30 જાન્યુઆરીએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના આદર્શોને યાદ કરવા માટે શહીદ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે, 2026માં 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની 78મી પુણ્યતિથિ છે.

23 માર્ચે શહીદ દિવસ

દર વર્ષે, 23 માર્ચને ભારતમાં શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે. આ બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓને લાહોર કાવતરું કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. તેમને 23 માર્ચ, 1931 ના રોજ બ્રિટિશ સરકારે ફાંસી આપી હતી. આજે પણ શહીદ દિવસે ભારતની સ્વતંત્રતા માટે આ ક્રાંતિકારીઓની હિંમત, દેશભક્તિ અને અતૂટ સમર્પણ લોકોને પ્રેરણા આપે છે.

21 ઓક્ટોબરના રોજ શહીદ દિવસ

દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ પોલીસ શહીદ દિવસ અથવા પોલીસ સ્મારક દિવસ ઉજવવામાં આવે છે. 1959માં આ દિવસે લદાખના હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાં સશસ્ત્ર ચીની ટુકડી દ્વારા કરવામાં આવેલા હુમલામાં દસ બહાદુર પોલીસ કર્મચારીઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. ત્યારથી, આ દિવસ દર વર્ષે પોલીસ કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલા બલિદાન અને રાષ્ટ્રીય સુરક્ષા જાળવવામાં તેમની ભૂમિકાને માન આપવા માટે ઉજવવામાં આવે છે.

શહીદ દિવસ એ એવા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે જેમણે આપણા દેશની રક્ષા અને સન્માન માટે પોતાના જીવનું બલિદાન આપ્યું. આ દિવસ આપણને તે બહાદુર સૈનિકોની બહાદુરી અને ભારતની સ્વતંત્રતા માટે લડનારા અને બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓની દેશભક્તિની યાદ અપાવે છે. ભારતમાં શહીદ દિવસ અલગ અલગ તારીખે ઉજવવામાં આવે છે.

શું રશિયા-યુક્રેન વચ્ચેની જંગ ખતમ? રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સીઝફાયરનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અને કડકડતી ઠંડી વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટિનને અપીલ કરી છે કે યુક્રેનની રાજધાની કિવ સહિત અન્ય શહેરો પર ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી હુમલા ન કરવામાં આવે, જેથી કડકડતી ઠંડી દરમિયાન સામાન્ય નાગરિકોને રાહત મળી શકે.

વ્હાઇટ હાઉસમાં યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિ પુટિનને વિનંતી કરી છે કે કડકડતીની ઠંડીના આ સમયગાળા દરમિયાન કિવ અને અન્ય શહેરો તથા નગરો પર એક અઠવાડિયા સુધી હુમલા ન કરવામાં આવે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે રશિયા યુક્રેનના વીજળીના પ્લાન્ટો અને અન્ય મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ પર સતત હુમલા કરી રહ્યું છે, જેને કારણે દેશમાં મોટી સંખ્યામાં લોકો વીજળીના સંકટનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ પુટિન તેમની આ અપીલ સાથે સંમત થઈ ગયા છે. જોકે આ અંગે રશિયાની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ડ્રોન હુમલામાં ત્રણનાં મોત

એ દરમિયાન ગુરુવારે યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું કે રશિયા દ્વારા દક્ષિણના ઝાપોરિઝ્ઝિયા વિસ્તારમાં રાત્રિના સમયે કરાયેલા ડ્રોન હુમલામાં ત્રણ લોકોનાં મોત થયા છે. હુમલામાં એક એપાર્ટમેન્ટ ઇમારતને ભારે નુકસાન પહોંચ્યું હતું, જેના બાદ ઇમારતમાં આગ લાગી ગઈ હતી.

રશિયા મોટા હુમલાની તૈયારીમાં છે – ઝેલેન્સ્કી

આ પહેલાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ચેતવણી આપી હતી કે રશિયા એક વધુ મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે યુક્રેનની ગુપ્તચર એજન્સીઓના અહેવાલો મુજબ રશિયા મોટા પાયે હવાઈ હુમલાઓ માટે હથિયારો અને સંસાધનો એકત્રિત કરી રહ્યું છે. ઝેલેન્સ્કીએ એ પણ યાદ અપાવ્યું કે તાજેતરમાં રશિયાએ યુક્રેન પર લગભગ 800 ડ્રોન, ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો હતો, જેમાં દેશની પાવર ગ્રિડને ખાસ કરીને નિશાન બનાવવામાં આવી હતી.

આ તમામ ઘટનાઓ એવા સમયે બની રહી છે, જ્યારે અમેરિકાની મધ્યસ્થતામાં રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષવિરામ અંગેની વાતચીત ચાલી રહી છે, પરંતુ મેદાન પરની પરિસ્થિતિ હજુ પણ અત્યંત તણાવપૂર્ણ બની રહી છે.

વાસ્તુ: કુદરતના નિયમ વિરુદ્ધનું બાંધકામ અને માનવીની ગેરસમજ

માણસનું જીવન જ અકુદરતી છે. માણસ સિવાય કોઈ પણ જીવ વસ્ત્રો પહેરતો નથી, કોઈ પણ જીવ રાંધેલો ખોરાક ખાતો નથી કે કોઈ પણ જીવ અન્ય જીવને પાળતો નથી. ઉરાંત કારણ વિના કોઈને રંજાડવાનું કે હથિયાર વાપરવાનું પણ માત્ર માણસ જ કરે છે. પોતાના સ્વાર્થ માટે અન્યનું નુકસાન કરવું કે સંગ્રહ કરવો એ માણસની ખાસિયત છે. તેથી જ માણસ જે કંઈ કરે છે તે ઘણીવાર સૃષ્ટિ વિરુદ્ધનું જ બને છે. આથી, પોતે જે કંઈ કરે છે તે સૃષ્ટિને આધીન છે — આ ગેરમાન્યતામાંથી માણસે બહાર આવીને કુદરતને સન્માન આપતા શીખવું પડશે. એક માત્ર માણસ જ છે જે પોતાના મોજશોખ માટે અન્યને દુઃખી કરે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સ: હું અમદાવાદમાં રહું છું. અમારા એક ઓળખીતાનું ઘર એમની પાસે NOC ન હોવાથી તોડી પાડવા માટે નોટિસ આવી છે. આ પહેલાં પણ ઘણા તળાવોની આસપાસના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અમે હવે ગભરાઈએ છીએ કે ક્યાંક અમારું ઘર તો તોડી નહીં પાડે ને? ખૂબ મહેનત કરીને માંડમાંડ લોનના પૈસા ભર્યા છે. એ મકાન તોડી પાડે તો કેમ ચાલે? બહુ જ ડર લાગે છે. એની સામે વિવિધ ગામોમાં અર્ધાથી વધારે તળાવો પૂરીને એની જમીન તે સમયની કમિટીના લોકોએ કોઈને ને કોઈને આપી દીધી છે. તો એને પણ તોડી પાડવા માટે નોટિસ કેમ નથી અપાતી? જેમની પાસે વગ અને પૈસા છે એમનો જ બોલબાલા છે?

જ: આમ તો આપનો જવાબ સચોટ રીતે આપવા હું સક્ષમ નથી, પરંતુ આપની વેદના હું સમજી શકું છું. આ આખી વાતમાં એક વાત સ્પષ્ટ છે કે તમને કોઈ નોટિસ નથી આવી અને જેમણે ગેરકાયદે દબાણો કર્યા છે એમને નોટિસ આવી છે. વાસ્તુની રીતે વિચારીએ તો જળનું જીવન અને વાસ્તુ બંનેમાં ખૂબ જ મહત્વ છે. પહેલાંના જમાનામાં રાજાઓ જળાશયો બંધાવતા; તેના લીધે તેમની પોતાની ઉર્જા વધતી. હવે લોકો જળાશયોને પૂરે છે, જે કુદરતના નિયમથી વિપરીત ક્રિયા છે. પાણીનો એક ઢળાવ હોય છે. એ જગ્યા પુરાઈ જવાથી વરસાદી પાણી અન્ય જગ્યાએ ભરાય છે, જેના કારણે ઉર્જાનો પ્રવાહ બદલાય અને તણાવ ઊભો થાય છે. જ્યાં જ્યાં જળાશયો પૂરીને બાંધકામ થયા છે ત્યાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થઈ છે. વ્યક્તિગત સ્વાર્થને પોષવા જતા એ જગ્યાની ઉર્જા સમગ્ર વિસ્તાર કે ગામને અસર કરે એવું પણ બની શકે.

નકારાત્મક ઉર્જાની અસરથી ક્યારેક જીવહાનિ પણ થઈ હોય એવી શક્યતા ગણાય. આવી જગ્યાએ કામ કરતા લોકો પર વિશ્વાસ ન રહે. તેથી જ જળાશયો પૂરીને બનેલા બાંધકામ તોડી નાખવા શાસક માટે જરૂરી બની જાય છે. જો શાસકની ઉર્જા સારી હશે તો જ એ પ્રજાલક્ષી કામ કરી શકે. બની શકે કે સમગ્ર ગુજરાતમાં આવા બાંધકામોને નોટિસ મળી હોય, પરંતુ તમને જાણ ન હોય.

જો કે નદીના કોતરો કે જ્યાં હંમેશાં પાણી નથી હોતું, તે જમીન આ પ્રકારમાં આવતી નથી. મુખ્યત્વે તળાવ, સરોવર વગેરેને આ પ્રકારમાં વિચારવામાં આવે છે. વળી, કોઈ પણ જગ્યા ખરીદતાં પહેલાં બધાં જ કાગળિયાં તપાસવા અત્યંત જરૂરી છે. એટલે તમે કોઈની સલાહ લઈને તે તપાસી લો; તમારી મુંઝવણ દૂર થઈ જશે.

સૂચન: જળાશય પર મકાન બનાવવું યોગ્ય નથી ગણાતું.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )

મેન્ટલ મિનિમલિઝમ: મગજને આરામ આપવાની કળા

એક યંગ મિલેનિયર બિઝનેસમેન સાથે થોડો સમય પસાર કરવાનું થયું ત્યારે તેમણે પોતાની શોપિંગ અને ફેશન ટિપ્સ શેર કરી. એમણે જણાવ્યું કે, “હું કદી શોપિંગ માટે જતો નથી, મને જે પસંદ પડે છે, તે હું એક જ સાઈઝના બધા જ પીસ ખરીદી લઉં છું.” એનાથી બે ફાયદા થાય છે—એક, શોપિંગ માટે સમય વેડફાતો નથી. બીજું, રોજ સવારે ઊઠીને કોઈ જ સમસ્યા રહેતી નથી કે “આજે શું પહેરવું?”

હવે પોઇન્ટ પર આવીએ. આ એક અતિ સફળ બિઝનેસમેન છે, જે હંમેશા વેલ ડ્રેસ્ડ હોય છે, પરંતુ તેની સાથે એક એવો વ્યક્તિ પણ છે જે પૈસાના રોકાણ પાછળનું ગણિત જ નહીં, વિચારોના રોકાણ વિશે પણ વિચારે છે. જેને ખબર છે કે માનસિક એનર્જીનો વ્યવસ્થિત ક્યારે અને ક્યાં ઉપયોગ કરવો.

આજના સમયમાં આપણું મગજ એકસાથે કેટલીયે દિશામાં ચાલે છે, પરિણામે દિવસ પૂરો થતાં પહેલા મન શરીરથી પહેલાં જ થાકી જાય છે. મોબાઇલ નોટિફિકેશન, મેસેજિસ, ફોન કોલ્સ, બકેટ લિસ્ટ અને લોકોની અપેક્ષાઓ… બધું જ એકસાથે ચાલે છે. અને આપણે કહીએ છીએ કે આપણે થાકી ગયાં. જેમ શરીરને તંદુરસ્ત રાખવા માટે સ્વચ્છતા જરૂરી છે, તેમ માનસિક સ્વચ્છતા કે ‘મેન્ટલ હાઇજિન’ માનસિક શાંતિ માટે જરૂરી છે. જેને કહેવાય છે મેન્ટલ મિનિમલિઝમ—જેને ડિટોક્સ કહો કે ડીક્લટર, પણ સરળ ભાષામાં મનમાંથી કચરો કાઢવાની કળા; જે બિનજરૂરી છે તેને દૂર રાખવાની રીત.

આપણું મગજ એક જટિલ મિકેનિઝમ છે, જેને સરળ રીતે સમજવું અઘરું છે. છતાં સહેલાઇથી સમજીએ તો, આપણા મગજમાં આવેલા પ્રિફ્રોન્ટલ કોર્ટેક્સ પર આપણા વિચારો અને નિર્ણયોની અસર થાય છે, જે વધારે જટિલ વાતાવરણમાં બરોબર કામ કરતું નથી. પરંતુ જ્યારે મન શાંત હોય, વિચારો ઓછા હોય એટલે કે મિનિમલ વાતાવરણમાં, માનસિક અવ્યવસ્થા (visual entropy) ઓછી હોય છે, તેથી મગજને ઓછું પ્રોસેસ કરવું પડે છે. પરિણામે તેની કાર્યક્ષમતા વધી જાય છે.

અવ્યવસ્થા અને અતિઉત્તેજના મન પર હળવો પરંતુ સતત તણાવ ઉત્પન્ન કરે છે, જે એમિગ્ડાલા—એટલે કે ડર અને તણાવના કેન્દ્રને—સક્રિય કરે છે. મિનિમલિઝમ આ પ્રવૃત્તિ ઘટાડે છે અને મનને વધુ શાંત બનાવે છે. માનવ મગજ એક સમયે લગભગ ચાર જ માહિતીના ભાગો યાદ રાખી શકે છે. મેન્ટલ મિનિમલિઝમ “માનસિક RAM” ખાલી કરે છે અને બિનજરૂરી માહિતીના અવરોધ ઘટાડે છે. અને સૌથી મહત્વનું છે ડિફોલ્ટ મોડ નેટવર્ક, જે ફ્રી સમયમાં મનને સર્જનાત્મક દિશામાં લઈ જાય છે. આજ કારણથી મન વિચારોના બોજ વગર સર્જનાત્મક કાર્યો વધારે સારી રીતે કરી શકે છે.

મેન્ટલ મિનિમલિઝમ લાગુ કરવાની રીત

પહેલી સમજવા જેવી વાત એ છે કે જેમ આપણા બધા જ અંગો તેમનું કામ કરે છે, એવી જ રીતે આપણું મન પણ સતત વિચાર કરતું રહે છે, પરંતુ દરેક વિચાર જરૂરી હોતો નથી. જેમ કે હાથ અસંખ્ય વાર તેમનું કામ કરે છે છતાં આપણે તેની દરેક હાલચાલ પર ધ્યાન આપતા નથી, એમ જ મનમાં આવતા દરેક વિચાર મહત્વનો હોતો નથી. જો તમે દરેક નાની વાત પર ફિલોસોફી અને જવાબો શોધશો તો તમે મહત્વનું કામ ચૂકી જશો, કારણ કે આપણી આસપાસ બનતી દરેક ઘટના કે વાતચીત આપણા માટે હોતી નથી.

એના માટે— બિનજરૂરી માહિતી, એપ્સ, સંબંધો અને વિચારોમાંથી મુક્ત થવું, નહિતર બર્નઆઉટ થાય. બિનજરૂરી અવાજોથી દૂર રહેવું. એકાગ્ર રહેવાની પ્રેક્ટિસ માટે યોગ-મેડિટેશન કરવું, જેથી બિનજરૂરી વિચારોથી મુક્તિ મેળવી શકાય. મેન્ટલ મિનિમલિઝમ આપણને શીખવે છે કે મન તમારું સાધન છે, માલિક નથી. તમે જે વિચારોને જગ્યા આપો છો એ જ તમારું જીવન ઘડે છે. મેન્ટલ મિનિમલિઝમ કોઈ કઠિન સાધના નથી, પણ એ એક પસંદગી છે—ઓછું વિચારવું, વધારે જીવવું. જ્યારે મન હળવું બને છે, ત્યારે જીવન પોતે જ સરળ અને સુંદર બની જાય છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

NCPના બંને જૂથનો થશે વિલય? શરદ પવારના NDAમાં જોડાવાનો પણ દાવો

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી અને NCPપ્રમુખ અજિત પવારના વિમાન દુર્ઘટનામાં આકસ્મિક થયેલા નિધનને કારણે NCPના બંને જૂથની વચ્ચે ચાલી રહેલી વિલયની ચર્ચાઓ અને શક્યતાઓને મોટો આંચકો લાગ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિલયની સત્તાવાર જાહેરાત 8 ફેબ્રુઆરીએ થવાની છે. આ અંતર્ગત એવી ચર્ચા પણ થઈ હતી કે વિલય બાદ પણ પાર્ટી NDA સરકારમાં સામેલ રહેશે, જેના માટે NCPના સ્થાપક શરદ પવાર પણ સંમત થઈ ગયા હતા, એવો દાવો કરવામાં આવ્યો છે.

NCP બંને જૂથ વચ્ચે વિલયની ચર્ચા ઘણી આગળ વધી ચૂકી હતી અને જિલ્લા પરિષદનાં ચૂંટણી પરિણામો બાદ ઔપચારિક એકીકરણ માટે તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે આ દુઃખદ ઘટના બની. જોકે NCPના નેતાઓએ જણાવ્યું હતું કે અજિત પવારના અવસાનથી યોજનાઓના તાત્કાલિક અમલ પર અનિશ્ચિતતા જરૂર છવાઈ ગઈ છે, પરંતુ મૂળ રાજકીય પ્રક્રિયા હજુ પણ ચાલુ છે.

બારામતીમાં થઈ હતી NCP નેતાઓની બેઠક

વાસ્તવમાં, બુધવાર મોડી રાત્રે અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવા બારામતી પહોંચેલા NCPના વરિષ્ઠ નેતાઓએ એક બેઠક યોજી હતી. બદલાતી રાજકીય પરિસ્થિતિ વચ્ચે પરામર્શ ચાલુ રાખવાની આ બેઠકમાં ચર્ચા થઈ હતી. નેતાઓએ કહ્યું હતું કે પુનર્મિલન શરદ પવારના નેતૃત્વ હેઠળની NCPના સરકારમાં જોડાવાની દિશામાં એક પગલું હશે.

મંત્રીમંડળ ફેરબદલ સુધી પહોંચી ગઈ હતી વાત

NCP (SP)ના વરિષ્ઠ ધારાસભ્ય જયંત પાટીલ અને NCP (SP)ના પ્રમુખ શશિકાંત શિંદેએ પુષ્ટિ કરી હતી કે વિલયની ચર્ચા અંતિમ તબક્કામાં છે. આ ચર્ચા એ હદ સુધી પહોંચી ગઈ હતી કે સંભવિત મંત્રીમંડળ ફેરબદલ અને નવા ચહેરાઓને સામેલ કરવાની બાબતે અનૌપચારિક રીતે વિચારણા થઈ રહી હતી.

NCPની અંદરથી અવાજ ઊઠી રહ્યો છે કે અજિત પવારનાં પત્ની અને રાજ્યસભા સાંસદ સુનેત્રા પવારને પાર્ટી અધ્યક્ષ તથા ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવે. જો રાજકીય કારણોસર એવું શક્ય ન બને, તો NCPના પ્રફુલ્લ પટેલને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૩૦ જાન્યુઆરી ૨૦૨૬

Chitralekha Gujarati – 09 February, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.