Home Blog Page 2633

પંજાબના રાજકારણમાં સિદ્ધુની રાજકીય ઇનિંગ્સ પૂરી થઈ જશે?

ચંડીગઢઃ 35 વર્ષ જૂના રોડ રેઝ કેસમાં એક વર્ષની જેલની સજા ભોગવી રહેલા નવજોત સિંહ સિદ્ધુ જેલમાંથી બહાર આવી ગયા છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ રહેલા સિદ્ધુ પાર્ટીના સૂત્રધાર રહ્યા છે. તેઓ કોંગ્રેસ માટે હંમેશા એક કોયડો રહ્યા છે, કેમ કે ક્યારેક તેમના તેવર નરમ રહ્યા છે, પણ ક્યારે ગરમ થઈ જાય એ કોઈ કહી ના શકે. આવામાં તેઓ પંજાબના રાજકારણમાં લોકસભા ચૂંટણી 2024ની ઠીક પહેલાં સક્રિય થઈ રહ્યા છે. જોકે સિદ્ધુનું રાજકારણ કોંગ્રેસ માટે મુસીબતથી જરાય ઓછું નથી.

કોંગ્રેસ માટે 2022માં થયેલી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ માટે એક સબક સમાન હતી. એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસની પડતી પાછળ સિદ્ધ પણ જવાબદાર છે. તેણે પાર્ટીને એવી અસમંજસમાં નાખી કે લોકો સમજી નહીં શક્યા કે ચરણજિત સિંહ ચન્ની અને તેમની વચ્ચે તાલમેલ છે કે નહીં. સિદ્ધ ચૂંટણી તો હંમેશાં જીતતા રહ્યા, પણ ક્યારેય રાજકીય નેતા ના બની શક્યા. તેમનો ગુસ્સો હંમેશાં તેમની આડે આવતો રહ્યો.

વળી, કોંગ્રેસની અસ્થિરતાનું સૌથી મોટું કારણ સિદ્ધુને જ માને છે, કેમ કે તેમને કારણે જ કેપ્ટન અમરિન્દર સિંહ પાસે સોનિયા ગાંધીએ તેમનું રાજીનામું માગી લીધું હતું.ચન્ની જ્યારે મુખ્ય પ્રધાન બન્યા, ત્યારે પણ સિદ્ધુએ તેમની સાથે પંગો લીધો હતો. તેઓ કોંગ્રેસના અધ્યક્ષ હતા, પણ ક્યારેક તેઓ રાજીનામું ધરી દેવાનું કહેતા હતા અને ક્યારેક રાજકીય નાટક કરતા હતા. તેમના સહયોગી તેમના નારાજ થતા હતા.

પંજાબમાં સિદ્ધુની ભૂમિકા

પંજાબના રાજકારણમાં તેમનું કદ તો મોટું છે, પણ તેઓ જનતાનો વિશ્વાસપાત્ર ચહેરો નહીં બની શક્યા. તેઓ ગાંધી પરિવારની પણ નજીકની વ્યક્તિ હતા, તેમ છતાં તેઓ કાંગ્રેસ તેમના પર વિશ્વાસ નહોતો દર્શાવી શકતા. તેઓ પાર્ટી મેનેજમેન્ટ ફેલ રહ્યા છે. આવામાં સિદ્ધુની વાપસીની રાહ પંજાબમાં એટલી સરળ નહીં હોય.

 

 

 

 

 

મનુષ્યની શારીરિક, સામાજિક, ભાવનાત્મક અને નાણાંકીય સંપત્તિનો પરસ્પર સુમેળ હોવો જોઈએ

“જે મનુષ્યો સૂર્ય સમાન નિયમપૂર્વક પ્રવૃત્ત રહીને શરીરને નિરોગી અને આત્માને વિદ્વાન બનાવીને, પૂર્ણ બ્રહ્મચર્ય પાળીને, સ્વયં વરણ કરેલી પ્રિય સ્ત્રીનો સ્વીકાર-વિવાહ કરીને, તેમાં સંતાન ઉત્પન્ન કરીને તથા સુશિક્ષિત કરીને વિદુષી બનાવે છે તેઓ ધનના પતિ બને છે.” યજુર્વેદના 25મા સ્કંધની 46મી સંહિતામાં આ બોધ આપવામાં આવ્યો છે.

આ સંહિતામાં કુબેરપતિ બનવા માટેના વ્યક્તિના ગુણોની વાત કરવામાં આવી છે. કુબેરપતિનો અર્થ ફક્ત નાણાકીય સંપત્તિ ધરાવતી વ્યક્તિ નહીં, પણ સર્વાંગી સંપત્તિના માલિક હોવાનો છે. આપણા શાસ્ત્રો પ્રમાણે સંપત્તિના અનેક પ્રકાર છેઃ શારીરિક સંપત્તિ, સામાજિક સંપત્તિ, ભાવનાત્મક સંપત્તિ, નાણાકીય સંપત્તિ, વગેરે. આમ, સર્વાંગી સંપત્તિ પ્રાપ્ત કરનાર વ્યક્તિ પ્રસન્ન રહી શકે છે.

આપણી સૌથી મોટી સંપત્તિ આપણું આરોગ્ય છે. આથી જ કહેવાયું છે, “પહેલું સુખ તે જાતે નર્યા.” આપણે રોજિંદા જીવનમાં અનેક શ્રીમંત લોકો જોઈએ છીએ, જેમને દવાઓ લીધા વગર જરાય ચાલતું નથી. તેઓ ગોળીઓના સહારે જ જીવતા હોય છે.

અપાર ધન હોય, પરંતુ માણસ માઇગ્રેન કે એસિડિટીથી પિડાતો હોય તો એ શ્રીમંતાઈનો શું અર્થ? આપણું માથું દુખતું હોય કે છાતીમાં બળતરા થતી હોય ત્યારે ધનને કારણે કોઈ રાહત થાય છે અથવા આપણને ધનવાન હોવાની સ્થિતિનો આનંદ પ્રાપ્ત થાય છે? તો પછી અખૂટ પૈસો હોવાનો શું અર્થ?

આપણી બીજી એક કહેવત કહે છે, “મન ચંગા તો કથરોટ મેં ગંગા.” ઉક્ત સંહિતા મુજબ મન અને શરીર બન્ને તંદુરસ્ત-સ્વસ્થ હોય એ ઘણું જરૂરી છે. સંપત્તિ માણવા માટે એ સ્થિતિ આવશ્યક છે.

સમાજ પણ આપણી સંપત્તિ જ કહેવાય. બાળપણમાં મારા માસા અનેક વાર મજાકમાં કહેતા, “પૈસો મારો પરમેશ્વર બૈરી મારી ગુરુ; છોકરાં મારાં શાલિગ્રામ, પૂજા કોની કરું?” આ ઉક્તિ ભલે હળવાશમાં કહેવાઈ હોય, વાસ્તવમાં, જીવનસાથી, સંતાનો, પરિવારજનો અને મિત્રો આપણી સંપત્તિ હોય છે.

કોઈને છૂટાછેડા લીધા બાદ ભરણપોષણ પેટે ભલે મોટી રકમ મળી હોય, તેનો અર્થ એવો નથી થતો કે એ વ્યક્તિ એ ધનથી ખુશ રહી શકશે. પ્રોપર્ટીની બાબતે ઘરમાં ઝઘડા થતા હોય, વારસાની પ્રોપર્ટી માટે કૉર્ટમાં કેસ ચાલતા હોય અને પરિવારની અંદર રોજ કંકાશ ચાલતો હોય તો ગમે તેટલી સંપત્તિ પણ આપણને ખુશ રાખી નહીં શકે.

આપણા સામાજિક વર્તુળના લોકો પણ નિઃ સ્વાર્થ હોવા જોઈએ. આપણી પાસે પ્રસિદ્ધિ કે ધન ન હોય તોપણ તેઓ સાથ નિભાવે એવા હોવા જોઈએ. ઘણી ખ્યાતનામ હસ્તીઓ મરતી વખતે સાવ એકલવાસમાં કે તરછોડાયેલી હાલતમાં રહેતી હોય એવા અનેક કિસ્સા આપણે જોયા-વાંચ્યા-સાંભળ્યા છે. જ્યાં સુધી તેમની પાસે ધન હોય ત્યાં સુધી લોકો સાથ નિભાવે અને સંપત્તિ ખલાસ થવા લાગે ત્યારે બધા સાથ છોડી જાય.

મોટી હસ્તીઓ તો સમજ્યા, ઘણા સામાન્ય માણસોને પણ મેં એમ કહેતાં સાંભળ્યા છે, “મને બહાર બધા લોકો માનથી બોલાવે છે, પરંતુ ઘરમાં કોઈ માન આપતું નથી.” આવા લોકો એ વાત સમજતા નથી કે ઘરના લોકોને તમારી બધી આદતો, તમારા મિજાજ, તમારાં તરકટ, વગેરે બધી અંદરની વાતોની જાણ હોય છે અને એ બધું જાણતા હોવા છતાં સ્વજનો તમારી સાથે રહેતા હોય છે. આથી જ કહેવાનું કે જે પરિવારજનો અને મિત્રો નિઃ સ્વાર્થપણે તમારી સાથે રહે એ જ તમારી ખરી સામાજિક સંપત્તિ.

એક જાણીતા લેખકે જ્યારે મને કહ્યું કે તેમના ખાસ મિત્રે તેમનું એકેય પુસ્તક વાંચ્યું નથી ત્યારે મને ઘણું આશ્ચર્ય થયું. મેં તેમને પૂછ્યું કે આ બાબતે તેમને કેવું લાગે છે. તેમણે મને કહ્યું, “એ મારું લખાણ વાંચતો નથી એ વાત મને કઠે છે, પરંતુ મને એ પણ ખબર છે કે હું જાણીતો માણસ ન હોઉં તોપણ એ મારો સાથ છોડે એવો નથી. તેની દોસ્તી મારી કિર્તી કે કૌશલ્ય, વગેરે પર નિર્ભર નથી.”

છેલ્લે એટલું જ કહેવાનું કે મનુષ્યની શારીરિક સંપત્તિ, સામાજિક સંપત્તિ, ભાવનાત્મક સંપત્તિ અને નાણાકીય સંપત્તિનો પરસ્પર સુમેળ હોવો જોઈએ. જો એ ન હોય તો કોઈ સંપત્તિનો આનંદ લઈ શકાતો નથી. આ સુમેળને જ યોગિક સંપત્તિ કહેવાય છે અને આપણે એવી જ સંપત્તિની ચાહના રાખવી જોઈએ.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

લતાજીની ગાયિકા તરીકેની શરૂઆતની વાત 

લતા મંગેશકર સંગીતકાર માસ્ટર વિનાયકને ત્યાં નોકરી કરતા હતા અને એમનું અવસાન થયું ત્યારે એમને કામ અપાવવા કેમેરામેન પાપા બુલબુલેએ કહ્યું કે એક સંગીતકાર હરિશચંદ્ર બાલી તારું ગીત સાંભળવા માગે છે. તેઓ લતાને પોતાની મોટરસાયકલ પર બેસાડીને ‘સેન્ટ્રલ સ્ટુડિયો’ લઇ ગયા. બાલીએ લતાનો સ્વર સાંભળ્યો અને ગીતો ગવડાવવાનું વચન આપ્યું. લતા જ્યારે એમના ગીતોનું રેકોર્ડિંગ કરતા હતા ત્યારે કલાકારોને કામ અપાવતા એક પઠાણે અવાજ સાંભળ્યો. એણે સંગીતકાર ગુલામહૈદરને જઇને કહ્યું કે એક નવી છોકરી આવી છે એને બોલાવીને ગવડાવી જુઓ.

લતાને એ સંદેશો મળ્યો એટલે માસીની છોકરીને સાથે લઇને ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં એમને મળવા ગયા. એમના કોઇ ગીતનું રેકોર્ડિંગ ચાલતું હતું એટલે બંને રાહ જોતા બેસી રહ્યા. કલાકો પછી ગુલામહૈદર બહાર આવ્યા અને મોડું થવા બદલ માફી માગી. પછી સ્ટુડિયોમાં લઇ જઇ એમણે લતાનો અવાજ સાંભળ્યો. લતાએ એમની જ ફિલ્મ ‘હૂમાયું’ નું એક ગીત ‘મેં તો ઓઢું ગુલાબી ચુનરિયા’ સંભળાવ્યું એનાથી ખુશ થયા. બીજું સંભળાવવા કહ્યું ત્યારે લતાએ નૂરજહાંનું ગીત ગાયું. એમણે પૂછ્યું કે કોની પાસે શીખી રહી છે? લતાએ અમાનત ખાનનું નામ આપ્યું. એ એમના મિત્ર હતા એટલે વધારે ખુશ થયા અને ગીત ગવડાવવાનો વાયદો કર્યો. ગુલામ હૈદર ત્યારે દિલીપકુમાર અને કામિની કૌશલ સાથે ફિલ્મ શહિદ’ (૧૯૪૮) માં સંગીત આપી રહ્યા હતા. તેમણે ગીતનું રિહર્સલ કરાવતા પહેલાં લતાના અવાજનું રેકોર્ડિંગ કર્યું અને નિર્માતા એસ. મુખર્જીને સંભળાવ્યું.

લતાએ ફિલ્મનું ‘બદનામ ના હો જાયે’ ગીત ગાયું હતું. (જે પછી સુરિન્દર કૌરે ગાયું હતું) પરંતુ એસ. મુખર્જીએ કહ્યું કે આ અવાજ ચાલશે નહીં. બહુ પાતળો અવાજ છે અને અમારી હીરોઇનને યોગ્ય રહેશે નહીં. એ સાંભળીને ગુલામહૈદરને ગુસ્સો આવ્યો અને લતાને પોતાની સાથે આવવા કહ્યું. તેઓ ચાલતાં નજીકના રેલ્વે સ્ટેશન પર ગયા. એમના હાથમાં સિગરેટની ડબ્બી હતી. એના પર તાલ આપતાં પોતાની સાથે ‘દિલ મેરા તોડા…’ ગીત લતાને પણ ગાવા કહ્યું. એમને લતાનું ગાવાનું ગમી ગયું. બે દિવસ સ્ટુડિયોમાં રિહર્સલ કરાવીને લતા સાથે ગીતનું રેકોર્ડિંગ કર્યું. ત્યારે તેઓ ફિલ્મ ‘મજબૂર’ (૧૯૪૮) માં પણ સંગીત આપી રહ્યા હતા. એમાં હીરોઇન મુનવ્વર સુલતાના પર એ ગીત ફિલ્માવવાનું હતું. લતા મંગેશકરે જાવેદ અખ્તર સાથેની વાતચીતમાં આ વાત કહી હતી. લતાને ત્યારે ખ્યાલ આવ્યો કે મુન્નવરનો અવાજ જાડો છે.

મુન્નવર કરતાં કામિની કૌશલને પોતાનો અવાજ વધુ મળતો આવે એવો હતો. છતાં ગુલામ હૈદરે લતા પાસે ફિલ્મના ઘણા ગીતો ગવડાવ્યા. એમાં મુકેશ સાથેનું પહેલું ગીત ‘અબ ડરને કી કોઇ બાત નહીં’ પણ હતું. એ ગીતોનું જ્યારે રેકોર્ડિંગ થઇ રહ્યું હતું ત્યારે અનિલ વિશ્વાસ, ખેમચંદ પ્રકાશ વગેરે સંગીતકારોએ લતાનો અવાજ સાંભળ્યો અને પસંદ આવતાં એમને બોલાવવા લાગ્યા. આમ લતાજીની ગાયિકા તરીકેની કારકિર્દી શરૂ થઇ ગઇ. ઘણા સગીતકારોએ લતાના ગાયનનું ઘડતર કર્યું હતું. ગુલામ હૈદરે જ લતાને શીખવ્યું હતું કે પડદા પર હીરોઇન જે સ્થિતિમાં ગાય છે એવા ભાવ અવાજમાં આવવા જોઇએ. એમણે કહ્યું હતું કે હીરોઇનની ખુશી કે દુ:ખને ધ્યાનમાં રાખીને ગાઇશ ત્યારે વધારે સારું ગાઇ શકીશ. એ જ રીતે અનિલ વિશ્વાસે ગીત ગાતાં ક્યાં શ્વાસ લેવા જોઇએ અને છોડવા જોઇએ જેથી કોઇને ખ્યાલ ના આવે એ શીખવ્યું હતું.

કોરાનાના 2994 નવા કેસો, નવનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2994 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે નવ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,18,781 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,876 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,71,551 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1840 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 16,354એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.04 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.77 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,43,364 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.13 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.09 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 2.03 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,09,015 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 9981 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

રાશિ ભવિષ્ય 01/04/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકો છો. વેપારમાં નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટા પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થઇ શકે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામજ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમાં ઉત્તેજનાને લીધે ગેરસમજના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આકસ્મિક નાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનું હોય તો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે.છે, કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારી વાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાસા જોવા મળી શકે છે. વેપારમાં જોખમ ન કરવું, પ્રિયજન સાથે કોઈ મતભેદ કે મનદુખના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવું બની શકે છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

ગ્લેમરસ રહ્યો આઈપીએલ-2023નો ઉદઘાટન સમારોહ

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ-2023 સ્પર્ધાનો આરંભ થઈ ગયો છે. ગયા વર્ષની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો છે. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતી મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ ટીમને પહેલા બેટિંગ કરવા કહ્યું હતું.

મેચ પૂર્વે સ્પર્ધાનો ભવ્ય ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. એમાં દક્ષિણ ભારતીય ફિલ્મોની બે અભિનેત્રી – રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયાએ ગીતો પર ડાન્સ કરીને દર્શકોનું મનોરંજન કર્યું હતું. રશ્મિકાએ તેનાં બહુગાજેલાં ‘શ્રીવલ્લી’ ગીત પર ડાન્સ કર્યો હતો જ્યારે તમન્નાએ તેલુગુ ફિલ્મ ‘એનિમી’ના ‘ટમ ટમ’ ગીત તેમજ બોલીવુડ ફિલ્મી ગીત ‘તુને મારી એન્ટ્રી’ પર પરફોર્મ કર્યું હતું. ગાયક અરિજિત સિંહે કારમાં સવાર થઈ સ્ટેડિયમમાં ગોળ ચક્કર લગાવતાં પરફોર્મ કર્યું હતું. એણે ‘જબ હેરી મેટ સેજલ’ ફિલ્મનું ‘હવાયેં’ ગીત ગાયું હતું.

આઇસી15 ઇન્ડેક્સ 501 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ શુક્રવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટકોમાંથી કાર્ડાનો, ટ્રોન, યુનિસ્વોપ અને ચેઇનલિંકમાં ચાર ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. મુખ્ય ઘટેલા કોઇન પોલીગોન, બિટકોઇન, લાઇટકોઇન અને સોલાના હતા, જેમાં એકથી ત્રણ ટકાનો ઘટાડો થયો હતો.

દરમિયાન, જાપાને પોતાની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી – ડિજિટલ યેનની વ્યવહાર્યતા ચકાસવા માટે નિષ્ણાત સમિતિની ચર્ચા શરૂ કરાવી છે. આ પેનલ બેન્ક ઓફ જાપાને કરેલા અભ્યાસના આધારે ડિજિટલ કરન્સીનું માળખું રચવા વિશે ચર્ચા કરશે. બીજી બાજુ, યુનાઇટેડ કિંગડમ સરકાર આર્થિક ગુનાખોરી અને વર્ચ્યુઅલ એસેટ્સના ગેરકાનૂની ઉપયોગને નાથવા માટે ધારાધોરણો ઘડવાની દિશામાં કામ કરી રહી છે.

જર્મનીની બૂર્સ સ્ટટગાર્ડ સ્ટોક એક્સચેન્જની પેટા કંપની બૂર્સ સ્ટટગાર્ડ ડિજિટલને ક્રીપ્ટોકરન્સી ટ્રેડિંગ, બ્રોકરેજ અને ડિજિટલ એસેટ્સ કસ્ટડી સર્વિસીસ ઓફર કરવા માટે આખરી લાઇસન્સ મળી ગયું છે. બાયબિટ નામના ક્રીપ્ટો એક્સચેન્જે આફ્રિકન યુવાનોને બ્લોકચેઇનની તાલીમ આપવા માટે ઇનોવેશન ગ્રોથ હબ સાથે સહકાર સાધ્યો છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.30 ટકા (501 પોઇન્ટ) ઘટીને 37,896 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,397 ખૂલીને 38,609ની ઉપલી અને 37,405 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

મોરારીબાપુએ ભવન્સમાં ક. મા. મુનશીની પ્રતિમાનું અનાવરણ કર્યું

અમદાવાદઃ પ્રખ્યાત રામકથાકાર સંત મોરારીબાપુએ શુક્રવારે ભારતીય વિદ્યા ભવન (ભવન્સ કોલેજ) અમદાવાદમાં ભારતીય વિદ્યા ભવનના સ્થાપક કનૈયાલાલ મુનશીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. એ સાથે જ કેમ્પસમાં નવનિર્મિત કાન્તિ ભટ્ટ સ્મારક અને વાચનાલયમાં કાન્તિભાઈ લિખિત 16,000 જેટલા લેખોના ડિજિટલ સંગ્રહનું ઉદ્‍ઘાટન પણ કર્યું હતું. ભવન્સ કેમ્પસસ્થિત હરિલાલ ભગવતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટની વેબસાઇટ મારફતે વાચકો માટે ઉપલબ્ધ રહેશે. કાન્તિ ભટ્ટ સ્મારક અને રીડિંગ રૂમ

જાણીતા ગુજરાતી પત્રકાર, તંત્રી, લેખક અને કટારલેખક સ્વ. કાન્તિ ભટ્ટની સ્મૃતિમાં આ એક જીવંત સ્મારક છે, જ્યાં તેમણે લખેલા 16,000 જેટલા પ્રકાશિત લેખો કટિંગ્સ (ફિઝિકલ આર્કાઇવ્ઝ) તેમ જ ડિજિટલ સ્વરૂપે સચવાયેલા છે.

એચબીઆઇસીએમની વેબસાઇટ www.hbicm.in મારફતે વાચકો તેને માણી શકે છે. લેખોને વિષયવાર, કોલમવાર, પ્રકાશનવાર તેમ જ તારીખ વાર વર્ગીકરણ કરવાની પ્રક્રિયા ચાલે છે. કાન્તિભાઈનાં પત્ની અને જાણીતા પત્રકાર શીલા ભટ્ટ અને ભવન્સનો આ સંયુક્ત પ્રોજેક્ટ છે અને કોઈ ગુજરાતી પત્રકાર માટેનું  આવું પ્રથમ સ્મારક છે.

 

 

 

 

 

‘તબીબી બેદરદારીને લગતી કાયદાની પ્રક્રિયા શું છે?’

મેડિકલ પ્રોફેશનલની બેદરકારી નજરમાં આવે તો કયાં પગલાં ભરી શકાય? કેઈએસની જયંતીલાલ પટેલ લૉ કૉલેજમાં થયો વાર્તાલાપ

મુંબઈઃ કન્ઝ્યુમર ફોરમમાં નોંધાયેલા કેસોની સંખ્યામાં થયેલા વધારાને જોતાં ભારતમાં આચરાતી તબીબી બેદરકારી એ ઊંડી ચિંતાનો વિષય દેખાય છે. આનું એક કારણ પોતાના કાયદાકીય હકો માટેની લોકજાગૃતિ છે અને બીજું કારણ એ કે વધુ ને વધુ લોકો મેડિકલ સારવાર લઈ રહ્યા હોવાથી બેદરકારીના વધુ કેસ બનવાની શક્યતા પણ વધી જાય છે. તબીબી બેદરકારીને કારણે સારવારમાં દરદીનું મૃત્યુ થઈ જવાની સ્થિતિમાં થયેલા નુકસાનને કાયદાકીય કેવી રીતે મૂલવવું એ જાણવું અગત્યનું છે.

એડ્વોકેટ અને કંપની સેક્રેટરી સૌરભ અસ્થાના

પહેલાં તો એ જાણવું જરૂરી છે કે તબીબી બેદરકારી કોને કહેવાય.

કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત જયંતીલાલ પટેલ લૉ કૉલેજના વિદ્યાર્થીઓએ એડ્વોકેટ અને કંપની સેક્રેટરી સૌરભ અસ્થાના સાથે આ વિષય પર ચર્ચા કરી હતી. આ સત્રનું સંચાલન આચાર્યા ડૉ.સંગીતા શ્રીવાસ્તવે કર્યું હતું.

પ્ર.૧. તબીબી બેદરકારી કોને કહેવાય?

સામાન્ય રીતે તબીબી પ્રોફેશનલ વિવેકીપણે જે સારવાર કરે એ રીતે બીજા કોઈ પ્રોફેશનલ સારવાર કરે નહીં અને એ નિષ્ફળતાને લીધે દરદીને કોઈ હાનિ થાય અથવા દરદીનું મૃત્યુ થાય ત્યારે એને તબીબી બેદરકારી કહેવાય.

પ્ર.૨. તબીબી બેદરકારી કહેવા માટે એમાં કયાં તત્ત્વો હોવાં જોઈએ?

તબીબી પ્રોફેશનલની ફરજ, ફરજનું પાલન કરવામાં નિષ્ફળતા, હાનિનું કારણ અને હાનિ એ બધાં તત્ત્વોનો વિચાર કરીને નક્કી કરવામાં આવે છે કે બેદરકારી રહી છે કે કેમ.

પ્ર.૩. શું તમે કૃપા કરીને વધુ સ્પષ્ટતા માટે,આ તત્ત્વોને વિગતવાર સમજાવી શકો?

જરૂર. સામાન્ય રીતે મેડિકલ પ્રોફેશનલની જવાબદારી એ જોવાની હોય છે કે દરદીના આરોગ્યને કોઈ હાનિ પહોંચે નહીં. એમની એ ફરજને ડ્યુટી ઑફ કેર (કાળજી રાખવાની ફરજ) કહેવાય છે. જ્યારે હેલ્થ પ્રોફેશનલ આ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે એમની આ ફરજનો ભંગ થયો એમ કહેવાય છે. કોઝેશન એટલે કે દરદીને હાનિ થઈ અથવા એમનું મૃત્યુ થયું એની પાછળનું કારણ.અમુક રીતે કામ લેવાથી શું નુકસાન થઈ શકે છે એનો અંદાજ આવે એટલો વિવેક રાખવો એને રિઝનેબિલિટી કહેવાય છે, જેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

પ્ર.૪. શું તમારા કહેવાનો એ અર્થ છે કે ડૉક્ટરો ભૂલો કરી શકે છે અને એમને કાયદાકીય રીતે અદાલતોમાં એમના ફરજભંગ માટે જવાબદાર ઠેરવી શકાય છે?

ટૂંકો જવાબ છે, હા. જો કે, એ દરેક વ્યક્તિગત કેસ પર આધાર રાખે છે. ડૉકટરો મેડિકલ કાઉન્સિલની આચારસંહિતાનું પાલન કરવા બંધાયેલા છે એટલે સામાન્ય રીતે પોતાના દરદીને ઈજા ન થાય અને એના જીવનું જોખમ ઊભું ન થાય એ બાબતે ખૂબ જ કાળજી લેતા હોય છે. એમ છતાં પણ એવા દાખલા જોવા મળી શકે છે, જેમાં કેસની વિગતો જોતાં, ડૉક્ટરો બેદરકાર નીવડ્યા હોવાનું જણાઈ આવ્યું હોય. યોગ્ય તપાસ પછી, વકીલની મદદ લઈને એમની સામે કાયદાકીય પગલાં લઈ શકાય છે.

પ્ર.૫. કઈ અદાલતમાં કાનૂની કાર્યવાહી કરી શકાય છે અને તેનો નિકાલ કેટલા સમયમાં આવી શકે છે?

હાલમાં, તબીબી બેદરકારીના કેસો ભારતની સૌથી નીચલી ગ્રાહક અદાલતોમાં ચલાવી શકાય છે અને આ કેસની અપીલ સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ શકે છે. એ ખૂબ સમય માગી લેતી અને ખર્ચાળ પ્રક્રિયા છે. એમ છતાં આ કારણે કોઈ વ્યક્તિએ હતાશ થઈને અટકવું ન જોઈએ અને જો ખરેખર કેસ તથ્યભર્યો હોય અને હકીકતો પર આધારિત હોય તો વ્યક્તિએ કેસ કરવા માટે આગળ વધવું જોઈએ. સામાન્ય રીતે ભારતની નીચલી અદાલતમાં કેસ દાખલ કરીને ફાઈલિંગ કરવાની તારીખથી લઈને પૂર્ણ નિકાલ આવે એમાં ૧૫-૨૦ વર્ષ લાગી શકે છે.