ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આષાઢી મેહર બાદ ભાદરવો ભરપુર વર્તાય રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નર્મદાના સાગબારા તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરના લખતરમાં 5.45 ઇંચ, જૂનાગઢમાં 4.80 ઇંચ, સુરતના ઉમરપાડામાં 4.60 ઇંચ, રાજકોટના ધોરાજીમાં 4.48 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં આજે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર,રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં 8થી 10 ઇંચ વરસાદ પડી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે, 3થી 5 ઑક્ટોબર વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે.
રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો વિરોધ, CMએ પહેરી કાળી પટ્ટી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલા નિવેદનને લઈ આજે ગુજરાત સહિત દેશમાં ભાજપ દ્વારા રેલી અને ધરણાં યોજવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર કોઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્યો અને અન્ય સિનિયર આગેવાનો ગાંધી આશ્રમ નજીક આવેલા બત્રીસી હોલથી પદયાત્રા કરી આવ્યા હતા અને ધરણાં યોજ્યા હતા. મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓને કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવ્યો છે.
રાહુલ ગાંધીના નિવેદન પર વિવાદ
રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે ભારતમાં ક્યાં સુધી અનામત ચાલુ રહેશે. આના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અનામત ખતમ કરવા વિશે વિચારશે, જે અત્યારે નથી. રાહુલે કહ્યું હતું કે, “જ્યારે તમે નાણાકીય ડેટા જુઓ તો આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે, દલિતોને 100 રૂપિયામાંથી 5 રૂપિયા મળે છે અને OBCને પણ લગભગ એટલી જ રકમ મળે છે. વાસ્તવિકતા એ છે કે તેમને ભાગીદારી નથી મળી રહી. ભારતના દરેક બિઝનેસ લીડરની યાદી જુઓ. મને આદિવાસીઓ અને દલિતોના નામ બતાવો. મને ઓબીસીનું નામ બતાવો. મને લાગે છે કે ટોપ 200માંથી એક ઓબીસી છે. તેઓ ભારતના 50 ટકા છે, પરંતુ આપણે આ રોગનો ઈલાજ નથી કરી રહ્યા. જો કે હવે અનામત એ એકમાત્ર સાધન નથી. અન્ય સાધનો પણ છે.
અમદાવાદ શહેર ભાજપ દ્વારા આજે સુભાષ બ્રિજ ખાતે યોજાયેલી મૌન રેલી અને ધરણાં કાર્યક્રમમાં આરટીઓ સર્કલ ખાતે રાહુલ ગાંધીના ફોટા સાથે કોંગ્રેસનો અનામત વિરોધી ચેહરો સ્લોગન લખેલા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. SC, ST અને OBC અનામત રદ કરવાના રાહુલ ગાંધીના નાપાક ઇરાદાને ભારતીય જનતા પાર્ટી કામયાબ નહીં થવા દે તેવું પણ બનેરમાં લખ્યું હતું.