Home Blog Page 2389

કતરની અદાલતે 8 ભારતીયોને મોતની સજા ફરમાવી; ભારત સરકાર આઘાતમાં

નવી દિલ્હીઃ કતર દેશની એક અદાલતે દોહામાં અટકમાં લેવામાં આવેલા નૌકાદળના ભૂતપૂર્વ આઠ અધિકારીઓને મોતની સજા ફરમાવતો ચુકાદો આપ્યો છે. આ સમાચાર ભારતના વિદેશ મંત્રાલયે આપ્યા છે. મંત્રાલયે કહ્યું છે કે, કતરની કોર્ટના આ ચુકાદાથી તેને ઘેરો આઘાત લાગ્યો છે. સરકાર વિગતવાર ચુકાદાની રાહ જોઈ રહી છે.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે અમને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, કતરની કોર્ટ ઓફ ફર્સ્ટ ઈન્સ્ટન્સ દ્વારા અલ દાહરા કંપનીના 8 ભારતીય કર્મચારીઓને સાંકળતા એક કેસમાં આજે ચુકાદો આપ્યો છે. અમને એ જાણીને ઊંડો આઘાત લાગ્યો છે કે ભારતીયોને મોતની સજા ફરમાવવામાં આવી છે. અમે વિગતવાર ચુકાદો મળવાની રાહ જોઈ રહ્યા છીએ. અમે આઠ ભારતીયોનાં પરિવારજનોનાં અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ. અમે તમામ કાનૂની વિકલ્પો ચકાસી રહ્યા છીએ. આ મામલો આપણા માટે અત્યંત મહત્ત્વનો છે. અમે તેની પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. અમે તમામ રાજદ્વારી અને કાનૂની સહાયતા મેળવવાનું ચાલુ રાખીશું. અમે આ ચુકાદાનો મુદ્દો કતરના સત્તાવાળાઓ સમક્ષ પણ ઉઠાવીશું.

આઠ ભારતીય નાગરિકોને 2022ના ઓક્ટોબરથી કતરમાં જેલમાં પૂરવામાં આવ્યા છે. તેમની પર આરોપ છે કે તેઓ એક સબમરીન કાર્યક્રમ ઉપર કથિતપણે જાસૂસી કરતા હતા. આઠેય ભારતીય નાગરિકો કતરમાંની ભારતીય દૂતાવાસની મદદ મેળવી શકે એ માટે ભારત સરકારે તમામ આવશ્યક મંજૂરી આપી છે. તેમજ આ ભારતીયોને મુક્ત કરવામાં આવે એ માટે સરકાર પ્રયત્નશીલ છે. નૌકાદળના અધિકારીઓમાંના એકની બહેન મીતૂ ભાર્ગવ, જે ગ્વાલિયરમાં રહે છે, તેમણે એમનાં ભાઈને સ્વદેશ પાછા લાવવા માટે ભારત સરકારની મદદ માગી હતી. મીતૂ ભાર્ગવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ મામલામાં હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી.

હવે તમે X પર ઑડિયો અને વીડિયો કૉલ કરી શકશો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આખરે ઑડિયો-વીડિયો કૉલની સુવિધા ઉમેરવામાં આવી છે. એલોન મસ્ક લાંબા સમયથી આ ફીચરને લઈને તૈયારી કરી રહ્યા હતા. તમે પહેલા X ને Twitter તરીકે જાણતા હતા. આ પ્લેટફોર્મ પર તમને WhatsApp જેવી ઓડિયો અને વીડિયો કોલની સુવિધા મળશે. એલોન મસ્ક આ પ્લેટફોર્મને એક સુપર એપ બનાવવા માંગે છે, જેના પર યુઝર્સને તમામ સુવિધાઓ મળશે. આ ક્રમમાં તેણે તેના પર ઓડિયો અને વીડિયો કોલિંગનું ફીચર ઉમેર્યું છે. કંપનીના એક્ઝિક્યુટિવ્સ આ ફીચર પર સતત ચર્ચા કરી રહ્યા હતા. કંપની આ ફીચરની અપડેટ યુઝર્સને નોટિફિકેશન દ્વારા આપી રહી છે. થોડા સમય પહેલા તેને સિલેક્ટેડ યુઝર્સ માટે લાઈવ કરવામાં આવ્યું હતું. જો કે, ઘણા વપરાશકર્તાઓને સૂચના પ્રાપ્ત થઈ રહી નથી. તેઓ આ સુવિધાને મેન્યુઅલી ચાલુ કરી શકે છે.

 

સેટિંગ્સમાં જવું પડશે

તમે Settings > Privacy and Safety > Direct Messages > Enable Audio & Video Calling પર જઈને આ સુવિધાને ઍક્સેસ કરી શકો છો.

પ્રાઈવસી સુવિધાઓ પણ છે

અહીં તમારે આ ફીચર પર ટોગલ કરવું પડશે. કારણ કે મૂળભૂત રીતે તે અક્ષમ છે. આ સાથે તમને પ્રાઈવસી ફીચર્સ પણ મળી રહ્યા છે.

કૉલ કેવી રીતે થશે?

ઓડિયો-વીડિયો કોલ કરવા માટે તમારે DM ખોલવો પડશે. અહીં તમે ફોન આઇકોન જોશો. આના પર ક્લિક કરવા પર તમારે ઑડિયો અથવા વીડિયો કૉલનો વિકલ્પ પસંદ કરવો પડશે.

વિસ્તરણ ટૂંક સમયમાં થશે

આ ફીચર હાલમાં એન્ડ્રોઇડ અને iOS માટે રીલીઝ કરવામાં આવ્યું છે. જો કે, ટૂંક સમયમાં તેને અન્ય પ્લેટફોર્મ પર પણ વિસ્તરણ કરવામાં આવશે.

હાઇકોર્ટનો રખડતા ઢોર, ટ્રાફિક મુદ્દે અધિકારીઓને હાજર થવા આદેશ

અમદાવાદઃ હાઇકોર્ટે રાજ્યમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તા,  ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા મામલે લાલ આંખ કરી છે. કોર્ટ હવે AMCના જવાબદાર અધિકારીઓ સામે આરોપો ઘડશે. હાઈકોર્ટે  અધિકારીઓને આવતી કાલે સવારે 11 કલાકે રૂબરૂ હાજર રહેવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે તમામ મ્યુનિસિપલ કમિશનર્સ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અને અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓને રૂબરૂમાં હાજર રહેવા નિર્દેશ કર્યો છે.

કોર્પોરેશને  કોર્ટમાં ઢોર પકડતી ટીમ પર હુમલા થતાં હોવાની રજૂઆત પણ કરી છે. પશુમાલિકો તરફથી થતા હુમલાની કોર્ટે નોંધ લીધી છે. અમદાવાદમાં રખડતા ઢોર, ખરાબ રસ્તા અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે અગાઉ અનેક વખત ટકોર અને નિર્દેશો કર્યા હતા, પરંતુ પરિણામ શૂન્ય આવતાં AMC તંત્રના અધિકારીઓ સામે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે.

ગઈકાલે હાઇ કોર્ટમાં જાહેરહીતની અરજી પર સુનાવણી થઈ હતી, જેમાં પરિસ્થિતિ ચિંતાજનક હોવાનું કોર્ટે જણાવ્યું અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વસીસ ઓથોરિટીના રિપોર્ટની કોર્ટે ગંભીર નોંધ લીધી. તંત્ર ગંભીરતાથી ઠોસ પગલાં નથી લઈ રહ્યું હોવાની બાબત પણ કોર્ટે નોંધી. હવે AMCના અને સરકારના તમામ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે. કોર્ટ હુકમના તિરસ્કાર અંગેની કાર્યવાહી કરશે. જોકે રાજ્ય સરકાર અને AMC તરફથી કોર્ટ પાસે સમયની માગણી કરી છે. હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે હજી કેટલો સમય જોઈએ છે?

 બે જણ સામે ફરિયાદ

અમદાવાદમાં રખડતા ઢોર પકડવાની કામગીરીમાં દખલ કરનારી બે વ્યક્તિ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

 

 

 

 

PM નરેન્દ્ર મોદીએ શિરડી સાંઈ મંદિરમાં પૂજા અર્ચના કરી

પાંચ વર્ષ પછી મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (26 ઑક્ટોબર) રાજ્યના પ્રસિદ્ધ શિરડી સાંઈ મંદિરમાં પ્રાર્થના કરી હતી. મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ ઉપરાંત રાજ્યના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ મંદિર પરિસરમાં તેમની સાથે હાજર હતા. તેમણે મંદિરમાં બનેલા કતાર સંકુલનું ઉદ્ઘાટન કર્યું છે. વર્ષ 2018માં પીએમ મોદીએ તેનો શિલાન્યાસ પણ કર્યો હતો.

 

7500 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન પીએમ મોદી 7500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. એક સાર્વજનિક કાર્યક્રમ દ્વારા પીએમ મોદી સ્વાસ્થ્ય, રેલ, રોડ, ઓઈલ અને ગેસ જેવા ક્ષેત્રોમાં ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, સાંઈ મંદિરમાં કતાર સંકુલનું ઉદ્ઘાટન કર્યા પછી, પીએમ મોદી નીલવંડે ડેમના જળની પૂજા કરશે અને તેની સાથે જોડાયેલ નહેરનું નેટવર્ક પણ દેશને સમર્પિત કરશે. 85 કિલોમીટર લાંબા કેનાલ નેટવર્કથી સાત તાલુકાઓના 182 ગામોને ફાયદો થશે. તેમાં અહેમદનગર જિલ્લાના છ તાલુકાઓ અને નાશિક જિલ્લાના એક તાલુકાનો સમાવેશ થાય છે.

ખેડૂતો માટે ખાસ પહેલ

લાંબા અંતરાલ બાદ મહારાષ્ટ્ર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યના ખેડૂતો માટે ખાસ પહેલ કરી છે. તેઓ ‘નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના’ શરૂ કરશે. આ અંતર્ગત મહારાષ્ટ્રના 86 લાખથી વધુ ખેડૂતો કે જેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમને દર વર્ષે 6000 રૂપિયાની વધારાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત પીએમ લાભાર્થીઓમાં કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન કાર્ડનું પણ વિતરણ કરશે.તેઓ ગોવામાં કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે.આ પછી સાંજે તેઓ ગોવામાં 37મી કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન પણ કરશે.

ગોવામાં કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

આ પછી, સાંજે તેઓ ગોવામાં 37મી કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન પણ કરશે. પીએમ માર્ગો ખાતેના પંડિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને પણ સંબોધિત કરશે. આ પહેલીવાર છે જ્યારે ગોવામાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ રહી છે. આજથી શરૂ થઈને 9 નવેમ્બર સુધી ચાલનારી આ ગેમ્સમાં દેશના 10 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે. 43 થી વધુ રમતોમાં સ્પર્ધા થવાની છે.

ધર્મપરિવર્તન કરવા દાનિશ કનેરિયા પર શાહિદ અફરીદીએ દબાણ કર્યું હતું?

કરાચીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ લેગસ્પિનર અને હિન્દૂ ધર્મી નાગરિક દાનિશ કનેરિયાએ ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ અફરિદી પર આરોપ મૂક્યો છે કે પોતાનું ઈસ્લામમાં ધર્મપરિવર્તન કરાવવાનો એણે પ્રયત્ન કર્યો હતો. 42-વર્ષીય કનેરિયાએ કહ્યું છે કે પાકિસ્તાનના માત્ર એક જ કેપ્ટને પોતાને ટેકો આપ્યો હતો અને તે છે ઈન્ઝમામ-ઉલ-હક. જ્યારે બીજા મોટા ભાગના કેપ્ટનોએ પોતાને ખૂબ જ તકલીફ આપી હતી.

2000ની સાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર કનેરિયા પાકિસ્તાનનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 61 ટેસ્ટમાં 261 વિકેટ લીધી હતી. દાવમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ એણે 15 વખત હાંસલ કરી હતી જ્યારે મેચમાં 10-વિકેટ લેવાની સિદ્ધિ બે વાર હાંસલ કરી હતી.

એણે આજતક ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ક્રિકેટ કારકિર્દીના દિવસોમાં તેની સાથે ધર્મના મામલે ભેદભાવ કરવામાં આવ્યો હતો. પોતાને ધર્મપરિવર્તન કરાવવા માટે શાહિદ અફરિદી સતત કીધા કરતો હતો.

શોએબ અખ્તર, શાહિદ અફરિદી તથા બીજા ઘણા પાકિસ્તાની ખેલાડીઓ મને ખૂબ જ પરેશાન કરતા હતા અને મારી સાથે ખાવાનું ટાળતા હતા. તેઓ મારી સાથે ધર્મપરિવર્તન કરવાની વાતો કરતા હતા, પરંતુ મારો ધર્મ મારે માટે સર્વસ્વ છે. મને ધર્મપરિવર્તન કરવાનું કહેનારાઓમાં શાહિદ અફરિદી મુખ્ય હતો. એણે એવું મને વારંવાર કહ્યું હતું. ઈન્ઝમામ-ઉલ-હકે ક્યારેય મને એવું કહ્યું નહોતું. હું હિન્દૂ હતો અને ક્રિકેટના બધા રેકોર્ડ તોડું એ કારણસર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મને સપોર્ટ કર્યો નહોતો. મારા દેખાવને ધ્યાનમાં લેતાં તેઓ મને ટીમમાંથી પડતો મૂકી શક્યા નહોતા. એમને ખબર હતી કે હું બધા રેકોર્ડ તોડી શકું એમ છું. આટલા ઉંચા સ્તરે પાકિસ્તાનમાં એકેય હિન્દૂ ક્યારેય પહોંચી શક્યો નથી. ભારતે તો દરેક જણને તક આપી છે.

કનેરિયા છેલ્લે 2012માં તેની છેલ્લી સ્પર્ધાત્મક મેચ રમ્યો હતો.

સતત છઠ્ઠા દિવસે સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડોઃ ત્રણ લાખ કરોડ સ્વાહા

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં સતત છ દિવસે વેચવાલીનો દોર ચાલુ રહ્યો હતો. મધ્ય-પૂર્વમાં વધતું ટેન્શન, અમેરિકી બોન્ડ યિલ્ડમાં ઉછાળો અને દિગ્ગજ કંપનીઓની અપેક્ષાથી ઊતરતાં ત્રિમાસિક પરિણામોને પગલે સેન્સેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુ તૂટ્યા હતા. છેલ્લાં પાંચ વર્ષમાં સૌપ્રથમ વાર ઓક્ટોબર સિરીઝની એક્સપાયરી સૌપ્રથમ વાર નકારાત્મક રહી હતી. ઓક્ટોબર સિરીઝમાં નિફ્ટી આશરે ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.આ સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જારી રહી છે, જેથી BSE સેન્સેક્સ 900.91 પોઇન્ટ તૂટીને 63,148.15 બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 264.90 પોઇન્ટ તૂટીને 18,857 બંધ થયો હતો.  BSEના અને NSEના બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ વેચવાલીથી નરમ બંધ આવ્યા હતા. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ વેચવાલીનું દબાણ હતું. નિફ્ટી બેન્ક 1.29 ટકા તૂટ્યો હતો. કુલ માર્કેટ કેપમાં આશરે રૂ. ત્રણ લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો.

BSE લિસ્ટેડ 30 શેરોમાંથી પાંચ જ વધીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી50માંથી 48 શેરો ઘટીને બંધ રહ્યા હતા. BSE પર 3799 શેરોમાં ટ્રેડિંગ થયા હતા, જેમાં 1353 શેરોમાં તેજી થઈ હતી. 2303 શેરોમાં ઘટીને બંધ થયા હતા અને 143 શેરોમાં કોઈ ફેરફાર થયા નહોતા. ટ્રેડિંગ સેશનમાં 78 શેરોએ 52 સપ્તાહની ઊંચાઈને સ્પર્શ્યા હતા અને 104 શેરો 52 સપ્તાહની નીચલી સપાટી પર આવ્યા હતા. આ સિવાય 106 શેરોને અપર સર્કિટ લાગી હતી અને 383 શેરોને લોઅર સર્કિટ લાગી હતી.

 

 

 

 

DAGના સહયોગથી ધ બાબુ એન્ડ ધ બજાર એક્ઝિબિશનનું આયોજન કરાયું

કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ અને DAG દ્વારા ‘ધ બાબુ એન્ડ ધ બઝાર: આર્ટ ફ્રોમ 19મી એન્ડ અર્લી 20મી સદી બંગાળ’ના ઉદ્ઘાટન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે એક સીમાચિહ્ન પ્રદર્શન છે જે કાલીઘાટ પાટ તરીકે ઓળખાતા લોકોના ચિત્રોનું પ્રદર્શન કરે છે. જેમાં પાણીના રંગના ચિત્રો છે. – ધાર્મિક અને બિનસાંપ્રદાયિક બંનેનો સમાવેશ થાય છે. તેમના વિષયો કમિશ્ડ ઓઈલ પેઈન્ટિંગ્સ, સામૂહિક ઉત્પાદિત પ્રિન્ટ અને કેન્ટનના રિવર્સ-ગ્લાસ પેઇન્ટિંગ્સની શૈલીમાં અનુપમ કૃતિઓ સાથે જોડાયેલા છે. આ પ્રદર્શન 22 ઓક્ટોબર 2023 થી 3 ડિસેમ્બર 2023 સુધી સવારે 10 થી સાંજના 5.30 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લું રહેશે. ક્યુરેટર પ્રોફેસર અદિતિ નાથ સરકાર સાથે 22, 24 અને 25 ઓક્ટોબરના રોજ બપોરે 3 થી 4.30 દરમિયાન વિશેષ પ્રદર્શન વોકથ્રુ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

ડીએજીનું પ્રદર્શન અને ઈતિહાસકાર અને વિદ્વાન અદિતિ નાથ સરકાર દ્વારા ક્યુરેટ કરાયેલ ‘ધ બાબુ એન્ડ ધ બઝાર’ સો વર્ષથી જૂની અને નોંધાયેલ કલાકૃતિઓ દ્વારા કલકત્તાના ઈતિહાસ, સંસ્કૃતિના ભાગોને પ્રકાશિત કરવાનો પ્રયાસ કરે છે. ઐતિહાસિક કલાકૃતિઓ તરીકે જે નિકાસ કરી શકાતી નથી. તે કોલકાતાના કલાત્મક ઇતિહાસનું સંશોધન છે, જેમાં એક વિશાળ સાંસ્કૃતિક માળખું મેળવવાના પ્રયાસમાં વર્ગ અને પદાનુક્રમના સ્તરોને ધ્યાનમાં લેવામાં આવે છે.

કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમના ટ્રસ્ટી જયશ્રી લાલભાઈ કહે છે, બંગાળ સાથે કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમનું જોડાણ જાણીતું છે. મ્યુઝિયમમાં પ્રદર્શિત કલાનો મુખ્ય ભાગ વાસ્તવમાં ટાગોરના સમયમાં કોલકાતામાં મળી આવેલ ભારતીય કલાનો એક વ્યાપક સંગ્રહ છે, જે તેમના દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો અને બાદમાં કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા 1940માં હસ્તગત કરવામાં આવ્યો હતો. તેથી આ વિશેષ પ્રદર્શન ખૂબ જ વિશિષ્ટ છે. માત્ર DAG સાથેના સહયોગ તરીકે જ નહીં પરંતુ બંગાળના કલાત્મક લેન્ડસ્કેપની વિવિધતાને દર્શાવવાની તક તરીકે પણ છે, જેમાં વોટરકલર પેટોઈસથી લઈને ઓઈલ પેઈન્ટિંગ્સ અને પ્રિન્ટની શૈલીઓ સામેલ છે. અન્ય કાર્યોનો સમાવેશ થાય છે. અમદાવાદના મુલાકાતીઓ માટે બંગાળના સાંસ્કૃતિક લેન્ડસ્કેપમાં ડૂબી જવાની અને તેની કલાત્મક અભિવ્યક્તિ દ્વારા વિવિધ સાંસ્કૃતિક વંશવેલો અને વાતાવરણના સાક્ષી બનવાની આ એક તક હશે. અમે આ એક્ઝિબિશનનું આયોજન કરીને ખૂબ જ ખુશ છીએ અને DAG સાથેના આ સહયોગની રાહ જોઈ રહ્યા છીએ. આ પ્રદર્શનમાં સમાવિષ્ટ કલાકૃતિઓ દુર્ગા પૂજા ઉત્સવ, શક્તિ પૂજા અને અન્ય હિંદુ વિષયોનું નિરૂપણ કરે છે.

ડીએજીના સીઈઓ આશિષ આનંદે જણાવ્યું હતું કે,  ત્રણ દાયકાથી વધુ ડીએજીએ બંગાળમાંથી કલાનો મજબૂત ભંડાર બનાવ્યો છે. મેં 1990ના દાયકાથી કોલકાતામાં શહેર અને તેની કળાને સમજવા માટે ઘણો સમય વિતાવ્યો છે. બંગાળની કળા DAG દ્વારા સમગ્ર ભારતમાં તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવામાં આવી છે અને કંપનીએ કોલકાતામાં વ્યાપકપણે પ્રદર્શન કર્યું છે. આ પ્રદર્શન સાથે અમને આ ભૂમિના ઇતિહાસ અને કલા અને તેના લોકોની સંસ્કૃતિમાં વધુ ઊંડાણપૂર્વક જોવાની તક મળે છે. ‘ તેઓ વધુમાં કહે છે, ‘અમને આ પ્રદર્શનને કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમમાં લઈ જવાનો આનંદ થાય છે, જે એક ભાગીદારી છે. જે આ ઐતિહાસિક વસ્તુને શક્ય બનાવે છે. આ પેઈન્ટિંગ્સ કદાચ પ્રથમ વખત આટલા વ્યાપક પ્રદર્શનમાં તેમના મૂળ સ્વરૂપમાં બતાવવામાં આવી રહ્યા છે.

ક્લાસિક બંગાળના તૈલ ચિત્રો અને કાલીઘાટ પાટના વોટરકલર્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રદર્શન અને તેની સાથેના પ્રકાશનમાં એવા અજાણ્યા કલાકારોની કૃતિઓનો સમાવેશ થાય છે કે જેમણે વોટર કલર્સ અને તેલનો ઉપયોગ કરીને પેઇન્ટિંગ કર્યું હતું અથવા વિકાસશીલ પ્રિન્ટિંગ ઉદ્યોગોનો ભાગ હતા. ભવ્ય તેલ ઉત્કૃષ્ટ જ્વેલરી અને કપડાંમાં દેવતાઓ અને મનુષ્યોનું નિરૂપણ કરે છે અને વિપુલ પ્રમાણમાં દાગીના સાથે સોના અને લાલ પેટર્નવાળી સાડીઓમાં દર્શાવવામાં આવેલી સ્ત્રી આકૃતિઓ સાથે ઝીણવટપૂર્વક વિગતવાર છે, જેમાં મુગટ, કાનની બુટ્ટી, પાયલ અને નેકલેસનો સમાવેશ થાય છે. પુરૂષની આકૃતિઓ ધોતી અને કુર્તામાં બતાવવામાં આવે છે, કેટલીકવાર કેપ્સ અને હેડડ્રેસ સાથે જે તેમના સાથીઓની હરીફ કરે છે. બંગાળની સ્ત્રીઓ ઉપરાંત આપણે યશોદાને પરંપરાગત ઘાઘરા અને ચોલી પહેરેલી જોઈએ છીએ, જેની છબી કલકત્તા અને બંગાળમાં અન્યત્ર રહેતા ગુજરાતી અને મારવાડી વેપારી પરિવારોએ બનાવી હતી. વધુમાં પ્રદર્શન અને પુસ્તકમાં રિવર્સ ગ્લાસ પેઇન્ટિંગ્સનો એક રસપ્રદ સંગ્રહ શામેલ છે, જે વોટરકલર પેટ્સમાંથી ડિઝાઇનનું અનુકરણ કરવાનો પ્રયાસ કરે છે અને બદલામાં તેમના મહત્વ પર ભાર મૂકે છે.

ઓગણીસમી સદીમાં બંગાળ ખાસ કરીને કલકત્તા પરંપરા અને આધુનિકતાના ક્રોસરોડ્સ પર ઉભું હતું. બંદર શહેર કે જેના દ્વારા ભારતીય ઉપખંડમાં નાણાં અને માલસામાનની અવર-જવર થતી હતી તે અત્યંત વ્યાપારી મહત્ત્વનું હતું. શહેરની વૃદ્ધિએ વિવિધ કલાત્મક પરંપરાઓના વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે કામ કર્યું, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ વોટરકલર પેટ પેઇન્ટિંગ હતું જે ‘ધ બાબુ એન્ડ ધ બજાર’ના મહત્વના સ્તંભોમાંનું એક છે. વેપાર અને શાસનમાં અંગ્રેજો સાથે નજીકથી કામ કરનાર ભારતીય ચુનંદા લોકો પશ્ચિમી જીવનશૈલીનું અનુકરણ કરવા માંગતા હતા અને કાપડના કેનવાસ પર ઓઈલ પેઈન્ટ વડે તેમના દેવતાઓની છબીઓ દોરવાનું પસંદ કર્યું હતું. આર્ટ પ્રિન્ટ્સ પ્રિન્ટિંગ ઉદ્યોગમાંથી ઉદભવ્યા, જે શિક્ષણ લોકો માટે વધુ સુલભ બનતાં પણ વિકસ્યું.

ઇઝરાયેલ પર હુમલાનું કારણ ભારત-યુરોપ આર્થિક કોરીડોર?: બાઇડન

વોશિંગ્ટનઃ ઇઝરાયેલ-હમાસ યુદ્ધની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને કહ્યું છે કે હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરવામાં આવેલો હુમલાનું એક કારણ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર પણ હોઈ શકે છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે મારો અંતરાત્મા જણાવે છે કે ઇઝરાયેલ પર હમાસ હુમલાનું એક કારણ હોઈ શકે. જોકે આના મારી પાસે એના કોઈ પુરાવા નથી.  અમે રિજિનલ ઇન્ટિગ્રેશન પર કામ કરી રહ્યા છીએ અને અમે એ કામને છોડી શકીએ એમ નથી.

ભારત- મધ્ય પૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોરનું એલાન થોડા સમય પહેલાં ભારતની રાજધાની નવી દિલ્હીમાં આયોજિત G20 સંમેલન દરમ્યાન થયું હતું. આ આર્થિક કોરિડોર ભારતથી શરૂ થઈને UAE, સાઉદી અરેબિયા દ્વારા યુરોપના દેશોને ફ્રાંસ, ઇટાલી અને જર્મનીને જોડશે.

આ સાથે ભારત સ્થિત ઇઝરાયેલને રાજદૂત નાઓર ગિલોને કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે ભારત હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરે. તેમણે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે  હમાસ સામેના આતંકવાદ વિરોધી ઓપરેશનમાં ઇઝરાયેલનુ સમર્થન કરવા બદલ અમે ભારતનો આભાર માનીએ છે. ઈઝરાયેલે સાત ઓક્ટોબરે હમાસે કરેલા બર્બરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદ ભારતને આગ્રહ કર્યો છે કે અમેરિકા અને કેનેડાની જેમ ભારત પણ હમાસને આતંકી સંગઠન જાહેર કરે. આ મુદ્દો અમે ભારત સમક્ષ પહેલા પણ ઉઠાવી ચૂકયા છે.

 

 

 

 

પ્રીતિ ઝીન્ટાએ મુંબઈમાં રૂ.17 કરોડમાં લક્ઝરીયસ ફ્લેટ ખરીદ્યો

મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝીન્ટાએ મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં પોશ ગણાતા પાલી હિલ વિસ્તારમાં રૂ. 17.01 કરોડની કિંમતમાં ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટ 1,474 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાનો છે. કુલ એરિયા 1,721 સ્ક્વેર ફીટ થાય.

ફ્લેટ હજી બાંધકામ હેઠળના મકાનમાં છે. અહીં પ્રતિ સ્ક્વેર ફીટનો ભાવ રૂ. 1.15 લાખ છે. પ્રીતિને બે કાર પાર્કિંગ સ્પેસ મળશે. ફ્લેટ ટાવરના 11મા માળ પર આવેલો છે. પ્રીતિએ આ ખરીદી માટે રૂ. 85.07 લાખની રકમની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી છે.

પ્રીતિ આઈપીએલ ટીમ કિંગ્સ ઈલેવન પંજાબની સહ-માલિકણ છે. એની કુલ સંપત્તિ આશરે રૂ. 110 કરોડ હોવાનું મનાય છે.

ન્યૂઝક્લિકના એડિટર, HR હેડને બીજી નવેમ્બર સુધી પોલીસ હિરાસતમાં

નવી દિલ્હીઃ દિલ્હીની હાઇકોર્ટે ન્યૂઝક્લિકના એડિટર પ્રબીર પુરકાયસ્થ અને HR હેડ અમિત ચક્રવર્તીને UAPA દેઠળ કેસ નોંધીને બીજી નવેમ્બર સુધી પોલીસ હિરાસતમાં મોકલવામાં આવ્યા છે. જોકે આરોપીઓના વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે તેમની પાસે કંઈ વાંધાજનક નથી મળ્યું, પણ કોર્ટ નહીં માની.

ન્યૂઝક્લિક પર ચીનતરફી દુષ્પ્રચાર ફેલાવવા માટે નાણાં લેવાનો આરોપ છે. બંને આરોપીઓને 15 દિવસની ન્યાયિક હિરાસતનો ગાળો પૂરો થયા પછી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટને કહ્યું હતું કે તે કેલાક સાક્ષીઓ અને આરોપીઓને સામસામે બેસાડીને પૂછપરછ કરવા ઇચ્છે છે. કેટલાક ડિવાઇસિસ વિશે પૂછપરછ કરવાની છે. એ માટે પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવે.

આ પહેલાં 10 ઓક્ટોબરે પોલીસે કોર્ટને બંને આરોપીઓને જેલ મોકલવાની વિનંતી કરી હતી. પોલીસે કહ્યું હતું કે બંનેની ફરીથી હિરાસતમાં લઈને આગળ વધુ પૂછપરછની માગ કરે એવી શક્યતા છે. એ દરમ્યાન આરોપીઓના વકીલોએ પોલીસની વાતનો વિરોધ કર્યો હતો.

પુરકાયસ્થ તરફથી હાજર થયેલા વકીલે અર્શદીપ ખુરાનાએ પોલીસ રિમાન્ડ સંબંધી અરજીનો વિરોધ કરતાં દાવો કર્યો હતો કે એમાં કોઈ નવો આધાર નથી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ત્રીજી ઓક્ટોબરે પુરકાયસ્થ અને ચક્રવર્તીની ધરપકડ કરી હતી.

વકીલે સવાલ કર્યો હતો કે તમે કાવતરાનો પર્દાફાશ કરવાનો છે, તો તમે 25 દિવસો સુધી શું કરી રહ્યા હતા? FIR ઓગસ્ટનો છે. તેઓ આ મહિનાની 10થી ન્યાયિક હિરાસતમાં છે. ન્યાયિક હિરાસત દરમ્યાન એક દિવસ પણ તેમનાથી પૂછપરછ નથી કરવામાં આવી?