Home Blog Page 2329

અમિતાભની ‘જંજીર’ ની કહાની પ્રકાશની જુબાની

રાજેન્દ્રકુમાર- રાખી સાથેની ‘આન બાન’ (૧૯૭૨) પછી પ્રકાશ મહેરાએ ધર્મેન્દ્ર સાથે ફિલ્મ ‘સમાધિ’ (૧૯૭૨) નિર્દેશક ઉપરાંત નિર્માતા તરીકે બનાવવાનું નક્કી કર્યું. ધર્મેન્દ્રનું કહેવું હતું કે તે નિર્માતા બનશે. પ્રકાશે કહ્યું કે લેખક મુખરામ શર્મા પાસેથી મેં કેટલી મગજમારી કરીને ‘સમાધિ’ ની વાર્તા મેળવી છે. ત્યારે ધર્મેન્દ્રએ કહ્યું કે મારી પાસે એક પઠાણ અને પોલીસ ઈન્સ્પેકટરની વાર્તા છે. એને સલીમ- જાવેદ પાસેથી સાંભળી લેજે. એ ફિલ્મ ‘જંજીર’ (૧૯૭૩) નું તું નિર્માણ કરજે પણ એમાં ઈન્સ્પેકટર તરીકે હું જ કામ કરીશ. આ વાતની ખબર ધર્મેન્દ્રના ભાઈ બી.એસ. દેઓલને પડી ત્યારે એણે કહ્યું કે તું છ મહિના પછી ફિલ્મ બનાવજે.

પ્રકાશે તૈયારી કરી લીધી હોવાથી રોકાઈ શકે એમ ન હતા. ત્યારે ‘જંજીર’ નો હીરો નક્કી થયો ન હતો. પણ પ્રાણના પુત્ર સુનીલે કહ્યું કે તમે ફિલ્મ ‘બોમ્બે ટુ ગોવા’ જોવા જાવ અને એમાં માત્ર એક દ્રશ્ય જોવાનું રાખજો જેમાં અમિતાભ બચ્ચન સેન્ડવીચ ખાઈને બહાર આવે છે અને એની શત્રુધ્ન સિંહા સાથે લડાઈ થાય છે. આખી ફિલ્મ જોવા જેવી નથી. પ્રકાશે ફિલ્મનું એ દ્રશ્ય જોયું અને અમિતાભને પસંદ કરી લઈ ધર્મેન્દ્રને કહ્યું કે મને હીરો મળી ગયો છે. ધર્મેન્દ્રએ છ મહિના રાહ જોવા કહ્યું. પ્રકાશે કહ્યું કે તમારી પાસે તો ઘણી ફિલ્મો છે. મારી કારકિર્દી શરૂ થઈ રહી છે. રાહ જોઈ શકાય એમ નથી. અસલમાં સલીમ- જાવેદની તમન્ના હતી કે ‘જંજીર’ માટે ટોપના હીરો- હીરોઈન હોવા જોઈએ. ત્યારે ધર્મેન્દ્ર બીજી ફિલ્મોમાં વ્યસ્ત હતા.

બીજો વિકલ્પ દેવ આનંદનો હતો. ચાર વખત પ્રકાશ જાવેદ સાથે દેવના ઘરે ગયા. ત્યારે દેવ આનંદે આ ફિલ્મ માટે વહિદા રહેમાનને પણ બોલાવ્યા હતા. દેવનું કહેવું હતું કે ફિલ્મમાં ત્રણ-ચાર ગીતો હોવા જોઈએ. પ્રકાશે દલીલ કરી કે તમે ક્યારેય પોલીસ ઈન્સ્પેકટરને ગીતો ગાતો જોયો છે? ત્યારે દેવ આનંદે પૂછ્યું કે તું આર્ટ ફિલ્મ બનાવી રહ્યો છે? પ્રકાશ મહેરાએ કહ્યું કે ના કમર્શિયલ ફિલ્મ છે. ફિલ્મમાં એક રોમેન્ટિક ગીત હશે પણ એ હીરો કે હીરોઈન ગાતા નહીં હોય. દેવ આનંદે છેલ્લે કહ્યું કે તને બહુ આત્મવિશ્વાસ છે. ભગવાન તને મદદ કરે. દેવ આનંદ પછી તેઓ રાજકુમાર પાસે ગયા ત્યારે એમણે કહ્યું કે આ તો મારી જ વાર્તા અને પાત્ર છે. હું માહિમમાં ઈન્સ્પેકટર હતો. પણ મારી શરત છે કે ફિલ્મ તારે મદ્રાસમાં પૂરી કરવી પડશે. કેમકે એ મદ્રાસની ત્રણ ફિલ્મો કરી રહ્યા હતા.

પ્રકાશે કહ્યું કે મારી ફિલ્મના દ્રશ્યમાં મુંબઈના સ્થાનિક લોકો છે. મદ્રાસના લોકો યોગ્ય રહેશે નહીં. અને એ રાજકુમારને લઈ શક્યા નહીં. ફિલ્મની હીરોઈન તરીકે પહેલાં મુમતાઝને સાઇન કરવામાં આવી હતી. જ્યારે એને ખબર પડી કે અમિતાભને હીરો તરીકે લેવામાં આવ્યો છે ત્યારે તેણે એમ કહીને ફિલ્મ છોડી દીધી કે મારા મયૂર માધવાની સાથે લગ્ન થઈ રહ્યા છે. હું ફિલ્મ કરી શકીશ નહીં. પ્રકાશ જ્યારે મુમતાઝના લગ્નમાં ગયા ત્યારે એણે સાઈનીંગ એમાઉન્ટ પણ પરત કરી દીધી. અમિતાભે જયા ભાદુરીનું નામ સૂચવ્યું. જયા ત્યારે પ્રકાશ મહેરાના જ નિર્દેશનમાં ‘સમાધિ’ માં કામ કરી રહ્યા હતા. જયાએ ‘જંજીર’ કરવાની હા પાડી દીધી અને ફિલ્મ શરૂ થઈ ગઈ. ‘જંજીર’ બહુ મોટી હિટ રહી. એ પછી પ્રકાશ મહેરા અને અમિતાભે સાથે ઘણી ફિલ્મો કરી હતી

અપના રાજુ હીરો હૈ, ઔર હમ રાજુ કે ફૅન…

શાહરુખ ખાને પોતાની કરિયરમાં જેટલાં રિસ્ક લીધાં છે એટલાં ભાગ્યે જ કોઈ મસાલા મૂવીના ઍક્ટરે લીધાં હશે. કારકિર્દી હજી તો શરૂ થઈ ત્યાં એણે ‘ડર’, ‘બાઝીગર’, ‘કભી હાં કભી ના’, ‘રાજુ બન ગયા જેન્ટલમૅન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. કોઈમાં એન્ટી હીરો તો કોઈમાં, આંખોમાં સપનાં લઈને મુંબઈ સેન્ટ્રલ ઊતરી પડેલો લોઅર મિડલ ક્લાસનો યુવાન. હમણાં 12 નવેમ્બરે અબ્બાસ-મસ્તાન દિગ્દર્શિત ‘બાઝીગરે’ રિલીઝનાં 30 વર્ષ ઊજવ્યાં, જ્યારે 13 નવેમ્બર, 1992ના રોજ રિલીઝ થયેલી ‘રાજુ બન ગયા જેન્ટમૅન’ 31મા વર્ષમાં પ્રવેશી.

1955ની રાજ કપૂર-નરગિસની ક્લાસિક ‘શ્રી 420’થી પ્રેરિત ‘રાજુ બન ગયા જેન્ટલમૅન’માં 1987માં આવેલી ડિરેક્ટર હર્બર્ટ રોસની ‘ધ સિક્રેટ ઑફ માય સક્સેસ’ના અંશ પણ જોવા મળે છે. ભારતીય ટેલિવિઝનની કેટલીક અવિસ્મરણીય ટીવી-સિરિયલ્સમાંની ‘નુક્કડ’ તથા ‘સરકસ’ સાથે જેમનું નામ જોડાયેલું છે એ ડિરેક્ટર અઝીઝ મિર્ઝાએ આ ફિલ્મ સર્જેલી. વર્ષો પહેલાં એક ઈન્ટરવ્યુમાં અઝીઝભાઈએ મને કહેલું કે ‘સરકસ’ સિરિયલના નિર્માણ દરમિયાન મેં દિલ્હીથી આવેલા સંઘર્ષશીલ ઍક્ટર શાહરુખ ખાનનું હીર પારખી લીધેલું.

આ એ દૌર હતો જ્યારે દેશની ઈકોનોમીનાં બારણાં ધીરે ધીરે ઊઘડી રહ્યાં હતાં. પડોશીના ઘરે આપણો ફોન આવતો તેમાંથી ધીરે ધીરે તેલ-ઘીના ડબ્બાની સાઈઝના પબ્લિક ફોનમાં રૂપિયાનો સિક્કો નાખીને આપણે વાત કરતા થયેલા. પછી તો દેશભરમાં એસટીડી-આઈએસડી બૂથ શરૂ થઈ ગયેલાં. આજે વૉટ્સઍપ કૉલથી દેશ-દુનિયામાં મફત વાતો જ નથી કરતા, વિડિયો ચૅટ કરીએ છીએ. અર્થાત્ 1990ના દાયકાના મધ્યમ વર્ગની સરખામણીએ આજના મધ્યમ વર્ગ પાસે, આમ જોવા જઈએ તો, ઘણી લક્ઝરી છે.

આર.કે.ની ‘શ્રી 420’ કે પછી શાહરુખ ખાનની રિયલ લાઈફ જેવી આ ફિલ્મમાં રાજુ મહત્વાકાંક્ષી છે, પોતાનાં સપનાં સાકાર થાય તે માટે ગામડેથી મુંબઈ આવ્યો છે, નોકરી શોધી રહ્યો છે. થોડા જ દિવસોમાં એને ખ્યાલ આવી જાય છે કે મુંબઈમાં લાઈફ ઈઝી નથી. સતત દોડતું રહેતું મુંબઈ, ક્રૂર બનીને રાજુની નિર્દોષતાનો, એની ઈમાનદારીનો ભોગ લે છે. ‘શ્રી 420’ અને ‘રાજુ બન ગયા જેન્ટલમૅન’, બન્નેમાં નીતિમત્તા, મૂલ્યોનું પ્રતિનિધિત્વ સ્ત્રી કરે છેઃ નરગિસ અને જુહી ચાવલા. ‘શ્રી 420’માં “મૂડ મૂડ કે ના દેખ” કહીને રાજને અનૈતિકતાના વમળમાં ધેકલતી નાદિરા હતી, તો અહીં મૂડીવાદ તથા ભ્રષ્ટાચારના પ્રતીક સમી અમૃતા સિંહ છે. એ એક કન્સ્ટ્રક્શન કંપનીની માલિકણ છે, જેમાં રાજુ નોકરી કરે છે.

મુંબઈમાં રાજુને આશરો મળે છે એ ચાલનો એક પૉપ્યુલર રહેવાસી, મુફલિસ જય (નાના પાટેકર) રાજુનો મદદગાર બને છે, એને સિટી ઑફ ડ્રીમ્સના તોરતરીકા શીખવે છે. આ જય એટલે રાજુના અંતરાત્માના અવાજનું પ્રતીક.

ફિલ્મમાં અઝીઝમિયાંએ મુંબઈમાં રાજુ અને રેણુ (જુહી ચાવલા) વચ્ચે પાંગરતો મસ્તમજાનો રોમાન્સ બતાવ્યો છે. નીચલા મધ્યમ વર્ગનાં આ પ્રેમી પંખીડા વસતીથી ફાટફાટ થતા શહેરમાં શાંતિ, એકાંત મેળવવા રીતસરનાં તલસે છે (આ સમસ્યા આજે પણ છે). એક સીનમાં હતાશ રાજુ કહે છેઃ “બમ્બઈ મેં જગહ હી નહીં મિલતી હૈ પ્યાર કરને”… પછી એ રેણુને એક કાર શો-રૂમમાં લઈ જાય છે. કાર ખરીદતાં પહેલાં એના ફીચર્સ ચકાસવાનાં બહાને એ રેણુ સાથએ કારમાં ગોઠવાય છે. આ આખું નાટક માત્ર એટલા માટે કેમ કે રાજુને એક કિસ કરવી હોય છે, જે મુંબઈમાં (એના જેવા યુવાન માટે) પોસિબલ નથી. આ અને આવા કેટલાક સીન્સ આ ફિલ્મને આજે પણ જોવાલાયક બનાવે છે.

-અને હા, જતિન-લલિતે સ્વરાંકિત કરેલાં ગીતો કેમ ભુલાય? યાદ કરો, શીર્ષકગીત, “લવેરિયા હુઆ”, “કેહતી હૈ દિલ કી લગી”, “તૂ મેરે સાથ સાથ”… આ ફિલ્મ બાદ અઝીઝ મિર્ઝાએ શાહરુખ-જુહીને લઈને ‘યસ બૉસ’, ‘ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની’ બનાવી. તે પછી, ‘ચલતે ચલતે’ અને ‘કિસ્મત કનેક્શન’.

મારા જેવા સિનેમાપ્રેમી માટે ‘રાજુ બન ગયા જેન્ટલમૅન’ સ્વીટ નૉસ્ટાલ્જિયા છે, તો 1990ના દાયકામાં જન્મેલી પેઢી માટે તે સમયનું મુંબઈ, મુંબઈનું જનજીવન જોવા-માણવાની મજા. યુટ્યુબ પર છે. જોઈ નાખજો.

મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતા રોહિત, સાથીઓ

કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળ અને હેડ કોચ રાહુલ દ્રવિડના નિરીક્ષણ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ 17 નવેમ્બર, શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. આ મેદાન પર રવિવાર, 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023ની ફાઈનલ મેચ રમાવાની છે.

ડીપફેક વીડિયો ભારતીય વ્યવસ્થા માટે ચિંતાજનક, ખતરનાકઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, ડીપફેક વીડિયો આજકાલ ભારતીય વ્યવસ્થા સામે સૌથી મોટો ખતરો બની ગયા છે. આ પ્રકારના ડીપફેક (નકલી) વીડિયો ભારતીય સમાજમાં અંધાધૂંધી ફેલાવી શકે છે. વડા પ્રધાને પ્રચારમાધ્યમોને વિનંતી કરી છે કે તેઓ આ વધતી જતી ચિંતા વિશે લોકોને વાકેફ કરે.

ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય ખાતે આયોજિત ‘દિવાળી મિલન’ કાર્યક્રમમાં પત્રકારોને સંબોધિત કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે ડીપફેક વીડિયો માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દુરુપયોગ થાય તો એ વિશે મીડિયા અને નાગરિકો, બંનેએ જાગૃતિ દર્શાવવાની જરૂર છે. આવા નકલી વીડિયો લોકતાંત્રિક વ્યવસ્થાની સંગઠિતતા સામે પડકારસમાન છે. રીયલ અને નકલી વીડિયોને ઓળખવાનું કઠિન બને છે. મેં ChatGpt ટીમને કહ્યું છે કે ડીપફેક્સ વીડિયો બનાવવા માટે AIનો ઉપયોગ ખતરનાક છે. એમણે ડીપફેક્સને જોખમી ઘોષિત કરવા જોઈએ અને આવા વીડિયો ઓનલાઈન મૂકવા સામે ચેતવણી બહાર પાડવી જોઈએ.

ડીપફેક વીડિયોના દૂષણનો ભોગ ખુદ વડા પ્રધાન મોદી પણ બની ચૂક્યા છે. એમણે પોતે જ આજના કાર્યક્રમમાં તે કિસ્સો શેર કર્યો હતો. એમણે કહ્યું કે, ‘મેં તાજેતરમાં જ એક વીડિયો જોયો હતો, જેમાં મને ગરબા રમતો બતાવવામાં આવ્યો હતો. પણ હકીકત એ છે કે હું સ્કૂલના દિવસો પછી ક્યારેય ગરબા રમ્યો જ નથી.’

ઉલ્લેખનીય છે કે, તાજેતરના સમયમાં રશ્મિકા મંદાના, કેટરીના કૈફ, કાજોલ જેવી અભિનેત્રીઓનાં છેડછાડવાળા કે ડીપફેક વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયાં છે. આવા વીડિયોમાં મૂળ વ્યક્તિનાં ચહેરાની જગ્યાએ બીજી વ્યક્તિનો ચહેરો મૂકી દેવામાં આવે છે. બાકીનું શરીર મૂળ વ્યક્તિનું હોય છે. કેન્દ્ર સરકારના માહિતી અને ટેક્નોલોજી તથા ઈલેક્ટ્રોનિક્સ મંત્રાલયે ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે ચેતવણી બહાર પાડી હતી કે કાનૂની જોગવાઈઓમાં આવા ડીપ ફેક વીડિયોને પણ આવરી લેવામાં આવ્યા છે અને તે બનાવનારાઓ તથા સર્ક્યૂલેટ કરનારાઓને પેનલ્ટી ચૂકવવી પડશે.

87 ટકા ભારતીયાને પેટ્રોલથી ચાલતી કાર પસંદ:  રિપોર્ટ

અમદાવાદઃ દેશમાં યુઝ્ડ કારના વેચાણમાં પ્રભાવશાળી 88 ટકાનો વધારો નોંધાયો છે. દેશભરમાં કાર્સ24એ આશરે રૂ. 1760 કરોડની કાર વેચી છે, જે લોકોના વાહનોને અપગ્રેડ કરવાના નોંધપાત્ર વલણને દર્શાવે છે. આ સીઝનમાં યુવાનોએ સૌથી વધુ કાર ખરીદી હતી, એમ કાર્સ24નો ડ્રાઇવ ટાઈમ ત્રિમાસિક અહેવાલ કહે છે. કંપનીના કો-ફાઉન્ડર ગજેન્દ્ર જાંગીડે તહેવારોની સીઝન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે જે જેમ સીઝન સમાપ્ત થવાના આરે છે. તેમ, અસંખ્ય ભારતીયો માટે કારની માલિકીનાં સપનાંને જીવંત થતાં જોવાનો અત્યંત આનંદ અનુભવીએ છીએ.

 

બેંગલુરએ તહેવારોની સીઝનમાં કારની ખરીદીમાં મોખરાનું સ્થાન લીધું હતું, જે ગ્રાહકોની મજબૂત માંગને કારણે અન્ય તમામ શહેરોને પાછળ મૂકી અગ્રણી બન્યું છે. અમદાવાદ અને દિલ્હીએ પણ નવરાત્રી દરમિયાન ઉજવણીમાં વધારો કરતાં કારના વેચાણમાં 67 ટકાનો વધારો થયો હતો, જેમાં ખાસ કરીને GrandI10 અને બલેનો સૌથી વધુ વેચાઈ હતી.

કારની ખરીદીના તાજેતરના ઉછાળામાં હેચબેકના વેચાણો સૌથી વધુ હતાં, જેનો કુલ વેચાણમાં 65 ટકા હિસ્સો રહ્યો હતો. સ્વિફ્ટ, બલેનો, ગ્રાન્ડ i10, અલ્ટો અને ક્વિડ જેવા લોકપ્રિય મોડલ્સે ખાસ કરીને ટૂ-વ્હીલરમાંથી ટ્રાન્ઝિશન કરનારા અર્થાત પ્રથમ વખત કાર ખરીદનારાઓમાં નોંધપાત્ર આકર્ષણ મેળવ્યું હતું. જોકે મારુતિ સુઝુકીએ પસંદગીની બ્રાન્ડ તરીકે વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. મારૂતિ વિટારા બ્રેઝા, ફોર્ડ ઈકોસ્પોર્ટ, મારુતિ અર્ટિગા, હ્યુન્ડાઈ ક્રેટા અને ટાટા નેક્સનના વેચાણો વધ્યા હતા.

દિલ્હીના લોકોએ મેટ્રો માર્કેટમાં સૌથી વધુ કાર વેચી હતી, લખનૌમાં સૌથી વધુ લોકોએ મેટ્રોપોલિટન માર્કેટમાંથી કાર વેચી હતી, ત્યાર બાદ પુણે અને અમદાવાદનો ક્રમ રહ્યો છે.

આ તહેવારોમાં ભારતમાં 87 ટકા કાર ખરીદનારાઓએ પેટ્રોલ વાહનો પસંદ કર્યાં છે. આ તહેવારોની સીઝનમાં સિલ્વર કલરની કારે કાર માલિકોમાં ટોચની પસંદગી તરીકે ઊભરી આવ્યો છે. તહેવારોની સીઝન (ઓણમ-દિવાળી) દરમિયાન દરરોજ રૂ. 4.7 કરોડની લોનનું વિતરણ કરવામાં આવ્યું છે.

કંપની દરરોજ 500થી વધુ લોન અરજીઓ પર પ્રક્રિયા કરે છે, જેમાં દર 10 મિનિટે યુઝ્ડ કાર લોનનું વિતરણ કરવામાં આવે છે. ટાયર-2 શહેરોએ 10માંથી સાત કારને ધિરાણ મેળવવાની સાથે ધિરાણ આપવા માટે ઉચ્ચ આશય દર્શાવ્યો છે.  સૌથી વધુ ધિરાણવાળી કાર બ્રાન્ડ મારુતિ અને હ્યુન્ડાઈ હતી અને હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 માટે મહત્તમ લોન આપવામાં આવી હતી. કાર્સ24 હવે ભારતમાં 180+ કરતાં વધુ શહેરોમાં હાજરી ધરાવે છે.

 

દિલ્હીના CM પદેથી અરવિંદ કેજરીવાલ રાજીનામું આપશે?

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે સંમેલનને સંબોધિત કરતાં કહ્યું હતું કે શું તેઓ ધરપકડ થવાની સ્થિતિમાં પણ જેલમાંથી મુખ્ય પ્રધાન તરીકે કામ કરતા રહેશે કે રાજીનામું આપશે? તેમણે કહ્યું હતું કે મને મુખ્ય મંત્રીપદની કોઈ લાલચ નથી. હું કદાચ વિશ્વનો પહેલો મુખ્ય મંત્રી છું, જેણે 49 દિવસો પછી વગર કોઈના કહ્યે રાજીનામું આપી દીધું હતું.

તેમણે કાર્યકર્તા સંમેલનમાં ચૂંટણીનો શંખનાદ કર્યો હતો. તેમણે કાર્યકર્તાઓને ઘેરેઘેર જઈને ભાજપના કાવતરાઓ વિશે જણાવવા નિર્દેશ આપતાં કહ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને અહીંથી એક પણ સીટ ના મળવી જોઈએ.

તેમણે કહ્યું હતું કે અમે લોકો જેલ જવાથી નથી ડરતા. હું તો એક વાર 15 દિવસ જેલમાં રહી આવ્યો છું. જેલ જવાથી તમે પણ નહીં ડરતા. જો ભગત સિંહ આટલા દિવસ જેલમાં રહી શકે, મનીષ સિસોદિયા નવ મહિના જેલમાં રહી શકે. સત્યેન્દ્ર જેલ એક વર્ષ જેલમાં રહી શકે તો આપણ પણ જેલ જવાથી ના ડરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે રાજીનામું તો હું મારા જૂતાની નોક પર લઈને ચાલુ છું. મારે જેલથી સરકાર ચલાવવી જોઈએ કે રાજીનામું આપવું જોઈએ –એ માટે લોકોથી વિચારવિમર્શ કરી રહ્યો છું. મેં બધા વિધાનસભ્યો અને કોર્પોરેટરો સાથે ચર્ચા કરી છે. આજે મેં કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી છે. દિલ્હીની જનતાની મરજી વિના અમે કાંઈ નહીં કરીએ. દિલ્હીની જનતા જેમ કહે એમ અમે કરીશું.

 

 

 

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૭ નવેમ્બર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૭ નવેમ્બર, ૨૦૨૩

આઇસી15 ઇન્ડેક્સ 1,755 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એક વાર ઘટાડો થયો છે. અમેરિકન સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશને હેશડેક્સના બિટકોઇન ઈટીએફના કન્વર્ઝન બાબતે નિર્ણય લેવામાં વિલંબ કર્યો હોવાનું આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ હોવાનું મનાય છે.

3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.67 ટકા (1,755 પોઇન્ટ) ઘટીને 46,051 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 47,806 ખૂલ્યા બાદ 48,106ની ઉપલી અને 45,272ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સમાંથી ઘટેલા મુખ્ય કોઇન સોલાના, ચેઇનલિંક, કાર્ડાનો અને પોલીગોન હતા, જેમાં 8થી 13 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો. એકમાત્ર વધનાર કોઇન ડોઝકોઇન 5.03 ટકા વૃદ્ધિ પામ્યો હતો.

દરમિયાન, સિક્યોરિટીઝ માર્કેટના વ્યવહારો પર ચાંપતી નજર રાખતી સંસ્થા આઇઓસ્કોએ ક્રીપ્ટો અને ડિજિટલ એસેટ્સ માર્કેટ માટેની નીતિવિષયક ભલામણો ધરાવતો આખરી અહેવાલ બહાર પાડ્યો છે.

હોલીવુડ પોપગાયિકા દુઆ લિપા વર્લ્ડ કપ ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરવાની નથી

અમદાવાદઃ આવતા રવિવારે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધાની ફાઈનલમાં મુકાબલો થશે. આ મેચ સાથે જ સ્પર્ધાના સમાપન નિમિત્તે એક રંગારંગ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવનાર છે. મોદી સ્ટેડિયમમાં હાજર રહેનાર સવા લાખથી પણ વધારે દર્શકોને મનોરંજનનો એક્સ્ટ્રા ડોઝ મળવાનો છે. તે મનોરંજક કાર્યક્રમમાં હોલીવુડની પોપ આઈકન ગાયિકા દુઆ લિપા પણ પરફોર્મ કરવાની છે એવા અગાઉ અહેવાલો હતા, પણ હવે માલુમ પડ્યું છે કે તે માત્ર એક અફવા હતી. સમર્થનવાળા સમાચાર છે કે દુઆ અમદાવાદમાં ફાઈનલ મેચમાં પરફોર્મ કરવાની નથી. એ સ્ટેજ પરફોર્મન્સ આપશે એવી અફવા ખોટી સાબિત થઈ છે. સ્ટાર સ્પોર્ટ્સ ચેનલે X પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલા એક વીડિયોને લીધે અફવા બજાર ગરમ થયું હતું. દુઆ લિપા ત્રણ વખત પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ જીતી ચૂકી છે.

દુઆ લિપા સાથે હાલમાં પ્રસારિત કરાયેલા એક વર્ચ્યુઅલ કાર્યક્રમ ‘AskDua’માં શુભમન ગિલ, કે.એલ. રાહુલ, કેન વિલિયમસન જેવા ક્રિકેટરો તથા અન્યો જોડાયાં હતાં. એ વખતે દુઆને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. તે વીડિયો સ્ટાર સ્પોર્ટ્સે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. તે કાર્યક્રમમાં શુભમન ગિલે દુઆને પૂછી લીધું હતું કે, ‘તું ક્લોઝિંગ સેરેમનીમાં કયું ગીત ગાવાની છો?’ ત્યારે ગાયિકાએ કહ્યું હતું, ‘‘ફિઝિકલ’ શિર્ષકવાળું ગીત’. રાહુલે સવાલ પૂછ્યો હતો કે, ‘તું કાર્યક્રમ વખતે કયા નંબરનું જર્સી પહેરીશ?’ ત્યારે દુઆએ જવાબમાં કહ્યું, ‘22 નંબરનું’, કારણ કે એને તે પોતાનો લકી નંબર માને છે. આ વીડિયો ગઈ 15 નવેમ્બરે સોશિયલ મીડિયા પર પોસ્ટ થયો હતો અને એને કારણે દુઆના પરફોર્મન્સ વિશેની અફવા ફેલાઈ હતી. આમ, રંગારંગ કાર્યક્રમમાં દુઆ તો નથી આવવાની, પણ સંગીતકાર પ્રીતમ અને જોનિતા ગાંધી જરૂર પરફોર્મ કરવાના છે.

દુઆ લિપા ભારતમાં ત્રણ વખત આવી ચૂકી છે. 2019ના નવેમ્બરમાં એ પહેલી જ વાર ભારત આવી હતી અને સ્ટેજ પરફોર્મન્સ આપ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર દુઆ લિપાનાં 9 કરોડ ફોલોઅર્સ છે.

 

રાજ્યમાં દિવાળીના તહેવારોમાં 2200થી વધુ અકસ્માતના બનાવો

અમદાવાદઃ દિવાળીમાં છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના મોટા ભાગના રસ્તાઓ ખાલીખમ છે, તેમ છતાં છેલ્લા ત્રણ દિવસોમાં રાજ્યમાં કુલ 2000થી વધુ અકસ્માતો થયા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દૈનિક ધોરણે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે.

ગાંધીનગરના રાંધેજા-પેથાપર હાઇવ પર ગઈ કાલે રાત્રે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચ લોકોનાં મોત થયાં છે. પૂર ઝડપે કાર ચલાવી રહેલા કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. રાંધેજા-પેથાપુર રોડ પર કાર ઝાડ સાથે ટકરાઈ હતી, જેમાં માણસાના 17થી 19 વર્ષની ઉંમરના પાંચ યુવાનોનાં મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ પાંચેય ભાઈ પિતરાઈ ભાઈ હતા.

દિવાળીના તહેવારોમાં સામાન્ય રીતે આગના બનાવો સૌથી વધારે બનતા હોય છે. દર વર્ષે 108 ઇમર્જન્સી કોલમાં વધારો થતો હોય છે. ત્યારે આ વર્ષે દિવાળી, બેસતું વર્ષ અને ભાઇબીજ એમ ત્રણ દિવસમાં 108 એમ્બ્યુલન્સને વિવિધ પ્રકારના 12,806 જેટલા કોલ મળ્યા હતા, જેમાં 2253 જેટલા અકસ્માતના કોલ છે. સૌથી વધુ અકસ્માત નવા વર્ષના દિવસે થયા હતા. સામાન્ય દિવસો કરતાં તહેવારના ત્રણ દિવસમાં ઇમર્જન્સી કોલની સંખ્યામાં સાત ટકા જેટલા વધારો થયો છે. સૌથી વધુ ઇમર્જન્સી કોલ ચાર મહાનગરમાં વડોદરાને બાદ કરતાં ખેડા, દાહોદ, નવસારી, વલસાડ, પંચમહાલ અને બનાસકાંઠામાં મળ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 306 અકસ્માત થયા છે.