Home Blog Page 1920

રામનવમી હિંસા પર CM મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રામ નવમી દરમિયાન થયેલી હિંસા અને અન્ય સ્થળોએ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. દરમિયાન સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપે હિંસા ભડકાવી છે. TMC ચીફ મમતા બેનર્જીએ ગુરુવારે કહ્યું, તમે જાણો છો કે ગઈ કાલના આગલા દિવસે ભાજપે હુમલો કર્યો હતો. પોલીસને ઈજા થઈ છે. એક ધર્મના લોકોનું શિરચ્છેદ કરવામાં આવ્યું છે. ભાજપ ધારાસભ્ય દળ બળ સાથે આવ્યો હતો.

 

ભાજપે શું કહ્યું?

પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે દાવો કર્યો હતો કે રામ નવમીના શોભાયાત્રા પર ટીએમસીના લોકોએ હુમલો કર્યો હતો. સીએમ મમતા બેનર્જીએ લોકોને ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. અમે ઈચ્છીએ છીએ કે NIA આ મામલાની તપાસ કરે.

રામ નવમીના દિવસે હિંસા થઈ હતી

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના શક્તિપુરમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન થયેલા વિસ્ફોટમાં એક મહિલા ઘાયલ થઈ છે. પોલીસે આ સંદર્ભે માહિતી શેર કરી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતી વખતે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે વિસ્ફોટ સાંજે થયો હતો, જેમાં એક મહિલા ઘાયલ થઈ હતી. અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.

સી. આર. પાટિલે કેમ ગુરૂવારે ન ભર્યું ફોર્મ?

સુરત: નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ આજે ફોર્મ ભરવા વિશાળ રેલી સાથે નીકળ્યા હતા, પણ વિજય મુહૂર્ત ચૂકી જતાં હવે શુક્રવારે ફોર્મ ભરશે. સી.આર પાટીલની રેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના હજારો સમર્થકો જોડાયા હતા. 

સી. આર. પાટીલની વિજય સંકલ્પ રેલી નવસારીના મધ્યસ્થ ભાજપ કાર્યાલયથી નીકળી હતી. ગરમીના માહોલમાં પણ રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો નજરે પડ્યા હતા. રેલીમાં લોકગાયક કીર્તિદાન ગઢવી અને ગીતાબેન રબારીએ ગીતોની રમઝટ બોલાવી હતી. આ દરમિયાન રેલીમાં હાજર કાર્યકર્તા ઉત્સાહિત થઈ ગયા હતાં.એટલું જ નહીં, મહિલાઓએ તો ગરબા પણ કર્યા હતા.

રેલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો. બધુ આયોજન પ્રમાણે બરાબર ચાલી રહ્યું હતું. પણ એમાં ફોર્મ ભરવાનું વિજયમૂર્હત ચુકાય જવાયું.

આમ તો સી. આર. પાટિલે પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવાનો દાવો કરાયો છે પણ હવે એ ફોર્મ તો આવતીકાલે વિજય મુહૂર્તમાં જ ભરશે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

કોરાનાના 72 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 72 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,35,863 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,578 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,01,711 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 67 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 574 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,672 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 30 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

કેવાક છે ભાજપ કોંગ્રેસના ચૂંટણી વાયદાઓ?

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીનો ઢંઢેરો ‘સંકલ્પ પત્ર’ 14 એપ્રિલે બહાર પાડ્યો હતો. આ પહેલાં કોંગ્રેસે 5 એપ્રિલના રોજ તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. ચાલો અહીં બંને પક્ષોના ચૂંટણી ઢંઢેરાની સરખામણી કરીએ.

1-મોદીની ગેરંટી વિરુદ્ધ કોંગ્રેસના ન્યાય

ભાજપ

‘મોદી કી ગેરંટી’ શીર્ષક હેઠળ, 2024ની ચૂંટણી માટેના ભાજપના ઢંઢેરામાં 14 વચનો છે તે રાષ્ટ્રના વિકાસના ચાર સ્તંભો – મહિલાઓ, યુવાનો, વંચિતો અને ખેડૂતો – અંતર્ગત પક્ષની પ્રતિબદ્ધતા પર કેન્દ્રિત છે.

કોંગ્રેસ

કોંગ્રેસ પાર્ટીના ઢંઢેરા પર રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની છાપ જોવા મળી. તેનું શીર્ષક જ ‘ન્યાય પત્ર’ છે. તે પાંચ ‘ન્યાયના સ્તંભો’ પર 25 ગેરંટી સાથે કેન્દ્રિત છે.

 

2- યુવા મતદારો

2024ની લોકસભા ચૂંટણીમાં 18-19 વર્ષના લગભગ 1.8 કરોડ નવા મતદારો છે. બંને પક્ષોએ યુવા મતદારોને ધ્યાને રાખીને ખાસ વચનો આપ્યા છે.

ભાજપ

-પેપર લીક સામે કાયદાનો અમલ કરશે.

-સરકારી નોકરીઓમાં ખાલી જગ્યાઓ સમય મર્યાદામાં ભરવાનું ચાલુ રાખશે.

– ભારતને સ્ટાર્ટઅપ્સ માટે પસંદગીનું સ્થળ બનાવીને સફળતાઓનું નિર્માણ કરશે

– ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા અને મહત્વપૂર્ણ ક્ષેત્રમાં રોજગાર વધારવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખશે.

-તમામ મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકોને તેમના સાહસો શરૂ કરવા અને ચાલુ રાખવામાં મદદ કરવા માટે મુદ્રા ધિરાણ કાર્યક્રમોનું વિસ્તરણ કરશે. મુદ્રા લોન મર્યાદા 20 લાખ સુધી બમણી કરવામાં આવશે.

કોંગ્રેસ

-યુવા ન્યાય કાર્યક્રમ દ્વારા બેરોજગારીના મુદ્દાને યુદ્ધના ધોરણે હલ કરવામાં આવશે.

– 25 વર્ષથી ઓછી ઉંમરના દરેક ડિપ્લોમા ધારક અથવા કૉલેજ ગ્રેજ્યુએટને ખાનગી અથવા જાહેર ક્ષેત્રની કંપની સાથે એક વર્ષની એપ્રેન્ટિસશિપ પ્રદાન કરવા માટે નવો એપ્રેન્ટિસશિપનો અધિકાર કાયદો લાવવો.

-કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરે મંજૂર કરાયેલી લગભગ 30 લાખ ખાલી જગ્યાઓ ભરશે.

-કોવિડ-19 રોગચાળાને કારણે 1 એપ્રિલ, 2020 થી જૂન 30, 2021 દરમિયાન લાયક જાહેર પરીક્ષાઓ લખવામાં અસમર્થ એવા અરજદારોને એક વખતની રાહત આપશે.

3- વરિષ્ઠ નાગરિકો

ભાજપ અને કોંગ્રેસ બંનેએ વરિષ્ઠ નાગરિકો માટે ખાસ કરીને આરોગ્યના પાસા પર ધ્યાન આપવાની યોજનાઓ અને વચનો આપ્યા છે.

ભાજપ

-70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આવરી લેવા માટે આયુષ્માન ભારત યોજનાનો વિસ્તાર કરશે.

-વરિષ્ઠ નાગરિકો માટે દેશભરમાં પવિત્ર તીર્થયાત્રાઓ ફરવા માટે અનુકૂળ સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારો સાથે કામ કરશે.

કોંગ્રેસ

– વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ, 2016નો કડક અમલ કરવામાં આવશે.

– રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને વિકલાંગ વ્યક્તિઓ માટેના પેન્શનમાં યોગદાનને વધારીને 1,000 રૂપિયા પ્રતિ માસ કરશે.

-વરિષ્ઠ નાગરિકો માટે જાહેર પરિવહન (રેલ અને માર્ગ)માં મુસાફરી રાહતો પુનઃસ્થાપિત કરશે.

4- ખેડૂતો

ભૂતકાળના ઢંઢેરાની જેમ, બંને રાજકીય પક્ષોએ ખેડૂતોને વચનો આપ્યા છે.

ભાજપ

– ઝડપી અને વધુ સચોટ આકારણી, ઝડપી ચૂકવણી અને ઝડપી ફરિયાદ નિરાકરણની ખાતરી કરવા માટે વધુ તકનીકી હસ્તક્ષેપો દ્વારા પીએમ ફસલ બીમા યોજનાને વધુ મજબૂત બનાવશે.

-સમય-સમય પર એમ.એસ.પી. વધારવાનું ચાલુ રાખશે.

કોંગ્રેસ

-સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ સરકાર દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવતી ન્યૂનતમ ટેકાના ભાવ (MSP)ની કાનૂની ગેરંટી આપશે.

-કૃષિ નાણા પર કાયમી કમિશનની નિમણૂક કરશે. જે સમયાંતરે કૃષિ ધિરાણની હદ અને લોન ભરપાઈ કરવાની જરૂરિયાત અંગે રિપોર્ટ કરશે.

5- મહિલા મતદારો

2024માં 96.8 કરોડ જેટલા ભારતીયો મતદાન કરવા માટે લાયક છે. તેમાંથી 49.7 કરોડ પુરૂષો, 47.1 કરોડ મહિલાઓ અને 48,000 ટ્રાન્સજેન્ડર છે. દરેક પક્ષનું ભવિષ્ય નક્કી કરવામાં મહિલા મતદારો ચાવીરૂપ છે.

ભાજપ

-3 કરોડ ગ્રામીણ મહિલાઓને ‘લખપતિ દીદી’ બનવા માટે સશક્ત બનાવશે.

-એનિમિયા, સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર અને ઑસ્ટિયોપોરોસિસની રોકથામ અને નાબૂદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી હાલની આરોગ્ય સેવાઓનો વિસ્તાર કરશે.

– સ્ત્રીઓ માટે સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરશે. સર્વાઇકલ કેન્સરને દૂર કરવા પર કેન્દ્રિત પહેલ શરૂ કરીશું

-સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે મહિલા અનામત બિલને વ્યવસ્થિત રીતે લાગુ કરીશું.

કોંગ્રેસ

-દરેક ગરીબ ભારતીય પરિવારને દર વર્ષે 1 લાખ રૂપિયા આપવા માટે મહાલક્ષ્મી યોજના શરૂ કરવાનો સંકલ્પ.

-2025થી શરૂ થતી કેન્દ્ર સરકારની નોકરીઓમાં 50 ટકા મહિલાઓ માટે અનામત રાખશે.

-દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક સાવિત્રીબાઈ ફૂલે છાત્રાલય સાથે દેશમાં કાર્યરત મહિલા છાત્રાલયોની સંખ્યા બમણી કરશે.

6- આરોગ્ય

કોવિડ-19 રોગચાળા પછી આરોગ્ય વધુ નોંધપાત્ર મુદ્દો બની ગયો છે. ભાજપે, તેના ઢંઢેરામાં, તેણે કટોકટીનો સામનો કેવી રીતે કર્યો છે તેને હાઇલાઇટ કરે છે. જ્યારે કોંગ્રેસે તેના રાજસ્થાન સરકારના મોડેલની તર્જ પર વીમાનું વચન આપ્યું છે.

ભાજપ

-દેશભરમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે AIIMSના નેટવર્કને મજબૂત બનાવશું.

-મજબૂત હેલ્થકેર માટે PM-ABHIM નો વિસ્તાર કરીશું.

-દેશભરના નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાની ઓછી કિંમતની દવાઓ પૂરી પાડવા માટે જન ઔષધિ કેન્દ્રના નેટવર્કનું વિસ્તરણ કરશે.

કોંગ્રેસ

-યુનિવર્સલ હેલ્થકેર માટે 25 લાખ રૂપિયા સુધીના કેશલેસ વીમાનું રાજસ્થાન મોડલ અપનાવવામાં આવશે.

-હોસ્પિટલો, ક્લિનિક્સ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, મોબાઈલ હેલ્થકેર યુનિટ્સ, દવાખાનાઓ અને આરોગ્ય શિબિરો જેવા જાહેર આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્ય સંભાળ સાર્વત્રિક અને મફત હશે. મફત આરોગ્ય સંભાળમાં ટેસ્ટ, નિદાન, સારવાર, શસ્ત્રક્રિયા, દવાઓ અને પુનર્વસનનો સમાવેશ થશે.

-2028-29 સુધીમાં કુલ ખર્ચના 4 ટકા હાંસલ કરવા માટે આરોગ્ય માટે બજેટની ફાળવણી દર વર્ષે તબક્કાવાર વધારવામાં આવશે.

7-ભારતીય અર્થતંત્ર

ભાજપ ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું વચન આપે છે અને કોંગ્રેસ આગામી દસ વર્ષમાં દેશની જીડીપી બમણી કરવાનું વચન આપે છે.

ભાજપ

-ખાતરી આપે છે કે દેશને ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવશે.

-ફુગાવાનો દર નીચો રાખશે અને ભારતના આર્થિક સામર્થ્ય માટે પ્રતિબદ્ધ રહેશે.

-નાગરિકો માટે રોજગાર, સ્વ-રોજગાર અને આજીવિકાની તકો વધારવા માટે પ્રયત્નશીલ રહેશે.

-દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કરદાતાઓને સન્માનિત કરશે.

કોંગ્રેસ

-આગામી 10 વર્ષમાં જી.ડી.પી. બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

-અસંગઠિત કામદારોના અધિકારોને સ્પષ્ટ કરવા અને તેનું રક્ષણ કરવા તેમજ સામાજિક સુરક્ષા વધારવા માટે કાયદો બનાવશે.

-રોજગાર અને વેતન તેમજ રોકાણ અને નફા તરફી કર નીતિઓને પુનઃસ્થાપિત કરશે.

8-શિક્ષણ

બંન્ને રાષ્ટ્રીય પક્ષોએ શિક્ષણના ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કરવાના વચન આપ્યા છે.

ભાજપ

-ભંડોળ, ક્ષમતા નિર્માણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અને સંશોધન અનુદાન દ્વારા હાલની સંસ્થાઓને અપગ્રેડ કરવાનું ચાલુ રાખશે.

-રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા શાળા સ્તરે ફરજિયાત ગતિશીલ અભ્યાસક્રમ અપનાવીને અને ઉચ્ચ શિક્ષણમાં ઉભરતી તકનીકોમાં ઉદ્યોગ-સંબંધિત અભ્યાસક્રમ અને કૌશલ્ય વિકાસનો સમાવેશ કરીને યુવા ભવિષ્યને તૈયાર કરશે.

કોંગ્રેસ

-સાર્વજનિક શાળાઓમાં ધોરણ 1 થી ધોરણ 12 સુધીનું શિક્ષણ ફરજિયાત અને મફત બનાવવા માટે શિક્ષણ અધિકાર કાયદામાં સુધારો કરશે.

-રાજ્ય સરકારો સાથે પરામર્શ કરીને નેશનલ એજ્યુકેશન પોલીસીની પુનઃવિચારણા કરશે અને તેમાં સુધારો કરશે.

-વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે શાળા અને કોલેજના અભ્યાસક્રમોમાં STEM વિષયોના અભ્યાસ પર ભાર મૂકવામાં આવશે.

9- રાષ્ટ્રીય સુરક્ષા

દરેક પક્ષ માટે રાષ્ટ્રીય સુરક્ષા પણ એક મોટો ચૂંટણી મુદ્દો છે.

ભાજપ

-ભારત-ચીન, ભારત-પાકિસ્તાન અને ભારત-મ્યાનમાર સરહદો પર મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ આપશે.

-ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં રહેતા લોકો સુધી વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ પહોંચે તેની ખાતરી કરશે.

-આર્મ્ડ ફોર્સીસ અને સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળોને અત્યાધુનિક શસ્ત્રો, સાધનસામગ્રી અને ટેક્નોલોજીથી વધુ સજ્જ કરશે. જેથી કોઈપણ વર્તમાન અને નવા જોખમોનો ઝડપી નિકાલ કરવામાં મદદ મળી શકે.

કોંગ્રેસ

-અગ્નિપથ યોજનાને રદ કરશે.

– એક વ્યાપક રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના બહાર પાડશે.

-પારદર્શિતા અને સૈન્ય સર્વસંમતિ સુનિશ્ચિત કરવા માટે સી.ડી.એસ.ની નિમણૂકની પ્રક્રિયાને સંસ્થાકીય બનાવશે.

-વન રેન્ક વન પેન્શન (OROP)નો અમલ 26 ફેબ્રુઆરી 2014ના યુપીએ સરકારના આદેશ અનુસાર કરવામાં આવશે.

10- પર્યાવરણની જાળવણી

હવે પર્યાવરણના મુદ્દાઓ પણ રાજકીય ઢંઢેરામાં જોવા મળી રહ્યા છે.

ભાજપ

-નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) રાષ્ટ્રના તમામ પ્રદેશોમાં ખાસ કરીને 2029 સુધીમાં 60 શહેરોમાં લાગુ કરવામાં આવશે.

-તમામ મુખ્ય નદીઓના સ્થિતિ અને સ્વચ્છતા સુધારવા માટે તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરશે.

કોંગ્રેસ

-વાયુ પ્રદૂષણની સમસ્યાનો તાકીદે સામનો કરવા માટે NCAPને મજબૂત બનાવશે.

– પર્યાવરણીય ધોરણો સ્થાપિત કરવા, દેખરેખ રાખવા અને લાગુ કરવા અને રાષ્ટ્રીય અને રાજ્ય આબોહવા પરિવર્તન માટે સ્વતંત્ર પર્યાવરણ સંરક્ષણ અને આબોહવા પરિવર્તન સત્તામંડળની રચના કરશે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

EVM મશીનથી છેડછાડ સંભવ નથીઃ SCમાં ECની રજૂઆત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે EVM-VVPAT મામલે ચૂંટણી પંચને કહ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં પવિત્રતા હોવી જોઈએ. પંચને સવાલ કર્યો હતો કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે ઉઠાવવામાં આવેલા પગલાં વિસ્તારથી જણાવો. કોર્ટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)થી નાખવામાં આવેલા મતોની VVPAT સિસ્ટમ દ્વારા નીકળતી પર્ચીઓથી મેળની માગ કરવાવાળી અરજી પર સુનાવણી કરી રહી છે.

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું હતું એ એક ચૂંટણી પ્રક્રિયા છે, કોઈ પણ આશંકા ના હોવી જોઈએ કે જે બાબતની અપેક્ષા કરવામાં આવી રહી છે, એ નથી થઈ રહી. ચૂંટણી પંચ તરફથી કોર્ટમાં વકીલ મનિન્દર સિંહ હાજર થયા હતા, જ્યારે અરજીકરત્ તરફથી નિઝામ પાશા ને પ્રશાંત ભૂષણ હાજર થયા હતા.

ચૂંટણી પંચના એક અધિકારીએ જજોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે બટન યુનિટમાં માત્ર એ માહિતી હોય છે કે કેટલા નંબરનું બટન દબાવવામાં આવ્યું. એ માહિતી કન્ટ્રોલ યુનિટને જાય છે. કંન્ટ્રોલ યુનિટથી વીવીપેટને પ્રિન્ટિંગનો કમાન્ડ જાય છે. એના પર જજે સવાલ કર્યો હતો કે તો પછી VVPATને કયા સિમ્બોલથી પ્રકાશિત કરવાનો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે એક બહુ નાનો સિમ્બોલ લોડિંગ યુનિટ હોય છે, જે ટીવી રિમોટના આકારનું હોય છે. એને બહારથી નિયંત્રિત નથી કરવામાં આવતું, કેમ કે એ ઇન્ટરનેટ કે કોઈ પણ બહારના નેટવર્કથી નથી જોડાઈ શકતું. એ યુનિટ કન્ટ્રોલ યુનિટથી મળેલા કમાન્ડની પ્રક્રિયા કરીને VVPATની માહિતી આપે છે.

 

 

 

 

 

 

 

ગૃહપ્રધાન અમિત શાહે સાણંદમાંથી ચૂંટણીપ્રચારનો કર્યો પ્રારંભ

અમદાવાદઃ ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના સાણંદમાં એક મેગા રોડ શો કર્યો હતો. શાહ ગાંધીનગરમાં ત્રણ રોડ-શો કરશે અને એક ચૂંટણીસભાને સંબોધિત કરશે. ત્યાર બાદ શુક્રવારે ગાંધીનગર લોકસભા સીટ માટે નામાંકન દાખલ કરશે. શાહ બુધવારે અમદાવાદ પહોંચ્યા હતા અને ચૂંટણી ઝુંબેશનો વહીવટ કરવાવાળા સાથે બેઠકો કરી હતી.

ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ APMC સર્કલથી શાહે મેગા રેલી યોજી ચૂંટણીપ્રચારનો પ્રારંભ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા હતા. શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદમાં ફૂલોથી શણગારેલા ટ્રકમાં શાહ સવાર થઈ રેલીની શરૂઆત કરાવી હતી. આ રેલીમાં કડક ગરમીમાં પણ માનવમેદની ઊમટી પડી હતી. શાહે રેલીમાં ઊમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રેલીમાં જય શ્રીરામના નારા સતત લાગ્યા હતા. રેલીનું ડ્રોન દ્વારા કવરેજ અને સુરક્ષાની દેખરેખ રાખવામાં આવી હતી.

આજે અમિત શાહ લોકસભાની ગાંધીનગરની બેઠકને જીતવા માટે ભવ્ય રોડ સાથે જનસભાને સંબોધશે. ગાંધીનગરને બાદ કરતાં તમામ છ વિધાનસભામાં રોડ શો યોજશે. આ રોડ શોના માધ્યમથી શાહ  લોકસંપર્ક કરશે. સાણંદથી અમિત શાહ રોડ શોની શરૂઆત કરશે. સાણંદ બાદ કલોલ અને અમદાવાદમાં ભવ્ય રોડ શો કરશે. આ સમયે ભાજપ આગેવાનો, ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ સાંજે વેજલપુરમાં અમિત શાહની જંગી સભાનું આયોજન કરશે. આ રોડ શોમાં ભાગ લેનારને હાથ અને માથાના ભાગે કમળના સ્ટેમ્પ લગાવાયા છે.

આ રોડ શો દરમિયાન રાસ મંડળી, વૈદિક મંત્રોચ્ચાર, રાજસ્થાની, પંજાબી, મહારાષ્ટ્ર નૃત્યની પ્રસ્તુતિ રજૂ થશે. આ ઉપરાંત પાઇપ બેન્ડ શરણાઈ મંડળી સુરાવલી રેલાવશે. આ ઉપરાંત વિવિધ ગાયક કલાકારો પોતાની ગાયકી રજૂ કરશે.

લોકસભાની ચૂંટણીનું પ્રથમ રાઉન્ડ 19 એપ્રિલથી શરૂ થશે. 7 મેએ ગુજરાતની બેઠકો માટે વોટિંગ થશે. શુક્રવારે (19 એપ્રિલ, 2024) લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થશે. આ સમયગાળામાં દરમિયાન, દેશનાં 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો પર મતદાન થશે.

 

 

 

 

 

ભારત માટે UNSCમાં સ્થાયી સભ્યપદને મસ્ક, અમેરિકાનો ટેકો

વોશિંગ્ટન: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સ્થાયી સભ્યપદની માગનો મુદ્દો હવે ફરીથી ઊઠ્યો છે.  ટેસ્લાના વડા એલન મસ્ક અને અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થામાં સુધારા માટે સમર્થનની રજૂઆત કરી છે, આ માહિતી અમેરિકી વિદેશ વિભાગના ઉપ પ્રવક્તા વેદાંત પટેલે કરી હતી. તેમણે UNSCમાં એલન મસ્ક વિશેના નિવેદન વિશે પણ વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્ર મહસભામાં પોતાની ટિપ્પણમાં પહેલાં આ વિશે વાત કરી હતી. . ટેસ્લાના CEO એલન મસ્કે થોડા મહિના પહેલાં UNSCમાં ભારતના કાયમી સભ્યપદની વકીલાત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારત માટે સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય ન હોવું એ ખોટું છે. હવે અમેરિકાએ પણ મસ્કનું સમર્થન કર્યું છે. અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની માગને સમર્થન આપ્યું છે. એમ પણ કહ્યું કે વોશિંગ્ટન પણ ઈચ્છે છે કે UNSCમાં સુધારો કરવામાં આવે, જેથી તે 21મી સદીની સાચી તસવીર રજૂ કરી શકે છે.

US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે  USA યુએન સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) સહિત UN સંસ્થાઓના સુધારા માટે સમર્થનની ઓફર કરી છે.  તેમણે કહ્યું હતું કે  અમે 21મી સદીના વિશ્વને પ્રતિબિંબિત કરવા માટે સુરક્ષા પરિષદ સહિત અન્ય UN સંસ્થાઓમાં સુધારાને ચોક્કસપણે સમર્થન આપીએ છીએ.

આ વર્ષે જાન્યુઆરીમાં એલન મસ્કે ભારતને UNSCમાં કાયમી બેઠક ન મળવાને ‘વાહિયાત’ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે જે દેશોની પાસે જરૂરિયાત કરતાં વધુ શક્તિ છે તેઓ તેને છોડવા માગતા નથી. X પર એક પોસ્ટમાં મસ્કએ કહ્યું હતું કે કેટલાક સમયે UN સંસ્થાઓમાં સુધારો કરવાની જરૂર છે. સમસ્યા એ છે કે જેની પાસે વધારાની શક્તિ છે તેઓ તેને છોડવા માગતા નથી. ભારત પૃથ્વી પર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારત પાસે સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ નથી, આ વાહિયાત છે. આફ્રિકાને પણ સામૂહિક રીતે કાયમી બેઠક મળવી જોઈએ.

 

 

 

 

 

સુવિચાર – ૧૮ એપ્રિલ, ૨૦૨૪

સુવિચાર – ૧૮ એપ્રિલ, ૨૦૨૪

ઓળખી લો, ગુજરાતની આ વૈશ્વિક ધરોહરોને…

અમદાવાદ: વિશ્વ ધરોહર દિવસ, જે સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને જાળવણીને પ્રોત્સાહન આપે છે. આ દિવસ રિમાઈન્ડર છે, જે લોકોને યાદ અપાવે છે કે સાંસ્કૃતિક વારસો એ માત્ર ભૂતકાળની વસ્તુ નથી પરંતુ એવી મૂલ્યવાન ભેટ છે આજે પણ સુસંગત છે અને ભવિષ્યને આકાર આપવાનું ચાલું રાખશે. દર વર્ષે 18 એપ્રિલના રોજ વિશ્વ ધરોહર દિવસ (World Heritage Day)ઉજવવામાં આવે છે. સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક સ્મારકો અને પુરાતત્વીય સ્થળોનું જતન કરવાના ઉદ્દેશ સાથે આ દિવસ મનાવવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી એક ખાસ થીમ સાથે થતી હોય છે. આ વર્ષની થીમ “ડિસ્કવર એન્ડ એક્સપિરિયન્સ ડાયવર્સિટી (Discover and experience diversity)છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં ભારતના 42 સ્થળોને સ્થાન મળ્યુ છે. સૌપ્રથમ વખત 1983 આગ્રા ફોર્ટ (આગ્રાનો લાલ કિલ્લો)ને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં દરજ્જો મળ્યો હતો. છેલ્લે 2023માં પશ્ચિમ બંગાળના શાંતિનિકેતને આ યાદીમાં સ્થાન મળ્યુ છે. ગુજરાતમાં કુલ ચાર વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. જેમાં ચાંપાનેર, અમદાવાદ શહેર, ધોળાવીરા અને રાણકી વાવનો સમાવેશ થાય છે. વર્લ્ડ હેરિટેજ ડે પર આપણે ગુજરાતની આ ચાર વર્લ્ડ હેરિટેજ સાઈટ વિશે જાણીએ…

1. ચાંપાનેર- પાવાગઢ (2004)

(તસવીર સૌજન્ય: યુનેસ્કો વેબસાઈટ/ગુજરાત ટુરિઝમ)

ચાંપાનેર પાવાગઢની તળેટીમાં આવેલું બહુ પ્રાચીન સ્થળ હોવાનુ મનાય છે. 8મી સદીમાં વનરાજ ચાવડા દ્વારા વસાવવામાં આવ્યું હતું. ચાંપાનેર નામ તેમના મિત્ર સેનાપતિ ચાંપા (જે પાછળથી ચાંપારાજ તરીકે ઓળખાયા) પરથી પાડવામાં આવ્યું. ગુજરાતનું પ્રથમ અને ભારતનું 26મુ વર્લ્ડ હેરિટેજ સ્થળ છે. ટોચ પર પાવાગઢનું મંદિર અને તળેટીમાં હાલમાં ત્યજી દેવાયેલી જામા મસ્જિદ છે. વિવિધ યુગો, રાજાઓ અને ધર્મોની હેરિટેજ ઈમારતોનું મિશ્રણ હોવાનું કહેવાય છે. પાંચ મનોહર પ્રવેશદ્વારો સુશોભિત કોતરણીથી ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે. જુમ્મા મસ્જિદને કેન્દ્રમાં રાખીને નગરનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં હિન્દુ, જૈન અને મુસ્લિમોનાં સ્થાપત્ય આવેલાં છે. ચાંપાનેરની કલાવારસાને ધ્યાને રાખી યુનેસ્કો દ્વારા 2004માં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો અને તેને ‘ચાંપાનેર-પાવાગઢ આર્કિયોલોજિકલ પાર્ક’ એવું નામ આપવામાં આવ્યું.

2. રાણકી વાવ/ રાણીની વાવ (2014)

(તસવીર સૌજન્ય: યુનેસ્કો વેબસાઈટ/ગુજરાત ટુરિઝમ)

પાટણમાં આવેલી રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક ઐતિહાસિક વાવ છે. સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમની પત્ની રાણી ઉદયમતી દ્વારા વાવ બાંધવામાં આવી હતી. 11મી સદીમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થાના હેતુ સાથે વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. આ વાવ જયા પ્રકારની વાવ છે. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ઇ.સ.1986માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં જોવા મળી હતી. દિવાલો પર વિવિધ ધાર્મિક કલાકૃતિઓ અને શિલ્પની અદ્ભૂત કોતરણીઓ છે. તેમજ વાવમાં દેવીદેવતાઓની સાથે અપ્સરા અને નાગકન્યાઓની મૂર્તિઓ કંડારવામાં આવી છે. અહીંયા એક નાનો દરવાજો છે, જે સિદ્ધપુર જતા 30 કિમી એક બોગદામાં ખુલે છે. આરબીઆઈએ 2018માં બહાર પાડેલી જાંબલી રગંની 100 રૂપિયાની ચલણી નોટમાં પાછળના ભાગ પર રાણકી વાવ દર્શાવવામાં આવી છે.

3. અમદાવાદ શહેર (2017)

(તસવીર સૌજન્ય: પ્રજ્ઞેશ વ્યાસ)

ઈ.સ 1411માં અહમદશાહે શહેરનો પાયો નાખ્યો હતો. તેણે પોતાના નામ પરથી અહમદાબાદ નામ રાખ્યું હતું, જે બાદમાં અમદાવાદ તરીકે ઓળખાયું. અમદાવાદ દેશનું પ્રથમ હેરિટેજ શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર પહેલા નાની પોળમાં જ સીમીત હતું જે હવે મોટુ મહાનગર બની ગયું છે. અત્યારના અમદાવાદમાં સાંસ્કૃતિક, ધાર્મિક અને આધુનિકતાનો સમન્વય જોવા મળે છે. હેરિટેજ મકાનો, પ્રાચીન ઈમારતો, તળાવ, કુવા, આશ્રમ, કિલ્લો અને ત્રણ દરવાજા તથા ઐતિહાસિક આર્કિટેક્ચરના નમૂના અમદાવાદમાં છે. આ ઉપરાંત પોળમાં હેરિટેજ વોક, રોબોટિક ગેલેરી, સાયન્સ સીટી, માણેક ચોકમાં ગુજરાતી ભોજનની મજા અને ફરવા લાયક સ્થળોનો આનંદ માણવા માટે દેશ વિદેશથી લોકો અહીં આવે છે. એંગ્રેજો માટે ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતં હતું. 2017માં અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.

4. ધોળાવીરા (2021)

(તસવીર સૌજન્ય: યુનેસ્કો વેબસાઈટ/ગુજરાત ટુરિઝમ)

કચ્છના ભચાઉમાં આવેલું ધોળાવીરા પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતું નગર છે. તે સમયે લગભગ પચાસ હજાર લોકો આ નગરમાં રહેતા હોવાનુ અનુમાન છે. મોહેં-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલુંછે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા કહે છે. કોઈ પણ સામાન્ય ગામ જેવું જ લાગતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ ધરબીને બેઠું છે. નગરમાં પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના અને લોકોની જીવનશૈલીને આજે પણ આર્દશ માનવામાં આવે છે. શહેરના અવશેષો 100 હેક્ટરમાં ફેલાયેલા છે. ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનું એક સમૃદ્ધ કેન્દ્ર છે. યુનેસ્કો દ્વારા 2021માં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.

ઐતિહાસિક વારસો અને સંસ્કૃતિની ઓળખ સમા આ સ્થળોને માણવા અને જાણવાની સાથે જાળવવા એ એક જવાબદારી છે.

(નિરાલી કાલાણી)

૧૮ એપ્રિલ, ૨૦૨૪

૧૮ એપ્રિલ, ૨૦૨૪