Home Blog Page 1581

Monsoon Update: વરસાદનું જોર ઘટ્યું, 24 કલાકમાં 108 તાલુકામાં મેઘ મહેર

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી કરી હતી કે, આગામી ચાર દિવસ રાજ્યમાં ફક્ત છુટાછોવાયો વરસાદ નોંધાવાની શક્યતા છે. ત્યારે હાલ ગુજરાતમાં વરસાદનું જોર સામાન્ય ઘટીતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 108 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ વડોદરામાં વરસાદ વરસ્યો હતો.

આગામી ચાર દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ન પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્ય પરની ઓફ શોર ટ્રફ સિસ્ટમ હળવી થતાં સાર્વત્રિક રીતે હળવો વરસાદ વરસી શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતા આગામી ચાર દિવસ માટે નહિવત્ રહેશે. અત્યારસુધીમાં રાજ્યમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સહિતના મોટા ભાગના વિસ્તારોમાં એકધારા પડેલા વરસાદને કારણે ખેડૂતોનાં નિંદામણ સહિતનાં કામો અધૂરાં રહે છે. આ વચ્ચે વરાપ નીકળતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. તો બીજી તરફ અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં આજે છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે, એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યનો સિઝનનો એવરેજ 68.98 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 78.34 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 86.72 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82.95 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 51.51 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 50.73 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વડોદરામાં પોણા ચાર ઈંચ, પાવી જેતપુરમાં, બોરસદ, છોટા ઉદેપુર, જાંબુઘોડામાં બે ઈંચ, બોડેલી, ગોધરા, સુરત શહેર અને પેટલાદમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા.

તમે ભલે સેલિબ્રિટી હોય…રાજ્યસભામાં જયા બચ્ચન પર ભડક્યા સભાપતિ

જયા બચ્ચન આજે રાજ્યસભામાં ફરી ગુસ્સે થયા હતા. ફરી એ જ મુદ્દો – નામ. જ્યારે અધ્યક્ષ જગદીપ ધનખડે તેને ફરીથી જયા અમિતાભ બચ્ચન કહીને બોલાવ્યા તો તે ગુસ્સે થઈ ગયા. જોકે, સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને ગૃહમાં જયા અમિતાભ બચ્ચન તરીકે સ્પીકરને પોતાનો પરિચય આપ્યો હતો.

તસવીર: IANS

જયા બચ્ચન આજે ફરી ગુસ્સે થઈ ગયા

શુક્રવારે રાજ્યસભાની કાર્યવાહી ચાલી રહી હતી. અધ્યક્ષ જગદીપ ધનખડ ચેર પર બેઠા હતા. જ્યારે જયા બચ્ચનનો વારો આવ્યો ત્યારે તેમણે તેમને જયા અમિતાભ બચ્ચન કહીને બોલાવ્યા. બસ, તે ગુસ્સે થઈ ગયા. ગત વખતે ઉપાધ્યક્ષ હરિવંશની સામે તેણીએ સમાજમાં લિંગ ભેદભાવ અને નારીવાદ વિશે વાત કરવાનું શરૂ કર્યું, આ વખતે તેણીએ અધ્યક્ષને બોડી લેંગ્વેજ સમજાવવાનું શરૂ કર્યું. જયાએ કહ્યું,’હું, જયા અમિતાભ બચ્ચન, કહેવા માંગુ છું કે હું એક કલાકાર છું, હું બોડી લેંગ્વેજ સમજું છું અને અભિવ્યક્તિ સમજું છું. સર, મહેરબાની કરીને મને માફ કરો પણ તમારો ટોન સ્વીકાર્ય નથી, આપણે સહકર્મીઓ છીએ સર, મને યાદ છે જ્યારે હું શાળામાં હતી…’

અધ્યક્ષે કહ્યું- એક્ટર પણ ડાયરેક્ટરના કહેવા પર ચાલતા હોય છે

આ દરમિયાન જ અધ્યક્ષે જયાને અટકાવ્યા. તેણે જયાને બેસવા કહ્યું, પણ તે બેસવા રાજી ન થયા. અધ્યક્ષ વારંવાર જયાને પોતાની સીટ પર બેસવાનું કહેતા રહ્યા. જયાના જિદ્દી વલણને જોઈને સત્તાધારી પક્ષે પણ હોબાળો શરૂ કર્યો. ત્યાર બાદ સભાપતિએ કહ્યું કે’હું જાણું છું કે આનો સામનો કેવી રીતે કરવો.’ અધ્યક્ષ પછી જયા બચ્ચન તરફ વળ્યા અને કહ્યું, ‘જયાજી, તમે ખૂબ પ્રતિષ્ઠા હાંસલ કરી છે. તમે જાણો છો કે અભિનેતા પણ નિર્દેશકની સૂચના પર કામ કરે છે. હું અહીંથી જે જોઉં છું તે તમે જોઈ શકતા નથી.’

સભાપતિએ ઉમેર્યુ કે’હું દરરોજ પુનરાવર્તન કરવા માંગતો નથી કે હું તે પ્રકારનો વ્યક્તિ છું જે માર્ગની બહાર જઈને આ બોલતો નથી, પરંતુ તમે મારો ટોન, મારી ભાષા પર ગયા છો. મેં ઘણું ટાળ્યું. ધનખડે કહ્યું,’તમે કોઈ વ્યક્તિ હોઈ શકો છો, તમે સેલિબ્રિટી છો, પરંતુ તમારે શિષ્ટાચાર સમજવો પડશે. હું તેને સહન નહીં કરું. એવું ન વિચારો કે ફક્ત તમારી જ પ્રતિષ્ઠા છે, અહીં જે બેઠા છે તેની પણ પ્રતિષ્ઠા છે.’

શેરોમાં વેચાણો કપાતાં સેન્સેક્સ 820 પોઇન્ટ ઊછળ્યો

અમદાવાદઃ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં વૈશ્વિક સંકેતોને પગલે બજારમાં તેજી થઈ હતી. જેશી સેન્સેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુની તેજી થઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં આશરે 4.42 લાખ કરોડનો વધારો થયો હતો.  અગ્રણી કંપનીઓનાં પ્રોત્સાહક પરિણામોએ શેરોમાં સેન્ટિમેન્ટ તેજીતરફી થયું હતું.

સરકારી બેન્કોમાં હિસ્સો ઘટાડવાનો નિર્ણય હાલપૂરતો ટાળી દેવામાં આવ્યો છે. બેન્કિંગ લો એમેડમેન્ટ બિલમાં હિસ્સાવાશી જોગવાઈમાં કોઈ બદલાવનો પ્રસ્તાવ નથી. આ બિલ લોકસભામાં રજૂ થયું હતું.

BSE સેન્સેક્સ 820 પોઇન્ટ ઊછળી 812 પોઇન્ટ ઊછળીને 79,705.91ના મથાળે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 248 પોઇન્ટ ઊછળીને 24,368ની સપાટીએ બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટી 328 પોઇન્ટ વધીને 50,485 પર બંધ થયો હતો. મિડકેપ 493 પોઇન્ટ વધીને 57,174એ બંધ થયો હતો.

બજારના વિશ્લેષકોનું માનવું છે કે બજારમાં હજી વૈશ્વિક સંકેતોને કારણે 4-5 ટકાનું કરેક્શન આવી શકે છે. બજારમાં નાના-મોટા આંચકા આવતા રહેશે, કેમ કે મિડલ ઇસ્ટમાં સ્થિતિ ખરાબ છે. દેશનાં રાજ્યોમાં પણ આગામી મહિનાઓમાં ચૂંટણી યોજાવાની છે. વળી, હાલ કંપનીઓનાં ત્રિમાસિક પરિણામો પણ પૂરાં થવામાં છે. જેથી બજાર ટૂંકી વધઘટે અથડાઈ જવાની સંભાવના છે.

BSE એક્સચેન્જ પર કુલ 4006 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2332 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1571 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 103 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 247 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 30 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટે પહોંચ્યા હતા.

 

 

 

Opinion: શેખ હસીનાને રાજ્યાશ્રય આપવો કેટલો યોગ્ય?

બાંગ્લાદેશમાં વિરોધની આગે અંતે જ્વાળામુખીનું સ્વરૂપ ધારણ કર્યું. સતત 15 વર્ષના શાસનનો અંત આવો આવશે તેવું ખુદ શેખ હસીનાએ પણ વિચાર્યું નહીં હોય. વિદ્યાર્થીઓના બળવાના કારણે હસીના સરકારને રાતોરાત પોતાની ખુરશી જ નહીં પરંતુ દેશ છોડીને ભાગવું પડ્યું. બાંગ્લાદેશના આ પૂર્વ વડાપ્રધાનની વ્હારે ભારત આવ્યું છે. બાંગ્લાદેશના વડાપ્રધાન તત્કાલ ધોરણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિના હસ્તે સોંપી, સ્વરક્ષણ અર્થ ભારત આવ્યા છે. તો બીજી બાજુ બાંગ્લાદેશ વિવાદ ફાટી નીકળવાથી ભારત પર કેટલીક ગંભીર અસર વર્તાય રહી છે. આ તમામ વિખવાદો વચ્ચે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે. શું ભારતે શેખ હસીનાને આપેલી શરણાગતી યોગ્ય છે કે નહીં?

ભારત સાથે બાંગ્લાદેશના વ્યવહાર છેલ્લાં ઘણાં સમયથી સારા છે. પણ બાંગ્લાદેશને લઈ ભારતની વિદેશ નીતિ શું છે? જાણો, આંતરરાષ્ટ્રીય રાજનીતિને અલગ-અલગ નિષ્ણાંતોનો મતે…

ડૉ. શિરીષ કાશીકર, જાણીતા રાજકીય વિશ્લેષક

ભારતની આસપાસના દેશોમાંથી ભારતના સંબંધ પાકિસ્તાન સાથે વધુ ખરાબ રહ્યા છે. જ્યારે શ્રીલંકા, મ્યાનમાર, બાંગ્લાદેશ સાથે વધુ હુંફાળા સંબંધ કે વધુ મૈત્રીભર્યા સંબંધ નથી, પરંતુ એ દેશ સાથે સારા સંબંધ નિભાવીએ છીએ. જ્યારે હસીના સરકારની વાત થાય તો, આપણા દેશ સાથે શેખ હસીનાના સંબંધ પાછલા ઘણાં વર્ષોથી સારા છે. બાંગ્લાદેશ સરકાર અને ભારત સરકાર વચ્ચે સરહદી વિવાદ પણ હસીના સરકારે ઉકેલ્યો હતો. ભારત સરકારે કોઈ પણ પ્રકારના રાજકીય કારણોસર ભારત આવે તો, દેશ તેમને આવકારે છે. મારા મત પ્રમાણે આ રાજકીય સંબંધ પ્રમાણે શેખ હસીનાને મળેલો આશ્રય ખોટો નથી. સામાન્ય રીતે આંતરાષ્ટ્રીય રાજનીતિમાં બે દેશો વચ્ચેના સંબંધ હોય છે. જ્યારે દેશ સાથે દેશના શાસન કરતા સાથે પણ સારા સંબંધ ટકાવી રાખવા પડતા હોય છે. અને જ્યારે આ પ્રકારના રાજનૈતિક મુદ્દાની વાત આવે ત્યારે બંને દેશોએ એકબીજાને મદદરૂપ બન્યા છે કે નહીં, ઉપરાંત વ્યાપાર વાણિજ્ય પણ દેશના સંબંધોમાં મહત્વની ભૂમિકા ભજવતો હોય છે.

ગૌરાંગ જાની, જાણીતા સમાજ શાસ્ત્રી

માર મત મુજબ શેખ હસીના જ નહીં કોઈ પણ દેશના લોકો આશ્રય માગે તો, ભારતે આપવો જોઈએ. આ અગાઉ પણ કેટલાય લોકોને ભારતે આશ્રય આપ્યો છે. સાથે જ કેટલાક લોકોએ બીજા દેશોમાં આશ્રય લીધો પણ છે. આ એકવીસમી સદીમાં કોઈને પણ આશ્રય આપવો ખોટો નથી. આ નિર્ણયની અલગ-અલગ કેટલી રાજકીય અસરો પણ છે. પણ અહીં પ્રશ્ન એ છે આ નિર્ણયને બાંગ્લાદેશના લોકો કેવી રીતે જોવે છે? હાલના સમયમાં શેખ હસીના સામાન્ય નાગરિક છે. પરંતુ અગાઉ તેઓ એક દેશના પ્રધાનમંત્રી પણ હતા આપણે એ પ્રમાણે જ તેમને જોવા જોઈએ. આપણે ધર્મની દ્રષ્ટિ એ જોઈએ તો પણ આપણે કોઈ પણ લોકોને આશ્રય આપવો જોઈએ. ભારત દેશની વિદેશનીતિ જવાહરલાલ નહેરુના સમયમાં ઘડાયેલી છે. હાલના સમય સુધી આપણે એને માનીએ પણ છીએ. આપણો દેશ હાલના સમય સુધી પણ ‘અહિંસા પરમો ધર્મ’ નીતિ પર ચાલી રહ્યો છે. એ સંદર્ભે પણ આપણે તેમને આવકારવામાં વાંધો ન હોવો જોઈએ.

ડૉ. કલ્પેશ બી.રાવ, કોલેજ પ્રિન્સિપાલ

 

બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ભારતમાં આશય આપવાનો યોગ્ય નિર્ણય કર્યો છે. ભારતે પાડોશી દેશો સાથે સારા સંબંધ રાખવા માટે જે વલણ અપનાવ્યું એ મારી દ્રષ્ટિએ યોગ્ય છે. કેમકે આ અગાઉ સાર્ક દેશનું પ્રતિનિત્વ પણ ભારતે કરેલું છે. શેખ હસીનાને આશય આપવો એ લોકશાહીના જતન માટે બરાબર નિર્ણય છે. ભારતની બાંગ્લાદેશને લઈ વિદેશ નીતિ છે કે ભારત પોતાના પાડોશી દેશોને સાથે લઈ ચાલવા માગે છે. આજ કારણોસર ભારત પાકિસ્તાનથી થોડું અલગ છે. કેમ કે, ભારતની વિદેશનીતિ પાકિસ્તાન સાથે સેટ થઈ રહી નથી. ભારત જે મુલ્યો અને વિદેશ નીતિથી આગળ વધી રહ્યું છે. એ જ નીતિથી આગળ વધી રહેલા દેશોના ભારત સાથે સારા સંબંધ છે. આ વિદેશ નીતિ મારા મત પ્રમાણે યોગ્ય છે.

તરુણ ગોહિલ, નિવૃત્ત આર્મી ઓફિસર

વિદેશીનીતિ સારી રાખવા માટે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રીને ભારતે આશરો આપવો જોઈએ. જ્યારે શેખ હસીનાને આશરો આપવો એ અલગ-અલગ સરકાર પર નિર્ભર છે. હાલની NDA સરકારે આશરો આપી પાડોશી દેશ તરીકે એક સારું કાર્ય કર્યું છે. બાંગ્લાદેશ એક એવો દેશ છે જેની સાથે મિત્રતા રાખવાથી ઘણા ફાયદા થઈ શકે એમ છે. બાંગ્લાદેશમાં અમેરિકા, ભારત સહિતના દેશો મોટા પ્લાન્ટ નાખવા માગે છે. જ્યારે મારા મત પ્રમાણે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને આશ્રય આપવોએ માનવતાની દ્રષ્ટિએ સારી વાત છે.

મેહુલ વખારિયા, વકીલ

આમ તો બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના ભારત આવતા પહેલાં પોતાના પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી ચૂક્યા હતા. જેથી તેઓ બાંગ્લાદેશના સામાન્ય નાગરિક તરીકે આવ્યા ગણાય. સામાન્ય રીતે લગભગ ભારતમાં કોઈ પણ દેશના નાગરિકને પ્રવાસ માટે 180 દિવસના વિઝા આપવામાં આવતા હોય છે. એટલે મારું એવું માનવું છે કે, એ જ રીતે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રીને પણ સામાન્ય વિઝા પર શરણાગતી આપવામાં આવી હશે. આમ તો તેઓ હવે પ્રધાનમંત્રી રહ્યા નથી. પરંતુ ભારત અને બાંગ્લાદેશના સંબંધ છેલ્લાં ઘણા વર્ષોથી સારા છે. આ સારા સંબંધોના કારણે તેમને ભારતમાં રક્ષણ આપવામાં આવ્યું છે, એવું મારું માનવું છે. પરંતુ શેખ હસીનાને ભારતના કાયદા પ્રમાણે રાજદ્વારી સંરક્ષણ ના મળી શકે.

(તેજસ રાજપરા – અમદાવાદ)

રાજ્યસભામાં વિપક્ષ સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની શક્યતા

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર જારી છે, જે ઘણું વધારે હંગામાવાળું રહ્યું છે. એ દરમ્યાન સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે તીખો વિચારવિમર્શ થયો જોવા મળ્યો હતો. જોકે સંસદનાં બંને ગૃહો સાંજે પાંચ વાગ્યે સ્થગિત થાય એવી શક્યતા છે. જોકે સંસદનું ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલવાનું છે.

રાજ્યસભામાં સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પણ વિપક્ષ લાવે એવી શક્યતા છે. જગદીપ ધનખડેની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ માટે 14 દિવસોની નોટિસ આપવી પડે છે. જગદીપ ધનખડેની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ માટે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના રૂમમાં સાંસદોના હસ્તાક્ષર કરાવવામાં આવી રહ્યા છે.

રાજ્યસભામાં શુક્રવારે કાર્યવાહી દરમ્યાન સભાપતિ જગદીપ ધનખડે SP સાંસદ જયા બચ્ચન પર ભડકી ગયા હતા. તેમણે જયા બચ્ચન પર ટિપ્પણી કરી હતી કે આ પ્રકારના નિવેદનને તેઓ બિલકુલ સાંખી નહીં લે. સંસદની કાર્યવાહી દરમ્યાન જયા બચ્ચને સભાપતિ ધનખડેના ટોન પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તમારો ટોન ઠીક નથી. તેમણે કહ્યું હતું કે હું એક કલાકાર છું. બોડી લેંગવેજ સમજું છું. એક્સપ્રેશન સમજું છું. સર, મને માફ કરજો, પણ તમારો ટોન ઠીક નથી, એ સ્વીકાર્ય નથી. આપણ સહ કર્મચારી છીએ. ભલે, તમે સભાપતિની ખુરશી પર બેઠા છો. જયા બચ્ચનની આ ટિપ્પણી પર ધનખડે ભડકી ગયા હતા. જેથી જયા બચ્ચને માફીની માગ કરી હતી.

જયા બચ્ચન પર સભાપતિ ધનખડના ભડકવા પર વિરોધ પક્ષોના સાંસદોએ હંગામો શરૂ કર્યો હતો. વિપક્ષના સાંસદોએ કહ્યું હતું કે તેઓ (જયા બચ્ચન) સંસદનાં સિનિયર સભ્ય છે. તમે તેમને સેલિબ્રિટી કેવી રીતે કહી શકો છો. એ દરમ્યાન વિપક્ષના સાંસદોએ દાદાગીરી નહીં ચાલે જેવો સૂત્રોચ્ચાર કર્યો હતો અને સંસદમાંથી વોકઆઉટ પણ કર્યો હતો.

VIDEO: ભાષણની વચ્ચે જ રડવા લાગ્યા આ મહિલા નેતા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે. સિસોદિયાને જામીન મળ્યાની ખુશીમાં દિલ્હીના મંત્રી આતિશી ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે આજે સત્યની જીત થઈ છે. દિલ્હીના વિદ્યાર્થીઓનો વિજય થયો છે. સિસોદિયને જેલમાં ધકેલી દેવામાં આવ્યા, ગરીબ બાળકોને સારું શિક્ષણ આપવાનું પરિણામ!

સિસોદિયાને જામીન મળતા જ આતિશી ભાવુક થઈ ગઈ

મંત્રી આતિશીએ કહ્યું કે દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિના પિતા મનીષ સિસોદિયાને ખોટા કેસમાં ફસાવીને 17 મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. આટલું કહીને આતિષી રડવા લાગ્યા. દિલ્હીના મંત્રીએ કહ્યું કે આજે સત્યની જીત થઈ છે. દિલ્હીનું શિક્ષણ જીત્યું. દિલ્હીના બાળકો જીત્યા.

આતિશીએ સિસોદિયાના વખાણ કર્યા

આતિશીએ કહ્યું કે મનીષ સિસોદિયાએ દિલ્હીના બાળકોને સુંદર ભવિષ્ય આપ્યું. આજે અમે ખુશ છીએ કે સિસોદિયાને જામીન મળ્યા છે. ટૂંક સમયમાં એવો સમય આવશે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બહાર આવશે.

ગોપાલ રાયે પણ ખુશી વ્યક્ત કરી હતી

દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે કહ્યું કે આજનો દિવસ સમગ્ર દિલ્હી અને દેશના લોકો માટે ખુશીનો દિવસ છે. મનીષ સિસોદિયાએ જે રીતે સમગ્ર દેશમાં શિક્ષણ ક્રાંતિનો રોલ મોડલ સ્થાપિત કર્યો, પરંતુ સરકારે તેમને 17 મહિના સુધી કોઈ પુરાવા વિના જેલમાં રાખ્યા. આજે સત્યની જીત થઈ છે. અમે બધા સુપ્રીમ કોર્ટનો આભાર માનીએ છીએ.

ભારત શેખ હસીનાને મદદ કરશે તો સહયોગ નહીં: BNP

નવી દિલ્હીઃ શેખ હસીનાની અવામી લીગ પાર્ટીની મુખ્ય પ્રતિદ્વંદ્વી બંગલાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) ઢાકાથી ભાગીને ભારત પહોંચતાં સ્પષ્ટ રીતે નારાજ છે. વયોવૃદ્ધ BNP પદાધિકારી ગાયેશ્વર રોયે 1991માં BNPના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી હતા અને પાર્ટીના સ્થાયી સમિતિના સભ્ય છે. તેમણે જણાવ્યું હતું કે BNPનું માનવું છે કે બંગલાદેશ અને ભારતને આપસી સહયોગ કરવો જોઈએ. ભારત સરકારે એ ભાવનાને સમજવી પડશે અને એ ભાવનાનું અનુરૂપ વ્યવહાર કરવો પડશે.

જો તમે શત્રુની મદદ કરશો અને પરસ્પર સહયોગનું સન્માનની અપેક્ષા રાખશો તો મુશ્કેલી થશે. અમારા ભૂતપૂર્વ વિદેશ મંત્રી (હસીના સરકારમાં)એ ગઈ ચૂંટણી પહેલાં એ કહ્યું હતું કે ભારત શેખ હસીનાની ઓફિસમાં વાપસીમાં મદદ કરશે. શેખ હસીનાનો ખર્ચ ભારત ઉઠાવી રહ્યું છે. ભારતીય અને બંગલાદેશના લોકોને એકબીજાથી કોઈ મુશ્કેલી નથી.

BNPને ભારતવિરોધી પૂર્વગ્રહવાળી પાર્ટી માનવામાં આવે છે. આ સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે શું ભારતે એક પાર્ટીને પ્રોત્સાહન આપવું જોઈએ, પૂરા દેશને નહીં? હિન્દુઓ પર કથિત હુમલાના અહેવાલો અને BNPના અલ્પસંખ્યક વિરોધી હોવાની ધારણા વિશે પૂછવામાં આવતાં રોયે કહ્યું હતું કે એવી ધારણા બનાવવામાં આવી છે કે BNP હિન્દુવિરોધી છે. BNP બંગલાદેશમાં વિવિધ સમાજોના લોકોથી બની છે અને બધા ધર્મો માટે ઊભી છે.

ભારતે અમને આઝાદી અપાવવામાં મદદ કરી છે, એટલે મેં ભારતની વિરુદ્ધ ના થઈએ. અમારે અમારા દેશવાસીઓ માટેમ મેડિકલ સુવિધાઓ, અન્ય માલસામાન માટે ભારતની આવશ્યકતા છે, એમ રોયે કહ્યું હતું.

“જ્યારે તેમને વોટ જોઈએ છે, ત્યારે તેઓ મુસ્લિમો પાસે આવે છે”

મુંબઈ: કેન્દ્રની મોદી સરકારે બુધવારે વક્ફ બોર્ડ એક્ટમાં ફેરફાર કરવા માટે એક સંશોધન બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. આ બિલને લઈને સંસદમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષે સર્વસંમતિથી આ બિલનો વિરોધ કર્યો, જ્યારે શાસક પક્ષ તરફથી લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે આ બિલ લાવવાની જરૂર કેમ પડી? જ્યારે વક્ફ બોર્ડ સંશોધન બિલ સંસદમાં લાવવામાં આવ્યું હતું, ત્યારે ઉદ્ધવ જૂથના તમામ 9 લોકસભા સાંસદો ગૃહમાંથી ગાયબ હતા. AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે આ અંગે નિવેદન આપ્યું છે.

“મુસ્લિમો ઉદ્ધવને જવાબ આપશે”

વારિસ પઠાણે કહ્યું,”જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ઉદ્ધવને મુસ્લિમ મતોની જરૂર હતી. મોટી સંખ્યામાં મુસ્લિમોએ તેમને મત આપ્યો, પરંતુ જ્યારે કેન્દ્ર સરકાર આ બિલ દ્વારા મુસ્લિમો પાસેથી વકફની જમીન છીનવી લેવા માંગે છે, ત્યારે ઉદ્ધવના સાંસદો ગાયબ હતા.” તેમણે કહ્યું,”મહારાષ્ટ્રના મુસ્લિમો બધુ જોઈ રહ્યા છે. જ્યારે તેઓ વોટ માંગે છે, ત્યારે તેઓ મુસ્લિમો પાસે વોટ માંગવા આવે છે, પરંતુ જ્યારે કેન્દ્ર સરકાર તેમના અધિકારો છીનવી રહી છે ત્યારે તેઓ ગુમ થઈ રહ્યા છે. મુસ્લિમો આગામી સમયમાં ઉદ્ધવને જવાબ આપશે. વિધાનસભા ચૂંટણી આપશે, દરેક વસ્તુનો હિસાબ થશે.”

બિલ જેપીસીને મોકલ્યું

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ગુરુવારે વકફ એમેન્ડમેન્ટ બિલ-2024 સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યું હતું. અગાઉ કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજજુ દ્વારા લોકસભામાં તેને રજૂ કરવામાં આવ્યું હતું. ચર્ચા દરમિયાન તેમણે બિલને જેપીસીને મોકલવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. આ બિલનો કોંગ્રેસ, SP, NCP (શરદ પવાર), AIMIM, TMC, CPI(M), IUML, DMK, RSP દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે વકફ પ્રોપર્ટી જાહેર મિલકત નથી. વકફ પ્રોપર્ટી એટલે મસ્જિદ અને દરગાહની જગ્યા. સરકાર કહી રહી છે કે અમે મહિલાઓને સભ્ય બનાવીશું. શું તેઓ બિલકીસ બાનોને સભ્ય બનાવશે, આ સરકાર મુસ્લિમોની દુશ્મન છે.

સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને લિકર પોલિસીમાં જામીન આપ્યા

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર નીતિ કેસમાં આપ નેતા મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની ખંડપીઠે દિલ્હીના ભૂતપૂર્વ ઉપ CMને CBI અને ED દ્વારા નોંધાયેલા કેસોમાં જામીન આપી દીધા છે. જોકે કોર્ટે શરતો લાદી છે અને તેમને પાસપોર્ટ સરેન્ડર કરવા અને સાક્ષીઓને પ્રભાવિત ન કરવા નિર્દેશ આપ્યો. હવે સિસોદિયા 17 મહિના પછી જેલમાંથી બહાર આવશે.

સિસોદિયાને રૂ. બે લાખના જામીન બોન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને દરેક સોમવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા જણાવ્યું છે. દિલ્હીના પૂર્વ ઉપ CM સિસોદિયાને એક્સાઈઝ પોલિસી કેસમાં 17 મહિના જેલમાં વિતાવ્યા બાદ જામીન મળી ગયા છે. સિસોદિયાને જામીન આપતાં કોર્ટે કહ્યું હતું કે જામીનના મામલે હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટ સુરક્ષિત રમી રહ્યા છે. સજા તરીકે જામીન નકારી શકાય નહીં. હવે સમય આવી ગયો છે કે અદાલતો સમજે કે જામીન એ નિયમ છે અને જેલ એક અપવાદ છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સિસોદિયાને લાંબા સમય સુધી જેલમાં રખાયા છે. કોઈ પણ પ્રકારની સજા વિના કોઈને આટલા લાંબા સમય સુધી જેલમાં રાખી ન શકાય. કોર્ટે કહ્યું હતું કે અમે સિસોદિયાને નીચલી કોર્ટ પછી હાઈકોર્ટ જવા કહ્યું હતું અને તેના પછી જ સુપ્રીમ કોર્ટમાં આવવા કહ્યું હતું. તેમણે બંને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના પછી તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

મનીષ સોસિદિયાની દિલ્હી લિકર પોલિસી 2021-22ની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર કરવાના આરોપમાં 26મી ફેબ્રુઆરી 2023માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ધરપકડ કરી હતી.

 

‘મારા પર ચડશો નહીં, તમે મને ડરાવી રહ્યાં છો’

મુંબઈ: આ દિવસોમાં તાપસી પન્નુ તેની આગામી ફિલ્મ ‘ફિર આયી હસીન દિલરૂબા’ને લઈને સતત ચર્ચામાં છે. આ ફિલ્મ 2021ની રોમેન્ટિક થ્રિલર ‘હસીન દિલરૂબા’ની સિક્વલ છે, જે આજે રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મની રિલીઝ પહેલા ગઈ કાલે રાત્રે તેનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું, જ્યાં ફિલ્મના મુખ્ય કલાકારો વિક્રાંત મેસી, તાપસી પન્નુ, સની કૌશલ અને જીમી શેરગિલ પહોંચ્યા હતા.

આ સિવાય સનીનો મોટો ભાઈ વિકી કૌશલ તેના માતા-પિતા શામ કૌશલ, વીણા કૌશલ સાથે ઈવેન્ટમાં સામેલ થયો હતો. આ દરમિયાનની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં ઈવેન્ટમાં આવેલા સ્ટાર્સના અલગ-અલગ લુક જોવા મળ્યા હતા.

તાપસી પાપારાઝી પર ગુસ્સે

જો આ ઈવેન્ટમાં પહોંચેલી ફિલ્મની બ્યુટી દિલરૂબાના લુકની વાત કરીએ તો તે બ્લેક અને રેડ કલરના સુંદર આઉટફિટમાં જોવા મળી હતી. તાપસીએ તેના બ્લેક અને રેડ કલરના સ્ટાઈલિશ ડ્રેસમાં સૌનું ધ્યાન ખ્ંચ્યુ હતું. આ લુકમાં તે ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ આ ઈવેન્ટ દરમિયાન તાપસી સાથે કંઈક એવું થયું કે તે ગુસ્સામાં લાલઘુમ થઈ ગઈ હતી. તો વાત એમ છે કે સ્ક્રિનિંગ સમાપ્ત થયા પછી જ્યારે તાપસી ત્યાંથી તેની કાર તરફ જતી હતી, ત્યારે પાપારાઝી વચ્ચે તેની તસવીરો ક્લિક કરવાના પ્રયાસમાં ધક્કા મુક્કી કરી રહ્યાં હતાં. આ જોઈને તાપસી ગુસ્સે થઈ ગઈ હતી. આ સમયગાળાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પાપારાઝી પર પોતાનો ગુસ્સો કાઢતી જોવા મળી રહી છે. તે કહેતી જોવા મળે છે – ‘મારા પર ચઢશો નહીં, તમે આ કરીને મને ડરાવી રહ્યા છો.’ આ પછી ત્યાં હાજર અન્ય પેપ્સ કહેવા લાગ્યા કે તેણીએ મેડમને સોરી કહેવું જોઈએ. આ સાંભળીને તે પેપ્સ એક્ટ્રેસને સોરી કહેવા લાગે છે. બાદમાં તાપસી તરત કારમાં બેસી જાય છે. હવે તાપસીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો તાપસીની મજાક પણ ઉડાવી રહ્યા છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રી આ રીતે પેપ્સ પર ગુસ્સે થતી જોવા મળી હોય.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

ફિલ્મ સંબંધિત માહિતી

તાપસીની ફિલ્મ ‘ફિર આયી હસીન દિલરૂબા’ આજે 9 ઓગસ્ટના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ફિલ્મનું દિગ્દર્શન જયપ્રદ દેસાઈએ કર્યુ છે. તેની વાર્તા કનિકા ધિલ્લોને લખી છે. ‘ફિર આયી હસીન દિલરૂબા’નું નિર્માણ આનંદ એલ રાય, હિમાંશુ શર્મા, ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ કનિકા ધિલ્લોન અને શિવ ચન્ના દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2021માં ‘હસીન દિલરૂબા’ નામથી રિલીઝ થયો હતો, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. રાની અને રિશુની લવસ્ટોરી ફરી એકવાર દર્શકોને ડરાવવા અને મનોરંજન કરવા માટે તૈયાર છે. ફિલ્મમાં તાપસી સિવાય સની કૌશલ અભિમન્યુના રોલમાં અને જીમી શેરગિલ મૃત્યુંજયના રોલમાં જોવા મળશે.