Home Blog Page 1580

જાણો આજે ક્યા જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે યલો એલર્ટ!

અમદાવાદ: રાજ્યમાં બે દિવસથી પડી રહેલ સામાન્ય વરસાદ બાદ હવે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટેની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ સાથે આગામી સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક મોન્સૂન ટ્રફના કારણે આજે અને કાલે બે દિવસ ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત આગામી સાત દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.શનિવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

VIDEO: બ્રાઝિલમાં વિમાન ક્રેશ થતાં તમામ 62 મુસાફરોના મોત

બ્રાઝિલ: એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. સ્થાનિક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ શુક્રવારે 62 લોકોને લઈને જઈ રહેલું વિમાન ક્રેશ થઈ ગયું. દુર્ઘટનાસ્થળે હાજર સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે બ્રાઝિલના સાઓ પાઉલો નજીક 62 લોકોને લઈ જતું ક્ષેત્રીય ટર્બોપ્રોપ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.  બ્રાઝિલના વિનહેડોમાં હૈયું કંપાવનરી દુર્ઘટનાના સોશિયલ મીડિયામાં પ્લેન ક્રેશના વીડિયો પણ વાઇરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અનિયંત્રિત વિમાન જમીન પર પડી જાય છે. ઘટનાની જાણ થતાં જ બચાવકર્મીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા.

આ વિમાન વોએપાસ લિનહાસ એરિયાઝ નામની એરલાઇન કંપની દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું હતું. વિમાન પરાના રાજ્યથી સાઓ પાઉલો જઈ રહ્યું હતું. વિન્હેડો નજીક આવેલા વેલિનહોસ શહેરના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં કોઈ જીવીત બચ્યું નથી અને સ્થાનિક કોન્ડોમિનિયમ પરીસરમાં આવેલું એક મકાન પણ આ વિમાન દુર્ઘટનાની લપેટમાં આવી ગયું હતું. 

એરલાઇન વોપાસે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે સાઓ પાઉલોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ગ્વારુલહોલ માટે ઉડાન ભરનારું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. જેમાં 58 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સના સભ્યો હતા. જોકે હજુ સુધી આ વિમાન દુર્ઘટના કેમ સર્જાઈ તેનું કારણ સામે આવી શક્યું નથી.

રેસલર અમન સેહરાવતે 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

પેરિસ: 57 kg કેટેગરીમાં ભારતના રેસલર અમન સહરાવતે રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પ્યુર્ટો રિકોના ડારિયન ક્રૂઝને 13-5થી ધોબી પછાડ આપી અમને દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે જ ભારતના ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી કુલ છ મેડલ જીત્યા છે જેમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સામેલ છે. અમન સહરાવત સેમિ ફાઇનલ મેચમાં જાપાનના રી હીગુચી સામે 0-10થી હારનો સામનો કરવો પડ્યો હતો. માત્ર બે મિનિટ 14 સેકન્ડમાં જ મુકાબલો સમાપ્ત થઈ ગયો હતો.પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય કુસ્તીબાજો માટે હાલમાં વજન જાળવવું સૌથી મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે. વિનેશ ફોગાટ બાદ હવે અમન સેહરાવતનો બીજો કેસ સામે આવ્યો છે. અમાને શુક્રવારે 57 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું, પરંતુ આ મેડલ જીતતા પહેલા તેને રાતોરાત તેનું વજન ઓછું કરવું પડ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે સેમિફાઇનલ મેચ હાર્યા બાદ અમન સેહરાવતનું વજન 4.6 કિલો વધી ગયું હતું, જેને તેણે પોતાના કોચ સાથે મળીને માત્ર 10 કલાકમાં ઘટાડ્યું હતું. બ્રોન્ઝ મેડલ મેચ પહેલા અમન આખી રાત ઉંઘ્યો ન હતો.અમન સેહરાવતે શુક્રવારે 9 ઓગસ્ટના રોજ ડેરિયન ટોઇ ક્રુઝને 13-5થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે અમન વ્યક્તિગત ઈવેન્ટમાં ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનારો સૌથી યુવા એથ્લેટ બની ગયો છે.

પનીર ચિલી ફ્લેક્સ બોલ્સ્

પનીર ચિલી ફ્લેક્સ બોલ્સ્ એક બહુ જ સ્વાસ્થ્યવર્ધક નાસ્તો છે. જે બહુ જ ઝડપથી બની જાય છે. ચિલી ફ્લેક્સ તેમજ ઓરેગેનોના સ્વાદને લીધે આ નાસ્તો બાળકોને બહુ પ્રિય થઈ રહેશે!

સામગ્રીઃ

  • પનીર 1 કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • રેડ ચિલી ફ્લેક્સ 2 ટે.સ્પૂન
  • ઓરેગેનો 1 ટે.સ્પૂન

રીતઃ પનીરના ઝીણા ટુકડા કરી રાખો. એક પેનને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં ઝીણું કરેલું પનીર 2-3 મિનિટ ગરમ કરી લો અને એક બાઉલમાં કાઢી લો.

આ પનીરમાં થોડું મીઠું સ્વાદ પ્રમાણે મેળવીને તેને લોટની જેમ બાંધી દો. તેમાંથી નાના 1 ઈંચના ગોળા વાળી લો. એક પ્લેટમાં ચિલી ફ્લેક્સ અને ઓરેગેનો લઈ લો. તેમાં પનીરના ગોળા રોળવી લો.

તૈયાર થયેલા પનીર ચિલી ફ્લેક્સ બોલ્સ્ ફ્રીજમાં 1-2 કલાક માટે રાખો. ત્યારબાદ ટોમેટો કેચ-અપ અથવા અન્ય ભાવતા સોસ સાથે પીરસો.

રાશિ ભવિષ્ય 10/08/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 10/08/2024

બંગલાદેશ બોર્ડર પર ભારત આવવા માટે સેંકડો હિન્દુઓની ભીડ

નવી દિલ્હીઃ બંગલાદેશની સ્થિતિથી ભારત બહુ ચિંતિત છે. શેખ હસીના સરકાર તૂટી પડ્યા પછી હિન્દુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મોટી સંખ્યામાં હિન્દુ બંગલાદેશ છોડીને ભારત આવવા ઇચ્છે છે. સોશિયલ મિડિયા પર એક વિડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ભારત-બંગલાદેશ બોર્ડર પર સેંકડો લોકોની ભીડ જોવા મળી રહી છે.

પશ્ચિમ બંગાળના કૂચ બિહારના સીતલકૂચીમાં પઠાણટુલી સ્થિત ઇન્ડિયા બંગલાદેશ બોર્ડરે મોટી સંખ્યામાં લોકો જમા છે. એને ઝીરો પોઇન્ટ પર BSF દ્વારા અટકાવવામાં આવ્યા છે. આ વિડિયોમાં ભારતીય જવાનોથી બોર્ડર ક્રોસ કરવાની દેવાની આજીજી કરતા માલૂમ પડે છે. આ વિડિયોમાં બંગલાદેશના હિન્દુઓ કહી રહ્યા છે કે ‘ભારત સરકાર દરવાજા ખોલો’ના નારા લગાવી રહ્યા છે.

બંગલાદેશના ટુરિસ્ટ વિસા પર ભારત આવેલા પર્યટકોએ ત્યાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓની વાત માની હતી. બંગલાદેશના નિલ્ફામેરીથી ભારત આવેલા સાઝિયા સુલતાનાએ જણાવ્યું હતું કે ત્યાં અલ્પસંખ્યકો પર હુમલા થઈ રહ્યા છે.બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આ મુદ્દે સમિતિની રચના કરી છે. આ હુમલાઓ અંગે આ સમિતિ સમીક્ષા કરશે. આટલું જ નહીં, હિન્દુઓ તથા લઘુમતીઓની સુરક્ષા મામલે ગૃહ મંત્રાલય બંગલાદેશની વચગાળાની સરકાર સાથે સીધો સંવાદ કરશે. આ સમિતિ ભારત બંગલાદેશની સરહદની પરિસ્થિતિ પર પણ નજર રાખશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X  પર પોસ્ટ કરીને મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા છે. એ સાથે-સાથે તેમણે હિન્દુઓની સુરક્ષાને લઈને સરકારને આડકતરી ટકોર કરી છે. PM મોદીએ કહ્યું છે કે પ્રોફેસર મોહમ્મદ યુનુસને તેમની નવી જવાબદારી બદલ શુભકામનાઑ. આશા રાખું છું કે જલ્દી જ સ્થિતિ સામાન્ય થશે અને હિન્દુઓ તથા અન્ય તમામ લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે ભારત બંગલાદેશ સાથે મળીને કામ કરવા તૈયાર છે.

 

નામને લઈ શું સાસુ-વહુની વિચારસરણી એકસરખી છે?

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ અને સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન ઘણા દિવસોથી હેડલાઈન્સમાં છે. લોકસભા સત્રની મધ્યમાં તે વારંવાર ગુસ્સે થઈ રહ્યાં છે. આજે ફરી તે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડના બોલવાના ટોન પર નારાજ થયા. પછી શું, જગદીપ ધનખડેએ પણ બોલવાનું શરૂ કર્યુ અને જયા બચ્ચન પર ભડકી ગયા. જોકે, રાજ્યસભામાંથી બહાર આવ્યા પછી પણ અભિનેત્રીએ એ જ કહ્યું કે જગદીપ ધનખડેનો બોલવાનો ટોન યોગ્ય નહોતો. અગાઉ પણ, અભિનેત્રીએ રાજ્યસભામાં જયા અમિતાભ બચ્ચન તરીકે સંબોધિત થતાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હવે આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બચ્ચન સરનેમ પર પોતાની પ્રતિક્રિયા આપી રહી છે. વીડિયો જોઈને લોકો ઐશ્વર્યાની સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે, પરંતુ લોકો એવું પણ કહે છે કે તેની વિચારસરણી પણ તેની સાસુ સાથે મેળ ખાય છે.

ઐશ્વર્યા રાયની પ્રતિક્રિયા

વાયરલ થઈ રહેલો વીડિયો એક ઈન્ટરવ્યુમાંથી લેવામાં આવ્યો છે. ઐશ્વર્યા અને અભિષેકના લગ્નના થોડા સમય બાદ થયેલી આ વાતચીતમાં અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે શું હવે ‘ઐશ્વર્યા રાય બચ્ચન’ તેનું સત્તાવાર નામ છે? ઐશ્વર્યાએ આ પ્રશ્નને ખૂબ જ સહજતાથી સંભાળ્યો અને ખૂબ જ સુંદરતાથી હસતાં તેણે કહ્યું,’હે ભગવાન! હાય અનુ, બસ એ જ રીતે ઐશ્વર્યા, એ જ નામથી તમે મને અગાઉ ઓળખતા હતા. વાત અહીં પુરી નથી થતી, તેને ફરી પૂછવામાં આવ્યું કે શું માત્ર ઐશ્વર્યા રાય બચ્ચન છે કે માત્ર ઐશ્વર્યા બચ્ચન. ફરી તે આ સવાલનો જવાબ પહેલાની જેમ જ ધીરજ સાથે આપે છે અને કહે છે કે, પ્રોફેશનલ ગ્રાઉન્ડ પર નામ માત્ર ઐશ્વર્યા રાયનું છે. મેં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા છે, તેથી દેખીતી રીતે તે ઐશ્વર્યા બચ્ચન જ હોવી જોઈએ, તેથી તમે જે યોગ્ય લાગે તે કહી શકો.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya🫅🤍 (@aishwaryamylight)

શું કહે છે નેટીઝન્સ?

ઐશ્વર્યાનો આ વીડિયો જોયા બાદ લોકો તેની તુલના તેના સાસુ સાથે કરી રહ્યા છે, જેઓ સંસદમાં તેના નામ સાથે અમિતાભ બચ્ચનનું નામ જોડવામાં આવતાં નારાજ થઈ ગયા હતા અને આવું એક વખત પણ થયું નથી, તે વારંવાર આ મુદ્દો ઉઠાવતા જોવા મળ્યા હતા. વીડિયો જોયા બાદ એક વ્યક્તિએ લખ્યું,’ઐશ્વર્યા હંમેશા નમ્ર અને ડાઉન ટુ અર્થ રહી છે.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘તેનો જવાબ પણ તેની સાસુ જેવો જ હતો પણ નમ્રતાથી.’ જ્યારે એક યુઝરે લખ્યું કે,’ઐશ્વર્યા પહેલી એવી સેલિબ્રિટી હતી જેણે પોતાના પતિની સરનેમ પહેલા સરનેમ લગાવવાનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો.’

જયા બચ્ચનનો સંસદ કેસ કેવી રીતે શરૂ થયો

નોંધનીય છે કે જયા બચ્ચન રાજ્યસભાના અધ્યક્ષ સાથે પહેલા પણ ટકરાયા છે. સાથે જ તે ઉપાધ્યક્ષ હરિવંશ સદન પર પણ નારાજ થયા. હરિવંશે જયા બચ્ચનને તેના પૂરા નામ (જયા અમિતાભ બચ્ચન)થી સંબોધ્યા હતા. જયા બચ્ચને આ અંગે વાંધો વ્યક્ત કરતા કહ્યું કે આજના સમયમાં મહિલાઓને તેમના પતિના નામથી ઓળખવામાં આવે છે, જાણે સ્ત્રીની પોતાની કોઈ ઓળખ જ નથી. તેના પર હરિવંશે સ્પષ્ટતા કરી હતી કે જયાએ પોતાના દમ પર નામ કમાવ્યું છે પણ તેણે તેને તે જ નામથી બોલાવ્યા જે સત્તાવાર રીતે પેપરમાં નોંધાયેલ છે. આ મામલો અહીંથી શરૂ થયો અને ત્રણ વખત રાજ્યસભા સુધી ગયો.

ઐશ્વર્યા અને અભિષેકના સંબંધોને લઈને ચર્ચા

ઐશ્વર્યા રાયની વાત કરીએ તો તે પણ આ દિવસોમાં ચર્ચામાં છે. સતત એવી અફવાઓ બહાર આવી રહી છે કે તેણી અને અભિષેક બચ્ચન વચ્ચે કંઈ જ બરાબર નથી. ઐશ્વર્યા બચ્ચન અંબાણી પરિવારના લગ્નમાં તેની પુત્રી સાથે આવી હતી, જે પરિવારથી અલગ જોવા મળી હતી. આ દરમિયાન અભિષેક બચ્ચને પણ છૂટાછેડા સાથે જોડાયેલી એક પોસ્ટ લાઈક કરી હતી. અલગ થવાની અફવાઓ પર હાલમાં બંને તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

તહેવારોની સિઝનના ઘસારાને લઈ GSRTCની વધારે બસો દોડશે

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. લોકો પોતાના માદરે વનત તહેવારોની ઉજવણી અર્થે જતા હોય છે. રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારોને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તારીખ 24થી 28મી ઓગસ્ટ દરમિયાન રેસકોર્સમાં આવેલા મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. આ ઉપરાંત અન્ય મેળાઓ પણ સૌરાષ્ટ્રમાં યોજાવાના છે. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો એસટીની મુસાફરીનો વધુ લાભ લેશે. કારણ કે, આ સમયે ખાનગી બસોનાં ભાડાં બમણાં થઈ જશે. જેથી રાજકોટ એસટી ડિવિઝન દ્વારા રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર ડેપોમાં એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. જેથી મજૂરવર્ગ સહિતના મુસાફરો સસ્તી અને સલામત એસટીની મુસાફરી કરી શકશે.

જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને આગળની સમયમાં 50થી વધુ એક્સ્ટ્રા બસો શરૂ કરવામાં આવશે. જેમાં રાજકોટથી અમદાવાદ, સોમનાથ, દ્વારકા, ભુજ અને ભાવનગર એમ તમામ સ્થળોએ મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને વધારાની બસો સાતમ અને આઠમના તહેવારોમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત મુસાફરોની જે કોઈ પણ ડિમાન્ડ છે તે અમારા સુધી પહોંચશે તો ત્યાં જતા રૂટની બસ શરૂ કરી દેવામાં આવશે. રાજકોટ શહેરમાં બાંઘકામ સાઈટ, ખાણીપીણી સહિતમાં યુપી, બિહારના લોકો કામ કરતા હોય છે. આ ઉપરાંત સોની બજારમાં બંગાળી કારીગરો કામ કરે છે તો ગોધરા-દાહોદના મજૂરો અહીં રહે છે અને પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે. સાથે જ અમરેલીના લોકો સુરતમાં હીરા ઘસવાનું કામ કરે છે. આ તમામ લોકો પોતાના વતન તરફ જવા માટે એસટી બસની સસ્તી સવારી કરતા હોય છે. ત્યારે આ લોકોને એસટી બસોમાં ભીડનો સામનો કરવો ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. જોકે, તેમાં મુસાફરો પાસેથી સવા ગણું ભાડું વસૂલવામાં આવે છે.

જે.પી. નડ્ડા શનિવારે રાજકોટમાં તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવશે

રાજકોટ: આઝાદીના અમૃત મહોત્સવના અનુસંધાને સ્થાનિક વહીવટી તંત્રની સાથે રહીને ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું વિવિધ શહેરોમાં આયોજન કરાયું છે. શનિવારે સવારે 9 કલાકે રાજકોટમાં તિરંગા યાત્રાને કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પ્રસ્થાન કરાવશે. આ યાત્રા રાજકોટના વિવિધ માર્ગો ઉપર ફરીને જયુબેલી બાગ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પૂરી થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ રાજકોટમાં આ યાત્રામાં જોડાશે.પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ડૉ. ભરત બોઘરએ યાત્રાના આયોજન અંગે શુક્રવારે રાજકોટમાં પત્રકારોને જણાવ્યું હતું કે , શહીદોને સલામી આપવા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓ આ યાત્રામાં હાજર રહેશે. આ ઉપરાંત રાજકોટની તમામ શાળાઓ, કોલેજ અને સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાશે. બહુમાળી ભવન ખાતે સવારે 9 વાગ્યે યાત્રાના પ્રસ્થાનનો કાર્યક્રમ યોજાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્યો, આગેવાનો અને રાજકોટના 1 લાખથી વધુ લોકો યાત્રામાં જોડાશે.ડૉ. ભરત બોઘરએ જણાવ્યું હતું કે, આ તિરંગા યાત્રા એ રાજકીય નથી. કોઈ પણ વ્યક્તિ કે પક્ષના કાર્યકરો તેમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ જે ન્યાય યાત્રા કાઢી રહી છે એ રાજકીય છે. તેમનો એજન્ડા ન્યાય યાત્રા પાછળનો રાજકીય છે. કોંગ્રેસના શાસનમાં ગુજરાતના સામાન્ય લોકો ઉપર ખૂબ અત્યાચાર થયા છે. કોંગ્રેસ તેનો ઇતિહાસ ચકાશી શકે છે. પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટના મેયર, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી બન્યા બાદ જે. પી. નડ્ડા પહેલી વખત રાજકોટ આવી રહ્યા છે.

દેવેન્દ્ર જાની – રાજકોટ 
તસવીર – નિશુ કાચા