Home Blog Page 1418

૧૧ ઓક્ટોબર ૨૦૨૪

Chitralekha Gujarati – 21 October, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 11/10/2024

દિલ્હીમાં 2000 કરોડનું કોકેઈન ઝડપાયું

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ડ્રગ્સ સામેના અભિયાનમાં ફરી મોટી સફળતા મેળવી છે. પોલીસે રમેશ નગર વિસ્તારના એક વેરહાઉસમાંથી 2000 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું છે. પોલીસે અંદાજે 200 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસ દ્વારા એક સપ્તાહમાં મળેલી આ બીજી મોટી સફળતા છે. ગયા અઠવાડિયે મહિપાલપુરમાંથી 560 કિલો કોકેન ઝડપાયું હતું. જેની કિંમત લગભગ 5000 કરોડ રૂપિયા હતી.

પોલીસને તપાસમાં સફળતા મળી

5000 કરોડ રૂપિયાના આ ડ્રગ્સ કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સિન્ડિકેટ સાથે સંકળાયેલા સાતમા આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ અખલાખ છે જે યુપીના હાપુડનો રહેવાસી છે. અખલાખની પૂછપરછ કર્યા પછી જ સ્પેશિયલ સેલે દિલ્હીના રમેશ નગરમાં દરોડો પાડ્યો અને 200 કિલો કોકેન જપ્ત કર્યું.

કાર્ગો રૂટથી રોડ રૂટ સુધીની તપાસ

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ આ સમગ્ર સિન્ડિકેટ સાથે સંબંધિત તમામ એંગલથી તપાસ કરી રહી છે. આ કેસમાં કાર્ગો રૂટથી રોડ સુધીની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જે સાતમા આરોપીની ધરપકડ કરી છે, તેની ડ્રગ્સ સિન્ડિકેટમાં અત્યાર સુધીની ભૂમિકા ટ્રાન્સપોર્ટેશનને લઈને પ્રકાશમાં આવી રહી છે.

સાહિત્યનો નોબેલ પુરસ્કાર દક્ષિણ કોરિયન લેખક હાન કાંગના નામે

દક્ષિણ કોરિયાના લેખક હાન કાંગને 2024 માટે સાહિત્યનું નોબેલ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કાર તેમના ઊંડા કાવ્યાત્મક ગદ્ય માટે આપવામાં આવશે. નોબેલ પુરસ્કાર સ્વીડિશ એકેડેમી દ્વારા આપવામાં આવે છે અને તેની કિંમત 11 મિલિયન સ્વીડિશ ક્રાઉન ($1.1 મિલિયન) છે.હાન કાંગનો જન્મ 1970માં દક્ષિણ કોરિયાના ગ્વાંગજુમાં થયો હતો. તેઓ સાહિત્યિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે, તેમના પિતા એક પ્રતિષ્ઠિત નવલકથાકાર છે. તેમણે 1993માં મુન્હક-ગ્વા-સાહો (સાહિત્ય અને સમાજ)ના શિયાળુ અંકમાં “સિઓલમાં વિન્ટર” સહિત પાંચ કવિતાઓ પ્રકાશિત કરીને કવિ તરીકેની સાહિત્યિક શરૂઆત કરી હતી.

1994માં “રેડ એન્કર” કૃતિ સાથે સિઓલ શિનમુન વસંત સાહિત્ય સ્પર્ધા જીતી હતી. પછીના વર્ષે નવલકથાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તેમણે 1995માં યેઓસુ (મુંજી પબ્લિશિંગ કંપની) નામનો તેમનો પ્રથમ ટૂંકી વાર્તાનો સંગ્રહ પ્રકાશિત કર્યો. આર્ટસ કાઉન્સિલ કોરિયાના સમર્થનથી 1998માં ત્રણ મહિના માટે યુનિવર્સિટી ઓફ આયોવા ઇન્ટરનેશનલ રાઇટિંગ પ્રોગ્રામમાં હાજરી આપી હતી.હાન કાંગના પ્રકાશનોમાં ટૂંકી વાર્તા સંગ્રહ, ફ્રુટ્સ ઓફ માય વુમન (2000), ફાયર સલામન્ડર (2012); બ્લેક ડીયર (1998), યોર કોલ્ડ હેન્ડ્સ (2002), ધી વેજીટેરિયન (2007), બ્રેથ ફાઈટીંગ (2010), અને ગ્રીક લેસન (2011), હ્યુમન એક્ટ્સ (2014), ધ વ્હાઇટ બુક (2016), આઈ ડોન્ટ બિડ ફેરવેલ (2021). એક કાવ્ય સંગ્રહ, I Put the Evening in the Drawer (2013) પણ પ્રકાશિત થયો હતો.તેમની સૌથી તાજેતરની નવલકથા ‘I Do Not Bid Farewell’ને 2023માં ફ્રાન્સમાં મેડિસિસ પ્રાઈઝ, 2024માં એમિલ ગ્યુમેટ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું. સમિતિએ જણાવ્યું હતું કે તેમની નવલકથા માનસિક અને શારીરિક વેદના વચ્ચેનો પત્રવ્યવહાર જે પૂર્વીય વિચારસરણી સાથે ગાઢ સંબંધ ધરાવે છે.

રતન ટાટાએ અમિતાભ બચ્ચન માટે બનાવી હતી ફિલ્મ, પણ બન્યું એવું કે…

મુંબઈ: ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાના નિધનથી સમગ્ર દેશ શોકમાં છે. રતન ટાટાનું વ્યક્તિત્વ ઉદ્યોગપતિ કરતાં પણ આગળ હતું. ઉદાર દિલના રતન ટાટાએ વિઝન સાથે જીવ્યા અને તેમના જીવનને એક મિશનમાં ફેરવ્યું. ટાટા ગ્રુપ દ્વારા રતન ટાટા કોઈને કોઈ રીતે દેશના દરેક ઘરમાં હાજર છે. રતન ટાટાએ દરેક ક્ષેત્રમાં શોધખોળ કરી. દેશના સૌથી મોટા સમૂહના અધ્યક્ષે વિવિધ ક્ષેત્રોમાં અલગ-અલગ ધોરણો સ્થાપિત કર્યા અને સફળતા પણ હાંસલ કરી. જો તે કોઈ ક્ષેત્રને પોતાનું ન બનાવી શક્યા તો તે માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે. હા, તેણે આ ક્ષેત્રમાં પણ હાથ અજમાવ્યો હતો, પરંતુ તેને ખાસ સફળતા મળી ન હતી. જો તમે વિચારી રહ્યા હોવ કે રતન ટાટા એક્ટર બન્યા કે ફિલ્મની વાર્તા લખી, તો એવું કંઈ નથી, તેમણે ફિલ્મ બનાવવા માટે પૈસા લગાવ્યા હતા, એટલે કે તેમણે નિર્માતા તરીકે અજમાવ્યું હતું.

રતન ટાટાએ નિર્માતા તરીકે ફિલ્મોમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ સાબિત થયો. આ પછી જ તેણે ફિલ્મો છોડી દીધી અને તેને અઘરું કામ માન્યું. રતન ટાટા દ્વારા બનેલી એકમાત્ર ફિલ્મ ‘ઐતબાર’ છે, જે 2004માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રતન ટાટા દ્વારા જિતિન કુમાર, ખુશ્બુ ભડા અને મનદીપ સિંહ સાથે મળીને બનાવવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન વિક્રમ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં અમિતાભ બચ્ચન, જોન અબ્રાહમ, બિપાશા બાસુ, સુપ્રિયા પિલગાંવકર, અલી અસગર, ટોમ ઓલ્ટર અને દીપક શિર્કે જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં હતા. રાજેશ રોશને ફિલ્મના સંગીત પર કામ કર્યું હતું.

શું હતી ‘ઐતબર’ની વાર્તા?
‘ઐતબાર’ 1996માં રિલીઝ થયેલી અમેરિકન ફિલ્મ ‘ફિયર’નું રૂપાંતરણ હતું. ‘ફિયર’ પર એક હિન્દી રૂપાંતરણ પહેલેથી જ બનાવવામાં આવ્યું હતું, જેનું નામ ‘ઇન્તેહા’ હતું. ખાસ વાત એ છે કે આ ફિલ્મનું નિર્દેશન પણ વિક્રમ ભટ્ટે કર્યું હતું. તેમજ એ ફિલ્મ ઐતબારના માત્ર ત્રણ મહિના પહેલા ઓક્ટોબર 2003માં રિલીઝ થઈ હતી. ‘ઐતબાર’ એ એક પિતા ડૉ. રણવીર મલ્હોત્રા (અમિતાભ બચ્ચન)ની વાર્તા છે, જેઓ તેમના પુત્ર રોહિતને ગુમાવ્યા બાદ તેમની પુત્રી રિયા (બિપાશા બાસુ)નું અત્યંત રક્ષણ કરે છે. તે તેની પુત્રીને સ્વત્વિક અને અનપ્રેડિક્ટેબલ છોકરા આર્યન (જ્હોન અબ્રાહમ) સાથે સંબંધ બાંધવાથી રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ પુત્રી તેની અવગણના કરે છે અને તેની સાથે ડેટિંગ કરવાનું ચાલુ રાખે છે.

ફિલ્મ ફ્લોપ થઈ
23 જાન્યુઆરી 2004ના રોજ રીલિઝ થયેલી ફિલ્મ ‘ઐતબાર’ના બોક્સ ઓફિસની વાત કરીએ તો આ ફિલ્મ ફ્લોપ રહી હતી. ફિલ્મ તેની કિંમત પણ વસૂલ કરી શકી નથી. 9.30 કરોડમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 7.96 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ વ્યાપારી રીતે નિષ્ફળ સાબિત થઈ અને આ જ કારણ બન્યું કે રતન ટાટાએ ફરી ક્યારેય કોઈ ફિલ્મમાં પૈસા રોક્યા નહીં.

2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં UPI લેવડદેવડમાં 52 ટકાનો વધારો

નવી દિલ્હીઃ દેશમાં ત્વરિત ચુકવણી પ્રણાલી UPI દ્વારા થતી લેવડદેવડની સંખ્યા વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વાર્ષિક આધારે 52 ટકા વધીને 78.97 અબજ થઈ છે, એમ વર્લ્ડલાઇને રિપોર્ટમાં કહ્યું છે.

જાન્યુઆરી, 2023માં UPI લેવડદેવડની સંખ્યા 8.03 અબજ હતી, જે જૂન 2024 સુધી વધીને 13.9 અબજ થઈ છે. જાન્યુઆરી, 2023માં રૂ. 12.98 લાખ કરોડની લેવડદેવડ UPI દ્વારા થઈ હતી, જે જૂન, 2024માં વધીને રૂ. 20.07 લાખ કરોડ થઈ છે. વર્ષ 2023માં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં લેવડદેવડની સંખ્યા 51.9 અબજ હતી, જે આ વર્ષના સમાન ગાળામાં વધીને રૂ. 78.97 અબજ થી ગઈ છે. એ દરમ્યાન UPI લેવડદેવડનું મૂલ્ય 40 ટકા વધ્યું છે. એ રૂ. 83.16 લાખ કરોડથી વધીને રૂ. 116.63 લાખ કરોડ થયું હતું.

UPI લેવડદેવડની સંખ્યા અને મૂલ્ય- બંનેની દ્રષ્ટિએ ફોનપે અગ્રણી છે, જ્યારે ગૂગલ પે અને પેટીએમનું સ્થાન એના પછી આવે છે. જોકે આ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં UPI લેવડદેવડના સરેરાશ મૂલ્યમાં આઠ ટકાનો ઘટાડો થયો હતો. સરેરાશ ટિકટ મૂલ્ય ગયા વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 1603 કરોડ હતું, જે ઘટીને આ વર્ષના અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 1478  થયું હતું. સરેરાશ ટિકિટ કદમાં વ્યક્તિથી વ્યક્તિ અને વ્યક્તિથી દુકાનદાર લેવડદેવડ સામેલ હોય છે, એમ રિપોર્ટ કહે છે.

હાલમાં રિઝર્વ બેન્કે UPI લાઇટની સંખ્યા વધારીને રૂ. 1000 કરી હતી, જે પહેલાં રૂ. 500 હતી. એ સાથે UPI વોલેટની મર્યાદા વધારીને રૂ. 5000 કરવામાં આવી છે. આ પહેલાં એ મર્યાદા રૂ. 2000 હતી.

 

 

સુરત ગેંગરેપની ઘટનામાં પકડાયેલા એક આરોપીનું મોત

સુરત: જિલ્લામાં મોટા બોરસરા ગામની સીમમાં 9 ઓક્ટોબર,2024ના રોજ સગીરા પર ગેંગરેપ થયો હતો. આ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લીધી હતી. જે બાદ સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસ આરોપીઓની શોધમાં હતી. ત્યાર બાદ માંડવીના તડકેશ્વરમાં આરોપીઓ હોવાની જાણ થતા પોલીસ તડકેશ્વર ગામે પહોંચી હતી. જ્યાં પોલીસને જોઈને ત્રણેય આરોપીઓ નાસવા જતાં હતા તે સમયે પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ 3 આરોપીઓ પૈકી 2 નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે રાજુ નામનો આરોપી ફરાર થઈ ગયો હતો. આજે બપોર બાદ ત્રણમાંના એક આરોપી એવા શિવ શંકર ચૌરસિયાને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેથી તેને સુરત સિવિલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થઈ ગયું છે.આજે બપોરે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત અને આઇજી પ્રેમવીરસિંહ પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. એ પહેલાં આરોપી શિવ શંકરની તબિયત લથડી હતી. આ અંગે LCB પી.આઈ. રાજેશ ભટોલે જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન આરોપીને શ્વાસની તકલીફ થતા બપોરના 1.30 વાગ્યે કામરેજ હેલ્થ સેન્ટર લઇ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં તેનું મોત થઈ ગયું હતું. તબિયત બગડવા પાછળનું કારણ જાણવા માટે ફોરેન્સિક પી.એમ. કરવામાં આવશે. જ્યારે અન્ય એક આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ અંગે સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ, આરોપી શિવ શંકરને 108માં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. શ્વાસ લેવામાં તકલીફ હોવાનું જણાવવામાં આવ્યું હતું. હાલ તો હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ કર્યા બાદ જ જાણવા મળશે.

નવરાત્રિમાં વિઘ્ન બન્યો વરસાદ, જાણો ક્યા-ક્યા શહેર થઈ મેઘ મહેર

ગુજરાતમાં ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. એક બાજું નવરાત્રિની ઉજવણી ચાલી રહી છે. ત્યારે બીજી બાજું રાજ્યમાં અમુક વિસ્તારમાં મેઘરાજાએ દસ્તક આપી છે. નવરાત્રિના માત્ર 2 દિવસ બાકી છે, ત્યારે રાજ્યના અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે. અમરેલી, મહુવા, ગીર સોમનાથ અને દીવ સહિત અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નવરાત્રિમાં વરસાદ વરસતા ખેલૈયા અને આયોજકોની મજા બગડી છે.

ગુજરાતમાં ફરી એક વખત વરસાદના આગમનથી નવરાત્રિના અનેરા આનંદમાં ભંગ પડી ગયો છે. કેટલીક જગ્યાએ ગરબીઓ પાણીમાં તરબોળ થઈ ચૂકી છે. આ ઉપરાંત ડેકોરેશનમાં પણ ઘણું નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. અમરેલીમાં નવરાત્રિમાં જ વરસાદ વિલન બન્યો છે. ખાંભા શહેર અને ગામ્યમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે. સમઢીયાળા, અનિડા, ઈંગોરાળામાં વરસાદ વરસ્યો છે, જેને લઈને ખેલૈયા અને આયોજકોની મજા બગડી છે, ત્યારે બીજી તરફ ખેડૂતોના સોયાબીન, મગફળી અને તલના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. ભાવનગરના મહુવા શહેર અને તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઊંચા-નીચા કોટડા ગામ સહિત કટિકડા, ભાટીકળા, દયાલ અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. મહુવા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો અને બે દિવસથી ભયંકર બફારા બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. કોડીનાર, સૂત્રાપાડા, વેરાવળમાં ભારે વરસાદથી ખેલૈયાઓની ગરબા રમવાની મજા બગડી છે. ત્યારે દીવ ખાતે પણ આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને બપોર બાદ ધોધમાર વરસાદનું આગમન થયું છે.

રાજકીય સન્માન સાથે ભારતના ‘રતન’ની અંતિમ વિદાય

મુંબઈઃ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન પર વિશ્વની હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો હતો. તેમને રાજકીય સન્માનની સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.મુંબઈના NCPA ગ્રાઉન્ડમાં અંતિમ દર્શન પછી રતન ટાટાના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લઈ જવામાં આવ્યું હતું. વર્લીના સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર થયા હતા. ટાટાનો પાલતુ કૂતરો પણ સ્મશાનમાં પહોંચ્યો હતો.

રતન ટાટાનું પાર્થિવ શરીર વરલીના પારસી સ્મશાન ભૂમિના પ્રાર્થના રૂમમાં રાખવામાં આવ્યું હતું. ત્યાં અંતિમ સંસ્કાર પહેલાં 45 મિનિટ સુધી શાંતિ પ્રાર્થના કરવામાં આવી હતી.ગૃહપ્રધાન અમિત શાહ પછી દેશના સૌથી શ્રીમંત બિઝનેસમેન મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણીની સાથે ટાટાને શ્રદ્ધાંજલિ આપવા સ્મશાનમાં પહોંચ્યા હતા.

NCPA ગ્રાઉન્ડમાં ગૃહપ્રધાન અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના CM એકનાથ શિંદે, ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારે ટાટાને શ્રદ્ધાંજલિ આપી હતી. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ ટાટાના અંતિમ દર્શન કર્યા હતા.

 શિવસેના (UBT) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના પુત્ર, પાર્ટીના નેતા અનિલ દેસાઈ અને અરવિંદ સાવંતે પણ ટાટાના અંતિમ દર્શન કર્યાં હતા. તેમને શ્રદ્ધાંજલિ આપતાં આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું કે આ દેશ માટે અને કોર્પોરેટ ઇન્ડિયા માટે બહુ મોટી ક્ષતિ છે. તેમને કામની સમૃદ્ધિના માધ્યમથી યાદ રાખવામાં આવશે. સોશિયલ મિડિયા  પ્લેટફોર્મ પર રતન ટાટાને ભારત રત્ન આપવાની માગ લોકો કરી રહ્યા છે. તેમને પહેલાં પદ્મ પુરસ્કારો આપવામાં આવી ચૂક્યા છે.