Home Blog Page 1264

FBI ચીફના રાજીનામા પર ખુશ થયા ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા: પ્રમુખ પદની ખુરશી સંભાળવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ગુપ્તચર એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)નું નેતૃત્વ કરવા માટે ભારતીય મૂળના કાશ પટેલની પસંદગીને યોગ્ય ગણાવી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, FBIનું નેતૃત્વ કરવા માટે કાશ પટેલ સૌથી યોગ્ય વ્યક્તિ છે. તેઓ દેશમાં ઝડપથી કાયદો-વ્યવસ્થા અને ન્યાયને સ્થાપિત કરશે.

બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિસ્ટોફર રેના રાજીનામાને અમેરિકા માટે મહાન દિવસ ગણાવ્યો હતો. તેમણે રે વિશે પોતાના દિલની ભડાસ નીકાળી અને કહ્યું કે, તેમના નેતૃત્વમાં FBIએ મારા પર ગેરકાયદેસર રીતે દરોડા પાડ્યા હતા. આ પહેલા રાજીનામું આપતા રે એ કહ્યું હતું કે, હું FBIને વધુ રાજકીય વિવાદોમાં ફસાવવાથી બચાવવા માગું છું. તેમણે આશા વ્યક્ત કરી કે એજન્સી નિષ્પક્ષ અને રાજકારણથી ઉપર રહીને કામ કરશે.FBI ડાયરેક્ટરના રાજીનામા પર યુ.એસ. એટર્ની જનરલ મેરિક ગારલેન્ડનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે રેના નેતૃત્વની પ્રશંસા કરી હતી. ગારલેન્ડે FBIની સ્વતંત્રતા જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, FBIનું સ્વતંત્રતાથી કામ કરવું ન્યાયિક પ્રક્રિયા અને અમેરિકન સ્વતંત્રતાના રક્ષણ માટે જરૂરી છે.

‘હાઉસફુલ 5’ના સેટ પર અક્ષય કુમાર સાથે થયો અકસ્માત

મુંબઈ: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર હાલમાં મુંબઈમાં હાઉસફુલ 5નું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મ માટે સ્ટંટ કરતી વખતે અભિનેતાનો અકસ્માત થયો હતો. અહેવાલો અનુસાર અકસ્માતમાં અભિનેતાને આંખમાં ઈજા થઈ હતી. આ સાથે હવે અભિનેતાના સ્વાસ્થ્ય વિશે પણ માહિતી સામે આવી છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા હવે ઠીક છે.

કેવી રીતે થયો અકસ્માત?
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હાઉસફુલ સેટ પર શૂટિંગ દરમિયાન સ્ટંટ કરતી વખતે અક્ષયની આંખમાં કંઈક ઉડી ગયું હતું. એક નેત્ર ચિકિત્સકને તરત જ સેટ પર બોલાવવામાં આવ્યો, જેણે આંખ પર પટ્ટી બાંધી અને તેને થોડો સમય આરામ કરવા કહ્યું, જ્યારે શૂટિંગ અન્ય કલાકારો સાથે ફરી શરૂ થયું. જો કે, ઈજા હોવા છતાં અક્ષય ટૂંક સમયમાં શૂટિંગમાં જોડાવા માટે મક્કમ છે કારણ કે ફિલ્મનું શૂટિંગ અંતિમ તબક્કામાં છે અને તે નથી ઈચ્છતો કે તેમાં વિલંબ થાય.

હાઉસફુલ 5 કાસ્ટ
હાઉસફુલ 5 માં અક્ષય અને રિતેશ દેશમુખ તેમજ અભિષેક બચ્ચન, શ્રેયસ તલપડે, ચંકી પાંડે, જેકલીન ફર્નાન્ડીઝ અને નરગીસ ફખરી સહિતના સુંદર કલાકારો છે. આ ઉપરાંત કલાકારોમાં ફરદીન ખાન, ડીનો મોરિયા, જોની લીવર, જેકી શ્રોફ, સંજય દત્ત, નાના પાટેકર, સોનમ બાજવા, ચિત્રાંગદા સિંહ અને સૌંદર્યા શર્મા પણ ફિલ્મમાં સામેલ છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે
ફિલ્મનું શૂટિંગ આ વર્ષની શરૂઆતમાં યુરોપમાં શરૂ થયું હતું. કલાકારોએ 40 દિવસ માટે ક્રુઝ શિપ પર ફિલ્મનું શૂટિંગ કર્યું, જેમાં ન્યૂકેસલથી સ્પેન, નોર્મેન્ડી, હોનફ્લેર અને પછી પ્લાયમાઉથ સુધીની સફરનો સમાવેશ થાય છે. તરુણ મનસુખાની દ્વારા નિર્દેશિત કોમેડી ફિલ્મ ‘હાઉસફુલ 5’ 6 જૂન, 2025ના રોજ રિલીઝ થવાની છે.

રાજકોટના પ્રાઇડ અને ધ વન વર્લ્ડ ગ્રુપ પર CGSTના દરોડા

છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં જીએસટી વિભાગ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ઉપરા ઉપરી વિવિધ શહેરોમાં સ્ટેટ જીએસટીની સાથો-સાથ સેન્ટ્રલ જીએસટી દ્વારા દરોડા કરવામાં આવે છે. ત્યારે આજે સેન્ટ્રલ જીએસટીની ટીમે રાજકોટના બિલ્ડરો દરોડા પાડ્યા છે. પ્રાઇડ અને ધ વન વર્લ્ડ ગ્રુપ પર દરોડા પાડયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. હાલ બન્ને બિલ્ડર ગ્રુપના તમામ પ્રોજેક્ટ પર તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાઈડ ગ્રુપની સાથે આઈકોનિક વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ, પીપળીયા એમ્પાયર, મધુવન વિલા, મંગલમ પર સેન્ટ્રલ જીએસટીની ટીમ ત્રાટકી ખૂબ મોટા પ્રમાણમાં GST ચોરી સામે આવવાની શક્યતા છે. ડિજિટલ ડેટા હસ્તગત કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ GST એન્ડ કસ્ટમ્સના એડિશનલ જોઇન્ટ કમિશનર તપાસમાં જોડાયા છે. બે દિવસ પૂર્વે અમદાવાદની આંગડિયા પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યારે ગઈકાલે વડોદરામાં જીએસટીની ટીમ ત્રાટકી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં ત્રણ શો-રૂમમાં જીએસટીએ દરોડા પાડયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મેવાડા કલેક્શન, મેવાડા ડ્રેસવાલા, સુલતાનપુરા ઘડીયારી પોરના શોરૂમમાં હાલ દરોડા ચાલી રહ્યા છે. એટલું જ નહીં રાવપુરા સહિત ત્રણ શોરૂમ પર જીએસટી વિભાગની ટીમ ત્રાટકી છે અને હિસાબોની ચકાસણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસેથી મળેલી સૂચનાઓને ધ્યાને લઇ હાલ આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ ઠેર ઠેર જગ્યા પર સર્ચ ઓપરેશન કરી કરોડો રૂપિયાની કરચોરી પકડી પાડે છે.

મહારાષ્ટ્રમાં 14મીએ કેબિનેટનું વિસ્તરણ, CM ફડણવીસે PM સાથે કરી મુલાકાત

મુંબઈ: મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ 14 ડિસેમ્બરે થશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને NCPના વડા અજિત પવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા બાદ આ વાતની પુષ્ટિ કરી હતી. શરદ પવારને મળવા પર તેમણે કહ્યું કે હું NCP-SCPના વડા શરદ પવારને જન્મદિવસની શુભેચ્છા આપવા ગયો હતો. જ્યાં સુધી કેબિનેટ વિસ્તરણનો સવાલ છે, મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ 14 ડિસેમ્બરે થશે.

 

મહારાષ્ટ્રના પરભણી શહેરમાં થયેલી હિંસા અંગે તેમણે કહ્યું કે ગઈકાલ રાતથી સ્થિતિ નિયંત્રણમાં છે. ત્યાં કાયદો અને વ્યવસ્થા બરાબર છે. અમિત શાહ સાથેની તેમની મુલાકાત અંગે વિગતવાર જણાવતા પવારે કહ્યું કે તેમણે કહ્યું કે વાજબી અને મહેનતાણું કિંમત (FRP) ચાર વખત વધારવામાં આવી હતી, પરંતુ MSPમાં વધારો કરવામાં આવ્યો ન હતો. તેથી મેં તેમને શેરડીની MSP વધારવા વિનંતી કરી છે.

આ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે તમે લોકોએ મારા અને અજિત પવારના દિલ્હી આવવા વિશે ઘણા સમાચાર પ્રકાશિત કર્યા છે કે તે કેબિનેટ વિસ્તરણ સાથે સંબંધિત છે. મેં તેમને જોયા છે, પરંતુ હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે હું પાર્ટી સંબંધિત મીટિંગ માટે આવ્યો છું અને અજિત પવાર પણ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મીટિંગ માટે આવ્યા છે. આ તેમનું કામ છે. તેથી, આ બાબતો પર વધુ અનુમાન કરવાની જરૂર નથી. અમારી પાર્ટીમાં સંસદીય બોર્ડ અને અમારા વરિષ્ઠ નેતૃત્વ નિર્ણયો લે છે. જ્યાં સુધી ભાજપના ક્વોટામાંથી મંત્રી બનાવવાનો સવાલ છે, અમે તેના પર નિર્ણય લઈશું. એ જ રીતે NCP અને શિવસેના પોતાના સ્તરે તેમના મંત્રીઓના નામ નક્કી કરશે. કેબિનેટ વિસ્તરણની ફોર્મ્યુલા પહેલેથી જ નક્કી છે. તમને તેના વિશે જલ્દી જ ખબર પડશે.

આ પહેલા મુખ્યમંત્રી ફડણવીસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દિલ્હી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેઓ બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા.

ફડણવીસ ઉપરાષ્ટ્રપતિ અને કેન્દ્રીય મંત્રીઓને મળ્યા હતા
તેઓ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીને પણ મળ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફડણવીસ અને ધનખરની બેઠકની તસવીર શેર કરી છે.

બાંગ્લાદેશથી પરત ફર્યા બાદ વિદેશ સચિવનું શેખ હસીના પર મોટું નિવેદન

નવી દિલ્હી: ભારતે બુધવારે કહ્યું કે તે બાંગ્લાદેશના હકાલપટ્ટી કરાયેલા વડાપ્રધાન શેખ હસીના દ્વારા વચગાળાની સરકારની ટીકાનું સમર્થન કરતું નથી. ‘ધ હિંદુ’ના અહેવાલ મુજબ, વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ કોંગ્રેસના નેતા શશિ થરૂરની અધ્યક્ષતાવાળી વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિને માહિતી આપતાં કહ્યું હતું કે આ મુદ્દો ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં એક નાનો અણગમો છે. ‘ધ હિંદુ’ના એક અહેવાલ મુજબ વિદેશ સચિવે કહ્યું કે બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો કોઈ એક રાજકીય પક્ષ અથવા સરકાર સુધી મર્યાદિત નથી અને ભારત બાંગ્લાદેશના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.વિદેશ સચિવે કહ્યું, શેખ હસીના બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર ટિપ્પણી કરવા માટે તેમના ખાનગી સંદેશાવ્યવહાર ઉપકરણનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત સરકાર તેમને આ કામ કરવામાં કોઈ મદદ કરતી નથી. જો કે એવું લાગે છે કે તેઓ ભારતની ધરતી પરથી રાજકીય ગતિવિધીઓ કરી રહ્યા છે. જો કે ભારતની પરંપરા છે કે આપણે અન્ય કોઈ દેશમાં હસ્તક્ષેપ કરતા નથી.વિદેશ સચિવની આ ટિપ્પણીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે ભારતમાં રહેતા શેખ હસીનાના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારની એક વીડિયો જાહેર કરીને ટીકા કરી રહી છે, જેના પર બાંગ્લાદેશે વાંધો ઉઠાવ્યો હતો.

ગૃહપ્રધાન શાહની બસ્તર મુલાકાત પહેલાં સાત નક્સલવાદીઓ ઠાર

નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહની બસ્તરની મુલાકાત પહેલાં છત્તીસગઢના દક્ષિણ અબુઝમાડના જંગલમાં સુરક્ષા દળોએ ઓછામાં ઓછા સાત નક્સલીઓને ઠાર કર્યા છે. અહીં હજુ પણ નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં અનેક નક્સલીઓના ઘાયલ થવાના અહેવાલ છે.

બસ્તર પોલીસને સૂચના મળી હતી કે અબુઝમાડના જંગલોમાં મોટી સંખ્યામાં નકસલવાદીઓની હાજરી છે. જેની સૂચના મળતાં બસ્તરથી ચાર જિલ્લાના જવાનોએ તેમના પર હુમલો કર્યો હતો.  નક્સલ વિરોધી સર્ચ ઓપરેશનના ભાગરૂપે, STF અને CRPFની સંયુક્ત પાર્ટી નારાયણપુર, દંતેવાડા, જગદલપુર, કોંડાગાંવ જિલ્લાના DRG સાથે દક્ષિણ અબુઝમાડ વિસ્તાર માટે રવાના થઈ હતી. સંયુક્ત સુરક્ષા દળોની ટીમ અને નક્સલવાદીઓ વચ્ચે ગુરુવારે સવારે 3 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું હતું.

પોલીસ કર્મચારીઓ નક્સલવાદીઓના ગોળીબારનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સમયાંતરે અહીં અથડામણ ચાલુ રહે છે. સર્ચ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં સાત વર્દીધારી નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. એન્કાઉન્ટર પૂર્ણ થયા બાદ વધુ નક્સલવાદીઓના મૃતદેહ મળે એવી શક્યતા છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે.

અહેવાલ છે કે આ અથડામણમાં કેટલાક નક્સલવાદીઓ ઘાયલ થયા છે. જોકે જવાનોની ટીમ ઘટનાસ્થળે છે. આખા વિસ્તારમાં શોધખોળ જારી છે. માર્યા ગયેલા નક્લવાદીઓની સંખ્યા વધે એવી શક્યતા છે. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ બુધવારે એક એન્કાઉન્ટરમાં એક નક્સલવાદીને ઠાર કર્યો અને હથિયારો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી. આ દરમિયાન નક્સલવાદીઓની લેન્ડમાઈનમાં વિસ્ફોટ થયો હતો, જેમાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.

ICC ચેરમેન જય શાહ એક્શનમાં,ઓલિમ્પિક માટે ઓસ્ટ્રેલિયામાં યોજાઈ બેઠક

જય શાહ ICCના નવા અધ્યક્ષ બનતાની સાથે જ ક્રિકેટને વિશ્વમાં એક નવું સ્થાન આપવા માટે કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેઓ બ્રિસ્બેનમાં 2032 ઓલિમ્પિક ઓર્ગેનાઈઝિંગ કમિટીને મળ્યા છે. 2032 ઓલિમ્પિકનું આયોજન ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં થવાનું છે અને આ ગેમ્સમાં ક્રિકેટને પણ સામેલ કરવાની જાહેરાત થઈ ચૂકી છે.

બીસીસીઆઈના પૂર્વ સચિવ અને વર્તમાન આઈસીસી અધ્યક્ષ જય શાહે સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં મીટિંગના કેટલાક અંશો બતાવવામાં આવ્યા છે. 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસીમાં જય શાહની પણ મોટી ભૂમિકા છે અને તે આ રમતને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવા માટે ચોક્કસ પ્રયાસ કરશે. દેવજીત સૈકિયા પણ બ્રિસ્બેનમાં હાજર છે, જેમને તાજેતરમાં BCCIના વચગાળાના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ચેમ્પિયન્સ ટ્રોફીના વિવાદ વચ્ચે જય શાહનું ઓસ્ટ્રેલિયા આવવું ઘણું બધું કહી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફીના મુદ્દામાં BCCIના સમર્થકોમાંનું એક છે અને ત્યાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સંયુક્ત સચિવ દેવજીત સૈકિયાની હાજરી BCCI અને CA વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે. નોંધનીય છે કે, જય શાહને 3 જાન્યુઆરીથી શરૂ થનારી સિડની ટેસ્ટ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ન્યૂ સાઉથ વેલ્સ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પહેલા 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સના ડાયરેક્ટર નિકોલો કેમ્પ્રીઆનીએ સ્પષ્ટ કર્યું હતું કે ક્રિકેટમાં વાપસીમાં વિરાટ કોહલીનો પણ મોટો ફાળો છે. કોહલીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને 2028ના ઓલિમ્પિકમાં ક્રિકેટને લાવવું ફાયદાકારક સોદો સાબિત થશે. દરમિયાન, જય શાહની 2032 બ્રિસ્બેન ઓલિમ્પિક કમિટી સાથેની બેઠક એ સંકેત તરીકે ગણી શકાય કે ક્રિકેટ ટુર્નામેન્ટને ખૂબ જ મોટા પાયે આયોજિત કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

વન નેશન, વન ઈલેક્શન’ને મોદી કેબિનેટની મંજૂરી: સૂત્ર

નવી દિલ્હી: ગુરુવારે કેબિનેટ બેઠકમાં મોદી સરકારે એક દેશ, એક ચૂંટણીના બિલને મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. આગામી સપ્તાહે શિયાળુ સત્રમાં આ બિલ લાવવામાં આવે તેવી શક્યતા છે.સૌથી પહેલા જે.પી.સી. કમિટી બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો લેવામાં આવશે. આ આ બિલ સંસદમાં લાવવામાં આવશે અને તેને પસાર કરવામાં આવશે. આ પહેલા રામનાથ કોવિંદની સમિતિએ એક દેશ, એક ચૂંટણી સંબંધિત પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો.સૂત્રો અનુસાર સરકાર આ બિલને લાંબી ચર્ચા અને સર્વસંમતિ બનાવવા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવાની યોજના બનાવી રહી છે. જે.પી.સી. તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂકશે.હાલમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી યોજાય છે. આ બિલ કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે, આ સરકારના આ પગલાનો કોંગ્રેસ અને AAP જેવી ઘણી ભારતીય બ્લોક પાર્ટીઓએ વિરોધ કર્યો છે. વિપક્ષનો આરોપ છે કે આનાથી કેન્દ્રમાં સત્તાધારી પક્ષને ફાયદો થશે.

સાઉદીમાં રમાશે વર્લ્ડ કપ, સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટની યજમાની

ફૂટબોલ પ્રેમીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. સાઉદી અરેબિયાને ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની કરવાની તક મળી છે. ફેડરેશન ઈન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન (FIFA)એ સાઉદી અરેબિયાને વર્લ્ડ કપની યજમાની કરવાની જાહેરાત કરી છે. 2030 વર્લ્ડ કપની યજમાની સંયુક્ત રીતે સ્પેન, પોર્ટુગલ અને મોરોક્કોને આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સાઉદી અરેબિયાને 2034 ફૂટબોલ વર્લ્ડ કપના હોસ્ટિંગ અધિકારો મળ્યા છે. આ સિવાય ફિફાએ 2030 ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની કરવાની પણ જાહેરાત કરી છે. 2030 વર્લ્ડ કપની યજમાની સંયુક્ત રીતે સ્પેન, પોર્ટુગલ અને મોરોક્કોને આપવામાં આવી છે.

આ પહેલીવાર નથી કે ફૂટબોલ વર્લ્ડ કપ કોઈ આરબ દેશમાં આયોજિત થયો હોય. છેલ્લો વર્લ્ડ કપ કતારમાં રમાયો હતો. કતારમાં રમાયેલા વર્લ્ડ કપમાં દિગ્ગજ લિયોનેલ મેસીની ટીમ આર્જેન્ટિનાએ ટાઈટલ જીત્યું હતું. હવે ફરી એકવાર રમતનો આ સૌથી મોટો મહાકુંભ આરબ દેશમાં રમાશે.

2026માં પણ રમાશે વર્લ્ડ કપ

નોંધનીય છે કે આગામી ફૂટબોલ વર્લ્ડ કપ બે વર્ષ બાદ 2026માં રમાવાનો છે. 2026 ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન અમેરિકા, કેનેડા અને મેક્સિકો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. ત્યાર બાદ 2034માં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. ક્રિકેટની જેમ ફૂટબોલ વર્લ્ડ કપ પણ દર ચાર વર્ષે રમાય છે.

2030 વર્લ્ડ કપનું આયોજન પણ સંયુક્ત રીતે કરવામાં આવશે. 2030 વર્લ્ડ કપની યજમાની સ્પેન, પોર્ટુગલ અને મોરોક્કોને આપવામાં આવી છે. ત્યારપછીનો વર્લ્ડ કપ એટલે કે 2034 ફૂટબોલ વર્લ્ડ કપ સાઉદી અરેબિયામાં રમાશે. સાઉદી અરેબિયાએ વિશ્વ કપની યજમાની માટે છેલ્લા કેટલાક વર્ષોમાં ફૂટબોલ પર ઘણો ખર્ચ કર્યો છે.

ચૂંટણી પહેલાં કેજરીવાલની મહિલાઓને પ્રતિ માહ રૂ. 1000ની ભેટ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 પહેલાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે એલાન કરતાં કહ્યું હતું કે દિલ્હીની મહિલાઓને આપ સરકારે જે વચન આપ્યું હતું, એને હવે પૂરું કર્યું છે. તેમણે મહિલા સન્માન યોજનાની ઘોષણા કરી છે. દિલ્હી કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી મળી છે. જે પછી ભૂતપૂર્વ CMએ આમ આદમી પાર્ટીની ઓફિસમાં એનું એલાન કર્યું છે.

આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી મહિલાઓના ખાતામાં પ્રતિ માહ સરકાર રૂ. 1000 ટ્રાન્સફર કરશે. આટલું જ નહીં, કેજરીવાલે ઘોષણા કરી હતી કે ચૂંટણી પછી મહિલાઓને રૂ. 1000ની જગ્યાએ રૂ. 2100 આપશે. આ યોજના માટે આવતી કાલથી ( 13 ડિસેમ્બર)થી મહિલાઓ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.આ પ્રસંગે કેજરીવાલે કહ્યું હતું કે આજે બે મોટી ઘોષણા કરી રહ્યો છું અને એ બંને દિલ્હીની માતાઓ-બહેનો માટે છે. અમે વચન આપ્યું હતું કે પ્રતિ મહિને મહિલાઓના ખાતામાં રૂ. 1000 નાખીશું. આજે કેબિનેટે એ ઠરાવને પાસ કરી દીધો છે. હવે મહિલાઓએ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જેનું રજિસ્ટ્રેશન થયું છે, તેમના એકાઉન્ટમાં રૂ. 1000 પ્રતિ મહિને આવવાનું શરૂ થઈ જશે.

અમે આ યોજનાને ગયા એપ્રિલમાં શરૂ કરવાના હતા, પરંતુ આ લોકોએ ખોટા કેસમાં મને જેલમાં મોકલી દીધો હતો. જેલમાં 6-7 સાત મહિના રહ્યો અને બહાર આવ્યા પછી આ યોજના લાગુ કરવા માટે CM આતિશીની સાથે જોડાયો હતો. આજે એ યોજના લાગુ થઈ ગઈ છે. આ યોજનામાં સરકારનો ખર્ચ નહીં થાય, પણ દિલ્હી સરકારને લાભ થશે.

દિલ્હીમાં આશરે 67 લાખ મહિલાઓ છે, જેમાંથી આશરે 38 લાખ મહિલાઓ આયોજના માટે પાત્ર હશે. આ પહેલાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણી પહેલાં સત્તારૂઢ પાર્ટીઓએ આ પ્રકારની યોજના થકી મહિલા વોટ બેન્ક પોતાના પક્ષમાં કરી હતી. આવામાં સુપ્રીમો અરવિંદ કેજરીવારને આશા છે કે દિલ્હીની વિદાનસભા ચૂંટણીમાં મહિલા સન્માન યોજનાથી લાભ થશે.