લાહોરઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતના ગૃહમંત્રી જિયાઉલ હસન લંજરના ઘર પ્રદર્શનકારીઓએ હુમલો કર્યો છે. આ હિંસામાં બે લોકોનાં મોત થયાં છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ ઘટના મંગળવારે નૌશહરો ફિરોઝ જિલ્લામાં આવેલા મોરો તાલુકામાં બની હતી, પરંતુ હવે તેના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
પાકિસ્તાની મિડિયા મુજબ છેલ્લા ઘણા દિવસોથી લોકો છ નહેરો બનાવવાની અને કોર્પોરેટ ખેતી યોજનાનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓને રાષ્ટ્રીય હાઇવે પર ધરણાં કરવાનો પ્રયાસ અટકાવ્યો હતો, જેને કારણે પ્રદર્શનકારીઓ ભડકી ગયા હતા. તેમણે કેટલીક ટ્રકોને લૂંટી હતી અને ત્રણ વાહનોમાં આગ લગાવી દીધી, જેમાં એક તેલનું ટેન્કર પણ સામેલ હતું.
આ પ્રદર્શનકારીઓનો ગુસ્સો એટલેથી નહોતો અટક્યો. તેઓ ગૃહમંત્રી જિયાઉલ હસન લંજરના ઘરમાં ઘૂસી ગયા હતા. આ પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી અને ઘરમાં રહેલા ફર્નિચરને આગ લગાવી દીધી. જ્યારે સુધી મંત્રીના સુરક્ષા કર્મચારીઓ ઘેર પહોંચ્યા, ત્યાં સુધી પ્રદર્શનકારીઓએ ઘરમાં ભારે નુકસાન કર્યું હતું. આ ઘટનાના અનેક વિડિયોઝ વાયરલ થયા છે, જેમાં મંત્રીના ઘરના ગાર્ડોએ ભીડને વિખેરવા હવામાં ગોળીબાર કર્યો હતો.
એ દરમ્યાન હાઈવે અનેક કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો. આ પ્રદર્શનકારીઓનો દાવો છે કે પોલીસના ફાયરિંગમાં બે લોકોનાં મોત થયાં છે. કાયદો વ્યવસ્થાની બગડી રહેલી સ્થિતિને ધ્યાને રાખીને નવાબશાહ અને સુક્કુર વિસ્તારોમાંથી પણ વધારાની પોલીસ બોલાવવામાં આવી હતી.
વિપક્ષી રાજકીય પક્ષોના નેતાઓએ પોલીસની કાર્યવાહીની નિંદા કરી છે અને સિંધ સરકારને જવાબદારી ઠેરવી છે. વિપક્ષી નેતાઓ કહે છે કે પોલીસે કરેલી કાર્યવાહીને કારણે શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલું આંદોલન હિંસક બની ગયું હતું. પાકિસ્તાન સતત એક પછી એક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. અનેક બલૂચ સંગઠનો દેશભરમાં અનેક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આ ઘટનાઓમાં પાકિસ્તાની સૈનિકો સાથે-સાથે સામાન્ય જનતાની પણ હત્યા થઈ રહી છે. માર્ચ મહિનામાં દેશમાં આતંકવાદી હુમલાઓમાં વધારો થયો છે. નવેમ્બર 2014 પછી પહેલીવાર આતંકવાદી હુમલાઓની સંખ્યા 100ને પાર પહોંચી છે.
