શું બિહારમાં NDA, મહાગઠબંધન માટે પડકાર બનશે નાના પક્ષો?

પટનાઃ બિહારમાં વિધાનસભા ચૂંટણીઓ માટે માહોલ તૈયાર થયો છે. આ વખતની ચૂંટણીમાં JDU-ભાજપના નેતૃત્વ હેઠળના NDA અને RJD-કોંગ્રેસના મહાગઠબંધન વચ્ચે કડક ટક્કર રહેવાની છે, પરંતુ આ ચૂંટણીમાં નાના રાજકીય પક્ષો પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ રાજકીય પક્ષોમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) અને ચૂંટણી વ્યૂહરચનાકારથી રાજકારણમાં પ્રવેશ કરનાર પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીનો પણ સમાવેશ થાય છે.

જેમ-જેમ બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ મોટા રાજકીય પક્ષો સાથે નાના પક્ષોની કામગીરી પર પણ ચર્ચા થવા લાગી છે. અહીં 2020ના વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જોવાનું પણ જરૂરી છે. આ ચૂંટણીમાં 11 બેઠકો પર 1000 વોટથી પણ ઓછા અને 26 બેઠકો પર 1 ટકાથી 2.5 ટકાના ઓછા મતના તફાવતથી જીત-હારનો નિર્ણય થયો હતો. છેલ્લી ચૂંટણીમાં હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યુલર), લોક જનશક્તિ પાર્ટી, વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP), ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોર્ચા, AIMIM અને પપ્પુ યાદવની જન અધિકાર પાર્ટીએ પણ કેટલીક બેઠકો પર ચૂંટણી લડી હતી, જેનાથી ચૂંટણીના જંગ પર અસર પડી હતી.

નાના રાજકીય પક્ષોમાં લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ઝડપથી ઊભરી રહી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન ઉત્તમ રહ્યું હતું. દલિત સમાજથી આવતા ચિરાગ પાસવાન વૈશાલી, જામૂઈ, ખગડિયા, સમસ્તીપુર અને બેગૂસરાય જેવી બેઠકો પર પાસવાન જાતિમાં જાણીતા છે. બિહારના દલિત સમુદાયમાં પાસવાન જાતિનું પ્રમાણ 5.31 ટકા છે. ચિરાગ પાસવાનનું સૂત્ર છે – “બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ”.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી જીતન રામ માઝી પણ દલિત સમાજમાંથી આવે છે અને NDA માટે ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. માઝીનો દલિત સમાજની મુસહર જાતિમાં ખાસ અસરકારક પ્રભાવ છે. દલિત સમુદાયમાં મુસહર જાતિનું પ્રમાણ 3.08 ટકા છે.

હવે જોવું રહ્યું કે આ બધા નાના રાજકીય પક્ષો બિહારની ચૂંટણીમાં કિંગમેકર બનશે કે નહીં?