આ ચાર રાજ્યો પર છે દિતવા અને સેન્યાર વાવાઝોડાનો ખતરો

નવી દિલ્હી: તાજેતરમાં સર્જાયેલા બે ચક્રવાતોએ ભારતની ચિંતા વધારી છે. હવામાન નિષ્ણાતોના મતે, વાવઝોડું દિતવા અને નબળા પડી રહેલા સેન્યારની સંયુક્ત અસરથી દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વ્યાપક અને ભારે વરસાદ પડશે. દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનની સ્થિતિ બગડવાના સંકેતો વધુ તીવ્ર બન્યા છે. બંગાળની ખાડીમાં બનેલું ડિપ ડિપ્રેશન વધુ તીવ્ર બનતા ચક્રવાત દિતવામાં પરિવર્તિત થયું છે.

આ સંભવિત ખતરનાક સંભાવનાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે પૂર્વ-ચક્રવાત ચેતવણી જારી કરી છે. વાવાઝોડું ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં 30 નવેમ્બર સુધી ખરાબ હવામાન પરિસ્થિતિઓની ચેતવણી આપવામાં આવી છે.

તમિલનાડુથી તેલંગાણા સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ (IMD) અનુસાર, આ બંને વાવાઝોડાની સંયુક્ત અસરને કારણે દક્ષિણ ભારતના ચાર રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

તમિલનાડુ: 27 થી 30 નવેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે. 28 અને 29 નવેમ્બરે કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે.

દક્ષિણ આંધ્રપ્રદેશ અને રાયલસીમા: 28 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભારે વરસાદ અને 30 નવેમ્બરે અત્યંત ભારે વરસાદની આશંકા છે.

કેરળ: 27 થી 29 નવેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.

દક્ષિણ કર્ણાટક: 29 નવેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત, 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે તેલંગાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

‘દિતવા’ અને ‘સેન્યાર’ કેવી રીતે ખતરો બની રહ્યા છે?

‘દિતવા’ વાવાઝોડું હાલમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને 30 નવેમ્બરની સવાર સુધીમાં તે ઉત્તર તમિલનાડુ-પુડુચેરી-દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક પહોંચશે. બીજી તરફ, ‘સેન્યાર’ વાવાઝોડું નબળું પડીને મલક્કા સ્ટ્રેટ પાસે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, પરંતુ તેનું ભેજવાળું તંત્ર ‘દિતવા’ને વધુ મજબૂત બનાવી રહ્યું છે, જેના કારણે વરસાદની તીવ્રતા વધવાની આશંકા છે.

શ્રીલંકામાં વાવાઝોડાની વિનાશક અસર

આ જ લો-પ્રેશર સિસ્ટમને કારણે શ્રીલંકામાં ભારે તબાહી સર્જાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 47 લોકોના મોત થયા છે. શ્રીલંકાના સાત જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સમગ્ર દેશમાં શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે શ્રીલંકા આવતી ફ્લાઇટ્સને ભારતના ત્રિવેન્દ્રમ અથવા કોચીન એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી શકે છે. શ્રીલંકાની આ સ્થિતિ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો માટે એક ગંભીર ચેતવણી સમાન છે.