શું ટીમ ઇન્ડિયાનો નવો કોચ રાહુલ દ્રવિડ બનશે?

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સૌપ્રથમ વાર બે અલગ-અલગ ટીમો વિશ્વના બે અલગ-અલગ ભાગોમાં એકસાથે રમશે. એક તરફ વિરાટ કોહલીના નેતૃત્વમાં ઇંગલેન્ડની સાથે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમશે. બીજી બાજુ  શિખર ધવનની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા શ્રીલંકાને ત્રણ વનડે અને ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પડકાર આપશે. આ દરમ્યાન રાહુલ દ્રવિડ ટીમના કોચ હશે. મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ઇંગ્લેન્ડના પ્રવાસે છે.

દ્રવિડને અત્યાર સુધી સૌથી મોટા ગજાના બેટ્સમેનોમાં એક માનવામાં આવે છે. ઇન્ડિયા-19 અને ભારત Aની સાથે તેણે કોચ તરીકે શાનદાર કામ કર્યું છે. કેટલાય લોકોનું માનવું છે કે દ્રવિડ શાસ્ત્રી પછી રાષ્ટ્રીય ટીમનો મુખ્ય કોચ હોવો જોઈએ. વચગાળાના કોચના રૂપમાં એની નિયુક્તિ ભવિષ્ય માટે એક સંકેત હોઈ શકે, કમસે કમ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રિતિન્દર સિંહ સોઢી આવું વિચારે છે. શાસ્ત્રીનો કાર્યકાળ આ વર્ષના અંતમાં T20 વર્લ્ડ કપ સુધી પૂરો થાય છે, ત્યાં સુધી તે કોચ તરીકે રહેશે. સોઢીએ કહ્યું હતું કે દ્રવિડ સ્પષ્ટરૂપે શાસ્ત્રીની જગ્યા લેવાની કતારમાં છે.

સૌપ્રથમ આપણે એ વાતનો સ્વીકાર કરવો પડશે કે શાસ્ત્રીએ કોચ તરીકે બહુ સારું કામ કર્યું છે, પણ તેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જો દ્રવિડ મુખ્ય કોચ તરીકે શ્રીલંકા જઈ રહ્યો છે તો એ સ્પષ્ટ સંકેત છે કે તે લાઇનમાં છે. જો કોઈ કોચના રૂપમાં રવિ શાસ્ત્રીની જગ્યા લઈ શકે છે, તો તે રાહુલ દ્રવિડ છે.