ભોપાલ પછી હવે ઇન્દોરના બ્રિજ પર વિવાદ

ઇન્દોર: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા માટે ઐશબાગ રેલવે ઓવરબ્રિજ (ROB) બનાવવામાં આવ્યો હતો. જોકે આ ઓવરબ્રિજનું ડિઝાઇન તેના ઉદઘાટન પહેલાંથી જ દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. બ્રિજની ટોચ પર 90 ડિગ્રીનો ખતરનાક વળાંક રાખવામાં આવ્યો હતો. સોશિયલ મિડિયા પર આ બ્રિજને લઈને અનેક મીમ પણ બન્યાં હતાં. હવે આવો જ કંઈક મામલો ઇન્દોરથી સામે આવ્યો છે.

મિની મુંબઈ તરીકે ઓળખાતું ઇન્દોર તો હવે ભોપાલથી બે ડગલાં આગળ નીકળી ગયું છે. અહીં એવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે જેને સાંભળી ને તમે પણ તમારું માથું પીટવાની સ્થિતિમાં આવી જશો. ભોપાલના ઐશબાગના 90 ડિગ્રીના બ્રિજ વિશે તો તમે ઘણું સાંભળ્યું અને વાંચ્યું હશે. હવે ઇન્દોરના પોલો ગ્રાઉન્ડનો નવો ઓવરબ્રિજ વિવાદોમાં ઘેરાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી મળી રહી છે કે આ બ્રિજને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જેને કારણે ભવિષ્યમાં ખતરનાક અકસ્માત થઈ શકે છે.

ઇન્દોરનો આ બ્રિજ પોલોગ્રાઉન્ડ ઇન્ડસ્ટ્રિયલ એરિયાને MR-4 સાથે જોડે છે. આ બ્રિજને અંગ્રેજી અક્ષર ‘Z’ જેવી ડિઝાઇન આપવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં, બ્રિજમાં બે જગ્યાએ 90 ડિગ્રીના વળાંકો પણ મૂકવામાં આવ્યા છે.

સ્રોતો પાસેથી મળેલી માહિતી મુજબ PWDએ ટ્રાફિક અને રોડની પહોળાઈનો યોગ્ય રીતે સર્વે કર્યો નહોતો. વિવાદ સામે આવતાં હવે એવું માનવામાં આવી રહ્યું છે કે PWD બ્રિજના ડિઝાઇનમાં ફેરફાર પર વિચાર કરી રહ્યું છે. આ બ્રિજને એવી ડિઝાઇન કરવામાં આવી છે કે બંને બાજુથી વાહનો પોલોગ્રાઉન્ડ તરફ જશે અને પાછા પણ ત્યાંથી જ ફરશે. જેને કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.