ખોટા સમયે વિકેટ ગુમાવતાં અમે હાર્યાઃ સંજુ સેમસન

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સોમવારે થયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) રાજસ્થાન રોયલ્સ (RR)ને માત આપી છે. જોકે આ મેચમાં RRનો કેપ્ટન સંજુ સેમસન અમ્પાયરના નિર્ણયથી નારાજ લાગ્યો અને તે વારંવાર ફરિયાદ કરવા પહોંચી જતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત તેણે ખોટા સમયે વિકેટ પડવા પર અફસોસ વ્યક્ત કર્યો હતો.

સંજુએ આ મેચમાં એક સિક્સ અને સાત ચોક્કા સાથે 49 બોલમાં 54 રન બનાવ્યા હતા. તેમ છતાં RR હારી જતાં સંજુએ મેચ પછી કહ્યું હતું કે વિકેટ બહુ ધીમી હતી છતાં તેમણે ઘણી સારી બોલિંગ કરી હતી. અમને મેચમાં 15-20 રન ઓછા પડ્યા હતા. અમે આ મેચમાં ઘણી સારી ફાઇટ આપી હતી. અમારી બેટિંગમાં ખોટા સમયે અમારી વિકેટ પડી હતી, જેથી અમે કોઈ મોટી ભાગીદારી નહોતા કરી શક્યા. વળી, તેમણે ઘણી સારી બોલિંગ કરી હતી, જેથી અમે મોટા શોટ્સ ફટકારી નહોતા શક્યા, એમ તેણે કહ્યું હતું. સંજુએ સતત બીજી હાર બદલ બેટ્સમેનો પર હારનું ઠીકરું ફોડ્યું હતું.

રિંકુ સિંહે ધમાંકેદાર ઇનિંગ્સ રમતાં KKRએ RRને સાત વિકેટથી હરાવી હતી. રિંકુએ 23 બોલમાં 42 રન બનાવ્યા હતા. રિન્કુએ છ ચોગ્ગા અને એક છગ્ગો માર્યો હતો. રિન્કુ સિંહ સિવાય નીતિશ રાણાએ 37 બોલમાં 48 રન બનાવ્યા હતા.

આ સાથે KKR ટીમ પોઇન્ટમાં સાતમા ક્રમે પહોંચી છે, જ્યારે RR પોઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમાંકે છે.