રોહિતે હવે પોતાનું નામ બદલીને ‘નો હિટ શર્મા’ કરવું જોઈએઃ શ્રીકાંત

મુંબઈઃ આઈપીએલ સ્પર્ધામાં સૌથી વધારે વખત (16 વખત) ઝીરો પર આઉટ થવાની બદનામી રોહિત શર્માને મળી છે. ભારતીય ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે આઈપીએલ-2023 મોસમ ખૂબ પડકારજનક બની રહી છે. આ વખતની સ્પર્ધામાં એનો દેખાવ તદ્દન નબળો રહ્યો છે. એને કારણે એની ટીમ પણ ફેંકાઈ ગઈ છે. ગઈ કાલે ચેપોક મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે એને પરાજય આપ્યો હતો. આને કારણે પ્લેઓફ્સમાં પહોંચવાની મુંબઈ ટીમની તક વધારે નબળી પડી ગઈ છે. આ વખતની સીઝનમાં રોહિત શર્માએ માત્ર 18.40ની સરેરાશ સાથે કુલ માત્ર 184 રન જ કર્યા છે. આઈપીએલમાં સુનીલ નારાયણ, દિનેશ કાર્તિક અને મનદીપ સિંહ 15-15 વખત ઝીરો પર આઉટ થયા છે. પણ હવે રોહિત એ ત્રણેયથી આગળ નીકળી ગયો છે.

ચેન્નાઈ સામેની મેચમાં રોહિત ઓપનિંગને બદલે ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો, પણ એ માત્ર ત્રણ જ બોલનો સામનો કરી શક્યો હતો અને ઝીરો પર ક્લીન બોલ્ડ થયો હતો. ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર કે. શ્રીકાંત આ વિશે રોહિત શર્માની મજાક ઉડાવી છે. એમણે કહ્યું કે, જો હું મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હોત તો રોહિત શર્માને ટીમમાં લીધો જ ન હોત. એ તો છે ‘નોટ હિટ શર્મા’. રોહિતે હવે પોતાનું નામ બદલીને ‘નો હિટ શર્મા’ કરવું જોઈએ.’