લાંબા સમય બાદ 4 ક્રિકેટરોએ ફરી શરુ કરી પ્રેક્ટિસ

બેંગલુરુઃ દેશભરમાં કોરોના વાયરસની અસરના કારણે ગત માર્ચ મહિનાથી તમામ રમતોની સ્પર્ધાઓ બંધ છે. આ વાયરસની અસરને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આના કારણે બધું જ બંધ હતુ અને ખેલાડીઓ પોતાના ઘરોમાં હતા. જો કે, હવે સ્થિતિ સામાન્ય થતી દેખાઈ રહી છે અને સરકારે લોકડાઉનમાં છૂટ આપ્યા બાદ લોકો પોતાના કામ પર જઈ રહ્યા છે. આ જ કડીમાં ટીમ ઈન્ડિયાના પ્લેયર રોબિન ઉથપ્પા, શ્રેયસ ગોપાલ, વરુણ આરોન અને કર્ણાટકના ડેવિડ મૈથિયાસે બેંગ્લોરના કર્ણાટક ક્રિકેટ સંસ્થામાં પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પ્લેયર્સે તમામ સાવધાની રાખી અને તેમનું ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું અને બાદમાં તેઓ સેનેટાઈઝરનો ઉપયોગ કરીને જ પ્રેક્ટિસ કરવા માટે ગયા હતા. મૈથિયાસ કે જેમણે કર્ણાટક માટે 10 મેચ રમી હતી અને ખુલાસો કર્યો કે, બોલરે પોતાના બોલનો ઉપયોગ કર્યો.

તમામ પ્લેયર્સ લાંબા સમયથી એક્શનથી દૂર છે. રોબિન ઉથપ્પા કે જેમણે 46 વન-ડે અને 13 ટી-20 મેચ રમી છે. આ પ્લેયરે જાન્યુઆરીથી કોઈ મેચ રમી નથી જ્યારે ગોપાલે છેલ્લે ફેબ્રુઆરીમાં રણજી ટ્રોફીમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વરુણ એરોન છેલ્લે રણજી ટ્રોફીમાં ઝારખંડમાં રમ્યો હતો.