મુંબઈ ઈન્ડિયન્સનાં માલિકો નીતા અંબાણી, આકાશે પ્રશંસકોનો આભાર માન્યો

અમદાવાદઃ અત્રેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘ક્વાલિફાયર-2’ મેચમાં ગુજરાત ટાઈટન્સ ટીમના હાથે પરાજય થતાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ આઈપીએલ-2023 સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. તે મેચમાં ગુજરાત ટીમના ઓપનર શુભમન ગિલે ધમાકેદાર સદી (129 રન) ફટકારતાં ગયા વર્ષની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સે 233 રનનો ખડકલો કર્યો હતો. મુંબઈ ટીમ 171 રન જ બનાવી શકી હતી.

આઈપીએલ-2023માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના પડકારના આવેલા અંત અંગે ટીમનાં માલિકણ નીતા મુકેશ અંબાણી અને એમનાં મોટા પુત્ર આકાશ અંબાણીએ ટીમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નોંધ મૂકી છે જેમાં તેમણે મુંબઈ ટીમને આખર સુધી અને અવિરત ટેકો આપવા બદલ પ્રશંસકોનો આભાર માન્યો છે.

એમણે એમ પણ લખ્યું છે કે હાલની સીઝનમાંથી ટીમે ઘણી સકારાત્મક બાબતોને ધ્યાનમાં રાખી છે અને 2024ની સીઝનમાં વધારે મજબૂત બનીને રમશે. માલિકોએ ટીમના તિલક વર્મા, નેહલ વાઢેરા, આકાશ મધવાલ અને કેમરુન ગ્રીન ખેલાડીઓનાં નામનો ઉલ્લેખ કરીને એમના દેખાવની સરાહના કરી છે.