ભારતનો ટેસ્ટમાં ઐતિહાસિક વિજય : સિરીઝ 1-1થી બરાબર

ચેન્નઈઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની બીજી મેચનો આજે ચોથો દિવસ છે, ત્યારે ભારતીય ટીમે ચેન્નઈમાં પહેલી ટેસ્ટ મેચમાં મળેલી હારનો બદલો લીધો છે. ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 317 રને હરાવી દીધું છે. આ સાથે ભારતીય ટીમે સિરીઝે 1-1ની બરાબરી કરી છે. ભારતીય ટીમના હીરો આર અશ્વિન રહ્યો હતો. તેણે મેચમાં કુલ આઠ વિકેટ લીધી હતી અને આ ટેસ્ટમાં તેણે સદી પણ ફટકારી હતી. અક્ષર પટેલે પણ આ ટેસ્ટમાં આઠ વિકેટ લીધી હતી. અશ્વિને પહેલી ઇંનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી. ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 482 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. એના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 164 રનમાં ઓલઆઉટ થઈ હતી.  

ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં પહેલી ઇંનિંગ્સમાં 329 રન કર્યા હતા, જેમાં રોહિત શર્માએ 161 રન કર્યા હતા. રોહિતની સાથે રહાણેએ 67 અને પંતે 58 રન કર્યા હતા. જ્યારે પહેલી ઇંનિંગ્સમાં ભારતીય બોલરો રંગ રાખતાં 134 રન સુધી સીમિત કર્યા હતા. અશ્વિને પહેલી ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી.

ત્યાર બાદ બીજી ઇંનિંગ્સમાં ભારતે 286 રન બનાવ્યા હતા, જેમાં અશ્વિનને સેન્ચુરી ફટકારી હતી. બીજી ઇંનિંગ્સમાં ઇંગ્લેન્ડ 164 રનમાં ખખડ્યું હતું. આ ટેસ્ટ મેચમાં અશ્વિન અને અક્ષર પટેલે આઠ-આઠ વિકેટ લીધી હતી, જ્યારે રોહિત શર્માએ પણ શાનદાર સદી ફટકારી હતી. આ ટેસ્ટ મેચમાં ભારત તરફથી અશ્વિન, અક્ષર પટેલ અને રોહિત શર્મા હીરો રહ્યા હતા. અક્ષર પટેલે આ મેચથી ટેસ્ટ સિરીઝમાં ડેબ્યુ કર્યું હતું.