‘નો બોલ’ના નિર્ણય પછી અખ્તરનું અમ્પાયરભાઈઓ પર ટ્વીટ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે T20 વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાનની મેચમાં અમ્પાયરોના નિર્ણય પર સવાલ કર્યો હતો. વડા પ્રધાન મોદીએ પણ પાકિસ્તાન સામેની જીતને વિરાટ કોહલીની વિશેષ ક્ષણ ગણાવી હતી. ભારત અને પાકિસ્તાનની મેચની છેલ્લી મેચના અંતિમ બોલ પર રોમાંચક જીત મેળવી હતી. ત્રણ બોલમાં 13 રનોની જરૂર હતી, જેમાં એક ફુલટોસ બોલમાં વિરાટે ડીપ સ્કવેર લેગ પર સિક્સ મારી હતી.

દિવાળીના આગલા દિવસે ભારતે વિરાટ કોહલીની ‘વિરાટ’ ઇનિંગના કારણે પાકિસ્તાનને રસાકસીભરી મેચમાં ચાર વિકેટે હરાવ્યું હતું. વિરાટે 53 બોલમાં 82 રનની ‘ગ્રેટેસ્ટ ઇનિંગ’ રમી છે. તેની આ ક્લાસિક ઇનિંગમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા આવ્યા હતા. તેની સ્ટ્રાઇક રેટ 154.72ની રહી હતી. તેણે એકલા હાથે ટીમને જિતાડીને ગત વર્લ્ડ કપની હારનો બદલો લીધો હતો. આ સાથે જ ભારતે આ વર્લ્ડ કપનો પણ કટ્ટર હરીફ એવા પાકિસ્તાનને હરાવીને જીતથી સંગીન પ્રારંભ કર્યો છે.

અખ્તર અમ્પાયરના નિર્ણયથી નાખુશ થયો હતો અને ટ્વીટ કરતાં તેણે લખ્યું હતું કે અમ્પાયરભાઈઓ આજે રાતે ડિનરની જગ્યાએ વિચારજો. આ પહેલાં કોહલીએ કહ્યું હતું કે ક્રિકેટમાં  તેસૌથી શ્રેષ્ઠ ચેઝરોમાંનો એક કેમ છે?

અગાઉ ભારતે શરૂઆતમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે આવી પ્રેશર પરિસ્થિતિમાં હાર્દિક અને કોહલીએ ભારતની ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે શતકીય પાર્ટનરશિપ બની હતી. હાર્દિકે 37 બોલમાં 40 રન કર્યા હતા. પરંતુ મેચનો હીરો તો ટીમ ઈન્ડિયાના કિંગ વિરાટ કોહલી જ રહ્યો હતો.

અગાઉ ભારત તરફથી હાર્દિક અને અર્શદીપ સિંહે 3-3 વિકેટ લીધી હતી. તો મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને 1-1 વિકેટ મળી હતી. પાકિસ્તાન તરફથી સૌથી વધુ ઇફ્તિખાર અહેમદે 34 બોલમાં 51 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. તો શાન મસૂદે 5 ચોગ્ગાની મદદથી 42 બોલમાં 52 રન કર્યા હતા.