હું અમેઠીની જનતાની સેવા કરતી રહીશ: સ્મૃતિ ઈરાની

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના અમેઠીથી હાર બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે સૌપ્રથમ કિશોરીલાલ શર્માને જીત માટે અભિનંદન પાઠવ્યા. તેમણે એમ પણ કહ્યું કે હું અમેઠીની જનતાની સેવા કરતી રહીશ. હું ભાજપ પાર્ટીના તમામ કાર્યકરો અને સમર્થકોનો આભાર વ્યક્ત કરું છું, જેમણે આ મતવિસ્તારની સેવામાં સંપૂર્ણ સમર્પણ અને નિષ્ઠા સાથે કામ કર્યું. આજે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર માનું છું.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠી લોકસભા સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસના કિશોરી લાલ શર્માએ તેમને 1 લાખ 66 હજાર 22 મતોથી હરાવ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠીથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવનાર સ્મૃતિ ઈરાનીની આ હાર ભાજપ માટે મોટો ઝટકો છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામો અનુસાર કોંગ્રેસના કિશોરી લાલ શર્માને 5 લાખ 36 હજાર 492 વોટ મળ્યા છે. જ્યારે સ્મૃતિ ઈરાનીને 3 લાખ 70 હજાર 470 વોટ મળ્યા. બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઉમેદવાર નન્હે સિંહ ચૌહાણ 34 હજાર 418 વોટ મેળવીને ત્રીજા ક્રમે છે. અમેઠી લોકસભા સીટ નેહરુ-ગાંધી પરિવારનો રાજકીય ગઢ માનવામાં આવે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠીથી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 55,120 મતોથી હરાવીને મોટો અપસેટ સર્જનાર સ્મૃતિ સતત ત્રીજી વખત આ બેઠક પરથી ચૂંટણી લડી રહી હતી. શરૂઆતમાં કોંગ્રેસ તરફથી એવી અટકળો હતી કે રાહુલ ગાંધી આ વખતે પણ અમેઠીથી ચૂંટણી લડશે, પરંતુ છેલ્લી ઘડીએ પાર્ટીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નજીકના સહયોગી કિશોરી લાલ શર્માને મેદાનમાં ઉતારીને સૌને ચોંકાવી દીધા હતા.