શશિ થરુરે ફરી ભારતને કૂટનીતિક જીત અપાવી

નવી દિલ્હીઃ પાકિસ્તાન વિરુદ્ધ ભારતના ‘ઓપરેશન સિંદૂર’ને લઈને વિરોધ દર્શાવનાર કોલંબિયાના સૂર હવે બદલાઈ ગયા છે અને તેણે પાકિસ્તાનને સમર્થન આપતું નિવેદન પાછું ખેંચી લીધું છે. તેને ભારતની કૂટનીતિ અને શશિ થરૂરની આક્રમકતાની જીત તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે જે કોલંબિયા ગઈ કાલે સુધી પાકિસ્તાન માટે સંવેદના વ્યક્ત કરી રહ્યું હતું, એ આજે ભારતના સમર્થનમાં ઊભી રહ્યું છે.

અસલમાં, સર્વપક્ષી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનાર કોંગ્રેસના સાંસદ શશિ થરુરે કોલંબિયાના સંવેદનાશીલ નિવેદન પર ‘નિરાશા’ વ્યક્ત કરી હતી. ભારતે પહેલગામ આતંકી હુમલાનો જવાબ આપતાં સાત મેએ પાકિસ્તાન અને પાકિસ્તાની કબજાવાળા કાશ્મીરમાં  નવ આતંકી ઠેકાણાં, તેમનાં મુખ્ય મથકો અને લોન્ચ પેડને નિશાન બનાવ્યાં હતાં. ભારતની આ જવાબી કાર્યવાહીમાં ૧૦૦થી વધુ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા, જેના પછી કોલંબિયાએ પાકિસ્તાન પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

કોલંબિયાએ નિવેદન પાછું ખેંચ્યું
શશિ થરુરે કહ્યું હતું કે કોલંબિયાની ઉપ વિદેશમંત્રી રોજા યોલાંડાએ ખૂબ જ ગૌરવભર્યા અંદાજમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે અમારી ચિંતા વ્યક્ત કર્યા બાદ પાકિસ્તાન પ્રત્યે સંવેદના વ્યક્ત કરતું નિવેદન કોલંબિયાએ પાછું ખેંચી લીધું છે. આ મુદ્દા પર કોલંબિયા હવે આપણા અભિગમને સંપૂર્ણ રીતે સમજે છે.  ખરેખર ખૂબ મહત્વની વાત છે.