શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળને મોટી સફળતા મળી છે. સેનાની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ આતંકવાદીઓ ઠાર થયા છે. હજી ઓપરેશન જારી છે. ચાતરીના નૈદગામના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં જૈશના કમાન્ડર સૈફુલ્લાહ, ફરમાન અને બાશા ઠાર મરાયા હતા. આ ત્રણેય પર પાંચ લાખ રૂપિયાનું ઇનામ હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઓપરેશનમાં સેનાના 2,5 અને 9 પેરા કમાન્ડો, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસે સયુંકત કાર્યવાહી કરી હતી. ગાઢ જંગલોનો લાભ લઈને આતંકવાદીઓ ઘણી વાર ઘૂસણખોરી અને હુમલો કરવાનો પ્રયાસ કરે છે. તેથી આ ઓપરેશન ફક્ત ગાઢ જંગલોમાં જ હાથ ધરવામાં આવ્યું હતું. આતંકવાદીઓને શોધવા માટે સેનાએ હેલિકોપ્ટર અને ડ્રોન પણ તહેનાત કર્યા હતા.
અહેવાલો અનુસાર કિશ્તવાડ વિસ્તારમાં સુરક્ષા દળોનું આ એક મોટું ઓપરેશન છે. 10 એપ્રિલે આતંકવાદીઓએ સુરક્ષા દળોનો સામનો થયો હતો અને એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો. બીજા દિવસે 11 એપ્રિલની સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સેનાના અધિકારીઓના જણાવ્યા મુજબ હજી કમસે કમ એક આતંકવાદી છુપાયો હોવાની આશંકા છે અને ગોળીબાર બંને તરફથી ચાલુ છે. આ ઓપરેશન પહાડો પર ચાલી રહ્યું છે.
